Monday, September 24, 2018

ઇસ્લામ અને રામધારી સિંહ “દિનકર” : ડૉ. મહેબૂબ દેસાઈ


રામધારી સિંહ “દિનકર” (૧૯૦૮ થી ૧૯૭૪) હિંદી સાહિત્યનુ એક મોટું નામ છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ તેમની ૧૦૯મી જન્મજયંતિ ગઈ. પદ્મશ્રી (૧૯૫૯) અને જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૭૨) વિજેતા દિનકરજીનો ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય” આજે પણ વાચકો, વિવેચકો અને બુદ્ધિજીવીઓમાં વંચાય છે, વિચારાય છે. આ એ જ ગ્રંથ છે જે માટે દિનકરજી ને “સાહિત્ય અકાદમી પુરસ્કાર” (૧૯૫૯) વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે આપવામાં આવ્યો હતો. તેમના આ ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય”મા ભારતીય સંસ્કૃતિના વિકાસની યાત્રા સરળ શબ્દોમાં આલેખવામાં આવી છે. એ ગ્રંથમાં તેમણે ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક ધર્મની વાત કરી છે. દિનકરજીએ પોતાના આ ગ્રંથમા ઇસ્લામ અંગેના પોતાના વિચારો સુંદર અને આધારભૂત રીતે આલેખ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઠંડા વાતાવરણમાં એ ગ્રંથનું ઇસ્લામ વિષયક પ્રકરણ પુનઃ વાંચવાની તક સાંપડી. ઇસ્લામની સાચી સમાજ પામવા ઇચ્છતા દરેક મુસ્લિમ કે ગેર મુસ્લિમે એ પ્રકરણ એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આજે એ પ્રકરણના કેટલાક ઉત્તમ વિચારોનું પાન કરીએ. દિનકરજીએ ગ્રંથથી ત્રીજી આવૃત્તિની ભૂમિકામા લખ્યું છે,
“ઇસ્લામ ખંડ (પ્રકરણ) નું મેં સંપૂર્ણ રીતે પુનઃ લેખન કર્યું છે. વીસમી સદીમા ભારતના જે ભાગલા થયા, તેના મૂળ મુઘલ કાળમા જ શેખ અહમદ સર હિન્દના પ્રચારમાં છે. એ વિચારનું અહિયાં વિશેષ રૂપથી મેં આલેખન કર્યું છે. આશા છે ભારતની સાંપ્રદાયિક સમસ્યા સમજવામાં વાચકોને મદદરૂપ થઈ પડશે.”
ગ્રંથના ત્રીજા અધ્યાય “હિન્દુ સંસ્કૃતિ ઔર ઇસ્લામ” નું બીજું પ્રકરણ “ઇસ્લામ” નામક છે. વીસ પાનાના આ પ્રકરણમાં દિનકરજીએ ઇસ્લામ અંગે પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા છે.
પ્રકરણના આરંભમાં દિનકરજી ઇસ્લામ શબ્દની સમજ આપતા લખે છે,
“ઇસ્લામ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શાંતિમાં પ્રવેશ થાય છે. અર્થાત મુસ્લિમ એ વ્યક્તિ છે જે પરમાત્મા અને મનુષ્ય માત્ર સાથે શાંતિ પૂર્ણ સંબધ રાખે છે. અતઃ ઇસ્લામ શબ્દનો લાક્ષણિક અર્થ એ થાય છે કે એવો ધર્મ જેના દ્વારા મનુષ્ય ઈશ્વરની શરણ લે છે અને દરેક મનુષ્ય સાથે પ્રેમ અને અહિંસાથી વર્તન કરે છે.”
દિનકરજી અલ્લાહ અંગે કહે છે,
“અલ્લાહ શબ્દનો અર્થ જ શક્તિ સંપન પુરુષ છે. ઇસ્લામમાં ઈશ્વર કે અલ્લાહના એ ગુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અલ્લાહ સર્વ શક્તિમાન છે. ઇસ્લામની ધાર્મિક ચેતનાનું રૂપ એ છે કે ઈશ્વર અત્યંત નજીકથી બધું જુવે છે. અને તેની નાની પણ અવગણના ગ્રાહ્ય નથી. મનુષ્ય માટે એ જ ઉચિત છે કે અલ્લાહની કૃપા અને ઈચ્છા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે. અલ્લાહની દયા પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવું એ ઇસ્લામની સૌથી મોટી વિશિષ્ટતા છે.”
“કુરાન જે અલ્લાહને માને છે તે જોવા અને સાંભળવા, વાતચીત કરવા અને ખુશી અને ગમને મહેસૂસ કરનારા છે. તે પ્રેમ પણ કરે છે, ધ્રુણા પણ કરે છે. બંદાનો અવાજ પણ સાંભળે છે. અને દૃષ્ટોનું દમન પણ કરે છે.પણ અલ્લાહના આ તમામ કાર્યો મનુષ્યના કાર્યો જેવા નથી. કારણ કે તેને મનુષ્યો જેમ નાક, કાન અને આંખો નથી. એ તો નિરાકાર છે. તે પ્રેમ અને દયાનો દરિયો છે. અને તે અર્શ (આકાશ)મા બિરાજે  છે.
પાંચ સમયની નમાઝ અંગે દિનકરજી કહે છે,
“પાંચ વારની નમાઝ પઢવાની પ્રથાના મૂળમા કદાચ એવો ભાવ રહેલો છે કે માનવી વધુ વાર અલ્લાહથી દૂર ન રહે. દિવસમાં ઓછામા ઓછા પાંચવાર તે અલ્લાહના શરણમાં પહોંચી જાય. અને તેની કૃપાની યાચના કરે.”
કુરાને શરીફ અંગે દિનકરજી લખે છે,
“કુરાનનું અવતરણ હઝરત મહંમદ સાહેબની દિવ્ય દ્રષ્ટિને કારણે થયું છે. પણ કુરાને શરીફમા એવું ક્યાંય નથી કહ્યું કે દિવ્ય દ્રષ્ટિ માત્ર મહંમદ સાહેબને જ મળી છે. પ્રત્યેક જાતિમાં દિવ્ય દ્રષ્ટિ ધરાવનાર ઉત્પન થયા છે. અને એટલે જ સાચો મુસ્લિમ દરેક ધર્મ ગ્રંથોને માન આપે છે. તેને પ્યાર કરે છે. કારણ કે દરેક ધર્મ ઈશ્વર ખુદાની જ દેન છે. સામાન્ય ફકીરમા પણ દિવ્ય દ્રષ્ટિ હોય શકે છે. પણ મહંમદ અને ફકીરમા ભેદ છે. મહંમદ પયગંબર (અમ્બિયા) હતા, જયારે ફકીર જ્ઞાની (આલીમ) હોય છે.”   
ઇસ્લામનો “જિહાદ” શબ્દ આજે જે રીતે બદનામ થઈ ગયો છે. તેના સંદર્ભમા દિનકરજી કહે છે,
“જિહાદ શબ્દ જહદ ધાતુ પરથી આવ્યો છે. જેનો અર્થ તાકાત, શક્તિ કે યોગ્યતા થાય છે. અંગ્રેજી વિદ્વાન ક્લેન ના મતે જિહાદ એટલે સંઘર્ષ. તેણે જિહાદ અર્થાત સંઘર્ષને ત્રણ વિભાગોમાં વિભાજીત કરેલ છે.
૧. દ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૨. અદ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૩. ઈન્દ્રીઓ સામે સંઘર્ષ
“સાધારણ વિદ્વાનોના મત મુજબ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે જે યુધ્ધો થયા, તેને એક પવિત્ર નામ આપવા માટે જિહાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ મુસ્લિમ વિદ્વાન મહમદ અલી કહે છે, આ શબ્દનો અર્થ ઇસ્લામના પ્રચાર માટે થયેલા યુધ્ધો નથી. કુરાને શરીફમા જ્યાં જ્યાં આ શબ્દ આવ્યો છે, ત્યાં ત્યાં એ શબ્દનો અર્થ પરિશ્રમ, ઉદ્યોગ કે સામાન્ય સંઘર્ષ તરીકે કે જ થયો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ યુદ્ધની પરવાનગી ત્યારે આપી હતી, જયારે તેઓ હિજરત કરીને મદીના આવ્યા હતા. મદીનામાં આત્મ રક્ષણ માટે તલવાર ઉપાડવી તેમના માટે આવશ્યક થઈ ગઈ હતી. એ પછી જ યુધ્ધો જિહાદના નામે લડાવા લાગ્યા. પરંતુ ત્યારે પણ જિહાદનો વ્યાપક અર્થ કરવામાં આવતો હતો. જેમાં તલવાર અને વાણી બંનેનો સમાવેશ થતો હતો. કુરાને શરીફમા કહ્યું છે, “એ નબી, જે કાફિર અને પાખંડી છે તેમના વિરુદ્ધ તારી જિહાદ ચાલુ રાખ. અને તેમની સામે વિચલિત ન થા.” હદીસમા તો હજને પણ એક જિહાદ તરીકે આલેખવામાં આવેલ છે. અને કહેવામાં આવ્યું છે, “નબીએ કહ્યું છે સૌથી મોટી જિહાદ હજમાં જવું છે.” પણ પછી રૂઢીચુસ્ત મૌલવીઓએ જિહાદનો અર્થ માત્ર યુદ્ધ કરી નાખ્યો.”
દિનકરજી આગળ લખે છે,
“મુહમદ અલી નામના વિદ્વાન કહ્યું છે,

“વિધર્મીઓને તલવારના જોરે ઇસ્લામમા લાવવાનું કુરાનમાં ક્યાય કહેવામાં આવ્યું નથી. હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)એ પણ કયારેય એ વાત કહી નથી.”   

Wednesday, September 12, 2018

પર્યુષણ પર્વ નિમિત્તે : ડૉ.મહેબૂબ દેસાઈ


૭ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન જૈન સમાજે પયુષણ પર્વની ઉજવણી કરી. આજે જૈન ધર્મની સર્વધર્મ સમભાવની પ્રવૃત્તિ અંગે થોડી વાત કરવી છે. ગુજરાતના મોટા ભાગના રાજ માર્ગો પર અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયો આવેલા છે. એવા ભવ્ય અને કલાત્મક જૈન મંદિરો જોઈ, કોઈ પણ નાગરિકને તેમાં પ્રવેશવાની કે તેની અંદર ચાલતી પ્રવૃતિઓ અંગે જાણવાની ઈચ્છા થઈ આવે તે સ્વાભાવીક છે. મને પણ માનવસહજ એમ થતું. પણ સમયની પાબંદી ને કારણે તે શક્ય બનતુ નહી. પણ થોડા વર્ષો પહેલા મારી એ ઈચ્છા પૂર્ણ થઈ. એ દિવસે હું સરદાર પટેલ યુનિવર્સિટીના એક કામ અર્થે વલ્લભવિદ્યાનગર જવા સવારે સાડા છ વાગ્યે નીકળ્યો. લગભગ સાડા સાત વાગ્યે વટામણ ચોકડીના વળાંક પર આવેલા એક વિશાળ અને કલાત્મક જૈન મંદિરમા ડ્રાયવરે ગાડી ઉભી રાખી. મે પૂછ્યું,
"ગાડી અહિયાં કેમ ઉભી રાખી ?"
"સાહેબ, નવકારશી કરી લઈએ"
"નવકારશી એટલે ?" મે તેના આશયને પામવા પૂછ્યું.
"નવકારશી એટલે સવારનો નાસ્તો" વહાન ચાલકે તેની સમજ મુજબ જવાબ આપ્યો.
અને ત્યારે મને જૈન ધર્મના સેવાકીય યજ્ઞનો સાચો અને વાસ્તવિક પરિચય થયો. દરેક જૈન ધર્મ સ્થાનમાં ચાર સેવાકીય બાબતો અનિવાર્ય પણે હોય છે.
૧. સેવા-પૂજા અર્થે જૈન મંદિર
૨. ઉપદેશ અને સાધુઓના ઉતારા માટે ઉપાશ્રય
૩. દરેક યાત્રીઓના ઉતારા માટે ધર્મશાળા
૪. જમવા માટે ભોજનશાળા.
આ ચારે સેવાઓનો લાભ હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ કે કોઈ પણ વ્યક્તિ નાત જાતના કોઈ પણ ભેદ વગર લઈ શકે છે. જૈન ધર્મમાં એ અંગે ખાસ કહેવાયું છે "નાતા જાત કે ગચ્છના ભેદ વગર" આવા જૈન સ્થાનો પર સૌને સેવા ઉપલબ્ધ થાય છે. આ વાત સૈધ્ધ્તિક રીતે હું જાણતો હોવા છતાં તેનો જાત અનુભવ કરવાની મને કયારેય તક કે સમય મળ્યો ન હતો. પણ તે દિવસે એ અવસર અનાયસે મને પ્રાપ્ત થયો. જૈનધર્મમા સૂર્યોદય થયા પછી નવકારગણીને નાસ્તો કરવાની ક્રિયાને "નવકારશી" કહે છે. એ દિવસે પ્રથમવાર હૂં નવકારશી માટે ભોજનાલયમા દાખલ થયો. વ્યક્તિ દીઠ માત્ર વીસેક રૂપિયાના પાસમાં મને મગ, પોવા ખાખરા, પૂરી, મીઠાઈ, ચા,કોફી ,દૂધ કે ઉકાળો અમર્યાદિત માત્રામાં નાસ્તામા ઉપલબ્ધ થયા. ભોજનશાળાની સ્વછતા અને સાત્વિકતા પણ ગમી જાય તેવા હતા. આ જ રીતે જૈન ધર્મમાં સાંજના ભોજનને "ચોવીયાર" કહે છે. જૈન સ્થાનો પર આવેલા ભોજનાલયોમા તેની પણ સગવડતા હોય છે."ચોવીયાર" એટલે સૂર્યાસ્ત પૂર્વેનું ભોજન. ધોરી માર્ગો પર આવેલા જૈન સ્થાનોમાં આપ સાત્વિક સાંજનું ભોજન લેવા ઇચ્છતા હો તો સૂર્યાસ્ત પહેલા આપે ત્યાં પહોંચી જવાનું રહે. તેમાં પણ કોઈ નાત જાતના ભેદભાવ વગર માત્ર સેવાકીય અભિગમથી દરેક વ્યક્તિને ભોજન કરાવવામાં આવે છે.
જૈન ધર્મનો આ સેવા યજ્ઞ બૌદ્ધિક અને વૈચારિક પ્રક્રિયામા પણ અગ્ર રીતે વિકસ્યો છે. જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ જગત અને જીવ સાચા બ્રહ્મ નથી. મોક્ષ માટે માનવીએ અઢાર દોષો માંથી મુક્ત થવું જોઈએ.. એ અઢાર દોષો એટલે પ્રાનાતિપાત (નાનામા નાની જીવ હિંસા),મૃષાવાદ(જુઠ્ઠું બોલવું),અદત્તાદાન(ચોરી),મૈથુન (વિષયસેવન), પરિગ્રહ (ધન-ધાન્ય સંચય), ક્રોધ ,અહંકાર ,માયા, લોભ ,રાગ, દ્વેષ , કલહ, અભ્યાખ્યાન (કોઈના માથે આળ ચડાવવું), પૈશુન (ચાડી-ચુગલી), રતિ(સુખ-દુઃખ), પરપરિવાદ (પારકી નિંદા),માયા-મૃષાવાદ (કપટ સાથે જુઠ્ઠું બોલવું)અને મિથ્યાત્વ અર્થાત અંધશ્રદ્ધા. આ અઢારે દોષોમાંથી મુક્ત થવા જૈન ધર્મે ચાર ઉપાયો આપ્યા છે. સમ્યકદ્રષ્ટિ, સમ્યકજ્ઞાન, સમ્યકચરિત્ર અને સમ્યકવાણી. ગાંધીજીના ત્રણ બંદરો પણ આવો જ કઇક ઉપદેશ આપે છે. બુરા મત દેખો, બુરા મત કહો , અને બુરા મત સુનો. અલબત્ત તેમાં એક બંદરનો ઉમેરો કરીએ બુરા મત સોચો. તો જૈન ધર્મના સિદ્ધાંતો પૂર્ણ રીતે ગાંધીજીના ચારે બંદરોમાં સાકાર થઈ જાય. જૈનધર્મના સિદ્ધાંતો મુજબ હિંસા કરવી, કરાવવી કે તેનું અનુમોદન કરવું ત્રણે પાપ છે. જેમ કે  કીડી માત્રની હત્યા પાપ છે.પણ  કીડીની હત્યા સમયે આનંદ કે ઉપેક્ષા સુધ્ધા પણ પાપ છે. ગાંધીજીએ દરેક ધર્મમાંથી સારા તત્વો લીધા હતા. ઈસ્લામમાંથી સમૂહ પ્રાર્થના અને જૈન ધર્મમાંથી અહિંસાને  તેમણે પોતાના જીવનમાં ઉતર્યા હતા. પણ જૈન ધર્મની સુક્ષ્મ હિંસાની સાથે ગાંધીજી સંમત ન હતા. જો કે અત્રે તેની ચર્ચા અસ્થાને છે. પણ ઉપરોક્ત સિદ્ધાંતો જોતા એટલું અવશ્ય કહી શકાય કે જૈન ધર્મના આ તમામ સિદ્ધાંતોમાં માનવીને માનવી બનાવવાનો ઉદેશ જ રહેલો છે.

એ જ રીતે જૈનધર્મના પર્યુષણ માસ દમિયાન માત્ર જૈન ધર્મના પ્રચાર પ્રસાર અને તેના ઉપદેશાત્મક વ્યાખ્યાનો જ ઉપાશ્રય અને જાહેરમા યોજાતા નથી. પણ દરેક ધર્મના ઉમદા સિદ્ધાંતોને આમ સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પર્યુષણ માસ દમિયાન વર્ષોથી થાય છે. જેનું ઉમદા દ્રષ્ટાંત ૩ ફેબ્રુઆરી ૧૯૨૯મા  સ્થપાયેલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છે. પંડિત સુખલાલજી ૧૯૩૧મા અમદાવાદથી મુંબઈ આવ્યા અને તેમના વ્યાખ્યાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મુંબઈમાં પયુષણ વ્યાખ્યાનમાળાનો  આરંભ થયો. આ વ્યાખ્યાનમાળામાં આજ દિન સુધી કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી,સરલાદેવી સારાભાઈ, સ્વામી અખંડ આનંદ, ઝવેરચંદ મેઘાણી, મોરારજી દેસાઈ,પૂ. મોરારીબાપુ જેવા અનેક જાણીતા મહાનુભાવો સર્વધર્મ સમભાવ પર વ્યાખ્યાનો આપી ચુક્યા છે. તેમાં ઇસ્લામ અને અહિંસા, ગીતા અને કુરાન જેવા વિષયો પર વ્યાખ્યાનો આપવાની સ્વ. ડૉ. ધનવંતભાઈ શાહએ મને પણ તક આપી છે. તે માટે ગર્વ અને આનંદ છે. ખ્રિસ્તી ધર્મ, જરથોસ ધર્મ, વિષયક વ્યાખ્યાનો પણ તેમાં અવારનવાર યોજાય છે.અને આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ છે. જૈનધર્મનો આ સેવાયજ્ઞ દરેક ધર્મ, સમાજ અને સામજિક સંગઠન માટે આદર્શ છે. તેનું હુબહુ અનુકરણ ન થાય તો કઈ નહિ. પણ તેમાંથી થોડી પ્રેરણા પણ આપણે મેળવીશું, તો ધર્મના વાડાઓની કાંટાળી વાડના થોડા કાંટા દૂર કરવાનો સંતોષ અવશ્ય મેળવી શકીશું.