આજકાલ
સફળ ફીલ્મોની રીમેઈકનો જમાનો છે. ફિલ્મની રીમેઈક સમયે મૂળ કથામા સમયને અનુરૂપ
પરિવર્તન કરવામાં આવે છે. અથવા તેના ઉત્તમ દ્રશ્યો કે પ્રસંગોનું પુનરાવર્તન
કરવામાં આવે છે. એ જ રીતે સફળ જીવનની રીમેઈક બનાવવી હોય તો પણ મૂળ કથામા પરિવર્તન
કરવું પડે. અથવા મૂળ કથાની અવિસ્મરણીય પળોને પુનઃ જીવંત કરવી પડે. આ જ વાત
ઇતિહાસની પરિભાષામાં પણ કહી શકાય. ઇતિહાસ અભ્યાસના અનેક હેતુઓમાંનો એક હેતુ એ છે
કે "ભૂતકાળની ભૂલોનું પુનરાવર્ત ન કરવા માટે ઇતિહાસનું શિક્ષણ જરૂરી છે" એ દ્રષ્ટિએ
મારી જિંદગીના ૭૨ વર્ષ મને પુનઃ જીવવા મળે તો મારી ભૂલોનું પુનરાવર્તન ન
કરું અને જીવનની અવિસ્મરણીય પળોનું પુનઃ નિર્માણ
કરું. એ વિચાર આ લેખના કેન્દ્રમાં છે.
મને ગત
જાન્યુઆરી ૨૦૨૫મા ૭૨ પૂર્ણ (જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૩) થયા. ૭૨ વર્ષની મારી
જીવનયાત્રા ખુદાની રહેમતથી અત્યંત સુખરૂપ રહી છે. ભાવનગર મુકામે ૨૮ નવેમ્બર ૨૦૧૨ના
રોજ ઉજવાયેલ મારી ષષ્ઠી પૂર્તિ નિમિત્તે મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું હતું,
"તમારી
સફળતા માટે કોને યશ આપશો?"
મે
કહ્યું હતું,
"અલ્લાહની
અપાર રહેમત(કૃપા) ને"
આ
રહેમત મને ફરી એકવાર ૭૨ વર્ષ જીવવાની તક આપે તો કદાચ ખુદાની રહેમતને હું વધુ સારી
રીતે જીવનના ઉદેશોને સાકાર કરવામાં અમલી બનાવી શકું.
૭૨ વર્ષનો
મારો જીવન કાળ સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા અને ઉત્સાહ-હતાશાથી ભરપુર છે. અનેક ભૂલો અને ઉણપોનું ભાથું
છે. એ ઉણપો અને ભૂલોમાંથી હું ખુબ શીખ્યો છું. અને જીવનમાં પરિવર્તન કરતો
રહ્યો છું. શાયર અકબરઅલી જસદણવાળાના પેલા શેર મુજબ
"મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી
લઉં છું
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું"
પણ જો
હું મારી ઉણપો અને ભૂલોમાંથી સંપૂર્ણ ઉગરી શક્યો હોત, તો કદાચ ખુદા
કે ઈશ્વરની કૃપાથી આજે જ્યાં છું, તેનાથી ઘણો આગળ હોત. જો કે કોઈ પણ માનવ માટે એ શક્ય નથી.
સૌ
પ્રથમ મારે મારી ખુદા-ઈશ્વર પ્રત્યેની આસ્થાની વાત કરવી છે. યુવાવયમા દરેક યુવાનમા
અતિ આત્મ આત્મવિશ્વાસ હોય છે. મારામા પણ હતો. મને બરાબર યાદ છે, મારી યુવાનીમાં
મને મારી પત્ની સાબેરા કહેતી,
"ખુદા-ઈશ્વરને
કયારેક યાદ કરી લો"
ત્યારે
હું ગર્વથી તેને કહેતો
"પરિશ્રમ
નો કોઈ જ વિકલ્પ નથી. ખુદા ને યાદ કરવા કરતા હું વધુ પરિશ્રમ કરવાનું પસંદ
કરીશ"
એ સમયે
મને ખબર ન હતી કે પરિશ્રમ સાથે ખુદા-ઈશ્વરની રહેમત અર્થાત કૃપા માનવી માટે
અનિવાર્ય છે. આ વાત મને ત્યારે સમજાય જયારે એક દિવસ મારી કોલેજના વિદ્વાન આચાર્યએ
એકાએક કશું કારણ દર્શાવ્યા વગર મને નોકરીમાંથી મુક્ત કરી દીધો. મારી નિષ્ઠા, લાયકાત અને
પરિશ્રમ કશું કામ ન આવ્યું. અને શરૂ થઇ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઇન્સાફની જંગ.
ઇન્સાફ માટે મારે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપવી પડી. લગભગ દોઢેક વર્ષના એ
સંઘર્ષ પછી મને વિજય મળ્યો. એ કાનૂની લડત સમયે મારી સાથે માત્ર મારો ખુદા અને મારી
પત્ની સાબેરા જ હતા. પણ એ લડતમાંથી હું ઘણું શીખ્યો.
૧. સૌ
પ્રથમવાર મને ખુદા-ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયો.
૨. લડત
દરમિયાન પણ દુશ્મન સાથે મીઠા સબંધો રાખવાની નિખાલસતા હું શીખ્યો.
૩. અને
સૌથી મોટી બાબત પોતાની જાત ને શ્રેષ્ટ સિદ્ધ કરવાનું ગજબનું ઝનુન એ સંઘર્ષમાથી મને
મળ્યું.
આજે મને મળેલ સિદ્ધિઓમાં એ ઝનુનનો ફાળો મોટો છે. આજે મારા સંઘર્ષના એ દિવસોને પાછું વાળીને જોવું છું ત્યારે મને લાગે છે, જો કદાચ મને મારા વિદ્વાન આચાર્યએ વિના કારણે નોકરીમાંથી મુક્ત કરવાનું અપકૃત્ય ન કર્યું હોત, મારા પીએચ.ડી.ના ગાઈડ ડૉ. આર. જી. પરીખે મારું પીએચ.ડી.દસ વર્ષ સુધી ન અટકાવી રાખ્યું હોત, તો કદાચ હું આટલો ઘડાયો ન હોત. સંઘર્ષના એ દિવસોમાં મને હરિવંશ રાય બચ્ચનની એક કડી હંમેશા યાદ આવતી.
मन का हो तो अच्छा; मन का ना हो, तो ज़्यादा अच्छा
क्यूँकि फिर वो ईश्वर के मन का हो रहा है
જીવનમા
વ્યસ્તતા કોઈ પણ કાર્યરત વ્યક્તિ માટે સ્વાભાવિક છે. મે મારા જીવનમાં વ્યસ્તતા
અનુભવી છે. જોઈ છે. અને તેમાંથી પસાર પણ થયો છું. પ્રારંભના વર્ષોની વ્યસ્તતામા મે
શું ગુમાવ્યું તેનો મને એ સમયે અહેસાસ ન હતો. પણ પછી મને એ વાત સમજાય કે ગમે તેટલી
વ્યસ્તતામા પણ કુટુંબ માટે સમય કાઢવો જરૂરી છે. કારણ કે એ જીવનનું અમુલ્ય ભાથું
છે. એ પછી મે હંમેશા મારા નાનકડા કુટુંબ હું, પત્ની સાબેરા, પુત્ર ઝાહિદ
અને પુત્રી કરિશ્માના અભ્યાસ કે મનોરંજન માટે ગમે તેમ કરીને પણ સમય કાઢવાનું શરુ
કર્યું. મારા પુત્રના અભ્યાસ પાછળ, તેના
વિદેશગનમની તૈયારી પાછળ મે પુરતો સમય આપ્યો છે. મને યાદ છે, મારી પુત્રી
કરિશ્મા ફિલ્મ જોવાની જબરજસ્ત શોખીન. નવી ફિલ્મ દર શુક્રવારે રીલીઝ થાય એટલે અચૂક
તેની સાથે પ્રથમ દિવસે મારે સહ કુટુંબ ફિલ્મ જોવા જવું જ પડે. ઘણીવાર તો હું
ફિલ્મમા સૂઈ જાઉં. પણ થિયેટરના અંધારામાં કરિશ્મા અને સાબેરાના ચહેરા પરની ખુશી
હું બંધ આંખોએ પણ અનુભવી શકતો. એ વર્ષો મને પાછા મળે તો હું વીતી ગયેલી એ પળો પુનઃ
મારા નાનકડા કુટુંબ સાથે જીવવાનું પસંદ કરીશ.
મારો
પુત્ર ઝાહિદ તેના કુટુંબ સાથે હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)મા વસ્યો છે. તેની પત્ની સીમા
મારા કુટુંબમાં દૂધમાં
સાકર ભળે તેમ ભળી ગઈ છે. મારા બંને પૌત્રો ઝેન અને જૈફ સાથે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ
શહેરમાં ગુજારેલ દિવસો મારી જિંદગીના બહેતરીન દિવસો છે. રોજ સવારે મારો પૌત્ર જેફ
મારા રૂમમાં આવી મારુ ઓઢવાનું ખેંચી મને જગાડતા કહે છે,
“Dada, get up its
morning time” તેનું આ એ એક વાક્ય મારા સમગ્ર જીવનની ખુશીનું
કેન્દ્ર બની જાય છે. કારણે કે દાદાનો અંતિમ મિત્ર તેનો પૌત્ર
હોય છે. પૌત્રનો પ્રથમ દોસ્ત તેના દાદા હોય છે. આવા બે મિત્રોની રમત મહેસૂસ કરવાનું
સદભાગ્ય મને સાંપડ્યું છે. એ માટે હું ઈશ્વરનો ઋણી છું. અમારા પિતા પુત્રનો સબંધ
પણ નિરાલો છે. મારો જુદા જુદા દેશોમાં ફરવાનો શોખ ઝાહિદ પોશે છે. અમારા
વચ્ચે વણ નોંધી સમજૂતી છે. એર ટિકિટ હું કાઢું, તો હોટેલનો ખર્ચ તે ઉપાડે, એવું રુણાનુબંધન અમારી વચ્ચે વર્ષોથી ચાલે છે. એકવાર
હોબર્ટમાં મારી સફેદ ફેંચ કટ દાઢીને કાળી કરવા તે મારી પાછળ પડ્યો હતો. અને મને
દોડાવી દોડાવી થકવી નાખ્યો હતો. આજે પણ એ ઘટના પિતા પુત્ર વચ્ચેની મૈત્રીની સાક્ષી
પૂરતી મારા હદયમાં અંકિત છે.
મારી
પુત્રી કરિશ્મા પરણીને કેનેડામાં સ્થાહી થઈ છે. તેના પતિ ફહાદભાઈ અત્યંત સમજદાર
અને વ્યવહારુ ઇન્સાન છે. હાલ દોઢ એક માસથી હું તેમની સાથે જીવનની
સુંદર પળો વિતાવી રહ્યો છે. તેમનો પુત્ર જોહાન પણ રોજ સવારે મારા રૂમમાં આવી ,મારુ
ઓઢવાની ખેંચી મને કહે છે,
“નાનું
બહાર ચલો, સુબહ હો ગઈ.” અને ત્યારે જીવનની સાચી સાર્થકતા અનુભવું છું. બાળકો સાથે
વિતાવેલી આવી પળો હું એકાંતમાં યાદ કરું છું ત્યારે મને ગાલિબનો પેલો
શેર યાદ આવી જાય છે,
“હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે,
બહોત નીકલે મેરે અરમાં લેકિન ફિરભી કમ નિકલે”
જો કે જીવનમાં
એક વસવસો આજે પણ મને સતાવે છે. અને એ છે મારા માતા પિતા સાથેના મારા સબંધો. અલબત્ત
મારા માતા પિતા મને બહુ પ્રેમ કરતા. ચાર બહેનોં વચ્ચે હું એક જ ભાઈ હતો. અર્થાત
મારા માતા પિતાનો એક માત્ર પુત્ર. એટલે બંનેનો અપાર પ્રેમ મને મળ્યો છે. હું પણ
એમને ખુબ પ્રેમ કરતો. પણ એ પ્રેમને અભિવ્યક્ત કરવાની સમજનો મારામાં એ સમયે અભાવ
હતો. મારી મમ્મી અને પપ્પા મારા પીએચ.ડી અર્થે મારી સાથે અડીખમ ઉભા રહ્યા હતા. અને
મારું પીએચ.ડી. તેમણે જ પુરુ કરાવ્યું હતું. મારી નાની મોટી જરૂરિયાત માટે મારા
પિતાજી સાથે મારી મા લડ્તા . મારી પ્રથમ
વિદેશ યાત્રા ઈ. સ ૧૯૮૬માં બેંગકોકમા પતાયા શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય
પરિષદમાં હાજરી અર્થે યોજાય હતી. એ યાત્રામા જતી વખતે મારા પિતાજીએ મને મુઠ્ઠીમા
નોટો વાળીને થોડા રૂપિયા આપેલા હતા. એ ક્ષણ આજે પણ મને યાદ છે. પણ ત્યારે મને તે
નોટોનું મુલ્ય સમજાયું ન હતું. થોડા વર્ષો પછી મને એ ઘટનાનું મુલ્ય સમજાયું. અને
તેના પરિપાક રૂપે મે મારા માતા પિતાના નિકાહના પચ્ચાસ વર્ષની ઉજવણી ભવ્ય રીતે
ધામધુમથી કરી હતી. લગભગ ૩૫૦ માણસોનો ભોજન સમારંભ કર્યો. એ કાર્યક્રમમાં ગુજરાતના
જાણીતા સાક્ષર મા. યશવંત શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ દિવસે મારા મમ્મી અને
ડેડીના ચહેરા પરની ખુશી આજે પણ મને આશીર્વાદ (દુવા) આપતી ભાસે છે. ખુદા મારા ડેડી
અને મમ્મીની સાથે પુનઃ જીવવાની તક મને આપે તો હું ન વ્યક્ત કરી શકેલ મારો બધો
પ્રેમ તેમના પર મન મુકીને વરસાવવા તત્પર છું.
અને
છલ્લે,
૭૨
વર્ષના જીવનમાંથી અડધાથી વધુ વર્ષો શિક્ષણના ક્ષેત્રમાં વિતાવ્યા છે. જો ખુદા- ઈશ્વર
પુનઃ ૭૨ વર્ષ જીવવાની તક આપે તો હું ફરીવાર શિક્ષક-અધ્યાપક જ થવાનું પસંદ કરીશ. જે
મહાન ગુરુઓ અને વિદ્યાર્થીઓ સુધી હું નથી પહોંચી શક્યો તેમના સુધી પહોચી જ્ઞાન
મેળવવાનો અને આપવાનો અધૂરી રહી ગયેલો યજ્ઞ હું પૂરો કરવાનું પસંદ કરીશ. આવી તો ૭૨
વર્ષના જીવનની અનેક પળો કે અધૂરી ઇચ્છાઓ છે. જેમાથી જીવનનો ધબકતો અર્ક પળે પળે
નીતરે છે. પણ તેને યુવાન મિત્રો હિદાયત (ઉપદેશ) કે મારો ખોખલો આદર્શ માનવાની ભૂલ ન
કરે.આ તો અનુભવના એક બે છાંટણા છે. તેના એકાદ બુંદનું આચમન થાય તો કરજો, અન્યથા હું તો
એમ માનું છું કે માનવીની વિદાય સાથે તેના કાર્યો, ઈચ્છાઓ અને યાદો પણ ઓજસ
પાલનપુરીના પેલા શેર જેમ હંમેશા વિસરાઈ જાય છે.
“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ”
અસ્તુ.