Monday, September 25, 2017

પેરીસની ગ્રાંડ મસ્જિત : ડૉ. મહેબૂબ દેસાઈ



૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ મને પેરીસની ગ્રાંડ મસ્જિતની મુલાકાત લેવાની તક સાંપડી. ફ્રાંસમા ૮૩ થી ૮૮ ટકા લોકો કેથોલિક સંપ્રદાયના છે. જયારે ૫ થી ૧૦ ટકા મુસ્લિમો છે. આમ છતાં ગ્રાંડ મસ્જિતનું સર્જન પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ફ્રાંસની સરકારે ભાઈચારાના પ્રતીક સમું કર્યું છે. એ સાચ્ચે નોંધપાત્ર બાબત છે. તેનું કારણ પણ જાણવા જેવું છે. પ્રથમ વિશ્વ યુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) સમયે ફ્રાંસના એક લાખ મુસ્લિમ સિપાઈઓ જર્મની સામેના યુદ્ધમા શહીદ થયા હતા. તેમની દેશ ભક્તિ અને શહાદતની યાદમાં ૧૯૨૨ થી ૧૯૨૬ દરમિયાન પેરિસના ડુ પુઈત્સ ડી ઈર્મીર્ત વિસ્તારમાં એક ભવ્ય મસ્જિતનું સર્જન કરવાનો આરંભ થયો હતો. ફ્રાંસ અને મુસ્લિમ મૈત્રીના પ્રતિક સમી આ મસ્જિત ઇસ્લામના અનુયાયીઓની જે દેશમાં રહેતા હોય તેની વફાદારીના પ્રતિક સમી છે. પ્રથમ વિશ્વ યુધ્ધમાં જર્મની સામે લડતા શહીદ થયેલા ફ્રાંસના એક લાખ મુસ્લિમોની યાદમાં ફ્રાંસ સરકારે આ મસ્જિતનું સર્જન હાથ ધર્યું હતું. આજે એ મસ્જિત પેરીસની સૌથી મોટી, ભવ્ય અને સ્થાપત્ય કલાના અદભુદ નમુના સમી છે. ૪૫૦ ઉત્તર આફ્રિકન શિલ્પીઓ અને કલાકારો દ્વારા તેનું સર્જન થયું છે. તેનું સ્થાપત્ય મૂર્શી શૈલીનું છે.તેનો એક માત્ર મિનારો ૩૩ મીટર ઊંચાં છે. મસ્જિતનું ઉદઘાટન અર્થાત પ્રથમ નમાઝ ૧૫ જુલાઈ ૧૯૨૬ના રોજ અલ્જેરિયાના સૂફી સંત અહેમદ અલ અલવી (૧૮૯૬-૧૯૩૪) દ્વારા નમાઝ પઢાવીને થયું હતું.  એ સમયે ફ્રાંસના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને એ દિવસે પેરિસના કાઉન્સિલર શ્રી પોઉલ ફ્લેઉરોટએ પ્રજાને સંદેશ આપતા કહ્યું હતું,
૧૯૧૪મા પ્રથમ વિશ્વયુદ્ધથી અલિપ્ત રહેવા ફ્રાંસે ઘણાં પ્રયાસો કર્યા હતા. છતાં તેને યુધ્ધમાં હોમી દેવામાં આવ્યું. અને તેના પર અન્યાયિક હુમલો કરવામા આવ્યો. એવા કપરા સમયે ફ્રાંસે પ્રજાને યુદ્ધનો સામનો કરવા અપીલ કરી. ત્યારે આફ્રિકન વિભાગના તમામ મુસ્લિમો દેશ પર આવી પડેલ આફતનો સામનો કરવા તૈયાર થઈ ગયા હતા. અને યુદ્ધમા એક લાખ જેટલા મુસ્લોમો દેશ માટે શહીદ થયા. એ ઘટના તેમની દેશ ભક્તિનું પ્રમાણ છે. તેની યાદ આ મસ્જિત હંમેશા કરાવતી રહેશે.

મસ્જિતના બાંધકામનો આરંભ થયો ત્યારે તુર્કીસ્તાનના ખલીફા સુલતાન અબ્દુલ હમીદએ ફ્રાંસની સરકારને અભિનંદન આપતા, ફ્રાંસમા ધાર્મિક અને સંસ્કારીક ઇસ્લામિક સંગઠનની સ્થાપના કરવાનું સુચન કર્યું હતું. અને તેમણે ફ્રાંસ સરકારને ભલામણ કરતા કહ્યું હતું કે,
ફ્રાંસના શહેર પેરિસમાં એક એવી મુસ્લિમ સંસ્થાનું સર્જન થવું જોઈએ જે માત્ર ફ્રાંસની પ્રજા માટે જ નહી પણ સમગ્ર વિશ્વ માટે નમુના રૂપ બને રહે.

તેના પરિપક રૂપે ૨૯ જુન ૧૯૨૦ના પાર્લામેન્ટની બેઠકમા ફ્રાંસની સરકારે પેરિસમાં મુસ્લિમ ઇન્સ્ટીટયુટનું સર્જન નામક બીલ પસાર કર્યું હતું. પાર્લામેન્ટના સભ્ય એન્ડોરડ હેરિઓટએ અંગે કહ્યું છે,
“પેરિસમાં મુસ્લિમ ઇન્સ્ટીટયુટના સર્જનને અમે સૌ આવકારીએ છીએ. તે માત્ર ઇસ્લામિક ઈબાદતનું સ્થાન ન બની રહેતા, એરેબીક ગ્રંથાલય, શિક્ષણ, સંસ્કારોનું જતન કરતી સંસ્થા બની રહે, તે જ તેના સર્જનનો સાચો ઉદેશ છે. કારણ કે તે એક લાખ મુસ્લિમોની શહાદતનું પ્રતિક છે.”

આમ પેરીસની મસ્જિત સાથે એક મુસ્લિમ સંસ્થાના સર્જનના પણ બીજ વવાયા. આજે આ મસ્જિત માત્ર ઈબાદત કરવાનું કે નમાઝ પઢવાનું માત્ર સ્થાન નથી. પણ ત્યાં ઇસ્લામિક શિક્ષણ અને સંસ્કારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ સક્રિય રીતે થાય છે.
અમે જયારે મસ્જિતની મુલાકાતે પહોંચ્યા ત્યારે ત્યાં અનેક પ્રવાસીઓને મસ્જિતની કલાત્મક કારીગરી નિહાળતા જોયા. ટુકમાં આ મસ્જિત પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. મસ્જિતનું દ્વાર કમાન આકારનું છે, જેના ઉપર કુરાને શરીફને આયાતો સુંદર અક્ષરોમાં અરબી ભાષામાં કંડારેલી છે. અને તે દ્વાર પર ઇસ્લામિલ પ્રતિક સમા ચાંદ તારાનું નિશાન જોવા મળે છે. મસ્જિતમા પ્રવેશતા જ તેની ભવ્યતાનો અહેસાસ થાય છે. સુંદર ગાર્ડનમા પ્રવેશ્યાનો સૌ પ્રથમ અનુભવ થાય છે. એ પછી એક કોરીડોરમાંથી પસાર થાવ એટલે સામે જ નમાઝ માટેનો મોટો હોલ (ઈબાદત ગાહ) આવેલ છે. અલબત્ત તેમાં પ્રવાસીઓને પગરખા ઉતારીને જવા માટે વિનંતી કરતા એક અંગ્રેજ બહેન ઉભા હતા. મેં તેમને અંગ્રેજીમા પૂછ્યું.
વઝુંખાનું કયા છે? તેમણે મને આંગળી ચિંધતા કહ્યું,
નીચે બેઝમેન્ટમા
મસ્જિતનું વઝુંખાનું અર્થાત નમાઝ પૂર્વે શારીરિક રીતે હાથ મો ધોઈ સ્વચ્છ થવાની ક્રિયા કરવાનું સ્થાન. મેં વઝું કરી નમાઝ ખંડમા જઈ બે રકાત શુક્રાનાની નમાઝ પઢી. શુક્રાનાની નમાઝ અર્થાત ખુદાનો આભાર માનતી પ્રાર્થના.એ પછી મેં મસ્જિતનું નિરીક્ષણ કરવા માંડ્યું. મસ્જિતના ઈબાદત ખંડની કમાનો પણ સુંદર અને કલાત્મક છે. વળી, મહેરાબ ઉપર પણ સુંદર નકશી કામ જોવા મળે છે. નમાઝ પઢી હું બહાર આવ્યો ત્યારે એક બ્રિટીશ યુગલ કઈંક મુઝવણમાં ઉભેલું મને દેખાયું. મેં હેલો કહ્યું એટલે તેણે મને  પૂછ્યું,
‘અહી સ્ત્રીઓ માટે નમાઝ પઢવા અલગ રૂમ નથી ?’
મેં કહ્યું,’ ભારતમાં તો એવી કોઈ વ્યવસ્થા નથી હોતી, પણ અન્ય દેશોમાં હોય છે. માટે અહિયાં પણ હોવી જોઈએ.’
એમ જવાબ વાળી હૂં બહાર નીકળો. ઈબાદત ખાના બહાર એક વિશાલ ગ્રંથાલય આવેલું છે. જેમાં દરેક વિષયના ગ્રંથો જોવા મળ્યા. મેં અગાઉ કહ્યું તે મુજબ આ મસ્જિત માત્ર ઈબાદત માટેનું સ્થાન નથી. પણ સક્રિય શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો મોટું કેન્દ્ર પણ છે. જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ અવારનવાર કરવામાં આવે છે. મસ્જિતમા એક કાફે પણ આવેલા છે. જ્યાં પ્રવાસીઓ અને નમાઝીઓ માટે અલ્પાહાર મળે છે. પ્રવાસીઓ સ્વખર્ચે તેનો આનંદ લઇ શકે છે. મસ્જિતની વિશાળતા અને ભવ્યતા જોવામા લગભગ એકાદ કલાકનો સમય પ્રવાસીએ અવશ્ય ફાળવવો પડે છે.
ઇસ્લામી તહેજીબ અને સંસ્કારોનું આવું ધામ દરેક રાષ્ટ્રમાં હોય તો ઇસ્લામ અંગેની ગેરસમજો દૂર કરવામા તે અવશ્ય ઉપયોગી બની રહે.





Saturday, September 23, 2017

મસ્જિત-એ-કુર્તુબા : સ્પેન : ડૉ. મહેબૂબ દેસાઈ


છેલ્લા ત્રણ દિવસથી હું સ્પેનના પાટનગર બાર્સોલીનામા છું. બાર્સોલીનીથી ૭૦૮ કિલોમીટરના અંતરે અન્ડોલેસીયા રાજ્યમા કોર્ડોબા શહેર આવેલું છે. જેમાં ઇસ્લામી ઇતિહાસમાં અત્યંત જાણીતી અને ભવ્ય મસ્જિત-એ-કુર્તુબા આવેલી છે. આ મસ્જિત વિશ્વની એક એવી મસ્જિત છે, જે મસ્જિત હોવા છતાં તેમાં છેલ્લા ૮૦૦ વર્ષથી નમાઝ કે અઝાન થઈ નથી. ઈતિહાસકારો માને છે કે મસ્જિત-એ-કુર્તુબા ના સ્થાને પ્રાચીન સમયમાં રોમની પ્રજાના દેવતા જેનસનું મંદિર હતું. એ પછી ઈ.સ. ૫૭૨મા રોમન દેવતાના એ મદિરની સ્થાને ઈસાઈઓએ ચર્ચ બનાવ્યું. એ પછી સમગ્ર સ્પેનમાં ઇસ્લામી શાસન સ્થાપિત થતા ચર્ચના સ્થાને મસ્જિત બનાવવામાં આવી. એ દમીસ્ક (આજનું સીરિયા)ના ઇસ્લામી શાસક ઉમ્ય્યાદ્સ (ઈ.સ.૬૬૧ થી ૭૫૦)નો શાસન કાળ હતો. ઇસ્લામી શાસનનો એ સુવર્ણ યુગ હતો. ઇસ્લામી શાસક અબ્દ અલ રહેમાનના શાશન કાળ દરમિયાન તેણે પોતાની રાજધાની દમાસ્કથી બદલી સ્પેનના કોર્ડોબા શહેરમા રાખી. તેણે પોતાના શાસનકાળ દરમિયાન કોર્ડોબામા અનેક ભવ્ય સ્થાપત્યોનું સર્જન કર્યું. જેમાંનું એક ભવ્ય સ્થાપત્ય તે મસ્જિત-એ-કુર્તુબા. આ મસ્જિતનું સર્જન ઇ.સ. ૭૮૪મા આરંભાયું હતું. અને તે ઈ.સ.૯૮૭મા પૂર્ણ થયું હતું. મસ્જિતના મુખ્ય આર્કિટેક હ્ર્નેન રુઈઝા પ્રથમ, હ્ર્નેન રુઈઝા દ્વિતીય, હ્ર્નેન રુઈઝા તૃતીય,જૂઈન ડી ઓચાઓ પરવેસ અને ડીયોગો ડી ઓચાઓ પરવેસ હતા.

લગભગ ૨૦૦ વર્ષ મસ્જિતના સર્જનને લાગ્યા હતા. ઇ.સ.૧૨૩૬મા પુનઃ સ્પેનમા ઈસાઈઓનું આગમન થતા મસ્જિત-એ-કુર્તુબાને પુનઃ ચર્ચ બનાવવામાં આવી. પણ તેનું ભવ્ય સ્થાપત્ય આજે પણ યથાવત રાખવામાં આવ્યું છે. છેલ્લા ૮૦૦ વર્ષોથી તે એક ચર્ચ છે. આમ છતાં તેની રચના અને તેના મહેરાબ પર કોતરેલી કુરાને શરીફની આયાતોં તેના મસ્જિત હોવાની સાક્ષી અર્પતા આજે પણ હયાત છે. યુનેસ્કોએ પણ તેને ઇસ્લામિક વારસાના ભવ્ય પ્રતિક તરીકે માન્ય કરેલ છે. ૧૯૩૧મા મસ્જિત-એ-કુર્તુબા ની મુલાકાતે વિશ્વના મહાન શાયર ડૉ. ઈકબાલ આવ્યા હતા. આ એ જ ડૉ. ઈકબાલ જેમણે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા નામક ગીત લખ્યું હતું. તેમણે ત્યાની સરકારની ખાસ મંજુરી લઇ મસ્જિત-એ-કુર્તુબામા નમાઝ અદા કરી હતી. અને એ જ મુલાકાતને ધ્યાનમા રાખી ડૉ. ઇકબાલે આ મસ્જિત પર એક સુંદર કાવ્ય (નઝમ)ની રચના કરી હતી. એ રચનાનું નામ પણ મસ્જિત-એ-કુર્તુબા છે. આજે પણ એ નઝમની ગણના ડૉ. ઇકબાલની શ્રેષ્ટ રચનાઓમાં થાય છે. ડૉ. ઇકબાલે મસ્જિત-એ-કુર્તુબાની મુલાકાત લીધી ત્યારે પણ તે દુનિયાની સૌથી મોટી મસ્જિત હતી. અલબત્ત એ પછી ઘણી મોટી મસ્જિતોનું સર્જન થયું. જેમાં મસ્જિત એ નબવી અને મસ્જિત એ હરમનો સમાવેશ થાય છે. પણ એ કોઈ પર ડૉ. ઇકબાલે નઝમ નથી લખી. એક માત્ર મસ્જિત-એ-કુર્તુબા પર જ તેમણે નઝમ લખી છે. તેની પાછળનું કારણ મસ્જિતની ભવ્યતા કે શ્રેષ્ઠ સ્થાપત્ય ન હતા. એ સમયે ઇસ્લામિક સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણ શ્રેષ્ઠ ઉંચાઈએ હતું. તેનું વર્ણન ડૉ. ઇકબાલે તેમની નઝમમાં કર્યું છે. એશીયા, યુરોપ અને આફ્રિકા સુધી ઇસ્લામી સંસ્કૃતિ અને શિક્ષણ પ્રસરેલ હતું તેનો અહેસાસ આ નઝમ દ્વારા ડૉ. ઇકબાલ દુનિયાને કરવવા માંગતા હતા. એ સમયે ઇસ્લામિક વિજ્ઞાનીઓ,તબીબી તજજ્ઞો, સંશોધકો, ઈતિહાસકારો અને શિક્ષણશાસ્ત્રીઓની સમગ્ર વિશ્વમાં બોલબાલા હતી. એ બાબતને ડૉ ઇકબાલે તેમની નઝમ મસ્જિત-એ-કુર્તુબામા બખૂબી વ્યક્ત કરે છે. ડૉ. ઇકબાલની મસ્જિત-એ-કુર્તુબા ની મુલાકાતે ફરી એકવાર મસ્જિત-એ-કુર્તુબા વિશ્વ જીવંત કરી દીધી છે. આજે પણ એ મસ્જિત ડૉ. ઇકબાલની મુલાકાત અને તેમણે ત્યાં પધેલ નમાઝને કારણે વિશ્વમાં ચર્ચામાં છે.

મસ્જિત-એ-કુર્તુબાની ભવ્યતા ઇસ્લામના સુવર્ણ કાળની ગાથા વ્યક્ત કરે છે. આ એ યુગની વાત છે, જયારે દસમી સદીમા સમગ્ર સ્પેનમાં ઇસ્લામી શાસન હતું. કુર્તુબા શહેર વિશ્વનું સૌથી મોટું અને વિકસિત શહેર હતું. સૌ પ્રથમ મસ્જિત-એ-કુર્તુબા ના સ્થાપત્યની થોડી વાત કરીએ. લગભગ એક કિલોમીટર લંબાઈ અને સવા કિલોમીટર પહોળાઈના વિસ્તારમાં પથરાયેલ આ મસ્જિતની મુલાકાત માટે પ્રવાસીએ લગભગ ત્રણ કિલોમીટર ચાલુ પડે છે. અને ઓછામાં ઓછા બે કલાક ફાળવવા પડે છે. મસ્જિતમા એક મિનારો છે. જેમાં અઝાન આપવામાં આવતી હતી. આજે તે બેલ ટાવર તરીકે ઓળખ્યા છે. મસ્જિતનું સ્થાપત્ય વિશિષ્ટ છે. લગભગ ૧૨૦૦ વર્ષથી તે યથાવત છે. મસ્જિતમા એક વિશાલ હોલ છે. જેમાં નમાઝ પઢવામાં આવતી હતી. હોલમાં લગભગ ૮૫૬ સંગેમરમરના સ્તંભો છે, જે કમાનોથી સુશોભિત છે. હોલ સાથે જોડાયેલ મેદાનમાં ફુવારાઓ છે. ખજુરના વૃક્ષોથી ભરેલ બગીચો પણ મસ્જિતનો ભાગ છે. મસ્જિતની મહેરાબ અર્થાત નમાઝ પઢવાની દિશા અને જ્યાં ઉભા રહી પેશ ઈમામ સૌને નમાઝ પઢાવે છે તે જગ્યા પણ સોનાના પતરાંથી મઢેલી હતી. જો કે અત્યારે તેના થોડા અવશેષો જ બાકી છે. છતાં આજે પણ મહેરાબ અત્યંત કલાત્મક ભાસે છે. પ્રવાસીઓ વધુમાં વધુ તેના ફોટા લેવાનું પસંદ કરે છે. તેનો ગુંબજ પણ રોમન અને ઇસ્લામિક સ્થાપત્યનો અદભુદ નમુના છે.
કુર્તુબા શહેર ૧૦મી સદીનું વિશ્વનું સૌથી મોટું શહેર હતું. આજે ૨૦-૨૫ લાખની વસ્તી ધરાવતા આ શહેરને યુનેસ્કોએ પણ ૧૦મી સદીના મોટા અને ઐતિહાસિકતા શહેરનો દરજ્જો આપ્યો છે. કારણ કે એ સમયે વિશ્વમાં શિક્ષણનું મોટું કેન્દ કુર્તુબા યુનિવર્સીટી હતી. જે આઠમી સદીમાં શરુ થઈ હતી. અને ૧૦મી સદીમાં તો તે વિશ્વની સૌથી મોટી યુનિવર્સીટી બની ગઈ હતી. આજે ભલે મસ્જિદો માત્ર નમાઝ પઢવાનું કે પઢાવવાનું સ્થાન બની રહી હોય. પણ એ યુગમાં કુર્તુબા યુનિવર્સીટી મસ્જિત-એ-કુર્તુબાનો  એક મહત્વનો ભાગ હતી. જ્યાં વિશ્વના અનેક વિષયોનું શિક્ષણ  આપવામાં આવતું હતું. તેનું ગ્રંથાલય સમૃદ્ધ હતું. મેડીકલ રીસર્ચનું તે મોટું કેન્દ્ર હતી. બે થી અઢી હજાર જેટલી ફેકલ્ટી થી સમૃદ્ધ આ યુનિવર્સીટીમા એશિયા, આફ્રિકા અને યુરોપથી અનેક વિદ્યાર્થીઓ અહિયાં ભણવા આવતા હતા.


ઇસ્લામીક ઇતિહાસમાં દટાયેલ આવી મસ્જિદો આપણી મસ્જિદો અંગેની સામાન્ય પરિકલ્પનાથી કેટલી ભિન્ન છે.