Wednesday, April 18, 2018

ટાઈમ મેનેજમેન્ટ અને રમઝાન : ડૉ.મહેબૂબ દેસાઈ


લગભગ ૧૬ મેં (ચાંદ પર આધારિત હોયને)થી ઇસ્લામના પવિત્ર માસ રમઝાનનો આરંભ થઈ રહ્યો છે. ઇસ્લામમાં રમઝાન માસનું મહત્વ અનેક ગણું છે. આજ માસમાં મોટાભાગની આસમાની કિતાબોનું અવતરણ થયું છે. હઝરત ઈસ્માઈલ (અ.સ.) પર આ જ માસની ૩જી તારીખે "સહીફા"નું અવતરણ થયું હતું. હઝરત દાઉદ (અ.સ.) પર આજ માસની ૧૮મી તારીખે "જબૂર"નું અવતરણ થયું હતું.હઝરત મુસા (અ.સ.)એ આજ માસની ૬ તારીખે "તૌરાત" આપી હતી. હઝરત ઈસા (અ.સ.)ને "ઈંજીલ" પણ આજ માસની ૧૩મી રમઝાને મળી હતી. અને ઇસ્લામની મોટામા મોટી દેન "કુરાને શરીફ"ના અવતરણનો આરંભ પણ આજ માસમા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને વહી દ્વારા થયો હતો. "રમઝ" શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે બાળવું. એ અર્થમાં કહીએ તો ગુનાઓને બાળવાનો અને ઈબાદત દ્વારા નેકીઓનો ખજાનો લુંટવાનો માસ એટલે રમઝાન માસ.
આમ રમઝાન માસ ઈબાદત અને દાન-પુણ્યનો માસ છે. તેની એક એક મિનીટનો સદુયોગ દરેક મુસ્લિમ કરવા તત્પર રહે છે. પણ એ માટેનું આયોજન આજના ઝડપી યુગમાં કરવું સૌ માટે મુશ્કેલ બને છે. ઇસ્લામમાં ટાઇમ મેનેજમેન્ટનો વિચાર છેક મહંમદ સાહેબના સમયથી ચાલ્યો આવે છે. જો કે મહંમદ સાહેબે તેના સૈધાંતિક સ્વરૂપ કરતા તેના અમલને પોતાના જીવનમાં સાકાર કર્યો હતો. એ જ સંદર્ભમાં આજે રમઝાન માસ દરમિયાનના ટાઇમ મેનેજમેન્ટની થોડી વાત કરવી છે.
રમઝાન માસ પૂર્વે તેની એક એક પળનું આયોજન દરેક મુસ્લિમે કરવું જોઈએ. કારણ કે આ માસ અલ્લાહનો માસ છે. અલ્લાહને ઈબાદત (ભક્તિ) અને સદકાર્યોથી ખુશ કરવાની એક એક પળનો સદ ઉપયોગ કરવાનો માસ છે, તેથી તેનું આયોજન અનિવાર્ય છે. એ માટે નીચેની કેટલી બાબતો રમઝાન માસ પૂર્વે અને દરમિયાન અમલમાં મુકવી જરૂરી છે.
૧. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં માનવીનો મોટાભાગનો સમય મોબાઇલ અને ટેલીફોનીક ચર્ચામાં જાય છે. રમઝાન માસમાં આપ ટેલીફોન અને મોબાઇલ ચેટને માર્યાદિત કરો. મિત્રો સ્વજનો અને વ્યવસાયિક કાર્યકરો સાથેની તમારી વાતચીત માત્ર કામ પુરતી જ રાખો. નકામી વાતોને ટાળો. જેથી ઈબાદત તરફ તમારી રૂચી જળવાઈ રહે. વળી, મોબાઇલ જેવા માધ્યમ દ્વારા આપ મુલ્ય નિષ્ઠ ઇસ્લામિક વિચારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ કરી રમઝાનની સુવાસ પ્રસરાવી શકો છે.
૨.  આજનો માનવી પોતાના દિવસનો મોટાભાગનો સમય કોમ્પુટર અને ઈન્ટરનેટ પાછળ પસાર કરે છે. અલબત કોમ્પુટર અને ઈન્ટરનેટ આજના યુગની જરૂરિયાત છે. વ્યવસાયનો એક ભાગ છે. પણ તેની સાથે તે સમયના વ્યયનું મુખ્ય સાધન પણ છે. આજે ઈમેઈલ, ફેસબુક, ટવીટર, યુટ્યુબ કે ઇનસ્ટાગ્રામ જેવા માધ્યમો મનોંરજન અને સમય પસાર કરવાના માધ્યમો બની ગયા છે. કમ સે કમ રમઝાન માસમા તેની પાછળ વધુ સમય વ્યય ન કરો. તેના બદલે તે સમય ઇબાદત અને સદકાર્યો માટે ફાળવો. જેથી આપની ઇબાદતમાં એકગ્રતા અને સદકાર્યોમાં સક્રિયતા આવશે.  
૩.  રમઝાન માસ એ ખાવાપીવાનો માસ નથી. એ તો ઈબાદત અને કુરાને શરીફના અધ્યન અને પઠનનો માસ છે. પણ મોટે ભાગે રમઝાન માસમા શેહરી અને ઇફ્તીયારીની તૈયારીમા જ આપણું રસોડું સક્રિય રહે છે. પરિણામે મા-બહેનો, દીકરીઓ અને પત્નીને ઈબાદતનો સમય બહુ જૂજ સાંપડે છે. વળી, આપણે પણ સહેરી અને ઇફ્તીયારીમા વિવિધ વ્યંજનો વાળા ભોજન પર વિશેષ ધ્યાન આપતા હોય છીએ.પરિણામે આપણી નમાઝ અને તિલાવતમા સુસ્તી પ્રવેશે છે. રમઝાન માસમાં ભોજન સાદું અને પોષ્ટિક લેવાનો આગ્રહ રાખો. જેથી વધુ સમય ઈબાદતમા ફાળવી શકાય.
૪.  રમઝાન માસ પૂર્વે તમારી અને ઘરની  જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓની પાકી યાદી બનાવી રમઝાન માસ પહેલા તેની ખરીદી કરીલો. જેથી રમઝાન માસ દરમિયાન ખરીદી પાછળ સમય ફાળવવો ન પડે. અને તેટલો વધુ સમય આપ ઈબાદતમા ફાળવી શકો. રમઝાન માસના છેલ્લા દસ દિવસ ઈબાદત માટે અત્યંત મહત્વના હોય છે. એવા સમયે ખરીદીમા આપનો કિમતી સમય ન પસાર કરો.
૫.  રમઝાન માસમા ઇફ્તીયારી પાર્ટીઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ તેનું રમઝાન માસ દરમિયાન આયોજન કરતા હોય છે. રમઝાનમા ઇફ્તીયારી અર્થાત રોઝો ઉપવાસ છોડાવવાનું કાર્ય પુણ્ય સવાબ છે. પણ એ સવાબ માટે માત્ર ઇફ્તીયારી પાર્ટીઓ જરૂરી નથી. મહંમદ સાહેબ ફરમાવ્યું છે, ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો.  એ પણ ઇબદાતનું એક સ્વરૂપ છે. ઇફ્તીયારી પાર્ટી કરતા ગરીબ, અસહાય અને જરૂરત મંદ લોકો માટે ઇફ્તીયારીનું આયોજન કરો. તેમાં આપનો સમય ફાળવો.
૬. રમઝાન માસમાં આપના સૂવાના સમયમાં કાપ મૂકો. આ માસ ઈબાદતનો માસ છે. સદકાર્યો કરવાનો માસ છે. કોને ખબર છે કે આ રમઝાન માસ કોના જીવનનો છેલ્લો માસ છે ? માટે આપનો સુવાનો સમય માર્યાદિત કરી, વધુમાં વધુ સમય નમાઝ, કુરાને શરીફની તિલાવત અને સદાકાર્યોમાં પસાર કરો.
૭.  સેહરી માટે સવારે વહેલા જાગી, સૌ પ્રથમ તહજ્જુજની નમાઝ અદા કરો. કુરાને શરીફ પઢો. સહેરી બાદ ફઝર અર્થાત સવારની નમાઝ અવશ્ય પઢો. નમાઝ સમયે સતત અહેસાસ કરો કે આપ ખુદા સન્મુખ ઉભા છો. અને ખુદા પાસે દુવા પણ એમ જ માંગો જાણે તમે ખુદા સન્મુખ બેસી આજીજી કરી રહ્યા છે.  

ઉપરોક્ત બાબતો આપના રમઝાન માસના ટાઇમ મેનેજમેન્ટમા આવરી લો. આપણે સૌ ખુદા ગુનેગાર બંદાઓ છીએ. ઉપરોક્ત તમામ બાબતોનો અમલ આપણા સૌ માટે શક્ય ન પણ બને. છતાં તેનો આંશિક અમલ પણ, જો આપણે સૌ કરવાનો પ્રયાસ કરીશું તો, ખુદા નજીક પહોંચવાની આપણી કોશીશ પર ખુદાની અવશ્ય નજર પડશે, એવી દુવા- આમીન.        

1 comment:

  1. mene divya bhaskar newspaper me 26april2018 dharma darshan me raahe roshan naam se islam ke baare me padha.mujhe islaam k baare me knowledge ki baatein bohot achhi lagi.but mera suggetion ye he k aapne quraan e paak ki bohot hi paak aayat,hamare nabi ka paak naam and aur kahin ese paak naamo ka zikr kiya he jiski 100•/• be adabi hogi.aapko pataa he ye newspaper kaha kaha log fekte he!!
    so pls islam k bare me news paper me likhna aur likhwana bandh kijiye.saare musalmaan quraanepaak ko izzat se padhte he news paper ko nahi...
    so pls meri baat pe gor kijiye.sare newspaper walo ko bolo k islamic baate na chhhape.

    ReplyDelete