૨૦૧૧ના મધ્યમાં ત્રણેક માસ
માટે હું મારા પુત્ર જાહીદને ત્યાં તજમાનીયા રાજ્યના હોબર્ટ શહેરમાં (ઓસ્ટ્રેલિયા) ગયો હતો. હોબર્ટ એક ટાપુ છે. ચારે બાજુ દરિયા કિનારો અને
વચ્ચે નાનકડું શહેર હોબર્ટ આવેલું છે. ત્યાંની મારી પ્રવૃત્તિ પણ નિશ્ચિત થઈ ગઈ
છે. કારણ કે અત્રે મારે અવારનવાર આવવાનું બને છે. સવારે બંને પૌત્રોને અને પુત્રને
કારમાં અનુક્રમે સ્કૂલે અને બસ સ્ટેન્ડ મૂકી દઉં. પછી સવારનો નાસ્તો કરી ગાડી લઈ
બીચ પર ચાલવા નીકળી પડું. હોબર્ટનો દરિયા કિનારો દુનિયાના સુંદર અને સ્વચ્છ
બીચોમાંનો એક છે. આ સાથે દિવ્ય ભાસ્કર ની કૉલમ “રાહે રોશન” અને ફૂલછાબ ની કૉલમ
“સૂફીકથાઓ” નું લેખન પણ ચાલતું હોય. આવા શાંત વાતાવરણમાં એક દિવસ મને અનાયાસે મુખ્ય
મંત્રી શ્રી નરેન્દ્રભાઈને ઈમેલ કરવાની ઈચ્છા થઈ આવી. અને તેમનું ઈમેલ અડ્રેસ ગૂગલ
પરથી મેળવી, મે તેમને એક મેઈલ કર્યો. જેમાં મે લખ્યું,
“સૌ નો સાથ સૌ નો વિકાસ
સૂત્ર મને ખૂબ ગમ્યું છે. આપની સદભાવના યાત્રા પણ ગુજરાતમાં કોમી એખલાસ સ્થાપવામાં
જરૂર સહભાગી બનશે. આવા વિકસતા ગુજરાતના પરિશ્રમિત નાગરિકો સાચ્ચે જ સન્માનને પાત્ર છે.”
ગુજરાતના મુખ્ય મંત્રી પાસે
આવા તો ઘણાં મેઇલો આવતા હોય. એટલે તેના જવાબની અપેક્ષા
અસ્થાને જ હોય. મેઈલ કરી હું વિસરી ગયો. પણ મારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ તેમના
કાર્યાલયમાંથી જવાબ આવ્યો. “મુખ્ય મંત્રી શ્રી આપની વાત સાથે સહમત છે.” અને એ દિવસે
હોબર્ટમાં નિવાસ કરતાં એક ગુજરાતના અધ્યાપકને
ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેના માનમાં અભિવૃધ્ધિ થઈ. લગભગ ત્રણેક માસ પછી હું ભારત
પરત આવ્યો. અને મારા યુનિવર્સિટીના કાર્યોમાં પરોવાઈ ગયો.
થોડા માસ પછી બપોરની
ટપાલમાં મને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તરફથી એક પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું,
“આપનો સવિસ્તર બાયોડેટા
સવેળા મોકલશો”
આવા પત્રો યુનિવર્સિટીના
અધ્યાપકોને અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ સરકારી કમિટીમાં નામ મૂકવા અંગે, તો
ક્યારેક સરકારી કોલેજોમાં નિયુક્તિ પ્રક્રિયામાં સહભાગી બનાવવા. એટલે લાંબુ ન
વિચારતા મે મારો વિગતવાર પરિચય મોકલી આપ્યો. એકાદ માસ પછી ગુજરાત સરકાર તરફથી મારા
પર ફોન આવ્યો. ફોનમાં જણાવ્યું આવ્યું કે,
“રાષ્ટ્રના ૬૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભાવનગર મુકામે થનાર છે. એ
દિવસે ગુજરાતના ૧૨ મહાનુભાવોનું ગુજરાતના રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલ અને મુખ્ય
મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરવામાં આવનાર છે. તેમાં આપના નામની
પસંદગી ગુજરાત સરકારે કરેલ છે. આપ આપની સંમતિ સવેળા મોકલી આપશો. જેથી આગળની
કાર્યવહી આરંભી શકાય.”
ફોન પર સચિવ કક્ષા કોઈ
અધિકારીએ મને ઉપરોક્ત માહિતી આપી અને સાથે મને અભિનંદન પણ પાઠવ્યા. આ સમાચારે મને
સાચ્ચે જ આનંદિત કરી મક્યો. જો કે એમા મને નરેન્દ્રભાઈની મારાં પ્રત્યેની સ્નેહ
ભરી લાગણી દેખાઈ. મે લેખિતમાં તુરત મારી સંમતિ મોકલી આપી. સંમતિ મળ્યે, સમારંભ
સંદર્ભે મને એક પછી એક સૂચનો સરકાર શ્રી તરફથી મળવા લાગી.
“સમારંભમાં આપ સાથે કેટલા
મહેમાનો આવશે તે જણાવશો.”
“સમારંભમાં આપ જે કારમાં આવવાના
હોય તેનો નંબર મોકલશો.”
“આપની સાથે આવનાર
મહેમાનોના નામ અને તેમના વાહનના નંબર જણાવશો.’
“આપના આગમનનો સમય જણાવશો.”
મે આ તમામ વિગતો તુરંત
મોકલી આપી.
મારી પાસે એ સમયે એક માત્ર
ક્રીમ કલરનો સૂટ હતો. મે સમારંભમાં તે પહેરવાનું નક્કી કર્યું. સૂટ મે વોર્ડરોબમાંથી કાઢ્યો. અને તે પહેરી
જોયો. સમયના સથવારે પેન્ટ કમરેથી ટાઈટ થઈ ગઈ હતી. સ્તવરે મારા દરજી પ્રવીણભાઈને
ત્યાં પહોંચી ગયો. અને તેમને યુધ્ધના ધોરણે પેન્ટ પહેરવા યોગ્ય કરી આપવા વિનંતી
કરી. પ્રવીણભાઈ મારા જૂના અને અંગત મિત્ર છે. તેમણે તુરત માપ લઈ પેન્ટ પહેરવા લાયક
કરી આપી. આમ સન્માન સમારંભમાં જવાની પૂરતી તૈયારી મે કરી લીધી. ભાવનગરના અન્ય
અગિયાર મહાનુભાવોમાં યોગ નિષ્ણાત શ્રી આર જે જાડેજા, જાણીતા સેવક શ્રી માનભાઈ
ભટ્ટ, શ્રી બાબાભાઈ પરીખ, સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને એક સમયના ગુજરાતના મંત્રી
શ્રી પ્રતાપભાઈ શાહ જેવા દિગજજો સાથે એક અદના અધ્યાપક નું સન્માન થવાનું હતું એ
વિચાર જ મારા માટે અંત્યંત ઉતેજના પ્રેરક હતો.
સન્માન કાર્યક્રમ ૨૫
જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગરના જવાહર મેદાનમાં સાંજે ચાર વાગ્યે યોજાયો હતો. એ મારા જીવનનો નોંધપાત્ર દિવસ હતો. એ દિવસે
બરાબર ૩.૩૦ કલાકે હું મારા સમગ્ર કાફલા સાથે જવાહર મેદાન પહોંચ્યો. સ્ટેજ પાછળ વી.
આઈ. પી માટે ખાસ પ્રવેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જરૂરી સુરક્ષાની વિધિ પતાવી
મે શમિયાણામાં પ્રવેશ કર્યો. મારી સાથે મારી પત્ની, પુત્રી, મારી ચારે બહેનો,
તેમના પતિ અને બાળકો, મારા ત્રણે સાળા, તેમની પત્નીઓ બધા જ હતા. મે ધબકતા હદયે
સન્માનિત થનાર મહાનુભાવો માટેની પ્રથમ હરોળની ખુરશી જેની પીઠ પર મારુ નામ લખેલું
હતું, ત્યાં સ્થાન લીધું. મારા સ્વજનોને મારી પાછળ બીજી કે ત્રીજી હરોળસ્થાન
આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર ડિજિટલ અક્ષરો આવતા અને ઓસરાઈ જતાં હતા. એ
અક્ષરોમાં લખ્યું હતું, “ભાવસભર ભાવનગર આપનું સ્વાગત કરે છે.”
જવાહર મેદાનનો શામિયાણો
વીસ પચ્ચીસ હજાર નાગરિકોથી ઉભરાતો હતો. પ્રથમ
હરોળમાં બેઠેલ મહાનુભાવોને સ્થાનિક ધારાસભ્યો શ્રી મહેન્દ્ર મહેતા અને શ્રી સુનિલ
ઓઝા, મંત્રી શ્રી ફકીર વાઘેલા વગેરે અભિનંદન આપવા આવી રહ્યા હતા. સૌ સન્માનિત થનાર
વ્યક્તિઓ ઊભા થઈ અભિનંદન સ્વીકારતા હતા. તેમની સાથે હું પણ ઊભો થઈ હસ્તધૂનન કરી
તેમના અભિનંદન સ્વીકારતો હતો.
થોડીવારે સ્ટેજ પર મુખ્ય
મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ કમલા બેનિવાલનું આગમન થયું. અને સ્ટેજ ધમધમી ઉઠ્યું.
શ્રી નરેન્દ્રભાઈ સાથે ગુજરાતના મંત્રી મંડળના અનેક સભ્યો કદમો મિલાવી રહ્યા હતા.
જેમાં વજુભાઈ વાળા, નીતિનભાઈ પટેલ અને શ્રી ફકિરભાઇ વાઘેલા જેવા અનેક નેતાઓ
દ્રષ્ટિગોચર થતાં હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી કમલા બેનિવાલે સ્ટેજના સોફા
પર સ્થાન લીધું અને કાર્યક્રમનો આરંભ થયો. કાર્યક્રમના આરંભે મુખ્ય મંત્રી
નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર યુનિવર્સિટીનું નવા નામકરણની જાહેરાત કરતાં કહ્યું,
“ઘણા સમયની ભાવનગરની
પ્રજાની માંગને આવકારી ભાવનગર યુનિવર્સિટીને ભાવનગરના લોકપ્રિય મહારાજ શ્રી
કૃષ્ણકુમારસિંહજીના નામે “મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી” નામ
આપવામાં આવે છે.”
એ પછી અન્ય શિષ્ટાચાર પછી સન્માન
સમારંભનો આરંભ થયો. સ્ટેજ પરથી સન્માનિત વ્યક્તિનું નામ બોલતું. એ વ્યક્તિ પાસે
તેમને સ્ટેજ સુધી દોરી જવા સંપૂર્ણ ડ્રેસમાં સજ્જ ચાર સંત્રીઓ ઉપસ્થિત થતાં.
સન્માનિત વ્યક્તિને સંપૂર્ણ ગાર્ડ ઓફ ઑનર સાથે બે સંત્રીઓ તેમની સાથે અને બે
સંત્રીઓ તેમની પાછળ સ્ટેજ સુધી દોરી જતાં. આવા ભવ્ય પ્રોટોકોલ સાથે સન્માન પામનાર
વ્યક્તિ સ્ટેજ પર રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સુધી પહોંચતી. પ્રથમ મુખ્ય મંત્રી
તેમને શાલ ઓઢાડી સન્માનિત કરતાં. એ પછી ગુજરાત રાજ્યના નકશાવાળો મોમેન્ટો તેમને
આપતા. એ પછી રાજ્યપાલ શ્રી તેમને ફ્રેમમાં મઢેલ સન્માન પત્ર એનાયત કરતાં. હું આ
સમગ્ર વિધિ એકગ્રચિત નિહાળી રહ્યો હતો. આવું સન્માન મારા જીવનમાં મને પ્રથમવાર મળી
રહ્યું હતું. પરિણામે હદયના ધબકારામાં વધઘટ સ્વાભાવિક હતી. મારી આવી માનસિક સ્થિતિ
વચ્ચે માઇક પર મારુ નામ બોલાયું.
“ગુજરાતના જાણીતા લેખક,
સંશોધક અને ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડો.
મહેબૂબ દેસાઈ સ્ટેજ પર સન્માન સ્વીકારવા પધારે”
અને ગાર્ડ ઓફ ઑનર સમા ચાર
સંત્રીઓ મારી સામે ઉપસ્થિત થયા. ધબકતા હદયએ હું ઊભો થયો. બંને સંત્રીઓ વચ્ચે મે
સ્ટેજ તરફ કદમો માંડ્યા. મારી પાછળ બે સંત્રીઓ સાથે કેટલાક અધિકારીઓ પણ પણ મને
સન્માન આપવા મારી પાછળ ચાલતા મે અનુભવ્યાં. ધીમા પણ મક્કમ કદમે મે સ્ટેજ પર પ્રવેશ
કર્યો. મુખ્ય મંત્રી નરેન્દભાઈએ મારી સામે આછું સ્મિત કર્યું. તેના ઉત્તરમાં મે પણ
સ્મિત કર્યું. અને હું તેમની પાસે પહોંચી ગયો. સર્વ પ્રથમ નરેન્દ્રભાઈએ મને શાલ
ઓઢાડી. પછી ગુજરાત રાજ્યના નકશા વાળો મોમેન્ટો મને આપ્યો. તેમના હાથમાંથી મોમેન્ટો
સ્વીકારતા સમયે મે ધીમા સ્વરે તેમને કહ્યું,
“आपने तो ज़रे को आफताब बना दिया’ (આપે પ્રકાશના નાનકડા કિરણ ને સુર્ય બનાવી દીધો)
નરેન્દ્રભાઈએ મારી
નમ્રતાનો જવાબ વળતાં મારા કાનમાં કહ્યું,
“મહેબૂબભાઈ આપ સાચ્ચે જ
તેને માટે લાયક છો.”
એ પછી રાજ્યપાલ શ્રી કમલા
બેનિવાલે ફ્રેમમાં મઢેલું પ્રમાણપત્ર મને એનાયત કર્યું.
અને તેમનો આભાર માનતા મે
સ્ટેજ પરથી નીચે ઉતારવા પગલાં માંડ્યા. ત્યારે મારા હાથમાં ત્રણ વસ્તુઓ હતી. જેને
એક સાથે સંભાળવા હું પ્રયત્નશીલ હતો. મારી સ્થિતિને પામી જઈ સ્ટેજના ખૂણામાં ઉભેલા
મારી સાથે આવેલા એક અધિકારી દોડી આવ્યા. અને મારા હાથમાંથી ત્રણે વસ્તુઓ લઈ લીધી.
અને ગાર્ડ ઓફ ઑનર સમા ચારે સંત્રીઓ મને મારી ખુરસી સુધી મૂકી ગયા.
આ આખો પ્રસંગ મારા જીવનનો
વિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે. આજે પણ એ પળોને યાદ કરું છું ત્યારે હું ખુદા કે
ઈશ્વરનો શુક્ર અદા કરતાં હંમેશા મનોમન વદી ઊઠું છું,
“હે ખુદા તે મારી લાયકાત
કરતાં મને ઘણું આપ્યું છે. હું જીવનના અંતિમ શ્વાસ સુધી તારો શુક્રગુજાર રહીશ”
No comments:
Post a Comment