Tuesday, February 18, 2020

પ્યાર ઈબાદત હૈ : ડૉ. મહેબૂબ દેસાઈ



૧૪મી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે. પ્રેમ એટલે અહેસાસ, અનુભૂતિ. પ્રેમ એટલે ઈબાદત. પ્રેમ એટલે ત્યાગ, બલિદાન અને સમર્પણ. પ્રેમ એટલે વિશ્વાસ. પ્રેમ પામવાનું નામ નથી. આપવાનું નામ છે. પોતાની અપેક્ષાઓ અન્ય પાસે સંતોષાવવાનું નામ પ્રેમ નથી. નિસ્વાર્થ પણે અન્યની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું નામ પ્રેમ છે. સંત વેલેન્ટાઇનની ૧૪મી ફેબ્રુઆરી .. ૨૬૯ના રોજ રાજા ક્લોડિયસ દ્વિતિયએ હત્યા કરી. તેનું મસ્તક ધડ પરથી કાપી નાખ્યું હતું. ત્યારથી સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને પ્રેમના પ્રતિક તરીકે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.
દરેક ધર્મ, મઝહબ કે સમાજમાં પ્રેમનું મહત્વ સ્વીકારવામાં આવેલ છે. હિંદુ ધર્મમાં તો પ્રેમના અનેક દ્રષ્ટાંતો છે. કૃષ્ણ ભગવાન તો ખાલિસ પ્રેમના આદર્શ પ્રતિક છે. મીરા અને કૃષ્ણનો પ્રેમ આજે પણ પ્રેમની સાચી પરિભાષા વ્યક્ત કરતો રહે છે.
ઇસ્લામમાં પણ હઝરત મહંમદ સાહેબ અને તેમના પ્રથમ પત્ની ખદીજાનો પ્રેમ પવિત્રતાની આદર્શ મિશાલ છે. આજે મહંમદ સાહેબ અને હઝરત ખદીજાના પવિત્ર અને ત્યાગી પ્રેમની વાત કરાવી છે. જે આજના યુવાનો માટે પ્રેરક દ્રષ્ટાંત છે.
વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા. એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિયા  મોકલવાની તેમની ઈચ્છા હતી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો, સુંદર ભરાવદાર દાઢી, ઉંચી ગરદન અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મુહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખાદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો. આટલો નફો હઝરત ખદીજાને ક્યારેય મળ્યો ન હતો. મહંમદ સાહેબ (સ.અ.વ.) ની ઈમાનદારી, કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા. તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય. તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
મહંમદ સાહેબ, આપ શાદી કેમ કરતા નથી ?”
હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
હા, પણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
તું કોની વાત કરે છે?”
મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
ખદીજા મારી સાથે શાદી કરશે ?”
એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
આમ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (...)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પણ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. એક દિવસ હઝરત ખદીજાએ મહંમદ સાહેબ (...)ને નિકાહનો સંદેશો મોકલ્યો,
"કુરૈશી સમાજમાં આપની શરાફત, આપની અમાનતદારી, આપની સહનશીલતા અને આપના બેનમુન સંસ્કારોની ઘેરઘેર ચર્ચા ચાલે છે. કારણે મારું દિલ આપની તરફ આકર્ષાયું છે.તેથી નિકાહના પવિત્ર બંધનથી જોડાઈ જવાની મારી પ્રબળ ઈચ્છા છે.આશા રાખું છું કે મારી દાવતને આપ મંજુર ફરમાવશો"
આમ ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયા, ત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો.
નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી) હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગી હતી. છતાં તેમની એ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો હતો. અને તેમને સાથ આપ્યો હતો. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું, ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા સમયે એક માત્ર પત્ની ખદીજા તેમને સાંત્વન અને હિંમત આપતા અને કહેતા,
યા રસુલીલ્લાહ, ધીરજ ધરો. હિંમત રાખો. આપની જાનને કોઈ ખતરો નથી.ખુદા આપને કયારેય રુસ્વા નહિ કરે. ભલા એવો કોઈ નબી આવ્યો છે જેને લોકોએ દુ:ખ ન આપ્યું હોઈ?”
૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું. ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.) અત્યંત દુઃખી હતા. તેમની આંખો આંસુઓથી સતત ઉભરાયેલી હતી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી. જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.
જે પ્રેમમાં ઈબાદત છે, સાદગી છે. સરળતા છે, ત્યાગ છે. સમર્પણ છે. બલિદાન છે. પવિત્રતા છે. તે જ સાચો પ્રેમ છે. આજના યુવાનો વેલેન્ટાઈનના દિવસે મહંમદ સાહેબ (સ.અ.વ.) અને હઝરત ખદીજા જેવા પવિત્ર પ્રેમને જીવનમાં સાકાર કરે એજ દુવા : આમીન.  

આજની ફૂલછાબની સૂફીકથા : ૧૯.૨.૨૦૨૦

Wednesday, February 12, 2020

યહી હૈ હમારા હિન્દુસ્તાન : ડૉ. મહેબૂબ દેસાઈ



હિન્દુસ્તાન નામક આપણો દેશ વિશ્વમાં વિશિષ્ટ સ્થાન અને માન ધરાવે છે. વિવિધતામાં એકતા તેનું આભુષણ છે. અનેક ધર્મો અને સંપ્રદાયોના સમન્વયથી બનેલી આપણી સંસ્કૃતી આપણી આધ્યાત્મિક શક્તિ છે. સમભાવ અને બંધુત્વની આપણી ભાવનાને સાકાર કરતા બે કિસ્સાઓ હમણાં જ જોવા મળ્યા. જેણે આપણી સમભાવની પરંપરાને વધુ મજબૂત અને જીવંત બનાવી છે.
મસ્જિતનો ઉપયોગ માત્ર નમાઝ માટે જ થાય, એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પણ હવે તેમાં પરિવર્તન આવતું જાય છે. મસ્જિતનો ઉપયોગ નમાઝ સિવાઈ શિક્ષણ અને સામજિક પ્રસંગો માટે પણ કરવાની પરંપરા વિસ્તરતી જાય છે. જેમ કે કેટલાક મુસ્લિમો નિકાહ જેવા શુભ પ્રસંગો પણ મસ્જિતમાં કરવાનો આગ્રહ રાખે છે. મુખ્ય પ્રવાહના શિક્ષણસનું કાર્ય પણ મસ્જિતમાં થઇ રહ્યું છે. જો કે ગેર મુસ્લિમ સમાજ ઈસ્લામને સમજવા મસ્જિતમાં સરળતાથી પ્રવેશી, તેમના શુભ કાર્ય કરે, એ વાત આજે પણ ઝાઝી આવકાર્ય નથી. પણ હાલમાં જ એવી બે ઘટનાઓ બની છે, જેમાં ગેર મુસ્લિમ પ્રજા મસ્જિતમાં સપ્રેમ આવકાર પામી છે અને તેમના શુભ પ્રસંગ પણ મસ્જિતમાં ઇસ્લામના અનુયાયીઓની ઉપસ્થિતિમાં સહર્ષ થયા છે.
સૌ પ્રથમ  બેંગલુરની મોદી મસ્જિતની વાત કરીએ. બેંગલુરમાં આવેલી મોદી મસ્જિત અને વડાપ્રધાન મોદીજીને કોઈ સબંધ નથી. મસ્જિતનું સર્જન તો ૧૮૪૯માં થયું છે. મસ્જીતના ઈમામ ગુલામ રબ્બાની બે દાયકાથી મસ્જિતમાં સેવા આપી રહ્યા છે. તેઓ કહે છે.
" મસ્જિદ લગભગ ૧૭૦ વર્ષ જુની છે અને પીએમ મોદી અને મસ્જિદ વચ્ચે કોઈ સંબંધ નથી." મોદી મસ્જિદ સમિતિના સભ્ય આસિફ મેકરી મસ્જિતના સર્જનનો ટૂંકો ઈતિહાસ આલેખતા કહે છે,
૧૮૪૯ની આસપાસ, જ્યારે ટાસ્કર ટાઉન લશ્કરી અને સિવિલ સ્ટેશન તરીકે જાણીતું હતું,  ત્યાં એક શ્રીમંત વેપારી મોદી અબ્દુલ ગફૂર અહિયાં રહેતા હતા. તેમને અહીં એક મસ્જિદની જરૂરિયાત લાગી અને તેમણે ૧૮૪૯માં મસ્જિતનું નિર્માણ કર્યું”.
પછી તો મોદી અબ્દુલ ગફૂરના પરિવારે બેંગલુરુમાં ઘણી મસ્જિદો બનાવી. તેનેરી વિસ્તારનો એક માર્ગ આજે પણ મોદી માર્ગ તરીકે જાણીતો છે. ૨૦૧૫મા મસ્જિદનું જુનું માળખું તોડી નાખવામાં આવ્યું.  કારણ કે તે અત્યંત જર્જરિત થઇ ગયું હતું. તેના સ્થાને નવી આધુનિક મસ્જિતનું સર્જન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા, તે સમયગાળા દરમિયાન નવીનીકરણ પામેલ મસ્જિદ ખુલ્લી મુકાઇ હતી.
મસ્જિદના મુખ્ય આર્કિટેક્ટ હબીબુર રહેમાને કહે છે,
"ઈન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચર પર આધારિત મસ્જિત 3,૦૦૦ ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં પથારયેલી છે. મસ્જિદમાં મહિલાઓ માટે ઈબાદત કરવા ખાસ એક માળ બનાવવામાં આવ્યો છે, ".
ઐતિહાસિક ધરોહર જેવી ૧૭૦ વર્ષ પુરાણી મસ્જિતમાં હાલમાં જ એક અદભૂદ ઘટના સાકાર પામી. જે હિન્દુસ્તાનની સમભાવ સંસ્કૃતિનું આદર્શ ઉદાહર બની રહી છે. મોદી મસ્જિદમાં ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારના રોજ સંખ્યાબંધ હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને શીખોના પ્રવેશ સાથે અદભુત દ્રશ્ય જોવા મળ્યું. આંતર ધર્મ સંવાદને પ્રોત્સાહન આપવા અને બિનમુસ્લિમ સમાજ ઇસ્લામને સારી રીતે સમજી શકે તે માટે શહેરના હાર્દ મા વિસ્તારમાં આવેલી મસ્જિદના દ્વાર બિન મુસ્લિમો માટે પહેલીવાર ખુલ્લા મુકાયા. “વિઝીટ માય મોસ્ક્યુટ ડેનામની બેંગલુરુ અને થાણેના રહેમત  ગ્રુપની ઘટનાને બહોળો પ્રતિસાદ સાંપડયો. આયોજકો ૧૭૦  જેટલા જ મુલાકાતીઓની જ અપેક્ષા રાખી હતી. પણ બપોર સુધીમાં ૪૦૦ થી વધુ બિનમુસ્લિમો મસ્જિદમાં આવી ચડ્યા હતા. તેમાં પ્રોફેશનલ્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, લેખકો, ગૃહિણીઓ અને સીનીયર સિટીઝન્સ એમ તમા વર્ગના લોકો સામેલ હતા. આયોજકો મુલાકાતીઓને મસ્જિતમાં રાજકારણ વિષે વાત કરવાની સખ્ત મનાઈ કરી, પ્રશંશનીય પગલું ભર્યું હતું.
બીજો અનુકરણીય પ્રસંગ કેરળનો છે. કેરળના અલપુઝામાં મુસ્લિમ સમુદાયએ  સામાજિક એકતાનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે.  હાલમાં જ અહીંની ચેરુવલી મુસ્લિમ જમાતની  મસ્જિદમાં હિન્દુ એક યુગલના શાનદાર લગ્ન થયા છે. બિંદુ અને અશોકનની પુત્રી અંજુ અને સારથના  લગ્ન સંપૂર્ણ હિન્દુ પરંપરા મુજબ સાંપ્રદાયિક પ્રેમના ઉદાહરણ તરીકે મસ્જિતમાં ઉજવાયા છે. ગુલાબી અને સોનેરી સાડીમાં લપેટાયેલી કન્યા અને સફેદ શર્ટ અને મુંડુ પહેરેલા વરરાજા સાથે મસ્જિતના પરિસરમાં યોજાયેલા આ લગ્ન હિંદુ મુસ્લિમ સમભાવનું ઉત્તમ ઉદાહર છે. હિંદુ મહેમાનોને આવકારવા માટે મસ્જિદના પ્રાંગણમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મસ્જિતની કમિટીએ લગભગ એક  હજાર લોકો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ કરી. અંજુ અને સારથે સવારે 11:30 થી 12:30 દરમિયાન લગ્નગ્રંથી જોડાયા હતા. બે વર્ષ પહેલા પતિ અશોકનના મૃત્યું પછી બિંદુ આર્થિક જવાબદારીઓ સામેં સંઘર્ષ કરી રહી હતી. તેના ત્રણ બાળકો સાથે તે ભાડાના મકાનમાં રહેતી હતી. પુત્રી અંજુના લગ્ન માટે પૈસા મેળવવાનો સઘર્ષ પણ જારી હતો. એક દિવસ તેના મુસ્લિમ પાડોશીને તેની જાણ થતા તેણે તેને મુસ્લિમ જમાતની કમિટી સમક્ષ પોતાની વ્યથા રજુ કરવા વિનંતી કરી. બિંદુએ જમાતની કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરી. મુસ્લિમ જમાતના સભ્યોએ ધાર્મિક ભિન્નતાને નેવે મૂકી તેને સહાય કરવાની સહર્ષ હા પાડી. જમાતના એક સભ્યોએ લગ્નનો સમગ્ર ખર્ચ ઉઠાવી લીધો. આ ઉપરાંત જુમ્માની અર્થાત શુક્રવારની નમાઝ માટે આવેલા નમાઝીઓએ પણ આ વિચારને વધાવી લીધો અને શકય તમામ મદદ કરી. મસ્જિદ સમિતિએ લગ્નની ભેટ રૂપે અંજુને 10 સોનાના સિક્કા અને બે લાખ રૂપિયા ભેટ આપ્યા. લગ્ન સંપૂર્ણ હિંદુ વિધિ મુજબ થયા. ચેરુવલી મુસ્લિમ જમાતના સચિવ નુજુમુદ્દીન આ અંગે કહે છે,
"મેં અંજુના બાળકોના અભ્યાસ માટે વ્યક્તિગત રૂપે મદદ કરી છે. અને અન્ય લગ્ન ખર્ચ માટે મસ્જિદ કમિટીને વિનંતી કરવામાં આવી. કારણ કે લગ્ન માટેનો ખર્ચ ઘણો વધારે થતો હતો. તેથી કમિટી દ્વારા  અંજુના પરિવારને આર્થિક સહાય આપી, મસ્જિતમાં જ તેમના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું."
યહી હૈ હમારા હિન્દુસ્તાન.