Thursday, March 14, 2024

ઇસ્લામ અને અપરિગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

 

ગાંધીજી એ જીવનમાં પાળવાનાં અગિયાર વ્રત સ્વીકાર્યા હતા. સત્ય, બ્રહ્નચર્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ, સ્વદેશી વ્રત. ગાંધીજીનાં અગિયાર વ્રતોમાંનું એક વ્રત અપરિગ્રહ હતું. આ વ્રતનો સીધોસાદો અર્થ થાય કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જો કે ગાંધીજીનું આ વ્રત માત્ર  ધન-સંપત્તિમાં જ સમાઇ જતું નથી. તેમના જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વ્રતની આણ વર્તાતી હતી.

જૈન ધર્મમાં અપરિગ્રહ  રાજયોગ કે અષ્ટાંગ યોગ દર્શનનો એક ભાગ છે. આ  સંકલ્પનાનો અર્થ એવો છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો, સંગ્રહ ન કરવો જોઈએ. જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાં અહિંસાઅસ્તેયબ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતોમાં અપરિગહનો  પણ સમાવેશ થાય છે.

ઇસ્લામના એક મોટા સૂફી સંતની હજરત શાહશુજા કિરામની ની એક જાણીતી કથા જાણવા અને માણવા જેવી છે. તેઓ રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતા અત્યંત વૈરાગી અને જ્ઞાની હતા. તેમણે પોતાની અંત્યંત સુંદર પુત્રીના નિકાહ એક ગરીબ અને ઈમાનની દૌલતથી માલામાલ યુવાન સાથે કર્યા.

નિકાહ પછી તે યુવાન સંત કિરામની ની પુત્રીને લઈ પોતાની નાનકડી કુટીરમાં આવ્યો. કુટીરના એક ખૂણામાં પાણીના કુંજા પાસે રોટલીનો સુકાઈ ગયેલો એક ટુકડો પડ્યો હતો. અમીર પિતાની પુત્રીએ એ જોઈ પતિને પૂછ્યું,

“સુકાઈ ગયેલો રોટલીનો ટુકડો અહિયાં કેમ મૂકી રાખ્યો છે. ?”

“આજે રાત્રે ખાવા કામ લાગશે એમ માની ગઈ કાલથી રાખી મૂક્યો છે.”

આ સાંભળી હજરત શહેસુજા  કિરમાની (ર. અ.)ની પુત્રીએ ગરીબ પતિનું ઘર

છોડી પિતાના ઘર તરફ કદમો માંડ્યા. ગરીબ પતિ આ જોઈ બોલી ઊઠયો,

“મને ખબર જ હતી કે હજરત શહેશુજા જેવા ધનાઢ્યની પુત્રી મારા જેવા

ગરીબને ત્યાં નહીં રહી શકે.”

આ સાંભળી પત્નીએ નમ્રતાથી કહ્યું,

“તમારી ગરીબાઈને હું સર આંખો પર ચઢાવું  છું. પણ આવતી કાલની

ચિંતામાં અપરિગ્રહ કરનાર ઇન્સાનને ખુદા અને પોતાની જાત પર વિશ્વાસ

નથી. એવા ઈમાન વિહોણા માનવી સાથે હું કેમ રહી શકું ?”

પોતાની જરૂરિયાતથી વધુ કે અનાવશ્યક કયારેય ન રાખવાની મહંમદ સાહેબની

આદત અને ઇસ્લામનો આદેશ બને અપરિગ્રહના સંદર્ભમાં જાણવા જેવા છે.

ઇસ્લામના પાયાના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવ મૂલ્યો પડ્યાં છે. આમા જકાત અર્થાત દાનમાં અપરિગ્રહનો સિધ્ધાંત સમાયેલો છે. ઇસ્લામી કાનૂન મુજબ દરેક મુસ્લિમે પોતાની કુલ સ્થાવર જંગમ મિલકતના અઢી ટકા રકમ ફરજિયાત દાનમાં આપવી જોઈએ. ફરજિયાત દાન એટલે તમારી જરૂરિયાત કરતાં તમારી પાસે જે વધારે ધન છે તે ગરીબ કે જરૂરતમંદોમાં વહેચી દેવું. કુરાને શરીફમાં આ અંગે કહેવામાં આવ્યું છે,

“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શુ ખર્ચીએ ?”

“કહો જે કઈ તમારી જરૂરિયાત કરતાં વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”

મહંમદ સાહેબના પત્ની હજરત આયશ કહે છે,

“આવતી કાલ માટે બચાવી રાખવાને મહંમદ સાહેબ અલ્લાહ

પરના વિશ્વાસની ઉણપ કહેતા.”

મહંમદ સાહેબના અનુયાયીઓ અવારનવાર તેમને કીમતી ભેટસોગાદો આપતા.

પણ પોતાની કુટિરમાં તેનો તેઓ કયારેય સંગ્રહ કરતાં નહીં. સોનું, ચાંદી કે

પૈસા જે દિવસે કુટિરમાં આવતા એ જ દિવસે મહંમદ સાહેબ તેને ગરીબોમાં વહેચી

દેતા. તે રાતવાસો મહંમદ સાહેબની કુટીરમાં ક્યારેય ન રહેતા.

એકવાર મહંમદ સાહેબ ને રાત્રે બેચેની થવા લાગી. પત્ની હજરત આયશાને

અડધી રાત્રે જગાડી આપે પૂછ્યું,

“કુટિરમાં પૈસા, સોનું કે ચાંદી તો નથી પડ્યા ને ?”

હજરત આયશા બોલી ઉઠયા,

“હા, સાંજે અબ્બા (અબૂબકર) ગરીબોને આપવા પૈસા આપી ગયા છે તે પડ્યા છે.”

હજરત મહંમદ સાહેબ તુરત બોલ્યા,

“જા અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેચી દે. પ્રેષિતના છાપરા નીચે

ધન ન હોય”

અને અડધી રાત્રે હજરત આયશાએ એ ધન ગરીબોમાં વહેચી દીધું.

મહંમદ સાહેબ હંમેશા કહેતા,

“માનવીનો હક્ક આટલી ચીજો સિવાઈ કશા પર નથી. રહેવા માટે ઘર, દેહ ઢાંકવા

વસ્ત્રો, ભૂખ મિટાવા રોટી અને પ્યાસ બુજાવવા પાણી.”   

અરબસ્તાનના શાસક તરીકે તેમણે અપરિગ્રહના સિધ્ધાંતનું અક્ષરસહ પાલન કર્યું

હતું. મહંમદ સાહેબ ક્યારેય કોઈ સિંહાસન કે ઊંચા આસન પર બેઠા નથી. તેમનું  

રહેવાનું મકાન કાચી ઈંટોનું હતું. એ મકાનમાં ખજૂરીના પાંદડાની ગારાથી છાંદેલી

દીવાલો હતી. છાપરું પણ ખજૂરીના પાંદડાનું બનેલું હતું. ઘરમાં બેસવા સાદડી કે

સાદા પાથરણ હતા. મહંમદ સાહેબના પહેરણને મોટે ભાગે બટન હોતા નહીં. આવા

અત્યંત સાદા ઘરમાં પણ સ્વચ્છતા અને સુઘડતા નજરે પડતી.

હજરત મહંમદ પયગંબર સાહેબ હંમેશા કહેતા,

“મુસાફરીમાં જેટલું આપણે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું

જોઈએ.”

એકવાર કોઇકે આપને પૂછ્યું,

“આપને તકિયો જોઈએ જોઈએ છીએ ?”

હજરત મહંમદ સાહેબ ફરમાવ્યું,

“મુસાફર વૃક્ષના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય એથી વધુ મારો

સંબધ આ જગત સાથે નથી.”

અપરિગ્રહના આવા કપરા સિધ્ધાંતનું પાલન કરનાર મહંમદ સાહેબ પાસેથી કદાચ

ગાંધીજી પણ આ સિધ્ધાંતનું સાચું અર્થઘટન પામ્યા હશે એમ કહેવું વધુ પડતું નહીં

કહેવાય.  

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment