Friday, May 3, 2013

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું અંતિમ પ્રવચન : ડૉ. મહેબૂબ દેસાઈ



હિજરી સન ૧૦ ઈ.સ. ૯૩૨મા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ અંતિમ હજયાત્રા કરી. જેને ઇસ્લામમાં “હજજતુલ્વદાઅ” કહે છે.આ હજ કરવા પાછળનો મહંમદ સાહેબનો મકસદ ઇસ્લામના મઝહબી અને માનવીય અભિગમને વિશ્વ સમક્ષ અભિવ્યક્ત કરવાનો હતો. મઝહબી દ્રષ્ટિએ હજની રીતરસમોને સ્થાપિત કરવામાં મહમદ સાહેબ(સ.અ.વ.)ની આ અંતિમ હજ ઇસ્લામના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. એ જ રીતે અરફાતના મૈદાનમાં મહંમદ સાહેબે આપેલ અંતિમ ધાર્મિક પ્રવચન માત્ર ઇસ્લામી ઇતિહાસમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વના માનવ સમાજમાં માટે માર્ગદર્શક બની રહે તેવું હતું. પ્રવચનના આરંભમાં મહંમદ સાહેબે અલ્લાહતઆલાની સ્તુતિ કરી હતી. એ પછી અલ્લાહનો શુક્ર અદા કરી પોતાના પ્રવચનો આરંભ કર્યો હતો. મહંમદ સાહેબે પોતાના સમગ્ર પ્રવચનમાં ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખ્યા હતા. જે સાચ્ચે જ જાણવા અને માણવા જેવા છે. મહંમદ સાહેબના પ્રવચનના નીચેના કેટલાક અવતારનો તેની સાક્ષી પૂરે છે.
“હે લોકો, આજે હું તમને જે કહી રહ્યો છું તેને ધ્યાન પૂર્વક સાંભળો અને તેનો અમલ કરો. કેમ કે આ  મુકામ પર હું તમારી સાથે અહીં કરીવાર આવી શકીશ કે નહિ, તેની મને ખબર નથી. અલ્લાહપાક બહેતર જાણે છે”
“હે લોકો, જો તમે અલ્લાહતઆલાનો ખોફ અર્થાત ડર રાખીને સંપૂર્ણપણે તેની આજ્ઞાઓનું પાલન કરતા રહેશો, તો અલ્લાહ નિશંકપણે તમારા જાન, માલ અને પ્રતિષ્ઠાની હિફાજત કરશે અને તેની પવિત્રતા કાયમ રાખશે”
“હે લોકો, અજ્ઞાનતાના યુગમાં વ્યાજનો રીવાજ પ્રચલિત હતો. પરંતુ અલ્લાહે વ્યાજખોરી ની સખત મનાઈ કરી છે. ઇસ્લામમાં તેના પર પ્રતિબંધ છે.તેનાથી દૂર રહો. અલબત્ત તમે તમારી મૂડી પાછી લઇ શકો છો, પણ તેના પર વ્યાજ લેવું તે ગુનાહ છે.”
“ હે લોકો, અજ્ઞાનતા અને જહાલતના યુગમા અર્થાત ઇસ્લામ પૂર્વે માનવીની હત્યાના બદલામા હત્યા કરી બદલો લેવાનો ક્રૂર રીવાજ બંધ કરવમાં આવે છે”
“હે લોકો, જે વ્યક્તિએ જાણીબુઝીને ઈરાદાપૂર્વક માનવ હત્યા કરી, તેના અસરગ્રસ્તને વળતર રૂપે સૌ ઉંટ જેટલી રકમ ચૂકવવી પડશે”
“હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે, તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો અને કયારેય અમાનતમા ખિયાનત ન કારો”
“હે લોકો, હવે તમારી સ્ત્રીઓના મામલામાં વાતચીત કરવા માંગું છું. તમારો હક્ક જેવી રીતે તમારી પત્નીઓ ઉપર છે, તેવો જ હક્ક તમારી પત્નીઓનો તમારા પર છે. તમારી પત્ની પર પ્રેમ અને વિશ્વાસ રાખો. અને તેમની સાથે સારો વર્તાવ કરો. અલ્લાહથી ડરતા રહો. અને પત્નીઓ પત્યે દયાભાવ રાખો. જો તેઓ તમને વફાદાર રહે તો તમે તેનું સારી રીતે ભરણપોષણ કરો”
“હે લોકો, અલ્લાહ એક છે. અને તમે સૌ હઝરત આદમના સંતાનો છો. સર્વ કોઈ સમાન છો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી,અરબ કે બિનઅરબ પર, ગોરા ને કાળા પર કોઈ ચડિયાતું નથી. અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દ્રષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ રાખે છે અને પરહેજગારી કરે છે”
"હે લોકો, અલ્લાહે દરેક વારસદાર માટે એક હિસ્સો નક્કી કરેલ છે. તે તેને અવશ્ય મળશે. જો કોઈ ત્રાહિત વ્યક્તિને વસિયત કરવા ચાહો તો તમારી વસિયતના એક તુતીયાંશથી વધારે વસિયત કરી શકશો નહિ"
"હે લોકો, મારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બની જશો નહિ. એકબીજાની ગરદન કાપશો નહી. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબુતીથી પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશ, ત્યારે તમારી વચ્ચે નહિ રહું. પણ બે અમુલ્ય વસ્તુઓને તમારા માટે મુકતો જાઉં છું. એક છે અલાહની કિતાબ કુરાન-એ-શરીફ. અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ, જે તમને ગુમરાહીથી બચાવશે"
"હે લોકો, યાદ રાખો મારા પછી કોઈ નબી નથી. તમારા પછી કોઈ ઉમ્મત (માનવસમાજ) નથી.તેથી પોતાન રબની બંદગી કરજો. પ્રતિદિન પાંચ વક્તની નમાઝ અદા કરજો. રમઝાનના રોઝા (ઉપવાસ) રાખજો. રાજીખુશીથી પોતાના માલની જકાત(દાન)આપજો.પોતાના પાલનહારના ઘરની હજજ કરજો અને પોતાના શાસકોની આજ્ઞાનું પાલન કરજો. આવું કરશો તો પોતાના રબ (ખુદા)ની જન્નત (સ્વર્ગ)માં દાખલ થશો"
ઉપરોક્ત આદેશમાં હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ઇસ્લામના નમાઝ, રોઝા, જકાત અને હજજ સાથે પોતના શાસકોની આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરી છે. કોઈ પણ મુસ્લિમ જે કોઈ પણ દેશમાં રહેતો હોય ત્યાના નિયમોનું ઈમાનદારીથી પાલન કરવાની ખાસ હિદાયત મહંમદ સાહેબ(સ.અ.વ.અ.)એ પોતાના અંતિમ પ્રવચનમા કરી છે. જે ઇસ્લામની વિશાળતા અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીને વ્યક્ત કરે  છે. પોતાના અંતિમ પ્રવચન દરમિયાન હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)વારંવાર લોકોને પૂછતા કે
"હે લોકો, શું અલ્લાહના રસુલની હેસિયતથી મેં મારી ફરજ બરાબર અદા કરી કરી છે ?"
 અને ત્યારે લોકો દરેક વખતે મોટા અવાજે કહેતા,
"હે અલ્લાહના રસુલ, અમે ગવાહી આપીએ છીએ કે આપે આપની ફર્જ બખૂબી અદા કરી છે"
અને ત્યારે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)આકાશ તરફ આંગળી ચીંધી અને લોકો તરફ ઝૂકીને ત્રણવાર કહેતા,
"હે અલ્લાહ, તુ પણ ગવાહ રહેજે"
પ્રવચનને પૂર્ણ કરતા મહંમદ સાહેબે કહ્યું હતું,
"હે લોકો, મારો આ સંદેશ અહીં જે લોકો હાજર નથી તેમને પણ તમે પહોંચાડજો. પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે તે રીતે આ સંદેશો સમગ્ર માનવ સમાજ સુધી પહોચાડ જો. જેથી તે સુરક્ષિત રહે."
"તમારા સૌ પર અલ્લાહની શાંતિ અને સલામતી વરસે એ જ દુવા- આમીન"
આ અંતિમ શબ્દો સાથે હઝરત મહંમદ સાહેબે પોતાનું અંતિમ પ્રવચન પૂર્ણ કર્યું હતું. આજે ૧૦૮૧ વર્ષો પછી પણ મહંમદ સાહેબનું આ અંતિમ પ્રવચન સમગ્ર માનવ સમાજ માટે પ્રસ્તુત લાગે છે. તેજ તેની વિશિષ્ટતા અને મહત્તા છે.

No comments:

Post a Comment