Thursday, November 29, 2018

હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબની હિજરત : ડૉ.મહેબૂબ દેસાઈ


૮ ડિસેમ્બરના રોજ મુસ્લિમ માસ રબી ઉલ અવ્વલ પૂર્ણ થયો અને ઇસ્લામના ચોથા માસ રબી ઉલ આખરનો ૯ ડીસેમ્બરના રોજ આરંભ થયો છે. ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત
સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.
મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,
“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”
ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,
“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”
પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,
“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં
સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને  કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું  આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”
હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી  કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.
અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.


Friday, November 16, 2018

ભક્તિ સાગર : ભજન સંગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ મને “ભક્તિ સાગર” નામક પુસ્તક તેના સંપાદક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબે મોકલ્યું છે. તેઓ ગુજરાતના સૂફી વિચારના ચિસ્તી પરંપરાના અગ્ર સંત હઝરત ખ્વાજા બડા સાહબ ચિસ્તી, હઝરત ખ્વાજા મોટામિયા ચિસ્તી, હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી, હઝરત ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી અને હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિસ્તીના સિધ્ધાં વંશજ છે. કડી, મોટામિયા માંગરોળ, એકલબાર, છોટા ઉદયપુર અને પાલેજમા તેમના વંશજોની મઝારો દરગાહ છે. અને હજારો  હિંદુ મુસ્લિમોનું આસ્થાનું તેમના વડીલો કેન્દ્ર છે. તેઓ ખુદ અભ્યાસુ છે. વિનિયન વિદ્યા શાખના પી.એચડી. છે. તેમણે ઘણા સંશોધન અને જહેમત પછી આ નાનકડા પુસ્તકમાં અલભ્ય એવા હિંદુ મુસ્લિમ સૂફી સંતોના ભક્તિ ગીતોનું સંપાદન કરી આપણી સમક્ષ મુક્યું છે. આ ભક્તિ ગીતો લોક સાહિત્ય અને લોક ભજનો પર અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસુઓ માટે અણમોલ ખજાનો છે. આજે તે ગ્રંથના થોડા ભજનોની વાત કરીએ.

મોટા મિયા માંગરોળની ગાદીના સૂફી સંત હઝરત કાયમુદ્દીન ચિસ્તી સાહેબના હિંદુ મુસ્લિમ અનેક ભક્તો હતા. તેમાના એક હિંદુ ભકત ઈભરાહીમ ભગત અર્થાત અભરામ ભગત એ યુગમાં ખુબ જાણીતા હતા. તેઓ પરીએજ ગામના રહેવાસી હતા. તેઓ સંપૂર્ણ નિરક્ષર હતા. છતાં તેમના વિચારોમાં સરળતા હતી. તેમના ભક્તિ ગીતોમાં હિંદુ મુસ્લિમ એકતાની સુગંધ અને ભક્તિની એકગ્રતા નીતરતી હતી. તેમનું એક ભજન માણવા જેવું છે.
    “ધન ઓત્તર દેશ, કડી કસ્બાની મ્હાય
    વસેરે પીર કાયમદિન
    હૂં તો ચિસ્તી ઘરાણાની ચેલી,
    મેં લાજ શરમ સર્વે મેલી
    મને લોક કહે છે ઘેલી રે
    પેલા અણસમજુ ને સમજાવીય... ધન ઓત્તર દેશ
    દખણ દેશમાં પરદો લીધો
    એકલબારે જઈ દ્નાકો દીધો છે
    પડદો દેખાડી ફડચોકીધો છે....... ધન ઓત્તર દેશ
    મનેઈસ્ક ઇલાહી લાગ્યો છે
    મારા મનનો ધોકો ભાંગ્યો છે
    પેલો અભરામ નિંદ્રાથી જાગ્યો છે. .... ધન ઓત્તર દેશ”
 
અભરામ ભગતના ભજનોમાં હિંદુ ઇસ્લામ બંને ધર્મને સાથે રાખી ઈબાદતનો એક નવો માર્ગ કંડારવાની અદભૂત નેમ જોવા મળે છે. એક અન્ય ભજનમાં અભરામ ભગતની એ ભાવના સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

“નેહ મને લાગ્યો રે, નબીરે રસુલનો રેજી, પીયુજી પૂરે મનની આશ
 સાધન કરવાં રે બાઈ મારે સુલટારેજી, જોયા મેં મીઠા મહુમદ ખાસ

મુલ્લાં ને કાજીરે, મોટા મોટા મોલવીરેજી, પંડિત જોશી પામે નહિ કોઈ પાર
ઇલમને આધારે રે, અહંકાર બહુ કરેરેજી, તેથી ન્યારો છે કિરતાર

સઉ ઇલમનોરે, ઇલમ એક છે રેજી , બાઈ જેનું અલખે કહીએ નામ
ભાવ કરીનેરે, જે કોઈ રૂદે ઘરે રેજી, બાઈ તેનું સરયુ સર્વે કામ”

એવા જ અન્ય હિંદુ ભક્ત હતા પૂજાબાવા. મૂળમાં ખંભાતના ખારવા-ખલાસી જાતિના હતા. તેમનું રહેણાંક ભરૂચમાં હતું. હઝરત શાહ કાયમુદ્દીન ચિશ્તીના તેઓ શિષ્ય હતા. તેમના તરફથી તેમને જ્ઞાનની પ્રસાદી મળી હતી. પૂજાબાવાને માનનાર ખારવા લોકો ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને મુંબઈમાં વસે છે. પૂજબાવાના ભજનો આજે પણ ગવાઈ છે. તેમના ભજનોની ખાસિયત સરળ ભાષા અને ભક્તિની મીઠાશ છે.

“છે પીર અમારા સાચા રે કાયમદીન બાવા
 આપી છે મુજને વાચા રે કાયમદીન બાવા

પીર મારા બીરાજા છો એકલબરે,
રંકની ચડો વારે રે  કાયમદીન બાવા

મોટા રે મોટા સાધુને આપે ઉગાર્યા
કંઈકને પલમાં તાર્યા રે કાયમદીન બાવા

સેવકને ઉગાર્યો છે મહેર કરીને
મારા દુખડા સૌ હરિને કાયમદીન બાવા

“પૂજાનો” સ્વામી પ્રીતે થઈ ગયો રાજી
જીતાડી રૂડી બાજીરે કાયમદીન બાવા
હિંદુ ભક્તોના મુસ્લિમ ઓલિયાઓ કે પીર સાહેબો પર લખાયેલા ભજનો જેવાજ ભક્તિભાવથી ભરપૂર મુસ્લિમ સંતોના હિંદુ ધર્મને વાચા આપતા ભજનો પણ માણવા જેવા છે. હઝરત બડા સાહેબ ચિસ્તીના ભજનો તેની સાક્ષી પૂરે છે.
“હમ કો જાનતે નહિ કોઈ, હમ તો સોહી પુરુષ હૈ વોહી રે

સત જુગ હમેં મહાદેવ થાયે, પારવતી હમ લાયે રે
ગંગા કો હમ જટામેં છૂપાયે, તો આક ધતુર ખાયે રે

ભાગીરત ભગવાન બન આએ, કાયા પલટ હમ આયે રે
ભાસ્માસૂરકો નાચ નાચયે, તો અચેતન અગ્નિ જલાયે રે

ત્રેતા જુગમે હમ રામ હો આયે, લંકા પાર સેન ચડાય રે
સાગર પર હમ પાલ બંધાયે, તો રાવણ માર ગિરાય રે”

આવા અદભૂત લોક ભજનોનો સંગ્રહ આપનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબને સલામ  

Thursday, November 8, 2018

“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે” : ડૉ. મહેબૂબ દેસાઈ


આ સત્ય ઘટનાના નાયક છે શિવ કથાકાર પુરીબાપુ. તેમની સાથેનો મારો સબંધ લેખક અને વાચક તરીકે તો ઘણો લાંબો છે. પણ અમે પ્રથમવાર ગત ઓક્ટોબર માસની ૩૧ તારીખે મારા નિવાસસ્થાને મળ્યા હતા. સૌ પ્રથમવાર  હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે તેમનો મારા પર ફોન આવ્યો હતો. ત્યારે તેમણે તેમની લાક્ષણિક અદામાં મને કહ્યું હતું.
“ભગવાન, આપને મળવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીએ.”
ભગવાનનું સંબોધન કરનાર પુરી બાપુની નમ્રતા મને સ્પર્શી ગઈ.
મેં તેમને કહેલું ,
”હાલ તો હું ઓસ્ટ્રેલિયામા છું. ઓક્ટોબરની ૨૪મીએ ભારત આવીશ. ત્યારે આપણે જરૂર મળીશું.” ૨૪મીએ ભારતમાં મારું આગમન થયું, બીજા જ દિવસે તેમનો ફોન આવ્યો.
“ભગવાન મેં આપની સાથે આપ ઓસ્ટ્રેલિયા હતા ત્યારે વાત કરી હતી. આપને મળવા આવવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીશું.”
મેં તેમને ૩૧મી એ બપોરે ૧૨ વાગ્યે મારા ઘરે આવવાનો સમય આપ્યો.
પુરીબાપુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ કટુલા ગામમા એક નાનકડો “સદગુરુ ધામ” નામક આશ્રમ ચલાવે છે. પંચાવન વર્ષના પુરી બાપુ સ્વભાવે સરળ અને હદયના નિખાલસ છે. તેમના આશ્રમમાં દસ પંદર ગાયો છે. તેનું તેઓ પ્રેમપૂર્વક જતન કરે છે. સાથે નાનકડું ભોજનાલય પણ ચલાવે છે. જેમાં કોઈ પણ નાતજાતના ભેદ વગર સૌને વિનામૂલ્યે તેઓ જમાડે છે. રામકથા, શિવકથા કરી તેઓ ભક્તિમાં લીન રહે છે. છે. ગામના લોકો તેમના દુઃખ દર્દો લઈને તેમની પાસે આવે છે. અને બાપુ ઈશ્વરનું નામ લઇ તેમને શક્ય તેટલી મદદ અને સાંત્વન આપે છે. આસપાસના લોકોમાં બાપુ માટે ઘણું માન છે. મારી કોલમ “રાહે રોશન” અને રમઝાન માસમાં આવતી કોલમ “શમ્મે ફરોઝાં”ના તેઓ  નિયમિત વાચક છે. તેમાં આવતી કુરાને શરીફ અને મહંમદ સાહેબની બાબતોને તેઓ ખાસ નોંધી રાખે છે અને તેનો ઉપયોગ આસ્થા સાથે લોકોની સમસ્યાઓ દૂર કરવામા કરે છે. તેઓ કહે છે.
“ઈશ્વર કે અલ્લાહ એક જ છે. બંનેનું સત્વ એક જ છે.”
મારે ત્યાં તેઓ તેમના બે શિષ્યોને લઈને આવ્યા હતા. તેમના ઔપચારિક સ્વાગત પછી મેં પૂછ્યું,
“બાપુ શું લેશો ચા કે ઠંડુ”  તેમણે કહ્યું “થોડી ચા લઈશ”
મારી પત્નીએ તેમને કપમાં ચા આપી. ત્યારે તેમાંના શિષ્યએ થેલામાંથી કમંડલ કાઢી તેમને આપ્યું. બાપુએ ચા તેમાં નાખીને પીધી. ચા પીધા પછી તેમના શિષ્ય કમંડળ ધોવા ઉઠ્યા. મારી પત્ની
સાબેરાએ તેમની પાસેથી આગ્રહ કરી કમંડળ લઇ લીધું. અને તે ધોઈને તેમના શિષ્યને પરત કર્યું. પછી તો બાપુ વાતોએ વળગ્યા.પણ મારે અત્યારે તેમની એ બધી વાત નથી કરવી. અત્યારે તો મારે તેમણે મને કરેલ એક અદભૂત ધાર્મિક સદભાવની વાત કરવી છે.
૨૦૦૩ની સાલ હતી. હોળીના દિવસો હતા. પુરી બાપુની કથાનું આયોજન કચ્છના અંજાર શહેરની પાસે આવેલા નાગરપરા ગામમાં કરવામાં આવ્યું હતું. પોથી પૂજનની તડામાર તૈયારીઓ નાનકડા ગામમાં ઉત્સાહથી થઈ રહી હતી. પોથી પૂજનનો દિવસ અને સમય આવી ગયો. વાજતે ગાજતે પોથી પૂજન માટે આખું ગામ ઉમટ્યું. ત્યાજ ખબર આવ્યા કે ગામના અકબર શેઠ હજયાત્રાએથી પાછા આવી રહ્યા છે. અને તેમના સ્વાગત માટે સૌ તૈયારીઓ કરી રહ્યા છે. નાનકડું ગામ એમાં બે પ્રસંગો. ગામ લોકો મૂંઝાયા. કયા જવું એ સમજાય નહિ. પુરી બાપુને તેની જાણ થઈ. તેમણે ગામના વડીલોને ભેગા કરી કહ્યું,
“અકબર શેઠ ભગવાનના ઘરેથી આવી રહ્યા છે તેથી પહેલા તેમનું સ્વાગત ગામ લોકો કરે. પછી આપણે પોથી પૂજન કરીશું.” હજયાત્રાએથી આવી રહેલા અકબર શેઠને પુરી બાપુની આવી સદભાવનાની જાણ થઈ. અને તેમણે ગામ લોકોને કહ્યું,
“ભગવાનનું સામૈયું હોય, માનવીનું નહિ. પોથીપૂજન ભવ્ય રીતે કરો. હું નમાઝ અદા કરી કથામા જરૂર આવીશ.”
આમ છતાં પુરીબાપુએ પોથી પૂજન થોડું મોડું કર્યું. ગામ લોકોએ અકબર શેઠનું ભવ્ય સ્વાગત કર્યું.
કથા અહિયાં પૂરી નથી થતી. પોથી પૂજન પછી કથાનો આરંભ થયો. ઝોહર અર્થાત બપોરની નમાઝ અદા કરી અકબર શેઠ સીધાં કથામા આવ્યા. પુરી બાપુએ કથામાં પધારેલા હાજી અકબર શેઠનું કથા રોકી ફૂલહારથી સ્વાગત કર્યું. અકબર શેઠે પોતાના સ્વાગતના જવાબમાં ટુકું પણ સદભાવ ભર્યું ભાષણ કરતા કહ્યું,
“આજે પુરી બાપુ અને આ ગામે સદભાવના અને કોમી એખલાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું પુરી બાપુના વિચારોને પ્રણામ કરું છું.”
થોડી વાર અટકી અકબર શેઠ બોલ્યા,
“પુરી બાપુની ગૌસેવાને બિરદાવી હું ગૌ માતા માટે એકાવન હજારનું દાન આપું છું.”
અને કથામા બેઠેલા ગામજનોએ તાળીઓના ગળગળાટથી અકબર શેઠની ઉદારતાને વધાવી લીધી. આજે આ ઘટનાને ૧૫ વર્ષ વિતી ગયા છે. અકબર શેઠ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. માત્ર ઘટનાનું બયાન કરવા મારી સમક્ષ સફેદબંડી, ભગવો ગમછો, માથે તિલક અને સફેદ પવિત્ર દાઢી ધારી પુરી બાપુ બેઠા છે. હું એક નજરે પુરીબાપુની વાત સાંભળી રહ્યો છું. ત્યારે મારા મનમાં વિચારોના વમળો ઉઠે છે. અને એ વમળોમાંથી એક પ્રશ્ન ઘાટો બની મારા હદયમા ઉપસી આવે છે. અને એ છે,
“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે”