Monday, August 21, 2017

ભૂખ્યાને ભોજન આપું એટલે ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમા નિ:સહાયને સહાય અને ભૂખ્યાને ભોજન આપવાની ક્રિયાને અંત્યંત સવાબ અર્થાત પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ઇસ્લામમાં જકાત એ ફરજીયાત દાન છે. જયારે ખેરાત એ મરજિયાત દાન છે. ખેરતા માત્ર નાણાથી નથી થતી. કોઈ પણ ભુખ્યને ભોજન કરાવવું, સુરદાસને રસ્તો ઓળંગવામા મદદ કરી, કે કોઈ અજ્ઞાનીને જ્ઞાન આપીને પણ ખેરાત કરી શકાય છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,
એકવાર એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,
"ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"
ઇસ્લામના આવા આદર્શને કોઈ આલીમ કે શિક્ષિત મુસ્લિમ પોતાના જીવનમાં સાકાર કરે તો ખાસ  નવાઈ ન લાગે. પણ એક સાવ અભણ મુસ્લિમ, જેનો મુખ્ય વ્યવસાય ચીકનનું મટન વેચવાનો છે તે આ આદર્શને પોતાના જીવનનો મકસદ બનાવી જીવે, તો સાચ્ચે આપણે સૌને જ નવાઈ અને આશ્ચર્ય બંને થાય. આજે મારે વાત કરવી છે સૂરતના એક ચીકનનું મટન વેચતા ૬૦ વર્ષના ફારુખ મેમણની. જેમને લખતા વાંચતા ઝાઝું નથી આવડતું, પણ વિચારોની ગહનતામા તેઓ કોઈ આલીમને પણ શરમાવે તેવા છે. તેમની સાથે મારે કોઈ જ પરિચય નથી. પણ એક દિવસ મારા વોટ્સશોપ પર એક સ્ટીકર આવ્યું તેમાં લખ્યું હતું,
ખદીજા-રાબીયા ચેરીટેબલ ટ્રસ્ટ
૬૦ વર્ષથી ઉપરના ગરીબ નિરાધાર લોકો જેનો કોઈ આશરો ન હોય અને અસ્થિર મગજના લોકોને આ ટીફીન એમના ઘરે પહોંચાડીએ છીએ. અમે તમારું શાદીનું બચેલું જમણ પણ એમના ઘરે પહોંચાડીએ છીએ. આ જમણ અમે તમારે ત્યાં આવીને લઇ જઈશું અને તમારા વાસણો ધોઈને પહોંચાડી આપીશું. જઝાકલ્લાહ. અમારો ટેમ્પો આવીને લઇ જશે. શાદીનું બચેલું જમણ આપવા માટે સંપર્ક કરો.

આ સ્ટીકર વાંચી મેં તેમાં આપેલ નંબર પર ફોન કર્યો. ત્યારે ફોન પર ફારુખભાઈ સાથે મારી મુલાકાત થઈ. એકદમ નિરક્ષર માનવીની ભાષામાં ફારુખભાઈએ મને તેમના કાર્યનો એવી રીતે પરિચય આપ્યો જાણે તેઓ કોઈ અત્યંત સામાન્ય કાર્ય કરતા ન હોય. છેલ્લા ૧૫ વર્ષોથી ખદીજા-રાબીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૂરતના ૬૦વર્ષ ઉપરના અશક્ત અને નિરાધાર ૨૦૦ લોકોને તેમના નિવાસ્થાને નિયમિત ભોજન મોકલવામાં આવે છે. આ અંગે તેઓ સ્વાભાવિક સ્વરમાં કહે છે,
મહેબૂબભાઇ, એવા અનેક વૃદ્ધો છે જેમને કોઈ સંતાન નથી. અને હોય છતાં નિરાધાર છે, તેવા હિંદુ મુસ્લિમ કોઈ પણ વૃદ્ધોને તેમના નિવાસ્થાને નિયમિત બંને સમયનું ભોજન અમે પહોંચાડીએ છીએ.

આપણે વિવિધ સામાજિક-ધાર્મિક ઉત્સવોના પ્રસંગે જે ભોજન સમારંભો કરીએ છીએ. તેમાં પુષ્કળ ભોજન બચે છે, બગડે છે. તેવા ભોજનને ફારુખભાઈના સબંધીઓ પોતાના વાહનમાં લઇ આવે છે. અને ૧૧ જેટલા ડીપ ફ્રીઝરોમા મૂકી દે છે. અને પછી તેના પેકેટો કે ટીફીન દ્વારા જરૂરત મંદોને ત્યાં પહોંચાડે છે. સૂરતના ઝાંપા બજાર, મોરગવાન, મોટી ટોકીઝ, કાલીપુરા, સૂરત ટોકીઝ, રુસ્તમપુરા, સંગ્રામ પુરા ગોપી પુરા, મોમનાવાડ, ચોક બજાર, નાનપુરા, મુગલીસરા, ભાગલપુર, બબપીરની દરગાહ, કાંસીવાડ, જેવા ૧૫ મહોલ્લાઓમા રીક્ષા દ્વારા આવા ટીફીનો પહોંચાડવામા આવે છે. આજે ફારુખભાઈનું આ કાર્ય લોકોમાં એટલું જાણીતું થયું છે કે લગ્ન સમારંભના આયોજકો અગાઉથી જ ફોન કરીને ભોજન લઇ જવા માટે પોતાનું  સરનામું ફારુખભાઈને નોંધાવી દે છે. આ સેવાકીય કાર્યમાં ૯૦ ટકા તૈયાર ભોજન અથવા ભોજન સામગ્રી સૂરત શહેરના ઉદાર દાતાઓ તરફથી જ સંસ્થાને મળે છે. વળી, કેટલાક હિંદુ-મુસ્લિમ બિરાદરો પોતાના જન્મ દિવસ કે અન્ય ઉજવણી ના ભાગ રૂપે ભોજન તૈયાર કરાવીને પણ સંસ્થાને ખાસ મોકલાવે છે.
એવી એક ઘટનાને વાગોળતા ફારુખભાઈ કહે છે,
હમણાં જ એક હિંદુ બિરાદરે પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ૨૦૦ માણસનું ખાસ ભોજન બનાવી અમને મોકલ્યું હતું
ઇસ્લામની એક અન્ય હદીસમા કહ્યું છે,
પોતાનો પાડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે તે મોમીન (મુસ્લિમ) નથી.
અરબસ્તાનના એક મોચીએ હજયાત્રા માટે ભેગા કરેલા નાણા પોતાના પડોસમા રહેતા ભૂખ્યા કુટુંબ માટે ખર્ચી નાખ્યા. પરિણામે ખુદાએ તેની હજ ઘર બેઠા કબૂલ કરી હતી. એ ઘટના ઇસ્લામિક સાહિત્યમાં જાણીતી છે. આવા ઉમદા ઉદેશને સાકાર કરતા ફારુખભાઈનું એક અન્ય સેવાકીય કાર્ય પણ પ્રશંસનીય છે. ભિખારીઓ કે ફકીરોને ભીખ આપવા કરતા, એવા ભૂખ્યા માનવીઓને ભોજન કરાવવાનું  પસંદ કરતા ફારુખભાઈ સૂરતના ત્રણ વિસ્તારો ઝાંપા બજાર, માન દરવાજા અને પાલીયા ગ્રાઉન્ડમા લંગર પણ ચલાવે છે. આ લંગરમા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક માનવી આવીને જમી શકે છે. પણ તેણે થાળી જાતે ધોઈને લેવાની હોય છે. અને જમ્યા પછી પોતાની થાળી જાતે ધોઈને યોગ્ય સ્થાને મુકવાની રહે છે. આ નિયમનું પાલન સૌ કોઈ વિના સંકોચે કરે છે.  સૂરતના આ ત્રણે લંગરમાં રોજના ૬૦૦ માણસો જમે છે.
આજ દિન સુધી કોઈની પણ પાસે દાનનો એક પણ પૈસો ફારુખભાઈએ માંગ્યો નથી. છતાં આ કાર્ય વિના વિલંબે ચાલ્યા કરે છે. એ જ સેવાના આ યજ્ઞમા ઈશ્વર કે ખુદાની ખુશી વ્યક્ત કરે છે.


Saturday, August 19, 2017

ઈબાદત કે ભક્તિનું હાર્દ : ડૉ. મહેબૂબ દેસાઈ



ઈબાદત એટલે ભક્તિ. ભક્તિનો દરજ્જો દરેક ધર્મના કેન્દ્રમાં છે. ભક્તિ વગરના ધર્મની પરિકલ્પના શક્ય નથી. અલબત્ત ઈબાદતના માર્ગો કે ક્રિયામા ભેદ હોઈ શકે. દરેક મઝહબમાં તે ભિન્ન છે. પણ તેનો ઉદેશ એક જ છે. ખુદા કે ઈશ્વર સમીપ જવું. માનવી ખુદા કે ઈશ્વર નજીક શા માટે જવાની જીજીવિષા રાખે છે ? તેનો ટૂંકો જવાબ છે,  જેમ શરીરની શુદ્ધિ માટે સ્નાન, સાત્વિક આહાર અને નિર્દોષ ઔષધિઓ અનિવાર્ય છે. તેમ જ મન, હદય અને આત્માની શુદ્ધિ અર્થે જરૂરી છે ઈબાદત.
દરેક ધર્મમાં ઈબાદત-ભક્તિ માટે નિશ્ચિત ક્રિયા મુક્કરર કરી હોય છે. પણ એ જ ક્રિયા દ્વારા ઈબાદત કરવાથી ખુદા-ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તે સત્ય નથી. કુરાને શરીકમા કયાંય નમાઝની ક્રિયાનો ઉલ્લેખ નથી. આમ છતાં કુરાને શરીકમા પાંચ વક્તની નમાઝ પઢાવો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.

ઇસ્લામમાં ઇબાદતની ક્રિયા તરીકે નમાઝને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દિવસમાં પાંચવારની નમાઝ ઇસ્લામમાં ફરજીયા છે. ફ્ઝર (સવાર), ઝોહર (બપોર), અસર (સાંજ), મગરીબ (સુર્યાસ્ત) અને ઈશા (રાત્રી)ની નમાઝો માટે મસ્જિતમા અઝાન થયા છે. અઝાન એટલે નમાઝ માટેનું નિમંત્રણ.
ઇસ્લામમા ઈબાદતના મૂળમાં મુખત્વ બે બાબતો અનિવાર્ય છે. ઈમાન અને તોહીદ. ઈમાન એટલે શ્રધ્ધા-વિશ્વાસ. શ્રધ્ધા વગરની  ઈબાદત કે ભક્તિ અર્થહીન છે. ખુદા કે ઈશ્વરમાં વિશ્વાસ જ ન હોય તો તેની ઇબાદત શા માટે કરવી જોઈએ ? અને બીજી બાબત છે તોહીદ અર્થાત એકેશ્વરવાદ. ઇસ્લામનો પ્રથમ કલમો એ સિધ્ધાંત પ્રત્યે સૌનું ધ્યાન દોરે છે. “લાહીલાહા ઇલલ્લાહ મુહમદુર રસુલીલ્લાહ” અર્થાત અલ્લાહ એક છે, તેનો કોઈ જ ભાગીદાર કે સમકક્ષ નથી. અને મહંમદ તેના રસુલ-પયગમ્બર છે.
ઇબાદતમા સામગ્રી કરતા અત્યંત મહત્વની બાબત છે શ્રધ્ધા, એકાગ્રતા અને નિસ્વાર્થતા. ઇસ્લામમાં પણ એ જ બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઈમાન અને તોહીદ સાથે ત્રીજી બાબત પણ ઈબાદત માટે અત્યંત મહત્વની તે છે નિસ્વાર્થતા. ખુદા-ઈશ્વરની નિસ્વાર્થ ઈબાદતનું મુલ્ય અનેક ગણું છે. આ ત્રણ બાબતો વગરની ઈબાદત આત્મા વગરના ખોળિયા જેવી છે. આ બાબતને સમજવા માટે સૈદ્ધાંતિક ચર્ચા કરતા દ્રષ્ટાંતો વધુ અસરકારક પુરવાર થશે. આપણા સંતો કે સૂફીસંતોના જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડેલા જોવા મળે છે.
એક દિવસ સૂફીસંત હઝરત ખ્વાજા હસન બસરી ખુદાની ઇબાદતમાં લીન હતા. બરાબર એ જ સમયે એક સુંદર સ્ત્રી ખુલ્લા મોઢે, ખુલ્લા પગે તેમની પાસે દોડી આવી. તેણે કુરતાની બાંયો કોણી સુધી ચડાવેલી હતી. ગુસ્સા અને મહોબ્બતના મિશ્ર ભાવ સાથે તેણે તેના પતિની ફરિયાદ કરતા કહ્યું,
"હઝરત, આપ મારા પતિને તેમની બદ્સલુકી (ખરાબ વર્તન) બદલ ઠપકો આપી સુધારતા કેમ
નથી ?"
હઝરત ખ્વાજા હસન બસરીએ તે સ્ત્રી તરફ એક નજર કરી અને કહ્યું,
"ખાતુન, તમે પ્રથમ તમારું મોઢું ઢાંકી લો અને પછી જે કઈ કહેવું હોઈ તે કહો."
ખાતુને શર્મિન્દગી મહેસુસ કરતા ખભા પરથી ઓઢણી માથે મૂકી, કુરતાની બાંયથી હાથો અને પાયજામાંથી પગની પાની ઢાંકતા હઝરત હસન બસરીને કહ્યું,
"મારા પતિની મહોબ્બતના આવેશમાં હું હોશોહવાસ ખોઈ ઓઢણી ઓઢ્યા વગર અહિયાં દોડી આવી છું. જો આપે મને ટોકી ન હોત તો કદાચ મહોબ્બતના આવેશમાં જ હું બજારમાં પણ પહોંચી જાત, આપની હિદાયત બદલ હું આપની આભારી છું."
હઝરત હસન બસરી આ સાંભળી પ્રસન્ન થયા. પણ તેમની એ પ્રસન્નતા વધુ સમય ટકી નહિં. પેલી ખાતુને થોડીવાર અટકી  કહ્યું,
"હઝરત, મારા પતિની મહોબ્બતે મારા હોશોહવાસ હણી લીધા હતા. એટલે મને મારી ઓઢણીનું ભાન ન રહ્યું. પણ આપતો ખુદાની ઇબાદતમાં લીન હતા. છતાં આપને મારી ઓઢણી અને મારા ખુલ્લા માથાનો અહેસાસ થયો. તે જોઇને મને નવાઈ લાગી"
આટલું કહી તે સ્ત્રીએ રૂખસત લીધી. પણ જતા જતા ખ્વાજા હસન બસરીને ઇબાદતની સાચી પરિભાષા સમજાવતી ગઈ.
ઇબાદતમાં નિસ્વાર્થતાનો આવો જ એક કિસ્સો સૂફીસંત હઝરત રાબીયાનો જાણવા જેવો છે.
એકવાર કેટલાક અનુયાયીઓ હઝરત રાબીયા સાથે ઈબાદત અંગે ચર્ચા કરી રહ્યા હતા. હઝરત રાબિયાએ તેમને પૂછ્યું,
"તમે બધા ખુદાની ઈબાદત શા માટે કરો છો ? એકે જવાબ આપ્યો,
"અમે જહન્નમની (નર્ક)ની યાતાનોથી ડરીને ખુદાની બંદગી કરીએ છીએ.જેથી ખુદા જહન્નમના બદલે અમને જન્નત (સ્વર્ગ) બક્ષે. અને દોઝાકની આગથી અમે બચી જઈએ"
આ સંભાળી હઝરત રાબીયા બોલી ઉઠ્યા,
"એટલે તમે સ્વાર્થી છો, જન્નતની તમન્નાએ ઈબાદત કરો છો."
"આપ શા માટે ઈબાદત કરો છો ?" એક અનુયાયીએ પૂછ્યું.
હઝરત રાબિયાએ ફરમાવ્યું,
"ખુદાની ઈબાદત તો દરેક માનવી માટે ફર્ઝ છે. ખુદાએ જન્નત અને દોઝકનો ડર ન રાખ્યો હોત, તો પણ તેની ઈબાદત કરવાની આપણી સૌની ફરજ છે. માટે જ ડર અને અપેક્ષાથી મુક્ત થઈ, નિસ્વાર્થ પણે ખુદાની ઈબાદત કરો. એ જ સાચી ઈબાદત છે"
ખુદાની ઇબાદતમાં સર્વસ્વનો ત્યાગ એ પણ ઇસ્લામી ઈબાદતનું આગવું લક્ષણ છે. ઇસ્લામમાં કુરબાનીની પ્રથા એ ઇબાદતનું જ પરિણામ છે. હઝરત ઈબ્રાહીમ ખુદાના આદેશને સર આંખો પર ચડાવી પોતાના એકના એક પુત્ર ઈસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. ૬૦ વર્ષની ઉમરે અવતરેલ પુત્રને જંગલમાં લઇ જઈ તેને ખુદાના નામે કુરબાન કરવા જયારે ઈબ્રાહીમ છરી ઉપાડે છે ત્યારે એક અવાજ અરબસ્તાનની પહાડીઓમાં ગુંજી ઉઠે છે,
"ઈબ્રાહીમ, તે મારા આદેશનું શબ્દસહ પાલન કર્યું છે. ખુદા પોતાના નેક બંદોની ઇબાદતની આ જ રીતે કસોટી કરે છે. તું ખુદાની કસોટીમાં પાસ થયો છે. તેથી તારા વ્હાલા પુત્રના બદલે પ્રતિક રૂપે એક જાનવરની કુરબાની કર"

ઇબાદતની આ પરાકાષ્ટા જ ખુદાને પામવાનો સાચો માર્ગ છે.

Friday, August 11, 2017

હાજી મહંમદ રફીની હજયાત્રા : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલ સાઉદી એરેબીયાના મક્કા-મદીના શહેરમાં વિશ્વના લાખો મુસ્લિમો હજની ક્રિયાઓ પૂર્ણ કરી, ઇબાદતમાં લીન છે. ઇસ્લામ ધર્મમા પાંચ બાબતો અતિ મહત્વની છે. ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજ. હજ દરેક સક્ષમ મુસ્લિમ માટે ફરજીયાત છે. સક્ષમ અર્થાત આર્થિક અને શારીરિક રીતે સક્ષમ માનવીએ જીવનમાં એકવાર હજયાત્રા ફરજીયાત કરવી જોઈએ, એવો ઇસ્લામમાં આદેશ છે. અને એટલે જ ભારતના જાણીતા મુસ્લિમ કલાકારો, રાજનિતિજ્ઞો, વેપારીઓ. બુદ્ધિજીવીઓ  કે સામાન્ય મુસ્લિમો હજયાત્રાએ જવાનું ચુકતા નથી. ભારતના એક સમયના ફિલ્મોના જાણીતા પાશ્વગાયક મહંમદ રફી (૧૯૨૪-૧૯૮૦) પણ ૧૯૬૯ની સાલમાં હજયાત્રાએ ગયા હતા. એ ઘટના પણ દરેક ઈમાન (આસ્થા) ધરાવનારે જાણવા જેવી છે. રફી સાહેબની હજયાત્રા તેમના ઈમાન, કુરબાની અને દુવાઓનું અદભુદ મિશ્રણ છે. આ એ યુગની વાત છે જયારે ફિલ્મી દુનિયામાં રફી સાહેબ અને લતાજીનુ એક ચક્રિય શાસન હતું. કોઈ ફિલ્મ એવી નહોતી બનતી જેમાં રફી સાહેબના ગીતો ન હોય. એવા કારકિર્દીના તપતા સમયે ૧૯૬૯મા રફી સાહેબે  પોતાની પત્ની બિલ્કીસ સાથે હજયાત્રાએ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા ખળભળાટ મચી ગયો. રફી સાહેબ એક સાથે બે માસ માટે મુંબઈની બહાર રહેવાના હતા, એ સમાચાર ફિલ્મી દુનિયામા અગ્નિ જેમ પ્રસરી ગયા. અનેક નિર્માતાઓએ રફી સાહેબને સમજાવવાનો પ્રયાસ કર્યો,
રફી સાહેબ, અત્યારે તમારી કારકિર્દી મધ્યાહને છે. આપ આવા સમયે ઇન્ડસ્ટ્રીથી દૂર રહેશો તો ફેકાઈ જશો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ચડતા સૂરજની જ પૂજા થાય છે. તમારી બે માસની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ગેરહાજરી તમારી કારકિર્દીને નુકસાન કરશે.
પણ આ તમામ દલીલો રફી સાહેબના નિર્ણયને બદલી ન શકી. આ નિર્માતાઓમાં એક શક્તિ સામંત પણ હતા. જેઓ આરાધના નામક ફિલ્મ બનાવી રહ્યા હતા. રફી સાહેબના હજયાત્રાએ જવાને કારણે તેમની ફિલ્મ પણ બે માસ સુધી થંભી જવાની હતી. પણ રફી સાહેબે તેમને પણ પોતાનો હજયાત્રાનો નિર્ણય મકમતાથી જણાવી દીધો. અને આમ પોતાની કારકિર્દીના મધ્યાહને રફી સાહેબ હજયાત્રાએ જવા નીકળી ગયા. પરિણામે શક્તિ સામંતે પોતાની ફિલ્મ આરાધનાના મોટાભાગના ગીતો કિશોર કુમાર પાસે ગવડાવ્યા. અને એ ફિલ્મે કિશોર કુમારને પ્રસિદ્ધ પાશ્વગાયક બનાવી દીધા. એ ઈતિહાસ સૌ ફિલ્મી ઈતિહાસ લેખકો જાણે છે. આ ઘટના રફી સાહેબના ઇસ્લામમા ઈમાન અને હજયાત્રા માટે વ્યવસાયને પણ કુરબાન કરી દેવાની ભાવના વ્યક્ત કરે છે. જો કે મહંમદ રફી સાહેબને આ સંસ્કારો તેમના કુટુંબમાંથી જ મળ્યા હતા. આ અંગે તેઓ લખે છે,

મારું કુટુંબ અત્યંત ધાર્મિક હતું. અમારા કુટુંબમા ગાવા કે વગાડવાના વ્યવસાયને સારો માનવામાં આવતો નહી. મારા પિતાશ્રી હાજી અલી મોહમ્મદ સાહેબ અત્યંત ધાર્મિક હતા. તેમનો મોટા ભાગનો સમય ખુદાની ઇબાદતમાં જ પસાર થતો હતો.

આમ વ્યવસાય કરતા હજને પ્રાધાન્ય આપવાની પ્રેરણા રફી સાહેબને તેમના કુટુંબના સંસ્કારોમાંથી મળી હતી. હજયાત્રાએ જતા પૂર્વે રફી સાહબે કરેલ એક વિધાન પણ એ યુગમાં ખુબ પ્રચલિત બન્યું હતું. તેમણે એ સમયે આપેલ એક પ્રેસ ઈન્ટરવ્યુંમા કહ્યું હતું,
પ્રથમવાર હજ કરીને આવ્યા પછી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી માત્ર ખુદાની ઈબાદત કરવાનું નક્કી કર્યું હતું.
પણ હજયાત્રાથી પાછા ફર્યા પછી પણ ફિલ્મ નિર્માતાઓ તેમની પાસે ગીતો ગવડાવવા ઉત્સુક હતા. જેથી એ શક્ય ન બન્યું. હજયાત્રા દરમિયાનનો રફી સાહેબનો એક પ્રસંગ તેમની શુદ્ધ ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે. હજની ક્રિયાઓ પતાવ્યા પછી રફી સાહેબ મક્કામા નિયમિત પાંચ સમયની નમાઝમાં લીન રહેતા. એક દિવસ ફજર અર્થાત પરોઢની નમાઝની અઝાન સાંભળી રફી સાહેબના મનમાં એક વિચાર ઝબકયો.
મક્કાની મસ્જિતમા ફજરની નમાઝની અઝાન આપવાનો સવાબ અલ્લાહ બક્ષે તો મજા પડી જાય
અને તેમણે આ વિચાર તેમની સાથે હજમા ભેળા થઈ ગયેલા પાકિસ્તાનના મશહુર ગાયક મસુદ રાણા (૧૯૩૮-૧૯૯૫)ને કહ્યો. મસુદ રાણા ખુદ પાકિસ્તાનમાં મોટા ગાયક હતા. છતાં આ વિચારના અમલ માટે તેમને બિલકુલ શ્રધ્ધા ન હતી. છતાં મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓ સમક્ષ આ સુચન તેમણે જેમ તેમ કરીને મુકયું,
ભારતના મશહુર ગાયક મહંમદ રફી સાહેબ ફજરની નમાઝની અઝાન આપવા ઈચ્છે છે.
એક પળનો પણ વિચાર કર્યા વગર મક્કાની મસ્જીતના વહીવટ કર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા કહ્યું,
મક્કાની મસ્જિતના નિયમો મુજબ કોઈ પણ બહારની વ્યક્તિને અઝાન આપવાની મંજુરી ન આપી શકાય

અને આમ પ્રથમ તબક્કે જ મહંમદ રફી સાહેબના મક્કાની મસ્જિતમા ફજરની નમાઝની અઝાન આપવાના વિચાર પર પૂર્ણવિરામ મૂકી ગયું. પણ મસુદ રાણા એમ જપીને બેસે તેવા ન હતા. તેઓ મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓને મનાવતા રહ્યા.અને એક દિવસ તેમના એ પ્રયાસોને સફળતા સાંપડી.મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓએ મંજુરી આપતા કહ્યું,
માત્ર એકવાર મહંમદ રફી સાહેબ ફજરની નમાઝ માટે અઝાન આપશે. એ પછી તેઓ ફરીવાર આવી કોઈ માંગણી નહિ કરે.
આ નિર્ણયની જાણ મસુદ રાણાએ જયારે મહંમદ રફી સાહેબને કરી ત્યારે તેમના આનંદનો કોઈ પાર ન હતો. અને એ દિવસ આખો ભારતના મશહુર ગાયક મહંમદ રફી સાહેબ પાંચે સમયની નમાઝમા ખુદાને દુવા કરતા રહ્યા કે તેઓ અઝાન ખુબ સારી રીતે આપી શકે. અને એ માટે તેઓ મનોમન પ્રેક્ટીસ પણ કરતા રહ્યા. બીજા દિવસે પરોઢે  મહંમદ રફી સાહેબ મક્કાની મસ્જિતમા અઝાન આપવા સમયસર પહોંચી ગયા. અને ખુદાની ઈબાદતમા લીન બની એમણે મક્કાની મસ્જીતમાં ફજરની નમાઝની અઝાન આપી. મસ્જિતમા અઝાન આપી તેમણે ફજરની નમાઝ પઢી. નમાઝ પઢી જયારે તો બહાર આવ્યા, ત્યારે મક્કાની મસ્જિતના વહીવટ કર્તાઓ તેમની રાહમાં બહાર ઉભા હતા. જેવા મહંમદ રફી સાહેબ તેમનો આભાર માનવા હોઠો ઉઘડ્યા કે ત્યાં જ એક વહીવટ કર્તાએ મહંમદ રફી સાહેબનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા,
રફી સાહબ, આપ કી અઝાન કા સૂર ઔર લય ઇતના લાજવાબ થા કી ખુદા કી ઈબાદત કે લિયે હર મોમીન કો ખીંચતા હૈ. આપ સે ગુઝારીશ હૈ જહાં તક આપ યહાં પર હો ફજર કી નમાઝ કી અઝાન આપ હી દિયા કરોં  

એ સાંભળી આટલા મોટા ગાયકની આંખો પણ ખુશીથી ઉભરાઈ ગઈ. ઘટના આટલેથી અટકતી નથી. પાકિસ્તાની ગાયક મસુદ રાણાએ એ અઝાન રેકોર્ડ કરી લીધી હતી. અને તેઓ જીવ્યા ત્યાં સુધી અવારનવાર એ અઝાન સાંભળી સુકુન મેળવતા રહ્યા હતા.