Saturday, March 21, 2020

કુરાન-સાર : વિનોબા ભાવે : ડૉ. મહેબૂબ દેસાઈ



આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,
"આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?"
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,
"આધ્યાત્મ એટલે
૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા
૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ."
વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમા આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. કુરાને શરીફ ના ઊંડાણ પૂર્વકના અભ્યાસ પછી વિનોબાજીએ “કુરાનસાર” નામક એક પુસ્તક લખ્યું હતું. આજે એ નાનકડા પુસ્તક “કુરાનસાર”ની વાત કરવી છે. “રાહે રોશન”ના અનેક ગેરમુસ્લિમ વાચકો વારંવાર કુરાન વાંચવા કે તેનું અધ્યન કરવા કોઈ ગુજરાતી પુસ્તક સૂચવવા કહે છે ત્યારે તેમને સૌ પ્રથમ વિનોબાજીનું “કુરાનસાર” પુસ્તક એકવાર વાંચવાની અવશ્ય ભલામણ કરું છું. એવા વૈચારિક અને ભાષાકીય સરળતા અને સુંદરતાથી શણગારેલા નાનકડા પુસ્તકની આજે વાત કરવી છે. આ પુસ્તક અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં પ્રસિદ્ધ થયેલા છે. તેની પ્રસ્તાવનામાં વિનોબા જી લખે છે,
“વરસોથી ભૂદાન નિમિતે મારી પદયાત્રા ચાલી રહી છે, જેનો એકમાત્ર ઉદેશ દિલોને જોડવાનો રહ્યો છે. બલકે મારી જિંદગીના બઘા કામો દિલોને જોડવાના એકમાત્ર ઉદેશથી પ્રેરિત છે. આં પુસ્તકના પ્રકાશન પાછળ એ જ પ્રેરણા છે. હું આશા રાખું છું કે પરમાત્માની કૃપાથી તે સફળ થશે.”
પુસ્તકના મરાઠી સંસ્કરણની પ્રસ્તાવનાના આરંભમાં જ વિનોબા જી લખે છે,
“એક બાજુ પાકિસ્તાન યાત્રાની અમારી તૈયારી ચાલી રહી હતી. ત્યારે બીજી બાજુ કાશીમાં “કુરાન-સાર”ની અંગ્રેજી આવૃત્તિ મુદ્રણ મુક્ત થઇને પ્રકાશન માર્ગે હતી. છાપાઓમાં તેના સમાચાર આપવામાં આવ્યા.  તેટલા પરથી કરાંચીના છાપાઓએ કલકલાટ મચાવી મુકાયો. બીજે પણ તેના અનુકૂળ પ્રતિકુળ પ્રત્યાઘાત ઉઠયા. ગ્રંથ પ્રકાશિત થાય તે પહેલા જ તેનું દુનિયાભરમાં પ્રકાશન થયું. આમારા આશાદેવી કહે છે, અમેરિકાની રૂઢ ભાષામાં કહેવું હોય તો “કુરાન-સાર”નો દસ લાખ ડોલર પ્રચાર થયો. તે આ વિશ્રુત ગ્રંથ હવે મરાઠીમાં પ્રકશિત થઇ રહ્યો છે.”
આવા અદભૂદ ગ્રંથ “કુરાન-સાર”માં કુરાને શરીફની મુલ્ય નિષ્ઠ આયાતોનું સરળ ગુજરાતીમાં અનુવાદ વિનીબાજીએ સુંદર રીતે કર્યું છે.  કુરાને શરીફના ત્રીસ પ્રકરણો અને નેવું  વિષયોને આવરી લેતા આ નાનકડા ગ્રંથના પ્રથમ પ્રકરણનું નામ છે “મંગલાચરણ” સૂરા “અલ ફાતિહા”નું ગુજરાતી કરતા લખ્યું છે,
૧. પ્રારંભ કરું છું પરમાત્માના નામથી, જે પરમ કૃપાળુ, અતિ કરુણાવાન છે.
૨. પ્રત્યેક સ્તુતિ પરમાત્માને માટે જ છે, જે સમસ્ત સંસારનો પાલનહાર છે.
૩. પરમ કૃપાળુ, અતિ ગુણવાન.
૪. અંતિમ દિનનો માલિક.
૫. (હે પરમાત્મા ) તારી જ અમે ભક્તિ કરીએ છીએ અને તારી પાસે જ યાચના કરીએ છીએ.
૬. અમને સીધો રસ્તો બતાવ.
૭. રસ્તો એ લોકોનો, જેમના ઉપર તે દયા કરી છે, ન કે એમનો જેમના ઉપર તારો પ્રકોપ થયો, તેમ જ ન એમનો જેઓ ભ્રમિત થયા.”
ગ્રંથના અન્ય પ્રકરણો વિવિધ વિષયો પર આધારિત છે. કુરાને શરીફમાં ઈશ્વર, જ્ઞાન, દયા, ભક્તિ, નામસ્મરણ, પ્રાર્થના, ધર્મ, અહિંસા, બ્રહ્મચર્ય, માનવતા, વાકશુદ્ધિ, આસ્વાદ, સુધ્ધ જીવિકા, શિષ્ટાચાર, સત્ય, મહંમદ પયગંબર, તત્વજ્ઞાન, કર્મ વિપાક વિષયક વિચારોને અત્રે તારવીને તેનું શુદ્ધ ગુજરાતી અત્રે આપવામાં આવેલ છે. જેમ કે શિષ્ટાચાર વિષયક પ્રકરણમાં સભા વ્યવસ્થા અંગે કુરાને શરીફની એક આયાતનું ગુજરાતી કરતા લખવામાં આવ્યું છે,
“હે શ્ર્ધ્ધવાનો ! જયારે તમને કહેવામાં આવે છે કે સભામાં જગ્યા બીજા માટે કરી આપો દો તો જગ્યા કરી આપો. ઈશ્વર તમારા માટે મોકળાશ કરી દેશે, અને જયારે તમને ઉઠવાને માટે કહેવામાં આવે, ત્યારે ઉઠી જાવ. તમારામાંથી જે શ્રધ્ધા રાખે છે તથા જ્ઞાન રાખે છે, પરમાત્મા એમની શ્રેણી ઉચ્ચ કરી દેશે. જે કાંઈ તમે કરો છો, તેનાથી ઈશ્વર જાણકાર છે.”
માનવતા વિષયક પ્રકરણમાં વિશિષ્ટ વાણી મથાળા નીચે લખવામાં આવ્યું છે,
“અને ઈશ્વરે આદમને બધી વસ્તુઓના નામ શીખવી દીધા, પછી એ વસ્તુઓને સન્મુખ પ્રસ્તુત કરી અને કહ્યું, જો તમે સાચા જ્ઞાની હો તો આના નામ બતાવો.”
ટૂંકમાં કુરાને શરીફના અર્કને સરળ ભાષામાં પામવા ઈચ્છતા દરેક માનવીએ આ નાનકડા ગ્રંથનું એકવાર તો આચમન કરવું જ રહ્યું.

No comments:

Post a Comment