Wednesday, September 28, 2016


ગાંધીજીને મળેલ માનપત્રોના  વ્યાખ્યાન પછી પસિદ્ધ થયેલ અખબારી અહેવાલ : દિવ્ય ભાસ્કર તા.૨૯.૯.૨૦૧૬ 




ગાંધીજીને મળેલ માનપત્રો અંગે વ્યાખ્યાન : ૨૮.૯.૨૦૧૬. ગુજરાતી વિશ્વકોશ,અમદવાદ 


Monday, September 19, 2016

જલાલુદ્દીન રૂમી અને તેની રચનો : ડૉ.મહેબૂબ દેસાઈ

 ૩૦ સપ્ટેમ્બર ઈ.સ. ૧૨૦૭ના રોજ અફઘાનિસ્તાનના બલ્ખ શહેરમા જન્મેલ સૂફી સંતોના શહેનશાહ સમા જલાલુદ્દીન રૂમી (૧૨૦૭ -૧૨૭૩) ની ૮૦૯મી જન્મ જયંતિ ગઈ. તેમનું મૂળ નામ જલાલ અદ-દીન મુહમ્મદ બલ્ખી હતું. તેઓ નાના હતા ત્યારે જ તેમનું કુટુંબ મંગોલોના વારંવારના હુમલાઓને કારણે બલ્ખ શહેર છોડીને હજારો માઈલ દૂર આવેલા કોન્યામા જઈને વસ્યું હતું. એ સમયે રૂમીની ઉંમર ત્રીસ વર્ષની હતી. અને ફારસી, અરબી અને તુર્કીશ જેવી અનેક ભાષાઓ અને અનેક વિષયોનો અભ્યાસ કરી ચૂકયા હતા. રૂમીના પિતા પણ વિદ્વાન સૂફી અને લેખક હતા. ૪૦ વર્ષની વયે તેમની મુલાકાત એક રહસ્યમય સૂફી શમ્સ તબરેઝ સાથે થઇ. જેણે તેમની ઝીંદગીમા આમૂલ પરિવર્તન આણ્યું. શમ્સ તબરેઝએ જલાલુદ્દીન રૂમીને ખુદાના દિવ્ય પ્રેમના અદભુત રહસ્યથી પરિચિત કરાવ્યા. અને પછી રૂમી ઉપદેશક, ઇસ્લામિક વિદ્વાન, દર્શનશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના મહાન જ્ઞાત તરીકે દિનપ્રતિદિન પ્રસિદ્ધ થતાં ગયા. અને એટલે જ રૂમીએ પોતના ગુરુ શમ્સ તબરેઝ માટે લખ્યું છે,

रूमी शमस तबरेज़ को
बार बार करते हैं नमन
जिसने शोर करते इस दिल को
दिया है शाश्वत अमन
તેમના સાહિત્યમા સૂફી પરંપરા અને ઇસ્લામનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ખુદા પ્રત્યેનો અપાર પ્રેમ તેમની આધ્યાત્મિક રચનાઓના કેન્દ્રમાં છે.  રૂમીની બે રચનો વિશ્વ પ્રસિદ્ધ છે. “મસનવી અને “દીવાન-એ-શમ્સ તબરેઝ”. છેલ્લા બે દસકાઓમાં તેમની આ બંને રચનોના અનેકવાર અંગ્રેજી અનુવાદો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.  
આવા મહાન સૂફી સંતની રચનોમાંથી થોડા અમૃતબિંદુઓનું આચમન કરીએ.

“મારા હદયમાં એક તારો પ્રકાશિત થયો
 જેના જલવામા સાત સ્વર્ગો સમાઈ ગયા”

“માત્ર ઈશ્વરનો પ્રેમ જ
 તારા હદયને ઠંડક અર્પશે”

“તારા મધની મીઠાશ ચાખી
 ત્યારથી ભંવરાની જેમ ઉડ્યા કરું છું”

“તારી કૃપાની શું વાત કરું
તેણે તો આસમાનના દરવાજા ખોલી નાખ્યા છે”

“તુને મેરે દિલકો કીયા હૈ હલકા
દિખા કર ખુદા કા જલવા”

“અહંકાર એ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો મોટો અને સઘન પડદો છે”

“તું તો ઈબાદત કર રહા હૈ,
 મઝદૂરી કી શર્ત પર, બંદ કર દે
 અલ્લાહ જાનતા હૈ
 એ દુનિયા કૈસે ચલાની હૈ”

“તુમ જિસે ઢૂંઢ રહે હો
 વો તુમ્હે ઢૂંઢ રહા હૈ”

“ઉસકે દ્વાર પર દસ્તક તો દો
વો અપને દરવાજે ખોલ દેગા
“ઉસકે સામને ઝૂક જાઓ
વો તુમ્હે જન્નત તક ઉઠા લેગા
ઉસકે સામને પિઘલ જાઓ
વો તુમ્હે સબ કુછ બના દેગા”

“હર ઇન્સાન કિસી કામ કે લીએ બનાયા ગયા હૈ
 ઉસ કામ કી ખ્વાહીશ ઉસકે દિલમે ડાળી ગઈ હૈ”

“બંધ હો અગર દોસ્ત કા દરવાજા,
તો વાપસ મત ચલે જાના
ક્યો કી વોહી દોસ્ત જાનતા હૈ રહસ્ય વાલે રાસ્તે,
જિસ પર ચલ કર તુમ ઉસ તક પહોંચ સકતે હો”

“તુમ પંખો (પાંખો) કે સાથ જન્મે હો,
 ફિર ભી ઝમીન પર રેન્ગના કયો પસંદ કરતે હો”

“ખુબસુરતી આપણી ચારે બાજુ છે. પણ આપણે તેની માત્ર બગીચાઓમાં શોધીએ છીએ”

“તમારું કાર્ય પ્રેમને શોધવાનું નથી.
 પણ એ વિધ્નોને શોધવાનું છે,
 જે તમે જ તમારા મનમાં પ્રેમના
 વિરોધમાં સ્થાપિત કરી રાખ્યા છે”  

મનુષ્યનો આત્મા જે વર્ષો સુધી
શરીરમાં કેદ છે તે જો તેમાંથી
મુક્ત થઈને પોતાના ઉગમસ્થાન
સાથે ભળી જતો હોય તો એ
આનંદ અને ખુશીનો અવસર નથી શું ?

સંસારિક પ્રેમ સે અપના મુંહ મત મોડ
યહ તુઝે હક તક ઉંચા ઉઠા સકતા હૈ

ખુદા હી સાકી હૈ, ઔર વહી શરાબ હૈ
વહી જાનતા હૈ કિ કૈસા મેરા પ્રેમ હૈ


૧૭ ડીસેમ્બર ૧૨૭૩ના રોજ કોન્યા (તુર્કી)મા અવસાન પામનાર રૂમી ૬૬ વર્ષના જીવનમાં સૂફી પરંપરાનું ઊંચ સાહિત્ય દુનિયાને આપતા ગયા છે. જલાલુદ્દીન રૂમીની કોન્યામા આવેલી મઝાર પર લખ્યું છે,  
“જયારે હું અવસાન પામું ત્યારે મારા મકબરાને ઝમીન પર ન શોધશો, તેને લોકોના હદયમાં શોધશો”
તેમનું આ વાક્ય આજે પણ તેમની રચનાઓને કારણે તેમને જીવંત રાખી રહ્યું છે.

Friday, September 16, 2016

મહાત્મા ગાંધીજીને અપાયેલા માનપત્રો : રાજકીય પૃષ્ઠભૂમિ અને સંકેતો* : ડૉ. મહેબૂબ દેસાઈ


મહાત્મા ગાંધીજી વિશ્વનું એક એવું અદભુદ વ્યક્તિત્વ છે કે જેના આચાર, વિચાર અને વ્યવહાર આજે વિચારધારા બની ગયા છે. એ જ વ્યક્તિત્વને તેમના જીવનકાળ દરમિયાન ત્રણવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવાની ચર્ચા થઇ હતી. એ ઈતિહાસ પણ જાણીતો છે. સૌ પ્રથમ, ૧ ઓક્ટોબર ૧૯૩૮ના રોજ લંડનની ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા સોસાયટીએ પ્રથમવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની નોર્વે સરકારને ભલામણ કરી હતી. એ પછી બીજીવાર ૧૪ માર્ચ ૧૯૪૭ના રોજ ઓસ્લોથી સમાચાર આવ્યા કે શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે ગાંધીજીના નામની ભલામણ થઇ છે.અને ત્રીજીવાર ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ પુનઃ એ જ સમાચાર આવ્યા. એ  સમયે સૌને આશા હતી કે ગાંધીજીને જરૂર નોબેલ પારિતોષિક મળેશે. પણ એ આશા ઠગારી નીવડી. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ન આપવાનું કારણ સમિતિના સભ્યોએ આપતા કહ્યું હતું,

 “ગાંધીજીની અહિંસાની લડત વિશ્વ શાંતિ માટે ન હતી. પણ પોતાના દેશને આઝાદ કરાવવા પુરતી સીમિત હતી”.
આ ઘટના અત્રે યાદ કરવાનો મુખ્ય ઉદેશ નોબેલ પારિતોષિક કરતા પણ વિશેષ એ મહામાનવને વિશ્વ અને ભારતની આમ પ્રજા દ્વારા મળેલ અઢળક માનપત્રો છે. જે નોબેલ પારિતોષિક કરતા અનેક ગણા સવાયા અને મુલ્યવાન છે. ગાંધીજી ૯  જાન્યુઆરી૧૯૧૫ના રોજ મુંબઈના બંદરે ઉતર્યા તેના બે દિવસમાં જ તેમને ત્રણ માનપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ માનપત્ર નેશનલ યુનિયન દ્વારા હીરાબાગમાં મળે સભામાં લોકમાન્ય તિલકના હસ્તે માનપત્ર આપવામાં આવ્યું હતું.  એ પછી ૧૦ જાન્યુઆરીના રોજ સાન્તાક્રુઝમા યોજાયેલ સભામાં તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું. ૧૧ જાન્યુઆરીના રોજ ઘાટકોપરમા વસનજી ખીમજીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પણ માનપત્ર આપવામાં આવ્યું હતું. આમ તેમના આગમના બે દિવસમાં તેમને ત્રણ માનપત્રો એનાયત થયા હતા. આજે એવા થોડા માનપત્રો અંગે વાત કરવી છે.

ગાંધીજીને પદ્ય શૈલીમાં સૌથી લાંબુ અને પ્રેમાળ માનપત્ર આપવાનો યશ દક્ષિણ આફ્રિકાના ભારતીઓને જાય  છે. દક્ષિણ આફ્રીકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધી ગાંધીજીના રોકાણ પછી ૫ જુન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ પોન્ગોલામા ગાંધીજી ભારત આવવા નીકળ્યા ત્યારે, તેમના માનમાં એક ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ અંગે ગાંધીજી લખે છે,

"સન ૧૮૯૬ની સાલમાં મે છ માસને સારું દેશ જવાની પરવાનગી માંગી. મે જોયું કે મારે દક્ષિણ આફ્રિકમાં લાંબી મુદત રહેવું જોઈશે. મારી વકીલાત ઠીક ચાલતી હતી એમ કહેવાય. જાહેર કામમાં મારી હાજરીની જરૂર લોકો જોતા હતા. હું પણ જોતો હતો. તેથી મે દક્ષિણ આફ્રિકામાં કુટુંબ સહીત રહેવાનો નિશ્ચય કર્યો અને તે સારું દેશ જઈ આવવું દુરસ્ત ધાર્યું. વળી, જો દેશ જાઉં તો કઈક જાહેર કામ થઇ શકે એમ જોયું."૪  

એ સંદર્ભે વિદાય સમારંભ ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં આવેલ હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. દાદા અબ્દુલા અર્થાત શેઠ અબ્દુલ્લા જ ગાંધીજી ને દક્ષિણ આફ્રિકા લાવ્યા હતા. એ સમારંભમાં દાદા અબ્દુલાએ ગાંધીજીના કાર્યોની પ્રશંશા કરી હતી. અને તેમને એક પ્રશસ્તિ પત્ર પણ આપ્યું હતું. જે આજે પણ ઇતિહાસ અને સાહિત્યના આદર્શ નમુના રૂપ હયાત છે. ગાંધીજીને આપવામાં આવેલ એ પ્રશસ્તિ પત્ર દક્ષિણ આફ્રિકાની પ્રજાના મહોબ્બતના પ્રતિક સમાન છે. તેમાં ગાંધીજીના સેવાકીય કાર્યની પ્રશંશા અને દક્ષિણ આફ્રિકા તુરત પાછા ફરવાની  વિનંતી કાવ્યાત્મક શૈલીમાં કરવામાં આવી હતી. ૨ જુન ૧૮૯૬ના રોજ લખાયેલ આ પ્રશસ્તિ પત્ર મસ્નવી શૈલીમા લખાયું છે. પ્રશસ્તિ પત્રની ભાષા હિન્દી-ઉર્દુ મિશ્રિત છે. ૧૨૦ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ પ્રશસ્તિ પત્ર આજે પણ માણવા જેવું છે.

કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાં કા ગફ્ફૂર રહીમ        ૧.

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર          ૨.

ઓ ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે    ૩.

હબીબ ઉન કે મુહંમદ રસુલ
સબૂ ને કિયા દિન (મઝહબ) ઉસકા કબુલ      ૪.

કયામત મે હર જન મુનાદી કરે
સફાઅત કા તાજ તેરે સર પે ધરે    ૫.

કુરાં મે લીખ હક ને ખેરુલ અનામ
નબુવત ખતમ ઓર દુરદો સલામ   ૬.

સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ        ૭.

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા
યે બહાદુર અસર હિંદીઓ કુ હુઆ     ૮.

રતન ખાસા હમકો મીલાતુ દિયા
અંધેર મે બેઠે થે રોસન કીયા         ૯.

ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધી કા દિલ હે નરમ    ૧૦

નિગેબાન તેરા ખુદાવિંદ કરીમ,
કે હે પાદશા દો જહાં કા અકીમ       ૧૧.

નસારુ કા યે મુલ્ક નાતાલ હેં
અવલ કાયદા યાંકા બે તાલ હેં        ૧૨.

વો  હિદી કી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે          ૧૩.

મોહનદાસ દિલ મે  વીચાર યે કિયા
ફરચાઇસ કામ અવલ કિયા            ૧૪.

ફરેચાઇસ કે બાબત નસારૂ કા બેર
મી. ગાંધીને તો દીયા ઉનકું તોડ       ૧૫.

ફતેહ સારે કામો મેં તુમ કો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે           ૧૬.

ન દુશ્મન સે બિલકુલ વો દીલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે          ૧૭.

આને સે ઉસ કે  હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં           ૧૮.

આકા ઊન મે કેસી હિમત ધરે
ખુદા ઊન સે તુમકો રખવાલી કરે      ૧૯.

સફાઈ સે ફીર કાંગરેસ હી ખડી
હે તેરે હી દમ સે આગે બડી           ૨૦.

યે મીમ્બર સભી મીલ કે મેહેનત કરે
સદા ઊસ કા  જલુસા ચમકતા રહે     ૨૧.

યે કોગરેસ કે હોને સે ચરચા ચલી
નસારો મે તો પડ ગઈ ખલબલી       ૨૨.

આયા તાર ભાઇ કા જાના ધર
પડી હિંદીઓ કે તો દિલ મેં ફિકર       ૨૩.

મોહનદાસ ગાંધી યે અગ્ર જાઇગે
હિંદીભાઈ યો તો દિલ મે પસતાયેગે      ૨૪.

સુની હિંદીયો ને યે બુરી ખબર
કે જાતા હે નાતાલ સે ગાંધી ઘર         ૨૫.

અગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિંદી ઓ કા ઠીકાના કહાં ?       ૨૬.

હિંદીઓ કી ખાતિર જો મહેનત કરે
તરક્કી ઉમર ઉસકી ખાલીક કરે          ૨૭.

યે કોંગરેસ દુઆ તેરે હક મેં કરે
તેરે ભાઇયો બી ઇસમેં સામીલ રહે        ૨૮.

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુસી સાથ જલદી યહાં પર ફીરો          ૨૯.

ખતમ યહાં સે કરતા હુ મેં મસનવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલ સભી      ૩૦.

ખુદા તનદુરસ્તી  હયાતી બડા
દુવા માંગતા હે "દાઉદ" ખડા              ૩૧.

                                                                 ડરબન તા. ૨  માહે જુન ૧૮૮૬

ડરબનમા ગાંધીજીને ૨ જુન ૧૮૮૬ના રોજ કોંગ્રસ ભવનમાં આપવામાં આવેલ ૩૧ કડીઓના આ મસ્નવી  શૈલીમાં લખાયેલા પ્રશસ્તિ પત્રના રચયતા દાઉદ નામના શાયર છે. જે તેની અંતિમ કડીમાં આપવામાં આવેલ "દાઉદ" તખલ્લુસથી જાણી શકાય છે. તેમાં વ્યક્ત થયેલ માહિતી અને વિચાર ઐતિહાસિક તથ્યો સાથે સુસંગત છે. દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ગાંધીજીનું ઇ.સ. ૧૮૯૬મા આગમન અને ભારતમાં તેમનું રોકાણ એ તથ્યોના આધારો સાંપડે છે. આ પ્રશસ્તિ પત્રની શૈલી અને રજૂઆત વિશિષ્ટ છે. તેમાં રજુ થયેલી દક્ષિણ આફ્રિકાના લોકોની લાગણી ગાંધીજી પ્રત્યેનું આત્મીય જોડાણ વ્યક્ત કરે છે.

૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા. ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો. 
ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવામાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.
૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,
"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"
માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન અચૂક ગમશે.

"મહાશય
ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ." 

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં પણ આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ.પણ આ માનપત્રનું અસ્તિત્વ જ તેની ઐતિહાસિકતા સિદ્ધ કરવા પુરતું છે.

એવું જ એક અન્ય માનપત્ર સહરાનપુરની મોઢ રાજપૂત સભાનું છે. ગાંધીજી ૨૧ થી ૨૪ ઓક્ટોબર ૧૯૨૯ મસુરીમાં રોકાયા હતા. ૨૪ ઓક્ટોબરના રોજ રેજીનલ્ડ રેનાલ્ડસ ગાંધીજને મળવા મસુરી આવ્યા હતા. ત્યાંથી ગાંધીજી ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુર (એ સમયે સંયુક્ત પ્રાંતમાં અને હાલ ઉત્તર પ્રદેશમાં)આવ્યા. સહરાનપુરની મૈઢ રાજપૂત સભાએ ગાંધીજીના આગમનના માનમાં એક ભવ્ય સમાંરભ યોજ્યો હતો. એ સમાંરભમા  ગાંધીજીને હિન્દીમાં માનપત્ર આપવામાં આવ્યું હતું.૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં  સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે
આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,

શ્રી મહાત્માજી,
મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં  ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.
આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે
હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.
આપકી સેવામે
મૈઢ રાજપૂત સભા

ગાંધીજીને મળેલા કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે, જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ જોવા મળતા નથી. પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવના ધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ શ્રી ગણેશાય નમઃલખ્યું છે. જયારે જમણી બાજુ સ્વરાજ જન્મનો હક્ક હૈ  લખ્યું છે.
માનપત્રના નીચે જમણી બાજુ આપેલ વિગતો ઉર્દૂ ભાષામાં છે. પણ તેમાં માત્ર બે બાબતો જ ઉકેલી શકાય છે. દેશ હિતકારક મંડલી  અને સ્થળ શાહપુર વંચાય છે. ગાંધીજીની દીનવારી મુજબ ગાંધીજી શાહપુર નામના સ્થળે ત્રણ વાર ગયા છે.
૧. શાહપુર (બંગાળ) જિ. નોઆખલી, ૧૯૪૭ જાન્યુઆરી ૧૩ થી ૧૪.
૨. શાહપુર (પંજાબ),૧૯૨૦ ફેબ્રુઆરી ૧૩.
૩. શાહપુર (મુંબઈ જિ. બેળગાંવ), ૧૯૨૪ જાન્યુઆરી ૨૮  

ઉપરોકત પ્રથમ મુલાકાત નોઆખલીમાં કોમી તોફાનો થયા ત્યારે ગાંધીજીએ લીધી હતી. એ સમયના ગાંધી સાહિત્યમાં આ પ્રકારના માનપત્રનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એ પછી પંજાબમા આવેલ શાહપુરની મુલાકાત સમયે પણ માનપત્રનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એ મુલાકાતમાં જાહેરસભામા ગાંધીજીએ કહ્યું હતું,
"લોકો મારા પગે પડે છે એ મને ગમતું નથી"૮  
ત્રીજી મુલાકાત મુંબઈના જિ. બેળગાંવના શાહપુરની ગાંધીજીએ લીધી હતી. તે સમયે શાહપુર નગરપાલિકાએ માનપત્ર આપ્યાનો ઉલ્લેખ ગાંધીજીની દીનવારીમા મળે છે.  પણ નગરપાલિકાનું માનપત્ર પ્રથમ તો હસ્તલિખિત ન હોય. અને બીજું, તેમાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાનો ઉલ્લેખ જોવા મળતો નથી.
માનપત્રના લખાણમાં હાથી દરવાજાનો ઉલ્લેખ આવે છે. એ બાબત સૂચવે છે કે જે શાહપુરમા આ માનપત્ર આપવામાં આવ્યું છે, ત્યાં હાથી દરવાજા નામનું સ્થાન મહત્વનું હશે. આ માનપત્રમા વ્યક્ત થયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે માનપત્રની ભાષા અને શબ્દોના ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજી પ્રત્યેની અપાર ભક્તિ વ્યક્ત થાય છે. ભગવાન રામના દર્શનની અભિલાષા જેટલી જ અભિલાષા ગાંધીજીના દર્શનની માનપત્રમાં જોવા મળે છે. ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના પણ માનપત્રમા વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાનો આગ્રહ રાખ્યો હતો. એ વિચાર અંતર્ગત તેમણે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી. તેનું પ્રતિબિંબ આ માનપત્રમા સ્પષ્ટ જોઈ શકાય છે.



હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા લખ્યું છે,

પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે... પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન
પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે  શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ  જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે

ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન  સ્વરૂપને વ્યક્ત કરતુ એક અન્ય માનપત્ર માણવા જેવું છે. ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર  ૧૩ જુન કે નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યાનું માની શકાય. કારણ કે માનપત્રમા કોઈ તારીખ આપવામાં આવેલા નથી. ગાંધીજીએ રાયબરેલી જિલ્લાની બે વાર મુલાકાત લીધી હતી.૧૦  માનપત્રમા  રાયબરેલી જીલ્લાના અરખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ મૈકશ એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ  દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. અરખા ગામમાં ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં ગાંધીજીને વાંચી સંભળાવી, તેમને અર્પણ કરવામાં આવેલઆ માનપત્ર ઉર્દૂ ભાષામા છે. આ માનપત્રની હિન્દી લીપીમાં લખાયેલ ઉર્દૂ શબ્દોના અર્થઘટન વાળી નકલ પણ ઉપલબ્ધ છે. આ માનપત્રની ગઝલના એક એક શબ્દમા ગાંધી વિચારો અને આચાર દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

તસનીફ જાનકી પ્રસાદ મૈકશ  જાઈસી,  હેડ માસ્તર મીડલ સ્કુલ અરખા,
  જિલ્લા રાયબરેલી

 એ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

 "દીન દોસ્તો હો તુમકો મુબારક આજ કા
 આયા તુમ્હારે ઘરમે હૈ હામી૧  સ્વરાજ કા           ૧.

 આતી સદાયે ચરખે સે, ચરખા ચલાઈએ
 રહેરા જો દેખતા હો તુમે ઈબતિહાજ  કા           ૨.

 કોશિશ સે સુત કાંતીએ ઔંર બોઈએ કપાસ
 ઉરીયાંન રહીએ કીજીયે પેશા૪  નસાજ૫  કા         ૩.


 હરકત જો દસ્તો પા કો દો, બરકત ખુદા ભી દે
 હો દાકતર કા કામ ન દરમાં ઈલાજ કા              ૪.

સખ્તી સહો, કળી સહો, પર ઉફ ન તુમ કરો
હોવા* યહી હૈ ગાંધી, વ ગાંધી સમાજ કા                ૫.        

પરવા ન રખું જાનકી, ઔર માલ કી ઝરાં
પરવાના૯    હું મે દિલ સે, વતન કે સિરાજ૧૦   કા        ૬.


યાબિસ૧૧   હૈ, યા કે હત્બ૧૨ હૈ, યા સુએ એઅતેહાલ૧૩      ૭.
બતલાઓ હાલ દોસ્તો કયા હૈ મિઝાઝ૧૪  કા

જલવા ફીગન૧૫ રહેગા, અગર મેહરે ઇત્તેફાક૧૬     
આયેગા થોડે દિન મે, નઝર દિન સ્વરાજ કા            ૮.

ઉસકો તમામ ઝાહીરો બાતિન૧૭ કી ખબર
મૈકશ બ ચશ્મે દિલ૧૮ નહિ,ચશ્મએ ઝજાજ૧૯  કા         ૯.

(૧. હિદાયત કરને વાલા ૨. ખુશી. ૩. નગ્ન ૪. ઉદ્યમ, વ્યવસાય ૫. કપડે કા બુનનેવાલા (વણકર)
૬. ક્રિયા ૭. હાથ ઔર પાવ ૮. ઔસધ  *પ્રથા, ઢંગ, દસ્તુર. ૯. પતંગા ૧૦. મોમબત્તી, દીયા
૧૧. સુખા ૧૨. નમ , ભલા યા બુરા, અચ્છા યા ખરાબ ૧૩ સુયે એતહાલ = સમાન 
૧૪. પ્રકૃતિ  ૧૫. સબકી શોભા દીખાતા રહેગા. ૧૬. મેહરે અત્તફાક = એકતા કા સૂરંગ
૧૭. પ્રકટ ઔર ભીતરી ૧૮. દિલ કી આંસ ૧૯. કાંચ)


ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ભાવના શાયરે માનપત્રમા વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા, તો બીજી બાજુ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી  ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એમ કહેવાય છે કે એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ યથાવત હતો. ચરખા અને અહિંસાની ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

અત્યાર સુધી ગાંધીજીને મળેલ એવા માનપત્રોની આપણે વાત કરી છે, જે તેમને ધરતી પર આપવામાં આવ્યા હતા. પણ આ માનપત્ર ગાંધીજીને એસ.એસ. રાજપુતાના આગબોટના બોર્ડ પર આપવામાં આવ્યું હતું. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા કોંગ્રેસના એક માત્ર પ્રતિનિધિ તરીકે ૨૯ ઓગસ્ટ ૧૯૩૧ના રોજ મુંબઈથી આગબોટ એસ.એસ. રાજપુતાનામાં નીકળ્યા હતા. એ સમયે તેમના પાસપોર્ટમાં એમનો વ્યવસાય "બેરિસ્ટર" જણાવવામાં આવ્યો હતો. આગબોટ રાજપુતાના ૭ સપ્ટેમ્બરના રોજ મિસર (ઈજીપ્ત)ના પોર્ટ સૈયદ પર પહોંચી હતી. એ દિવસે મિસરમાં વસતા ભારતીઓએ  ગાંધીજીને એક માનપત્ર આપ્યું હતું. અંગ્રેજીમાં અપાયેલા એ માનપત્ર કાગળ ઉપર લીલા રંગમાં પ્રિન્ટ કરેલ છે. જયારે માનપત્રની બોર્ડર ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો કેસરી, સફેદ અને લીલાથી સજાવવામાં આવેલા છે. ૭ સપ્ટેમ્બર ૧૯૩૧ના રોજ આપવામાં આવેલ આ માનપત્રના છઠ્ઠા પેરાગ્રાફના કેટલાક શબ્દો કાગળ ફાટી જવાને કારણે ઉપલબ્ધ નથી. પણ તેનો ભાવ વ્યક્ત કરવા પૂરતા તે સમજી શકાય છે. સૌ પ્રથમ અંગ્રેજીમાં અપાયેલ તે માનપત્રનું ગુજરાતી ભાષાંતર તપાસીએ.

"ઈજીપ્ત નિવાસી ભારતીઓ તરફથી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીને એસ.એસ. રાજપુતાના આગબોટ પર, જયારે તેઓ લંડન ખાતે યોજાયેલ ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે.

મહાત્માજી,

ઈજીપ્તમાં રહેતા ભારતીઓ તરફથી અમો આપને સાદર સત્કારીએ છીએ.
આપણી માતૃભૂમિ ભારત સાથે આગવી સંસ્કૃતિ ધરાવતી પ્રાચીન ભૂમિ નાઈલ૧૧ ને પરાપૂર્વથી વેપારીક અને સાંસ્કૃતિક સબંધો રહ્યા છે. જે આજે પણ મજબૂત અને યથાવત છે.
કેરો, એલેકઝાન્ડર અને પોર્ટ સૈયદ જેવા શહેરોના રાજમાર્ગો પર  આવેલા ભારતીય વ્યાપારિક કેન્દ્રોમાં  ભારતમાં બનેલી અને આગબોટ અને રેલવેના આગમન પૂર્વે વહાણ માર્ગે આયાત કરેલી વસ્તીઓ  આજે પણ વેચાય છે.
પ્રાચીન મહંમદ યુનિવર્સિટી અલ હઝાર, કેરો આજે પણ ભારતના જુદા જુદા ભાગો માંથી ઉત્તમ મુસ્લિમ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આકર્ષી રહી છે.
અહિયા જ્યાં પૂર્વ અને પશ્ચિમનું મિલન થાય છે અને આજે જયારે આપ પૂર્વથી પશ્ચિમ તરફ આપના દેશ કાજે એક પવિત્ર કાર્ય માટે જઈ રહ્યા છો ત્યારે અમે આપને શુભેચ્છા પાઠવીએ છીએ.
અમોને જાણ છે કે  જે કાર્ય માટે આપ લંડન જઈ રહ્યા છો તે મુશ્કેલ છે. પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમાં તે આપને સફળતા અર્પે. (આ પેરેગ્રાફના અક્ષરો કાગળ ફાટી જવાને કારણે વંચાતા નથી. પણ તેનો ભાવર્થ સમજાય છે)
આપે અહિંસાની જે પદ્ધતિ  ભારતની આઝાદી માટે પ્રબોધી છે અને અમલમાં મૂકી છે, તે સમગ્ર વિશ્વ માટે જરૂરી લાગે છે. તેમાં આપની સફળતા સમગ્ર વિશ્વના માનવ મુલ્યોના જતન માટે આરંભ બની રહેશે.
અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આપ માટે સમગ્ર રાષ્ટ્ર ઊંડી સહાનુભૂતિ ધરાવે છે. જે ઉદેશનું આપ પ્રતિનિધિત્વ કરો છો તેનું અને આપના વ્યક્તિત્વની  અમે ઊંડી સરાહના વ્યક્ત કરીએ છીએ. અને આપના કાર્યને સંપૂર્ણ આવકારીએ છીએ.
વધુમાં આપ જયારે પાછા ફરો ત્યારે જે પ્રાચીન દેશના વાલીઓ સાથે અમોએ અહિયા રહી ધરોબો કેળવાયો છે તે માણવા અમે સૌ આપને નિમંત્રણ પાઠવીએ છીએ.
સમગ્ર સમુદ્રી યાત્રા દરમિયાન ઈશ્વર આપનું રક્ષણ કરે અને આવનાર કપરા સંજોગોમાં તમારા રાહબર બની રહે.
ભારતમાતા કી જય. મહાત્મા ગાંધી કી જય
વન્દેમાતરમ

 પોર્ટ સૈયદ, તારીખ ૭ સપ્ટેમ્બર ૧૯૩૧    

                


                                                                         યુ.પી માસ્તર
                                                                          (ચેરમેન)
                                                                        એ. કુંદનમલ
                                                                        એન.શામદાસ
                                                                         લોકુસિંગ જે.
                                                                         શામદાસ એચ.


આ માનપત્ર અન્વયે ઉલ્લેખ કરતા મહાદેવભાઈ દેસાઈ લખે છે,
"સવારે ત્રણ વાગ્યે પોર્ટ સૈયદ આવ્યું....કેરાના હિંદી વેપારીઓ કે જે મોટેભાગે સિંધી છે, તેમનું પ્રતિનિધિમંડળ પણ સ્વેઝ  અને પોર્ટ સૈયદમાં ગાંધીજીને મળવા તથા એમને સ્વાગતનું માનપત્ર આપીને વળતી મુસાફરીએ કેરોની મુલાકાતે આવવા ખાસ આગ્રહ કર્યો"૧૨   

ગાંધીજીને આપવામાં આવેલા માનપત્ર અને ભેટ સોંગદનો પ્રતિભાવ આપતા ગાંધીજીએ મિસરવાસી હિંદીઓને કહ્યું હતું,
"માનપત્ર અને કીમતી ભેટો માટે હું મારા દેશબંધુઓનો આભારી છું. હું આશા રાખું છું કે તેઓ વિદેશમાં પોતાની માતૃભૂમિની શ્રેષ્ઠ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતા હશે અને એવી રીતે વર્તતા હશે કે જે દેશમાં તેઓ પોતાની રોજી રળે છે તે દેશને ઉપયોગી થઇ પડે. હું એવી આશા રાખું કે તેઓ સતત હિન્દુસ્તાનના ભૂખે મારતા માણસોને સ્મરણમાં રાખે"૧૩   

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી હતી. આ તમામ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે. જેના પર એક નજર નાખતા માલુમ પડે છે.

પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી
 “શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી
અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી
પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી
ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી
દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી
પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી
પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી
ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી
હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી
નર શ્રેષ્ટ મહાત્માજી
ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી
દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી
શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૯ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.



પાદનોંધ

૧.  દલાલ, ચંદુલાલ ભગુભાઈ, ગાંધીજીની દિનવારી, સાબરમતી સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ-૧૩,
     પૃ. ૪૨૯
૨.  એજન, પૃ. ૫૫૯ 
૩.  એજન, પૃ. ૫૭૩
૪.  ગાંધી, મો. ક., સત્યના પ્રયોગો અથવા આત્મકથા, પૃ. ૧૫૨.
૫.  ઉર્દુ-ફારસી ગદ્ય લેખન શૈલીનો એક પ્રકાર.
૬.  દલાલ, ચંદુલાલ ભગુભાઈ, ગાંધીજીની દીનવારી, પૃષ્ઠ ૨૬૨.
૭.  એજન, પૃ. ૬૬૪.
૮.  એજન , પૃ. ૯૭
૯ . એજન , પૃ. ૧૭૫
૧૦. દલાલ, ચંદુલાલ, ગાંધીજીની દિનવારી, પૃ.૨૫૫ અને ૨૬૫
૧૧. નીલે ઈજીપ્તની પ્રાચીન નદી છે. તે આંતરરાષ્ટ્રીય મોટામાં મોટી નદી છે. જેનું પાણી વિશ્વના અગિયાર દેશોને પ્રાપ્ત
      થાય છે. તેની લંબાઈ ૬૮૫૩ કી.મી. અર્થાત્ ૪૨૫૮ માઈલ છે.
૧૨. મહાદેવભાઈની ડાયરી, પુસ્તક-૧૫, પૃ. ૨૬
૧૩. ગાંધીજીનો અક્ષર દેહ-૪૭, પૃ. ૪૩૨.


--------------------------------------------------------------------------------------------------------

 *   ગુજરાતી વિશ્વ કોશ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તા. ૨૮.૦૯.૨૦૧૬ના રોજ આયોજિત વ્યાખ્યાન