Thursday, October 26, 2017

આપણે કેવા મુસ્લિમ છીએ ? : ડૉ. મહેબૂબ દેસાઈ


યુરોપની વિદેશયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના દીદાર કર્યા પછી, પુનઃ અહીના મુસ્લિમ બિરાદરો સાથે નાતો સધાયો. ગુજરાતના મુસ્લિમ સમાજ સાથેનો મારો નાતો વર્ષો જૂનો છે. આમ છતાં ગુજરાતના મુસ્લિમ સમાજથી મને થોડો અસંતોષ પણ રહ્યો છે. અલબત્ત એમા કોઈ અંગત કારણો જવાબદાર નથી. તેઓ સાચે જ ઉમદા માનવીઓ છે. પણ ઇસ્લામના આદેશો અનુસાર થોડું પણ ચાલવાની તેમની નિષ્ક્રિયતા મારા માટે દુઃખ બની રહે છે. હું અત્રે તેમને ચમત્કારિક ધોરણે પાંચ વક્તના નમાઝી બનાવી દેવાની વાત નથી કરતો. પણ જીવન વ્યવહારમાં વ્યસન મુક્તિ, ભાઈચારો, પાડોશી ધરમ જેવા ઇસ્લામી સંસ્કારો અને આદર્શોનો તો કોઈ પણ મુસ્લિમ આસાનીથી જીવનમાં અમલ કરી જ શકે. પણ જયારે એક મુસ્લિમ બીજા મુસ્લિમ સાથે સદભાવ ભર્યો વ્યવહાર કરવામાં પણ કંજુસાઈ કરે છે, ત્યારે સાચે જ દુઃખ થાય છે.
મને બરાબર યાદ છે કે મારા એક લેખમાં મેં હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)માટે ઇસ્લામિક સીરત અને હદીસોમાં વપરાયેલ શબ્દ ઉમ્મી (અનપઢ)નો ઉપયોગ કર્યો ત્યારે તેનો સખ્ત વિરોધ મુસ્લિમોએ કર્યો હતો. એ સમયે એક ટીવી ચેનલે મારો પ્રતિભાવ પૂછ્યો હતો. ત્યારે મેં  એટલું જ કહ્યું હતું,
એ લોકોને ભલે મારા માટે જે કહેવું હોય તે કહે, પણ અંતે તેઓ મારા ભાઈઓ છે. આપણે આપણી આંગળીએથી આપણા નખને દૂર નથી કરી શકતા, તો હું તેમનાથી મારી જાતને અલગ કેવી રીતે રાખી શકું ?
થોડા મહિનાઓ પહેલા એક સામાજિક સમસ્યાના ઉકેલ માટે મારે એક મુસ્લિમ બીરદારને ત્યાં જવાનું થયું. તેમના ઘરમાં પ્રવેશ્યો તો દુવા સલામ કરવા જેવા ઇસ્લામિક સંસ્કારોનો પણ સંપૂર્ણ અભાવ મને જોવા મળ્યો. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
આપના ઘરે દુશ્મન પણ આવે તો, સસ્મિત દુવા સલામ સાથે તેને આવકારો
આવા સંસ્કારો માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. એ તો ઇસ્લામની દેન છે. મહંમદ સાહેબની હદીસ છે. તેનો અમલ માત્ર દરેક મુસ્લિમને સવાબ અર્થાત પુણ્યના હકદાર બનાવે છે. આવા માનવીઓ પોતાને ઇસ્લામના અનુયાયીઓ કહે છે ત્યારે મને સાચ્ચે જ નવાઈ લાગે છે.
ઇસ્લામમાં વ્યસનને કોઈ સ્થાન નથી. છતાં એવા અનેક મુસ્લિમ બિરાદરો મેં જોયા છે જેઓ સતત મુખમાં તમાકુ કે માવો ભરીને વાત કરતા હોય છે. પરિણામે તેમની સાથે વાત કરવાનું ગમતું નથી. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
લોકો તમને વ્યસન તથા જુગાર માટે પૂછશે, તેમને કહી દેશો કે આ બંને વસ્તુ પાપમુલક છે. કોઈને તેથી ક્ષણિક ફાયદો થતો હશે પણ તેનું પાપ લાભ કરતા અનેકગણું છે.
આવા મુસ્લિમોને આપણે વ્યસન મુક્ત થવા કહીએ છીએ ત્યારે તેઓ હંમેશા હસીને વાત ટાળી દેતા હોય છે.
એ જ રીતે હિંદુ કે મુસ્લિમ કોઈની પણ ટીકા અર્થાત ગીબત કરવી એ પણ ઇસ્લામમાં ગુનો છે. કોઈની માનહાની કરવી કે કરવામાં સહભાગી બનવું એ પણ ઇસ્લામમાં ગુનો છે. એવું કરનારા ભલે પોતાને અન્ય માનવીથી ચડિયાતો માનતો હોય, પણ તે અલ્લાહનો ગુનેહગાર છે. અલબત્ત તેને તેના અહંમના મદમા તેની ખબર નથી હોતી. હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
નિંદા કરનાર માનવી દોઝકમા જશે.
હઝરત ઈમામ ગિઝાલી તો નિંદા કરનાર વ્યક્તિ સામે પાંચ તકેદારીઓ રાખવાનું કહે છે,
તમારી પાસે કોઈની નિંદા કરવામાં આવે ત્યારે પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
૧. નિંદા કરનારની વાત કદાપી ન માનો.
૨. નિંદા કરનારના કાર્યોથી ચેતો.
૩. નિંદા કરનાર પ્રત્યે નાખુશી વ્યક્ત કરો.
૪. નિંદા કરનારની વાતની વિશ્વનીયતા કયારેય ન તપાસો.
૫. નિંદા કરનાર અંગે અન્યને કશું જ ન કહો.

અને છેલ્લે પાડોશી ધર્મ ઇસ્લામના પાયામાં છે. એક જ સોસાયટીમા રહેતા,એક જ મહોલ્લામાં કે વિસ્તારમાં રહેતા કે એક જ બિલ્ડીંગમા એક જ માળે રહેતા મુસ્લિમો વચ્ચે પણ વેરભાવ, દ્વેષ કે ઈર્ષાના ભાવો જાણે અજાણ્યે અભિવ્યક્ત થઈ જતા હોય છે. ઇસ્લામમાં હિંદુ મુસ્લિમ દરેક પાડોશી પ્રત્યે સમાન અને સદવર્તન રાખવાનો આદેશ છે. પણ આપણે આપણા નીજી સ્વાર્થ કે નાના મોટા લાભો માટે પાડોશી સાથેના સબંધો ને તનાવપૂર્ણ બનાવી દઈ એ છીએ. કુરાને શરીફમા ત્રણ પ્રકારના પાડોશીઓ અંગે ઉલ્લેખ છે,
૧. વલા જારે ઝીલ કુરબા અર્થાત એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સગા પણ હોય.
૨. વલા જાહિલ ઝુનુબી અર્થાત એવા પાડોશી જે કૌટુંબિક સગાસબંધી ન હોય. આવા પાડોશીમા ગૈર મુસ્લિમ પડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. વસ્સહીલે બિલજ્મ્બે અર્થાત એવા પાડોશી જેનો સંજોગવસાત મુસાફરીમા, દફતરમાં કે અન્ય કોઈ રીતે ભેટો થઈ ગયો હોય
આ ત્રણે પ્રકારના પડોશીઓ સાથે ઈસ્લામે સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કુરાને શરીફમા કહ્યું છે,
જે માણસ અલ્લાહ અને અતિમ ન્યાયના દિવસ પર ઈમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કઈ પણ દુઃખ કે તકલીફ આપવા ન જોઈએ.
ચાલો, આપણે આપણી જાતને પૂછીએ કે આપણે આવા મુસ્લિમ છીએ ? અથવા બનવા પ્રયાસ પણ કરીએ છીએ ?


Thursday, October 19, 2017

શૈતાનને હંમેશા કાંકરી મારો : ડૉ. મહેબૂબ દેસાઈ


હજયાત્રાએથી પરત આવનાર સ્વજનોને હમણાં મળવાનું થયું. બધા શૈતાનને ઘણી મુશકેલી કાંકરી માર્યાની ઘટનાને વ્યથિત મને વ્યક્ત કરતા હતા. કારણ કે શૈતાનને કાંકરી મારવાની ક્રિયા હજની મુશ્કલે ક્રિયાઓ માની એક છે. જો કે હવે તો શૈતાનને કાંકરી મારવાના સ્થાને ચાર પાંચ માળનું મોટું  બિલ્ડીંગ બનાવી નાખવામાં આવ્યું છે. છતાં આજે પણ એટલી જ ભીડ અને અવ્યવસ્થા જોવા મળે છે. અલબત્ત તેમાં ત્યાના વ્યવસ્થા તંત્રનો કોઈ દોષ નથી. પણ હજયાત્રોની કાંકરી મારવાની ક્રિયા જલ્દી પૂર્ણ કરવાની વૃત્તિ જવાબદાર છે. વળી, સૌ હજયાત્રીઓ ગાડરિયા પ્રવાહમાં તણાય છે. કોઈ લીફ્ટ પકડીને છેક ઉપરના માળે જવાની કોશિશ કરતુ નથી એટલે એક જ સ્થાન પર માનવ ભીડ અવ્યવસ્થા સર્જે છે. અને એટલે જ મોટાભાગના હજયાત્રીઓ કાંકરી મારવાની ક્રિયાની વાત નીકળે એટલે અવશ્ય કહે,
બહુ મુશ્કેલીથી શૈતાનને કાંકરી મારી.
હજયાત્રાની શૈતાનને કાંકરી મારવાની ક્રિયામા એક અદભૂત જીવન બોધ રહેલો છે. આજે તેની થોડી વાત કરાવી છે.
હજયાત્રા દરમિયાન મીનામાં ઇબ્લીસ નામના શૈતાનને કાંકરી મારવાની ક્રિયા હજયાત્રીઓને ફરજીયાત કરવાની હોય છે. જો કે એ માત્ર એક હજની ક્રિયા નથી. તેની પાછળનો ઉદેશ જીવનમાં પણ મુલ્યો જાળવવાની પ્રતિજ્ઞા છે. શૈતાન એટલે અનૈતિક માર્ગે દોરનાર તત્વો. અસત્ય, અધર્મ, અસામાજિકતા અને અનૈતિકતા તરફ માનવીને દોરી જનાર વ્યક્તિ કે સંજોગો. આ તમામ શૈતાની તત્વો છે. તેને કાંકરી મારવી, તેનો ત્યાગ કરવો, તેનો જીવન વ્યવહારમાં તિરસ્કાર કરવો એટલે શૈતાનને કાંકરી મારવી. ઇસ્લામમાં શૈતાનથી દૂર રહેવાની પ્રેરણા આપનાર હઝરત ઈબ્રાહીમની કથા સાથે શૈતાનને કાંકરી મારવાની કથા સંકળાયેલી છે. પોતાન વહાલા પુત્ર ઈસ્માઈલની ખુદાના આદેશ મુજબ કુરબાની કરવા હઝરત ઈબ્રાહીમ તૈયાર થઈ ગયા. અને પુત્રને લઇ ઉજડ જંગલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે ખુદાના આદેશથી તેમને ચલિત કરવા શૈતાને પ્રયાસો આરંભ્યા. સૌ પ્રથમ શૈતાન હઝરત ઈબ્રાહીમના પત્ની હઝરત હાજરા પાસે ગયો અને તેમને કહ્યું,
હઝરત હાજરા, તમને ખબર છે તમારા પતિ તમારા પુત્ર ઈસ્માઈલને શા માટે તેમની સાથે લઇ ગયા છે ?
હઝરત હાજરાએ ફરમાવ્યું,
કઈંક કામ અર્થે લઇ ગયા હશે.
હઝરત હાજરા, તમે ઘણા ભોળા છો. તમને ખબર નથી તમારા પતિ પુત્ર ઈસ્માઈલને ખુદના નામે કુરબાન કરવા લઇ ગયા છે.
હઝરત હજરાએ એક નજર શૈતાનની શરારત ભરી આંખો સામે કરી, પછી ફરમાવ્યું,
મારા પતિ ખુદના પ્યારા પયગંબર છે. ખુદની આજ્ઞાનું પાલન કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. એટલે ખુદાનો આદેશ હઝરત ઈસ્માઈલને કુરબાન કરવાનો હશે, તો તેનું તેઓ અવશ્ય પાલન કરશે. તેમની એ ઈબાદતમા હૂં તેમની સાથે છું.
શૈતાન ઇબ્લીસ સમજી ગયો કે હઝરત હાજરાને બહેકાવવા મુશકેલ છે એટલે તે પુત્ર ઈસ્માઈલ પાસે પહોંચી ગયો.
ઈસ્માઈલ, તમને ખબર છે તમારા પિતા તમને ક્યાં લઇ જાય છે ?
હઝરત ઈસ્માઈલે ફરમાવ્યું,
મારા વાલિદ સાહેબ (પિતા) ખુદાના પ્યારા પયગંબર છે. તેઓ જે કરશે તે ખુદાના આદેશ મુજબ જ કરશે.
અરે પણ, તે તમારી કુરબાની કરવા તમને લઇ જઈ રહ્યા છે.
એ સત્ય હોય તો પણ તેમાં ખુદાનો આદેશ હશે. ખુદના આદેશ મુજબ કુરબાન થાવનું મને ગમશે.
અહિયાં પણ શૈતાન ઇબ્લીસ ફાવ્યો નહી. એટલે અંતે તેણે હઝરત ઈબ્રાહીમને બહેકાવવાનો પ્રયાસ કર્યો.
હે ઈબ્રાહીમ, તમે ગાંડા થઈ ગયા છો. સ્વપ્ના તો સાચા હોતા હશે ! અને એવા સ્વપ્નના આધારે એકના એક માસુમ પુત્રની કુરબાની કરાતી હશે ?
પણ હઝરત ઈબ્રાહીમ તો પ્રથમથી જ સમજી ચૂક્યા હતા કે ખુદના આદેશની અવગણના કરવા સમજાવવા આવનાર શૈતાન ઇબ્લીસ છે. એટલે શૈતાન ઇબ્લીસ વધુ કઈ કહે તે પહેલા જ હઝરત ઈબ્રાહીમ બોલી ઉઠ્યા,
આને કાંકરા મારી ભગાડો. આ શૈતાન છે.
પિતાના આવા ઉદગારો સાંભળી સાથે ચાલી રહેલ પુત્ર ઇસ્લામાઈલે પણ શૈતાનને કાંકરીઓ મારવા માંડી. બંને પિતા પુત્રએ શૈતાનને સાત સાત કાનાક્રીઓ મારી તે સ્થળને જમ્રતુલ સાગર અર્થાત નાનો શૌતન કહે છે. એ પછી જમ્રતુલ બોસ્તા (વચલો શૈતાન) અને જમ્રતુલ અલઅક્બા (મોટો શૈતાન)ને પણ પિતા પુત્રએ કાંકરીઓ મારી. પરિણામે શૈતાન નાસી ગયો.
હઝરત ઈબ્રાહીમને ખુદના આદેશથી ચલિત કરવા પ્રયાસ કરનાર શૈતાન આજે પણ સક્રિય છે. આજે પણ અનેક સ્વરૂપે, અનેક સંજોગોમાં જીવનના દરેક માર્ગ પર ડગલે ને પગલે શૈતાન આપણને અનૈતિક, અધાર્મિક અને અસામાજિક માર્ગે દોરવા સતત પ્રયત્ન કરી રહેલ છે. એ શૈતાનને સંયમ, સબ્ર અને શાંતિની કાંકરી મારી આપણાથી દૂર રાખવાની જરુર છે. ખુદા આપણને સૌને એવા થી દૂર રાખવા સંયમ અને ઈબાદતની પરવળ કાંકરીઓ અત્તા (પ્રદાન) કરે એ જ દુવા – આમીન.



Saturday, October 14, 2017

યુરોપના મુસ્લિમોની કોમી સદભાવના : ડૉ. મહેબૂબ દેસાઈ


છેલ્લા ૨૮ દિવસથી યુરોપના ચાર દેશોની સફર પર હતો. સ્પેન, ફ્રાંસ, ઇટલી અને ગ્રીસના મુખ્ય શહેરો અનુક્રમે બાર્સોલીના,પેરીસ, રોમ અને અથેન્સના ભારતીઓ અને મુસ્લિમો અને તેમની સભ્યતા તેમજ સંસ્કૃતિનો અભ્યાસ કરવાની તક સાંપડી છે. સ્પેનની રાજધાની બાર્સોલીનામા બંગાળી, બાંગ્લાદેશી અને પાકિસ્તાની મુસ્લિમો મોટી સંખ્યામાં છે. બાર્સોલીનાના એક કન્ઝ્યુમર સ્ટોરમા કફની લેંઘાના ભારતીય પોશાકમાં પ્રવેશ્યો ત્યારે મને ખબર ન હતી કે મારું આવું સ્વાગત થશે. સ્ટોરના કાઉન્ટર પર બેઠેલ એક શ્યામ વર્ણના વ્યક્તિએ મને નમસ્તે થી આવકાર્યો. પારકા પરદેશમાં પોતાના દેશનો શબ્દ ખુબ મીઠો લાગ્યો. મેં પણ તેમને નમસ્તે કહ્યું. એટલે તેમણે મને પહેલો પ્રશ્ન પૂછ્યો.
ઇન્ડિયા ?
જી હાં તેણે કહ્યું, મેં પાકિસ્તાની હૂં. મેરા નામ સરફરાઝ હૈ
આપ મુસ્લિમ હો ?
જી હાં અને તેમણે મને તૂરત ઇસ્લામી અભિવાદન કરતા કર્યું.
અસ્સ્લામુ અલયકુમ મેં ઉત્તર વળતા કહ્યું  વા આલેકુમ સલામ.
પરિચય વધારે કેળવતા તે બોલી ઉઠ્યા,
આપ તો કલમે કે શરીક હો. હમારે ભાઈ હો. યે પોલિટીકસ વાલોને હંમે અલગ કર રખા હૈ. વરના હમ તો એક હી થે એમ કહી ઇસ્લામી તહેજીબ મુજબ તેમણે મારી સાથે મુસફો (હાથ મેળવ્યો) કર્યો.
કલમે કે શરીક અર્થાત દરેક મુસ્લિમને પાંચ કલમા મોઢે હોય છે. કલમા-એ- તયબાહ,
કલમા-એ-શાહદાત, કલમા-એ-તમજિદ, કલમા-એ- તવાહીદ અને કલમા-એ- રદ્દ્કુફ્ર. આ કલમાઓમાં  
ખુદાની ઈબાદત અને ખુદાની પનાહમા હંમેશા રહેવાની પ્રતિબધ્ધતા છે. ટુકમાં પાંચ કલમા એ વિશ્વના દરેક મુસ્લિમની ઓળખ કેહવાય છે. મેં સરફરાઝની દુકાનમાંથી થોડી વસ્તુઓ ખરીદી અને પેમેન્ટ કરવા કાઉન્ટર પર આવ્યો. મેં તેમને યુરો આપ્યા. તે સરફરાઝે લીધા. પણ બીલ સાથે એક મોટી ચોકલેટ મારા હાથમાં મુકતા સરફરાઝભાઈ બોલ્યા,
યે ભારત ઔર પાકિસ્તાનકી મોહબ્બત કે નામ આપ કો મેરી ઔર સે તોહફા
આવો જ એક કિસ્સો બન્યો રોમના શહેર એથેન્સમા. યુરોપના બધા દેશોમાં એથેન્સની ગણના ગરીબ દેશ તરીકે થાય છે. એટલે અહિયાંની બજારમાં છેતરપીંડી અને પાકીટમારથી બચવાની સુચના પ્રવાસીઓને ખાસ આપવામાં આવે છે. અમને પણ તેનો અનુભવ એક ટેક્ષી ડ્રાયવરે કરાવ્યો હતો. ટેક્ષીમાં બેઠા કે તુરત મીટરે ૨૦ યુરો બતાવી દીધા. એટલે અમે ટેક્ષીમાંથી ઉતારી ગયા. પણ તેનાથી  સાવ વિપરીત બીજો અનુભવ હતો.
એથેન્સમાં બીજા દિવસે અમે એક ટેક્ષીમાં બેઠા. તેના યુવાન ડ્રાયવરના ચહેરા પર દાઢી હતી. ડેસ બોર્ડ પર એક તસ્બી (માળા) પડી હતી. મેં તેને સહજતાથી અંગ્રેજીમા પૂછ્યું,
આપનું નામ શું છે ? અને તે બોલ્યો, અલતાફ, મેં પાકિસ્તાની હું
મેં કહ્યું, મેં હિન્દુસ્થાની મુસલમાન હું અને તે મારી વાત સાંભળી ખુશ થતા બોલ્યો,
અસ્સલામો અલયકુમ. આપ સે મિલકર દિલ ખુશ હો ગયા. હિન્દુસ્તાની પાકિસ્તાની ભાઈ ભાઈ.”
ફિર ભી પાકિસ્તાન ભારત કો અપના દુશ્મન કોઈ માનતા હૈ મેં થોડા વ્યંગમાં પૂછ્યું.
તેણે રાહત ઇન્દોરીના શેરની બે કડી બોલતા કહ્યું,
એ સિયાસત (રાજકારણ) હૈ,
છોડો ઈસે
ચલો ઇશ્ક કરે
અને અમે બંને હસી પડ્યા. નમાઝનો સમય થતા તેણે મને પૂછ્યું
જનાબ ઝોહર (બપોરની નમાઝ) કા વકત હો ગયા હૈ. નમાઝ પઢ લેંગે ?
મેં કહ્યું ઇન્શાલ્લાહ અને તે મને એક મસ્જીતમાં લઇ ગયો. અને અમે બંનેએ ઝોહર અર્થાત બપોરની નમાઝ એક સાથે પઢી. સાંજે ટેક્ષી છોડતા સમયે મેં તેને પૂછ્યું.
કિતને યુરો હુએ ?”
ભાઈ સે પૈસે તો નહિ લિયા કરતે. પર ધોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયગ કયા ?  વેસે તો ૬૦ યુરો હોતે હૈ આપ મુઝે સિર્ફ વીસ દે દીજીએ. ઔર આપ મેરા નંબર નોટ કરલે આપકો એરપોર્ટ છોડ ને મેં હી આઉંગા. ઔર ઉસ કે મેં આપસે પૈસે નહિ લૂંગા
હૂં તેના નૂરાની ચહેરા પરની દાઢીમા છુપાયેલ ઈમાનદાર મુસ્લિમને જોઈ રહ્યો હતો.
અને છેલ્લે પેરીસના એફિલ ટાવર ઉપર જવાની લાઈનમાં હું ઉભો હતો. મારી આગળ એક યુવાન તેની પત્ની અને બાળકો સાથે ઉભો હતો. એ બંને હિન્દીમાં વાત કરતા હતા. એ હૂં સાંભળી ગયો. અને મેં સહજતાથી પૂછ્યું,
ઇન્ડિયન ? તેણે સસ્મિત કહ્યું, હા, હમ ઉત્તર પ્રદેશ સે હૈ. આપ ?’
મેં ગુજરાત સે હૂં’
તેનો હિંદી ભાષાનો લહેજો ઉતર પ્રદેશના મુસ્લિમ જેવો મને લાગ્યો. એટલે મેં પૂછ્યું,
આપ મુસ્લિમ હો ?
હા દુવા સલામ પછી મેં પૂછ્યું,
પેરીસ મેં કિતને સાલો સે હો ?’
પંદરા સાલ હો ગએ
કૈસા લગતા હૈ પેરીસ ?
અને તેનો જવાબ હતો.
સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા
અને હૂં એક હિન્દુસ્તાની મુસ્લિમના પંદર વર્ષ પછી પણ અકબંધ રહેલા વતન પ્રેમને તાકી રહ્યો.