Sunday, December 24, 2023

ફિલ્મો અને સમાજ : ડૉ મહેબૂબ દેસાઇ

ઇતિહાસના દરેક યુગમાં હિંસા અને અહિંસા બંને જોવા મળે છે. અલબત તેના ઉદેશના મૂળમાં હંમેશા મૂલ્યોનું જતન અને માનવીય અભિગમ કેન્દ્રમાં છે. અત્રે હિંસાનો અર્થ માત્ર જીવ માત્રની હત્યા નહીં પણ માનવીના મનને દુ:ખ પહોંચાડવાની કિયા પણ હિંસા છે. દરેક ધર્મમાં પણ હિંસક યુધ્ધોનો ઉલ્લેખ છે. રામાયણ અને મહાભારતમાં બે યુધ્ધો આલેખાયેલા છે. બંનેમાં અસત્ય સામે સત્યનો સંધર્ષ છે. ઇસ્લામમાં જંગે બદર અને કરબલાના યુધ્ધનો ઉલ્લેખ છે. ભારતના સ્વાતંત્ર્ય યુગમાં ગાંધીજીની સત્ય અને અહિંસા ભલે કેન્દ્રમાં હોય, પણ હિંસાનું તત્વ તેમાં પણ ડોકયા કરે છે. ચંદ્રશેખર અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ હિંસાના સહારે સ્વાતંત્ર્ય દેવીને પામવાનો પ્રયાસ કર્યો છે. અને આજે પણ આપણે સૌ એ વીરોના બલિદાનને બિરદાવીએ છીએ.

અત્રે હિંસાને પ્રોત્સાહિત કરવાનું પ્રયોજન નથી. પણ હિંસાને મનનનો વિષય બનાવવાની પ્રેરણા એટલા માટે મળી છે કે છેલ્લા કેટલાક સમયથી આપણો  સામાજિક અભિગમ અને રસ હિંસાત્મક ફિલ્મો તરફ વળતો જોવા મળી રહ્યો છે. આ વર્ષ દરમિયાન પઠાણ, જવાન, ગદર 2, એનિમલ અને સલાર જેવી હિંસાથી ભરપૂર ફિલ્મોને અપાર સફળતા સાંપડી છે. આ ફિલ્મોની અપાર  હિંસાને આપણા

સમાજ અને ખાસ કરીને યુવા વર્ગે સહર્ષ આવકારી છે. તેની સાથે રજૂ થયેલી સ્વચ્છ, કોમેડી અને ઉદેશ લક્ષી ફિલ્મોને ધારી સફળતા સાંપડી નથી. જેમ કે મોટા સ્ટાર તરીકે પંકાયેલા શાહરુખ ખાનની ફિલ્મ ડંકી સ્વચ્છ અને ઉદેશલક્ષી હોવા છતાં તેને પ્રેક્ષકોનો જોઈએ તેવો આવકાર નથી મળ્યો. તેના સ્થાને આજે એનિમલ અને સાલાર જેવી હિંસાત્મક ફિલ્મોને આમ સમાજ વારંવાર જોવાનું પસંદ કરે છે. એક સમયે અમિતાભ બચ્ચનની એંગરી યંગ મેનની નકારાત્મક ફિલ્મો લોકોએ સ્વીકારી હતી. ત્યારે વિવેચકો, વિશ્લેષણકારો અને ખુદ ફિલ્મના લેખક સલીમ જાવેદ નું કહેવું હતું કે એંગ્રી યંગ મેન પ્રજા માનસના રોષનું પ્રતિબિંબ છે. અને માટે જ એવી ભૂમિકાવાળી ફિલ્મો એ સમયે ખૂબ સફળ રહી હતી. આજે જ્યારે હિંસાત્મક ફિલ્મો સફળ થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આમ સમાજ તેમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે ? જો કે એવું કહેવું સંપૂર્ણ પણે ઉચિત નથી. પણ એ સત્યને નકારી ન શકાય કે મૂલ્યોનું જતન કરતો સમાજ ધીમે ધીમે લધુમતીમાં આવતો જાય છે. ધીમે ધીમે અસત્ય અને અત્યાચાર સમાજનો આગવો હિસ્સો બનતા જાય છે. પણ ભારતીય સમાજ હંમેશા મૂલ્યનિષ્ટ અને સ્વચ્છ સમાજની ખેવના કરતો રહ્યો છે. આજે પણ આપણે મૂલ્યનિષ્ટ સમાજને મનોમન આવકારીએ છે. પરિણામે ફિલ્મના પરદા પર સત્ય અને અસત્ય વચ્ચેના હિંસાત્મક પણ કાલ્પનિક યુધ્ધને આપણે સહર્ષ માણીએ છીએ. હિંસા દ્વારા પણ સત્યનો વિજય થતો આપણને ગમે છે. તુલસીદાસ તેમના એક દોહામાં કહે છે,

 

नीच चंग-सम जानिए, सुनि लखि तुलसीदास’।

हील देत महि गिरि परत, खैंचत चढ़त अकास॥

 

અર્થાત અનૈતિક સમાજ કે પુરુષ પતંગ સમાન હોય છે. પતંગને ઢીલ આપો તો તે નીચે આવી જાય છે. પણ તેની દોરને ખેંચીને પકડી રાખો તો તે આકાશમાં ઊંચે ટકી રહે છે. દુષ્ટ સમાજ કે પુરુષને પણ ઢીલી દોર કરતાં કઠોર અને કડક દોરની જરૂર હોય છે. અર્થાત સમાજને મૂલ્યનિષ્ટ બનાવી રાખવા કઠોર કાયદાઓનું પાલન જરૂરી છે. અલબત તે હિંસા રહિત અનિવાર્ય છે. એટ્લે જ અન્યાય, અત્યાચાર કે અસત્યને સમાજમાં પ્રસરાવતા અટકાવવા માટે કડક પણ અહિંસક કાયદા પાલન આવકાર્ય છે અને દરેક મૂલ્યનિષ્ઠ સમાજ માટે તે હંમેશા અનિવાર્ય રહેશે. અસ્તુ