ભારતના વડા પ્રધાન શ્રી
નરેન્દ્ર મોદી સાથેનો મારો નાતો એ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારનો છે.
પણ એ સબંધોમાં ક્યારેય મારે રાજકીય નરેન્દ્રભાઈ સાથે મળવાનું થયું નથી. અમે જ્યારે
પણ મળ્યા છીએ ત્યારે એક અધ્યાપક અને એક અદના ઇન્સાન જેમ જ મળ્યા છીએ. તેમની રાજકીય
કારકિર્દી અંગે ન તો કશું લખવાની મારી લાયકાત છે, કે ન રાજકારણ અંગેની મારી એવી
ઊંડી સમજ છે. પણ તેમને એક ઇન્સાન તરીકે જોવાની મળવાની મને ઘણી તકો સાંપડી છે. આજે
એ અંગે થોડી વાત કરવી છે.
અમારી પ્રથમ મુલાકાત અચાનક
અને આશ્ચર્યજનક થઈ હતી. તેઓ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, એ દિવસોમાં ભાવનગર
યુનિવર્સિટીના એક સેમિનાર માટે પ્રવાસન નિગમના ચેરમેન
શ્રી પી કે. લેહરી સાહેબને
મળવા હું અને મારા મિત્ર સંજય બારોટ ગાંધીનગર ગયા હતા. લેહરી સાહેબે સેમિનાર માટે
એક લાખનું અનુદાન યુનિવર્સિટીને આપ્યું. તેનો ચેક લઈ અમે તેમની ચેમ્બર બહાર
નીકળ્યા. સંજય બારોટ બહાર આવતા અચાનક બોલી ઉઠયા,
“દેસાઇ સાહેબ, સેમિનારનું
ઉદ્ઘાટન આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે કરવી એ તો
કેમ ?”
“એ તો ઠીક છે. પણ હું
ક્યારેય તેમને મળ્યો નથી. અને તેમને મળવા અગાઉથી સમય લેવો પડે. વળી, મુખ્યમંત્રીના
કાર્યાલય સુધી પહોંચવા અનેક વિધિ માંથી પસર થવું પડે. એટલે અત્યારે તો એ શક્ય
નથી.”
“ દેસાઇ સાહેબ, હું આપને
મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડી દઉં. પછી તમારે પ્રયાસ કરવો પડે.”
મે કહ્યું , “ઠીક છે,
ચાલો.”
અને સંજય બારોટે એકાદ બે
ફોન કર્યા. અને તેમના પ્રયાસોથી અમે મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ગયા.
મુખ્યમંત્રીના કાર્યાલય બહાર મુલાકાતીઓની મોટી ભીડ હતી. આટલી ભીડમાં મુખ્ય મંત્રી
અમને મુલાકત આપે એવી કોઈ શક્યતા જ ન હતી. છતાં મે મુખ્યમંત્રી કાર્યાલયની પી.એ.
કચેરીમાં મારુ અધ્યાપક તરીકેનું કાર્ડ આપ્યું અને કહ્યું,
“ આપ સાહેબને કાર્ડ પહોંચાડો,
જો સમય આપશે તો અમે રોકાઈશું. અન્યથા જતાં રહીશું.”
કાર્યાલયનાં પી. એ. એક
નજરે મને જોઈ રહ્યા. આટલી મોટી મુલાકાતીઓની ભીડમાં તેમને મારી વાત નવાઈ પમાડે તેવી
લાગી. છતાં કાર્ડ તેમણે સ્વીકારી લીધું અને કહ્યું,
“તમે મુલાકાતીઓની લોબીમાં
બેસો.”
હું અને સંજય બારોટ મુલાકાતીઓઓની
લોબીમાં બેઠા. લગભગ એકાદ કલાક પછી એક પટ્ટાવાળો જોર જોરથી મારા નામનો પોકાર કરતો
મુલાકાતી લોબીમાં આવ્યો. સંજય બારોટ એ સાંભળી બોલી ઉઠયા,
“દેસાઇ સાહેબ, આપના નામની
બૂમ પડી રહી છે.”
મે કહ્યું,
“મિયાંના નામની બૂમ બે વખતે
જ પડે, કયા તો તેને પકડવાનો હોય ,કયા તો તેને પાડવાનો હોય”
અને અમે બંને હસી પડ્યા.
સંજય બારોટ હસતાં હસતાં એ પટ્ટાવાળા પાસે ગયા અને તેમને માહિતી આપતા કહ્યું,
“પ્રોફેસર દેસાઈ ત્યાં
બેઠા છે.”
પટ્ટાવાળો દોડતો મારો પાસે
આવ્યો અને બોલ્યો,
“સાહેબ આપે અહિયાં નથી
બેસવાનું. આપ મારી સાથે ચાલો”
અને તે અમને એક ભવ્ય વી.
આઈ. પી. રૂમમાં દોરી ગયો.
“આપ અહિયાં બેસો. આપ ચા
નાસ્તો કઈ લેશો ?”
મે કહ્યું “ના” તેણે
કહ્યું,
“સાહેબ આપને થોડીવારમાં
બોલાવશે. આપ અહિયાં જ તેમની રાહ જોશો”
વી. આઈ. પી. ખંડમાં અમે
અડધી કલાક સાહેબના બુલાવાના ઇન્તજારમાં બેસી રહ્યા. દરમિયાન ચા, નાસ્તો અને ઠંડા
પીણાં અમારી મહેમાનગતિ માટે આવતા રહ્યા. લગભગ અડધી કલાક પછી સાહેબના પી. એ. ખુદ
અમારી પાસે આવ્યા. અને અમને ખુશખબર આપતા કહયું,
“સાહેબ આપને યાદ કરે છે.”
અમે વી. આઈ. પી સોફા નો
ત્યાગ કરી તુરત સાહેબની ચેમ્બર તરફ કદમો માંડ્યા. દરવાજા પાસે આવી દરવાજો ખોલવા
આગળ વધ્યા ત્યાં તો દરવાજો એકાએક ખૂલ્યો અને ખુદ સાહેબે અમને આવકાર્ય. અને તેઓ
અમને તેમના ટેબલ સુધી દોરી ગયા. અમને બેસવાનું કહી તેઓ તેમની મુખ્યમંત્રીની ચેરમાં
બિરાજ્યા અને બોલ્યા,
“મહેબૂબ ભાઈ, હું તમારા
વિષે બધુ જાણું છું. તમે ધંધુકાના વતની છો. તમારા પિતાજી અને દાદા પોલીસ વિભાગમાં
અધિકારી હતા. તમે છેલ્લા પચ્ચીસેક વર્ષોથી ભાવનગર યુનિવર્સિટીમાં અધ્યાપક છો. સારા
અધ્યાપક છો, સારા લેખક છો. અને નિષ્કલંક કારકિર્દી ધરાવો છો.”
હું તેમને આશ્ચર્ય ચકિત
નજરે તાકી રહ્યો. મારા વિષે આટલી વિસ્તૃત માહિતી એક મુખ્યમંત્રી એકત્રિત કરીને રાખે
એ મારા માટે આનંદની ઘટના હતી. મે કહ્યું,
“નરેન્દ્રભાઈ, મારા વિષે આટલી
વિગતો આપના મુખે સાંભળી મને ચોક્કસ નવાઈ લાગી છે.”
ચહેરા પર સ્મિત પાથરતા તેઓ
બોલ્યા,
“એના માટે આપનો એક લેખ જવાબદાર
છે. આપે ૨૦૦૨ના રમખાણો પછી મારા અંગે એક લેખ લખ્યો હતો. જેનું શીર્ષક હતું “શુક્રિયા,
મૌલાના નરેન્દ્ર મોદી”. એ લેખ મને ગમ્યો હતો.”
મે કહ્યું,
“એ જાણી આનંદ થયો કે મારો એ
લેખ આપને ગમ્યો. વળી, આજે આપે અમને અચાનક મળવાનો સમય ફાળવ્યો તે માટે પણ હું આપનો ખૂબ
ખૂબ આભારી છું. મારી આપને ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી. પણ આમ અચાનક એ ઈચ્છા પૂરી થશે
તેની મને કલ્પના પણ ન હતી.”
“હું પણ એ લેખ વાંચ્યા પછી
આપણે મળવા ઉત્સુક હતો”
“સર, અમે ભાવનગર યુનિવર્સિટીમાં
એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ. એ સેમિનારનું ઉદ્ઘાટન આપના હસ્તે થાય
તેવી અમારી ઈચ્છા છે.”
“મહેબૂબભાઈ, મારા કાર્યક્રમો
અગાઉથી નિર્ધારિત છે. એટલે ઉદ્ઘાટન સમારંભમાં તો નહીં ઉપસ્થિત રહી શકું. પણ શુભેચ્છા
સંદેશ જરૂર મોકલી આપીશ.”
અમો નરેન્દ્રભાઇ સાથે લગભગ
વીસેક મિનિટ બેઠા હઈશું. એ દરમિયાન બે ત્રણવાર તેમના પી. એ.નો ફોન આવી ગયો. બહાર મુલાકાતીઓની
લાંબી કતાર હતી. પણ એ તરફ બિલકુલ ધ્યાન આપ્યા વગર નરેન્દ્રભાઈ ખૂબ નિરાંતે અમારી સાથે
વાતો કરતાં રહ્યા. અંતે મે કહ્યું,
“સર જી આપને મળવા બહાર લાંબી
કરતાં છે. એટલે આપનો વધુ સમય ન લેતા અમને રજા આપો’
અને સસ્મિત નરેન્દ્રભાઈ એ અમને
વિદાય આપી.
અમે ચેમ્બર બહાર નીકળ્યા ત્યારે
એક સંનિષ્ટ નાગરિક મુખ્યમંત્રીનું આવરણ ઉતારીને એક સાધારણ અધ્યાપકને મળ્યાનો અહેસાસ
અમારા હદયમાં ખુશ્બૂ બની મહેકી રહ્યો હતો.
No comments:
Post a Comment