Wednesday, January 10, 2018

રામ જેઠમલાણી અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


હું ઇસ્લામ અને કુરાનનો અભ્યાસુ છું અને પયગમ્બરે ઇસ્લામ મારા આદર્શ છે 
આ વિધાન ભારતના જાણીતા ધારાશાસ્ત્રી, અટલબિહારી બાજપાઈના પ્રધાનમંડળના પૂર્વ કેન્દ્રીય કાનૂની મંત્રી (જુન ૧૯૯૯-જુલાઈ ૨૦૦૦), રાજ્યસભાના સભ્ય (૧૯૮૮) અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન શ્રી રામ જેઠમલાણી (રામ બૂલચંદ જેઠમલાણી) નું છે. રામ જેઠમલાણી તેમના વિધાનો અને કાર્યોથી હંમેશા ચર્ચામા રહ્યા છે. રામ જેઠમલાણીએ તેમની કારકિર્દીનો આરંભ ભાગલા પૂર્વેના સિંધમા પ્રોફેસર તારીકે કર્યો હતો. તેમણે કરાંચીમા તેમના મિત્ર એ.કે.બ્રોહીની ભાગીદારીમાં લો ફર્મ શરુ કરી હતી. ફેબ્રુઆરી ૧૯૪૮મા ભાગલાને કારણે કોમી તોફાની ફાટી નિકળતા તેમના મિત્ર શ્રી બ્રોહીએ તેમને ભારત જવાની સલાહ આપી. અને આમ તેઓ મુંબઈ આવ્યા. મુબઈમાં આરંભથી જ તેમની વકીલાત સારી ચાલી હતી. ૧૯૫૯મા બહુચર્ચિત કે.એમ.નાણાવટી કેસમા તેઓ બચાવ પક્ષના વકીલ હતા. અને ત્યારથી તેઓ પ્રકાશમાં આવ્યા. કે. એમ. નાણાવટી કેસ પરથી થોડા સમય પહેલા રુસ્તમ નામક ફિલ્મ બની છે. આમ અનેક વિવાદાસ્પદ કેસોમાં પોતાની ચાતુર્યપૂર્ણ દલીલો માટે જાણીતા રામ જેઠમલાણી ઉમરના વયોવૃદ્ધ પડાવ પર હોવા છતાં આજે પણ તેઓ એટલા જ સક્રિય અને  સ્વસ્થ લાગે છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમા આવેલા શિકારપુરમા ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૩ જન્મેલા અને ભાગલા પછી ભારતમાં સ્થાહી થયેલા રામ જેઠમલાણીએ થોડા માસ પૂર્વે અલ્જીબ્રા, કલા અને વિચાર કલબમા ધર્મનિરપેક્ષતાના  વિષય પર જાહેરમાં વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે પોતાના વ્યાખ્યામાં કહ્યું હતું,
મેં વકીલ તરીકે અનેક ધર્મોના ગ્રંથોની અભ્યાસ કર્યો છે. એ જ રીતે મેં ઇસ્લામનું પણ અધ્યયન કર્યું છે. મને પયગમ્બરે ઇસ્લામમાં પૂર્ણ વિશ્વાસ છે. પયગમ્બરે ઇસ્લામ વિશ્વના મહાન પયગંબર છે.
રામ જેઠમલાણીના આ વિચારોને વાચા આપતો વિડીયો થોડા મહિનાઓથી વાયરલ થયો છે. અને તેના વ્યૂઅરની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આ વિડીયોમા રામ જેઠમલાણીએ પોતાના ધર્મનિરપેક્ષ વિચારો વ્યક્ત કર્યા છે. તે વિચારોના પ્રવાહમાં તેમણે ઇસ્લામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના  વક્તવ્યના આરંભમાં જ કહ્યું હતું,
હું હિંદુ છું અને હિંદુ ધર્મમાં મને અતૂટ વિશ્વાસ છે. પણ મહંમદ સાહેબ (સ.અ.વ.) અને ઇસ્લામનો પ્રશંશક છું
ઇસ્લામ અને કુરાને શરીફના વિચારોથી સંમોહિત થનાર રામ જેઠમલાણી ઇસ્લામ અંગે આગળ કહે છે,
જો મુસ્લિમો મહંમદ સાહેબના ચિંધેલા માર્ગ પર ચાલશે તો ઇસ્લામ માનવજાત પર પ્રભુત્વ મેળવી શકશે. એક સમયે મુસલમાનોએ સ્પેન અને યુરોપમા પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું.
ઇસ્લામની હદીસોમા આપવામાં આવેલા બે અવતારણોથી રામ જેઠમલાણી ખુબ પ્રભાવિત છે. તેમાં પ્રથમ છે,
જયારે તમે જ્ઞાનની શોધમાં કદમો માંડો છો ત્યારે તમે ખુદાના માર્ગ પર ચાલો છો.
અર્થાત જ્ઞાનની શોધ અને તેને પામવાની ક્રિયા કોઈ ઈબાદતથી કમ નથી. ઇસ્લામની હદીસોમાં આવા અન્ય અવતરો પણ મોજુદ છે.
ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો
જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે
રામ જેઠમલાણીએ જે વિધાન ટાંક્યું છે તે ‘બિહારુલ અનવર’મા મુલ્લા બાકીરની હદીસ છે. તેમાં મહંમદ સાહેબના કથનને ટાંકતા કહેવામાં આવ્યું છે,
વિદ્યા પ્રાપ્ત કરો કેમ કે જે ખુદાના માર્ગમા એ મેળવે છે તે નેકીનું, પવિત્ર કાર્ય કરે છે. જે જ્ઞાનની વાત કરે છે, તે ઈબાદત કરે છે. જે વિદ્યાદાન કરે છે, તે ખેરાત કરે છે. ઇલ્મ મેળવવાથી શું ગ્રાહ્ય છે, શું ત્યાજ્ય છે તેની ખબર પડે છે. વિદ્યા સ્વર્ગ તરફનો રસ્તો અજવાળે છે. રણમાં એ સંગાથી મિત્ર છે. એકાંતમાં એ સહવાસી છે. મિત્ર વિહોણા માટે તે સહ્દય છે. એ સુખ તરફ દોરી જાય છે. દુઃખમા તે આપણો ટેકો છે. દોસ્તો વચ્ચે તે આપણું આભુષણ છે, અને દુશ્મનો સામે તે બખ્તર છે.
રામ જેઠમલાણીએ હદીસનું બીજું અવતાર જે ટાંક્યું છે તે છે,
શહીદોના લોહી કરતા આલીમ (જ્ઞાની) ની શાહી વધુ પવિત્ર છે.
અર્થાત શાહી વડે લખાયેલા જ્ઞાન માનવી અને સમાજના વિકાસમાં અમુલ્ય પ્રદાન કરે છે. ઇસ્લામની હદીસોમા પણ તે અંગેના અનેક આધારો સાંપડે છે. એક અન્સારીએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને પૂછ્યું,
મારી યાદ શક્તિ ઓછી છે. આપનો ઉપદેશ હું યાદ રાખી શકતો નથી. તો શું કરું ?
આપે ફરમાવ્યું,
તારા જમણા હાથની મદદ લે અને મેં કહ્યું તે લખી નાખ
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) સાથે રહેનાર અન્નસ કહે છે,
પયગમ્બર સાહેબ હંમેશા કહેતા લેખન વડે ઈલ્મને પકડી રાખો
મહંમદ સાહેબ (સ.અ.વ.)પર વહી દ્વારા ઉતરેલી પ્રથમ આયાતમા પણ આ જ વાત કહેવામાં આવી છે. એ પ્રથમ આયાતમાં કહ્યું છે,
 ‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.

ઇસ્લામના સિદ્ધાંતોને આમ જાહેરમાં સ્વીકારનાર રામ જેઠમલાણીને વંદન.








No comments:

Post a Comment