Monday, November 20, 2017

ઈદ-એ-મિલાદ : મહંમદ સાહેબના આદર્શોને પામવાનો દિન : ડો. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમાં રબ્બી ઉલ અવ્વલ માસનું વિશેષ મહત્વ છે. કારણકે આ માસની ઇસ્લામિક તારીખ ૧૨ના રોજ હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મ દિવસ છે. એ મુજબ ૨ ડીસેમ્બરના રોજ ઇસ્લામના અનુયાયીઓ ઈદ-એ-મિલાદ અર્થાત મહંમદ સાહેબ (સ.અ.વ.)નો જન્મ દિવસ ઉજવશે. એ સંદર્ભે મહંમદસાહેબના કેટલાક જીવનપ્રસંગો વાગોળવાનું આકર્ષણ રોકી શકતો નથી.
એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.ચ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું,
 મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?
મહંમદસાહેબ(સ.અ.વ.)એ કહ્યું, તારી માતાને.
એ વ્યકિતએ પૂછ્યું,‘માતા પછી કોણ ?’
તારી માતા  ફરી એ જ જવાબ મળ્યો.
એ પછી કોણ?
મહંમદસાહેબે ફરમાવ્યું, એ પછી તારા પિતા.
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ઔલાદ પર મા બાપના શા હક્કો છે ?
આપે ફરમાવ્યું, ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી દોઝક મળે છે.
એક વાર મહંમદસાહેબ(સ.અ.વ.) મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જૉઇને બાળાઓ હજરત મહંમદ (સ.અ.વ)ની આસપાસ ગોઠવાઇ ગઇ અને શહીદોની પ્રશંસા કરતાં ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી, ફીના નબીય્યુન યાસઅલમુ માફીગદા અર્થાત્ અમારી વચ્ચે એક નબી છે, જે કાલની વાત જાણે છે.  મહંમદસાહેબ પોતાનાં વખાણ કે પ્રશંશા કયારેય સાંભળતા નહીં, એટલે તેમણે તરત ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું,
 જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો.
હજરત મહંમદસાહેબ(સ.અ.વ.)ન્યાય, ઇન્સાફના ખૂબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબિલાની એક સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી રસૂલેપાક પાસે આવ્યો. ઔસામા બિનઝેદી પ્રત્યે રસૂલેપાકને ખૂબ માન. આથી તે ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિનઝેદીને લઇને મહંમદસાહેબ પાસે આવી. ઔસામ બિનઝેદીને જૉઇને મહંમદસાહેબ બોલી ઉઠયા,
 ઔસામા, શું તમે ન્યાયની વરચે પડવા આવ્યા છો ?
રસૂલેપાકનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી ગઇ. મહંમદસાહેબ(સ.અ.વ.)એ સાથીઓને સંબોધન કરતા કહ્યું,
તમારી પહેલાંની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઇ ગઇ છે, કારણ કે તેમણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યોન હતો. ખુદાના કસમ જૉ ફાતિમાએ (રસૂલેપાકની પ્રિય પુત્રી) ગુનો કર્યોહોય તો એને પણ સજા કરું.
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતી, પણ પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ ચેન ન પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, ‘આપણી છત નીચે પૈસા કે કંઇ સોનું-ચાંદી નથી ને?’આયશાને યાદ આવી જતાં બોલી ઠયાં,
અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું,
અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથી, પ્રેષિતોની છત નીચે ધન ન હોય.
મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા. ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો. રાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધી. પયગમ્બરસાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું,
આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઇશું.
મહંમદસાહેબ(સ.અ.વ.) બોલ્યા,
 પણ હું મારી જાતને તમારા કરતાં ઉચી રાખવા નથી માગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ  ગણે છે તેને ખુદા નથી ચાહતા.
હજરત મહંમદ પયગમ્બરસાહેબની ઉંમર ૬૩ વર્ષની થવા આવી હતી. તેઓ બીમાર રહેતા હતા. તાવને કારણે અશકિત પણ ઘણી લાગતી હતી. આમ છતાં પોતાના બંને પિતરાઇઓ અલી અને ફજલનો ટેકો લઇ તેઓ નિયમિત સાથીઓને મળવા મસ્જિદમાં આવતા, નમાજ પડતા, તે દિવસે પણ નમાજ પછી તેમણે સાથીઓને કહ્યું, ‘મારા સાથીઓ, તમારામાંથી કોઇને મેં નુકસાન કર્યું હોય તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજૂદ છું. જૉ તમારામાંથી કોઇનું મારી પાસે કશું લેણું હોય તો જે કંઇ આજે મારી પાસે છે તે બધું તમારું છે.
એક સાથીએ યાદ અપાવ્યું,
મેં આપના કહેવાથી એક ગરીબ માણસને ત્રણ દિરહમ આપ્યા હતા.
મહંમદસાહેબે તેને તે જ ક્ષણે ત્રણ દિરહમ આપી દીધા અને કહ્યું,
આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે. જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

 ખુદાના આવા પાક-પ્યારા પયગમ્બરની વફાત મુસ્લિમ ચાંદ ૧૨ રબ્બીઉલ અવ્વલ, ૧૧ હિજરી ૮ જૂન ઇ.સ. ૬૩૨ના રોજ થઇ, પણ નોંધપાત્ર બાબત એ છે કે મહંમદસાહેબનો જન્મ અને વફાત ૧૨ રબ્બી ઉલ અવ્વલ અર્થાત્ એક જ મુસ્મિલ તારીખે થયાં હતાં.

2 comments: