Saturday, December 12, 2009

મને ભારતના વડાપ્રધાન બનાવો

મને ભારતના વડાપ્રધાન બનાવો

ડો. મહેબૂબ દેસાઈ

રાહુલ ગાંધીના વિધાને ખળભળાટ કર્યો છે. અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કરેલ વિધાન " કોઈ પણ લાયક મુસ્લિમ ભારતનો વડાપ્રધાન બની શકે” રાહુલ ગાંધીનું આ વિધાન ભારતના રાજકારણની અસલ તાસીર વ્યક્ત કરે છે. એ તાસીરના પ્રવાહોથી ભારતનો મુસ્લિમ અજાણ છે, તેમ કહેવું ખોટું છે. મુસ્લિમ નેતાગીરીમાં આવતી જતી ઓટથી કોણ અપરિચિત છે ? ભારતના ૧૩ ટકા મુસ્લિમ સમુદાયનું લોકસભા અને વિધાનસભામાં ઘટતું જતું પ્રતીનીધીત્વ આંકડોઓની ભરમાર વગર પણ જોઈ શકાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૩૪ મુસ્લિમો ચૂંટાય આવ્યા હતા. આ વખતે તેની સંખ્યામાં ઘટાડો થયો છે. માત્ર ૨૮ સભ્યો મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ નેતાઓ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. કોંગ્રસમાં ગુજરાતના અહેમદ પટેલ ,ગુલામનબી આઝાદ અને સલમાન ખુરશીદ જાણીતા નામો છે. ભાજપમાં તો મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક જ નથી, એવો અહેસાસ ભારતનો દરેક મુસ્લિમ અનુભવે છે. આ માટે કેટલાક કારણો જવાબદાર છે.

૧. રાજકારણમાં ધર્મનો વધતો જતો પ્રભાવ
૨. મુસ્લિમ સમાજની રાજકારણ પ્રત્યેની ઉદાસીનતા છે.
૩. મુસ્લિમ સમાજની આંતરિક જૂથબંધી.
૪. મુસ્લિમ મતદાર વિસ્તારોનું થયલું વિભાજન

આ તમામ કારણોએ મુસ્લિમ નેતાગીરીને રૂંધી નાખી છે. આવા સંજોગોમાં મુસ્લિમ નેતાગીરીને આગળ આવવાની તક નહીંવત બની ગઈ છે. એવા સમયે ભારતના વડાપ્રધાન પદ માટે લાયક મુસ્લિમની વાત ઉચ્ચારવી એ ઝાંઝવાના જળ સમાન છે.આમ છંતા આપણા નેતાઓની ઉદારતા માટે માન થાય છે. બાળ ઠાકરે સાહેબ મુસ્લિમ વડા પ્રધાન બનાવવા તૈયાર છે. પણ રાહુલ ગાંધી જેવીજ લાયક ઉમેદવાર માટે ત્રણ શરતો મુકે છે.

૧. રામ જન્મ ભૂમિ પર મંદિર બનાવે
૨. વન્દેમાતરમ ગીતનો સ્વીકાર કરે
૩. સમાન સિવિલ કોડનો સ્વીકાર કરે.

આ ત્રણે શરતોનો સ્વીકાર કરનાર મુસ્લિમને ઠાકરે સાહેબ વડાપ્રધાન બનાવવા તૈયાર છે. હું તેમની એ ત્રણે શરતો સ્વીકારવા તૈયાર છું. રાહુલ ગાંધીની શરત મુજબ શિક્ષિત મુસ્લિમ તરીકે ભારતના વડાપ્રધાન થવાની લાયકાત હું ધરાવું છું. ઠાકરે સાહેબની ત્રણે શરતો મને માન્ય છે. કારણકે આ શરતો સ્વીકારવાથી ભારતનો શિક્ષિત મુસ્લિમ વડાપ્રધાન બની સકતો હોઈ તો પણ સોદો ઘણો સસ્તો છે.આજે જે રીતે મુસ્લિમ નેતાગીર અલોપ થઈ રહી છે, એ જોતા આટલી શરતોએ મુસ્લિમ નેતાગીરીને પાંગરવાની તક કઈ નાની સુની વાત નથી. રામ મંદિર બનાવવના મુદ્દે શિક્ષિત મુસ્લિમોનું વલણ હંમેશ હકારાત્મક રહ્યું છે.રામ મંદિરના હોબાળ સમયેજ મુસ્લિમોએ વારંવાર કહ્યું છે, મંદિર બનાવી વાતનો તંત મુકો. પણ મંદિરના સર્જન કરતા તેના વિવાદમાં રાજકારણીઓને વધુ રસ રહ્યો છે. જયારે વન્દેમાતરમના ફતવા સામે શિક્ષિત મુસ્લીમોના બહોળા હકારાત્મક પ્રતિભાવો હાલમાંજ આપણે જાણ્યા છે. સમાન સિવિલ કોડનો મુદ્દોતો હિંદુ અને મુસ્લિમ બંને પ્રજાને લાગુ પડે છે. હિંદુ કોડ અને મુસ્લિમ કોડના વિલીનીકરણ પછી જ સમાન સિવિલ કોડની રચના થશે.એ માટે માત્ર મુસ્લિમોએ જ ચિંતિત થવાની જરૂર નથી.

એક શિક્ષિત મુસ્લિમ તરીકે હું બંને નેતાઓને અપીલ કરું છું કે મને ભારતનો વડા પ્રધાન બનવો. કારણકે બન્ને નેતાઓની શરતોનું તહેદિલથઈ હું પાલન કરીશ.વાચકોને મારી દરખાસ્ત હસ્યાસ્પદ જરૂર લાગશે. પણ એમાં લગાડવાની જરૂર નથી. એ તો છે જ . પણ લોકશાહી રાષ્ટ્રમાં વડા પ્રધાન પદ માટેની શરતો લઘુમતી સમુદાય માટે મુકાય એ વાત પણ એટલી જ હાસ્યાસ્પદ લાગે છે. વળી, એ માટે એવા લઘુમતી સમાજની પસંદગી થાય કે જેની નેતાગીરી દિનપ્રતિદિન ક્ષીણ થતી જાય છે. એ સાચ્ચે જ દુ:ખદ બાબત છે. આજે મુસ્લિમ સમાજની નેતાગીરીને નવો ઓપ આપી, રાજકારણના હાંસિયામાં મુકાય ગયેલા મુસ્લિમ સમાજને લોકશાહીમાં પ્રતીનીધીત્વ આપવાની દેરક પક્ષની ફરજ છે. પણ એ ફરજ પ્રત્યે સભાનતા કેળવવાને બદલે મુસ્લિમોને લોકશાહીમાં શરતી વડા પ્રધાન બનાવવાની તરંગી વાતો કેટલી બંધારણીય ગણાય, એ મુદ્દો વિચારણા માંગી લે તેવો છે.

Monday, December 7, 2009

vandematram : Comments

આસ્લમુઅલ્યકા
સુવાસ અને આરીફની વાત સાથે સંમત છું. મેં આખું ગીત વાંચ્યું છે. અને તેનો ભાવાર્થ પણ જોયો છે.
પણ કોઈ ગીત ગાવા માત્રથી મારું ઈમાન ડગીજાય તેટલું નબળું નથી.અને કોઈ મુસ્લિમનું પણ ન હોવું
જોઈએ. કારણકે ઈમાન ઇસ્લામની નીવ છે.
વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ જાણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે

ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંત કમાલ : ડૉ. મહેબૂબ દેસાઈ


સંત શિરોમણી કમાલ

ડો. મહેબૂબ દેસાઈ


કબીરનો પુત્ર કમાલ પણ કબીરના માર્ગે ચાલ્યો હતો.બલ્કે કબીર કરતા બે કદમ આગળ હતો.
ઓશો કહે છે,
" કબીર સાધુ હતા, તો કમાલ સંત હતા."
સાધુ અને સંત વચ્ચેનો ભેદ પાતળો છે. પણ પામવા જેવો છે. સાધુ સંસારથી પર નથી. તે તેનો મૂળ ધર્મનો પાલક છે.સાધુ દિવસભર ધર્મકાર્યમાં રત રહે છે. પણ રાત્રે વિવશ થઈ જાય છે. સંત દિવસ રાત ઈશ્વર-ખુદાની યાદમાં લીન રહે છે.અલબત્ત કબીરની સાધુતા પરમ હતી.સંતને પણ શરમાવે તેવી હતી.એકવાર કાશી નરેશે કબીરને કહ્યું,
" કમાલને સમજવો મુશ્કેલ છે. ક્યારેક તો તે આમ ઇન્સાન જેમ વર્તે છે "
" આવું તમને કેવી રીતે લાગ્યું ?"
કાશી નરેશ કહ્યું,
“એક દિવસ હું એક બહુમુલ્ય હીરો લઇને તેમની પાસે ગયો. અને તેમને આપ્યો. તેમણે તે સ્વીકારી લીધો અને મને ઝૂંપડીની છતમાં મૂકી દેવા કહ્યું"
થોડીવાર મૌન રહી કાશી નરેશ બોલ્યા,
" ચોક્કસ એ હીરો બજારમાં વેચાઈ ગયો હશે "
કબીર તેમની વાત સાંભળી રહ્યા.પછી કાશી નરેશની સામે જોઈ બોલ્યા,
"તમે એક વાર જઈને તપાસ તો કરો કે હીરાનું શું થયું ?"
કાશી નરેશ કમાલ પાસે પહીંચી ગયા અને પૂછ્યું,
"પેલો હીરો મેં આપની ઝુપંડીની છતમાં ખોસ્યો હતો તે ક્યાં છે ?"
કમાલ કાશી નરેશનો પ્રશ્ન સંભાળી મલકાય પછી બોલ્યા,
"તે ઝૂંપડીની છતમાં જ્યાં ખોસ્યો હતો ત્યાં જોઈ લે "
અને કાશી નરેશે જ્યાં હીરો ખોસ્યો હતો તે જગ્યાએ હાથ નાખ્યો. હીરો ત્યાં જ હતો. અચરજ નજરે તેઓ કમાલને જોઈ રહ્યા.પણ કમાલે બંધ આંખે જ કહ્યું,

“મેં તને પહેલા જ કહ્યું હતું, આ પથ્થરને ઊંચકીને અહીં શું કામ લાવ્યો છે? અને લાવ્યો છે તો ઊંચકીને પાછો લઈ જવાની જહેમત શું કામ કરે છે ? અહિયાં જ ક્યાંક ઝુંપડીની છતમાં ખોસી દે. પથ્થર ગમે ત્યાં પડ્યો રહે શો ફેર પડે છે."

અને પુનઃ સંત કમાલ ખુદા-ઈશ્વરની યાદમાં લીન થઈ ગયા.

Tuesday, November 24, 2009

Gujrati Bhashanu gaurav : Prof.Mehboob Desai

સવાયા ગુજરાતીઓને કોટી કોટી વંદન.
પ્રોફ.મહેબૂબ દેસાઈ

યુનેસ્કોના શૈક્ષણિક અહેવાલમાં નોધ્યું છે,
" શિક્ષણના મૂળમાં પોતાની સંસ્કૃતિ અને ભાષા અનિવાર્ય છે."
અને એટલેજ આપણી સંસ્કૃતિ જેમજ ભાષાનો પ્રચાર- પ્રસાર અને જાળવણી અત્યંત જરૂરી છે. હેરીટેજની જેમજ આપણી માતૃભાષાને પણ સંભાળવાની,જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ ફરજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ, કવિઓ -લેખકો તો બરાબર બજાવે છે જ . પણ ગુજરાત બહાર વસતા અને અને આજે પણ ગુજરાતી ભાષાનું સતત સંવનન કરતા ગુજરાતીઓ કાકાસાહેબ કાલેલકર જેટલા સવાયા ગુજરાતીઓ છે. આજે એવા થોડાક ગુજરાતીઓની વાત કરવી છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્યની કેડીને રાજમાર્ગ બનાવનાર કેટલાંક વિરલાઓમાં યાકુબ ઉમરજી મંકનું નામ કેમ વિસરાય ? અલબત તેમનું અસલ નામ સરહદોના સીમાડાઓ ઓળંગી શક્યું નથી.પણ તેમનું 'મહેક' ટંકારવી નામ ગુજરાત, બ્રિટન, કેનેડા અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સોં તેને ઓળખે છે. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાનો પ્રારંભ ૧૯૬૬મા થયો હતો. તેનો આરંભ કરનાર 'મહેક' ટંકારવી હતા.એ ઐતિહાસિક તથ્ય ગુજરાતી સાહિત્યનો બ્રિટનમાં ઈતિહાસ લખાશે ત્યારે અચૂક નોધવું પડશે.

“જીવનનું ચિત્ર એ રીતે સજાવીએ આવો
અસલ જે રંગ છે તેને લગાવીએ આવો”

બ્રિટનના મુશાયરોમાં સૂફીરંગની ગઝલોને તરન્નુમમાં રજુ કરી મુશાયરાને લુંટતા 'મહેક' ટંકારવી ગુજરાતી રાયટર ગીલ્ડ (યુ.કે.)ના સ્થાપક છે. બોલ્ટન યુ.કે.ના જુદા જુદા ભાગોમાં મુશાયરોનું આયોજન અને સંચાલન સાથે ગુજરાતી ગઝલકારોને સુલભ અને સાચું માર્ગદર્શન પૂરું પાડનાર 'મહેક' ટંકારવીએ ગુજરાતી ભાષાને બ્રિટનમાં જીવંત અને સમૃદ્ધ રાખી છે.
યુ.કે.માં જ એક અન્ય ભડવીર ગુજરાતી સમાધી લગાવી બેઠા છે. એનું નામ છે વિપૂલ કલ્યાણી.તેઓ વર્ષોથી "ઓપિનિયન" નામનું ગુજરાતી બૌદ્ધિક માસિક ચલાવે છે. બ્રિટન અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં "ઓપિનિયન" કાફી લોકપ્રિય છે. ગુજરાતના

જાણીતા-માનીતા અનેક લેખકોના લેખોથી "ઓપિનિયન"દર માસે દુલ્હનની જેમ સજીધજીને દુનિયાના ગુજરાતીઓના હાથોમાં રમે છે. " ઓપિનિયન"નાં ફેબ્રુઆરી ૨૦૦૪ના અંકમાં પ્રવીણ શેઠ તેમના લેખ " ગુજરાત અને ગુજરાતવંશી વચ્ચે 'સિનર્જી'નો અનુબંધ"માં લખે છે,

“જહાં જહાં વસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ
જહાં જહાં મસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ "

ખાદીનો સફેદ કફની- લેંઘો, ખભા પર બગલ થેલો અને હંમેશા મુર્દું સ્વરે વાતનો આરંભ કરતા વિપૂલભાઈ કલ્યાણી "ઓપિનિયન" ના પિતા તરીકે સવાયા ગુજરાતીની હરોળમાં બેઠા છે.

એક ઓર યુ.કે.નિવાસી છે જે ગુજરાતી ભાષાને શણગારવામાં અતિ વ્યસ્ત છે. જેમનું નામ છે દીપક બારડોલીકર. આમતો પાકિસ્તનથી હિજરત કરી યું.કે.પહોંચેલા દીપક બારડોલીકર અચ્છા શાયર અને ઉમદા ઇન્સાન છે. પણ એથી વિશેષ ગુજરાતી ભાષાના પ્રખર હિમાયતી છે. પાકિસ્તાનમાં રહેવા છતાં ગુજરાતી હોવાનો ગર્વ તેમના લખાણોમાં વારંવાર નીતર્યા કરે છે. તેમનીગુજરાતી ગઝલોમાં ઈશ્ક- કે- અકીકીના ઘાટા વિચારો વ્યક્ત થાય છે.

“નિરંતર ખુશી છે, નથી કોઈ ગમ
છે તારી કરમ મૌલા તારી કરમ

નથી અમને નિસ્બત કોઈ વાદથી
નબીનો ધરમ એ અમારો ધરમ

ચલો બેસી જઈએ હરમ છાંયમાં
સફળ થઈ જશે આપણો આ
જનમ”

ગુગલમાં "બાગે વફા" અને "બઝ્મે વફા" લખી સર્ચ કરો એટલે બે સુંદર ગુજરાતી વેબ સાઈડ નજરે પડશે. એ વેબ સાઈડના સર્જક છે મુહમ્મદઅલી યુસુફ ભૈડું. તખલ્લુસ છે "વફા".ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોની રચનાઓને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વ સમક્ષ મુકવાની નેમ લઈને ચાલતા "વફા" સાહેબ ઉમદા ઇન્સાન અને ઉત્તમકોટીના શાયર છે.


"હમ કુછ ભી નહીં ફિરભી હમારે હોનેકા હૈ વાહેમાં
વક્ત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન”

જિંદગીની આવી સચ્ચાઈને પોતાની કલમ દ્વારા સાકાર કરનાર વફા સાહેબે ગુજરાતી અને ઉર્દુમાં ૬૦૦ જેટલી ગઝલો રચી છે. છેક અપ્રિલ ૨૦૦૬થી તેઓ "બાગે વફા" નામક બ્લોગ ચલાવે છે. "બઝ્મે વફા"માં ગદ્ય અને પદ્ય મળીને કુલ ૧૦૮૦ જેટલી ગુજરાતી રચનાઓ
વિશ્વના ગુજરાતીઓ માટે સંગ્રાહેલી છે. આજના ઇન્ટરનેટ યુગમાં ગુજરાતી ભાષાને આમ ગુજરાતી સુધી પહોંચાડવાના "વફા" સાહેબના આવા પ્રયાસો તેમને પણ સવાયા ગુજરાતી બનાવી દે છે. કેનેડાની ધરતી પર "વફા" સાહેબ સાથેજ ગુજરાતી ભાષાની કેડીને શણગારનાર એક અન્ય સર્જક છે જય ગજ્જર. નવ નવલકથા અને બે નવલિકા સંગ્રહ આપનાર જય ગજ્જરનો એક પગ ગુજરાતમાં,તો એક પગ કેનેડામાં હોઈ છે.અને એટલેજ ગુજરાતના સામાયિકો તેમની કલમના વરસાદથી ભીંજાતા રહે છે.
બ્રિટનમાં રહેતા આદમ મુસા ધોડીવાલા અર્થાત અદમ ટંકારવીનું ગુજરાતી સાહિત્યમાં-ગઝલમાં પ્રદાન અજાણ્યું નથી. ૧૯૯૧થી યુ.કે.માં વસેલા સૂફીસંત સમા અદમ ટંકારવીની ગઝલોમાં સરળ શબ્દોની ગુથણીમાં જીવનનો ગુઢાર્થ છુપાયેલો હોઈ છે.

"એક તારું નામ લખતા આવડ્યું,
તે પછી તો સ્લેટ કોરી રહી”

બ્રિટેનમાં ૧૯૭૦થી કવિ મંડળની સ્થાપના કરનાર જનાબ અહમદ ગુલની ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી બ્રિટનના અંગ્રેજી કવિઓનું ધ્યાન દોરનાર અદમ ટંકારવીને તેમના પુસ્તક " ગઝલની ચોપડી " માટે અકાદમીનું બીજું ઇનામ પ્રાપ્ત થયેલ છે.

ગુજરાતી ભાષાને વિદેશની ધરતીપર સજાવનાર-શણગારનાર આવા અનેક જાણીતા - અજાણ્યા સવાયા ગુજરાતીઓની યાદી ઘણી લાંબી છે. એવા સવાયા ગુજરાતીઓના પ્રતિક તરીકે સ્મૃતિમાં આણેલ આ અને આવા સૌ સવાયા ગુજરાતીઓને સમગ્ર ગુજરાત વતી કોટી કોટી વંદન.

(ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી અધિવેશન નવસારીના આંગણે ડીસેમ્બર ૨૦૦૯મા મળી રહ્યું છે. એ પ્રસંગે પ્રસિદ્ધ થનાર પુસ્તક માટે લખાયેલ લેખ.)