વર્ષો પહેલા “મુકદ્દર કા
સિકંદર” નામની એક ફિલ્મ આવી હતી. જેમાં એક ગીત હતું.
“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા
હૈ યારો
હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”
અહિયાં ખુદાનો મતલબ સર્વ
શક્તિમાન ઈશ્વર-ખુદા છે. કુરાને શરીફમાં “રબ્બીલ આલમીન” શબ્દ વારંવાર વપરાયો છે. તેનો
અર્થ થાય છે “સમગ્ર માનવ જાતનો ખુદા”.
કુરાને શરીફમાં કયાંય “રબ્બીલ મુસ્લિમ” અર્થાત “મુસ્લિમોનો ખુદા” લખ્યું નથી.
આ ગીત અત્રે યાદ આવવાનું પ્રયોજન હાલમાં જ અમદાવાદથી લંડન જઈ
રહેલ વિમાન દુર્ઘટના છે. આ ઘટનામાં પ્રત્યક્ષ રીતે અવસાન પામનાર વિમાનના યાત્રીઓના
આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. અને તેમના સ્વજનોને આ દુ;ખ સહેવાની શક્તિ આપે. આ
યાત્રીઓ ઉપરાંત જે મેડિકલ કોલેજની મેસ પર વિમાન પડ્યું ત્યાંનાં અનેક ભાવિ ડોકટરો
પણ તેનો ભોગ બન્યા છે. પણ એવા કેટલાક ભાવિ
ડોકટરો છે જેનો બચાવ ખુદા અને ઈશ્વરની કૃપાથી થયો છે, તે જયારે જાણીએ છીએ ત્યારે
ખદા કે ઈશ્વરની અપરંપાર શક્તિનો અહેસાસ થયા વગર રહેતો નથી.
આજે એવા જ એક ભાવિ
ડૉક્ટરની વાત કરવી છે. જેનું નામ છે અરમાન પઠાણ. બી. જે. મેડિકલ કોલેજમાં એમ બી.
બી. એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં અરમાનના પિતા ડૉ. અત્તા ઉલ્લાહ ખાન પઠાણ મારા પરમ મિત્ર છે. ભાવનગર યુનિવર્સિટી
હું જ્યારે ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ હતો ત્યારે તેમની નિયુક્તિ
હિન્દી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે થઈ હતી. ઇતિહાસ અને હિન્દી વિભાગ એક જ
બિલ્ડિંગમાં બેસતાં હોય ડૉ. અત્તા ઉલ્લાહ સાથે અવાર નવાર મુલાકાત થતી. સ્વભાવે
સરળ, નિષ્ઠાવાન અને સારા અધ્યાપક તરીકે તેમની છાપ મારા મનમાં ઊડે ઊંડે છે. આજે તો ડૉ. અત્તા ઉલ્લાહ ભાવનગર યુનિવર્સિટીના હિન્દી વિભાગના વડા અને
પ્રોફેસર છે. વળી, તેમના પત્ની અમન મારા પરમ મિત્ર સલીમભાઈ નગોરીના પુત્રી થાય. એ
નાતે અમારો નાતો મિત્ર કરતાં કૌટુંબિક વધુ રહ્યો છે. ભાવનગરમાં મારા નિવાસ દરમિયાન
સમગ્ર કુટુંબ મારે ત્યાં અવારનવાર આવતું. એ સમયે અરમાન તો ઘણો નાનો હતો. છતાં તેની
સાથેનો લગાવ આજે પણ મારી સ્મૃતિમાં છે.
એ જ અરમાન આજે યુવાન થઈ
ગયો છે. અભ્યાસમાં નાનપણથી જ તે તેજસ્વી હતો. 2023 માં તેને બી.જે. મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ
મળી ગયો. આજે તે બી જે મેડિકલ કોલેજ,અમદાવાદમાં એમ બી. બી.
એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હું જ્યારે કેલગારીમાં હતો ત્યારે મારા એક
વિદ્યાર્થી ડૉ. કોમેલ રાજાણીનો મેસેજ આવ્યો,
“સર, ડૉ.અત્તા ઉલ્લાહ ખાન
સાહેબનો પુત્ર જે અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભણે છે તેને પણ વિમાન દુર્ઘટનામાં ઇજા
થઈ છે. અને તે હોસ્પિટલમાં છે.”
સમાચાર જાણી મે તુરંત ડૉ.અત્તા
ઉલ્લાહ ખાનને ફોન લગાડ્યો. પણ કોઈ ઉત્તર સાંપડ્યો નહીં. એટલે મારી ચિંતા વધુ ઘાટી થઈ.
મે વૉટશોપ પર તેમને મેસેજ કર્યો. તેનો પણ કોઈ ઉત્તર ના મળ્યો. કેલગરી થી હું પરત
ટોરેન્ટો આવ્યો ત્યારે મારા વૉટશોપ મેસેજ બોક્ષમાં ડૉ.અત્તા ઉલ્લાહ ખાનનો એક મેસેજ
હતો. જેમાં લખ્યું હતું,
“ખુદાની રહમત થી અરમાન બચી
ગયો છે. પણ ઇજા ઘણી થઈ છે. અમે બંને હાલ હજ યાત્રાએ છીએ. એટલે તેને મળી શકાયું
નથી. પણ તેણે અમને મોકલેલ ઘટનાનો ચિતાર આપની જાણ માટે મોકલું છું. અરમાને મોકલે મેસેજમાં લખ્યું છે,
“બીજા વર્ષની પ્રિલિમ
પરીક્ષા 16 જૂનથી શરૂ થવાની હતી. એટલે કોલેજમાં રીડિંગ
વેકેશન હતું. પરિણામે હોસ્ટેલમાં જ રહીને મે રીડિંગ કરવાનું નક્કી કર્યું. બપોરે
લાઈબ્રેરીથી સીધો જ મેસમાં જમવા ગયો. મેસની બેન્ચ પર બેસી હજુ પહેલો કોળિયો
મોઢામાં મૂકું છું, ત્યાં તો અચાનક મોટો ધડાકો થયો અને મેસની છતનો સ્લેબ મારા માથા
અને પગ પર તૂટી પડ્યો. પથ્થરની બેન્ચ હોવાને કારણે સ્લેબનો મોટો ભાગ એના સહારે
રોકાઈ ગયો. પણ મારા પગો સ્લેબ નીચે દબાયેલા હતા. માથા અને પગમાં ગંભીર ઇજા થઈ હતી.
સ્લેબના કાટમાળમાં ફસાયેલો હોવાથી નીકળી શકાય તેમ ન હતું. લોકો મદદ માટે આવ્યા
ત્યાં તો બીજો ધડાકો થયો અને ગેસ સિલિન્ડર પણ ફાટ્યા. મદદ કરનારા તમામ ડરને લીધે
ભાગી ગયા. એ ક્ષણે તો મોત મને મારી સામે જ લાગ્યું. 15 મિનિટ
પછી વિદ્યાર્થીઓ અને લોકોએ કાટમાળમાંથી મને કાઢ્યો. મારા કપડાં સંપૂર્ણ ફાટી ગયા
હતા. ચાલવાના બિલકુલ હોશ કે શક્તિ ન હતા. ફક્ત ચડ્ડીમાં જ મને સીવિલમાં લઈ જવામાં
આવ્યો. અને મારી સારવાર શરૂ થઈ.”
આ સમગ્ર ઘટનાની વિશિષ્ટ એ
છે કે અરમાનના માથે સ્લેબ તૂટી પડ્યો ત્યારે તેના માતા પિતા અમદાવાદથી કોષો દૂર
મક્કા મદિનામાં પવિત્ર હજ યાત્રા કરી રહ્યા છે. ખુદાના ઘરમાં પોતાના સંતાનો અને
કુટુંબના ભાવિ અને સુરક્ષા માટે ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે તેમને
પોતાના પુત્રના માથે પડેલા સ્લેબની જાણ થયા છે ત્યારે પુત્ર સાથે વાત કરવા, તેની
સાચી માહિતી મેળવવા બંને પતિ પત્ની
બેબાકળા બની ગયા. અને ખુદાને રડમસ ચહેરે પુત્રની સલામતીની દુઆ માંગવા લાગ્યા. ખુદાએ
તેમની દુઆ સાંભળી પણ ખરી. અને એકાદ દિવસ પછી પુત્ર અરમાનનો મક્કામાં વિડીયો કોલ
આવ્યો.
“પપ્પા, મારી ચિંતા ન
કરશો. હવે મારી તબિયત સારી છે. માથામાં ઇજા થઈ છે. પણ ચિંતા જેવુ નથી. હાલ મને ઝાયડસ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં મારી સારવાર સારી રીતે થઈ રહી છે. પપ્પા,
મમ્મીને ફોન આપો મારે તેમની સાથે વાત કરવી છે”
અરમાનની મમ્મી અમન પણ
પુત્રને જોવા અને તેની સાથે વાત કરવા ઉત્સુક હતા. ફોન હાથમાં લેતા જ તે રડી પડ્યા.
અરમાને મમ્મીને શાંત પડતાં કહ્યું,
“મમ્મી, રડ નહીં હું
બિલકુલ સ્વસ્થ છું. પણ એ ઘટના ભુલાઈ તેમ નથી. આજે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જઉ છું.
ત્યારે એ ભયાનક ઘટના મને ધ્રુજવી મૂકે છે. મન માનવા તૈયાર નથી કે મારી સાથે અભ્યાસ
કરતાં મારા મિત્રો હવે હયાત નથી.”
આટલું કહેતા તો અરમાન
મમ્મીની સામે રડી પડે છે. તેની આ વ્યથાએ આટલે દૂર ટોરેન્ટોમાં મને પણ વ્યથિત કરી મૂક્યો
છે. પણ ઘટનાના સુખદ અંતથી મારુ મસ્તક સિજદામાં ઝૂકી જાય છે અને મન પોકારી ઉઠે છે,
“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા
હૈ યારો
હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”
No comments:
Post a Comment