Friday, May 12, 2017

સૂરે યાસીન અને પર્યાવરણ : ડૉ. મહેબૂબ દેસાઈ


૧૧ મેંના રોજ શબે બરાત હતી. અર્થાત ક્ષમાયાચના સાથે મૃતકોની રુહ (આત્મા) માટે પ્રાર્થના (દુવા) કરવાનો દિવસ. એ દિવસે સાંજે હું કુરાને શરીફના દિલ સમી સૂરે યાસીનનું પઠન કરતો હતો.બરાબર એજ સમયે મારા મોબાઇલની રીંગ વાગી. સામે છેડેથી ધર્મદર્શનના સહ સંપાદક શંભુભાઈનો અવાજ સંભળાયો,
મહેબૂબભાઈ, ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. એટલે ઇસ્લામ અને પર્યાવરણ અંગે લખો એવી વિનતી છે.
મેં ટૂંકમાં હા પાડી અને પુનઃ સૂરે યાસીનનું પઠન કરવા માંડ્યું. આમ તો મેં અનેકવાર સૂરે યાસીન પઢી છે. પણ એ દિવસે મને તેમાં પર્યાવરણની આયાતો નજરે પડી. કુરાને શરીફની એજ ખાસિયત છે કે તેની આયાતો જયારે જયારે તમે પઢો છો ત્યારે ત્યારે તમને તેમાંથી નવા અર્થો સાંપડે છે. સૂરે યાસીનની ૩૩ થી ૪૪ આયાતોમાં પર્યાવરણના અભ્યાસુઓ માટે જાણવા અને સમજવા જેવી અનેક મહત્વની બાબતો આપવામાં આવી છે. સૌ પ્રથમ એ આયાતોનો અનુવાદ માણીએ.

અને એક નિશાની માટે મૃત જમીન છે તેને અમે જીવંત કરી દીધી અને તેમાંથી અનાજ કાઢ્યું, બસ તેમાંથી જ તેઓ ખાય છે (૩૩) અને અમે તેમાં બગીચા બનાવ્યા ખજૂર અને દ્રાક્ષના અને તેમાં અમુક ઝરણા વહાવી દીધા (૩૪) કે તેના ફળોમાંથી ખાય અને તેને તેમના હાથોએ નથી બનાવ્યા, પછી કેમ ઉપકાર નથી માનતા ? (૩૫) પવિત્ર હસ્તી છે જેણે બધી વસ્તુઓના જોડાઓ બનાવ્યા, એ પ્રકારમાંથી જે જમીનમાંથી ઉગે છે અને પોતે તેમની જાતમાંથી અને વસ્તુઓમાં કે જેમની તેમને ખબર નથી (૩૬) અને તેમના માટે એક નિશાની રાત છે, અમે તેના ઉપરથી દિવસને ખેંચી લઈએ છીએ. પછી ત્યારે જ તેઓ અંધારામાં રહી જાય છે (૩૭) અને સૂર્ય પોતાના નિશ્ચિત માર્ગે (કક્ષા) ચાલ્યો જાય છે. આ મહા બળવાન સર્વજ્ઞ અલ્લાહ દ્વારા નિર્માણધીન છે (૩૮) અને ચંદ્રની અમે કક્ષાઓ (મંઝીલો) વહેંચી દીધી છે એટલે સુધી કે પછી (એ રીતે) આવી રહ્યો છે, જેમ કે ખજુરની ડાળખી (૩૮) ન સૂર્ય થઈ શકે છે કે ચંદ્રને પકડી લે અને ન જ રાત આગળ વધી શકે છે દિવસથી. અને દરેક અલગ અલગ (નિશ્ચિત) વર્તુળ (ભ્રમણકક્ષા)મા તરે છે.(૪૦) અને તેમના માટે એક નિશાની છે કે અમે તેમની નસલ (સંતતી)ને ઉઠાવી લીધી તે ભરેલા વહાણમા (૪૧) અને અમે તેમના માટે વહાણ જેવી વસ્તીઓ બનાવી જેના ઉપર સવાર થાય છે (૪૨) અને જો અમે એમ ઇચ્છીએ તો તેમને ડૂબાડી દઈએ પછી કોઈ તેમની ફરિયાદે ન પહોંચે અને ન જ તેઓ છોડાવી શકે (૪૩) પરંતુ અમે પોતાની મહેરબાનીથી  અને તેમનું કામ ચલાવવા એક નિશ્ચિત સમય સુધી મંજુર રાખ્યા છે(૪૪).
સૂરે યાસીનની ઉપરોક્ત આયાતોમાં અલ્લાહની કુદરતની નિશાનીઓ, અને તેમણે માનવજાતને આપેલ નેમતો અને ઉપકારોનું આલેખન છે. સુક્કીભઠ્ઠ જમીન ઉપર આસમાનથી પાણી વરસાવી તે જમીનને જીવંત કરી, તેમાં વનસ્પતિ, વૃક્ષો અને ખજુર જેવા મીઠા ફળો ઉગાડવાનું કાર્ય અલ્લાહની રહેમત અર્થાત કૃપા છે. વળી, જમીનની સપાટી પર અને અને જમીનની નીચે ઝરણા વહેવડાવવાનું કાર્ય પણ અલ્લાહની માનવજાતને મોટી ભેટ છે. જમીનમાં નાખેલા બીજને પોષવાનું કાર્ય, ઉગાડવાનું અને તેની  મુક્કમલ સ્થિતિમાં ફળ બનાવવાનું કાર્ય તો માત્ર અલ્લાહની જ અપાર શકિતોમાનું એક છે. સૂર્ય અને ચંદ્રને તેના નિશ્ચિત માર્ગ પર ચલાવવાનું અને રાત અને દિવસનું સર્જન કરવાનું કાર્ય પણ અલ્લાહ સિવાય કોઈના અખત્યારમા નથી.

એજ રીતે સૂરે યાસીનની આયાત ૭૬ થી ૮૩ પણ પર્યાવણને લગતી કેટલીક આયાતો જોવા મળે છે. જેનો અનુવાદ નીચે મુજબ આપી શકાય.
હવે તેમની વાતથી દિલગીર ન થાવ ! અમે જાણીએ છીએ જે તેઓ છુપાવે છે અને જે જાહેર કરે છે.(૭૬) શું માનવી જોતો નથી કે અમે તેને એક (વીર્ય) ટીપામાંથી બનાવ્યો, પછી ત્યારે જ તે ઝગડનાર બોલનાર થઈ ગયો (૭૭) અને મારા ઉપર એક (અઘટિત) દ્રષ્ટાંત બેસાડે છે અને ભૂલી ગયો પોતાની પૈદાઇશ ! કહેવા લાગ્યો કોણ હાડકાને સજીવ કરશે જયારે તે જિર્ણ થઈ જશે (૭૮) તમે કહો તેમને તે જ સજીવ કરશે જેણે તેમને પ્રથમવાર સર્જ્યા અને તે સઘળું કઈ સર્જવાનું જાણે છે (૭૯) જેણે તમારા માટે લીલા વૃક્ષમાંથી આગ બનાવી, પછી હવે તમે  તેનાથી અગ્નિ પેટાવો છો (૮૦) શું જેણે આસમાન અને જમીન બનાવ્યા તેમના જેવા નથી બનાવી શકતો ? કેમ નહી ! અને તે જ અસલ સર્જનહાર અને સઘળું જાણનાર છે.(૮૧) તેનો હુકમ (નિયમ) એ જ છે જે જયારે કોઈ વસ્તુને ઉત્પન કરવા ઈચ્છે તો તેને કહે છે, “થઈ જા” તે તે જ વખતે થઈ જાય છે. (૮૨) બસ પવિત્ર છે તે હસ્તી જેના હાથમાં દરેક વસ્તુની સત્તા છે અને તેના જ તરફ ફરી (પાછા) તમે ચાલ્યા જશો(૮૩)”

અરબસ્તાનમા બે મશહુર વૃક્ષો મરુખ અને અફાર થાય છે. જેની ડાળીઓ લીલી અને તાજા પાણીથી ભરેલી હોય છે. તે ડાળીઓ એક બીજા સાથે ધસવાથી તેમાંથી આગ ઉત્પન થાય છે. વળી, દરેક વૃક્ષ સુકાઈ ગયા પછી આગ ઉત્પન કરાવાનું માધ્યમ બને છે. એ જ અર્થમાં આ આયાતમા તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

પર્યાવણને સ્પર્શતી આવી અનેક આયાતો કુરાને શરીફમા ઠેર ઠેર જોવા મળે છે. કારણ કે કુરાને શરીફ એક માત્ર ધાર્મિક ગ્રંથ નથી. પણ જીવન જીવવાની કળા અને જીવન રહસ્યો વ્યક્ત કરતો મહાન ગ્રંથ છે. 

1 comment:

  1. namaste,
    maheboobbhsi,nano hato tyarthi,jyare jayare moko malye aapna lekho ane lakhan vachto rahyo chhu.aapnu lakhan ane vicharo game cche,ane vachu chhu.aej aapni vachchheno nato darshave chhe.lokbharti sanosara thi brs ane gujarat vidyapith thi msw karya pachhi,
    hal banaskatha jillana antariyal gam "khatisitara" ma Gramshilpi tarike chhella 5 varshthi kam karu chhu.aapni anukulta ae maru kam jova aavo aevi apeksha chhe.
    mara kamne vadhare janva mate you tube ma "mustukhan gramshilpi" lakhi joi shaksho.
    with love
    mustukhan gramshilpi
    mo.9879089218

    ReplyDelete