Saturday, August 18, 2018

બહુધર્મી સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ


ભારતીય ગણરાજ્ય દક્ષિણ એશિયામાં સ્થિત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત દેશની મૂળભૂત અને આગવી વિશિષ્ટતા તેની સાંસ્કૃતિક વિવિધતા અને સમન્વયમા રહેલ છે. લગભગ ૧૪૦૦ વર્ષોથી ભારતમાં હિંદુ મુસ્લિમ એક સાથે રહે છે. બંને વચ્ચે સામાજિક અને આર્થિક સમન્વય અને સંવાદ યથાવત છે. બંનેની એક બીજાના દુઃખ દર્દો, તહેવારો અને ખુશીઓમા એક સરખી શામીલગીરી રહી છે. આમ છતાં ધર્મના મામલામાં બંને વચ્ચે સમન્વય કે સુઝબુઝનો અભાવ જોવા મળે છે. જો કે બંને ધર્મના વિદ્વાનો અને બુદ્ધિજીવીઓએ પ્રત્યેક યુગમાં એક બીજાની સંસ્કૃતિ અને સભ્યતાને સમજવાનો અને પ્રજાને સમજાવવાનો સતત પ્રયાસ કર્યો છે. તેને ઇતિહાસમાં બહુધર્મી સંવાદ તરીકે ઓળખવામાં આવે છે. આવા બહુધર્મી સંવાદના અનેક ઉદાહરણો ઇતિહાસના પાનાઓ પર આજે પણ જીવંત છે. ભારતમાં હિંદુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે બહુધર્મી સંવાદનો આરંભ મુસ્લિમોના ભારતમાં આગમન સાથે જ થઈ ગયો હતો. જેને બંને ધર્મના ધર્મ ગુરુઓ અને બુધ્ધીજીવોએ સુદ્રઢ કર્યો હતો. બહુધર્મી સંવાદનું સૌ પ્રથમ માધ્યમ મુસ્લિમ પર્યટકો બન્યા. જેમણે ભારત પરિભ્રમણ દરમિયાનના પોતાના અનુભવોને અરબી ભાષામાં રજુ કર્યા. અને અરબ જગત ને ભારતીય ધર્મો અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. એ વૃદ્ધ પર્યટકોમાં બિન શહરયાર, સુલેમાન સૈરાફી મસાઉદ્દીન, અને ઇબ્ને ખરરવાજબા મુખ્ય હતા.
એ સમયે ઇસ્લામી હકુમતનું કેન્દ્ર બગદાદ હતું. ઇસ્લામી ઈતિહાસવિદો અને વિદ્વાનો ભારતના ધર્મો, ઈતિહાસ અને જ્ઞાનને જાણવા ઉત્સુક હતા. એટલે તેઓ ભારતથી આવતા પ્રવાસીઓ પાસેથી અને અન્ય માધ્યમો દ્વારા ભારત અંગેનું જ્ઞાન મેળવતા હતા. કેટલાક મુસ્લિમ ઈતિહાસકારો જેવા કે બલાજરી, યાકૂબી અને મુકીદ્સીના ગ્રંથોમા ભારતના વર્ણનો જોવા મળે છે. રબ્નેનદીમએ પોતાના ગ્રંથ “અલફહીરસ્ત”મા એક આખું પ્રકરણ ભારતના ધર્મો પર લખ્યું છે. એ સમયે બગદાદમા અનેક હિંદુ પંડિતો અને કેટલાક નવ મુસ્લિમો પણ રહેતા હતા. સય્યદ સુલેમાન નદવીએ લખ્યું છે કે એ સમયે બગદાદમા અનેક હુંદુ પંડિતો હતા. તેમાના કેટલાકના નામો ઇતિહાસમાં આજે પણ સુરક્ષિત છે. જેમ કે કનક પંડિત, મનકા પંડિત, અને કપિલરાય. આ પંડિતોમાંના કેટલાકે સંસ્કૃત ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં કર્યા હતા. આ પહેલા આર્યભટ્ટે એક પુસ્તક “બ્રહ્મ સિદ્ધાંત”નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની સહાયથી અરબીમાં કર્યો હતો. આ યુગમાં પણ અનેક પુસ્તકોના અનુવાદ સંસ્કૃતમાંથી અરબીમાં થયા હતા. આવા અનુવાદો અને મૌખિક પરંપરા દ્વારા ભારતીય ધર્મો અંગે જાણકારી અરબીસમાજમાં આધારભૂત રીતે ઉપલબ્ધ થવા પામી હતી. તેનો ખ્યાલ જાહીજ અને અલબેરુનીના ગ્રંથો દ્વારા થાય છે. જેમાં તેમણે ભારતીય ધર્મો પર ઘણો પ્રકાશ પાડ્યો છે.
ભારત વિષે પ્રત્યક્ષ માહિતી ઉપલબ્ધ કરાવવાનો આરંભ અલબેરુનીએ કર્યો હતો. એ લગભગ ૪૦ વર્ષ ભારતમા રહ્યો હતો. તેણે સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું જ્ઞાન તેણે મૂળભૂત સંસ્કૃત હિંદુ ધર્મ ગ્રંથોમાથી મેળવ્યું. તેના આધારે તેણે “તહકીકુલ માહિદ” નામક પુસ્તક લખ્યું. જેમાં તેણે અત્યંત સકારાત્મક રીતે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો પરિચય દુનિયાને કરાવ્યો. એ “ભારતશાસ્ત્ર” (ઇન્ડોલોજી) નો પ્રથમ ગ્રંથ છે, જેણે ભારત વિષે અને ખાસ કરીને હિંદુ ધર્મ વિષે દુનિયાને આધારભૂત માહિતી પૂરી પાડી હતી. આ ગ્રંથમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે ઇસ્લામના અનુયાયીઓને હિંદુ ધર્મને સમજવામાં ક્યાં મુશ્કેલી પડે છે. આ સમય દરમિયાન ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વયનો સેતુ સતત બંધાતો ગયો. સિંધ અને બગદાદમા તો આ વિષય પર ઘણી શાશ્તાર્થ ચર્ચાઓ પર આરંભાઈ હતી.આ જ અરસામાં કુરાનનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ પણ થયો. હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપી, તેમના દ્વારા ઈસ્લામને સમજવાની કોશિશ પણ કરી.
ભારતમાં સલ્તનત યુગ (ઈ.સ. ૧૨૦૬ થી ૧૫૨૬) માં સુફી અને હિંદુ સંતો તથા હિન્દીના કવિઓએ  બંને ધર્મો વચ્ચે સમન્વયના સેતુને જીવંત રાખ્યો હતો. સુફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદને અદ્વેતમના સ્વરૂપમાં રજુ કર્યો. જેમાં હિંદુ સંતોને વેદાંતમાં રજુ થયેલ એકેશ્વરવાદના વિચારની ઝલક દેખાઈ. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલનમા ઇસ્લામ અને હિંદુ ધર્મના  બાહ્ય રીત રીવાજોથી અલગ એક એવું વાતાવરણ ઉત્પન કર્યું જેમાં અંતઃકરણના વિવેચન પર વિશેષ ભાર આપવામાં આવ્યો. પરિણામે હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામંજસ્ય અને સમરસતાનું એવું વાતાવરણ સર્જાયું, જેણે ભારતમા બહુધર્મીય સમાજની રચના કરી. એ માટે જે મહાપુરુષો સહભાગી બન્યા તેમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન, માલિક મુહમદ જાયસી, ગુરુનાનક, સુરદાસ, અને તુલસીદાસનો સમાવેશ કરી શકાય. સૂફી સંતોમાં શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીદુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગેરે પણ આ પારસ્પરિક સંવાદના સુત્રધાર બન્યા હતા અને તેમણે એ યુગના સમાજને એક અદભૂત સૂત્ર આપ્યું.
“હર કૌમ રાસ્ત દિને, રસ્મે વ કીબ્લાહે”  અર્થાત “હર કોમ ને પોતનો એક ધર્મ, રીતરિવાજ અને (કિબલા) ઈબાદતનું સ્થાન હોય છે.”
અમીર ખુસરો જેઓ આ સાંઝી ગંગા જમની સંસ્કૃતિના પ્રારંભિક નાયક હતા, તેમણે બહુધર્મી સંવાદમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ સંદર્ભમા કાશ્મીરના મુસ્લિમ ઋષીઓનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય બની જાય છે. કાશ્મીરમાં સુફી સંતોનો એક મોટો વર્ગ હતો, જેને ઋષીઓ કહેવામાં આવતા હતા, તેઓ હિંદુ અને મુસ્લિમ બંને સમાજોમાં લોકપ્રિય હતા. તેમનો સૌ આદર કરતા હતા. આવા સંતો મુસ્લિમ અને હિંદુઓમા અલગ અલગ નામોથી પ્રસિદ્ધ હતા. જેમ કે સુફી સંત શેખ નુરુદ્દીન હિંદુઓમાં નંદ ઋષિના નામે જાણિતા હતા. આવા ઋષીઓ નમાઝ, રોઝા અને અન્ય ધાર્મિક આદેશોનું પાલન કરતા પણ માંસ ખાતા ન હતા.  

મોગલ યુગ (૧૫૨૬ થી  ૧૭૦૭)મા ધાર્મિક સમરસતા વિસ્તરતી પ્રતીત થાય છે. કારણ કે તેમાં મુસ્લિમ શાશકોએ વિશેષ રૂચી લેવાનો આરંભ કર્યો હતો. મોગલ શાશનના સ્થાપક બાબરે તેના પુત્ર હુમાયુને જે નસીહત આપી હતી, તેમાં તેનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. તે નાસીતોમાં તેને તેના પુત્રને કહ્યું હતું,
“તારા માટે એ જરૂરી છે કે તું તારા દિલમાંથી તમામ ધાર્મિક દ્વેષ દૂર કરી દે. અને દરેક ધર્મના નિયમોને ધ્યાનમાં રાખી ઇન્સાફ કર. તું દેશમાં ગાયની કુરબાની કરવાનું બંધ કર. એ દ્વારા જ તું હિંદુઓના દિલ સુધી પહોંચી શકીશ. દેશની પ્રજા તારા એ કૃત્યથી તારી હંમેશા ઋણી રહેશે. જે કોમ શાશકના આદેશોનું પાલન કરે છે તેના ધાર્મિક સ્થાનોની રક્ષા કરવાની તારી પવિત્ર ફરજ છે.”
અબુલ ફઝલએ તેના પુસ્તક “આઈને અકબરી” મા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ લખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરાવ્યા હતા. એ સમયે બંને ધર્મો વચ્ચેના સંવાદની પરંપરાના મુખ્ય સુત્રધાર શેખ અબ્દુલ કુંદદૂસ ગંગોહી, મિર્ઝા મજહર ખાનખાના, મૌલાના ફઝલુરહમાનગંજ મુરાદાબાદી, મૌલના ફઝલુલહસન  હસરત મૌહાની જેવા અનેક વિદ્વાનો હતા. એ પરંપરાને યથાવત રાખવાનો સંઘર્ષ કરનાર આધુનિક યુગમા મૌલના આઝાદ, મૌલાના હુસૈન અહમદ મદની જેવા અનેક વિદ્વાનો હતા. હિંદુ સમાજના અગ્ર સુધારક રાજા રામ મોહન રાયએ “તોહફતુલ મોહિદીન” નામક પુસ્તક લખીને એ બાબત સિદ્ધ કરી હતી કે બધા ધર્મનું મૂળ “તોહીદ” અર્થાત “એકેશ્વરવાદ”મા છે. અને આ માન્યતા દરેક ધર્મમાં સમાન છે. રસપ્રદ બાબત એ છે કે રાજા રામ મોહન રાયે આ પુસ્તક ફારસીમાં લખ્યું હતું અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબીમાં લખી હતી. ઇતિહાસમાં એ તથ્ય હજુ ઉજાગર નથી થયું કે રાજા રામ મોહન રાયએ પ્રારંભિક શિક્ષણ “મદ્રેસા”માં લીધી હતું અને એ પછીનું શિક્ષણ “ગુરુકુલ”મા લીધું હતું. રાજા રામ મોહન રાય પછી બહુધર્મી સંવાદની પરંપરાને આગળ ધપાવવાનું કાર્ય સ્વામી વિવેકાનંદએ કર્યું હતું. તેમણે હિંદુ ધર્મને વિશ્વવ્યાપકતા પ્રદાન કરી અને બહુધર્મી સંવાદને વિશ્વમાં પ્રચલિત કર્યો. તેમણે હિંદુ મુસ્લિમ સબંધોને “વેદાંતી બુદ્ધિ” અને “ઇસ્લામી શરીર” (એન ઇસ્લામિક બોડી વિથ વેદાંતી બ્રેન)વાળા સુંદર ભારતની પરિકલ્પના કરી. તેમણે
યથાર્થવાદિતા અને સહિષ્ણુતાનો પરિચય કરાવતા કહ્યું કે,
“ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે.”
વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલ જેવા મહાનુભાવોએ આ બહુધર્મી સંવાદને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. વિનોબાજીએ “રુહુલ કુરાન” અને પંડિત સુંદરલાલએ
“ગીતા અને કુરાન” પુસ્તકો લખી સમન્વયની પરંપરાને આગળ વધારવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. આધુનિક ભારતમાં બહુધર્મી સંવાદને બે અન્ય મહાનુભાવોએ પણ પોતાના કાર્યો દ્વારા સાકાર કર્યો હતો. એક હતા મહાત્મા ગાંધી અને બીજા જવાહરલાલ નહેરુ. મહાત્મા ગાંધીએ પોતાની પ્રારંભિક આયુમાં કુરાન અને મહંમદ સાહેબ (સ.અ.વ.)નું જીવન ચરિત્ર વાંચ્યા હતા.તેઓ હઝરત મહંમદ સાહેબના જીવનથી અત્યંત પ્રભાવિત હતા.ગાંધીજીએ ભારત     ની તુલના એક વિરાટ સમાજ સાથે કરી હતી, જેમાં વિભિન્ન ધર્માવલંબી રહે છે. અને દરેકને સમાન અધિકાર પ્રાપ્ત છે. ગાંધીજીએ એ જ કારણે ખિલાફત ચળવળમાં ભારતની સામેલગીરીને સંમતિ આપી હતી. જેના કારણે અસહકાર આંદોલનમા સમગ્ર ભારતની એકતાના દર્શન થયા હતા.
બહુધર્મી સંવાદની આ દીર્ઘ પરંપરા આજે પણ યથાવત છે.




                                                                                                

No comments:

Post a Comment