Thursday, November 16, 2017

મૌલાના અબ્દુલ કલામ આઝાદ : ડૉ. મહેબૂબ દેસાઈ


૧૧ નવેમ્બરના રોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્ર નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ તિથી હતી. તેમના જન્મ દિવસને ભારત સરકારે
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનો ૨૦૦૮થી આરંભ કરેલ છે. એ અન્વયે એક સ્થાનિક ચેનલે યોજેલ એક લાઇવ કાર્યક્રમમા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેવાની તક સાંપડી. ત્યારે મૌલાના આઝાદનું એક અવતરણ મેં મારા વ્યાખ્યાનમાં ખાસ ટાંકતા કહ્યું હતું,
આકાશની ઉંચાઈ પરથી કોઈ ફરિશ્તો ઉતરે અને કુતુબ મિનાર પર એલાન કરે કે હું હિન્દુસ્તાનને ચોવીસ કલાકમાં આઝાદી અપાવી શકું છું પરંતુ એ શરતે કે હિંદુ-મુસ્લિમ કોમી એકતાને ત્યજી દે, તો આવી આઝાદી હૂં સ્વીકારીશ નહી
કોમી એકતાના આવા પ્રખર હિમાયતી મૌલાના સાહેબે રાષ્ટ્રીય જાગૃતિ પ્રસરાવવાના હેતુથી ૧૯૧૨મા અલ હિલાલ નામક ઉર્દુ અઠવાડિક શરુ કર્યું હતું. બંગાળની અંગ્રેજ સરકારે તેને બંધ કરવાના બદ ઈરાદાથી મૌલના સાહેબ પાસે બે હજારના જામીન માંગ્યા. મૌલાના સાહેબે તે આપ્યા. એ યુગમાં
અલ હિલાલ અખબારની ૨૬ હજાર નકલો વેચાતી હતી. અને તેનાથી પણ ચાર ગણા લોકો તે વાંચતા હતા. આથી ફરીવાર અંગ્રેજ સરકારે તેના માટે દસ હજારના જામીન માંગ્યા. એટલી મોટી રકમ મૌલાના સાહેબ ન આપી શક્યા. એટલે અલ હિલાલ પ્રેસ સરકારે જપ્ત કર્યું. એ પછી મૌલના સાહેબે અલ બલાગ નામનું સાપ્તાહિક શરુ કર્યું. અલ હિલાલ રાજકીય સાપ્તાહિક હતું. જયારે
અલ બલાગ સામાજિક ધાર્મિક જાગૃત્તિ માટેનું સાપ્તાહિક હતું. અલ બલાગને  પણ સામાજિક ધાર્મિક જાગૃત્તિનું એવું અદભૂત કાર્ય કર્યું કે અંગ્રેજ સરકાર તેને પણ જપ્ત કરવા પ્રેરાઈ. અને તેને પણ જપ્ત કરવામાં આવ્યું.
આમ બંગાળની અગ્રેજ સરકાર મૌલાના સાહેબની રાષ્ટ્રીય પ્રવૃત્તિથી ગળે આવી ગઈ હતી. એટલે અંતે તેમણે મૌલાના સાહેબને તડીપાર કર્યા. પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને મુંબઈની સરકારોએ તો તેમના પર પ્રથમથી પ્રતિબંધ મૂકી દીધો હતા. પરિણામે ૩૦ માર્ચ ૧૯૧૬ના રોજ મૌલના સાહેબ કલકત્તા થી બિહાર જવા નીકળ્યા. અને રાંચી પહોંચ્યા. મૌલાના સાહેબ રાંચી પાસેના મોરાબરી નામક ગામમાં રોક્યા. અહી આદિવાસીઓની વસ્તી હતી. આવા તડીપારની સજાના દિવસોમા પણ મૌલાના સાહેબ દીની કાર્યો જેવા કે પાંચ વક્તની નમાઝ, રોઝા વગેરે ચૂકતા ન હતા. તેમના તડીપારના હુકમના વિરોધમાં તેમના મિત્રો અને સબંધીઓએ સાઈઠ હજાર સહીઓવાળું મેમોરન્ડમ સરકારને આપ્યું હતું. પણ સરકારે તેના પર નજર સુધ્ધા ન કરી. પણ મૌલાના સાહેબના જીવન વ્યવહારમાં તેની જરા પણ અસર ન થઈ. તડીપાર દરમિયાન તેઓ નિયમિત પાંચ વક્તની નમાઝ અચૂક પઢતા. આ સમય દરમિયાન જ રમઝાન માસ આવી ચડ્યો. મોરાબરી ગામ રાંચી શહેરથી થોડું દૂર હતું. પરિણામે મૌલાના સાહેબ જુમ્માની નમાઝ અદા કરવા રાંચી શહેરમાં જવા લાગ્યા. એ મસ્જિતના લોકોને તેની જાણ થઈ. એટલે લોકોએ મૌલાના સાહેબને નમાઝ પઢાવવા અને ખુત્બો (ધાર્મિક વ્યાખ્યાન) કરવા આગ્રહ કર્યો. પછી તો દરેક જુમ્માએ મૌલાના સાહેબ રાંચી શહેરની જુમ્મા મસ્જિતમા ખુત્બો અને નમાઝ પઢાવતા.
જુલાઈ ૧૯૨૦મા અંગ્રેજ સરકારે મૌલાના સાહેબને નજર કેદ કર્યા. નજર કેદને કારણે મૌલાના સાહેબ ચાર વક્તની નમાઝ મસ્જિતમા પઢતા. પણ ઈશાની (રાત્રી)ની નમાઝ તેમને ઘરમાં જ પઢવી પડતી. એટલે મૌલાના સાહેબે રાત્રે મસ્જિતમાં નમાઝ પઢવાની સરકાર પાસે મંજુરી માંગી. પણ સરકારે તે ન આપી. મૌલાના સાહેબે કાયદા અને સજા ની ચિંતા કર્યા વગર ઈશાની નમાઝ મસ્જિતમા જઈ પઢવાનું શરુ કર્યું. મૌલાના સાહેબની મક્કમતા આગળ સરકાર ઝુકી. મૌલાના સાહેબના આ પગલા સામે સરકાર મૌન રહી. અને આમ મૌલના સાહેબ નજર કેદમા હોવા છતાં પાંચે વક્તની નમાઝ મસ્જિતમાં પઢવા લાગ્યા.
તડીપાર દરમિયાન મૌલાના સાહેબે રાંચી શહેરના મુસ્લિમોને જાગૃત્ત કરવા સક્રિય પ્રયાસો કર્યા. તેમનું ધ્યાન ધર્મ અને જ્ઞાન તરફ કેન્દ્રિત કર્યું. જેના કારણે વેરાન મસ્જિતો ફરીથી આબાદ થઈ. મૌલાના સાહેબે એક વર્ષ સુધી રાંચીની મસ્જિતમા કુરાને શરીફનું શિક્ષણ આપ્યું. મૌલાના સાહેબનો વધારે પડતો સમય વાંચન અને લેખનમાં પસાર થતો. તેમનો મહાન ગ્રંથ તરજુમાનુલ કુરઆન  આજ સમય દરમિયાનમાં લખાયો હતો. મૌલાનાસાહેબે  અન્ય એક ગ્રંથ અલબયાન પણ આ સમય દરમિયાન જ લખ્યો હતો. આ ઉપરાંત અન્ય ધાર્મિક પુસ્તિકાઓ અલ્લામા-ઈબ્ન-તીમીયાહ, અલ્લામા-ઈબ્ન- કાપિય્મ અને શાહ અલી ઉલ્લાહ મોહ્દ્દીસ દહેલવીનું જીવન ચરિત્ર પણ આ સમયમાં જ મૌલવી સાહેબે લખ્યું હતું. આ જ કાળમા તેમણે તર્કશાસ્ત્ર પર પણ એક પુસ્તિકા લખી હતી. એ પણ સત્ય છે કે આ સમય દરમિયાન મૌલાના સાહેબ અત્યંત આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. છતાં નજર કેદીને સરકાર તરફથી આપવામાં આવતી આર્થિક સહાય અંગ્રેજ સરકાર પાસેથી તેમણે લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.  
મૌલાના સાહેબ અને ગાંધીજીની પ્રથમ મુલાકાત જાન્યુઆરી ૧૯૨૦મા દિલ્હીમાં હકીમ અજમલ ખાનને ત્યાં થઈ હતી. એ સમયે ખિલાફત ચળવળમા ભારતના મુસ્લિમો સાથે ભારતીય નેતાઓ અને પ્રજાને જોડવાનો પ્રશ્ન ખુબ ચર્ચામાં હતો. આ અંગે ગાંધીજી, મૌલાના આઝાદ, મૌલાના મુહમદ અલી, મૌલાના શૌકત અલી, હકીમ અજમલ ખાન, મૌલાના અબ્દુલ બારી વગેરે નેતાઓનું એક રાષ્ટ્રીય સંમેલનમાં ફિરંગી મહલમાં મળ્યુ હતું. તેમાં ગાંધીજી, લોકમાન્ય તિલક અને બીજા કોંગ્રેસી નેતાઓએ ભારતની પ્રજા અને નેતાઓને ખિલાફત ચળવળમાં જોડવાનો નિર્ણય લીધો હતો. પરિણામે ભારતીય મુસ્લિમ મોટી સંખ્યામાં સ્વતંત્ર યુધ્ધમાં જોડાવા સંગઠિત થયા હતા.

આવા કોમી એકતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય નેતા મૌલાના આઝાદ આજે આપણી વચ્ચે નથી પણ તેમની મઝહબી અને રાષ્ટ્રીય વિચારધાર આજે પણ આપણને માર્ગદર્શન આપતી રહી છે. તેમાથી આપણે કેટલું ગ્રહણ કરવું છે તે આપણે જ નક્કી કરવાનું છે. 

No comments:

Post a Comment