Thursday, August 8, 2024

किसी का दिल जो तोड़ेगा खुदा क्या उस को छोड़ेगा : ડૉ. મહેબૂબ દેસાઇ

 દરેક મજહબમાં માનવીના કર્મોના ફળની વાત કરવામાં આવી છે. સ્વર્ગ અને નર્ક, જન્નત અને દોજકની પરિકલ્પના તેના ભાગ રૂપે અસ્તિત્વમાં આવેલ છે. પણ મૃત્યુ પછીની દુનિયાથી પામર માનવી બિલકુલ પરિચિત નથી. પરિણામે માનવીને તેના કર્મોનું સારૂ નરસું ફળ દુનિયામાં ભોગવવું પડે છે, માન્યતા પ્રબળ બનતી જાય છે. તેના અનેક દ્રષ્ટાંતો ઇતિહાસના પાનાંઓમાં અંકિત થયેલા છે. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જાણીતા થયેલ જનરલ રિજીનાલ્ડ ડાયર પર એક પુસ્તક

"The Butcher of Amritsar: Brigadier-General Reginald Dyer" by Nigel Collett લખ્યું છે. જેમાં જનરલ ડાયરની ક્રૂરતા, ગાંડપણ અને અંતિમ દિવાસોની વિસ્તાર પૂર્વક વાત કરવામાં આવી છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પંજાબ પ્રાંતમાં બ્રિટીશ શાસનનો વિરોધ વધી ગયો હતો. પરિણામે ૧૯૧૮માં બ્રિટીશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ભારત, ખાસ કરીને પંજાબ અને બંગાળના ક્ષેત્રોમાં અંગ્રેજ સરકાર પ્રત્યેના વધતા જતા વિરોધ પાછળ વિદેશી તાકતોનો હાથ રહેલો છે. સમિતિની દરખાસ્તોને સ્વીકારી ભારત પ્રતિરક્ષા અધિનિયમ (૧૯૧૫)નું રોલેટ એક્ટ તરીકે વિસ્તરણ કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં લાગુ કરાયેલ એક્ટ અંતર્ગત આઝાદીની ચળવળને દબાવી દેવા માટે બ્રિટીશ સરકારને અધિક સત્તાઓ આપવામાં આવી હતી. કાયદા મુજબ પ્રેસ પર સેન્સરશીપ લાગુ કરવામાં આવી. પ્રાંતિક સરકાર કોઇ પણ પ્રકારના વોરન્ટ વગર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકતી, નેતાઓને અદાલતી કાર્યવાહી વિના જેલમાં રાખી શકતી. તેમના પર વિશેષ અદાલતો બંધ ઓરડામાં કેસ ચલાવી શકતી. અદાલતે ફરમાવેલી સજા પર અપીલ કરવાની જોગવાઇ પણ હતી. આવા કાળા કાયદાનો સમગ્ર ભારતમાં પ્રચંડ વિરોધ થયો. ગાંધીજીના આદેશથી ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯ના રોજ સમગ્ર દેશમાં સભા-સરઘસ, દેખાવો-પ્રદર્શનો અને હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. બ્રિટીશ સરકાર દ્વારા વિરોધ આંદોલનને નિષ્ફળ બનાવવા અગ્ર  નેતાઓની ધરપકડો કરવામાં આવી. પરિણામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો. રસ્તા, રેલવે તથા ડાક-સંચાર સેવાઓ ખોરવી નાખવામાં આવી. દિલ્હી, લાહોર, અમૃતસર, મુંબઈ જેવા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા. અમૃતસર અને પંજાબના અન્ય શહેરોમાં સરકારી મકાનોસંપતિઓને નુકસાન પહોચાડવામાં આવ્યું. બેંકો લૂંટવામાં આવી. કેટલાક સ્થળોએ બે-ચાર અંગ્રેજોની હત્યા પણ કરવામાં આવી.

રોલેટ એક્ટના વિરોધમાં ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં બાળકો અને સ્ત્રીઓ સહિત લગભગ ૫૦૦૦ જેટલા લોકો એકઠા થયા હતા. સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર ૯૦ જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના તેણે ગોળીબાર શરૂ કરી દીધો. પરિણામે ઉપસ્થિત મેદનીમાં ભાગદોડ મચી ગઈ. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી. બાગમાં લગાવેલી તકતી અનુસાર ૧૨૦ મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં ૪૮૪ શહિદોની સૂચિ છે, જ્યારે જલિયાંવાલા બાગમાં ૩૮૮ શહિદોની સૂચિ મૂકેલી છે. બ્રિટીશ રાજના અભિલેખમાં ઘટનામાં ૨૦૦ લોકો ઇજાગ્રસ્ત થયાનો તથા ૩૭૯ લોકો શહીદ થયાનો ઉલ્લેખ જોવા મળે છે.

આવા ભયંકર હત્યાકાંડની વિશ્વવ્યાપી નિંદા થતાં તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ્સ એડવિન મોન્ટેગ્યુએ વિલિયમ લોર્ડ હંટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. સમિતિ સમક્ષ જનરલ ડાયરે સ્વીકાર કર્યો કે લોકો પર ગોળીબાર કરવાનો નિર્ણય તે પહેલેથી કરીને આવ્યો હતો તથા સાથે બે તોપ પણ લાવ્યો હતો પરંતુ સાંકડા રસ્તાને કારણે તે તોપ અંદર લાવી શક્યો હતો. હંટર સમિતિના અહેવાલ આધારે જનરલ ડાયરને બ્રિગેડિયરમાંથી કર્નલ તરીકે અવક્રમન કરી સક્રિય સરકારી સેવાઓમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પણ તેના અમાનવીય ગુનાહની પૂરતી સજા હતી. ઈશ્વરીય ઇન્સાફ તો હજુ બાકી હતો.

જીવનના અંતિમ વર્ષોમાં એકલતા, બોલી શકવાની અસમર્થતા, અસહય શારીરિક વેદના અને પથારીવશતા જનરલ ડાયરના જીવનની અત્યંત કરૂણતા હતી. અંતિમ દિવસોમાં જનરલ ડાયર બ્રેન સ્ટ્રોકને કારણે અપાહિજ થઈ ગયા હતા. પક્ષઘાતે તેમના શરીરને અસહાય કરી મૂક્યું હતું. તેમની વાચા હણાઈ ગઈ હતી. એકલતા અને શારીરિક નિર્બળતાએ તેમને સંપૂર્ણ ભાંગી નાખ્યા હતા. મહિનાઓ સુધી તેઓ મૃત્યના ઇન્તજારમાં પથારીમાં પીડાતા રહ્યા. અંતે 29 જુલાઈ 1927ના રોજ સેરેબ્રલ હેમરેજને કારણે તેમનું અવસાન થયું. મૃત્યું શય્યા પર પીડાતી અવસ્થામાં પોતાની ભાંગી તૂટી વાચામાં તેમણે કહ્યું હતું,

કેટલાક લોકો અમૃતસરની ઘટના અંગે મને કહે છે, મે યોગ્ય કર્યું, જ્યારે કેટલાક લોકો કહે છે મે અંત્યંત ખોટું કર્યું. હું તો માત્ર મૃત્યુની રાહ જોઈ રહ્યો છું મૃત્યુ પછી ઈશ્વર પાસે જઈ તેને પૂછીશ કે મે કરેલું કૃત્ય સારું હતું કે ખરાબ ?”

જનરલ ડાયરના અપકૃત્ય અંગે ઈશ્વરે તેમને શો પ્રત્યુત્તર પાઠવ્યો તે તો આપણે જાણતા નથી.  પણ મૃત્યુના ઇંતજારના તેમના અંતિમ દિવસોની વ્યથા, પીડા, એકલતા અને વિવશતા નિર્દોષ માનવીઓની હત્યાનું પરિણામ હશે તેમ માનવું અસ્થાને નહીં ગણાય