મુખ્યમંત્રી શ્રી
નરેન્દ્રભાઇ મોદી સાથેની મારી બીજી મુલાકાત પણ અત્યંત રોચક હતી. એ દિવસોમાં
નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ગુજરાતમાં સદભાવના યાત્રા દ્વારા કોમી એખલાસ પ્રસરાવવામાં
સક્રિય હતા. ગુજરાતના જુદા જુદા જિલ્લાના મુખ્ય મથકોમાં સદભાવના યાત્રા અને એક
દિવસીય ઉપવાસ સાથે ભવ્ય સમારંભનું આયોજન થતું. આવું જ એક આયોજન ભાવનગર શહેરમાં થઈ
રહ્યું હતું. સદભાવના સમારંભમાં શ્રી નરેન્દભાઈ ખુદ હાજર રહેતા અને વ્યાખ્યાન
આપતા. પણ તેમના વ્યાખ્યાન પૂર્વે સ્થાનિક અગ્રગણીઓ સંબોધન કરતાં. સદભાવના યાત્રાનું
આયોજન ભાવનગર શહેરમાં આરંભયું. તેના ભાગ રૂપે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રીને
એક પાત્ર પાઠવવામા આવ્યો. જેમાં દસ અધ્યાપકોના નામો કલેકટર શ્રી ઝાલાવાડીયા દ્વારા
માંગવામાં આવ્યા. આ અધ્યાપકોમાંથી એકની પસંદગી શ્રી નરેન્દ્રભાઈ પોતાના વ્યાખ્યાન
પૂર્વે વ્યાખ્યાન આપવા માટે કરવાના હતા. ભાવનગર યુનિવર્સિટીના એ સમયના કુલપતિ શ્રી
ડી. આર. કોરાટ હતા. તેમને મારા પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આમ તો તેઓ કોંગ્રેસી હતા.
અને મને નરેન્દ્રભાઈનો મિત્ર માનતા હતા. એટલે યુનિવર્સિટીના દસ અધ્યાપકોમાં તેમણે
મારુ નામ અગ્ર ક્રમે મૂક્યું. મે સાંભળ્યું હતું કે વડોદરામાં આવા જ સદભાવના
કાર્યક્રમમાં એમ.એસ. યુનિના એક અધ્યાપકે વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં કઈંક
નરેન્દ્રભાઈને ન ગમતું બોલવાને કારણે તેમનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવ્યું
હતું. એટલે મારા કુલપતિ શ્રી કોરાટે પણ મારુ નામ અગ્ર મૂકી મને સાચે જ મુશ્કેલીમાં
મૂકવા પ્રયાસ કર્યો હોવાનો ભય મને સતાવી રહ્યો હતો. આમ દસ નામો કલેકટર ઝાલાવાડીયા પાસે
પહોંચી ગયા. તેમણે તે લિસ્ટ મુખ્યમંત્રી શ્રીને મોકલી આપ્યું. એક સાંજે હું મારી
બાલ્કનીમાં નિરાંતે બેઠો હતો અને મારા મોબાઈલની રિંગ વાગી. મે ફોન ઉપડ્યો. સામે થી
અવાજ સંભળાયો,
“હલ્લો, કલેકટર ઝાલાવાડીયા
બોલું છું. મારી વાત પ્રોફેસર મહેબૂબ દેસાઇ સાથે થઈ રહી છે ?”
“જી હું મહેબૂબ દેસાઇ
બોલું છું.
“નમસ્તે દેસાઇ સાહેબ, સોરી
આપને અત્યારે ડિસ્ટર્બ કર્યા.”
“કશો વાંધો નહીં, બોલો ઝાલાવાડીયા
સાહેબ કેમ યાદ કર્યો ?”
“દેસાઇ સાહેબ, મુખ્યમંત્રી
કાર્યાલય તરફથી સદભાવના કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા આપના નામની પસંદગી સાહેબે કરી
છે. તો આપ મને થોડા દિવસમાં આપના વ્યાખ્યાનની સ્ક્રિપ્ટ આપો તો તે સાહેબની મંજૂરી
માટે મોકલી દઉં. સાહેબ સ્ક્રિપ્ટ માન્ય કરે એ મુજબ જ આપે વ્યાખ્યાન આપવાનું
રહેશે.”
હું થોડી પળો કલેકટર શ્રી ઝાલાવાડીયા
સાહેબની વાત સાંભળી રહ્યો. પછી મૌન તોડતા મે કહ્યું,
“ઝાલાવાડીયા સાહેબ હું એક
અધ્યાપક છું. મને વાંચેલું ભાષણ આપતા નથી આવડતું. વિષયને અનુરૂપ એ સમયે મારા મનમાં
જે આવશે તે બોલીશ. એટલે અગાઉથી સ્ક્રિપ્ટ આપવી મારા માટે શક્ય નથી.”
“દેસાઇ સાહેબ, આ તો
પ્રોટોકોલ છે. એમા હું કઈ ન કરી શકું. છતાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી આપની વાત
પહોંચાડી દઇશ”
અને ફોન પૂરો થયો. મે
રાજકીય મંચ પરથી કયારેય વ્યાખ્યાન આપ્યું ન હતું. એટલે મનમાં હતું કે આ બહાને જો
મારુ નામ પડતું મુકાયા તો સારું. પણ મારી ધારણા ખોટી પડી. બે ત્રણ દિવસ પછી પાછો
કલેકટર શ્રી ઝાલાવાડીયા સાહેબનો ફોન આવ્યો,
“ ગુડ મોર્નિંગ દેસાઇ
સાહેબ, કેમ છો ? મજામા ને ?”
“ગુડ મોર્નિંગ સર, મજામાં
છું”
“દેસાઇ સાહેબ, સાહેબે આપની
વાત માન્ય રાખી છે. આપ સદભાવના અંગે જે કઈ બોલવું હોય તે દસેક મિનિટમાં બોલી શકો
છો.”
શ્રી ઝાલાવાડીયા સાહેબની
વાત સાંભળી મને શ્રી નરેન્દ્રભાઈ પ્રત્યેના આદરમાં વૃધ્ધિ થઈ. એમણે મારા પર મુકેલ વિશ્વાસ મને ગમ્યો. મે
કહ્યું,
“જેવી સાહેબની ઈચ્છા. આપ
મને સમય અને સ્થળ જણાવશો ત્યાં હું પહોંચી જઈશ.”
અને એ દિવસ આવી ગયો જ્યારે
ભાવનગર શહેરને દુલ્હન જેમ સજાવવામાં આવ્યું હતું. ચારે બાજુ મુખ્યમંત્રી શ્રીના
આગમનની તૈયારીઓ ધમધોકાર ચાલતી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં લગભગ દસથી પંદર હજાર
નાગરિકો માટેનો શમિયાણો બાંધવામાં આવ્યો હતો. તેના વિશાળ સ્ટેજ ને સુશોભિત કરવાના
આવ્યું હતું. કાર્યક્રમ એકાદ વાગ્યે શરૂ થવાનો હતો. એટલે ૧૨ વાગ્યે હું કાર્યક્રમ
સ્થળે પહોંચી ગયો. પણ મને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચતા ખાસ્સી તકલીફ પડી. ડગલે ને
પગલે સુરક્ષા કર્મીઓએ મારી સધન તપાસ કરી. માંડ માંડ હું સ્ટેજ નજીક પહોંચ્યો. એ
સમયે સ્ટેજ પર કોઈ ન હતું. મારુ આઈ કાર્ડ જરૂરી દસ્તાવેજો તપાસી મને સ્ટેજ પર જવા
દીધો. સ્ટેજ પર ગોઠવાયેલ ખુરસીઓની છેલ્લી હરોળમાં મે સ્થાન લીધું. લગભગ એકાદ કલાક
પછી સ્ટેજ પર હલચલ મચી ગઈ. જાણે કોઈ વિશેષ વ્યક્તિનું આગમન ન થયું હોય. હું સમજી
ગયો. મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યું છે. અનેક સુરક્ષા કર્મીઓ અને નેતાઓ થી
ઘેરાયેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેજ પર આગમન થયું. સ્ટેજ અને
તેની તેની આસપાસ ઉભેલા સર્વે એ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. અને નરેન્દ્રભાઈએ
સ્ટેજની પ્રથમ હરોળમાં મુકેલ સોફા પર સ્થાન લીધું. અને કાર્યક્રમ સંચાલકે માઇક
પરથી જાહેર કર્યું,
“આપણા લાડીલા મુખ્ય મંત્રી
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ પર પધારી ગયા છે. આપણે આપણો કાર્યક્રમ ટૂંક
સમયમાં શરૂ કરીશું.”
નરેન્દ્રભાઈની આસપાસ
ગુજરાતના અગ્ર નેતાઓ બેઠા હતા. અનેક નાગરિકો અને સંસ્થાઓ તેમનું સન્માન કરવા લાઇન
ઊભા હતા. એવા સમયે તેમણે એક કાર્યકર ને પૂછ્યું,
“મહેબૂબ દેસાઇ કયા છે ?”
અને સ્ટેજ પર દોડધામ મચી
ગઈ. કોઈને ખબર ન હતી કે હું સ્ટેજની છેલ્લી હરોળમાં બેઠો છું. પરિણામે કાર્યક્રમ
સંચાલકે માઇક પરથી જાહેર કર્યું,
“પ્રોફેસર મહેબૂબ દેસાઇ
જયાં હોય ત્યાંથી તુરત સ્ટેજ પર આવી જાય”
મે મારી ખુરસી ઉપરથી ઊભા
થઈ હાથ ઊંચો કરી મારી જાણ કરી. અને એક સેવક દોડતો મારી પાસે આવી ચડયો.
“ચાલો, સાહેબ આપને યાદ કરે
છે.”
અને સ્વયંસેવક અને સુરક્ષા
કર્મીઓ મને નરેન્દ્રભાઈ પાસે દોરી ગયા. તેમની પાસે પહોંચી મે પ્રથમ હસ્તધૂનન
કર્યું. પછી તેમણે ઓઢાડવા માટે હાથમાં રાખેલ શાલ તેમને ઓઢાડી તેમનું અભિવાદન
કર્યું. નરેન્દ્રભાઈ હસ્તે ચહેરે મારી લાગણીનો સ્વીકાર કરતાં કહ્યું,
“મહેબૂબ ભાઈ પાછળ કેમ બેઠા
હતા. આગળ આવી જાવ”
મે કહ્યું,
“ સર હું બરાબર છું. આપની હરોળમાં
નેતાઓ જ શોભે”
અને તેઓ પુનઃ હસી પડ્યા.
અને બોલ્યા,
“સ્વામી વિવેકાનંદ જીની
૧૫૦ જન્મજયંતીની મિટિંગનું નિયત્રંણ આપને મળી ગયું ?
“ના જી હજુ તો નથી મળ્યું”
“ સારું હું જોઈ લઇશ”
અમારી વાત ચાલતી હતી ને
કાર્યક્રમ સંચાલકે જાહેર કર્યું,
“હવે “ભાવનગરની પ્રજાના
મૂળભૂત સંસ્કારો” વિષય પર પ્રોફેસર મહેબૂબ દેસાઈ વ્યાખ્યાન આપશે.
જાહેરાત થતાં જ
નરેન્દ્રભાઈની રજા લઈ મે સ્ટેજ પરના
વ્યાખ્યાન ડેસ્ક તરફ કદમો માંડ્યા. પ્રારંભિક સંબોધન બાદ મે કહ્યું,
“આપણી પરંપરા છે કે આપણે
આપણાં મહેમાનનું સ્વાગત કયારેક ફૂલહારથી કરીએ છીએ, તો ક્યારે શબ્દો થી કરીએ છીએ.
હું ભાવનગરના આંગળે પધારેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભાવનગરની પ્રજા,
મારી ભાવનગર યુનિવર્સિટી અને ભાવનગરના મુસ્લિમ સમાજ વતી બે બે શબ્દો દ્વારા તેમનું
સ્વાગત કરીશ,
“કિસને દસ્ક્ત દી દિલ પર
કૌન હૈ
અંદર તો આપ હૈ બહાર કૌન
હૈ”
પછી તો વ્યાખ્યાનમાં
ભાવનગર શહેરના બે સપૂતો પૃથ્વીસિંહ અને રજબઅલી લાખાણી વચ્ચેની સદભાવના સાથે, ભાવનગરના
આંબાચોકમાં આવેલ નારેશ્વરની સંધ્યાની આરતી અને જુમ્મા મસ્જિદના મગરિબની નમાજ સાથે
જ થાય છે, છતાં તેમાં કોઈ કલેશ, કંકાશ કે વિખવાદ નથી થયો, તેની વિગતે મે વાત કરી.
વ્યાખ્યાનના અંતે શ્રી નરેન્દ્રભાઈની એ સમયની રાજકીય અને માનસિક પરિસ્થિતિઓનો
ચિતાર આપતા રાહત ઈંદોરીઓની એક ગઝલને ટાંકતા મે કહયું,
“ लोग हर मोड़ पे रुक रुक के सँभलते क्यूँ हैं
इतना डरते हैं तो फिर घर से निकलते क्यूँ हैं
नींद से मेरा तअल्लुक़ ही नहीं बरसों से
ख़्वाब आ आ के मिरी छत पे टहलते क्यूँ हैं
मैं न जुगनू हूँ दिया हूँ न कोई तारा हूँ
रौशनी वाले मिरे नाम से जलते क्यूँ हैं
मोड़ होता है जवानी का सँभलने के लिए
और सब लोग यहीं आ के फिसलते क्यूँ हैं”
મારા સમગ્ર વ્યાખ્યાન
દરમિયાન નરેન્દ્રભાઈના ચેહરો એક નાગરિકનો તેમના નેતા પ્રત્યેનો અહોભાવ પ્રતીત કરાવતા
હતા. એ સમયે જે ખુશી અને પ્રસન્નતા તેમના ચહેરા પર હતા, એ જોઈને જ અનુભવી શકાય. આજે પણ એ વ્યાખ્યાન અને
તેની પળો મારી સ્મૃતિમાં અકબંધ છે અને જીવન પર્યંત રહેશે.
(એ સંપૂર્ણ વ્યાખ્યા આપ
મહેબૂબ દેસાઇની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકો છે)