Thursday, March 14, 2024

ઇસ્લામ અને અપરિગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

 

ગાંધીજી એ જીવનમાં પાળવાનાં અગિયાર વ્રત સ્વીકાર્યા હતા. સત્ય, બ્રહ્નચર્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, અસ્પૃશ્યતા નિવારણ, જાત મહેનત, સર્વધર્મસમભાવ, સ્વદેશી વ્રત. ગાંધીજીનાં અગિયાર વ્રતોમાંનું એક વ્રત અપરિગ્રહ હતું. આ વ્રતનો સીધોસાદો અર્થ થાય કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. જો કે ગાંધીજીનું આ વ્રત માત્ર  ધન-સંપત્તિમાં જ સમાઇ જતું નથી. તેમના જીવનનાં દરેક ક્ષેત્રમાં આ વ્રતની આણ વર્તાતી હતી.

જૈન ધર્મમાં અપરિગ્રહ  રાજયોગ કે અષ્ટાંગ યોગ દર્શનનો એક ભાગ છે. આ  સંકલ્પનાનો અર્થ એવો છે કે અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો, સંગ્રહ ન કરવો જોઈએ. જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાં અહિંસાઅસ્તેયબ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતોમાં અપરિગહનો  પણ સમાવેશ થાય છે.

ઇસ્લામના એક મોટા સૂફી સંતની હજરત શાહશુજા કિરામની ની એક જાણીતી કથા જાણવા અને માણવા જેવી છે. તેઓ રાજ કુટુંબમાં જન્મ્યા હોવા છતા અત્યંત વૈરાગી અને જ્ઞાની હતા. તેમણે પોતાની અંત્યંત સુંદર પુત્રીના નિકાહ એક ગરીબ અને ઈમાનની દૌલતથી માલામાલ યુવાન સાથે કર્યા.

નિકાહ પછી તે યુવાન સંત કિરામની ની પુત્રીને લઈ પોતાની નાનકડી કુટીરમાં આવ્યો. કુટીરના એક ખૂણામાં પાણીના કુંજા પાસે રોટલીનો સુકાઈ ગયેલો એક ટુકડો પડ્યો હતો. અમીર પિતાની પુત્રીએ એ જોઈ પતિને પૂછ્યું,

“સુકાઈ ગયેલો રોટલીનો ટુકડો અહિયાં કેમ મૂકી રાખ્યો છે. ?”

“આજે રાત્રે ખાવા કામ લાગશે એમ માની ગઈ કાલથી રાખી મૂક્યો છે.”

આ સાંભળી હજરત શહેસુજા  કિરમાની (ર. અ.)ની પુત્રીએ ગરીબ પતિનું ઘર

છોડી પિતાના ઘર તરફ કદમો માંડ્યા. ગરીબ પતિ આ જોઈ બોલી ઊઠયો,

“મને ખબર જ હતી કે હજરત શહેશુજા જેવા ધનાઢ્યની પુત્રી મારા જેવા

ગરીબને ત્યાં નહીં રહી શકે.”

આ સાંભળી પત્નીએ નમ્રતાથી કહ્યું,

“તમારી ગરીબાઈને હું સર આંખો પર ચઢાવું  છું. પણ આવતી કાલની

ચિંતામાં અપરિગ્રહ કરનાર ઇન્સાનને ખુદા અને પોતાની જાત પર વિશ્વાસ

નથી. એવા ઈમાન વિહોણા માનવી સાથે હું કેમ રહી શકું ?”

પોતાની જરૂરિયાતથી વધુ કે અનાવશ્યક કયારેય ન રાખવાની મહંમદ સાહેબની

આદત અને ઇસ્લામનો આદેશ બને અપરિગ્રહના સંદર્ભમાં જાણવા જેવા છે.

ઇસ્લામના પાયાના પાંચ સ્તંભો ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા)માં ભરપૂર માનવ મૂલ્યો પડ્યાં છે. આમા જકાત અર્થાત દાનમાં અપરિગ્રહનો સિધ્ધાંત સમાયેલો છે. ઇસ્લામી કાનૂન મુજબ દરેક મુસ્લિમે પોતાની કુલ સ્થાવર જંગમ મિલકતના અઢી ટકા રકમ ફરજિયાત દાનમાં આપવી જોઈએ. ફરજિયાત દાન એટલે તમારી જરૂરિયાત કરતાં તમારી પાસે જે વધારે ધન છે તે ગરીબ કે જરૂરતમંદોમાં વહેચી દેવું. કુરાને શરીફમાં આ અંગે કહેવામાં આવ્યું છે,

“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શુ ખર્ચીએ ?”

“કહો જે કઈ તમારી જરૂરિયાત કરતાં વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”

મહંમદ સાહેબના પત્ની હજરત આયશ કહે છે,

“આવતી કાલ માટે બચાવી રાખવાને મહંમદ સાહેબ અલ્લાહ

પરના વિશ્વાસની ઉણપ કહેતા.”

મહંમદ સાહેબના અનુયાયીઓ અવારનવાર તેમને કીમતી ભેટસોગાદો આપતા.

પણ પોતાની કુટિરમાં તેનો તેઓ કયારેય સંગ્રહ કરતાં નહીં. સોનું, ચાંદી કે

પૈસા જે દિવસે કુટિરમાં આવતા એ જ દિવસે મહંમદ સાહેબ તેને ગરીબોમાં વહેચી

દેતા. તે રાતવાસો મહંમદ સાહેબની કુટીરમાં ક્યારેય ન રહેતા.

એકવાર મહંમદ સાહેબ ને રાત્રે બેચેની થવા લાગી. પત્ની હજરત આયશાને

અડધી રાત્રે જગાડી આપે પૂછ્યું,

“કુટિરમાં પૈસા, સોનું કે ચાંદી તો નથી પડ્યા ને ?”

હજરત આયશા બોલી ઉઠયા,

“હા, સાંજે અબ્બા (અબૂબકર) ગરીબોને આપવા પૈસા આપી ગયા છે તે પડ્યા છે.”

હજરત મહંમદ સાહેબ તુરત બોલ્યા,

“જા અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેચી દે. પ્રેષિતના છાપરા નીચે

ધન ન હોય”

અને અડધી રાત્રે હજરત આયશાએ એ ધન ગરીબોમાં વહેચી દીધું.

મહંમદ સાહેબ હંમેશા કહેતા,

“માનવીનો હક્ક આટલી ચીજો સિવાઈ કશા પર નથી. રહેવા માટે ઘર, દેહ ઢાંકવા

વસ્ત્રો, ભૂખ મિટાવા રોટી અને પ્યાસ બુજાવવા પાણી.”   

અરબસ્તાનના શાસક તરીકે તેમણે અપરિગ્રહના સિધ્ધાંતનું અક્ષરસહ પાલન કર્યું

હતું. મહંમદ સાહેબ ક્યારેય કોઈ સિંહાસન કે ઊંચા આસન પર બેઠા નથી. તેમનું  

રહેવાનું મકાન કાચી ઈંટોનું હતું. એ મકાનમાં ખજૂરીના પાંદડાની ગારાથી છાંદેલી

દીવાલો હતી. છાપરું પણ ખજૂરીના પાંદડાનું બનેલું હતું. ઘરમાં બેસવા સાદડી કે

સાદા પાથરણ હતા. મહંમદ સાહેબના પહેરણને મોટે ભાગે બટન હોતા નહીં. આવા

અત્યંત સાદા ઘરમાં પણ સ્વચ્છતા અને સુઘડતા નજરે પડતી.

હજરત મહંમદ પયગંબર સાહેબ હંમેશા કહેતા,

“મુસાફરીમાં જેટલું આપણે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું

જોઈએ.”

એકવાર કોઇકે આપને પૂછ્યું,

“આપને તકિયો જોઈએ જોઈએ છીએ ?”

હજરત મહંમદ સાહેબ ફરમાવ્યું,

“મુસાફર વૃક્ષના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય એથી વધુ મારો

સંબધ આ જગત સાથે નથી.”

અપરિગ્રહના આવા કપરા સિધ્ધાંતનું પાલન કરનાર મહંમદ સાહેબ પાસેથી કદાચ

ગાંધીજી પણ આ સિધ્ધાંતનું સાચું અર્થઘટન પામ્યા હશે એમ કહેવું વધુ પડતું નહીં

કહેવાય.  

 

 

 

 

 

 

 

 

Friday, February 9, 2024

“મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા” ઑ. પી. નૈયર : ડૉ. મહેબૂબ દેસાઈ

 

 પ્રેમનો તહેવાર એટલે વેલેન્ટાઇન ડે. એમ કહેવાઈ છે કે નફરત પ્રેમનું પ્રથમ સોપાન છે. પણ કયારેક પ્રધાડ પ્રેમ પછી પ્રઘાડ નફરત પણ સાચા પ્રેમની પરિભાષા બની જાય છે. “મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા”  આ શબ્દો એ મહાન સંગીતકારના છે, જેણે  ફિલ્મ રસિકોને આશા ભોંસલે દ્વારા એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે. ઑ પી નૈયાર અને આશા ભોંસલે ૧૯૬૩ થી ૧૯૭૨ નવ વર્ષ સુધી પ્રેમના પ્રઘાડ સબંધોથી બંધાયેલા રહયા હતા. મુંબઈ ખાતેના મીરામાર બિલ્ડિંગના પેન્ટ હાઉસમાં બંને એક સાથે જ રહેતા. તેમના એ પ્રેમબંધને ફિલ્મ સંગીતને અનમોલ ખજાનો આપ્યો છે. તુમ સા નહીં દેખા (૧૯૫૭), નયા દૌર (૧૯૫૭), સોને કી ચિડિયા (૧૯૫૮), હાવડા બ્રિજ (૧૯૫૮), રાગિણી (૧૯૫૮), ફાગુન (૧૯૫૮), બસંત (૧૯૬૦), જાલીનોટ (૧૯૬૦), એક મુસાફિર એક હસીના (૧૯૬૨), ફીર વહી દિલ લાયા હું (૧૯૬૨), કશ્મીર કી કલી (૧૯૬૪), મેરે સનમ (૧૯૬૫), સાવન કી ઘટા (૧૯૬૬), સીઆઇડી ૯૦૯ (૧૯૬૭), હમસાય (૧૯૬૮) અને કિસ્મત (૧૯૬૮) જેવી અનેક ફિલ્મોમાં આશા ભોંસલે અને ઑ પી નૈયરની જોડી એ બેમિસાલ ગીતો આપ્યા છે. પણ ૧૯૭૨માં આ પ્રેમ બંધનને જાણે કોઇની નજર લાગી ગઈ. અને બંને વચ્ચે પ્રઘાડ પ્રેમનું સ્થાન પ્રઘાડ નફરતે લઈ લીધું. ઑ પી નૈયરના આ પ્રેમ સબંધોને કારણે જ તેમના સ્વજનો તેમનાથી છૂટયા. ઘર છૂટ્યું. અને છેલ્લા દિવસોમાં તેઓ એક નાનકડા ઘરમાં પેઈન્ ગેસ્ટ તરીકે રહ્યા.

 

ઑ પી નૈયર સાહેબે આશા ભોંસલે સાથે જે છેલ્લું ગીત બનાવ્યું તે તેમના પ્રેમની વ્યથા અને કથા બંને વ્યક્ત કરે છે.   

 

चैन से हमको कभी आपने जीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से हमको कभी

चांद के रथ में रात की दुल्हन जब जब आएगी

याद हमारी आपके दिल को तरसा जाएगी

आपने जो है दिया, वो तो किसीने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

चैन से ...

आपका ग़म जो इस दिल में दिन-रात अगर होगा

सोचके ये दम घुटता है फिर कैसे गुज़र होगा

काश ना होती अपनी जुदाई मौत ही आ जाती

कोई बहाने चैन हमारी रूह तो पा जाती

इक पल हँसना कभी दिल की लगी ने ना दिया

ज़हर भी चाहा अगर, पीना तो पीने ना दिया

 

આ ગીતના એક એક શબ્દમાં પ્રેમમાં હતાશ પ્રેમીની દાસ્તાન વ્યક્ત થાય છે. આશા ભોંસલે અને સંગીતકાર ઑ પી નૈયરની જોડીનું આ અંતિમ ગીત ૧૯૭૩માં રજૂ થયેલ સુનિલ દત્ત અને રેખાની ફિલ્મ “પ્રાણ જાય પર વચન ન જાયે” નું છે. પણ આ ગીત ફિલ્મમાં નથી. છતાં 1975ના વર્ષના ૨૨માં ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં શ્રેષ્ટ  ફિમેલ સોંગનો ફિલ્મ ફેર એવોર્ડ આ ગીતને મળ્યો હતો. જે લેવા આશા ભોંસલે આવ્યા ન હતા. તેમના બદલે એ એવોર્ડ ઑ પી નૈયરે લીધો હતો. એવોર્ડ લઈ તેઓ સીધા ફંક્શન બહાર નીકળી ગયા. તેમની સાથે ગીતના શાયર એસ. એચ. બિહારી પણ બહાર આવ્યા. બંને નૈયર સાહેબની કારમાં બેઠા. અને કાર મુંબઈના માર્ગ પર દોડવા લાગી. થોડી વારે નૈયર સાહેબે કાર રોકી. અને હાથમાં રાખેલી ફિલ્મફેરની ટ્રોફી જોરથી બારી બહાર ફેકી. ફિલ્મફેર ટ્રોફી લાઇટના એક પોલ સાથે અથડાઇ અને તેના બે ટુકડા થઈ ગયા. ત્યારે સંગીતકાર નૈયર દુખદ સ્વરે બોલી ઉઠયા હતા,

મેરા પ્યાર અંધા ભી થા ઔર બહેરા ભી થા. ઇસી તરહ  ઉસને મેરા દિલ તોડા હૈ, અબ વો મેરી દુનિયા સે બહોત દૂર ચલી ગઈ હૈ”

 

હતાશ પ્રેમની આ પરાકાષ્ટા સાથે જ એક નાનકડા રૂમમાં પેઇન ગેસ્ટ તરીકે ઑ પી નૈયર સાહેબે ૨૮ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ દેહ ત્યાગ કર્યો. પણ તેમના પ્રઘાડ પ્રેમની કથા આજે પણ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતાં યુવાનોને પ્રેમની પરિભાષા સમજાવતી રહે છે.

 

 

Sunday, December 24, 2023

ફિલ્મો અને સમાજ : ડૉ મહેબૂબ દેસાઇ

ઇતિહાસના દરેક યુગમાં હિંસા અને અહિંસા બંને જોવા મળે છે. અલબત તેના ઉદેશના મૂળમાં હંમેશા મૂલ્યોનું જતન અને માનવીય અભિગમ કેન્દ્રમાં છે. અત્રે હિંસાનો અર્થ માત્ર જીવ માત્રની હત્યા નહીં પણ માનવીના મનને દુ:ખ પહોંચાડવાની કિયા પણ હિંસા છે. દરેક ધર્મમાં પણ હિંસક યુધ્ધોનો ઉલ્લેખ છે. રામાયણ અને મહાભારતમાં બે યુધ્ધો આલેખાયેલા છે. બંનેમાં અસત્ય સામે સત્યનો સંધર્ષ છે. ઇસ્લામમાં જંગે બદર અને કરબલાના યુધ્ધનો ઉલ્લેખ છે. ભારતના સ્વાતંત્ર્ય યુગમાં ગાંધીજીની સત્ય અને અહિંસા ભલે કેન્દ્રમાં હોય, પણ હિંસાનું તત્વ તેમાં પણ ડોકયા કરે છે. ચંદ્રશેખર અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ હિંસાના સહારે સ્વાતંત્ર્ય દેવીને પામવાનો પ્રયાસ કર્યો છે. અને આજે પણ આપણે સૌ એ વીરોના બલિદાનને બિરદાવીએ છીએ.

અત્રે હિંસાને પ્રોત્સાહિત કરવાનું પ્રયોજન નથી. પણ હિંસાને મનનનો વિષય બનાવવાની પ્રેરણા એટલા માટે મળી છે કે છેલ્લા કેટલાક સમયથી આપણો  સામાજિક અભિગમ અને રસ હિંસાત્મક ફિલ્મો તરફ વળતો જોવા મળી રહ્યો છે. આ વર્ષ દરમિયાન પઠાણ, જવાન, ગદર 2, એનિમલ અને સલાર જેવી હિંસાથી ભરપૂર ફિલ્મોને અપાર સફળતા સાંપડી છે. આ ફિલ્મોની અપાર  હિંસાને આપણા

સમાજ અને ખાસ કરીને યુવા વર્ગે સહર્ષ આવકારી છે. તેની સાથે રજૂ થયેલી સ્વચ્છ, કોમેડી અને ઉદેશ લક્ષી ફિલ્મોને ધારી સફળતા સાંપડી નથી. જેમ કે મોટા સ્ટાર તરીકે પંકાયેલા શાહરુખ ખાનની ફિલ્મ ડંકી સ્વચ્છ અને ઉદેશલક્ષી હોવા છતાં તેને પ્રેક્ષકોનો જોઈએ તેવો આવકાર નથી મળ્યો. તેના સ્થાને આજે એનિમલ અને સાલાર જેવી હિંસાત્મક ફિલ્મોને આમ સમાજ વારંવાર જોવાનું પસંદ કરે છે. એક સમયે અમિતાભ બચ્ચનની એંગરી યંગ મેનની નકારાત્મક ફિલ્મો લોકોએ સ્વીકારી હતી. ત્યારે વિવેચકો, વિશ્લેષણકારો અને ખુદ ફિલ્મના લેખક સલીમ જાવેદ નું કહેવું હતું કે એંગ્રી યંગ મેન પ્રજા માનસના રોષનું પ્રતિબિંબ છે. અને માટે જ એવી ભૂમિકાવાળી ફિલ્મો એ સમયે ખૂબ સફળ રહી હતી. આજે જ્યારે હિંસાત્મક ફિલ્મો સફળ થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આમ સમાજ તેમાં પોતાનું પ્રતિબિંબ જુવે છે ? જો કે એવું કહેવું સંપૂર્ણ પણે ઉચિત નથી. પણ એ સત્યને નકારી ન શકાય કે મૂલ્યોનું જતન કરતો સમાજ ધીમે ધીમે લધુમતીમાં આવતો જાય છે. ધીમે ધીમે અસત્ય અને અત્યાચાર સમાજનો આગવો હિસ્સો બનતા જાય છે. પણ ભારતીય સમાજ હંમેશા મૂલ્યનિષ્ટ અને સ્વચ્છ સમાજની ખેવના કરતો રહ્યો છે. આજે પણ આપણે મૂલ્યનિષ્ટ સમાજને મનોમન આવકારીએ છે. પરિણામે ફિલ્મના પરદા પર સત્ય અને અસત્ય વચ્ચેના હિંસાત્મક પણ કાલ્પનિક યુધ્ધને આપણે સહર્ષ માણીએ છીએ. હિંસા દ્વારા પણ સત્યનો વિજય થતો આપણને ગમે છે. તુલસીદાસ તેમના એક દોહામાં કહે છે,

 

नीच चंग-सम जानिए, सुनि लखि तुलसीदास’।

हील देत महि गिरि परत, खैंचत चढ़त अकास॥

 

અર્થાત અનૈતિક સમાજ કે પુરુષ પતંગ સમાન હોય છે. પતંગને ઢીલ આપો તો તે નીચે આવી જાય છે. પણ તેની દોરને ખેંચીને પકડી રાખો તો તે આકાશમાં ઊંચે ટકી રહે છે. દુષ્ટ સમાજ કે પુરુષને પણ ઢીલી દોર કરતાં કઠોર અને કડક દોરની જરૂર હોય છે. અર્થાત સમાજને મૂલ્યનિષ્ટ બનાવી રાખવા કઠોર કાયદાઓનું પાલન જરૂરી છે. અલબત તે હિંસા રહિત અનિવાર્ય છે. એટ્લે જ અન્યાય, અત્યાચાર કે અસત્યને સમાજમાં પ્રસરાવતા અટકાવવા માટે કડક પણ અહિંસક કાયદા પાલન આવકાર્ય છે અને દરેક મૂલ્યનિષ્ઠ સમાજ માટે તે હંમેશા અનિવાર્ય રહેશે. અસ્તુ 


Sunday, October 22, 2023

અવલ મંજિલકે અવલ રાસ્તે : ડૉ. મહેબૂબ દેસાઈ

 

1966માં એટ્લે કે આજ થી 57 વર્ષ પૂર્વે આવેલી એક ફિલ્મ “તીસરી કસમ”મા કવિ શૈલેન્દ્રનું એક સુંદર ગીત હતું, જેના શબ્દો હતા,

सजन रे झूठ मत बोलो

खुदा के पास जाना है

हाथी है घोड़ा है

वहाँ पैदल ही जाना है

ગીતના મુખડામાં કવિ “સજન” તરીકે સમગ્ર માનવજાતને ઉદેશીને ખુદા કે ઈશ્વર પાસે જવાના માર્ગનો ઉલ્લેખ કરી રહ્યા છે. ઈશ્વર કે ખુદા પાસે જવાનો માર્ગ તો દરેક ધર્મમાં એક જ છે. પણ માનવીને ઈશ્વર કે ખુદા પાસે પહોંચાડવાની વિધિ કે ક્રિયા દરેક ધર્મ અને સમાજમાં ભિન્ન છે. જેને અંતયેષ્ટિ અર્થાત અંતિમ કિયા કહે છે. સમગ્ર વિશ્વમાં માનવીના મૃત દેહનો નિકાલ કરવાની છ પ્રથાઓ અસ્તિત્વમાં છે. (1) ઘરમાં કે આંગણામાં દાટવું, (2) શબને હોય તેવું જ રાખી મૂકવું (ઇજિપ્તની ‘મમી’ પ્રથા), (3) અગ્નિદાહ, (4) જલવિસર્જન, (5) જંગલ કે ખુલ્લામાં શબને મૂકી રાખવું, (6) શબનું ભક્ષણ કરવું. (7)  નિશ્ચિત કબ્રસ્તાનમાં દાટવું.

આ તમામ ક્રિયા પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ રહેલ છે.

હિન્દુ ધર્મ દુનિયાનો શ્રેષ્ટ અને વ્યાપક ધર્મ છે. જેમાં જીવન અને મૃત્યુ અંગે બૌધ્ધિક આચાર અને વિચાર જોવા મળે છે. હિંદુઓના જન્મથી મૃત્યુ પર્યંતના સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર અગ્નિસંસ્કાર છે. હિન્દુ સમાજમાં ઋગ્વેદ પહેલાં અને પછી પણ અગ્નિદાહની પરંપરા વિશેષ રીતે પ્રચલિત હતી. હિંદુ ધર્મ મુજબ મૃત્યુ થતાં જ શબને સ્નાન કરાવી નવાં વસ્ત્રો પહેરાવી જમીન ઉપર ગાયના છાણનું લીંપણ કરી સુવડાવવામાં આવે છે. આને ચોકો કરવો કહે છે. શબ પાસે દીવો મૂકે છે. હિંદુઓના અગ્નિસંસ્કાર મુજબ મૃતકનું માથું ઉત્તર તરફ રહે તે રીતે ચિતા પર મૂકવામાં આવે છે. એ પછી મૃત શરીરને અગ્નિ દાહ આપી પંચમહાભૂતોમાં વિલીન કરી દેવામાં આવે છે.

હિન્દુ ધર્મ માને છે કે અવસાન પછી પંચતત્વ એટલે પંચમહાભૂતમાં માનવ શરીર લીન થઈ જાય છે. એ પંચમહાભૂતોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ નો સમાવેશ થાય છે. જળ એટ્લે પાણી, નીર, પ્રવાહી. પૃથ્વી અર્થાત જમીન, ભૂમિ, માટી, રેત. તેજ એટ્લે પ્રકાશ, ચમક, જ્યોત, દીપ્તિ, લાલી, ઉષ્ણતા, અગ્નિ, આગ. વાયુ અર્થાત હવા, પવન, વાતાવરણ, ગંધ. આકાશ એટ્લે ગગન, અંતરીક્ષ. હિન્દુ સસ્કૃતિ મુજબ તેને પંચમહાભૂત કહે છે. ઇસ્લામ પાંચ સ્તંભો પર ઊભો છે. ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા). આ તમામ સ્તંભોના કેન્દ્રમાં માનવ મૂલ્યો પડ્યાં છે. જેમ કે હજ એ ગરીબ અને અસહાય માનવી માટે ફરજિયાત નથી. ઇસ્લામનાં આ સ્તંભોમાં માનવ મૂલ્યો સાથે વફાત (અવસાન) અને તેની ક્રિયાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇસ્લામમાં અવલમંજિલનું સ્થાન કબ્રસ્તાન છે. જ્યાં વ્યક્તિને દફનવવામાં આવે છે. મૃતક વ્યક્તિ અંતિમ સમયે ‘કલમા’ બોલે તો સ્વર્ગમાં જાય એવી મુસ્લિમોમાં માન્યતા છે. મૃતકની રૂહાની શાંતિ માટે ‘ફાતિહા’ પઢવાનો રિવાજ છે. મુસ્લિમો શબને દાટવા માટે કબ્રસ્તાનમાં સરઘસ-આકારે લઈ જાય છે. શબની પાલખીને જનાજો કહે છે. ઇસ્લામમાં જનાજાને કાંધો આપવો એ અત્યંત પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. ઇસ્લામમાં શબને જમણે પડખે અને મોં મક્કા તરફ રહે તે રીતે કબરમાં સુવાડવામાં આવે છે. કુરાને શરીફમાં કહ્યું છે ખુદા કયામતને દિવસે જમીનમાં દફન દરેક માનવીને જગાડશે. દફન વિધિ પછી બીજા કે ત્રીજા દિવસે મુસ્લિમો ઝિયારત કરે છે. ઝિયારત અર્થાત મૃતકની રૂહા (આત્મા)ની  શાંતિ માટે ભેગા મળીને પ્રાર્થના કરવાની ક્રિયા.

 

હિન્દુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે કેટલીક સામ્યતા અદભૂદ છે. ઇસ્લામમાં અવસાન પામનાર વ્યક્તિ માટેમરહૂમશબ્દ વપરાયો છે. હિન્દુ સંસ્કૃતિમાંસ્વર્ગસ્તશબ્દનો પ્રયોગ થાય છે. મરહૂમ શબ્દરહમ” (ક્રુપા) પરથી આવ્યો છે. અર્થમાં જેના પર ખુદાની રહમત ઉતરી છે તે વ્યક્તિ.

હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવીના અવસાના સમાચાર જાણી કે સાંભળી શાંતિશબ્દનો પ્રયોગ કરવામાં આવે છે શાંતિ એટલે મરનારના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. એ જ રીતે ઇસ્લામી સંસ્કાર મુજબ વ્યક્તિના અવસાનના સમાચાર જાણી કે સાંભળી દરેક મુસ્લિમ ઇન્ન ઇનલીલલહી ઇન્ન ઇલાહી રાજીઉન ( إِنَّا لِلَّٰهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ) કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન શરીફની આ એક આયાત છે, જેનો અર્થ થાય છે,

આપણે સૌ અલ્લાહ થકી છીએ અને આપણે સૌએ અલ્લાહ પાસે જવાનું છે.

ડાઘુઓ ‘રામ નામ સત્ હૈ’ અથવા ‘નારાયણ, નારાયણ’ ના રટણ કરતાં કરતાં શબને સમશાન ગૃહે લઈ જાય છે. ઇસ્લામમાં જનાજાને કબ્રસ્તાને લઈ જતાં સમયે કાંધો આપતી વખતે સૌ

कलमा--शहादत کَلْمَۂِ شَہادَت  પઢે છે. કબ્રસ્તાનમાં મૃત શરીરને દફનાવી અર્થાત માટીમાં ભેળવી દેવામાં આવે છે. દફનાવવાની આ ક્રિયાને સુપુર્દે એ ખાક કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે માનવીનું સર્જન ખુદાએ મિટ્ટી અને ગારામાંથી કર્યું છે. કુરાન એ શરીફના હિજર પ્રકરણ 14ની આયાત 28માં કહ્યું છે,

“જ્યારે તારા પરવારદિગારે ફરિશ્તાઑને કહ્યું બેશક હું સડેલ કાદવમાંથી બનેલી ખણખણાટવાળી માટીમાથી માનવીને પૈદા કરનાર છું.”

અર્થાત ખુદાએ માનવ જાતિના પ્રથમ પુરુષ હજરત આદમને ખણખણતી માટીથી જે સડેલ કાદવની બનેલી હતી, તેમાથી બનાવ્યો છે. માટીમાંથી સૌ પ્રથમ આદમનું પૂતળું બનાવવામાં આવ્યું. એ પછીની આયાતમાં કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

“પછી જ્યારે તે પૂતળું ઠીકઠાક બની જશે ત્યારે હું તેમા ફુંક મારી રૂહ (આત્મા) નાખીશ.”

હિન્દુ ધર્મ મુજબ માનવીના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તે મૃત બની જાય છે. ઇસ્લામ પણ રૂહ અર્થાત આત્માને માનવ શરીરનું અવિભાજ્ય અંગ ગણે છે, ખુદાએ માનવ શરીર અર્થાત આદમનું સર્જન કર્યા પછી તેમા રૂહ ફુંકી તેને મૂકકમીલ ઇન્સાન કે માનવી બનાવ્યો છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમા બે તત્વો માટી અને પાણી દ્વારા માનવીનું સર્જન થયાનો ઉલ્લેખ છે. આધુનિક વિજ્ઞાન કહે છે માનવ શરીર 60 થી 70 ટકા પાણીથી બનેલું છે. એ જ રીતે મિટ્ટી અર્થાત માટી કાર્બનિક પ્રદાર્થો, ખનીજો, ગેસો, તરલ પ્રદાથો અને જીવોનું મિશ્રણ છે. જેનો ઉપયોગ માનવીના સર્જનમાં ખુદા કે ઈશ્વરે કરેલ છે.

બૌધ્ધ ધર્મમાં મૃત દેહને અગ્નિદાહ અને દફનાવવાનો બંને રિવાજ છે. આ ધર્મમાં બંને પ્રથાઓ આવકાર્ય છે. તેમાં મુખ્યત્વે અંતિમ સંસ્કાર પ્રથા સ્થાનિક રીતરિવાજો પર નિર્ભર હોય છે. અંતિમ સંસ્કાર સમયે સ્વજનો મૃતક માટે પ્રાર્થના કરે છે. બીજા દિવસે અસ્તિઓને પરિવાર જનો એકત્રિત કરે છે. પરિવાર ઈચ્છે તો તે અસ્તિઓ પોતાની પાસે રાખે છે. અન્યથા તેનું કોઈ સ્થાને વિસર્જન  કરે છે. કેટલાક લોકો તેને સમુદ્રમાં વિસર્જિત કરે છે. જે લોકો મૃતકને દફનાવે છે તેઓ તાબૂતમાં  મૂતક શરીરને મૂકી પ્રાર્થના કરે છે પછી તેને દફનાવે છે. શ્રીલંકા, ચીન, મ્યાનમાર વગેરે દેશોમાંના બૌદ્ધો મૃતદેહને ખુલ્લી જગ્યામાં ઝાડ ઉપર, ખડક ઉપર કે પછી બાંધવામાં આવેલા લાકડાના મંચ ઉપર એવી ભાવનાથી રાખે છે કે પક્ષી કે પ્રાણીઓના ખોરાક તરીકે કામ આપી શકે.

પારસીઓ મૃતદેહના કાન પાસે મંત્ર ભણીને કશ્તી કમરે બાંધે છે, પછી અગિયારીમાં ખાસ મુકરર કરેલા કૂવામાં (દખ્મ) લટકાવે છે, થોડા દિવસોમાં મૃત શરીરનું ગીધ ભક્ષણ કરીને નાશ કરે છે.

ઇસ્લામ અને ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની કલ્પના નથી. ઈસાઈ ધર્મ મુજબ કોફિનમાં (લાકડાની બનાવેલી પેટી)માં મૃત શરીરને મૂકી જમીનમાં દાટી દે છે. ખ્રિસ્તીઓ મૃત શરીર પાસે ક્રોસ મૂકે છે અને અંતિમ સંસ્કારનું ગીત (dirge) ગાય છે.

જૈનોમાં પણ મૃત શરીરને અગ્નિદાહ આપવાની પ્રથા છે. અગ્નિદાહના ત્રીજા દિવસે તેઓ રાખને નદીમાં પધરાવી જૈન મંદિરમાં પૂજાપાઠ કરીને દસ દિવસ સુધી સૂતક પાળે છે. જૈન ધર્મમાં અન્ય કર્મકાંડ નથી થતાં. પરંતુ તેઓ વધુમાં વધુ દાનધર્મ કરી મૃત આત્માને શાંતિ અર્પવાનો પ્રયાસ કરે છે. જૈન ધર્મમાં મૃત શરીર પ્રત્યે મોહ રાખવામાં આવતો નથી. જૈન ધર્મ માને છે આત્મા અને શરીર બંને ભિન્ન છે. આત્માને બીજા શરીરમાં પ્રવેશતા એક સેકન્ડનો સમય પણ નથી લાગતો. હિન્દુ ધર્મમાં આત્મને મોક્ષ ત્યારે જ મળે છે, જ્યારે મૃતકનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યો હોય. જૈન ધર્મ અંતિમ સંસ્કારની વિધિને વિશેષ મહત્વ આપતો નથી. કારણ કે મૃત્યુ પછી આત્મા તુરંત નવું શરીર ધારણ કરી લે છે.

શીખ ધર્મમાં સૌ પ્રથમ મૃતકના શરીરને સ્વચ્છ કરવા તેણે સ્નાન કરાવવામાં આવે છે. જો કે પ્રથા દરેક ધર્મમા જોવા મળે છે. પછી શીખ ધર્મ મુજબ પાંચ મુખ્ય વસ્તુઓ કાંસકો, કટાર, કડુ, કર્પાન, અને કેશ વ્યવસ્થિત કરી મૃતક પાસે મૂકવામાં આવે છે. પછી મૃતકના સ્વજનો વાહે ગુરુનું સ્મરણ કરતાં કરતાં અર્થીને સ્મશાને લઈ જાય છે. અને ત્યાં કોઈ નિકટના સ્વજન મુખાઅગ્નિ અર્પે છે. શીખ સંપ્રદાયમાં મરનાર અંગે શોક-વિલાપ નિષિદ્ધ ગણાય છે. તેઓ ધાર્મિક પ્રાર્થના કરે છે. તેમનામાં મૃતકનું સ્મારક પણ નિષિદ્ધ ગણાય છે. દસ દિવસ ઓછું-વત્તું સૂતક પાળે છે. તે દરમિયાન સૂવા-બેસવાનું જમીન પર રાખે છે. મરનારના ઘરે ગ્રંથ સાહિબનો પાઠ કરવામાં આવે છે.

જ્યૂ લોકોમાં પણ પુનર્જન્મની કલ્પના નથી. તેઓ માને છે મરનાર પિતૃઓ પાસે જાય છે. તેમના માં પ્રેતદહન થતું નથી, પણ દફન થાય છે. સાત દિવસનું સૂતક અને દફનના દિવસે ઉપવાસ કરવામાં આવે છે. બીજે દિવસે મૃતકના નજીકના સંબંધીઓ મિષ્ટભોજન કરે છે. તેમના ધર્મગ્રંથ તાલમુદમાંથી ‘કાદિશ’ મંત્રો બોલવાનો રિવાજ છે. લિંગાયતમાં અગ્નિસંસ્કાર થતા નથી. મૃતદેહને મીઠા સાથે જમીનમાં દાટી દે છે. તેઓ સૂતક પાળતા નથી અને વર્તુળાકારમાં બેસી ભોજન કરે છે.

ટૂંકમાં, દરેક મજહબમાં મૃત્યુ પછીની આવી ક્રિયાઓનો ઉદેશ મૃતક સ્વજનના આત્માને પરમ શાંતિ અર્પવાનો હોય છે. પણ એ શાંતિ કેટલી, કેવી અને કયા મળે છે, તે આપણે કયારે જાણી શકતા નથી. અલબત્ત વફાત કે અવસાન પછીના માહોલની કલ્પના અનેક કવિ કે સાહિત્યકારોએ કરી  છે. એવી જ એક કલ્પના બહુ ઓછા જાણીતા કવિ નરેન્દ્ર સિંગની રચનામાં વ્યક્ત થઈ છે. જેને વાગોળીએ.

था मैं नींद में और
मुझे इतना
सजाया जा रहा था....

बड़े प्यार से
मुझे नहलाया जा रहा था....

ना जाने
था वो कौन सा अजब खेल
मेरे घर में....

बच्चो की तरह मुझे
कंधे पर उठाया जा रहा था....

था पास मेरा हर अपना
उस वक़्त....

फिर भी मैं हर किसी के
मन
से भुलाया जा रहा था...

जो कभी देखते
भी न थे मोहब्बत की
निगाहों से....

उनके दिल से भी प्यार मुझ
पर
लुटाया जा रहा था...

मालूम नहीं क्यों
हैरान था हर कोई मुझे
सोते
हुए देख कर....

जोर-जोर से रोकर मुझे
जगाया जा रहा था...

कांप उठी
मेरी रूह वो मंज़र
देख कर....

जहां मुझे हमेशा के
लिए
सुलाया जा रहा था....

मोहब्बत की
इन्तहा थी जिन दिलों में
मेरे लिए....

उन्हीं दिलों के हाथों,
आज मैं जलाया जा रहा था !!!

 

અસ્તુ….