Sunday, January 18, 2026
પૂ મુરારી બાપુના હસ્તે પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ :
"દિવ્ય ભાસ્કર" દૈનિક માં ૧૮ વર્ષો ચાલેલી મારી કૉલમ "રાહે રોશન" ના લેખોનો સંપુટ પાંચ પુસ્તકોમાં આર આર શેઠ દ્વારા પૂ મુરારી બાપુના હસ્તે ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ મુકામે પ્રકાશિત થયો. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા ડૉ વિદ્યુત જોશી, ડૉ મતાઉદ્દીન પીરજાદા અને ડૉ કેશુભાઈ દેસાઇ. કાર્યક્રમની કેટલીક તસવીરો.
Wednesday, November 12, 2025
જીવન સ્મૃતિ : ૪ : વિદ્યાર્થી નરેન્દ્ર જોશી
મારા વિદ્યાર્થી નરેન્દ્ર જોશી એ ૨૩ વર્ષ પૂર્વેના તેના વિદ્યાર્થી જીવનના સ્મરણો ટાંક્યા છે. એક અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓના આવા સ્મરણો તેની મૂડી છે , જણસ છે. આજે ૭૪ વર્ષે આવા સ્મરણો મને શરીર અને મન થી સ્વસ્થ અને મસ્ત રાખે છે. આભાર બેટા નરેન્દ્ર (નરીયા). તું મારી સ્મૃતિમાં આજે પણ છે અને હંમેશા રહીશ.
લિ. આપનો નરિયો.
Saturday, November 1, 2025
જીવન સ્મૃતિ ૩ “કુમાર” ચંદ્રક : ૨૦૧૯
“કુમાર” ચંદ્રક : ૨૦૧૯
ગાંધીજીને અપાયેલા માનપત્રોનું મારું સંશોધન કાર્ય લગભગ પાંચેક વર્ષ ચાલ્યું હશે.ઘણા માનપત્રો ઠેર ઠેરથી એકઠા કર્યા. એ પછી ગ્રંથાલય કાર્ય દ્વારા એ માનપત્રોના સંદર્ભો અને વિગતો પણ મેળવી. એક દિવસ “કુમાર” કાર્યાલયમાં મા. ધીરુભાઈ પરીખ સાથે મુલાકાત થઈ. મેં એમને મારા સંશોધન અંગે વાત કરી. તુરંત તેમણે મને કહ્યું કુમારમાં ગાંધીજીના માનપત્રો અંગે શ્રેણી શરૂ કરો. તેમનાએ નિમંત્રણે મને પ્રોત્સાહિત કર્યો. અને કુમારમાં ગાંધીજીને અપાયેલા માનપત્રો ની શ્રેણી આરંભાય. લગભગ ત્રણ (૨૦૧૪ થી ૨૦૧૬) વર્ષએ શ્રેણી ચાલી. એ શ્રેણીના તમામ લેખો પુસ્તક રૂપે પ્રકાશિત થયા. એ શ્રેણીના લેખોને ધ્યાનમાં રાખી મને ૨૦૧૯મા “કુમાર” ચંદ્ર એનાયત થયો. તેની જાહેરાત કુમારના ૧૧૧૮ અંક એપ્રિલ ૨૦૨૧મા કરવામાં આવી. આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી “કુમાર ચંદ્રક” મળ્યો છે,ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે. સંભવ છે કુમારના ટ્રસ્ટીઓ કે સંચાલકો ચંદ્રક અર્પણ કરવા માટે સક્ષમ ન હોય, પણ એટલું તો અવશ્ય કરી શકે કે ચંદ્રક મેળવનાર વ્યક્તિઓને એક સુંદર પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરે. આવું પ્રમાણપત્ર પણ સન્માનિત વ્યક્તિ માટે અવશ્ય અમૂલ્ય બની રહેશે.
મારા આ સૂચનને કોઈ મારી ચંદ્રક ઝંખના સમજવાની ભૂલ ન કરે. મારે તો ૭૪ થયા. હવે મારે કોઈ સન્માન કે પ્રમાણપત્ર ની જરૂર નથી. પણ યુવા સાહિત્યકારો જેમને આ સન્માન છેલ્લા પાંચ વર્ષોમાં પ્રાપ્ત થયેલ છે, કે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર છે તેમને માટે આ સૂચન એનિવાર્ય છે.





