Monday, June 2, 2014

પાઠય પુસ્તક સર્જન : એક કલા : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પાઠ્ય પુસ્તકોમાં વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રા કે પ્રસંગો આલેખવા ઉત્સાહી થઇ ગયેલા રાજકારણીઓને શાંત પાડવાનું મા. નરેન્દ્રભાઈ મોદીનું પગલું પ્રશંસનીય અને અનુકરણીય છે. એ માટે મા. નરેન્દ્રભાઈ આકાશભરીને અભિનંદનને પાત્ર છે. જીવિત માનવીઓના જીવન પ્રસંગો ન આલેખતા સ્વર્ગસ્થ દેશભક્તો અને મહાનુભાવોના જીવન પ્રસંગો આલેખવાની ટકોર કરી મા. નરેન્દ્રભાઈએ ખુશામત માટે તત્પર રાજકારણીઓને પાઠ ભણાવ્યો છે. જયારે આમ બુદ્ધિજીવીઓ, શિક્ષકો કે અધ્યાપકોની નજરમાં ઊંચું સ્થાન કાયમ કર્યું છે.

થોડા વર્ષો પૂર્વે ગુજરાતના પાઠય પુસ્તક મંડળમાં અલ્પ સમય માટે કાર્ય કરવાની મને તક સાંપડી છે. એ અનુભવ પરથી મે તારવ્યું છે કે રીઢા પાઠ લેખકો અને રૂઢ પાઠ લેખન પદ્ધતિને કારણે આપણા પાઠ્ય પુસ્તકો જ્ઞાન કોશ કરતા માહિતી કોશ બની રહ્યા છે. આવા માહિતી કોષો બાળકો કે નવ યુવાનોના ચારિત્ર ધડતરમાં કોઈ ફાળો આપતા નથી. કારણે કે કોમ્પ્યુટરના આ ઝડપથી બદલાતા જતાં યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે. વિદ્યાર્થી પાઠ્ય પુસ્તક કરતા વિશેષ માહિતી ઈન્ટરનેટ પરથી મેળવી લે છે. વળી, આવા રીઢા પાઠ લેખકો, સંપાદકો કે પરામર્શકોમા સર્જનાત્મકતા અને આધુનિક વિષય પ્રવાહોની જાણકારીનો અભાવ હોય છે.

થોડા દિવસ પૂર્વે દૂરદર્શને મારા એક ઇન્ટરવ્યુમા મને પાંચમાં ધોરણના સમાજવિદ્યાના પાઠ્ય પુસ્તક વિષે તટસ્થ અભિપ્રાય આપવા જણાવ્યું હતું. ત્યારે ઇતિહાસના એક અધ્યાપક તરીકે તેમને મે જણાવ્યું હતું,

"ઇતિહાસ અને ધાર્મિક સાહિત્યમાં ભેદ કરવાનું પાઠ લેખકો, સંપાદકો અને પરામર્શકો વિસરી ગયા છે. ઇતિહાસ એ આધારભૂત તથ્યો છે. જયારે ધાર્મિક સાહિત્ય એ આપણી શ્રધ્ધા છે. ઈમાન છે. તેમાં કોઈ આધારની જરૂર નથી. આ કોઈ એક ધર્મના સાહિત્યની વાત નથી દરેક ધર્મના સાહિત્ય માટે તે સત્ય છે"

અને એટલે જ આપણા જાણીતા શાયર જલન માતરી આ અંગે કહે છે,

"શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ? 

 કુરઆનમાં તો કયાંય પયંબરની સહી નથી"

ટુંકમાં આપણા પાઠ્ય પુસ્તકો માહિતીના ભંડારો બન્યા છે, પણ ચારિત્ર ઘડતરના સ્રોત નથી બન્યા. અલબત્ત તેને માટે કોઈ રાજકારણીય જવાબદાર નથી. પણ પરાપૂર્વ ચીલા પર કાર્ય કરતા રીઢા પાઠ લેખકો, સંપાદકો અને પરામર્શકો મૂળભૂત રીતે જવાબદાર છે. અને એટલે જ પાઠ્ય પુસ્તકોના સર્જન પૂર્વે ઉપરોક્ત ત્રણે શૈક્ષણિક વ્યક્તિઓ પાસે નીચેની ગુણવત્તા અનિવાર્ય બને છે.

૧. પાઠોને માહિતી કોશ બનાવવા કરતા રસમય બનાવવાની ક્ષમતા તેમનામાં હોવી જરૂરી છે. વિદ્યાર્થીને પાઠ વાંચવાની નહિ પણ તેને માણવાની મજા પડે તે સાચો પાઠ.

૨. વિષય નિષ્ણાત વિષયના અત્યાધુનિક પ્રવાહથી વાકેફ હોવા જોઈ. જેમ કે ઇતિહાસ અને ધાર્મિક સાહિત્ય વચ્ચેની ભેદ રેખાથી તે પરિચિત હોવો જોઈ.

૩. પાઠોના સર્જનમાં સર્જનાત્મક અભિગમ અનિવાર્ય છે. કારણ કે તો જ તે પાઠને રસમય બનાવી શકશે. તેથી સર્જનાત્મક કલા તેનામાં હોવી જરૂરી છે.

૪. પાઠોની લંબાઈ કરતા તેની અસરકારકતા જરૂરી છે. એ માટે મહાપુરુષના સમગ્ર જીવન કરતા તેમના જીવનના એકાદ પ્રસંગ કે કોઈ એકાદ ઐતિહાસિક ઘટનાની પાઠના વિષયવસ્તુ તરીકે પસંદગી કરવાની દ્રષ્ટિ તેનામા હોવી અનિવાર્ય છે.

૫. પસંદ કરેલ પ્રસંગ કે ઘટનાની રજૂઆત માટે યોગ્ય શબ્દો અને સરળ વાક્યોની રચના કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ છે.

૬. જીવન પ્રસંગ કે ઐતિહાસિક ઘટનાઓનું અર્થઘટન અને વિષ્લેષણ કરવાની તેનામા  ક્ષમતા અનિવાર્ય છે.

બે એક વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ ટ્રેનિગ કોલેજના નિયામક ડૉ. કલાધર આર્યએ કોલેજના અધ્યાપકોના રીફ્રેશર કોર્સમા "શિક્ષણમાં સર્જનાત્મક સાહિત્ય" વિષયક વ્યખ્યાન આપવા મને બોલાવ્યો હતો. ત્યારે પાઠય પુસ્તકના પાઠોનું સર્જન એક કલા છે, એ દર્શાવતા એક "સદભાવના" વિષયક પાઠનો નમુનો મે અધ્યાપકોને આપ્યો હતો. મોટેભાગે આપણા પાઠ્ય પુસ્તકોમાં "સદભાવના"ના વિચારને સાકાર કરવા સદભાવનાનો અર્થ, સદભાવનાના પ્રકારો, સદભાવના કોની વચ્ચે ? વગેરે બાબતો પાઠના કેન્દ્રમાં રાખી વિષય વસ્તુની બાંધણી કરવામાં આવે છે. પણ તેના સ્થાને એક નાનકડી અસરકારક દ્રષ્ટાંત કથા સદભાવનાને ઉમદા રીતે સાકાર કરી શકે છે, એ અંગે આપણે વિચાર કરતા નથી કારણ કે એ માટે સર્જનાત્મક ગુણ પાઠ લેખક, સંપાદક અને પરામર્શકમા હોવા જરૂરી બને છે. એવા એક પાઠનું ઉદહરણ અત્રે આપવાનો પ્રયાસ કરેલ છે.

સદભાવના

 હિંદુ સમાજ હંમેશા "મહાશિવ રાત્રી" ઉજવે છે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી  અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર "માલકોશ" થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે,

"માલકોશ ભગવાન શીવ કી કર્ણપ્રિય રચના હૈ"

આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદભૂત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે "માલકોશ" પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયા છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદભાવનાના અદભૂત દ્રશ્યો સર્જ્યા છે. જુના ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મનભરીને માણે છે. એક ફિલ્મ "બૈજુબાવરા"નું "મન તરપદ હરી દરશન કો આજ" અને બીજું "નવરંગ" ફિલ્મનું "આધા હૈ ચંદ્રમાં રાત આધી". પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. .. ૧૯૫૨મા આપણા ગજરાતી નિર્દેશક શ્રી વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ "બૈજુબાવરા"ના કૃષ્ણ ભજન  "મન તરપદ હરી દરશન કો આજ"ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,

હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,

 હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે

શકીલની શાયરીમા રોમાન્સ કરતા ઈબાદત અને ઝીંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. "બૈજુબાવરા"નું ભક્તિ ગીત "મન તરપદ હરી દરશન કો આજ"તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર "મન તડપત હરી દરશન કો આજ" લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.

મન તરપત હરી દરશન કો આજ

મોરે તુમ બિન બિગરે સગરે કાજ

, બિનતી કરત હું રખીયો લાજ....મન તરપત

તુમ રે દવારકા મેં હું જોગી

હમરી ઔર નજર કબ હોગી

સુન મોરે બ્યાકુલ મન કા બાજ....મન તરપત

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં

દીજો દાન હરી ગુણ ગાઉં

સબ ગુની જન પે તુમ્હારા રાજ....મન તરપત


મુરલી મનોહર આસ ન તોડો

દુઃખ ભંજન મોરે સાથ ન છોડો

મોહે દરશન ભિક્ષા દે દો આજ....મન તરપત                     

આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી,

"કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે."

અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં "મન તરપત હરી દરશન કો આજ" ભજનનું રેકોર્ડીંગ થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે.

" લલ્લુભાઈ ભક્તિમે લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા.બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે,નૌશાદ સાહબ, યે આપ કે ગીત  કા કમાલ હૈ"

મેને કહા,

"હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ"

આજે પણ કૃષ્ણના ભક્તિ રસમા તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે  મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.

 
ઉપરોક્ત પાઠ શ્રેષ્ટ અને આદર્શ છે તેમ કહેવાનો કે સિદ્ધ કરવાનો અત્રે ઉદેશ નથી. પણ આપણા પાઠય પુસ્તકના પાઠોના સર્જનમા ઉપરોક્ત સુચનો અને દ્રષ્ટાંતો સાકાર કરવામા આવશે તો અવશ્ય આપણા પાઠ્ય પુસ્તકો શિક્ષણ સાથે સંસ્કારોના સિંચનનું પાયાનું કાર્ય પણ કરશે.

 
 

No comments:

Post a Comment