Tuesday, June 11, 2013

હઝરત મહંમદ સાહેબની સુવર્ણ હિદાયતો : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ની કેટલીક હિદયાતો આજે પણ માનવ સમાજ માટે આવકાર્ય અને ઉપયોગી છે. એ ટૂંકી હિદયતો કે ઉપદેશો જાણવા જેવા છે.
v  ઈમાન(શ્રધ્ધા)ના સિત્તેરથી વધુ દરજ્જા છે. તેમાં “લા-ઈલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી) ઈમામનો સૌથી ઉંચો દરજ્જો છે.
v  પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે. પરંતુ મને (હઝરત મહમદ સાહેબને) સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.
v  જે માનવી સ:હદયતાથી વંચિત રહ્યો,તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.
v  ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.
v  તમારામાં સૌથી શ્રેષ્ઠ એ છે જે ખુદાનો ખોફ (ભય) રાખે છે.
v  સૌ પ્રત્યે પ્રેમ એ મારી રીત છે. જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો, તેણે મારી સાથે પ્રેમ રાખ્યો. અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો તે મારી સાથે જન્નત (સ્વર્ગ)મા રહેશે.
v  સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.
v  તમે દુનિયામાં એવી રીતે રહો જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.
v  યુવાનીની વૃદ્ધા અવસ્થા પહેલા, તંદુરસ્તીની બિમારી પહેલા, સમૃદ્ધિની નાદારી પહેલા, ફુરસદની વ્યસ્તતા પહેલા અને જીવનની મૃત્યું પહેલા કદર કરો.
v  ઈશ્વર તમારા ધન દોલતને નથી જોતો, બલકે તે તમારા ઈરાદા અને કર્મોને જુવે છે.
v  રાત્રે થોડો સમય જ્ઞાન આપવું, રાતભર જાગીને બંદગી કરવા કરતા સારું છે.
v  પીડિતની ફરિયાદથી ન બચો, કેમ કે તેની અને અલ્લાહની વચ્ચે આડાશ નથી.
v  સંતાન માટે પિતા તરફથી શ્રેષ્ટ ભેટ સારી રીતભાત અને સભ્યતા છે.
v  જેનામાં પ્રમાણિકતા નથી, તેનામાં ઈમાન નથી.
v  ખુશ ખબર એ વ્યક્તિને , જેનું આયુષ્ય લાંબુ અને તેના કર્મ સારા હોય.
v  ઈમાનમાં પરિપૂર્ણ તે છે, જે નૈતિકતામાં શ્રેષ્ટ છે.
v  હે અલ્લાહ, મારા હદયને દંભથી, મારા કાર્યને આડંબરથી, મારી જીભને જુઠ્ઠથી અને મારી આંખને અપ્રમાણિકતાથી બચાવ. નિ:શક તુ આંખની અપ્રમાણિકતા અને હદયોના ભેદો જાણે છે.
v  સત્ય સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે, જુઠ્ઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.
v  શક્તિશાળી એ નથી જે પ્રતિસ્પર્ધીને પછાડી દે છે, બલકે શક્તિશાળી એ છે જે ગુસ્સા પર કાબુ રાખે છે.
v  શરમ અને લજ્જા ઈમાન(શ્રધ્ધા)ની એક શાખા છે.
v  ધર્મદાન કરવાથી મિલકત ઘટતી નથી.
v  લોકો શું તમે સાંભળતા નથી ? નિ:શંક સાદગી ઈમાનની નિશાની છે.
v  એવી વ્યક્તિ ઘમંડથી પર છે, જેનો સેવક તેની સાથે ભોજન લેતો હોય.
v  એશ આરામથી બચતા રહેજો. કારણ કે અલ્લાહના બંદા એશ આરામથી દૂર હોય છે.
v  સુંદર ચારિત્ર, નમ્રતા અને મધ્યમ માર્ગ ઈશ દૂતનો ચોવીસમો ભાગ છે.
v  મુસ્લિમ એ નથી જે પેટ ભરીને જમે,  અને તેનો પાડોશી ભૂખ્યો તડપતો હોય.
v  અલ્લાહ એવા પુરુષ પર ધિક્કાર કરે છે, જે સ્ત્રીઓ જેવા વેશ ધારણ કરે છે અને એવી સ્ત્રીઓ પર ધિક્કાર કરે છે જે પુરુષ જેવા વેશ ધારણ કરે છે.
v  પવિત્રતા અને સ્વછતા ઈમાન (શ્રધ્ધા )નો અડધો ભાગ છે.
v  વૈધ કાર્યોમાં અલ્લાહને સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.
v  જે પુત્ર અને પુત્રી દરમિયાન ભેદભાવ ન કરે, તેમજ પુત્રીઓનું સારી રીતે પાલન પોષણ કરે, તેમના શિક્ષણ-પ્રશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા કરે છે તે સ્વર્ગમાં જશે.
v   ત્રણ બાબતો મૃત્યુંને આસન કરી નાખે છે, નમ્ર વ્યવહાર, માતા પિતા સાથે પ્રેમ અને સેવકો (નોકરો) સાથે સદવર્તન.
v  મજૂરનો પરસેવો સુકાતા પહેલા તેને તેની મજુરી ચૂકવી દો.
v  નોકર પાસેથી તેની શક્તિ અનુસાર સેવા લો. તેના આરામનો ખ્યાલ રાખો. જે કઈ તમે ખાવ તે તેને ખવડાવો અને જે કઈ તમે પહેરો તે તેને પહેરવા આપો.
v  યુધ્ધના કેદીઓ સાથે સદવર્તન કરો. તેને યાતનાઓ ન આપો.
v  જરૂરતમંદ લોકોની મદદ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ એવો છે, જે અલ્લાહના માર્ગમાં જિહાદ(સત્ય-અસત્યનો સંધર્ષ) કરતો હોય.
v  લાચાર અબોલ પ્રાણીઓની બાબતમાં અલ્લાહથી ડરો.
v  તમે પૃથ્વીવાસીઓ પર દયા કરો, આકાશવાળો (અલ્લાહ) તમારા પર દયા કરશે.
v  પાણી પીવડાવવું અંત્યત પ્રિય દાન છે.
v  નાણાને ગણી ગણીને જમા ન કરો (કંજુસી ન કરો). અને ન તો ફૂઝૂલ ખર્ચ કરો.મધ્યમ માર્ગ અપનાવો.
v  જુઠ, ચાડીચુગલી, મિથ્યા આરોપ, નિંદા વગેરેથી બચો. લોકોને ખોટા નામથી ન બોલાવો.
v  ઈર્ષા ન કરો, તે સદ્કાર્યોને ઉધઈની જેમ ખાઈ જાય છે.
v  તે વ્યક્તિ સૌથી સારો છે જે પોતાના ઘરવાળાઓ અને પડોશીઓ માટે સારો હોય.
v  ચીજ વસ્તીઓમાં ભેળસેળ ન કરો. તોલમાપમાં કમી ન કરો. વેપારમાં છેતરપીંડી ન કરો.
v  ભાવ વધારો લેવા માટે ચીજ વસ્તુઓનો સંગ્રહ ન કરો. આવું કરનાર ઘોર યાતાનોને પાત્ર છે.
v  કોઈ પણ ચીજ વસ્તુનો જરૂરથી વધારે ઉપયોગ ન કરો. પાણીનો દુર ઉપયોગ ન કરો. ચાહે તમે નદી કિનારે જ કેમ ન રહેતા હોવ.
v  ફળવાળા વૃક્ષો ન કાપો.
v  દરેક મુસ્લિમ સ્ત્રી પુરુષ માટે શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.


No comments:

Post a Comment