Tuesday, June 30, 2009

સ્વજનથી સવિશેષ પાડોશી : ડો. મહેબૂબ દેસાઈ

સ્વજનથી સવિશેષ પાડોશી

ડો. મહેબૂબ દેસાઈ

‘પાડોશી’ શબ્દ વ્યકિત અને રાષ્ટ્ર બંને માટે અત્યંત મહત્ત્વનો છે. સારો પાડોશી સ્વજન કરતાં સવાયો હોય છે અને એટલે જ દરેક ધર્મમાં ‘પાડોશી ધર્મ’નો મહિમા વ્યકત થયો છે.

પાડોશી ભલો હોય કે બૂરો હોય પણ તે આપણો સાચો હમદર્દ છે. મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાને પહોંચતા વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશીને હિંદુ કે મુસ્લિમગણી તેની મહત્તા ઓછી આંકનાર માનવીને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે.

ઇસ્લામે પણ પાડોશીને અત્યંત મહત્ત્વનો દરજજૉ આપ્યો છે. ઇસ્લામિક ગ્રંથોમાં પેલા મોચીની વાત બહુ જાણીતી છે, જેણે હજયાત્રા માટે ભેગા કરેલા પૈસા પોતાના ભૂખ્યા પાડોશીના ભોજન માટે ખર્ચી નાખ્યા. દમિશ્કના એ મોચીને હજરત અબ્દુલ્લાહ બિન મુબારકે પૂછ્યું હતું, ‘આ વર્ષે હજયાત્રા માટે આવેલા એક લાખ હજયાત્રીમાંથી કોઈની હજ ખુદાએ કબૂલ નથી કરી. એક માત્ર ઘર બેઠા તમારી હજ ખુદાએ કબૂલ કરી છે. તમે એવી તો કેવી ઇબાદત કરી કે ખુદાએ ઘર બેઠા તમારી હજ કબૂલ કરી?’

ગરીબ મોચી હજરત અબ્દુલ્લાહની વાત સાંભળી નવાઈ પામ્યો. પછી સ્વસ્થ થઈ બોલ્યો, ‘હજયાત્રા કરવાની તમન્નાથી મેં મારી હલાલની કમાઈમાંથી થોડા થોડા પૈસા જમા કર્યા હતા. પણ થોડા દિવસ પહેલાં જ મારા પાડોશીની હાલતની મને જાણ થઈ. સાત સાત દિવસથી તેમનો ચૂલો ટાઢો હતો. બાલબરચાઓ ભૂખ્યાં ટળવળતાં હતાં. તે જોઈ મારું હૃદય કકળી ઠયું. અને મેં હજયાત્રા માટે જમા કરેલા પૈસા તેમને આપી દીધા.’

કુરાને શરીફમાં પાડોશીની મહત્તાનો સ્વીકાર કરી, તે અંગે વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પાડોશીઓના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે.

૧. ‘વલા જારે ઝિલ કુરબા’ અર્થાત્ એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સ્વજન-સગાં હોય.

૨ ‘વલા જાહિલ ઝુનુબે’ અર્થાત્ એવા પાડોશીને કૌટુંબિક સગાંસંબંધી ન હોય. પણ માત્ર પાડોશી જ હોય. આવા પાડોશીમાં ગેરમુસ્લિમ પાડોશીનો પણ સમાવેશ થાય છે.

૩. ‘વસ્સાહિલે બિલજમ્બે’ અર્થાત્ એવા પાડોશી જેનો સંજૉગોવશાત્ મુસાફરીમાં, દફતરમાં કે અન્ય કોઈ રીતે ભટો થઈ ગયો હોય. આમાં ગેરમુસ્લિમ પાડોશીનો સમાવેશ થાય છે.

આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામે સદ્વર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપ્યો છે, અને કહેવામાં આવ્યું છે, ‘ જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઇમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કંઈ પણ દુ:ખ કે તકલીફ આપવાં ન જૉઈએ.’

એકવાર એક સહાબીએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી, ‘હજૂર, તે સ્ત્રી ઘણી નમાઝો પઢે છે. પાબંદીથી રોઝા રાખે છે. અતિશય ખેરાત(દાન) કરે છે. પરંતુ પોતાની કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.’

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, ‘તે સ્ત્રી દોઝકમાં જશે કારણે કે તે સાચી મુસ્લિમ નથી. જેના પાડોશી તેની શરારતોથી પરેશાન હોય. પાડોશી સાથેના સંબંધો અંગે તો મહંમદ સાહેબે (સ.અ.વ.) ત્યાં સુધી તાકીદ ફરમાવી છે.

‘જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જૉ તમે ન કરી શકો તો તે ફળોનાં છોતરાં બહાર ફેંકશો નહીં. જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.’

No comments:

Post a Comment