Tuesday, November 19, 2019

મહંમદ સાહેબના ઉપદેશક અવતરણો : ડૉ. મહેબૂબ દેસાઈ



 હઝરત મહંમદ સાહેબનો જન્મ ઇસ્લામિક માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨ તારીખે થયો હતો. રબ્બી ઉલ અવ્વલ માસ ૨૮ નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યોં છે. એ સંદર્ભે આજે મહંમદ સાહેબના કેટલાક ઉપદેશક અવતરણો માણીએ. આ ઉપદેશો આજથી સાડા છસો વર્ષ પૂર્વેના છે, છતાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
**
હે લોકો,
તમારી પત્નીઓ પર પ્રેમ રાખો
અને તેમની સાથે દયાભર્યો વર્તાવ રાખો.
ખરેખર, અલ્લાહને વચ્ચે રાખીને તમે તેમને તમારી સાથી બનાવી છે,
અને અલ્લાહના હુકમથી જ તેમનો દેહ
તમારે માટે હલાલ ઠરાવવામાં આવ્યો છે.
ધ્યાન રાખો કે અલ્લાહ તલાકને બુરામાં બુરી વસ્તુ માને છે.
***
અને તમારી સાથે ગમે તેટલી ફોજ હશે
તો પણ તમને કશો લાભ નહિ થાય,
કારણ કે અલ્લાહ ઇમાનવાળાઓ સાથે છે.
***
જેનો વિશ્વાસ જેટલો પાકો
તેટલી તેની વધારે પરીક્ષા
કરવામાં આવે છે.
***
જો કોઈ ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસલમાન  સાથે લગ્ન કરે
તો તે મુસલમાન તેના માર્ગમાં કશી અડચણ નહિ નાખે.
તેને દેવળમાં જતાં, પ્રાર્થના કરતા
કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે નહીં.
***

ખ્રિસ્તીઓનાં દેવળો તેમની પાસેથી
છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.
***

ખ્રિસ્તીઓના કાજીઓ
અને સરદારને બદલવાનો કોઈને હક નથી.
કોઈ તેમને તેમના હોદ્દાઓ પરથી ખસેડી શકશે નહીં.
***
કોઈ પણ સ્થિતિમાં
કપટ કે દગાથી કામ ન લેવું,
અને કદી કોઈ બાળકની
હત્યા ન કરવી.
***
આપણાં દુઃખ આપણા પાપો ધોવા માટે છે.
ખરેખર અલ્લાહ (ઈશ્વર) પર ભરોસો રાખનાર
કોઈ માણસને એક કાંટો વાગે,
તો અલ્લાહ તેની મારફતે તેનો મોભો વધારી દે છે
અને તેનું એક પાપ ધોવાઈ જાય છે.
***
બેશક જે મસ્જિદ(ઇસ્લામની સૌથી પહેલી મસ્જિદ મસ્જિદે કુબા’)નો પાયો પ્રથમ દિવસે જ પરહેઝગારી પર નાંખવામાં આવ્યો છે,
તે ખરેખર યોગ્ય જ છે. આપ તેમાં નમાઝ માટે ઉભા રહો,
આ મસ્જિદમાં એવા નેક પુરુષો આવશે
જેઓ પાક-સાફ (પવિત્ર) રહેવાનું પસંદ કરે છે.
અને અલ્લાહ પણ એવા જ પાક-સાફ રહેનાર બંદાઓને પસંદ કરે છે.
***
ખ્રિસ્તી કોમ સામે
કોઈ હથિયાર નહિ ઉપાડે.
હા, તેમના રક્ષણ માટે
હથિયાર ઉઠાવવાનો મુસ્લિમોનો ધર્મ છે.
***
ખરેખર તમે લોકો
અત્યારે એક એવા જમાનામાં રહો છો
કે તમને જે આદેશ આપવામાં આવે છે,
તેના દસમા ભાગનો પણ જે ભંગ કરશે
તે પાયમાલ થશે.
પરંતુ હવે પછી એવો સમય આવશે
જયારે લોકોમાંથી જે અત્યારના આદેશોના
દસમા ભાગનો પણ અમલ કરશે તેને મુક્તિ મળશે.
***
મારા મૃત્યુ પછી
પાછા સત્ય અને ઇમાન છોડીને
અસત્ય અને ભ્રમોમાં ન ફસાતા,
એટલે કે ઇમાન ખોઈ ના બેસતા
અને ફરીથી એકબીજાના ગળા કાપવા મંડી ન પડતા.
***
ધર્મિષ્ઠ માનવીએ
કદી રેશમી વસ્ત્રો ન પહેરવાં જોઈએ.
***
અલ્લાહે દરેક માનવીને
તેના બાપદાદાની માલમિલકતમાંથી
તેનો હિસ્સો મુકરર કરી આપેલ છે.
એટલે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું
કોઈ વસિયતનામું ખરું માનવામાં નહિ આવે.
***
મારે નથી જોઈતા પૈસા
કે નથી જોઈતું રાજ.
હું તો તમને માત્ર
ખુદાનો સંદેશ સંભળાવવા આવ્યો છું.
જો તમે મારી વાત માનશો
તો આ લોકમાં અને પરલોકમાં
બંનેમાં તમારું ભલું થશે.
***
બૂરાઈનો બદલો
હંમેશા ભલાઈથી આપો.
***
નાનામાં નાના માણસો સાથે
બહુ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું,
નમીને ચાલવું, સૌ પર દયા કરવી,
કોઈ કંઈ બોલ્યું હોય તો તેનો ખાર ન રાખવો,
પોતાની જાત પર કાબૂ રાખવો
અને દિલ મોટું અને હાથ ઉદાર રાખવો.
***
અલ્લાહ
તું જ સૌનો આદિ
અને તું જ સૌનો અંત છે.
તારા સિવાય
કોઈ ઈબાદતને લાયક નથી.
***
હિજરત (પ્રયાણ) એક મહાન ઈબાદત છે.
આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા નથી માંગતો.
ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત
પોતાના જ જાન-માલથી કરવી જોઈએ.
***
સત્ય
સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,
જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.
***
શરમ અને લજ્જા ઇમાન(શ્રદ્ધા)ની
એક શાખા છે.
લોકો, શું તમે સાંભળતા નથી ?
નિઃશંક સાદગી ઇમાનની નિશાની છે.
***
હઝરત ફાતેમા (મહંમદ સાહેબની પુત્રી),
મારા પિતાની નસીહત (શિખામણ) છે
કે બેટા, પતિને કદી સમસ્યાઓથી પજવીશ નહીં.
***
તેઓ જે સદ્‌કાર્યો કરે છે
તેની કદર કરવામાં આવશે.
અલ્લાહ સંયમી લોકોને
સારી રીતે ઓળખે છે.
***
મારા સાથીઓ,
તમારામાંથી કોઈને મેં નુકસાન કર્યું હોય,
તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજુદ છું.
જો તમારામાંથી કોઈનું મારી પાસે કશું લેણું હોય,
તો જે કંઈ આજે મારી પાસે છે તે બધું તમારું છે.
***
હું કહું છું કે
કોઈ માનવી શાંત,
સદાચારી અને બીજાઓના સુખે સુખી રહે છે
તે કયારેય દોજખ (નર્ક)માં જતો નથી.
**-*
જે માનવી
સહદયતાથી વંચિત રહ્યો,
તે વાસ્તવમાં
ભલાઈથી વંચિત રહ્યો.
***
કોઈકે મહંમદ સાહેબને પૂછ્યું,
"ગુનાહ એટલે શું ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"જે કામથી તારા જ્હેન(આત્મા)ને આઘાત લાગે તે
ગુનાહ છે, પાપ છે, તે ન કરીશ".
***
જો તમે લોકોથી બદલો લો
તો બસ એટલો જ લો,
જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય,
પરંતુ જો સબ્ર રાખો
તો તે ખુદાને વધારે પસંદ છે.
***
અલ્લાહ
સૌથી સારો સર્જક છે.
***
તમે પૃથ્વીવાસીઓ પર દયા કરો,
આકાશવાળો (અલ્લાહ)
તમારા પર દયા કરશે.
***
શેતાન
માત્ર એટલું જ ઇરછે છે કે
દારૂ અને જુગાર દ્વારા
તમારી વરચે
દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય.
એ તમને અલ્લાહની યાદ
અને નમાજ (પ્રાર્થના)થી અટકાવે.
શું તમે અટકી જશો?
***
જૂઠ, ચાડીચુગલી,
મિથ્યા આરોપ,
નિંદા વગેરેથી બચો.
લોકોને ખોટા નામથી ન બોલાવો.
***
હે લોકો,
મારો આ સંદેશ
અહીં જે લોકો હાજર નથી
તેમને પણ તમે પહોંચાડજો.
પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે
તે રીતે આ સંદેશો
સમગ્ર માનવસમાજ સુધી પહોંચાડજો.
જેથી તે સુરક્ષિત રહે.

2 comments:

  1. Asslamoalykumn desai saheb hu imtiyaz khatri ,netrang.dist.bharuch thi saheb hu aapno vanchak ane parsansk chhu .hu aapni kolam "RAHE RODHAN" hamesa vanchu chhu.aaje tarikh 28 navember2018 na roj aapno lekh vanchyo ena vishe thodu dhyan dorva mangu ke paygamber saheb na updeso ne 650 varas nahi 1450 varas thya chhe.

    ReplyDelete