Monday, October 8, 2018

સૌને સાલ મુબારક અને ઈદ મુબારક : ડો. મહેબૂબ દેસાઈ


આ વખતનો નવેમ્બર માસ હિંદુ અને ઇસ્લામ બંને ધર્મના અનુયાયીઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે. ૭ નવેમ્બરના રોજ દીપાવલી છે. જયારે ૨૧ નવેમ્બરના રોજ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) નો જન્મ દિવસ અર્થાત ઈદ-એ-મિલાદ છે. દીપાવલી સત્યનો અસત્ય પર વિજય છે. અજ્ઞાનનો જ્ઞાન પર વિજય છે. પ્રકાશનો અંધકાર પર વિજય છે. ટૂંકમાં દીપાવલી દીવાઓનો તહેવાર છે. દીવાઓ અંગે સંસ્કૃતમાં એક સુંદર શ્લોક છે,
दीपज्योतिः परब्रह्म दीपज्योतिः जनार्दनः
दीप हरतु मे पापम् दीपज्योतिः नमोस्तु ते 
અર્થાત
“દિપ જ્યોત પરબહ્મ છે, દિપ જ્યોત જગતના દુઃખ હરનાર દેવ છે,
દિપ દેવ મારા પાપ દૂર કરે છે, હે દિપ જ્યોત તમને મારા વંદન”
અને એટલે જ આપણે તેની ખુશીને ઉજવીએ છીએ. એ જ રીતે ઇસ્લામમાં ઈદ એ પણ ખુશીઓને માણવાનો દિવસ છે. પણ આ ઈદ “ઈદ-ઉલ-અજહા” (બકરા ઈદ કે કુરબાનીની ઈદ) કે “ઈદ-ઉલ-ફિત્ર” (રમઝાન ઈદ) નથી. પણ આ ઈદને “ઈદ-એ-મિલાદ” કહે છે. હઝરત મહમદ સાહેબના જન્મદિવસની ઉજવણીનો દિવસ એટલે “ઈદ-એ-મિલાદ”. જેમ બેસતા વર્ષના  દિવસે આપણે સૌ સાથે મળીને આનંદ કરીએ છીએ.વડીલોના આશીર્વાદ લઇએ છીએ. ભાવતા ભોજન આરોગીએ છીએ. અને ખુશીને પેટ ભરીને માણીએ છીએ. ઇદ-એ-મિલાદમાં એ જ પરંપરાને મુસ્લિમો અનુસરે છે. મુસ્લિમો નવા વસ્ત્રો ધારણ કરે છે. ઘરમાં સ્વાદિષ્ટ ભોજન પકાવે છે અને આરોગે છે.વડીલોને સલામ કરે છે. અને મહંમદ સાહેબના જીવન આદર્શોને પોતના જીવનમાં અમલમાં મુકવા કટિબદ્ધ બને છે.
તહેવારોનો મહિમા વ્યક્ત કરતા મહંમદ સાહેબ (સ.અ.વ.) કહ્યું છે,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ-પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો "
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન, નવા વસ્ત્રો અને આનંદ પુરતી સીમિત ન હોઈ શકે. સદ વિચારોના આચારથી ખુશી બેવડાય છે. તમારી ખુશીમાં નાના-મોટા ગરીબ-અમીર સૌને સામેલ કરવાથી તમારી ખુશી વિસ્તરે છે. ખુશીના પ્રસંગે સ્વજનો સાથેના નાના મોટા મનદુઃખો ભૂલી જઈ મળવું, એ પણ સદ વિચારનો પ્રસાર છે. તમારી કુટેવો વ્યસનોને હંમેશ માટે છોડવાનો નિર્ણય પણ તમારા સ્વજનો માટે અત્યંત ખુશીનો અવસર બની રહે છે. ટુંકમાં સદવિચારોનું આચરણ અને આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે.
કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,
"અલબત્ત જે લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા અને સદકાર્યોને વળગી રહ્યા તેમને જન્નતના બાગોમાં પ્રવેશ મળશે, જ્યાં મીઠા પાણીને નહેરો વહેતી હશે. તેમને રેશમના વસ્ત્રો અને કીમતી આભૂષણો પહેરાવવામાં આવશે. અને અલ્લાહના માર્ગ (સદમાર્ગે) પર ચાલવા માટે તેમની પ્રશંશા કરવામાં આવશે"
ઈદ-એ-મિલાદ મહંમદ સાહેબનો જન્મ દિવસ છે.ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે  સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલીના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની  આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.
આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી. તેમના જન્મદિને માનવીય અભિગમને જીવનભર આચરણમાં મુકનાર મહંમદ સાહેબના કેટલાક વચનો માણીએ.
“જે માનવી સ:હદયતાથી વંચિત રહ્યો,તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.”
“ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.”
“તમારામાં સૌથી શ્રેષ્ઠ એ છે જે ખુદાનો ખોફ (ભય) રાખે છે.”
“સૌ પ્રત્યે પ્રેમ એ મારી રીત છે. જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો, તેણે મારી સાથે પ્રેમ રાખ્યો. અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો તે મારી સાથે જન્નત (સ્વર્ગ)મા રહેશે”.
“સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.”
“તમે દુનિયામાં એવી રીતે રહો જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.”

“પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે. પરંતુ મને (હઝરત મહમદ સાહેબને) સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.”

મહંમદ સાહેબની આ હિદાયતો જીવનમાં સાકાર કરવાની પ્રતિજ્ઞા સાથે સૌ વાચક મિત્રોને સાલ મુબારક અને ઈદ મુબારક.

No comments:

Post a Comment