Sunday, April 23, 2017

૧૯૨૬મા પ્રસિદ્ધ થયેલ એક પુસ્તકની વાત : ડૉ. મહેબૂબ દેસાઈ


૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસે રવિવાર હતો. મારા અંગત ગ્રંથાલયમા ૧૯૨૬મા પ્રસિદ્ધ થયેલ મુસ્લીમ મહાત્માઓ પુસ્તક મેં વર્ષોથી સાચવી રાખ્યું છે, તે કાઢ્યું. તેના જર્જિત પુંઠા અને પાના ઉપર એક નજર કરી. તેના પર હાથ ફેરવ્યો. અને ૧૯૨૬ના યુગને સ્પર્શી રહ્યાની મને અનુભૂતિ થઈ. વિવિધ ગ્રંથમાળા ગ્રંથાક ૧૯૩-૧૯૬, વર્ષ ૧૭ મું સંવંત ૧૯૮૩મા પ્રસિદ્ધ થયેલ મુસ્લીમ મહાત્માઓ (૯૨ ચરિત્રો અને ૧૩૦૦ વચનામૃત) પુસ્તકના મુખ પૃષ્ઠ પર પુસ્તકના અનુવાદક તરીકે લખ્યું છે પાઠક જગજીવન કાલિદાસ. તેની નીચે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી સંશોધન અને પ્રકાશન : ભિક્ષુ-અખંડાનંદ, સ્થળ અમદાવાદ અને મુંબઈ-૨ લખ્યું છે. તેની નીચે પુષ્ઠ સંખ્યા ૫૯૨, પ્રત ૧૦૩૦૦ જેઠ ૧૯૮૪. મુલ્ય ૧!!!, સાદુ પૂંઠું ૧!!. અર્થાત પોણા બે રૂપિયા અને દોઢ રૂપિયો લખ્યું છે. ૯૧ વર્ષ પહેલા પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથના મુખ પૃષ્ટની વિગતો જોતા લાગે છે કે એ યુગમાં લોકોની  વાંચન ક્ષમતા આજ કરતા અનેક ગણી હશે. કારણ કે એ યુગમાં પુસ્તકની ૧૦,૩૦૦ નકલો પ્રથમ આવૃત્તિમા પ્રસિદ્ધ થઈ હતી.
પુસ્તકમા ૯૨ મુસ્લિમ મહાત્માઓના પરિચય સાથે તેમના ૧૩૦૦ અમૃત વચનો આપવામાં આવ્યા છે. પુસ્તકના આરંભમાં ભિક્ષુક અખંડાનંદજીનું લગભગ ૧૫ પાનાનું નિવેદન ૯૧ વર્ષ પછી પણ યથાર્થ લાગે છે. તેઓ લખે છે,

આ પુસ્તક ઉપરથી આ વાત સમજાશે કે, મુસલમાન શબ્દથી જરા પણ ભડકવા જેવું નથી. તેમના ધર્મ વિષે આ ગ્રંથ સારો જેવો ખ્યાલ આપી સદભાવ ઉપજાવશે. ખાનપાન તરફ જોઈએ તો હિંદુજાતિમાં પણ સિંધ, પંજાબ, બંગાળ, કાશ્મીર, મદ્રાસ ઈત્યાદી તરફ લાખો-કરોડો માંસાહારીઓ પડ્યા છે, અને એમાં ભેખધારીઓ પણ અનેક હોય છે, ત્યારે આ પુસ્તકમાંના મુસ્લીમ મહાત્માઓ તેવા નથી. તેઓ તો લગભગ બધા જ હિંસાથી અને માંસાહારથી દૂર રહેનારા તથા સંયમ, સચ્ચાઈ, પવિત્રતા, જ્ઞાન, વિરાગ, ભક્તિ, વિશ્વાસ અને સહનશીલતા ઇત્યાદિ દૈવી સંપતિમા શ્રેષ્ઠ હતા.
આ પુસ્તકમાં વર્ણવાયલા મુસ્લીમ મહાત્માઓ કેટલા બધા ઉચ્ચ કોટીના અર્થાત અસાધારણ જ્ઞાન-ચારિત્રવાળા હતા, એનો વધારે ખ્યાલ તો આ પુસ્તક વાંચવા-સાંભળવાથી જ આવી શકશે. ઉચ્ચતા-નીચતાનો આધાર અમુક દેશમા, કોમમાં કે જાતિમાં જન્મવા ઉપર રહેલો હોય, તેના કરતા ગુણ-ધર્મ-સ્વભાવ ઉપરજ વધારે રહેતો આવ્યો છે ને રહેશે. એથીજ ઋષિમુનીઓ બહ્મને જાણે તે બાહ્મણ એવું ઉપદેશી ગયા છે. જો એ કથન સાચુંજ હોય તો આ ગ્રંથમા વર્ણવેલા મુસ્લીમ મહાત્માઓને બ્રાહ્મણ, ઋષિ અથવા મહાત્મા કહેવા, એ કોઈ પણ રીતે ખોટું કે વધારે પડતું નહિ ગણાય.

“હિંદુ અને મુસલમાનોને હજુ પણ વધારે દુર્બળ ને દીનહીન બનાવવા માટે તેમના વચ્ચે એક યા બીજી રીતે વેરઝેર ફેલાવાઈ રહ્યા છે, એવા સમયમાં આ પુસ્તક કાઢવાનો મુખ્ય હેતુ આ પ્રમાણે છે :- હિંદુઓમાંથી મુસ્લીમ ધર્મ વિષેની અવળી સમજણ ઓછી થયા , મુસ્લીમભાઈઓનું ધ્યાન પોતાના સિદ્ધાંતો ને ઉત્તમ આદર્શો તરફ વધારે ખેંચાય અને બંને કોમોના લક્ષ્યમા આ વાત ઉતરતી ચાલે કે, દુનિયાના બધા મુખ્ય ધર્મો પરમાત્મારૂપી એકજ વૃક્ષમાંથી ને એકજ ઉદેશથી ઉદભવેલા અનેક ડાળો જેવા છે, તથા ગમે તેટલા મતભેદો છતાં તે માત્ર વચગાળાનીજ વાતો હોઈને સર્વોપરિ ધ્યેય, હેતુ, સાધન અને સાધના તો એક જેવાજ છે.”

“આ પુસ્તકમાં સમાયેલા મુસ્લીમ કોમના પવિત્ર ઋષિ-મુનીઓના ચરિત્ર અને વચનો હિંદુ, મુસલમાન કે જે કોઈ શુદ્ધભાવનાથી વાંચે-સાંભળે તેમનામાં સદગુણો વધી દુર્ગુણો ઘટે, અને કોમ-કોમ વચ્ચેથી વેરઝેરનો નાશ થઈ સુલેહ-શાંતિ અને માન-મહોબ્બત વધે એવા પ્રકારના છે. આ પ્રમાણે આ પુસ્તક જેમ સાર્વજનિક હિત વધારનારું છે, તેમ જિજ્ઞાસુઓ, હરિજનો, અને ભેખધારી સાધુ-ફકીરોના પણ વ્યક્તિગત જ્ઞાન-ચરિત્રમા ધર્મસાધનામા અને આત્મનિરીક્ષણમા ઉત્તમ પ્રકાશ ને ગતિ-મતિ આપે એવું છે.”

એ યુગમાં મુલ્ય નિષ્ઠ સસ્તું સાહિત્ય પ્રકાશિત કરી સમાજમાં મુકવાનું ઉત્તમ કાર્ય ભિક્ષુક અખંડાનંદજી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિપક રૂપે “મુસ્લીમ મહાત્માઓ” ગ્રંથ રચાયો હતો. તે અંગે પણ ભિક્ષુક અખંડાનંદજી તેમના નિવેદનમા લખે છે,

“ત્રણ અરબી ગ્રંથો ઉપરથી “તજકરતુલ ઔલિયા” ગ્રંથ ફારસી ભાષામાં સારંશ રૂપે રચાયેલો, તેના ઉપરથી બંગાળીમા “તપાસમાળા” ગ્રંથ પણ ભાષાપદ્ધતિ વગેરે કારણોથી ભાવાર્થ રૂપે તથા કેટલોક અંશ છોડી દઈને યોજાયેલો હતો. એ બંગાળી ઉપરથી આ ગુજરાતી ગ્રંથ પણ એવાજ કારણોથી, એવા ધોરણો ને સારંશ તથા ભવાર્થરૂપેજ યોજી શકાયો છે. એ બંગાળીમાંના ૯૬ પૈકી ૯૨ ચરિત્ર આમાં લેવાયા છે, અને બોધ વચનો પણ જે લગભગ એકસરખા જેવા અથવા સમજવામાં વધારે કઠિન જણાય તે છોડી દઈ બાકીના-કુલ ૧૩૦૦ને શુમારે- લેવાયા છે”

જે મૂળ અરબી ગ્રંથ ઉપરથી મૌલાના મોલવી શેખ ફરીદુદ્દીન અત્તાર સાહબે આ ગ્રંથ ફારસીમાં તૈયાર કર્યો હતો. તેમની પ્રસ્તાવના પણ ગ્રંથના આરંભમાં લેવામાં આવી છે. જેના અંગે પણ ભિક્ષુક અખંડાનંદજી લખે છે,

“જેમ આ ગ્રંથમાંના ચરિત્ર ઉચ્ચ કોટીના મહાપુરુષોના છે, તેમ તેના મૂળ લખનાર પણ ઉચ્ચકોટીનાજ હોવા જોઈએ. અરબી ઉપરથી ફારસીમાં ઉતારનાર મૌલાના મોલવી શેખ ફરીદુદ્દીન અત્તાર સાહબે કેવા ઉચ્ચ કોટીના હતા, એ તો એમનો લેખ જ કહી આપશે. એ જે લેખનો સારાંશ આની અગાઉ “આ ગ્રંથની ઉપકરકતા”ના પેટામા અપાયા પછી આ ગ્રંથની છેવટે પરિશિષ્ઠના પેટામા જાણવા જેવી બાબતો અપાઈ છે, તે પ્રત્યે પાઠક કાળજીપૂર્વક વાંચશે-વિચારશે એવી આશા છે.”

આવા મુલ્યવાન ગ્રંથના પુનઃ પ્રકાશન અંગે મેં થોડા વર્ષો પૂર્વે “અખંડ આનંદ”ના સંપાદન કાર્યમાં જોડાયેલા શ્રી પી.કે. લહેરી સાહેબને વાત કરી હતી. એ સિવાય પણ કોઈ ધનપતિ આ ગ્રંથના પુનઃ પ્રકાશનની જવાબદારી ઉપાડવા તૈયાર થશે તો એક અદભુદ ગ્રંથ સમાજમાં ફરીવાર મૂકી શકશે.  



1 comment:

  1. આ "મુસ્લિમ મહાત્માઓ"પુસ્તક બંગાળી પુસ્તક નો અનુવાદ હતો બાદ ભિક્ષુ અખંડ આનંદ જી યે આ પુસ્તક વધું ઉત્તમ બનાવવાના હેતું થી ફરી સ્વામી સેવાનંદજી પાસે થી અનુવાદ કરાવી ફરી પુસ્તક છપાવેલ ,અને એની પ્રતાવનામાં લખેલ કે "ગુજરાત ના ધણા વિદ્વાનો સિધ્ધા અરબી ,ફારસી પરથી ગુજરાતી માં અનુવાદ કરી શકેછે એ મને બાદ માં જાણ થયેલ છે તો હજી કોઇ આવા વિદ્વાન આવો અનુવાદ કરી પુસ્તક છપાવશે તો હજી વધારે સારૂં પુસ્તક બની શકશે."
    આટલો પ્રેમ હતો ભિક્ષુ અખઃડ આનંદ જી ને આવા ઉત્તમ સાહિત્ય તરફ.

    ReplyDelete