Sunday, June 25, 2023

આભ આંબીયાંની અનુભૂતિ : ડૉ. મહેબૂબ દેસાઈ*

 

ઇસ્લામમાં “મુકમમિલ ઇન્સાન” શબ્દ એવી વ્યક્તિ માટે વપરાયો છે, જે મૂલ્યનિષ્ઠ જીવનને વરેલો હોય. જે ધાર્મિક હોય પણ ધર્માંધ ન હોય. સૂફી પરંપરામાં પણ સૂફીસંતોના જે લક્ષણો વ્યક્ત થયા છે, તેમા સાદગી, શુધ્ધ ચરિત્ર, આચાર વિચારમાં સમાનતા, ભક્તિ, નિસ્વાર્થતા, અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ કેન્દ્રમાં છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક વાણી, અને સમ્યક ચરિત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તમામ ગુણોનો સમન્વય એટલે ડૉ. કુમારપાળ દેસાઈ એમ કહું તો કદાચ આપને અતિશયોક્તિ કે ખુશામત લાગશે. પણ એવું નથી. મે ક્યારેય કુમારપાળભાઈ પાસેથી કઈ જ મેળવ્યું નથી કે મેળવવાની અપેક્ષા રાખી નથી. અમારા વચ્ચેનો નાતો - રિશ્તો બે શિષ્ટ પુરુષો વચ્ચે હોય તેવો જ છે. અમે જયારે પણ મળીએ છીએ ત્યારે એક બીજાને પ્રેમ અને શિષ્ટાચારના આદર સાથે મળીએ છીએ. પણ એ વ્યવહારમાં માત્ર માનવી માનવી વચ્ચેનો નિર્મળ પ્રેમ જ વ્યક્ત થાય છે. અમારા આવા પવિત્ર સબંધો એકાદ બે વર્ષના નહીં, પણ ત્રીસ વર્ષ જૂના છે.

કુમારપાળ ભાઈના નામથી તો હું વર્ષોથી પરિચિત હતો. કોલેજ કાળમાં જયભિખ્ખુ સાહેબની કૉલમ “ઈંટ અને ઇમારત” નિયમિત વાંચતો. એ પછી એ કૉલમના લેખક તરીકે મે કુમારપાળ ભાઈને પણ વર્ષો માણ્યા છે. પણ અમારો સિધ્ધો પરિચય તો ભાવનગરના મુસ્લિમ સમાજના એક ઈનામ વિતરણ કાર્યક્રમને કારણે થયો. એક દિવસ કાર્યક્રમના આયોજકો મને મળવા મારી ઓફિસે આવ્યા. અને મને વિનંતી કરી કે,

“દેસાઈ  સાહેબ, અમારી ઈચ્છા કાર્યક્રમમાં મા. કુમારપાળ દેસાઇને બોલાવવાની છે. આપ જો તેમને અમારા વતી વિનંતી કરો અને તે આવે તો અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય”

હું તેમની વાત મનોમન સાંભળી રહ્યો. અને મનમાં વિચારી રહયો હતો કે કુમારપાળ ભાઈ સાથે મારે કોઈ જ પરિચય નથી. હું તેમને કેવી રીતે વિનંતી કરી શકું ? અને આ સજ્જનો મારા પર મદાર માંડીને બેઠા છે. છતાં મે તેમને મારી દ્વિધા કળવા ન દીધી અને કહ્યું,

“સારું હું પ્રયત્ન  કરીશ”

એક સવારે કુમારપાળ ભાઇનો લેન્ડ લાઇન નંબર શોધી મે તેમને હિમ્મત કરી ફોન કર્યો.

“હલ્લો, હું ભાવનગરથી મહેબૂબ દેસાઇ બોલું છું. ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં અધ્યાપક છું. આપની સાથે બે પાંચ મિનિટ વાત કરી શકું ?”

“બોલો બોલો મહેબૂબ ભાઈ, કેમ છો ? આપણે મળ્યા નથી પણ આપના નામથી પરિચિત છું.”

આવો પ્રેમાળ પ્રતિભાવ સાંભળી મારો માનસિક ભાર થોડો હળવો થયો. અને મે તેમને કાર્યક્રમની વિગતો આપી અને કહ્યું,

“આપ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે પધારો એવી વિનંતી છે. કાર્યક્રમની તારીખ આપ જે કહેશો તે રાખીશું”

“ચોક્કસ આવીશ. પણ મને એકાદ દિવસનો સમય આપો. હું મારી અનુકૂળતા જોઈ તમને તારીખ જણાવીશ.”

“આપનો ખૂબ ખૂબ આભાર” 

એમ કહી અમે વાત પૂરી કરી. 

અને કુમારપાળ ભાઈ એ કાર્યક્રમમાં ભાવનગર સુધી આવ્યા અને સાચ્ચે જ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. વિદાય સમયે આયોજકોએ તેમને આપવા માટે પુરસ્કારનું કવર મને આપ્યું. મે રસ્તામાં ચાલતા ચાલતા તેમને આપતા કહ્યું,

“સર જી, આપના આવન જાવન ખર્ચ અને પુરસ્કારની અલ્પ રકમ છે.”

તેમણે એક નજર મારા તરફ કરી. પછી ચહેરા પર મીઠું સ્મિત પાથરતા  કહ્યું,

“મહેબૂબ ભાઈ આની જરૂર નથી”

“સર જી , આયોજકોએ પ્રેમથી આપને આપ્યા છે. ના ન પાડશો.”

એમણે પોતાની કારના દરવાજા પાસે પહોંચી કવરમાંથી એક નોટ કાઢી બાકીનું આખું કવર મને પરત કરતાં કહ્યું,

“મહેબૂબ ભાઈ, બસ હવે કશું ન બોલશો. કાર્યક્રમના બહાને આપને અને આપના સમાજને મળવાની મને તક મળી છે. વળી, આવા કાર્યક્રમોના આયોજનની આર્થિક સમસ્યાઓથી હું વાકેફ છું.”

અને મારો હાથ તેમના હાથમાં લઈ સસ્મિત સહેજ દબાવી તેઓ કારમાં બેસી ગયા. અને હું એમને   સદભાવનાથી ભીજયેલી આંખે જોઈ રહ્યો.

આવો જ એક અન્ય પ્રસંગ યાદ આવે છે. 5 ફેબ્રુઆરી 2001ના રોજ ઈશ્વર-ખુદાની ક્રુપાથી મને  અને સાબેરાને હજ યાત્રાએ જવાનો અવસર સાંપડ્યો. એ યુગમાં પૈસાની તાણ. હજ યાત્રા માટે દોઢ લાખ ભેગા કરવાના હતા. તેથી મે સ્વજનો મિત્રો અને મારા પીએફ માંથી લોન લેવા સુધીના પ્રયાસો આરંભી દીધા. એ વખતે કુમારપાળ ભાઈ દેસાઈ  ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપ પ્રમુખ અને ભોળાભાઈ પટેલ પ્રમુખ. મારા એક પુસ્તકને અકાદમીની સહાય મળેલ. પુસ્તક છપાઈ ગયું. અકાદમીને મોકલી આપ્યું છતાં હજુ સહાયની રકમનો ચેક મળ્યો ન હતો. 

કુમારપાળ ભાઈ સુધી મારી હજ્જ યાત્રા અને નાણાં ભીડની વાત કેવી રીતે પહોંચી તે તો મને ખબર નથી. પણ એક દિવસ કુમારપાળ ભાઇનો મારા પર ફોન આવ્યો.

“મહેબૂબ ભાઈ, કેમ છો મજામાં ને ?”

“મજામાં છું સર જી”

“હજ યાત્રાએ જાવ છો તો અમારા માટે પણ પ્રાર્થના કરજો.”

“ચોક્કસ સર જી”

“અને હા, આજે જ તમારો ચેક પોસ્ટ કરી દીધો છે. એકાદ બે દિવસમાં તમને મળી જશે. ક્યારે નીકળવાના છો ?

“5 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ આવીશ. અને 10મી એ બપોરે ફ્લાઇટ છે.”

“મારી આપ બંનેને શુભેચ્છાઑ છે.”

અને તેમનો ફોન મૌન થઈ ગયો.  

આવા ગુણીજન કુમારપાળ દેસાઈ સાહેબ સાથે છેલ્લે તેમને કોઈક એવોર્ડ માટે અભિનંદન આપવા મે ફોન કર્યો અને કહ્યું,

“સર જી, હજુ કેટલા એવોર્ડ લેવા છે. કોઈક ના માટે કઈક તો રહેવા દો.”

અને ત્યારે તેઓ એટલું જ બોલ્યા,

“મહેબૂબ ભાઈ, મે કયા ક્યારેય કશું કોઇની પાસે માંગ્યું છે. જે કઈ મળે છે તે ઈશ્વરની ક્રુપા સમજી સ્વીકારી લઉં છું.” 

આવા સૂફીજન ડૉ. કુમારપાળ દેસાઈ સાહેબને મારા સો સો સલામ.


---------------------------------------------------------------------------------------

* નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, એમ. કે. 

   ભાવનગર વિશ્વ વિધ્યાલય, ભાવનગર (1992-2012)

* નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, 

  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.(2012-2018) 


 


1 comment: