Thursday, January 25, 2018

History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી : જલન માતરી : ડ...

History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી : જલન માતરી : ડ...: માનવી પોતાનના જીવનમાં માત્ર એકાદ કાર્ય કે શાયર પોતાના એકાદ શેરથી ચિરંજીવી બની જાય છે. જેમ કે ઓજસ પાલનપુરી તેમના એક જ શેરને કારણે આજે પણ ...

કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી : જલન માતરી : ડૉ. મહેબૂબ દેસાઈ


માનવી પોતાનના જીવનમાં માત્ર એકાદ કાર્ય કે શાયર પોતાના એકાદ શેરથી ચિરંજીવી બની જાય છે. જેમ કે ઓજસ પાલનપુરી તેમના એક જ શેરને કારણે આજે પણ લોકોની સ્મૃતિઓમાં જીવંત છે. તેમનો એ જાણીતો શેર છે,
“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
 આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરાઈ ગઈ”
જીવનની ગહન સચ્ચાઈને માત્ર બે લાઈનમાં સાકાર કરનાર આવા જ મોટા ગજાના એક અન્ય શાયર જલન માતરી સાહેબ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા. ઇસ્લામમાં કોઈના અવસાન અર્થાત વફાત માટે હંમેશા આ શબ્દ વપરાય છે કે “તેઓ ખુદાની રહેમતમાં પહોંચી ગયા”. અર્થાત ખુદાની સિધ્ધી દયા, કૃપા કે રહેમતના તેઓ હક્કદાર બની ગયા. કારણ કે તેઓ ખુદાની નજીક પહોંચી ગયા. જલન માતરી સાહેબ ભલે આ ફાની દુનિયા છોડી જતા રહ્યા પણ તેમનો પેલો બહુ જાણીતો, પ્રચલિત અને ગહન શેર આપણા ચિંતન અને મનન માટે હંમેશ માટે મુકતા ગયા છે. એ શેર છે,
“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી”
તેમનો આ શેર ઇસ્લામના ઈમાનના સિદ્ધાંતને સાકાર કરતો આપણી વચ્ચે જીવંત છે. ઇસ્લામના પાંચ સ્તંભો એ જ ઈસ્લામને આજ દિન સુધી જીવંત રાખેલ છે. એ પાંચ સ્તંભોમા ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજજ છે. આ પાંચ સ્તંભોમા સૌથી પ્રથમ સ્તંભ ઈમાન છે. ઈમાન એટલે શ્રદ્ધા, વિશ્વાસ કે યકીન. જે માનવીમા શ્રધ્ધા કે ઈમાન નથી તે નાસ્તિક છે. તેને કોઈ મઝહબ કે ધર્મ સાથે સબંધ નથી. અને એટલે જ જલન સાહેબ કહે છે,
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી
આ શેરની પ્રથમ કડીમા જલન સાહેબ કહે છે કે જો માનવીમાં ઈમાન હોય, શ્રદ્ધા હોય તો પછી તેને કોઈ પુરવાની કયારેય જરૂર પડતી નથી. ભગવાનની મુરત અને કાબા શરીફએ હિંદુ-મુસ્લિમનું  ઈમાન છે, વિશ્વાસ છે. તેમાં કોઈ શંકા કે દલીલોને સ્થાન નથી. એટલે મઝહબ આસ્થા છે. તેમા દલીલોને અવકાશ નથી. જલન સાહેબ તેમની બીજી કડીમાં ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફનો ઉલ્લેખ કરતા કહે છે,
“કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી
આ કડીમાં કુરાને શરીફના અવતરણનો ગર્ભિત ઈતિહાસ છુપાયેલો છે. કુરાને શરીફ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ પર સમય સમય પર ઉતરેલ વહીનો સંગ્રહ છે. વહી એટલે ખુદાનો સંદેશ, ખુદાનો આદેશ. મહંમદ સાહેબ પર ચાલીસ વર્ષની ઉમરે ગારેહીરા અર્થાત હીરા નામની એક ગુફામા સૌ પ્રથમ વહી ઉતરવાનો આરંભ થયો હતો. અને એ વહીનો પ્રથમ શબ્દ હતો “ઇકારહ”. અર્થાત પઢ, વાંચ. આવી અનેક વહીઓનો સંગ્રહ એટલે ઇસ્લામનો પવિત્ર ગ્રંથ કુરાને શરીફ. પણ તેમાં કોઈ જગ્યાએ “પયંબર” અર્થાત હઝરત મહંમદ પયગંબર સાહેબની ક્યાય સહી નથી. અને છતાં સમગ્ર વિશ્વમા પથરાયેલા ઇસ્લામના અનુયાયીઓ કુરાને શરીફના આદેશોને અનુસરે છે. માને છે. તેમાં વિશ્વાસ કરે છે. કારણ કે તેઓ ઇસ્લામના પ્રથમ સિધ્ધાંત “ઈમાન”ને અનુસરે છે.
જલન માતરી સાહેબની જે ગઝલનો આ શેર છે, તે ગઝલના અન્ય શેરો પણ માણવા જેવા છે. ગઝલનો પ્રથમ શેર મઝહબ પર જ છે.  
“મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.”
માનવી અને શયતાન વચ્ચેના ભેદને સાકાર કરતા આ શેરમાં મઝહબ માટે લડતા પામર ઇન્સાનનું કરુણ ચિત્ર જલન સાહેબે અત્રે રજુ કર્યું છે. બીજા શેરમાં જલન સાહેબ માનવ પ્રકૃતિનું ચિત્ર વ્યક્ત કરતા લખે છે,
“તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.”
ખુદાએ લખેલ નસીબ માનવીને ગમે કે ન ગમે તેણે સ્વીકારી લેવું પડે છે. પણ જો કોઈ માનવીએ તેનું ન ગમે તવું નસીબ લખ્યું હોત, તો અચૂક તે તેની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ઉતરી પડ્યો હોત.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
 
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
નમાઝ પઢવાની ક્રિયા માત્ર ઉઠ બેસની ક્રિયા નથી. એ તો બંદગી છે. ઈબાદત છે. ભક્તિ છે. અને છતાં માનવી એ ક્રિયામા પણ ભૂલ કરે તો એ નમાઝ પઢનારનો દોષ છે. એ સાચી બંદગી નથી.

આવા ધબકતા શાયરની વફાતના સમાચાર જાણી ઇસ્લામિક રીત મુજબ મુખમાંથી આ શબ્દો સરી પડે છે,

 'ઇન્ના લિલ્લાહી વા ઇન્ના ઇલૈહી રાજી'ઉન' અર્થાત 'આપણે એક જ અલ્લાહના સંતાનો છીએ અને આખરે આપણે એ જ અલ્લાહ પાસે જવાનું છે.

Wednesday, January 10, 2018

રામ જેઠમલાણી અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


હું ઇસ્લામ અને કુરાનનો અભ્યાસુ છું અને પયગમ્બરે ઇસ્લામ મારા આદર્શ છે 
આ વિધાન ભારતના જાણીતા ધારાશાસ્ત્રી, અટલબિહારી બાજપાઈના પ્રધાનમંડળના પૂર્વ કેન્દ્રીય કાનૂની મંત્રી (જુન ૧૯૯૯-જુલાઈ ૨૦૦૦), રાજ્યસભાના સભ્ય (૧૯૮૮) અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન શ્રી રામ જેઠમલાણી (રામ બૂલચંદ જેઠમલાણી) નું છે. રામ જેઠમલાણી તેમના વિધાનો અને કાર્યોથી હંમેશા ચર્ચામા રહ્યા છે. રામ જેઠમલાણીએ તેમની કારકિર્દીનો આરંભ ભાગલા પૂર્વેના સિંધમા પ્રોફેસર તારીકે કર્યો હતો. તેમણે કરાંચીમા તેમના મિત્ર એ.કે.બ્રોહીની ભાગીદારીમાં લો ફર્મ શરુ કરી હતી. ફેબ્રુઆરી ૧૯૪૮મા ભાગલાને કારણે કોમી તોફાની ફાટી નિકળતા તેમના મિત્ર શ્રી બ્રોહીએ તેમને ભારત જવાની સલાહ આપી. અને આમ તેઓ મુંબઈ આવ્યા. મુબઈમાં આરંભથી જ તેમની વકીલાત સારી ચાલી હતી. ૧૯૫૯મા બહુચર્ચિત કે.એમ.નાણાવટી કેસમા તેઓ બચાવ પક્ષના વકીલ હતા. અને ત્યારથી તેઓ પ્રકાશમાં આવ્યા. કે. એમ. નાણાવટી કેસ પરથી થોડા સમય પહેલા રુસ્તમ નામક ફિલ્મ બની છે. આમ અનેક વિવાદાસ્પદ કેસોમાં પોતાની ચાતુર્યપૂર્ણ દલીલો માટે જાણીતા રામ જેઠમલાણી ઉમરના વયોવૃદ્ધ પડાવ પર હોવા છતાં આજે પણ તેઓ એટલા જ સક્રિય અને  સ્વસ્થ લાગે છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમા આવેલા શિકારપુરમા ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૩ જન્મેલા અને ભાગલા પછી ભારતમાં સ્થાહી થયેલા રામ જેઠમલાણીએ થોડા માસ પૂર્વે અલ્જીબ્રા, કલા અને વિચાર કલબમા ધર્મનિરપેક્ષતાના  વિષય પર જાહેરમાં વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે પોતાના વ્યાખ્યામાં કહ્યું હતું,
મેં વકીલ તરીકે અનેક ધર્મોના ગ્રંથોની અભ્યાસ કર્યો છે. એ જ રીતે મેં ઇસ્લામનું પણ અધ્યયન કર્યું છે. મને પયગમ્બરે ઇસ્લામમાં પૂર્ણ વિશ્વાસ છે. પયગમ્બરે ઇસ્લામ વિશ્વના મહાન પયગંબર છે.
રામ જેઠમલાણીના આ વિચારોને વાચા આપતો વિડીયો થોડા મહિનાઓથી વાયરલ થયો છે. અને તેના વ્યૂઅરની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આ વિડીયોમા રામ જેઠમલાણીએ પોતાના ધર્મનિરપેક્ષ વિચારો વ્યક્ત કર્યા છે. તે વિચારોના પ્રવાહમાં તેમણે ઇસ્લામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના  વક્તવ્યના આરંભમાં જ કહ્યું હતું,
હું હિંદુ છું અને હિંદુ ધર્મમાં મને અતૂટ વિશ્વાસ છે. પણ મહંમદ સાહેબ (સ.અ.વ.) અને ઇસ્લામનો પ્રશંશક છું
ઇસ્લામ અને કુરાને શરીફના વિચારોથી સંમોહિત થનાર રામ જેઠમલાણી ઇસ્લામ અંગે આગળ કહે છે,
જો મુસ્લિમો મહંમદ સાહેબના ચિંધેલા માર્ગ પર ચાલશે તો ઇસ્લામ માનવજાત પર પ્રભુત્વ મેળવી શકશે. એક સમયે મુસલમાનોએ સ્પેન અને યુરોપમા પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું.
ઇસ્લામની હદીસોમા આપવામાં આવેલા બે અવતારણોથી રામ જેઠમલાણી ખુબ પ્રભાવિત છે. તેમાં પ્રથમ છે,
જયારે તમે જ્ઞાનની શોધમાં કદમો માંડો છો ત્યારે તમે ખુદાના માર્ગ પર ચાલો છો.
અર્થાત જ્ઞાનની શોધ અને તેને પામવાની ક્રિયા કોઈ ઈબાદતથી કમ નથી. ઇસ્લામની હદીસોમાં આવા અન્ય અવતરો પણ મોજુદ છે.
ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો
જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે
રામ જેઠમલાણીએ જે વિધાન ટાંક્યું છે તે ‘બિહારુલ અનવર’મા મુલ્લા બાકીરની હદીસ છે. તેમાં મહંમદ સાહેબના કથનને ટાંકતા કહેવામાં આવ્યું છે,
વિદ્યા પ્રાપ્ત કરો કેમ કે જે ખુદાના માર્ગમા એ મેળવે છે તે નેકીનું, પવિત્ર કાર્ય કરે છે. જે જ્ઞાનની વાત કરે છે, તે ઈબાદત કરે છે. જે વિદ્યાદાન કરે છે, તે ખેરાત કરે છે. ઇલ્મ મેળવવાથી શું ગ્રાહ્ય છે, શું ત્યાજ્ય છે તેની ખબર પડે છે. વિદ્યા સ્વર્ગ તરફનો રસ્તો અજવાળે છે. રણમાં એ સંગાથી મિત્ર છે. એકાંતમાં એ સહવાસી છે. મિત્ર વિહોણા માટે તે સહ્દય છે. એ સુખ તરફ દોરી જાય છે. દુઃખમા તે આપણો ટેકો છે. દોસ્તો વચ્ચે તે આપણું આભુષણ છે, અને દુશ્મનો સામે તે બખ્તર છે.
રામ જેઠમલાણીએ હદીસનું બીજું અવતાર જે ટાંક્યું છે તે છે,
શહીદોના લોહી કરતા આલીમ (જ્ઞાની) ની શાહી વધુ પવિત્ર છે.
અર્થાત શાહી વડે લખાયેલા જ્ઞાન માનવી અને સમાજના વિકાસમાં અમુલ્ય પ્રદાન કરે છે. ઇસ્લામની હદીસોમા પણ તે અંગેના અનેક આધારો સાંપડે છે. એક અન્સારીએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને પૂછ્યું,
મારી યાદ શક્તિ ઓછી છે. આપનો ઉપદેશ હું યાદ રાખી શકતો નથી. તો શું કરું ?
આપે ફરમાવ્યું,
તારા જમણા હાથની મદદ લે અને મેં કહ્યું તે લખી નાખ
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) સાથે રહેનાર અન્નસ કહે છે,
પયગમ્બર સાહેબ હંમેશા કહેતા લેખન વડે ઈલ્મને પકડી રાખો
મહંમદ સાહેબ (સ.અ.વ.)પર વહી દ્વારા ઉતરેલી પ્રથમ આયાતમા પણ આ જ વાત કહેવામાં આવી છે. એ પ્રથમ આયાતમાં કહ્યું છે,
 ‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.

ઇસ્લામના સિદ્ધાંતોને આમ જાહેરમાં સ્વીકારનાર રામ જેઠમલાણીને વંદન.








Sunday, January 7, 2018

વુમન એમ્પાવરમેન્ટ અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


તલાકનો કાયદો આજે વાતાવરણમાં છે. તેના પક્ષ અને વિપક્ષમાં ચર્ચાઓ દેશભરમાં થઈ રહી છે. ગઈ કાલે મારા જુના મિત્ર રમેશભાઈનો પણ એ સંદર્ભે ફોન આવ્યો. તેઓ તલાકનો મુદ્દો સમજવા માંગતા હતા. મેં તેમને કહ્યું આની ચર્ચા ફોન પર શક્ય નથી. આપણે રૂબરૂમાં તેની નિરાંતે વાત કરીશું. તલાકના સંદર્ભમા જ આજે વુમન એમ્પાવરમેન્ટની વાતો થાય છે. પણ ઇસ્લામમાં તો સ્ત્રીને શક્તિ તરીકે ૧૫૦૦ વર્ષો પહેલા સ્વીકારવામા આવી છે. જો કે ઇસ્લામના મૌલવીઓ અને આલિમો આમ સમાજને તે સમજાવવામાં ઝાઝા સફળ થયા નથી. પરિણામે પડદાપ્રથા, બહુપત્નીત્વ કે તલાક જેવા ઇસ્લામના રિવાજોને કારણે આમ સમાજ એમ માનવા લાગ્યો છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય કે શક્તિને ઇસ્લામમાં કોઈ જ સ્થાન નથી. આ બધા સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. જેમ કે એ યુગમાં અવારનવાર યુધ્ધો થતા. યુધ્ધોમાં અનેક સિપાયો શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો. અર્થાત બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી.
વળી, સ્ત્રીઓનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે જ છે એમ માનનાર આમ મુસ્લિમ સમાજને પણ મહંમદ સાહેબના પત્ની હઝરત ખદીજાના જીવન કવનથી પરિચિત કરાવવા જોઈએ. હઝરત મહંમદ સાહેબના પ્રથમ પત્ની હઝરત ખદીજા એ સમયના અરબસ્તાનના મોટા વેપારી હતા. અને દેશ વિદેશનો પોતાનો વેપાર તે જ સંભાળતા હતા. અને તેને કારણે જ હઝરત મહંમદ સાહેબ સાથે તેઓ પરિચયમાં આવ્યા હતા. હઝરત ખદીજા સાથેના મહંમદ સાહેબના નિકાહ પણ ઇસ્લામિક ઇતિહાસમાં એ અભૂતપૂર્વ ઘટના છે. વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા.એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિય મોકલવાની તેમની ઈચ્છા હતી. મહંમદ સાહેબના કાકા અબુતાલીબને આ સમાચાર મળ્યા. તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને વાત કરી.મહંમદ સાહેબે હઝરત ખદીજાનો માલ લઈ સિરીયા જવાની ઈચ્છા દર્શાવી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો,સુંદર ભરાવદાર દાઢી,ઉંચી ગરદન,અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો.આટલો નફો હઝરત ખદીજાને ક્યારેય મળ્યો ન હતો.મહંમદ સાહેબ(સ.અ.વ.) ની ઈમાનદારી, કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને તેથી તેમનાથી ઉમંર નાના હોવા છતાં હઝરત ખદીજાએ મહંમદ સાહેબ સાથે નિકાહ કર્યા. એ ઘટના પણ સ્ત્રી શક્તિ અને દાક્ષણીયનું ઉત્તમ ઉદાહણ છે. ૨૫ વર્ષની વયે પોતાનાથી ૧૫ વર્ષ મોટા ૪૦ વર્ષના વિધવા હઝરત ખદીજા સાથે નિકાહ કરનાર મહંમદ સાહેબના જીવનમા સ્ત્રી સન્માન અને શક્તિનો અહેસાસ ભારોભાર હતો. મહંમદ સાહેબને ૪૦ વર્ષની વયે ખુદાનો પૈગામ (વહી)હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગ્યો હતો. છતાં તેમની આ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેમને હિંમત અને હોસલો આપનાર તેમના પત્ની હઝરત ખદીજા જ હતા. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું,  ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા કપરા સમયે પણ પત્ની ખદીજાની હિમ્મત અને સાંત્વન  મહંમદ સાહેબને મળતા રહ્યા હતા.
સ્ત્રી ભ્રૂણ હત્યા અંગે આજે આપણી સજાગતા તારીફે કાબીલ છે. પણ વર્ષો પહેલા મહમંદ સાહેબે ફરમાવ્યું હતું,
જે વ્યક્તિને બે છોકરીઓ હોય, તેણે તેમનું સારી રીતે પાલન પોષણ કર્યું, તો તે માનવી મારી સાથે જન્નતમા પ્રવેશશે
સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે,
"કોઇ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઇ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો."
લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છેતો નિકાહ તૂટી જાય છે.
એક હદીસમાં કહેવામાં આવ્યું છે,
 "લિબાસ એટલે કે પોશાક જેમ શરીરને રક્ષણ અને શોભા આપે છે તેમ સ્ત્રી અને પુરુષ બંને જીવનને રક્ષણ અને શોભા આપે છે."

આમ ઇસ્લામમાં સ્ત્રી શક્તિ અને સ્વાંત્ર્યના સિદ્ધાંતનો સ્વીકાર વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો.