Sunday, December 23, 2018

આમાલ-એ-મોરારીબાપુ : ડૉ. મહેબૂબ દેસાઈ



મહુવાના મુસ્લિમ સમાજમાં જાણીતા મહેંદી બાપુ થોડા દિવસ પૂર્વે મને મળવા આવ્યા. મહુવામાં મહેંદી બાપુના પ્રયાસોથી હઝરત ઈમામ હુસેનની શહાદ અનવ્યે યોજાતા કોમી એખલાસના કાર્યક્રમોમાં મોરારીબાપુની ઉપસ્થિતિ જાણીતી છે. પરિણામે આજે પણ મહુવામાં કોમી સદભાવ જળવાઈ રહ્યો છે. વીસેક મિનીટની અમારી મુલાકાતમાં મહેંદી બાપુ સાથે ગાંધીજીની દોઢસો વર્ષની જન્મજયંતી અન્વયે એક માતબર કાર્યક્રમના આયોજન બાબત વાત થઈ. એ વાત તેમણે મહુવા જઈ મોરારીબાપુને કરી. અને બાપુનો મારા પર ફોન આવ્યો. તેમણે સપૂર્ણ શ્રદ્ધાથી મને કહ્યું,
“મહેબૂબભાઈ, ગાંધીજીના કાર્યક્રમમા આપને મારો સહકાર છે.”
હું તેમનો ગાંધીપ્રેમ તેમની વાણીમાં અનુભવી રહ્યો. જો કે મોરારીબાપુનો ગાંધી પ્રેમ બહુ જાણીતો છે. ૨૦૧૩મા નીતિન વડગામીએ મોરારીબાપુની મુલાકાત લીધી હતી. એ મુલાકાતની નાનકડી પુસ્તિકા “મુખોમુખ” મારા નાનકડા ગ્રંથાલયમાં સચવાયેલી હતી તે મેં કાઢી. તેમાં વ્યક્ત થયેલા મોરારીબાપુના  ગાંધીજી અંગેના વિચારો આજે પણ યથાર્થ ભાસે છે. તેમાં ગાંધીજી અંગે મોરારીબાપુએ કહ્યું હતું,

“ગાંધી બાપુ મને ગમે છે. તેમની નાનપણથી તે નિર્વાણ સુધીની જીવનની જે યાત્રા છે, એ કદાચ કોઈ પણ જીવની મહાત્મા બનવાની યાત્રા છે. એક જીવાત્મા મહાત્મા સુધી કેમ વિકસે એની આખી યાત્રા છે, એની એક આખી માર્ગદર્શિકા, એક આખી ગાઈડ છે એમની આખી યાત્રા. ક્યાં એ હતા અને એમનું જીવન ક્યાં સુધી પહોંચે છે ! એ એટલા માટે ગમે છે કે આ સંભાવના દરેકમાં પડી છે. કોઈ પણ જીવાત્મા, મહાત્મા થવા માટે અધિકારી છે, એ એનો અધિકાર છે, ધારે તો કરી શકે, પરમાત્મા સુધી પહોંચી શકે, એટલે ગાંધી મને બહુ ગમે છે.”
મોરારીબાપુએ મુસ્લિમ સમાજ સમક્ષ આપેલ વ્યાખ્યાનોનો સંગ્રહ “મજહબ-એ-મોહબ્બત”નામક પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે. જયદેવ માંકડે સંપાદિત કરેલ હિંદી ભાષાનું આ પુસ્તક દરેક મુસ્લિમે વાંચવા જેવું છે. તેના પ્રથમ વ્યાખ્યાનમાં મોરારીબાપુએ એક સૂફીસંતને શોભે તેવી સુંદર વાત કરી છે.
“અગર તું મસ્જિત મેં હૈ, તો મંદિર મેં કૌન હૈ ?
 અગર તું મંદિર મેં હૈ, તો મસ્જિત મેં કૌન હૈ ?
 અગર તું તસબીહ કે એક દાને મેં હૈ, તો હર દાને દાને મેં કૌન હૈ ?
 અગર તું વીરાને મેં પલતા હૈ, તો ગુલીસ્તા મેં કૌન હૈ ?
 અગર તું શમ્મા મેં જલતા હૈ, તો પરવાને મેં કૌન હૈ ?”
એક સૂફીસંતે આવું જ કંઈક બે લાઈનમાં કહ્યું છે.
“વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહેતા
 વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા”
માનવતા એ જ સાચો મઝહબ છે. એવું કહેવા માત્રના મોરારીબાપુ આગ્રહી નથી. પણ તેમનું જીવન એક સૂફીસંત જેમ જ આમાલ અર્થાત આચરણમાં માને  છે.
મોરારીબાપુના ગામ તલગાજરડામા નાથાભાઈ રહે. તેમનું મૂળનામ યુસુફભાઈ. ઇસ્લામના અનુયાયી. લાંબી સફેદ દાઢી અને દુબળો પાતળો બાંધો. બધાની સાથે હંમેશા હસીને વાત કરે. પોતાની પાસે જે કઈ છે તેનાથી સંતુષ્ટ થઈ જીવતા યુસુફભાઈ સમય મળે ત્યારે ચિત્રકૂટધામમા બાપુના પાસે આવે અને સત્સંગ કરે. બાપુના માટે સત્સંગ એટલે,
“આપણે બે જણા કોઈ સારી વાત કરતા હોઈએ તો એ સત્સંગ છે.”
એક દિવસ બાપુએ યુસુફભાઈને પૂછ્યું,
“નાથાભાઈ, હજ પઢવા ગયા છો ?”
“બાપુ, હજ પઢવા જવાનુ મારુ ગજુ નથી. એટલા બધા નાણાની જોગવાઈ હું કયારેય કરી ન કરી શકું.”
બાપુએ એક પળનો વિચાર કર્યા વગર કહ્યું,
“ચિત્રકૂટ તરફથી તમે હજ પઢવા જાવ તો ?”
યુસુફભાઈ અર્થાત નાથાભાઈ બાપુની શુદ્ધ ભાવનાથી વાફેક હતા. એટલે તેમણે સંમતિ આપી. પાસપોર્ટ અને અન્ય વિધિ કરવામાં ખાસ્સો સમય પસાર થઈ ગયો. પરિણામે હજ કમિટીના સમાન્ય કોટામા જગ્યા ન મળી. એટલે બાપુએ નાથાભાઈ અને તેમના પત્નીને વી.આઈ.પી. કોટામા હજ પઢવા મોકલ્યા. હજ યાત્રાએ જતા નાથાભાઈને વિદાઈ આપતા બાપુએ કહ્યું,
“નાથાભાઈને હનુમાન રહેમાનને ત્યાં મોકલે છે.”
એકવાર આણંદ જિલ્લાના મરિયમપુરા ગામના ખ્રિસ્તી ધર્મી શિક્ષક શ્રી જીતુ ફીલીપે મોરારીબાપુને પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. બાપુએ  નિમંત્રણ સહર્ષ સ્વીકાર્યું. એક દિવસ બાપુ તેમના ઘરે પહોંચી ગયા અને તેમને ત્યાં ભોજન પણ લીધું.
આવા સૂફીસંતને પૂછવામાં આવ્યું,
“ભક્તિ અને મુક્તિમાંથી આપ શું પંસદ કરો છો ?”
બાપુએ કહ્યું,
“બહુ સ્પષ્ટ છે કે, “હરિ જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર”. મુક્તિ તમે પસંદ કરો તો ભક્તિ આવે કે કેમ એની ખાતરી નથી, પણ ભક્તિ (ઈબાદત)નો માર્ગ લો તો મુક્તિ આવે જ.

આવા મોરારીબાપુને ભારતવાસીઓના સો સો સલામ.






Thursday, December 13, 2018

બે સૂફીકથાઓ : ડૉ. મહેબૂબ દેસાઈ


સ્વામી વિવેકાનંદના પિતાજીનું અવસાન થયું. પિતાજી કર્ઝ મુકીને ગયા હતા. તે ચૂકવવાનો કોઈ માર્ગ વિવેકાનંદજીને સૂઝતો ન હતો. કારણ કે તેઓ તો આધ્યાત્મિક દુનિયામા લીન હતા. રામકૃષ્ણ પરમહંસ તેમની મનોભૂમિ પર છવાયેલા હતા. તેમની સાથે સત્સંગમા તેઓ ચોવીસે કલાક રચ્યાપચ્યા રહેતા. પણ વિધવા માને કર્ઝની ચિંતા હતી. વળી, ઘરની આર્થિક સ્થિત પણ ચિંતાજનક હતી. ક્યારેક ઘરમાં ભોજન ન બનતું, તો કયારેક એકાદ માણસ પુરતું જ ઉપલબ્ધ થતું. એવા સમયે વિવેકાનંદજી માને કહેતા,
“મા, તું જમી લે આજે મારે મારા મિત્રને ત્યાં જમવાનું નિમંત્રણ છે.”
અને તેઓ ઘરની બહાર નીકળી જતા. સડકો પર, ગલીઓમા ભુખ્યા પેટે ફરતા રહેતા. પાણી પીને પેટ ભરી લેતા. અને ઘરે પાછા આવી માને પકવાનો આરોગ્યાની વાતો કરતા. એક દિવસ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદજીની આ સ્થિતિની જાણ થઈ. તેમણે શિષ્યને સલાહ આપતા કહ્યું,
“તું તો માનો ભક્ત છે. માના મંદિરમાં જઈને મા પાસે જે કઈ માંગવું હોય તે માંગી લે ને. મા અવશ્ય તારી તમામ સમસ્યાઓ દૂર કરશે.”
વિવેકાનંદજી ગુરુની આજ્ઞા સાંભળી રહ્યા. તેમની ઈચ્છા મા પાસે કશું માંગવાની ન હતી. છતાં ગુરુની આજ્ઞા માનીને તેઓ માની મૂર્તિ સામે જતા. બે ત્રણ કલાક ભક્તિમાં લીન રહેતા અને મા પાસે કશું માંગ્યા વગર પાછા આવી જતા. તેની જાણ રામકૃષ્ણ પરમહંસને થઈ. તેમણે શિષ્યને પુનઃ કહ્યું,
“તું મા પાસે કેમ તારી સમસ્યાની વાત કરતો નથી. મા તારી બધી તકલીફો દૂર કરી દેશે”
વિવેકાનંદજી ગુરુની વાત એક ધ્યાને સાંભળી રહ્યા. પછી માની મૂર્તિ સામે એક નજર કરી બોલ્યા,
“માની મૂર્તિ સામે જયારે જયારે હૂં જઉં છું ત્યારે ત્યારે તેમની ભક્તિમાં લીન થઈ બધું ભૂલી જઉં છું. વળી, મા શું નથી જાણતા ? તેઓ તો સર્વજ્ઞાની છે. તેમની પાસે કશું માંગવાની મને જરૂર નથી લાગતી.”
ગુરુ રામકૃષ્ણ પરમહંસ આ સાંભળી ખુશ થયા. અને શિષ્ય સામે સ્મિત કરતા બોલ્યા,
“તે મા પાસે કશું માંગ્યું હોત તો હું સમજી જત કે તું ત્યાગી નહિ સંસારી છે. પણ તે મા પાસે કશું ન માંગી સિદ્ધ કરી દીધું કે તું તો સાચો ત્યાગી છે. આ માર્ગ પર તો એ જ ચાલી શકે જે સાચો ત્યાગી હોય.”

*****

એક સૂફી થઈ ગયા. તેઓ નસ્સાજના નામે ઓળખતા હતા.ગામના પાદરે એક ઝાડ નીચે ફાટલા વસ્ત્રોમા તેઓ બેસી રહેતા. શરીરે તંદુરસ્ત. કદકાઠી મજબૂત. એક મુસાફર ત્યાંથી પસાર થયો. નસ્સાજને જોઈ તેના મનમાં વિચાર આવ્યો,
આ તો કોઈ ભાગેલો ગુલામ લાગે છે. શરીરે તંદુરસ્સ્ત છે. જો હું તેને મારો ગુલામ બનાવી દઉં તો મારું ઘણું કામ મફતમાં તે કરશે.”
મુસાફરે નસ્સાજ પાસે જઈ પૂછ્યું,
તું ભાગેલો ગુલામ લાગે છે?
નસ્સાજ મુસાફરની વાત સાંભળી મનોમન હસ્યા અને બોલ્યા,
હા, હૂં સાચ્ચે જ ખુદાથી ભાગેલો ગુલામ છું.”
મારી ગુલામી કરીશ?” મુસાફરે પૂછ્યું.
નસ્સાજે એક નજર આકાશ તરફ કરી જાણે ખુદાની રજામંદી ન લેતા હોય. પછી કહ્યું,
હા, હું તમારી ગુલામી કરીશ.” પછી મનોમન બોલ્યા,
વર્ષોથી ખુદાને શોધી રહ્યો છું. કદાચ તમારા સ્વરૂપમાં તે મને મળી જાય” અને નસ્સાજ એ મુસાફર સાથે તેમના ગામ ચાલી નીકળ્યા. મુસાફરે ઘરે પહોંચી કહ્યું,
જો હવે હું તારો માલિક છું. અને તું મારો ગુલામ છે. જે કામ હું તને ચીંધુ તે તારે કરવાનું છે.”
નસ્સાજે કહ્યું,
હું પણ એવું જ ઈચ્છું છું કે કોઈ મારો રાહબર બને. આ દુનિયામા મનમાની કરી કરીને તો હું ફસાઈ ગયો છું.”
માલિકને નસ્સાજની વાતોથી નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો, ક્યાં તો આ માણસ પાગલ છે, ક્યાં તો જ્ઞાની છે. પણ પછી તે મનમા બોલ્યો, “મારે શું ? મને તો એક સારો ગુલામ મફતમા મળે છે ને”
નસ્સાજે એ માણસને ત્યા દસ વર્ષ ગુલામ તરીકે કાર્ય કર્યું. તેના માલિકની ખુબ સેવા કરી. તેને બહુ માન આપ્યું. એક દિવસ તેના માલિકના મનમાં ખુદા વસ્યો. તેના મનમાં દસ વર્ષ સુધી નસ્સાજનું શોષણ કર્યાનો ડંખ જન્મ્યો. તેને પસ્તાવો થયો. અને તેણે નસ્સાજને બોલાવીને કહ્યું,
મને સતત લાગ્યા કરે છે કે મેં દસ વર્ષ સુધી તમારું ખુબ શોષણ કર્યું છે. હું વધુ સમય તમને ગુલામ બનાવી, ખુદાનો ગુનેગાર બનવા નથી માંગતો. આજથી હું તમને મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. આજથી તમે તમારા માલિક છો.”
નસ્સાજ આ સાંભળી મલકાયા. અને પછી બોલ્યા,
તમારી મોટી મહેરબાની. એક ઈન્સાનની ખિદમતે મારો અંહકાર ઓગળી નાખ્યો છે. પરિણામે હૂં ખુદાની વધુ નજીક આવ્યો છું. હું તો આજે મુક્ત થઈ ગયો. પણ તમે કયારે આ દુનિયાની ગુલામીમાંથી મુક્ત થશો ?”
એટલું કહી નસ્સાજ ખુદાના માર્ગ પર ચાલી નીકળ્યા. જયારે તેનો માલિક તેના શબ્દોનો મર્મ સમજવા મથતો રહ્યો.   

Thursday, November 29, 2018

હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબની હિજરત : ડૉ.મહેબૂબ દેસાઈ


૮ ડિસેમ્બરના રોજ મુસ્લિમ માસ રબી ઉલ અવ્વલ પૂર્ણ થયો અને ઇસ્લામના ચોથા માસ રબી ઉલ આખરનો ૯ ડીસેમ્બરના રોજ આરંભ થયો છે. ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત
સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.
મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,
“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”
ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,
“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”
પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,
“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં
સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને  કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું  આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”
હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી  કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.
અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.


Friday, November 16, 2018

ભક્તિ સાગર : ભજન સંગ્રહ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ મને “ભક્તિ સાગર” નામક પુસ્તક તેના સંપાદક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબે મોકલ્યું છે. તેઓ ગુજરાતના સૂફી વિચારના ચિસ્તી પરંપરાના અગ્ર સંત હઝરત ખ્વાજા બડા સાહબ ચિસ્તી, હઝરત ખ્વાજા મોટામિયા ચિસ્તી, હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી, હઝરત ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી અને હઝરત ખ્વાજા સલીમુદ્દીન ચિસ્તીના સિધ્ધાં વંશજ છે. કડી, મોટામિયા માંગરોળ, એકલબાર, છોટા ઉદયપુર અને પાલેજમા તેમના વંશજોની મઝારો દરગાહ છે. અને હજારો  હિંદુ મુસ્લિમોનું આસ્થાનું તેમના વડીલો કેન્દ્ર છે. તેઓ ખુદ અભ્યાસુ છે. વિનિયન વિદ્યા શાખના પી.એચડી. છે. તેમણે ઘણા સંશોધન અને જહેમત પછી આ નાનકડા પુસ્તકમાં અલભ્ય એવા હિંદુ મુસ્લિમ સૂફી સંતોના ભક્તિ ગીતોનું સંપાદન કરી આપણી સમક્ષ મુક્યું છે. આ ભક્તિ ગીતો લોક સાહિત્ય અને લોક ભજનો પર અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસુઓ માટે અણમોલ ખજાનો છે. આજે તે ગ્રંથના થોડા ભજનોની વાત કરીએ.

મોટા મિયા માંગરોળની ગાદીના સૂફી સંત હઝરત કાયમુદ્દીન ચિસ્તી સાહેબના હિંદુ મુસ્લિમ અનેક ભક્તો હતા. તેમાના એક હિંદુ ભકત ઈભરાહીમ ભગત અર્થાત અભરામ ભગત એ યુગમાં ખુબ જાણીતા હતા. તેઓ પરીએજ ગામના રહેવાસી હતા. તેઓ સંપૂર્ણ નિરક્ષર હતા. છતાં તેમના વિચારોમાં સરળતા હતી. તેમના ભક્તિ ગીતોમાં હિંદુ મુસ્લિમ એકતાની સુગંધ અને ભક્તિની એકગ્રતા નીતરતી હતી. તેમનું એક ભજન માણવા જેવું છે.
    “ધન ઓત્તર દેશ, કડી કસ્બાની મ્હાય
    વસેરે પીર કાયમદિન
    હૂં તો ચિસ્તી ઘરાણાની ચેલી,
    મેં લાજ શરમ સર્વે મેલી
    મને લોક કહે છે ઘેલી રે
    પેલા અણસમજુ ને સમજાવીય... ધન ઓત્તર દેશ
    દખણ દેશમાં પરદો લીધો
    એકલબારે જઈ દ્નાકો દીધો છે
    પડદો દેખાડી ફડચોકીધો છે....... ધન ઓત્તર દેશ
    મનેઈસ્ક ઇલાહી લાગ્યો છે
    મારા મનનો ધોકો ભાંગ્યો છે
    પેલો અભરામ નિંદ્રાથી જાગ્યો છે. .... ધન ઓત્તર દેશ”
 
અભરામ ભગતના ભજનોમાં હિંદુ ઇસ્લામ બંને ધર્મને સાથે રાખી ઈબાદતનો એક નવો માર્ગ કંડારવાની અદભૂત નેમ જોવા મળે છે. એક અન્ય ભજનમાં અભરામ ભગતની એ ભાવના સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

“નેહ મને લાગ્યો રે, નબીરે રસુલનો રેજી, પીયુજી પૂરે મનની આશ
 સાધન કરવાં રે બાઈ મારે સુલટારેજી, જોયા મેં મીઠા મહુમદ ખાસ

મુલ્લાં ને કાજીરે, મોટા મોટા મોલવીરેજી, પંડિત જોશી પામે નહિ કોઈ પાર
ઇલમને આધારે રે, અહંકાર બહુ કરેરેજી, તેથી ન્યારો છે કિરતાર

સઉ ઇલમનોરે, ઇલમ એક છે રેજી , બાઈ જેનું અલખે કહીએ નામ
ભાવ કરીનેરે, જે કોઈ રૂદે ઘરે રેજી, બાઈ તેનું સરયુ સર્વે કામ”

એવા જ અન્ય હિંદુ ભક્ત હતા પૂજાબાવા. મૂળમાં ખંભાતના ખારવા-ખલાસી જાતિના હતા. તેમનું રહેણાંક ભરૂચમાં હતું. હઝરત શાહ કાયમુદ્દીન ચિશ્તીના તેઓ શિષ્ય હતા. તેમના તરફથી તેમને જ્ઞાનની પ્રસાદી મળી હતી. પૂજાબાવાને માનનાર ખારવા લોકો ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને મુંબઈમાં વસે છે. પૂજબાવાના ભજનો આજે પણ ગવાઈ છે. તેમના ભજનોની ખાસિયત સરળ ભાષા અને ભક્તિની મીઠાશ છે.

“છે પીર અમારા સાચા રે કાયમદીન બાવા
 આપી છે મુજને વાચા રે કાયમદીન બાવા

પીર મારા બીરાજા છો એકલબરે,
રંકની ચડો વારે રે  કાયમદીન બાવા

મોટા રે મોટા સાધુને આપે ઉગાર્યા
કંઈકને પલમાં તાર્યા રે કાયમદીન બાવા

સેવકને ઉગાર્યો છે મહેર કરીને
મારા દુખડા સૌ હરિને કાયમદીન બાવા

“પૂજાનો” સ્વામી પ્રીતે થઈ ગયો રાજી
જીતાડી રૂડી બાજીરે કાયમદીન બાવા
હિંદુ ભક્તોના મુસ્લિમ ઓલિયાઓ કે પીર સાહેબો પર લખાયેલા ભજનો જેવાજ ભક્તિભાવથી ભરપૂર મુસ્લિમ સંતોના હિંદુ ધર્મને વાચા આપતા ભજનો પણ માણવા જેવા છે. હઝરત બડા સાહેબ ચિસ્તીના ભજનો તેની સાક્ષી પૂરે છે.
“હમ કો જાનતે નહિ કોઈ, હમ તો સોહી પુરુષ હૈ વોહી રે

સત જુગ હમેં મહાદેવ થાયે, પારવતી હમ લાયે રે
ગંગા કો હમ જટામેં છૂપાયે, તો આક ધતુર ખાયે રે

ભાગીરત ભગવાન બન આએ, કાયા પલટ હમ આયે રે
ભાસ્માસૂરકો નાચ નાચયે, તો અચેતન અગ્નિ જલાયે રે

ત્રેતા જુગમે હમ રામ હો આયે, લંકા પાર સેન ચડાય રે
સાગર પર હમ પાલ બંધાયે, તો રાવણ માર ગિરાય રે”

આવા અદભૂત લોક ભજનોનો સંગ્રહ આપનાર ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી સાહેબને સલામ  

Thursday, November 8, 2018

“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે” : ડૉ. મહેબૂબ દેસાઈ


આ સત્ય ઘટનાના નાયક છે શિવ કથાકાર પુરીબાપુ. તેમની સાથેનો મારો સબંધ લેખક અને વાચક તરીકે તો ઘણો લાંબો છે. પણ અમે પ્રથમવાર ગત ઓક્ટોબર માસની ૩૧ તારીખે મારા નિવાસસ્થાને મળ્યા હતા. સૌ પ્રથમવાર  હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે તેમનો મારા પર ફોન આવ્યો હતો. ત્યારે તેમણે તેમની લાક્ષણિક અદામાં મને કહ્યું હતું.
“ભગવાન, આપને મળવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીએ.”
ભગવાનનું સંબોધન કરનાર પુરી બાપુની નમ્રતા મને સ્પર્શી ગઈ.
મેં તેમને કહેલું ,
”હાલ તો હું ઓસ્ટ્રેલિયામા છું. ઓક્ટોબરની ૨૪મીએ ભારત આવીશ. ત્યારે આપણે જરૂર મળીશું.” ૨૪મીએ ભારતમાં મારું આગમન થયું, બીજા જ દિવસે તેમનો ફોન આવ્યો.
“ભગવાન મેં આપની સાથે આપ ઓસ્ટ્રેલિયા હતા ત્યારે વાત કરી હતી. આપને મળવા આવવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીશું.”
મેં તેમને ૩૧મી એ બપોરે ૧૨ વાગ્યે મારા ઘરે આવવાનો સમય આપ્યો.
પુરીબાપુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ કટુલા ગામમા એક નાનકડો “સદગુરુ ધામ” નામક આશ્રમ ચલાવે છે. પંચાવન વર્ષના પુરી બાપુ સ્વભાવે સરળ અને હદયના નિખાલસ છે. તેમના આશ્રમમાં દસ પંદર ગાયો છે. તેનું તેઓ પ્રેમપૂર્વક જતન કરે છે. સાથે નાનકડું ભોજનાલય પણ ચલાવે છે. જેમાં કોઈ પણ નાતજાતના ભેદ વગર સૌને વિનામૂલ્યે તેઓ જમાડે છે. રામકથા, શિવકથા કરી તેઓ ભક્તિમાં લીન રહે છે. છે. ગામના લોકો તેમના દુઃખ દર્દો લઈને તેમની પાસે આવે છે. અને બાપુ ઈશ્વરનું નામ લઇ તેમને શક્ય તેટલી મદદ અને સાંત્વન આપે છે. આસપાસના લોકોમાં બાપુ માટે ઘણું માન છે. મારી કોલમ “રાહે રોશન” અને રમઝાન માસમાં આવતી કોલમ “શમ્મે ફરોઝાં”ના તેઓ  નિયમિત વાચક છે. તેમાં આવતી કુરાને શરીફ અને મહંમદ સાહેબની બાબતોને તેઓ ખાસ નોંધી રાખે છે અને તેનો ઉપયોગ આસ્થા સાથે લોકોની સમસ્યાઓ દૂર કરવામા કરે છે. તેઓ કહે છે.
“ઈશ્વર કે અલ્લાહ એક જ છે. બંનેનું સત્વ એક જ છે.”
મારે ત્યાં તેઓ તેમના બે શિષ્યોને લઈને આવ્યા હતા. તેમના ઔપચારિક સ્વાગત પછી મેં પૂછ્યું,
“બાપુ શું લેશો ચા કે ઠંડુ”  તેમણે કહ્યું “થોડી ચા લઈશ”
મારી પત્નીએ તેમને કપમાં ચા આપી. ત્યારે તેમાંના શિષ્યએ થેલામાંથી કમંડલ કાઢી તેમને આપ્યું. બાપુએ ચા તેમાં નાખીને પીધી. ચા પીધા પછી તેમના શિષ્ય કમંડળ ધોવા ઉઠ્યા. મારી પત્ની
સાબેરાએ તેમની પાસેથી આગ્રહ કરી કમંડળ લઇ લીધું. અને તે ધોઈને તેમના શિષ્યને પરત કર્યું. પછી તો બાપુ વાતોએ વળગ્યા.પણ મારે અત્યારે તેમની એ બધી વાત નથી કરવી. અત્યારે તો મારે તેમણે મને કરેલ એક અદભૂત ધાર્મિક સદભાવની વાત કરવી છે.
૨૦૦૩ની સાલ હતી. હોળીના દિવસો હતા. પુરી બાપુની કથાનું આયોજન કચ્છના અંજાર શહેરની પાસે આવેલા નાગરપરા ગામમાં કરવામાં આવ્યું હતું. પોથી પૂજનની તડામાર તૈયારીઓ નાનકડા ગામમાં ઉત્સાહથી થઈ રહી હતી. પોથી પૂજનનો દિવસ અને સમય આવી ગયો. વાજતે ગાજતે પોથી પૂજન માટે આખું ગામ ઉમટ્યું. ત્યાજ ખબર આવ્યા કે ગામના અકબર શેઠ હજયાત્રાએથી પાછા આવી રહ્યા છે. અને તેમના સ્વાગત માટે સૌ તૈયારીઓ કરી રહ્યા છે. નાનકડું ગામ એમાં બે પ્રસંગો. ગામ લોકો મૂંઝાયા. કયા જવું એ સમજાય નહિ. પુરી બાપુને તેની જાણ થઈ. તેમણે ગામના વડીલોને ભેગા કરી કહ્યું,
“અકબર શેઠ ભગવાનના ઘરેથી આવી રહ્યા છે તેથી પહેલા તેમનું સ્વાગત ગામ લોકો કરે. પછી આપણે પોથી પૂજન કરીશું.” હજયાત્રાએથી આવી રહેલા અકબર શેઠને પુરી બાપુની આવી સદભાવનાની જાણ થઈ. અને તેમણે ગામ લોકોને કહ્યું,
“ભગવાનનું સામૈયું હોય, માનવીનું નહિ. પોથીપૂજન ભવ્ય રીતે કરો. હું નમાઝ અદા કરી કથામા જરૂર આવીશ.”
આમ છતાં પુરીબાપુએ પોથી પૂજન થોડું મોડું કર્યું. ગામ લોકોએ અકબર શેઠનું ભવ્ય સ્વાગત કર્યું.
કથા અહિયાં પૂરી નથી થતી. પોથી પૂજન પછી કથાનો આરંભ થયો. ઝોહર અર્થાત બપોરની નમાઝ અદા કરી અકબર શેઠ સીધાં કથામા આવ્યા. પુરી બાપુએ કથામાં પધારેલા હાજી અકબર શેઠનું કથા રોકી ફૂલહારથી સ્વાગત કર્યું. અકબર શેઠે પોતાના સ્વાગતના જવાબમાં ટુકું પણ સદભાવ ભર્યું ભાષણ કરતા કહ્યું,
“આજે પુરી બાપુ અને આ ગામે સદભાવના અને કોમી એખલાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું પુરી બાપુના વિચારોને પ્રણામ કરું છું.”
થોડી વાર અટકી અકબર શેઠ બોલ્યા,
“પુરી બાપુની ગૌસેવાને બિરદાવી હું ગૌ માતા માટે એકાવન હજારનું દાન આપું છું.”
અને કથામા બેઠેલા ગામજનોએ તાળીઓના ગળગળાટથી અકબર શેઠની ઉદારતાને વધાવી લીધી. આજે આ ઘટનાને ૧૫ વર્ષ વિતી ગયા છે. અકબર શેઠ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. માત્ર ઘટનાનું બયાન કરવા મારી સમક્ષ સફેદબંડી, ભગવો ગમછો, માથે તિલક અને સફેદ પવિત્ર દાઢી ધારી પુરી બાપુ બેઠા છે. હું એક નજરે પુરીબાપુની વાત સાંભળી રહ્યો છું. ત્યારે મારા મનમાં વિચારોના વમળો ઉઠે છે. અને એ વમળોમાંથી એક પ્રશ્ન ઘાટો બની મારા હદયમા ઉપસી આવે છે. અને એ છે,
“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે”


Monday, October 8, 2018

સૌને સાલ મુબારક અને ઈદ મુબારક : ડો. મહેબૂબ દેસાઈ


આ વખતનો નવેમ્બર માસ હિંદુ અને ઇસ્લામ બંને ધર્મના અનુયાયીઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે. ૭ નવેમ્બરના રોજ દીપાવલી છે. જયારે ૨૧ નવેમ્બરના રોજ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) નો જન્મ દિવસ અર્થાત ઈદ-એ-મિલાદ છે. દીપાવલી સત્યનો અસત્ય પર વિજય છે. અજ્ઞાનનો જ્ઞાન પર વિજય છે. પ્રકાશનો અંધકાર પર વિજય છે. ટૂંકમાં દીપાવલી દીવાઓનો તહેવાર છે. દીવાઓ અંગે સંસ્કૃતમાં એક સુંદર શ્લોક છે,
दीपज्योतिः परब्रह्म दीपज्योतिः जनार्दनः
दीप हरतु मे पापम् दीपज्योतिः नमोस्तु ते 
અર્થાત
“દિપ જ્યોત પરબહ્મ છે, દિપ જ્યોત જગતના દુઃખ હરનાર દેવ છે,
દિપ દેવ મારા પાપ દૂર કરે છે, હે દિપ જ્યોત તમને મારા વંદન”
અને એટલે જ આપણે તેની ખુશીને ઉજવીએ છીએ. એ જ રીતે ઇસ્લામમાં ઈદ એ પણ ખુશીઓને માણવાનો દિવસ છે. પણ આ ઈદ “ઈદ-ઉલ-અજહા” (બકરા ઈદ કે કુરબાનીની ઈદ) કે “ઈદ-ઉલ-ફિત્ર” (રમઝાન ઈદ) નથી. પણ આ ઈદને “ઈદ-એ-મિલાદ” કહે છે. હઝરત મહમદ સાહેબના જન્મદિવસની ઉજવણીનો દિવસ એટલે “ઈદ-એ-મિલાદ”. જેમ બેસતા વર્ષના  દિવસે આપણે સૌ સાથે મળીને આનંદ કરીએ છીએ.વડીલોના આશીર્વાદ લઇએ છીએ. ભાવતા ભોજન આરોગીએ છીએ. અને ખુશીને પેટ ભરીને માણીએ છીએ. ઇદ-એ-મિલાદમાં એ જ પરંપરાને મુસ્લિમો અનુસરે છે. મુસ્લિમો નવા વસ્ત્રો ધારણ કરે છે. ઘરમાં સ્વાદિષ્ટ ભોજન પકાવે છે અને આરોગે છે.વડીલોને સલામ કરે છે. અને મહંમદ સાહેબના જીવન આદર્શોને પોતના જીવનમાં અમલમાં મુકવા કટિબદ્ધ બને છે.
તહેવારોનો મહિમા વ્યક્ત કરતા મહંમદ સાહેબ (સ.અ.વ.) કહ્યું છે,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ-પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો "
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન, નવા વસ્ત્રો અને આનંદ પુરતી સીમિત ન હોઈ શકે. સદ વિચારોના આચારથી ખુશી બેવડાય છે. તમારી ખુશીમાં નાના-મોટા ગરીબ-અમીર સૌને સામેલ કરવાથી તમારી ખુશી વિસ્તરે છે. ખુશીના પ્રસંગે સ્વજનો સાથેના નાના મોટા મનદુઃખો ભૂલી જઈ મળવું, એ પણ સદ વિચારનો પ્રસાર છે. તમારી કુટેવો વ્યસનોને હંમેશ માટે છોડવાનો નિર્ણય પણ તમારા સ્વજનો માટે અત્યંત ખુશીનો અવસર બની રહે છે. ટુંકમાં સદવિચારોનું આચરણ અને આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે.
કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,
"અલબત્ત જે લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા અને સદકાર્યોને વળગી રહ્યા તેમને જન્નતના બાગોમાં પ્રવેશ મળશે, જ્યાં મીઠા પાણીને નહેરો વહેતી હશે. તેમને રેશમના વસ્ત્રો અને કીમતી આભૂષણો પહેરાવવામાં આવશે. અને અલ્લાહના માર્ગ (સદમાર્ગે) પર ચાલવા માટે તેમની પ્રશંશા કરવામાં આવશે"
ઈદ-એ-મિલાદ મહંમદ સાહેબનો જન્મ દિવસ છે.ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે  સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલીના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની  આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.
આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી. તેમના જન્મદિને માનવીય અભિગમને જીવનભર આચરણમાં મુકનાર મહંમદ સાહેબના કેટલાક વચનો માણીએ.
“જે માનવી સ:હદયતાથી વંચિત રહ્યો,તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.”
“ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.”
“તમારામાં સૌથી શ્રેષ્ઠ એ છે જે ખુદાનો ખોફ (ભય) રાખે છે.”
“સૌ પ્રત્યે પ્રેમ એ મારી રીત છે. જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો, તેણે મારી સાથે પ્રેમ રાખ્યો. અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો તે મારી સાથે જન્નત (સ્વર્ગ)મા રહેશે”.
“સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.”
“તમે દુનિયામાં એવી રીતે રહો જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.”

“પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે. પરંતુ મને (હઝરત મહમદ સાહેબને) સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.”

મહંમદ સાહેબની આ હિદાયતો જીવનમાં સાકાર કરવાની પ્રતિજ્ઞા સાથે સૌ વાચક મિત્રોને સાલ મુબારક અને ઈદ મુબારક.

Friday, October 5, 2018

“ખુદા કે ધર દેર હૈ, અંધેર નહિ હૈ” : ડૉ. મહેબૂબ દેસાઈ


૧૯૫૭મા બનેલી દિલીપ કુમારની એક ફિલ્મ “નયા દૌર”ના એક ગીતનું મુખડું પણ આવું જ હતું. સાહિર લુધીયાનવી  લિખિત એ ગીતના શબ્દો હતા “આના હૈ તો આ રાહ મેં કુછ દેર નહિ હૈ, ભગવાન ઘર દેર હૈ અંધેર નહિ હૈ” જીવનના માર્ગ પર આ ઉક્તિ એક યા બીજા સ્વરૂપે ઘણીવાર આપણને સાંભળવા મળે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વિધાનમા સનાતન સત્ય સમાયેલું  છે. આપણને જયારે કોઈના તરફથી અન્યાય થયાનું લાગે છે, આપણું મન કોઈના કૃત્યથી દુભાય છે, ત્યારે અચુક આ ઉક્તિ આપણા મનમાં કે મુખમાં ઉપસી આવે છે. અને આપણું મન કે જીભ બોલી ઉઠે છે “ભગવાનના ઘરમા દેર છે, અંધેર નથી.” દરેક મઝહબ કહે છે કે માનવીને તેના સારા કે નરસા કર્મોનો બદલો ભગવાન કે ખુદા જરૂર આપે છે. આ જ વિચારના કેન્દ્રમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મમાં જન્નત અર્થાત સ્વર્ગ અને દોઝક અર્થાત નર્કનો વિચાર રહેલો છે. પણ એ સાથે એક અન્ય વિચાર પણ પ્રબળ બનતો ગયો છે. અને તે એ છે કે  જન્નત અને દોઝક બંને માનવીના જીવનમા જ છે. માનવીને તેના સદકાર્યો કે અપકાર્યોનો બદલો આજીવનમાં જ મળે છે. પણ એ ક્યાં, ક્યારે અને કયા સ્વરૂપે મળશે એ કોઈ પણ પામર માનવી કહી શકતો નથી. માનવી પોતાની સમજ મુજબ તે સમગ્ર ઘટના અને વ્યક્તિને મળેલ ઇન્સાફની મુલવણી કરતો રહે છે. અને તેમાંથી પોતાના જીવનમાં સત્ય નિષ્ઠા, ઉદારતા અને પરોપકારીતા જેવા ગુણોને સાકાર કરવાનો પ્રયાસ કરતો રહે છે.

હમણાં હું રાજ મોહન ગાંધી લિખિત પુસ્તક “અન્ડરસ્ટેન્ડિંગ ધી મુસ્લિમ માઈન્ડ”વાંચતો હતો, તેમાનો એક પ્રસંગ મને સ્પર્શી ગયા. ભારતના ભાગલા માટે મહમદઅલી જિન્ના કેન્દ્રમાં હતા. તેમના સક્રિય પ્રયાસોએ પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. તેઓ પાકિસ્તાનના સર્વેસર્વા હતા. તેમની અંતિમ પળોનું વર્ણન રાજમોહન ગાંધીએ મહમદઅલી જિન્નાના પ્રકરણના અંતિમ પેરેગ્રાફમા કર્યું છે, તે તેમના જ શબ્દોમાં  અત્રે રજુ કરું છું.
“૨૯ જુલાઈના રોજ ક્વેટાની સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ અંગ્રેજ મહિલા ફિલિપ ડનહમ જિન્નાની સંભાળ માટે બોલાવવામાં આવી. જો કે જિન્નાને એ પસંદ ન હતું. છતાં અંતે તેઓ માની ગયા.
૯ ઓગસ્ટના રોજ ઝીયારત (પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન પ્રદેશનું એક શહેર)ની ભયંકર ઉંચાઈ પરથી જીન્નાને ક્વેટા લાવવામાં આવ્યા. એક સમયએ એવું લાગવા લાગ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. પરંતુ ૨૯ ઓગસ્ટે તેમણે તેમના ડૉ. બક્ષને કહ્યું “આપ જાણો છો, જયારે આપ પહેલીવાર ઝીયારત આવ્યા હતા, ત્યારે હું જીવવા માંગતો હતો. પરંતુ અત્યારે મારા જીવવા ન જીવવાનો કોઈ અર્થ નથી.” ડૉકટરે જોયું કે આ કહેતા સમયે તેમની આંખમાં આંસુ હતા.
૧૧ સપ્ટેમ્બરના રોજ ગવર્નરનું વાઈકિંગ વિમાન તેમને કરાંચી લઇ જવા માટે ક્વેટા આવ્યું. શહેરમાં બેચેની ન પ્રસરે એટલા માટે આ યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રીને જાણ કરવામા આવી હતી. પણ તેમને હવાઈ મથક પર આવવાની ના પાડવામાં આવી હતી.
કરાંચી જ્યાં ૭૨ વર્ષ પહેલા જિન્નાનો જન્મ થયો હતો. જયારે વાઈકિંગ ત્યાં ઉતર્યું ત્યારે એ શહેર તેના સામાન્ય કામકાજમા વ્યસ્ત હતું. અશક્ત જિન્નાને એક સ્ટ્રેચર નાખી લશ્કરની એમ્બ્યુલન્સમા મુકવામાં આવ્યા. હવાઈ મથકથી શહેર તરફ જવાના રસ્તામા વચ્ચે એક ગીચ શરણાર્થીઓની વસ્તી આવતી હતી. એ વસ્તી પાર કરી કે અચાનક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ. કરાંચીથી બીજી એમ્બ્યુલન્સ આવવામાં લગભગ ૬૦ મિનીટ વીતી ગઈ.
એ પૂરા એક કલાક સુધી ગવર્નર જનરલ જેને દરેક નાગરિક કાયદે આઝમ કહેતા હતા અને જેને રાષ્ટ્રપિતા કહીને બોલાવવામાં આવતા હતા, એ માનવી એમ્બ્યુલન્સમા એવી અસહાય અવસ્થામાં પડ્યો હતો, જેમ કોઈ અસહાય માનવી શરણાર્થી વસ્તીમાં પડ્યોં હોય. સિસ્ટર ડનહમએ આસપાસ નજર કરી એક કપડાનો ટુકડો શોધી કાઢ્યો. અને તે દ્વારા કાયદે આઝમ પર મંડરાતી માખીઓને ઉડાડવાની કોશિશ કરી. થોડી મીનીટો પછી જિન્નાએ એક હાથ ઊંચો કર્યો અને સિસ્ટરના ખભા પર મુક્યો. તેમણે કશું ન કહ્યું પણ તેમની આંખોમા કૃતજ્ઞતાનો ભાવ હતો. એમ સિસ્ટર ડનહમએ પોતાના નિવેદનમાં કહ્યું છે. એક કલાક પછી બીજી એમ્બ્યુલન્સ તેમને ગવર્મેન્ટ હાઉસ લઇ ગઈ. અને રાત્રે ૧૦.૨૦ કલાકે જિન્નાએ અંતિમ શ્વાસ લીધા.”  
એક રાષ્ટ્રના સર્જકની આવી અસહાય અંતિમ સ્થિતિ આપણે ઘણું કહી જાય છે. કુરાને શરીફમા વારંવાર એ શબ્દ “આમલનામા” આવે છે. આમાલનામાનો અર્થ થાય છે “ક્રમપત્રિકા” આમાલ શબ્દ અમલનું બહુવચન છે. અને નામા એટલે નોંધ. આમલનામાને “નામા એ આમલ” પણ કહે છે. દુનિયામાં આપણે જે સારા નરસા કાર્યો કરીએ છીએ તેની નોધ ખુદાને ત્યાં લેવાય છે. અને એ મુજબ ખુદા ઇન્સાફ કરે છે. કુરાને શરીફમા કહ્યું છે,
“કયામતને દિવસે લોકો જુદી જુદી સ્થિતિમાં કબરોમાંથી નીકળશે અને તેમને દરેકને તેમના આમલનામા મુજબ ઇન્સાફ આપવમાં આવશે”
પણ ખુદાનો ઇન્સાફ કયારેક કયામતના દિવસની રાહ પણ નથી જોતો. જીવનના આવા અનેક પ્રસંગો એ તરફ આપણું ધ્યાન દોરે છે. અને આપણને નૈતિક માર્ગે ચાલવા પ્રેરે છે. અલબત્ત એ કહેવું સાચ્ચે જ અશક્ય છે કે ખુદાનું કયું કૃત્ય માનવીના કયા કાર્યનું પરિણામ છે. અને એટલે જ માનવીએ હંમેશા ખુદાનો ખોફ રાખીને જીવવું એ જ બહેતર કે ઉત્તમ માર્ગ છે.  


Monday, September 24, 2018

ઇસ્લામ અને રામધારી સિંહ “દિનકર” : ડૉ. મહેબૂબ દેસાઈ


રામધારી સિંહ “દિનકર” (૧૯૦૮ થી ૧૯૭૪) હિંદી સાહિત્યનુ એક મોટું નામ છે. ૨૩ સપ્ટેમ્બરના રોજ તેમની ૧૦૯મી જન્મજયંતિ ગઈ. પદ્મશ્રી (૧૯૫૯) અને જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૭૨) વિજેતા દિનકરજીનો ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય” આજે પણ વાચકો, વિવેચકો અને બુદ્ધિજીવીઓમાં વંચાય છે, વિચારાય છે. આ એ જ ગ્રંથ છે જે માટે દિનકરજી ને “સાહિત્ય અકાદમી પુરસ્કાર” (૧૯૫૯) વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે આપવામાં આવ્યો હતો. તેમના આ ગ્રંથ “સંસ્કૃતિ કે ચાર અધ્યાય”મા ભારતીય સંસ્કૃતિના વિકાસની યાત્રા સરળ શબ્દોમાં આલેખવામાં આવી છે. એ ગ્રંથમાં તેમણે ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક ધર્મની વાત કરી છે. દિનકરજીએ પોતાના આ ગ્રંથમા ઇસ્લામ અંગેના પોતાના વિચારો સુંદર અને આધારભૂત રીતે આલેખ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઠંડા વાતાવરણમાં એ ગ્રંથનું ઇસ્લામ વિષયક પ્રકરણ પુનઃ વાંચવાની તક સાંપડી. ઇસ્લામની સાચી સમાજ પામવા ઇચ્છતા દરેક મુસ્લિમ કે ગેર મુસ્લિમે એ પ્રકરણ એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આજે એ પ્રકરણના કેટલાક ઉત્તમ વિચારોનું પાન કરીએ. દિનકરજીએ ગ્રંથથી ત્રીજી આવૃત્તિની ભૂમિકામા લખ્યું છે,
“ઇસ્લામ ખંડ (પ્રકરણ) નું મેં સંપૂર્ણ રીતે પુનઃ લેખન કર્યું છે. વીસમી સદીમા ભારતના જે ભાગલા થયા, તેના મૂળ મુઘલ કાળમા જ શેખ અહમદ સર હિન્દના પ્રચારમાં છે. એ વિચારનું અહિયાં વિશેષ રૂપથી મેં આલેખન કર્યું છે. આશા છે ભારતની સાંપ્રદાયિક સમસ્યા સમજવામાં વાચકોને મદદરૂપ થઈ પડશે.”
ગ્રંથના ત્રીજા અધ્યાય “હિન્દુ સંસ્કૃતિ ઔર ઇસ્લામ” નું બીજું પ્રકરણ “ઇસ્લામ” નામક છે. વીસ પાનાના આ પ્રકરણમાં દિનકરજીએ ઇસ્લામ અંગે પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા છે.
પ્રકરણના આરંભમાં દિનકરજી ઇસ્લામ શબ્દની સમજ આપતા લખે છે,
“ઇસ્લામ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શાંતિમાં પ્રવેશ થાય છે. અર્થાત મુસ્લિમ એ વ્યક્તિ છે જે પરમાત્મા અને મનુષ્ય માત્ર સાથે શાંતિ પૂર્ણ સંબધ રાખે છે. અતઃ ઇસ્લામ શબ્દનો લાક્ષણિક અર્થ એ થાય છે કે એવો ધર્મ જેના દ્વારા મનુષ્ય ઈશ્વરની શરણ લે છે અને દરેક મનુષ્ય સાથે પ્રેમ અને અહિંસાથી વર્તન કરે છે.”
દિનકરજી અલ્લાહ અંગે કહે છે,
“અલ્લાહ શબ્દનો અર્થ જ શક્તિ સંપન પુરુષ છે. ઇસ્લામમાં ઈશ્વર કે અલ્લાહના એ ગુણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અલ્લાહ સર્વ શક્તિમાન છે. ઇસ્લામની ધાર્મિક ચેતનાનું રૂપ એ છે કે ઈશ્વર અત્યંત નજીકથી બધું જુવે છે. અને તેની નાની પણ અવગણના ગ્રાહ્ય નથી. મનુષ્ય માટે એ જ ઉચિત છે કે અલ્લાહની કૃપા અને ઈચ્છા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે. અલ્લાહની દયા પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવું એ ઇસ્લામની સૌથી મોટી વિશિષ્ટતા છે.”
“કુરાન જે અલ્લાહને માને છે તે જોવા અને સાંભળવા, વાતચીત કરવા અને ખુશી અને ગમને મહેસૂસ કરનારા છે. તે પ્રેમ પણ કરે છે, ધ્રુણા પણ કરે છે. બંદાનો અવાજ પણ સાંભળે છે. અને દૃષ્ટોનું દમન પણ કરે છે.પણ અલ્લાહના આ તમામ કાર્યો મનુષ્યના કાર્યો જેવા નથી. કારણ કે તેને મનુષ્યો જેમ નાક, કાન અને આંખો નથી. એ તો નિરાકાર છે. તે પ્રેમ અને દયાનો દરિયો છે. અને તે અર્શ (આકાશ)મા બિરાજે  છે.
પાંચ સમયની નમાઝ અંગે દિનકરજી કહે છે,
“પાંચ વારની નમાઝ પઢવાની પ્રથાના મૂળમા કદાચ એવો ભાવ રહેલો છે કે માનવી વધુ વાર અલ્લાહથી દૂર ન રહે. દિવસમાં ઓછામા ઓછા પાંચવાર તે અલ્લાહના શરણમાં પહોંચી જાય. અને તેની કૃપાની યાચના કરે.”
કુરાને શરીફ અંગે દિનકરજી લખે છે,
“કુરાનનું અવતરણ હઝરત મહંમદ સાહેબની દિવ્ય દ્રષ્ટિને કારણે થયું છે. પણ કુરાને શરીફમા એવું ક્યાંય નથી કહ્યું કે દિવ્ય દ્રષ્ટિ માત્ર મહંમદ સાહેબને જ મળી છે. પ્રત્યેક જાતિમાં દિવ્ય દ્રષ્ટિ ધરાવનાર ઉત્પન થયા છે. અને એટલે જ સાચો મુસ્લિમ દરેક ધર્મ ગ્રંથોને માન આપે છે. તેને પ્યાર કરે છે. કારણ કે દરેક ધર્મ ઈશ્વર ખુદાની જ દેન છે. સામાન્ય ફકીરમા પણ દિવ્ય દ્રષ્ટિ હોય શકે છે. પણ મહંમદ અને ફકીરમા ભેદ છે. મહંમદ પયગંબર (અમ્બિયા) હતા, જયારે ફકીર જ્ઞાની (આલીમ) હોય છે.”   
ઇસ્લામનો “જિહાદ” શબ્દ આજે જે રીતે બદનામ થઈ ગયો છે. તેના સંદર્ભમા દિનકરજી કહે છે,
“જિહાદ શબ્દ જહદ ધાતુ પરથી આવ્યો છે. જેનો અર્થ તાકાત, શક્તિ કે યોગ્યતા થાય છે. અંગ્રેજી વિદ્વાન ક્લેન ના મતે જિહાદ એટલે સંઘર્ષ. તેણે જિહાદ અર્થાત સંઘર્ષને ત્રણ વિભાગોમાં વિભાજીત કરેલ છે.
૧. દ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૨. અદ્રશ્ય શત્રુ સામે સંઘર્ષ
૩. ઈન્દ્રીઓ સામે સંઘર્ષ
“સાધારણ વિદ્વાનોના મત મુજબ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે જે યુધ્ધો થયા, તેને એક પવિત્ર નામ આપવા માટે જિહાદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ મુસ્લિમ વિદ્વાન મહમદ અલી કહે છે, આ શબ્દનો અર્થ ઇસ્લામના પ્રચાર માટે થયેલા યુધ્ધો નથી. કુરાને શરીફમા જ્યાં જ્યાં આ શબ્દ આવ્યો છે, ત્યાં ત્યાં એ શબ્દનો અર્થ પરિશ્રમ, ઉદ્યોગ કે સામાન્ય સંઘર્ષ તરીકે કે જ થયો છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ યુદ્ધની પરવાનગી ત્યારે આપી હતી, જયારે તેઓ હિજરત કરીને મદીના આવ્યા હતા. મદીનામાં આત્મ રક્ષણ માટે તલવાર ઉપાડવી તેમના માટે આવશ્યક થઈ ગઈ હતી. એ પછી જ યુધ્ધો જિહાદના નામે લડાવા લાગ્યા. પરંતુ ત્યારે પણ જિહાદનો વ્યાપક અર્થ કરવામાં આવતો હતો. જેમાં તલવાર અને વાણી બંનેનો સમાવેશ થતો હતો. કુરાને શરીફમા કહ્યું છે, “એ નબી, જે કાફિર અને પાખંડી છે તેમના વિરુદ્ધ તારી જિહાદ ચાલુ રાખ. અને તેમની સામે વિચલિત ન થા.” હદીસમા તો હજને પણ એક જિહાદ તરીકે આલેખવામાં આવેલ છે. અને કહેવામાં આવ્યું છે, “નબીએ કહ્યું છે સૌથી મોટી જિહાદ હજમાં જવું છે.” પણ પછી રૂઢીચુસ્ત મૌલવીઓએ જિહાદનો અર્થ માત્ર યુદ્ધ કરી નાખ્યો.”
દિનકરજી આગળ લખે છે,
“મુહમદ અલી નામના વિદ્વાન કહ્યું છે,

“વિધર્મીઓને તલવારના જોરે ઇસ્લામમા લાવવાનું કુરાનમાં ક્યાય કહેવામાં આવ્યું નથી. હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)એ પણ કયારેય એ વાત કહી નથી.”