Thursday, January 3, 2019

સુહાસિની હૈદર અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


બીજેપીના સાંસદ સ્વામી સુબ્રમણ્યમની નાની પુત્રી સુહાસિનીએ એક મુસ્લિમ સાથે નિહાહ કર્યા છે. તેમના પતિનું નામ નઈમ હૈદર છે. સુહાસિનીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. અને તેઓ તેમના પતિ સાથે હજયાત્રા પણ કરી આવ્યા છે. એ ઘટના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે તેઓ એક સુંદર અને અસરકાર કવિયત્રી છે. અખબારના સંપાદક અને કોલમિસ્ટ છે. ઇસ્લામ અંગેનું તેમનું અધ્યન ઘણું ઊંડું છે. ઇસ્લામ અંગેના તેમના વિચારો અત્યંત સ્પષ્ટ અને પારદર્શક છે. ઉર્દુ અને હિંદી બંને ભાષાઓ પર તેમનું વર્ચસ્વ અદભૂત છે. તેમની એક નઝમ ઉર્દુ અને હિંદી બંને ભાષાઓને ધર્મના નામે અલગ કરી, તે પ્રત્યે ઓરમાયું વર્તન કરનાર માટે એક સબક સમાન છે. સૌ પ્રથમ તેમની એ રચનાને માણીએ.

“મેં હિંદી કી વો બેટી હું, જિસે ઉર્દૂને પાલા હૈ
 અગર હિંદી કી રોટી હૈ, તો ઉર્દુ નિવાલા હૈ
 મુઝે હૈ પ્યાર દોનો સે, મગર એ ભી હકીકત હૈ
 લતા જબ લડખડાતી હૈ, હયા ને હી સંભાલા હૈ
 મેં જબ હિંદી સે મિલતી હું, તો ઉર્દુ સાથ આતી હૈ
 ઔર જબ ઉર્દુ સે મિલતી હું, તો હિંદી ઘર બુલાતી હૈ
 મુઝે દોનો હી પ્યારી હૈ, મેં દોનો કી દુલારી હું
 ઇધર હિંદી સી માઈ હૈ, ઉધર ઉર્દુ સી ખાલા હૈ
 યહી કી બેટીયા દોનો, યહી પે જન્મ પાયા હૈ
 સિયાસતને ઇન્હેં હિંદુ ઔર મુસ્લિમ કયો બનાયા હૈ
 મુઝે દોનો કી હાલત એક સી માલુમ હોતી હૈ
 કભી હિંદી પર બંદિશ હૈ, કભી ઉર્દુ પે તાલા હૈ
 ભલે અપમાન હિંદી કા હો, યા તોહીન ઉર્દુ કી
 ખુદા કી હૈ કસમ હરગીઝ, હયા યે સહ નહિ સકતી 
 મેં દોનો કે લિયે લડતી હું, ઔર દાવે સે કહતી હું  
 મેરી હિંદી ભી ઉત્તમ હૈ, મેરી ઉર્દુ ભી આલા હૈ”

ઉત્તમ શાયર અને કવિયત્રી એવા સુહાસિની હૈદર પોતાના ઇસ્લામ પ્રવેશ અંગેના અનુભવોને ટાંકતા કહે છે,
“મેં ઈસ્લામને સમજવા તેના ગ્રંથો વાંચવાનું શરુ કર્યું. અને ત્યારે સાચ્ચે જ એ ધર્મ મારી રૂહમાં ઉતરી ગયો. અને મને અહેસાસ થયો કે ઇસ્લામ એક સારો મઝહબ છે. તેના વિષે જે જાણે છે તે તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકતો નથી. અલબત્ત આજે ઇસ્લામ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. એ માટે તેના અનુયાયીઓની ઇસ્લામ અંગેની પૂરતી સમજનો અભાવ છે. એ માટે હું મારી આસપાસના લોકોને ઇસ્લામની સાચી સમજ આપવાનો પ્રયાસ કરું છું. હું મારી આસપાસ પણ ઈસ્લામ અંગેની થોડી ઘણી ગેરસમજ દૂર કરવામાં સફળ થઈશ, તો પણ ઇસ્લામની ઉમદા સેવા કર્યાનું માનીશ”
“જો કે આરંભમાં જયારે હું મુશાયરા જતી ત્યારે હિંદુ સમાજના લોકો મને પૂછતાં કે મુસલમાનો વચ્ચે જતા તમને ડર નથી લાગતો ?”
તેમની વાત સાંભળી મને નવાઈ લાગતી. અને હું તેમને કહેતી,
“આવા તહજીબ અને અદબ વાળા લોકો કેવી રીતે ખરાબ હોઈ શકે ?”
“મેં ઇસ્લામની હદીસનો અભ્યાસ કર્યો છે. મારે ત્યાં “ઇન્કલાબ” નામક ઉર્દુ અખબાર આવે છે. તેની ઇસ્લામિક કોલમ હું નિયમિત વાંચું છું. એવી જ એક હદીસ પરથી મેં ચાર લાઈનો લખી છે. તેમા મેં લખ્યું છે,
“મેરા કિરદાર કહેતા હૈ, મેરા કામ કહેતા હૈ
 મેરા આમાલ કહેતા હૈ, એ મેરા નામ કહેતા હૈ
 બડે ઘરમેં રહેને સે, બડા હોતા નહિ કોઈ
 હૈ જિસકા દિલ બડા વો હૈ બડા, એ ઇસ્લામ કહેતા હૈ”
આ રચના ઇસ્લામના તમામ અનુયાયીઓ માટે મોટી હિદાયત અર્થાત ઉપદેશ સમાન છે. મુસ્લિમનું વ્યક્તિત્વ, તેના કાર્યો અને તેનું નામ જ, તેની સાચી ઓળખ છે. મોટા ઘરમાં રહેવાથી કે જન્મ લેવાથી મોટા થવાતું નથી. પણ જેનું દિલ મોટું છે અર્થાત માનવતાથી તરબતર છે, તે જ મોટો માણસ છે. એવી જ બીજી પણ ચાર લાઈનો સુહાસિની હૈદરની માણવા જેવી છે. તેઓ લખે છે,
“ખુદા જિસ કી હિફાઝત કી ઠાન લેતા હૈ,
 તો મકડી કી જાલો કી ચાદર તાન લેતા હૈ 
 અગર વો ઝિંદગી લીખ દે, તો સમુન્દર રાહ દે દેતા હૈ
 અગર વો મૌત લીખ દે તો, મચ્છર ભી જાન લેતા હૈ”
પ્રથમ બે લાઈનોમાં હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના જીવનનો એક કિસ્સો છુપાયેલો છે. મહંમદ સાહેબ મક્કાથી મદીના જવા નીકળ્યા ત્યારે દુશ્મનો તેમની જાન લેવા તેમની પાછળ પડ્યા હતા. ત્યારે ખુદાએ ગુફાના દ્વાર પર મકડી અર્થાત કરોળિયાનું જાળું બનાવી તેમની હિફાઝત કરી હતી. એટલે કે ખુદા જેને ઝિંદગી આપવા ઈચ્છે છે, તેના માટે દરિયામાં પણ રસ્તો કરી નાખે છે. અને જેનું મૌત મુકરર  કરી દે છે તેનો જીવ નાનકડો મચ્છર પણ લઇ શકે છે.
આજે સુહાસિની હૈદર જેવી વિભૂતિઓ ધર્મને વાડાઓના મર્યાદિત બંધનમાંથી દૂર કરી, એક વિશાલ માનવીય અભિગમ તરફ વાળી રહી છે. એ માટે સુહાસિનીબહેનને સાચ્ચે જ સો સો સલામ.



No comments:

Post a Comment