Thursday, June 19, 2025

હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે : ડૉ. મહેબૂબ દેસાઈ


આજકાલ સફળ ફીલ્મોની રીમેઈકનો જમાનો છે. ફિલ્મની રીમેઈક સમયે મૂળ કથામા સમયને અનુરૂપ પરિવર્તન કરવામાં આવે છે. અથવા તેના ઉત્તમ દ્રશ્યો કે પ્રસંગોનું પુનરાવર્તન કરવામાં આવે છે. એ જ રીતે સફળ જીવનની રીમેઈક બનાવવી હોય તો પણ મૂળ કથામા પરિવર્તન કરવું પડે. અથવા મૂળ કથાની અવિસ્મરણીય પળોને પુનઃ જીવંત કરવી પડે. આ જ વાત ઇતિહાસની પરિભાષામાં પણ કહી શકાય. ઇતિહાસ અભ્યાસના અનેક હેતુઓમાંનો એક હેતુ એ છે કે "ભૂતકાળની ભૂલોનું પુનરાવર્ત ન કરવા માટે ઇતિહાસનું શિક્ષણ જરૂરી છે" એ દ્રષ્ટિએ મારી જિંદગીના ૭૨ વર્ષ મને પુનઃ જીવવા મળે તો મારી ભૂલોનું  પુનરાવર્તન ન કરું અને જીવનની અવિસ્મરણીય પળોનું  પુનઃ નિર્માણ કરું. એ વિચાર આ લેખના કેન્દ્રમાં છે.

મને ગત જાન્યુઆરી ૨૦૨૫મા ૭૨ પૂર્ણ (જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૩) થયા. ૭૨ વર્ષની મારી જીવનયાત્રા ખુદાની રહેમતથી અત્યંત સુખરૂપ રહી છે. ભાવનગર મુકામે ૨૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ ઉજવાયેલ મારી ષષ્ઠી પૂર્તિ નિમિત્તે મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું હતું,

"તમારી સફળતા માટે કોને યશ આપશો?"

મે કહ્યું હતું,

"અલ્લાહની અપાર રહેમત(કૃપા) ને"

આ રહેમત મને ફરી એકવાર ૭૨ વર્ષ જીવવાની તક આપે તો કદાચ ખુદાની રહેમતને હું વધુ સારી રીતે જીવનના ઉદેશોને સાકાર કરવામાં અમલી બનાવી શકું.

૭૨ વર્ષનો મારો જીવન કાળ સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા અને ઉત્સાહ-હતાશાથી ભરપુર છે. અનેક ભૂલો અને ઉણપોનું ભાથું છે. એ ઉણપો અને ભૂલોમાંથી  હું ખુબ શીખ્યો છું. અને જીવનમાં પરિવર્તન કરતો રહ્યો છું. શાયર અકબરઅલી જસદણવાળાના પેલા શેર મુજબ

"મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું

 પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું" 

પણ જો હું મારી ઉણપો અને ભૂલોમાંથી સંપૂર્ણ ઉગરી શક્યો હોત, તો કદાચ ખુદા કે ઈશ્વરની કૃપાથી આજે જ્યાં છું, તેનાથી ઘણો આગળ હોત. જો કે કોઈ પણ માનવ માટે એ શક્ય નથી.

સૌ પ્રથમ મારે મારી ખુદા-ઈશ્વર પ્રત્યેની આસ્થાની વાત કરવી છે. યુવાવયમા દરેક યુવાનમા અતિ આત્મ આત્મવિશ્વાસ હોય છે. મારામા પણ હતો. મને બરાબર યાદ છે, મારી યુવાનીમાં મને મારી પત્ની સાબેરા કહેતી,

"ખુદા-ઈશ્વરને કયારેક યાદ કરી લો"

ત્યારે હું ગર્વથી તેને કહેતો

"પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી. ખુદા ને યાદ કરવા કરતા હું વધુ પરિશ્રમ કરવાનું પસંદ કરીશ"

એ સમયે મને ખબર ન હતી કે પરિશ્રમ સાથે ખુદા-ઈશ્વરની રહેમત અર્થાત કૃપા  માનવી માટે અનિવાર્ય છે. આ વાત મને ત્યારે સમજાય જયારે એક દિવસ મારી કોલેજના વિદ્વાન આચાર્યએ એકાએક કશું કારણ દર્શાવ્યા વગર મને નોકરીમાંથી મુક્ત કરી દીધો. મારી નિષ્ઠા, લાયકાત અને પરિશ્રમ કશું કામ ન આવ્યું. અને શરૂ થઇ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઇન્સાફની જંગ. ઇન્સાફ માટે મારે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપવી પડી. લગભગ દોઢેક વર્ષના એ સંઘર્ષ પછી મને વિજય મળ્યો. એ કાનૂની લડત સમયે મારી સાથે માત્ર મારો ખુદા અને મારી પત્ની સાબેરા જ હતા. પણ એ લડતમાંથી હું ઘણું શીખ્યો.

૧. સૌ પ્રથમવાર મને ખુદા-ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયો.

૨. લડત દરમિયાન પણ દુશ્મન સાથે મીઠા સબંધો રાખવાની નિખાલસતા હું શીખ્યો.  

૩. અને સૌથી મોટી બાબત પોતાની જાત ને શ્રેષ્ટ સિદ્ધ કરવાનું ગજબનું ઝનુન એ સંઘર્ષમાથી મને મળ્યું.

આજે મને મળેલ સિદ્ધિઓમાં એ ઝનુનનો ફાળો મોટો છે. આજે મારા સંઘર્ષના એ દિવસોને પાછું વાળીને જોવું છું ત્યારે મને લાગે છે, જો કદાચ મને મારા વિદ્વાન આચાર્યએ વિના કારણે નોકરીમાંથી મુક્ત કરવાનું અપકૃત્ય ન કર્યું હોત, મારા પીએચ.ડી.ના ગાઈડ ડૉ. આર. જી. પરીખે મારું પીએચ.ડી.દસ વર્ષ સુધી ન અટકાવી રાખ્યું હોત, તો કદાચ હું આટલો ઘડાયો ન હોત. સંઘર્ષના એ દિવસોમાં મને હરિવંશ રાય બચ્ચનની એક કડી હંમેશા યાદ આવતી.

मन का हो तो अच्छा; मन का ना हो, तो ज़्यादा अच्छा
क्यूँकि फिर वो ईश्वर के मन का हो रहा है

જીવનમા વ્યસ્તતા કોઈ પણ કાર્યરત વ્યક્તિ માટે સ્વાભાવિક છે. મે મારા જીવનમાં વ્યસ્તતા અનુભવી છે. જોઈ છે. અને તેમાંથી પસાર પણ થયો છું. પ્રારંભના વર્ષોની વ્યસ્તતામા મે શું ગુમાવ્યું તેનો મને એ સમયે અહેસાસ ન હતો. પણ પછી મને એ વાત સમજાય કે ગમે તેટલી વ્યસ્તતામા પણ કુટુંબ માટે સમય કાઢવો જરૂરી છે. કારણ કે એ જીવનનું અમુલ્ય ભાથું  છે. એ પછી મે હંમેશા મારા નાનકડા કુટુંબ હું, પત્ની સાબેરા, પુત્ર ઝાહિદ અને પુત્રી કરિશ્માના અભ્યાસ કે મનોરંજન માટે ગમે તેમ કરીને પણ સમય કાઢવાનું શરુ કર્યું. મારા પુત્રના અભ્યાસ પાછળ, તેના વિદેશગનમની તૈયારી પાછળ મે પુરતો સમય આપ્યો છે. મને યાદ છે, મારી પુત્રી કરિશ્મા ફિલ્મ જોવાની જબરજસ્ત શોખીન. નવી ફિલ્મ દર શુક્રવારે રીલીઝ થાય એટલે અચૂક તેની સાથે પ્રથમ દિવસે મારે સહ કુટુંબ ફિલ્મ જોવા જવું જ પડે. ઘણીવાર તો હું ફિલ્મમા સૂઈ જાઉં. પણ થિયેટરના અંધારામાં કરિશ્મા અને સાબેરાના ચહેરા પરની ખુશી હું બંધ આંખોએ પણ અનુભવી શકતો. એ વર્ષો મને પાછા મળે તો હું વીતી ગયેલી એ પળો પુનઃ મારા નાનકડા કુટુંબ સાથે જીવવાનું પસંદ કરીશ.

મારો પુત્ર ઝાહિદ તેના કુટુંબ સાથે હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)મા વસ્યો છે. તેની પત્ની સીમા મારા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. મારા બંને પૌત્રો ઝેન અને જૈફ સાથે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ગુજારેલ દિવસો મારી જિંદગીના બહેતરીન દિવસો છે. રોજ સવારે મારો પૌત્ર જેફ મારા રૂમમાં આવી મારુ ઓઢવાનું ખેંચી મને જગાડતા કહે છે,

Dada, get up its morning time” તેનું આ એ એક વાક્ય મારા સમગ્ર જીવનની ખુશીનું કેન્દ્ર બની જાય છે. કારણે કે દાદાનો અંતિમ મિત્ર તેનો પૌત્ર હોય છે. પૌત્રનો પ્રથમ દોસ્ત તેના દાદા હોય છે. આવા બે મિત્રોની રમત મહેસૂસ કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. એ માટે હું ઈશ્વરનો ઋણી છું. અમારા પિતા પુત્રનો સબંધ પણ નિરાલો છે. મારો જુદા જુદા દેશોમાં ફરવાનો શોખ ઝાહિદ પોશે છે. અમારા વચ્ચે વણ નોંધી સમજૂતી છે. એર ટિકિટ હું કાઢું, તો હોટેલનો ખર્ચ તે ઉપાડે,  એવું રુણાનુબંધન અમારી વચ્ચે વર્ષોથી ચાલે છે. એકવાર હોબર્ટમાં મારી સફેદ ફેંચ કટ દાઢીને કાળી કરવા તે મારી પાછળ પડ્યો હતો. અને મને દોડાવી દોડાવી થકવી નાખ્યો હતો. આજે પણ એ ઘટના પિતા પુત્ર વચ્ચેની મૈત્રીની સાક્ષી પૂરતી મારા હદયમાં અંકિત છે. 

મારી પુત્રી કરિશ્મા પરણીને કેનેડામાં સ્થાહી થઈ છે. તેના પતિ ફહાદભાઈ અત્યંત સમજદાર અને વ્યવહારુ ઇન્સાન છે. હાલ દોઢ એક માસથી હું તેમની સાથે જીવનની સુંદર પળો વિતાવી રહ્યો છે. તેમનો પુત્ર જોહાન પણ રોજ સવારે મારા રૂમમાં આવી ,મારુ ઓઢવાની ખેંચી મને કહે છે,

“નાનું બહાર ચલો, સુબહ હો ગઈ.” અને ત્યારે જીવનની સાચી સાર્થકતા અનુભવું છું. બાળકો સાથે વિતાવેલી આવી પળો હું એકાંતમાં યાદ કરું છું ત્યારે મને ગાલિબનો પેલો  શેર યાદ આવી જાય છે,

હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે,

 બહોત નીકલે મેરે અરમાં લેકિન ફિરભી કમ નિકલે                       

જો કે જીવનમાં એક વસવસો આજે પણ મને સતાવે છે. અને એ છે મારા માતા પિતા સાથેના મારા સબંધો. અલબત્ત મારા માતા પિતા મને બહુ પ્રેમ કરતા. ચાર બહેનોં વચ્ચે હું એક જ ભાઈ હતો. અર્થાત મારા માતા પિતાનો એક માત્ર પુત્ર. એટલે બંનેનો અપાર પ્રેમ મને મળ્યો છે. હું પણ એમને ખુબ પ્રેમ કરતો. પણ એ પ્રેમને અભિવ્યક્ત કરવાની સમજનો મારામાં એ સમયે અભાવ હતો. મારી મમ્મી અને પપ્પા મારા પીએચ.ડી અર્થે મારી સાથે અડીખમ ઉભા રહ્યા હતા. અને મારું પીએચ.ડી. તેમણે જ પુરુ કરાવ્યું હતું. મારી નાની મોટી જરૂરિયાત માટે મારા પિતાજી સાથે મારી  મા લડ્તા . મારી પ્રથમ વિદેશ યાત્રા ઈ. સ ૧૯૮૬માં બેંગકોકમા પતાયા શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી અર્થે યોજાય હતી. એ યાત્રામા જતી વખતે મારા પિતાજીએ મને મુઠ્ઠીમા નોટો વાળીને થોડા રૂપિયા આપેલા હતા. એ ક્ષણ આજે પણ મને યાદ છે. પણ ત્યારે મને તે નોટોનું મુલ્ય સમજાયું ન હતું. થોડા વર્ષો પછી મને એ ઘટનાનું મુલ્ય સમજાયું. અને તેના પરિપાક રૂપે મે મારા માતા પિતાના નિકાહના પચ્ચાસ વર્ષની ઉજવણી ભવ્ય રીતે ધામધુમથી કરી હતી. લગભગ ૩૫૦ માણસોનો ભોજન સમારંભ કર્યો. એ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સાક્ષર મા. યશવંત શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ દિવસે મારા મમ્મી અને ડેડીના ચહેરા પરની ખુશી આજે પણ મને આશીર્વાદ (દુવા) આપતી ભાસે છે. ખુદા મારા ડેડી અને મમ્મીની સાથે પુનઃ જીવવાની તક મને આપે તો હું ન વ્યક્ત કરી શકેલ મારો બધો પ્રેમ તેમના પર મન મુકીને વરસાવવા તત્પર છું.

અને છલ્લે, ૭૨ વર્ષના જીવનમાંથી અડધાથી વધુ વર્ષો શિક્ષણના ક્ષેત્રમાં વિતાવ્યા છે. જો ખુદા- ઈશ્વર પુનઃ ૭૨ વર્ષ જીવવાની તક આપે તો હું ફરીવાર શિક્ષક-અધ્યાપક જ થવાનું પસંદ કરીશ. જે મહાન ગુરુઓ અને વિદ્યાર્થીઓ સુધી હું નથી પહોંચી શક્યો તેમના સુધી પહોચી જ્ઞાન મેળવવાનો અને આપવાનો અધૂરી રહી ગયેલો યજ્ઞ હું પૂરો કરવાનું પસંદ કરીશ. આવી તો ૭૨ વર્ષના જીવનની અનેક પળો કે અધૂરી ઇચ્છાઓ છે. જેમાથી જીવનનો ધબકતો અર્ક પળે પળે નીતરે છે. પણ તેને યુવાન મિત્રો હિદાયત (ઉપદેશ) કે મારો ખોખલો આદર્શ માનવાની ભૂલ ન કરે.આ તો અનુભવના એક બે છાંટણા છે. તેના એકાદ બુંદનું આચમન થાય તો કરજો, અન્યથા હું તો એમ માનું છું કે માનવીની વિદાય સાથે તેના કાર્યો, ઈચ્છાઓ અને યાદો પણ ઓજસ પાલનપુરીના પેલા શેર જેમ હંમેશા વિસરાઈ જાય છે.

“મારી હસ્તી મારી પાછળ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ” 

અસ્તુ.

Sunday, June 15, 2025

ગુજરાત સરકાર દ્વારા સન્માન : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ







૨૦૧૧ના મધ્યમાં ત્રણેક માસ માટે હું મારા પુત્ર જાહીદને ત્યાં તજમાનીયા રાજ્યના હોબર્ટ શહેરમાં  (ઓસ્ટ્રેલિયા) ગયો હતો.  હોબર્ટ એક ટાપુ છે. ચારે બાજુ દરિયા કિનારો અને વચ્ચે નાનકડું શહેર હોબર્ટ આવેલું છે. ત્યાંની મારી પ્રવૃત્તિ પણ નિશ્ચિત થઈ ગઈ છે. કારણ કે અત્રે મારે અવારનવાર આવવાનું બને છે. સવારે બંને પૌત્રોને અને પુત્રને કારમાં અનુક્રમે સ્કૂલે અને બસ સ્ટેન્ડ મૂકી દઉં. પછી સવારનો નાસ્તો કરી ગાડી લઈ બીચ પર ચાલવા નીકળી પડું. હોબર્ટનો દરિયા કિનારો દુનિયાના સુંદર અને સ્વચ્છ બીચોમાંનો એક છે. આ સાથે દિવ્ય ભાસ્કર ની કૉલમ “રાહે રોશન” અને ફૂલછાબ ની કૉલમ “સૂફીકથાઓ” નું લેખન પણ ચાલતું હોય. આવા શાંત વાતાવરણમાં એક દિવસ મને અનાયાસે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈને ઈમેલ કરવાની ઈચ્છા થઈ આવી. અને તેમનું ઈમેલ અડ્રેસ ગૂગલ પરથી મેળવી, મે તેમને એક મેઈલ કર્યો. જેમાં મે લખ્યું,

“સૌ નો સાથ સૌ નો વિકાસ સૂત્ર મને ખૂબ ગમ્યું છે. આપની સદભાવના યાત્રા પણ ગુજરાતમાં કોમી એખલાસ સ્થાપવામાં જરૂર સહભાગી બનશે. આવા વિકસતા ગુજરાતના પરિશ્રમિત   નાગરિકો સાચ્ચે જ સન્માનને પાત્ર છે.”

ગુજરાતના મુખ્ય મંત્રી પાસે આવા તો ઘણાં મેઇલો આવતા હોય. એટલે તેના જવાબની અપેક્ષા અસ્થાને જ હોય. મેઈલ કરી હું વિસરી ગયો. પણ મારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ તેમના કાર્યાલયમાંથી જવાબ આવ્યો. “મુખ્ય મંત્રી શ્રી આપની વાત સાથે સહમત છે.” અને એ દિવસે  હોબર્ટમાં નિવાસ કરતાં એક ગુજરાતના અધ્યાપકને ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેના માનમાં અભિવૃધ્ધિ થઈ. લગભગ ત્રણેક માસ પછી હું ભારત પરત આવ્યો. અને મારા યુનિવર્સિટીના કાર્યોમાં પરોવાઈ ગયો.

થોડા માસ પછી બપોરની ટપાલમાં મને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તરફથી એક પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું,

“આપનો સવિસ્તર બાયોડેટા સવેળા મોકલશો”

આવા પત્રો યુનિવર્સિટીના અધ્યાપકોને અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ સરકારી કમિટીમાં નામ મૂકવા અંગે, તો ક્યારેક સરકારી કોલેજોમાં નિયુક્તિ પ્રક્રિયામાં સહભાગી બનાવવા. એટલે લાંબુ ન વિચારતા મે મારો વિગતવાર પરિચય મોકલી આપ્યો. એકાદ માસ પછી ગુજરાત સરકાર તરફથી મારા પર ફોન આવ્યો. ફોનમાં જણાવ્યું આવ્યું કે,

“રાષ્ટ્રના ૬૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભાવનગર મુકામે થનાર છે. એ દિવસે ગુજરાતના ૧૨ મહાનુભાવોનું ગુજરાતના રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલ અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરવામાં આવનાર છે. તેમાં આપના નામની પસંદગી ગુજરાત સરકારે કરેલ છે. આપ આપની સંમતિ સવેળા મોકલી આપશો. જેથી આગળની કાર્યવહી આરંભી શકાય.”

ફોન પર સચિવ કક્ષા કોઈ અધિકારીએ મને ઉપરોક્ત માહિતી આપી અને સાથે મને અભિનંદન પણ પાઠવ્યા. આ સમાચારે મને સાચ્ચે જ આનંદિત કરી મક્યો. જો કે એમા મને નરેન્દ્રભાઈની મારાં પ્રત્યેની સ્નેહ ભરી લાગણી દેખાઈ. મે લેખિતમાં તુરત મારી સંમતિ મોકલી આપી. સંમતિ મળ્યે, સમારંભ સંદર્ભે મને એક પછી એક સૂચનો સરકાર શ્રી તરફથી મળવા લાગી.

“સમારંભમાં આપ સાથે કેટલા મહેમાનો આવશે તે જણાવશો.”

“સમારંભમાં આપ જે કારમાં આવવાના હોય તેનો નંબર મોકલશો.”

“આપની સાથે આવનાર મહેમાનોના નામ અને તેમના વાહનના નંબર જણાવશો.’

“આપના આગમનનો સમય જણાવશો.”                                     

મે આ તમામ વિગતો તુરંત મોકલી આપી.

મારી પાસે એ સમયે એક માત્ર ક્રીમ કલરનો સૂટ હતો. મે સમારંભમાં તે પહેરવાનું નક્કી કર્યું.  સૂટ મે વોર્ડરોબમાંથી કાઢ્યો. અને તે પહેરી જોયો. સમયના સથવારે પેન્ટ કમરેથી ટાઈટ થઈ ગઈ હતી. સ્તવરે મારા દરજી પ્રવીણભાઈને ત્યાં પહોંચી ગયો. અને તેમને યુધ્ધના ધોરણે પેન્ટ પહેરવા યોગ્ય કરી આપવા વિનંતી કરી. પ્રવીણભાઈ મારા જૂના અને અંગત મિત્ર છે. તેમણે તુરત માપ લઈ પેન્ટ પહેરવા લાયક કરી આપી. આમ સન્માન સમારંભમાં જવાની પૂરતી તૈયારી મે કરી લીધી. ભાવનગરના અન્ય અગિયાર મહાનુભાવોમાં યોગ નિષ્ણાત શ્રી આર જે જાડેજા, જાણીતા સેવક શ્રી માનભાઈ ભટ્ટ, શ્રી બાબાભાઈ પરીખ, સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને એક સમયના ગુજરાતના મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ જેવા દિગજજો સાથે એક અદના અધ્યાપક નું સન્માન થવાનું હતું એ વિચાર જ મારા માટે અંત્યંત ઉતેજના પ્રેરક હતો.

સન્માન કાર્યક્રમ ૨૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગરના જવાહર મેદાનમાં સાંજે ચાર વાગ્યે યોજાયો હતો.  એ મારા જીવનનો નોંધપાત્ર દિવસ હતો. એ દિવસે બરાબર ૩.૩૦ કલાકે હું મારા સમગ્ર કાફલા સાથે જવાહર મેદાન પહોંચ્યો. સ્ટેજ પાછળ વી. આઈ. પી માટે ખાસ પ્રવેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જરૂરી સુરક્ષાની વિધિ પતાવી મે શમિયાણામાં પ્રવેશ કર્યો. મારી સાથે મારી પત્ની, પુત્રી, મારી ચારે બહેનો, તેમના પતિ અને બાળકો, મારા ત્રણે સાળા, તેમની પત્નીઓ બધા જ હતા. મે ધબકતા હદયે સન્માનિત થનાર મહાનુભાવો માટેની પ્રથમ હરોળની ખુરશી જેની પીઠ પર મારુ નામ લખેલું હતું, ત્યાં સ્થાન લીધું. મારા સ્વજનોને મારી પાછળ બીજી કે ત્રીજી હરોળસ્થાન આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર ડિજિટલ અક્ષરો આવતા અને ઓસરાઈ જતાં હતા. એ અક્ષરોમાં લખ્યું હતું, “ભાવસભર ભાવનગર આપનું સ્વાગત કરે છે.” 

જવાહર મેદાનનો શામિયાણો વીસ પચ્ચીસ હજાર  નાગરિકોથી ઉભરાતો હતો. પ્રથમ હરોળમાં બેઠેલ મહાનુભાવોને સ્થાનિક ધારાસભ્યો શ્રી મહેન્દ્ર મહેતા અને શ્રી સુનિલ ઓઝા, મંત્રી શ્રી ફકીર વાઘેલા વગેરે અભિનંદન આપવા આવી રહ્યા હતા. સૌ સન્માનિત થનાર વ્યક્તિઓ ઊભા થઈ અભિનંદન સ્વીકારતા હતા. તેમની સાથે હું પણ ઊભો થઈ હસ્તધૂનન કરી તેમના અભિનંદન સ્વીકારતો હતો.

થોડીવારે સ્ટેજ પર મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ કમલા  બેનિવાલનું આગમન થયું. અને સ્ટેજ ધમધમી ઉઠ્યું. શ્રી નરેન્દ્રભાઈ સાથે ગુજરાતના મંત્રી મંડળના અનેક સભ્યો કદમો મિલાવી રહ્યા હતા. જેમાં વજુભાઈ વાળા, નીતિનભાઈ પટેલ અને શ્રી ફકિરભાઇ વાઘેલા જેવા અનેક નેતાઓ દ્રષ્ટિગોચર થતાં હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી કમલા બેનિવાલે સ્ટેજના સોફા પર સ્થાન લીધું અને કાર્યક્રમનો આરંભ થયો. કાર્યક્રમના આરંભે મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર યુનિવર્સિટીનું નવા નામકરણની જાહેરાત કરતાં કહ્યું,

“ઘણા સમયની ભાવનગરની પ્રજાની માંગને આવકારી ભાવનગર યુનિવર્સિટીને ભાવનગરના લોકપ્રિય મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામે “મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી” નામ આપવામાં આવે છે.” 

એ પછી અન્ય શિષ્ટાચાર પછી સન્માન સમારંભનો આરંભ થયો. સ્ટેજ પરથી સન્માનિત વ્યક્તિનું નામ બોલતું. એ વ્યક્તિ પાસે તેમને સ્ટેજ સુધી દોરી જવા સંપૂર્ણ ડ્રેસમાં સજ્જ ચાર સંત્રીઓ ઉપસ્થિત થતાં. સન્માનિત વ્યક્તિને સંપૂર્ણ ગાર્ડ ઓફ ઑનર સાથે બે સંત્રીઓ તેમની સાથે અને બે સંત્રીઓ તેમની પાછળ સ્ટેજ સુધી દોરી જતાં. આવા ભવ્ય પ્રોટોકોલ સાથે સન્માન પામનાર વ્યક્તિ સ્ટેજ પર રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સુધી પહોંચતી. પ્રથમ મુખ્ય મંત્રી તેમને શાલ ઓઢાડી સન્માનિત કરતાં. એ પછી ગુજરાત રાજ્યના નકશાવાળો મોમેન્ટો તેમને આપતા. એ પછી રાજ્યપાલ શ્રી તેમને ફ્રેમમાં મઢેલ સન્માન પત્ર એનાયત કરતાં. હું આ સમગ્ર વિધિ એકગ્રચિત નિહાળી રહ્યો હતો. આવું સન્માન મારા જીવનમાં મને પ્રથમવાર મળી રહ્યું હતું. પરિણામે હદયના ધબકારામાં વધઘટ સ્વાભાવિક હતી. મારી આવી માનસિક સ્થિતિ વચ્ચે માઇક પર મારુ નામ બોલાયું.

“ગુજરાતના જાણીતા લેખક, સંશોધક અને ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. મહેબૂબ દેસાઈ સ્ટેજ પર સન્માન સ્વીકારવા પધારે”

અને ગાર્ડ ઓફ ઑનર સમા ચાર સંત્રીઓ મારી સામે ઉપસ્થિત થયા. ધબકતા હદયએ હું ઊભો થયો. બંને સંત્રીઓ વચ્ચે મે સ્ટેજ તરફ કદમો માંડ્યા. મારી પાછળ બે સંત્રીઓ સાથે કેટલાક અધિકારીઓ પણ પણ મને સન્માન આપવા મારી પાછળ ચાલતા મે અનુભવ્યાં. ધીમા પણ મક્કમ કદમે મે સ્ટેજ પર પ્રવેશ કર્યો. મુખ્ય મંત્રી નરેન્દભાઈએ મારી સામે આછું સ્મિત કર્યું. તેના ઉત્તરમાં મે પણ સ્મિત કર્યું. અને હું તેમની પાસે પહોંચી ગયો. સર્વ પ્રથમ નરેન્દ્રભાઈએ મને શાલ ઓઢાડી. પછી ગુજરાત રાજ્યના નકશા વાળો મોમેન્ટો મને આપ્યો. તેમના હાથમાંથી મોમેન્ટો સ્વીકારતા સમયે મે ધીમા સ્વરે તેમને કહ્યું,

आपने तो ज़रे को आफताब बना दिया’ (આપે પ્રકાશના નાનકડા કિરણ ને સુર્ય બનાવી દીધો)

નરેન્દ્રભાઈએ મારી નમ્રતાનો જવાબ વળતાં મારા કાનમાં કહ્યું,

“મહેબૂબભાઈ આપ સાચ્ચે જ તેને માટે લાયક છો.”

એ પછી રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલે ફ્રેમમાં મઢેલું પ્રમાણપત્ર મને એનાયત કર્યું.

અને તેમનો આભાર માનતા મે સ્ટેજ પરથી નીચે ઉતારવા પગલાં માંડ્યા. ત્યારે મારા હાથમાં ત્રણ વસ્તુઓ હતી. જેને એક સાથે સંભાળવા હું પ્રયત્નશીલ હતો. મારી સ્થિતિને પામી જઈ સ્ટેજના ખૂણામાં ઉભેલા મારી સાથે આવેલા એક અધિકારી દોડી આવ્યા. અને મારા હાથમાંથી ત્રણે વસ્તુઓ લઈ લીધી. અને ગાર્ડ ઓફ ઑનર સમા ચારે સંત્રીઓ મને મારી ખુરસી સુધી મૂકી ગયા.

આ આખો પ્રસંગ મારા જીવનનો વિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે. આજે પણ એ પળોને યાદ કરું છું ત્યારે હું ખુદા કે ઈશ્વરનો શુક્ર અદા કરતાં હંમેશા મનોમન વદી ઊઠું છું,

“હે ખુદા તે મારી લાયકાત કરતાં મને ઘણું આપ્યું છે. હું જીવનના અંતિમ શ્વાસ સુધી તારો શુક્રગુજાર રહીશ”

 

 

 

જિસ કા કોઈ નહીં ઉસ કા ખુદા હૈ યારો : ડૉ. મહેબૂબ દેસાઈ



 

વર્ષો પહેલા “મુકદ્દર કા સિકંદર” નામની એક ફિલ્મ આવી હતી. જેમાં એક ગીત હતું.

“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા  હૈ યારો

 હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”

અહિયાં ખુદાનો મતલબ સર્વ શક્તિમાન ઈશ્વર-ખુદા છે. કુરાને શરીફમાં “રબ્બીલ આલમીન” શબ્દ વારંવાર વપરાયો છે. તેનો અર્થ થાય છે “સમગ્ર માનવ જાતનો ખુદા”.  કુરાને શરીફમાં કયાંય “રબ્બીલ મુસ્લિમ” અર્થાત “મુસ્લિમોનો ખુદા લખ્યું નથી.

આ ગીત અત્રે યાદ  આવવાનું પ્રયોજન હાલમાં જ અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન દુર્ઘટના છે. આ ઘટનામાં પ્રત્યક્ષ રીતે અવસાન પામનાર વિમાનના યાત્રીઓના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. અને તેમના સ્વજનોને આ દુ;ખ સહેવાની શક્તિ આપે. આ યાત્રીઓ ઉપરાંત જે મેડિકલ કોલેજની મેસ પર વિમાન પડ્યું ત્યાંનાં અનેક ભાવિ ડોકટરો પણ તેનો ભોગ બન્યા છે. પણ એવા  કેટલાક ભાવિ ડોકટરો છે જેનો બચાવ ખુદા અને ઈશ્વરની કૃપાથી થયો છે, તે જયારે જાણીએ છીએ ત્યારે ખદા કે ઈશ્વરની અપરંપાર શક્તિનો અહેસાસ થયા વગર રહેતો નથી.

 

આજે એવા જ એક ભાવિ ડૉક્ટરની વાત કરવી છે. જેનું નામ છે અરમાન પઠાણ. બી. જે. મેડિકલ કોલેજમાં એમ બી. બી. એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં અરમાનના પિતા ડૉ. અત્તા ઉલ્લાહ  ખાન પઠાણ મારા પરમ મિત્ર છે. ભાવનગર યુનિવર્સિટી હું જ્યારે ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ હતો ત્યારે તેમની નિયુક્તિ હિન્દી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે થઈ હતી. ઇતિહાસ અને હિન્દી વિભાગ એક જ બિલ્ડિંગમાં બેસતાં હોય ડૉ. અત્તા ઉલ્લાહ સાથે અવાર નવાર મુલાકાત થતી. સ્વભાવે સરળ, નિષ્ઠાવાન અને સારા અધ્યાપક તરીકે તેમની છાપ મારા મનમાં ઊડે ઊંડે છે.  આજે તો ડૉ. અત્તા ઉલ્લાહ  ભાવનગર યુનિવર્સિટીના હિન્દી વિભાગના વડા અને પ્રોફેસર છે. વળી, તેમના પત્ની અમન મારા પરમ મિત્ર સલીમભાઈ નગોરીના પુત્રી થાય. એ નાતે અમારો નાતો મિત્ર કરતાં કૌટુંબિક વધુ રહ્યો છે. ભાવનગરમાં મારા નિવાસ દરમિયાન સમગ્ર કુટુંબ મારે ત્યાં અવારનવાર આવતું. એ સમયે અરમાન તો ઘણો નાનો હતો. છતાં તેની સાથેનો લગાવ આજે પણ મારી સ્મૃતિમાં છે.

એ જ અરમાન આજે યુવાન થઈ ગયો છે. અભ્યાસમાં નાનપણથી જ તે તેજસ્વી હતો. 2023 માં તેને બી.જે. મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મળી ગયો. આજે તે બી જે મેડિકલ કોલેજ,અમદાવાદમાં એમ બી. બી. એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હું જ્યારે કેલગારીમાં હતો ત્યારે મારા એક વિદ્યાર્થી ડૉ. કોમેલ રાજાણીનો મેસેજ આવ્યો,  

“સર, ડૉ.અત્તા ઉલ્લાહ ખાન સાહેબનો પુત્ર જે અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભણે છે તેને પણ વિમાન દુર્ઘટનામાં ઇજા થઈ છે. અને તે હોસ્પિટલમાં છે.”

સમાચાર જાણી મે તુરંત ડૉ.અત્તા ઉલ્લાહ ખાનને ફોન લગાડ્યો. પણ કોઈ ઉત્તર સાંપડ્યો નહીં. એટલે મારી ચિંતા વધુ ઘાટી થઈ. મે વૉટશોપ પર તેમને મેસેજ કર્યો. તેનો પણ કોઈ ઉત્તર ના મળ્યો. કેલગરી થી હું પરત ટોરેન્ટો આવ્યો ત્યારે મારા વૉટશોપ મેસેજ બોક્ષમાં ડૉ.અત્તા ઉલ્લાહ ખાનનો એક મેસેજ હતો. જેમાં લખ્યું હતું,  

“ખુદાની રહમત થી અરમાન બચી ગયો છે. પણ ઇજા ઘણી થઈ છે. અમે બંને હાલ હજ યાત્રાએ છીએ. એટલે તેને મળી શકાયું નથી. પણ તેણે અમને મોકલેલ ઘટનાનો ચિતાર આપની જાણ માટે  મોકલું છું. અરમાને મોકલે મેસેજમાં લખ્યું છે,

“બીજા વર્ષની પ્રિલિમ પરીક્ષા 16 જૂનથી શરૂ થવાની હતી. એટલે કોલેજમાં રીડિંગ વેકેશન હતું. પરિણામે હોસ્ટેલમાં જ રહીને મે રીડિંગ કરવાનું નક્કી કર્યું. બપોરે લાઈબ્રેરીથી સીધો જ મેસમાં જમવા ગયો. મેસની બેન્ચ પર બેસી હજુ પહેલો કોળિયો મોઢામાં મૂકું છું, ત્યાં તો અચાનક મોટો ધડાકો થયો અને મેસની છતનો સ્લેબ મારા માથા અને પગ પર તૂટી પડ્યો. પથ્થરની બેન્ચ હોવાને કારણે સ્લેબનો મોટો ભાગ એના સહારે રોકાઈ ગયો. પણ મારા પગો સ્લેબ નીચે દબાયેલા હતા. માથા અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. સ્લેબના કાટમાળમાં ફસાયેલો હોવાથી નીકળી શકાય તેમ ન હતું. લોકો મદદ માટે આવ્યા ત્યાં તો બીજો ધડાકો થયો અને ગેસ સિલિન્ડર પણ ફાટ્યા. મદદ કરનારા તમામ ડરને લીધે ભાગી ગયા. એ ક્ષણે તો મોત મને મારી સામે જ લાગ્યું. 15 મિનિટ પછી વિદ્યાર્થીઓ અને લોકોએ કાટમાળમાંથી મને કાઢ્યો. મારા કપડાં સંપૂર્ણ ફાટી ગયા હતા. ચાલવાના બિલકુલ હોશ કે શક્તિ ન હતા. ફક્ત ચડ્ડીમાં જ મને સીવિલમાં લઈ જવામાં આવ્યો. અને મારી સારવાર શરૂ થઈ.”

 

આ સમગ્ર ઘટનાની વિશિષ્ટ એ છે કે અરમાનના માથે સ્લેબ તૂટી પડ્યો ત્યારે તેના માતા પિતા અમદાવાદથી કોષો દૂર મક્કા મદિનામાં પવિત્ર હજ યાત્રા કરી રહ્યા છે. ખુદાના ઘરમાં પોતાના સંતાનો અને કુટુંબના ભાવિ અને સુરક્ષા માટે ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે તેમને પોતાના પુત્રના માથે પડેલા સ્લેબની જાણ થયા છે ત્યારે પુત્ર સાથે વાત કરવા, તેની સાચી માહિતી  મેળવવા બંને પતિ પત્ની બેબાકળા બની ગયા. અને ખુદાને રડમસ ચહેરે પુત્રની સલામતીની દુઆ માંગવા લાગ્યા. ખુદાએ તેમની દુઆ સાંભળી પણ ખરી. અને એકાદ દિવસ પછી પુત્ર અરમાનનો મક્કામાં વિડીયો કોલ આવ્યો.

“પપ્પા, મારી ચિંતા ન કરશો. હવે મારી તબિયત સારી છે. માથામાં ઇજા થઈ છે. પણ ચિંતા જેવુ નથી. હાલ મને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં મારી સારવાર સારી રીતે થઈ રહી છે. પપ્પા, મમ્મીને ફોન આપો મારે તેમની સાથે વાત કરવી છે”

અરમાનની મમ્મી અમન પણ પુત્રને જોવા અને તેની સાથે વાત કરવા ઉત્સુક હતા. ફોન હાથમાં લેતા જ તે રડી પડ્યા. અરમાને મમ્મીને શાંત પડતાં કહ્યું,

“મમ્મી, રડ નહીં હું બિલકુલ સ્વસ્થ છું. પણ એ ઘટના ભુલાઈ તેમ નથી. આજે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જઉ છું. ત્યારે એ ભયાનક ઘટના મને ધ્રુજવી મૂકે છે. મન માનવા તૈયાર નથી કે મારી સાથે અભ્યાસ કરતાં મારા મિત્રો હવે હયાત નથી.”

આટલું કહેતા તો અરમાન મમ્મીની સામે રડી પડે છે. તેની આ વ્યથાએ આટલે દૂર ટોરેન્ટોમાં મને પણ વ્યથિત કરી મૂક્યો છે. પણ ઘટનાના સુખદ અંતથી મારુ મસ્તક સિજદામાં ઝૂકી જાય છે અને મન પોકારી ઉઠે છે,

 

“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ યારો

 હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”

 

 

 

 

 

Friday, May 30, 2025

સદભાવના યાત્રા : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ




 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેની મારી બીજી મુલાકાત પણ અત્યંત રોચક હતી. એ દિવસોમાં નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ગુજરાતમાં સદભાવના યાત્રા દ્વારા કોમી એખલાસ પ્રસરાવવામાં સક્રિય હતા. ગુજરાતના જુદા જુદા જિલ્લાના મુખ્ય મથકોમાં સદભાવના યાત્રા અને એક દિવસીય ઉપવાસ સાથે ભવ્ય સમારંભનું આયોજન થતું. આવું જ એક આયોજન ભાવનગર શહેરમાં થઈ રહ્યું હતું. સદભાવના સમારંભમાં શ્રી નરેન્દભાઈ ખુદ હાજર રહેતા અને વ્યાખ્યાન આપતા. પણ તેમના વ્યાખ્યાન પૂર્વે સ્થાનિક અગ્રગણીઓ સંબોધન કરતાં. સદભાવના યાત્રાનું આયોજન ભાવનગર શહેરમાં આરંભયું. તેના ભાગ રૂપે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રીને એક પાત્ર પાઠવવામા આવ્યો. જેમાં દસ અધ્યાપકોના નામો કલેકટર શ્રી ઝાલાવાડીયા દ્વારા માંગવામાં આવ્યા. આ અધ્યાપકોમાંથી એકની પસંદગી શ્રી નરેન્દ્રભાઈ પોતાના વ્યાખ્યાન પૂર્વે વ્યાખ્યાન આપવા માટે કરવાના હતા. ભાવનગર યુનિવર્સિટીના એ સમયના કુલપતિ શ્રી ડી. આર. કોરાટ હતા. તેમને મારા પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આમ તો તેઓ કોંગ્રેસી હતા. અને મને નરેન્દ્રભાઈનો મિત્ર માનતા હતા. એટલે યુનિવર્સિટીના દસ અધ્યાપકોમાં તેમણે મારુ નામ અગ્ર ક્રમે મૂક્યું. મે સાંભળ્યું હતું કે વડોદરામાં આવા જ સદભાવના કાર્યક્રમમાં એમ.એસ. યુનિના એક અધ્યાપકે વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં કઈંક નરેન્દ્રભાઈને ન ગમતું બોલવાને કારણે તેમનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. એટલે મારા કુલપતિ શ્રી કોરાટે પણ મારુ નામ અગ્ર મૂકી મને સાચે જ મુશ્કેલીમાં મૂકવા પ્રયાસ કર્યો હોવાનો ભય મને સતાવી રહ્યો હતો. આમ દસ નામો કલેકટર ઝાલાવાડીયા પાસે પહોંચી ગયા. તેમણે તે લિસ્ટ મુખ્યમંત્રી શ્રીને મોકલી આપ્યું. એક સાંજે હું મારી બાલ્કનીમાં નિરાંતે બેઠો હતો અને મારા મોબાઈલની રિંગ વાગી. મે ફોન ઉપડ્યો. સામે થી અવાજ સંભળાયો,

“હલ્લો, કલેકટર ઝાલાવાડીયા બોલું છું. મારી વાત પ્રોફેસર મહેબૂબ દેસાઇ સાથે થઈ રહી છે ?”

“જી હું મહેબૂબ દેસાઇ બોલું છું.

“નમસ્તે દેસાઇ સાહેબ, સોરી આપને અત્યારે ડિસ્ટર્બ કર્યા.”

“કશો વાંધો નહીં, બોલો ઝાલાવાડીયા સાહેબ કેમ યાદ કર્યો ?”

“દેસાઇ સાહેબ, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સદભાવના કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા આપના નામની પસંદગી સાહેબે કરી છે. તો આપ મને થોડા દિવસમાં આપના વ્યાખ્યાનની સ્ક્રિપ્ટ આપો તો તે સાહેબની મંજૂરી માટે મોકલી દઉં. સાહેબ સ્ક્રિપ્ટ માન્ય કરે એ મુજબ જ આપે વ્યાખ્યાન આપવાનું રહેશે.”

હું થોડી પળો કલેકટર શ્રી ઝાલાવાડીયા સાહેબની વાત સાંભળી રહ્યો. પછી મૌન તોડતા મે કહ્યું,

“ઝાલાવાડીયા સાહેબ હું એક અધ્યાપક છું. મને વાંચેલું ભાષણ આપતા નથી આવડતું. વિષયને અનુરૂપ એ સમયે મારા મનમાં જે આવશે તે બોલીશ. એટલે અગાઉથી સ્ક્રિપ્ટ આપવી મારા માટે શક્ય નથી.”

“દેસાઇ સાહેબ, આ તો પ્રોટોકોલ છે. એમા હું કઈ ન કરી શકું. છતાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી આપની વાત પહોંચાડી દઇશ”

અને ફોન પૂરો થયો. મે રાજકીય મંચ પરથી કયારેય વ્યાખ્યાન આપ્યું ન હતું. એટલે મનમાં હતું કે આ બહાને જો મારુ નામ પડતું મુકાયા તો સારું. પણ મારી ધારણા ખોટી પડી. બે ત્રણ દિવસ પછી પાછો કલેકટર શ્રી ઝાલાવાડીયા સાહેબનો ફોન આવ્યો,

“ ગુડ મોર્નિંગ દેસાઇ સાહેબ, કેમ છો ? મજામા ને ?”

“ગુડ મોર્નિંગ સર, મજામાં છું”

“દેસાઇ સાહેબ, સાહેબે આપની વાત માન્ય રાખી છે. આપ સદભાવના અંગે જે કઈ બોલવું હોય તે દસેક મિનિટમાં બોલી શકો છો.”

શ્રી ઝાલાવાડીયા સાહેબની વાત સાંભળી મને શ્રી નરેન્દ્રભાઈ પ્રત્યેના આદરમાં વૃધ્ધિ થઈ. એમણે  મારા પર મુકેલ વિશ્વાસ મને ગમ્યો. મે કહ્યું, 

“જેવી સાહેબની ઈચ્છા. આપ મને સમય અને સ્થળ જણાવશો ત્યાં હું પહોંચી જઈશ.”

 

અને એ દિવસ આવી ગયો જ્યારે ભાવનગર શહેરને દુલ્હન જેમ સજાવવામાં આવ્યું હતું. ચારે બાજુ મુખ્યમંત્રી શ્રીના આગમનની તૈયારીઓ ધમધોકાર ચાલતી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં લગભગ દસથી પંદર હજાર નાગરિકો માટેનો શમિયાણો બાંધવામાં આવ્યો હતો. તેના વિશાળ સ્ટેજ ને સુશોભિત કરવાના આવ્યું હતું. કાર્યક્રમ એકાદ વાગ્યે શરૂ થવાનો હતો. એટલે ૧૨ વાગ્યે હું કાર્યક્રમ સ્થળે પહોંચી ગયો. પણ મને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચતા ખાસ્સી તકલીફ પડી. ડગલે ને પગલે સુરક્ષા કર્મીઓએ મારી સધન તપાસ કરી. માંડ માંડ હું સ્ટેજ નજીક પહોંચ્યો. એ સમયે સ્ટેજ પર કોઈ ન હતું. મારુ આઈ કાર્ડ જરૂરી દસ્તાવેજો તપાસી મને સ્ટેજ પર જવા દીધો. સ્ટેજ પર ગોઠવાયેલ ખુરસીઓની છેલ્લી હરોળમાં મે સ્થાન લીધું. લગભગ એકાદ કલાક પછી સ્ટેજ પર હલચલ મચી ગઈ. જાણે કોઈ વિશેષ વ્યક્તિનું આગમન ન થયું હોય. હું સમજી ગયો. મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યું છે. અનેક સુરક્ષા કર્મીઓ અને નેતાઓ થી ઘેરાયેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેજ પર આગમન થયું. સ્ટેજ અને તેની તેની આસપાસ ઉભેલા સર્વે એ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. અને નરેન્દ્રભાઈએ સ્ટેજની પ્રથમ હરોળમાં મુકેલ સોફા પર સ્થાન લીધું. અને કાર્યક્રમ સંચાલકે માઇક પરથી જાહેર કર્યું,

“આપણા લાડીલા મુખ્ય મંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ પર પધારી ગયા છે. આપણે આપણો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરીશું.”

નરેન્દ્રભાઈની આસપાસ ગુજરાતના અગ્ર નેતાઓ બેઠા હતા. અનેક નાગરિકો અને સંસ્થાઓ તેમનું સન્માન કરવા લાઇન ઊભા હતા. એવા સમયે તેમણે એક કાર્યકર ને પૂછ્યું,

“મહેબૂબ દેસાઇ કયા છે ?”

અને સ્ટેજ પર દોડધામ મચી ગઈ. કોઈને ખબર ન હતી કે હું સ્ટેજની છેલ્લી હરોળમાં બેઠો છું. પરિણામે કાર્યક્રમ સંચાલકે માઇક પરથી જાહેર કર્યું,

“પ્રોફેસર મહેબૂબ દેસાઇ જયાં હોય ત્યાંથી તુરત સ્ટેજ પર આવી જાય”

મે મારી ખુરસી ઉપરથી ઊભા થઈ હાથ ઊંચો કરી મારી જાણ કરી. અને એક સેવક દોડતો મારી પાસે આવી ચડયો.

“ચાલો, સાહેબ આપને યાદ કરે છે.”

અને સ્વયંસેવક અને સુરક્ષા કર્મીઓ મને નરેન્દ્રભાઈ પાસે દોરી ગયા. તેમની પાસે પહોંચી મે પ્રથમ હસ્તધૂનન કર્યું. પછી તેમણે ઓઢાડવા માટે હાથમાં રાખેલ શાલ તેમને ઓઢાડી તેમનું અભિવાદન કર્યું. નરેન્દ્રભાઈ હસ્તે ચહેરે મારી લાગણીનો સ્વીકાર કરતાં કહ્યું,

“મહેબૂબ ભાઈ પાછળ કેમ બેઠા હતા. આગળ આવી જાવ”

મે કહ્યું,

“ સર હું બરાબર છું. આપની હરોળમાં નેતાઓ જ શોભે”

અને તેઓ પુનઃ હસી પડ્યા. અને બોલ્યા,

“સ્વામી વિવેકાનંદ જીની ૧૫૦ જન્મજયંતીની મિટિંગનું નિયત્રંણ આપને મળી ગયું ?

“ના જી હજુ તો નથી મળ્યું”
“ સારું હું જોઈ લઇશ”

અમારી વાત ચાલતી હતી ને કાર્યક્રમ સંચાલકે જાહેર કર્યું,

“હવે “ભાવનગરની પ્રજાના મૂળભૂત સંસ્કારો” વિષય પર પ્રોફેસર મહેબૂબ દેસાઈ વ્યાખ્યાન આપશે.

જાહેરાત થતાં જ નરેન્દ્રભાઈની રજા લઈ મે  સ્ટેજ પરના વ્યાખ્યાન ડેસ્ક તરફ કદમો માંડ્યા. પ્રારંભિક સંબોધન બાદ મે કહ્યું,

“આપણી પરંપરા છે કે આપણે આપણાં મહેમાનનું સ્વાગત કયારેક ફૂલહારથી કરીએ છીએ, તો ક્યારે શબ્દો થી કરીએ છીએ. હું ભાવનગરના આંગળે પધારેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભાવનગરની પ્રજા, મારી ભાવનગર યુનિવર્સિટી અને ભાવનગરના મુસ્લિમ સમાજ વતી બે બે શબ્દો દ્વારા તેમનું સ્વાગત કરીશ,

“કિસને દસ્ક્ત દી દિલ પર કૌન હૈ

અંદર તો આપ હૈ બહાર કૌન હૈ”

પછી તો વ્યાખ્યાનમાં ભાવનગર શહેરના બે સપૂતો પૃથ્વીસિંહ અને રજબઅલી લાખાણી વચ્ચેની સદભાવના સાથે, ભાવનગરના આંબાચોકમાં આવેલ નારેશ્વરની સંધ્યાની આરતી અને જુમ્મા મસ્જિદના મગરિબની નમાજ સાથે જ થાય છે, છતાં તેમાં કોઈ કલેશ, કંકાશ કે વિખવાદ નથી થયો, તેની વિગતે મે વાત કરી. વ્યાખ્યાનના અંતે શ્રી નરેન્દ્રભાઈની એ સમયની રાજકીય અને માનસિક પરિસ્થિતિઓનો ચિતાર આપતા રાહત ઈંદોરીઓની એક ગઝલને ટાંકતા મે કહયું,

 

लोग हर मोड़ पे रुक रुक के सँभलते क्यूँ हैं

इतना डरते हैं तो फिर घर से निकलते क्यूँ हैं

 

नींद से मेरा तअल्लुक़ ही नहीं बरसों से

ख़्वाब आ आ के मिरी छत पे टहलते क्यूँ हैं

 

मैं न जुगनू हूँ दिया हूँ न कोई तारा हूँ

रौशनी वाले मिरे नाम से जलते क्यूँ हैं

 

मोड़ होता है जवानी का सँभलने के लिए

और सब लोग यहीं आ के फिसलते क्यूँ हैं”

 

મારા સમગ્ર વ્યાખ્યાન દરમિયાન નરેન્દ્રભાઈના ચેહરો એક નાગરિકનો તેમના નેતા પ્રત્યેનો અહોભાવ પ્રતીત કરાવતા હતા. એ સમયે જે ખુશી અને પ્રસન્નતા તેમના ચહેરા પર હતા, એ  જોઈને જ અનુભવી શકાય. આજે પણ એ વ્યાખ્યાન અને તેની પળો મારી સ્મૃતિમાં અકબંધ છે અને જીવન પર્યંત રહેશે.

(એ સંપૂર્ણ વ્યાખ્યા આપ મહેબૂબ દેસાઇની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકો છે)