Friday, March 27, 2026

માણસ માત્ર ભૂલ ને પાત્ર : ડૉ મહેબૂબ દેસાઈ

 

ગુજરાતી માં આ કહેવત બહુ જાણીતી છે “માણસ માત્ર ને ભૂલ ને પાત્ર”. ગુજરાતી

શબ્દ કોષ મુજબ ભૂલ એટલે ચૂક, ખામી, ગફલત, છેતરાવું, ગેરસમજ કે વિસ્મૃતિ.

ભૂલ માનવ જીવન સાથે સંકળાયેલ સહજ ઘટના છે. દરેક નાનો કે મોટો, જ્ઞાની કે અજ્ઞાની, અમીર કે ગરીબ જીવનમાં ભૂલ કરે જ છે. ઘણીવાર એક ભૂલ માનવીનું જીવન પલટી નાખે છે. ૯ જુનના રોજ ગુજરાતના જેલ અધિકારી શ્રી પી.સી.ઠાકુરસાહેબના આગ્રહથી મને સાબરમતી જેલના કેદીઓ સમક્ષ વાત કરવાની તક સાંપડી. જેલ કાર્યાલયમાં સ્થાનિક જેલ અધિકારી ચોધરી સાહેબે મારું સ્વાગત કર્યું. એ પછી જેલ સુરક્ષાના ભાગ રૂપે સૌ પ્રથમ મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. પછી ચોધરી સાહેબ મને એક મોટા ખંડમાં લઈ ગયા. લગભગ ૨૦૦ જેટલા કેદીઓ શિસ્તબધ રીતે હોલમાં બેઠા હતા. ચોધરી સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો અને મેં કવિ કલાપીના કાવ્ય,

રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરીયું છે.
પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્ય શાળી બને છે.”
ની પંક્તિથી મારા વ્યાખ્યાનનો આરંભ કર્યો. અને કહ્યું,

“આપ સૌ સજ્જન નાગરિકો છો. પણ ઉશ્કેરાટ કે આવેગમાં આપે કરેલી નાનકડી ભૂલને કારણે આપને અહિયાં આવવું પડ્યું છે.” અને સૌ કેદીઓના ચહેરા પર મારા વિધાનની અસર મે અનુભવી. આજના સંદર્ભમાં જોઈએ તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ ઈરાનને યુધ્ધમાં નોતરી મોટી ભૂલ કરી, આખા વિશ્વને મુશ્કેલીમાં મૂકી દીધું છે, એવું આપણને સાંભળવા મળે છે. એટલે ભૂલ એ સર્વ સામાન્ય બાબત છે. પણ તેના પરિણામો કયારેક ઘણા ગંભીર આવે છે. અને તે વ્યક્તિ અને સમગ્ર માનવ સમાજને અસર કરતાં હોય છે.

માનવી ભૂલ કયા સંજોગોમાં અને કયારે કરે છે, તેના મૂળભૂત કારણો જાણવા જેવા છે.

૧. વિષય કે સ્થિતિની જાણકારી નો અભાવ કે અજ્ઞાનતા.

૨. ઉતાવળ કે શરત ચૂક નું પરિણામ.

૩. અમુક પરિસ્થિતિમાં ઉદાસીનતા કે ઉદારતા.

૪. માનવીનો માનવી પર અતૂટ વિશ્વાસ.

૫. મહત્વકાંક્ષાની પુર્તિ   

આવા કારણો માનવીને ભૂલ કરવા પ્રેરે છે. ક્યારેક માનવી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. પણ એ સમયે સમાજ કે અન્ય માનવીઓની પ્રતિક્રિયાઓ ભિન્ન હોય છે. ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ તબક્કામાં “અસહકાર આંદોલન”નો આરંભ કર્યો હતો. પણ એ આંદોલનમાં હિંસા પ્રવેશતા તેમણે દુ:ખ સાથે જાહેર કહ્યું હતું,

“મે પહાડ જેવડી મોટી ભૂલ કરી છે. અને તેથી હું આ આંદોલન બંધ કરું છું.”

અને ત્યારે ગાંધીજીની એ ભૂલ અંગે સારી નરસી અનેક પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં

ચિતરંજનદાસ, મોતીલાલ નહેરુ અને લાલા લજપત રાયની ટિપ્પણીઓ ઇતિહાસમાં

નોંધાયેલી છે. ગાંધીજીની એ ભૂલની સજા રૂપે છ વર્ષની કારાવાસની સજા બ્રિટિશ

સરકારે તેમને આપી હતી.

આ તો મહાન માનવીના જીવનની વાત થઈ પણ સામાન્ય માનવીની ભૂલ ની સજાનું સ્વરૂપ

કઈક જુદું હોય છે. મારા એક મિત્ર એ હમણાં જ મને ફોન પર એક ઘટના કહી સંભળાવી.

તેણે પોતાની એપલ વોચ માટે એક કંપનીના વૉચના વિવિધ ડાયલો માટે ક્રેડિટ કાર્ડ દ્વારા

૨૦૦ રૂપિયા નું પેમેન્ટ ઑન લાઇન કર્યું. થોડા કલાકોમાં જ તેના એકાઉન્ટમાંથી બીજા

૨૦૦૦ રૂપિયા એ કંપનીએ લઈ લીધા. આવા ઓન લાઇન ફ્રોડ હમણાં બહુ થાય છે. પણ આ

ઘટનાની પ્રતિક્રિયા તેના સ્વજનો તરફથી જે આવી તે જાણવા જેવી છે. સૌ પ્રથમ તેના

યુવાન પુત્ર એ કહ્યું,

“પપ્પા, તમને જાણકારી ન હોય એવી કંપની પાસેથી કશું ઑન લાઇન ન ખરીદો.”

તેના અવાજમાં થોડો રોષ અને શીખ આપવાની ભાવના વ્યક્ત થતાં હતા.

મિત્રની પત્ની બાજુમાં જ બેઠા હતા. તેમણે પણ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું,

“હું તો તેમને વારંવાર કહું છું કે ઑન લાઇન ખરીદી કરવાનું બંધ કરો. પણ મારુ તો માનતા

 જ નથી.” ઘરના કિચનમાં પુત્રની પત્ની કામ કરતી હતી. તેણે મૃદુ સ્વરમાં કહ્યું,

“મારે પણ એકવાર આવું થયું હતું. ત્યારે મે તુરત કાર્ડ બ્લોક કરાવી નાખ્યું હતું. હવે તમારું કાર્ડ

પણ બ્લોક કરાવવું પડશે. અને નવું કાર્ડ આવતા એકાદ અઠવાડિયુ નીકળી જશે.”

મિત્ર એ ફોન પર આ ઘટના વ્યક્ત કરતાં મને દૂ:ખ સાથે કહ્યું,

“મહેબૂબ, આમાંથી એક પણ વ્યક્તિ એ એમ નથી કહ્યું કે “હશે થઈ જાય. એમા ચિંતા કરવાની

જરૂર નથી.”

તેની વાતનો સૂર સમજવા જેવો છે. માનવી પોતાની ભૂલ સ્વીકારે એ તેની સજ્જનતા છે. પણ

પછી ભૂલ કરનાર માનવીને સાંત્વન આપવું એ જ સાચી સજ્જનતા છે. પણ મોટે ભાગે આપણે

એવા સમાજમાં શ્વાસ લઈએ છીએ જેમાં ભૂલ કરનાર માનવીને સાંત્વન આપવા “હશે થઈ જાય”

જેવા શબ્દો કહેવાને બદલે તેને સલાહ કે સજા આપવાનું કે પોતાનો અનુભવ વ્યક્ત કરી

તેની ભૂલની આલોચના કરવાનું આપણે ચુકતા નથી. પરિણામે ભૂલ કરનાર માનવી પોતાની ભૂલ

સુધારવા પ્રત્યે સજાગ થવાને બદલે પોતાને ગુનાહિત મહેસૂસ કરવા લાગે છે. વળી તેને

સ્વજનો કે સમાજ ની આવી ટિપ્પણી પ્રત્યે મનોમન થોડો રોષ પણ આવે છે. આવો

રોષ સંયમિત માનવી મનમાં રાખે છે, તો ક્યારેક નાના મોટા સ્વરૂપમાં વ્યક્ત પણ કરી

નાખે છે. જેનું પરિણામ ઘર કે સમાજમાં કલેશ કે જેલવાસમાં આવે છે.

એટલે આવા સમયે સાચો પ્રતિભાવ એ છે કે ભૂલ કરનાર માનવીને ટીકા ટિપ્પણી, સલાહ

સૂચન કે જ્ઞાન આપવાના બદલે તેની ભૂલ પ્રત્યે તેને સ્વભાવિક કે સહજ ભાવે

સજાગ કરવાનો કે તેને પ્રતીકાત્મક ટકોર કરવાનો હોવો જોઈએ.  

અને ત્યારે જ “માનવ માત્ર ભૂલ ને પાત્ર” એ કહેવત સાચા અર્થમાં સાકાર થશે.

 

 

Sunday, January 18, 2026

પૂ મુરારી બાપુના હસ્તે પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ : ૧૫ જાન્યુઆરી ૨૦૨૬













 "દિવ્ય ભાસ્કર" દૈનિક માં ૧૮ વર્ષો ચાલેલી મારી કૉલમ "રાહે રોશન" ના લેખોનો સંપુટ પાંચ પુસ્તકોમાં આર આર શેઠ દ્વારા પૂ મુરારી બાપુના હસ્તે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦૨૬ ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ મુકામે પ્રકાશિત થયો. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા ડૉ વિદ્યુત જોશી, ડૉ મતાઉદ્દીન પીરજાદા અને ડૉ કેશુભાઈ દેસાઇ.  કાર્યક્રમની કેટલીક તસવીરો. 








Wednesday, November 12, 2025

જીવન સ્મૃતિ : ૪ : વિદ્યાર્થી નરેન્દ્ર જોશી

 મારા વિદ્યાર્થી નરેન્દ્ર જોશી એ ૨૩ વર્ષ પૂર્વેના તેના વિદ્યાર્થી જીવનના સ્મરણો ટાંક્યા છે. એક અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓના આવા સ્મરણો તેની મૂડી છે , જણસ છે. આજે ૭૪ વર્ષે આવા સ્મરણો મને શરીર અને મન થી સ્વસ્થ અને મસ્ત રાખે છે. આભાર બેટા નરેન્દ્ર (નરીયા). તું મારી સ્મૃતિમાં આજે પણ છે અને હંમેશા રહીશ.






લિ. આપનો નરિયો.

દરેક વ્યક્તિનાં જીવનમાં કેટલાક સ્મરણો એવાં મધુરાં હોય કે તેને વારંવાર મળવા જવાનું મન થાય. આજે મને એક મીઠ્ઠું સ્મરણ મળવા આવ્યું તો થયું કે તમને એની વાત કરું.
આ વાત છે વર્ષ 2002 – 2003ની. ત્યારે અમે ઈતિહાસ અનુસ્નાતક ભવન – ભાવનગરમાં અભ્યાસ કરતાં. મારું ગામ બોટાદ એટલે અમે આઠ દસ મિત્રો બોટાદથી ભાવનગર ભણવા જતા. જીતુભાઈ, ભરતભાઈ તલસાણિયા, સલીમ કુરેશી, ચાવડા દશરથ, જીવરાજ, જીગ્નેશભાઈ પંડ્યા – વગેરે દોસ્તોની ટીમ બસમાં ઉપડતી. એ સમયે બે પાસ આવતાં. લોકલ અને એક્સપ્રેસ. ભાવનગર વડલે ઉતરી જવાનું અને પછી ભવન તરફ પદયાત્રી બની પહોંચવાનું. ચાલતી વખતે અલક – મલકની વાતો થતી. ઈતિહાસ ભવન સાથે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભવન પણ સાથે હતા.
મારા જીવનના ઘડતરમાં મહત્વનો ફાળો ઈતિહાસ અનુસ્નાતક ભવન – અને અમને અધ્યયન કરાવતા ગુરુજીજનોનો ગણું છું. ડૉ. કોરાટ સર, ડૉ. મહેબુબ દેસાઈ સર અને ડૉ. પરમાર સર. આજે વાત કરીશ ડૉ. મહેબુબ સરની. મહેબુબ સર પ્રથમ વર્ષમાં અમને ‘આંતરરાષ્ટ્રીય સંબંધોનો ઈતિહાસ’ ભણાવતા. ભણાવતી વખતે એમની પાસે કોઈ પુસ્તક ન હોય. એ સ્વયં એક લાઈબ્રેરી ગણાતા. એમની ચેમ્બરમાં કોઈપણ વિદ્યાર્થી ‘મે આઈ કમીન સર....’ એવું કહેવાની ઔપચારિકતા ન દાખવતું. સરે બધાને વાતો કરવા કાયમી પરમીશન આપેલી. સર ગહન અભ્યાસુ. વર્ગમાં એમને કરેલાં સંશોધનો કહેતા. ખભે એક થેલો, નોટ, પેન, થોડા શીંગ – દાળિયા લઈને ઈતિહાસનાં નકશે કદમ ઉપડી જતા. એમની વાતો સાથે અમે બધાં વિહાર કરતાં. અજાણ પણે સેંકડો વાતો સર શીખવતા. સરનું દિલ વિશાળ. એમનો દરેક વિદ્યાર્થી એમનાં દિલમાં સ્થાન પામતો. મહેબુબ સર સાથે જો પ્રવાસ કરો તો એ જીવનભર ન ભૂલાય. વિદ્યાર્થી સાથે વિદ્યાર્થી જ બની જાય. એક વખત અમારાં વર્ગનાં એક વિદ્યાર્થી કે જે તળાજાથી આવતાં એમની વાડીએ જવાનું થયું. ડુંગરાઓ ખૂંદયાં. નદીઓમાં જબોળાયાં. સૌથી પહેલી સીટી સરે વગાડી. વાડી માર્ગે ભટક્યાં. દાબીને જમ્યા. છેલ્લે છકડાંમાં ભમ્યાં. ભાન ભૂલીને ભમવાની કેટલી મજા પડે ? એ વાત ત્યારે સમજાયેલી. એ સમયે મહેબુબ સર દિવ્ય ભાસ્કરમાં શમ્મે ફિરોજા નામે કૉલમ લખતા. વાતોનાં વડાં કોઈએ શીખવા હોય તો અમારાં મહેબુબ સરના વર્ગમાં આવવું જોઈએ.
આજે મહેબુબ સર અમદાવાદ રહે છે. કોલ પર વાતો કરીએ છે. આજે પણ મહેબુબ સર એ જ મિજાજમાં કે જ્યારે અમને ભણાવતા ત્યારે જેમ હતા. બિન્દાસ્ત બની જીવન જીવવાની સલાહ એમનાં વર્તનમાંથી મળતી.
એક વાત ભુલાતી નથી. એમ.એ. પહેલાં વર્ષની માર્ચ 2003માં પરીક્ષા આવી. મેં પાગલ બની એટલી તૈયારી કરી કે પરીક્ષાના આગળના દિવસે સાંજે ભોજન પણ ન લીધું. સવારે નાસ્તાનો સમય કટ કરી વાંચન કર્યું. બપોરે ધોમ તાપ. પરીક્ષા ખંડમાં પહોચ્યો. પેપર લખવાનું શરુ કર્યું અને દસેક મિનીટમાં મને આંખે અંધારા આવવા લાગ્યા. ભૂખ્યા ભજન ન થાય એ વાત ત્યારે સમજાણી કે ભૂખ્યા પેપર ન દેવાય. મહેબુબ સરને બોલાવ્યા. મેં કહ્યું : “મને અંધારા આવે છે. લખવાનું નથી ફાવતું. મેં તૈયારી કરી છે. હું શું કરું ?”
સરનો પહેલો સવાલ હતો : “સવારે શું જમેલો ?”
મેં કહ્યું : “સમય બચાવવા સવારે અને ગઈકાલે રાત્રે પણ નથી જમ્યો.”
સર સમજી ગયા. મહેબુબ સર પહેલા પેપરે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી સ્વાગત કરતા. હજુ થોડી ચોકલેટ એમનાં ખિસ્સામાં હતી. એ બધીના રેપર ખોલતા જાય અને મને આપતાં જાય. પ્યુનને સાદ દીધો. 'પાણી લાવો.' મારાં માથા પર પાણી રેડતા જાય, ચોકલેટ આપતાં જાય. પ્યુનને કહ્યું : 'નાસ્તો લેતા આવો.' ચોકલેટનાં કારણે પાંચ મિનીટમાં સ્વસ્થ થઇ ગયો. પેપર લખાવાનું શરુ કર્યું. નાસ્તો આવ્યો. મેં ના કહી. નાસ્તો કરીશ તો સમય ઘટશે. 'તકલીફ થાય તો કહેજે' એમ કહી સર દર અડધી કલાકે વર્ગમાં આવતા રહ્યાં. પેપર લખાયું. મેં સરની ચેમ્બરમાં ચા – નાસ્તો કર્યો. મેં એ સમયે પાગલપંતીની હદ વટાવી ચારેય પેપર આપ્યા. એમ. એ. અનુસ્નાતક પ્રથમ વર્ષમાં ચાર પેપર આવતાં. બીજા વર્ષમાં બીજા ચાર. કોઈ વખત એમ.એ.ની માર્કશીટ જોઉં છું તો પ્રથમ વર્ષમાં 71%. દરેક પેપરમાં 70 ગુણથી વધારે. એ સમયનો અનુસ્નાતક ભવનનો સર્વાધિક સ્કોર સર્જ્યો.
એનું એક જ કારણ.... અનહદ ગુરુ પ્રેમ !
ડિયર મહેબુબ સર,
અપાર વાત્સલ્ય માટે.... આજે કહું છું.
(2002 – 2025 એટલે કે 23 વર્ષ પછી)
– આપનો ખૂબ ખૂબ આભાર.
લિ. આપનો નરિયો.

Saturday, November 1, 2025

જીવન સ્મૃતિ ૩ “કુમાર” ચંદ્રક : ૨૦૧૯




 “કુમાર ચંદ્રક : ૨૦૧૯

ગાંધીજીને અપાયેલા માનપત્રોનું મારું સંશોધન કાર્ય લગભગ પાંચેક વર્ષ ચાલ્યું હશે.ઘણા માનપત્રો ઠેર ઠેરથી એકઠા કર્યા. પછી ગ્રંથાલય કાર્ય દ્વારા માનપત્રોના સંદર્ભો અને વિગતો પણ મેળવી. એક દિવસ કુમાર કાર્યાલયમાં મા. ધીરુભાઈ પરીખ સાથે મુલાકાત થઈ. મેં એમને મારા સંશોધન અંગે વાત કરી. તુરંત તેમણે મને કહ્યું કુમારમાં ગાંધીજીના માનપત્રો અંગે શ્રેણી શરૂ કરો. તેમનાએ નિમંત્રણે મને પ્રોત્સાહિત કર્યો. અને કુમારમાં ગાંધીજીને અપાયેલા માનપત્રો ની શ્રેણી આરંભાય. લગભગ ત્રણ (૨૦૧૪ થી ૨૦૧૬) વર્ષએ શ્રેણી ચાલી. શ્રેણીના તમામ લેખો પુસ્તક રૂપે પ્રકાશિત થયા. શ્રેણીના લેખોને ધ્યાનમાં રાખી મને ૨૦૧૯મા કુમાર ચંદ્ર એનાયત થયો. તેની જાહેરાત કુમારના ૧૧૧૮ અંક એપ્રિલ ૨૦૨૧મા કરવામાં આવી. આજે ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં તો કુમાર તરફથી કુમાર ચંદ્રક મળ્યો છે, કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે. સંભવ છે કુમારના ટ્રસ્ટીઓ કે સંચાલકો ચંદ્રક અર્પણ કરવા માટે સક્ષમ હોય, પણ એટલું તો અવશ્ય કરી શકે કે ચંદ્રક મેળવનાર વ્યક્તિઓને એક સુંદર પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરે. આવું પ્રમાણપત્ર પણ સન્માનિત વ્યક્તિ માટે અવશ્ય અમૂલ્ય બની રહેશે.

મારા સૂચનને કોઈ મારી ચંદ્રક ઝંખના સમજવાની ભૂલ કરે. મારે તો ૭૪ થયા. હવે મારે કોઈ સન્માન કે પ્રમાણપત્ર ની જરૂર નથી. પણ યુવા સાહિત્યકારો જેમને સન્માન છેલ્લા પાંચ વર્ષોમાં પ્રાપ્ત થયેલ છે, કે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર છે તેમને માટે સૂચન એનિવાર્ય છે.