Thursday, October 29, 2015

"ગૂજરાત વિદ્યાપીઠ"ના લોગોમાં હદીસની રિવાયત : ડૉ. મહેબૂબ દેસાઈ

આગામી ૧ ડીસેમ્બરના રોજ ૯૫ વર્ષની ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ૬૨માં પદવીદાન સમારંભમાં ભારતના રાષ્ટ્રપતિ માં.પ્રણવ મુખરજી મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા છે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ના રોજ કરી હતી. એ અસહકાર આંદોલનનો યુગ હતો. પરિણામે દેશના યુવાનોને રાષ્ટ્રીય કેળવણી આપવા અને સ્વાતંત્ર સંગ્રામના સૈનિકોના સંતાનોને રચનાત્મક અને રાષ્ટ્રીય શિક્ષણ આપવાના ઉદેશથી એક સમિતિની રચના કરવામાં આવી. સદરહુ સમિતિએ ગૂજરાત વિદ્યાપીઠનું બંધારણ રચી સં. ૧૯૭૬ના આસો સુદ ૭ તા. ૧૮.૧૦.૧૯૧૮ને દિવસે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. તેના નિયામકો તરીકે એ સમિતિના ચાલુ સભ્યોની નિમણુંક કરવામાં આવી. સમિતિના પ્રમુખ મહાત્મા ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનું પદ સ્વીકાર્યું. અને તેના આજીવન કુલપતિ બની રહ્યા. મહા વિદ્યાલયના પ્રથમ આચાર્ય શ્રી અસુદમલ ટેકચંદ ગિડવાનીજી બન્યા. જેઓ અંગ્રેજીના અધ્યાપક હતા.

ગૂજરાત વિદ્યાપીઠ રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવી હતી. પરિણામે સર્વધર્મ સમભાવનો સિધ્ધાંત તેના પાયામાં હતો અને આજે યથાવત છે. જે ગૂજરાત વિદ્યાપીઠના લોગોનો અભ્યાસ કરતા પણ માલુમ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠના લોગોમાં હિંદુ અને ઇસ્લામ બને ધર્મના શિક્ષણ અને સંસ્કારોને લગતા સુત્રો દ્રશ્યમાન થાય છે. ગૂજરાત વિદ્યાપીઠના લોગોના પ્રથમ વર્તુળમાં ઉપર "સા વિદ્યા યા વિમુક્તયે" "सा विद्या या विमुक्तये"  લખ્યું છે. જે શ્રીવિષ્ણુપુરાણના પ્રથમ સ્કંધના ૧૯માં અધ્યાયના ૪૧માં શ્લોકમાંથી લેવામાં આવેલા છે.એ સપૂર્ણ શ્લોક નીચે મુજબ છે.

"तत्कर्म यन्न बन्धाय सा विद्या या विमुक्तये।
आयासायापरं कर्म विद्यऽन्या शिल्पनैपुणम्॥१-१९-४१॥

" "सा विद्या या विमुक्तये" અર્થાત

"એ વિદ્યા (જ્ઞાન ) છે જે માનવીને બંધનોથી મુક્ત કરે છે."

આખા શ્લોકનો અર્થ થાય છે,

"સાચું કર્મ એ છે જે બંધન નિર્માણ કરતુ નથી, સાચી વિદ્યા એ છે કે જે મુક્તિ અર્પે છે. આ સિવાય જે કર્મ છે તે માત્ર પરિશ્રમ છે. અને આ સિવાય જે વિદ્યા છે તે માત્ર કારીગરી છે."

આ જ વર્તુળની નીચે ગૂજરાત વિદ્યાપીઠ લખેલું છે. તેની બંને બાજુઓમાં જ્ઞાનના પ્રતિક સમી બે દીવડીઓ પ્રકાશમાન છે. બીજા વર્તુળમાં જ્ઞાનનું વટવૃક્ષ ભાસે છે. જેના નીચે કમળ આકારની આકૃતિમાં ગુજરાતીમાં અમદાવાદ લખેલું છે. અમદાવાદ શબ્દની બરાબર ઉપર અર્ધ વર્તુળ આકારે અરબી ભાષામાં હદીસનું અવતરણ આપવામાં આવ્યું છે. હદીસ એટલે મહમદ સાહેબે જે કહ્યું, કર્યું તેની તેમના અનુયાયીઓએ લીધેલ નોંધ. આવી નોધોના સંગ્રહને હદીસ કહે છે. ગૂજરાત વિદ્યાપીઠના લોગોમાં મુકાયેલી તિરમીઝી શરીફ હદીસની રિવાયત (સુવાક્ય-અવતરણ) આ પ્રમાણે છે.

"અલ હિકમતો ઝાલ્લ્તૂલ મોમીન ફહૈસો વજ્દહા અહક્કો બીહા"

અર્થાત

 "હિકમત( જ્ઞાન )મુસ્લિમોની ગૂમ થયેલી ચીજ છે.જ્યાંથી તે મળી આવે ત્યાંથી તેને મેળવી લેવાનો તેમને અધિકાર છે"

આવી જ અન્ય એક હદીસ પણ છે.જેમાં કહ્યું છે,

"જ્ઞાન મેળવવા માટે ચીન જવું પડે તો પણ  જવું જોઈએ"

જ્ઞાન અંગેનો મહંમદ સાહેબનો એક પ્રસંગ પણ હદીસમાં નોંધાયેલો છે. જંગે બદ્રમાં પકડાયેલા કેદીઓને શી સજા કરવી, એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે એ અંગે હઝરત મહંમદ પયગમ્બર સાહેબને પૂછ્યું,

"યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું.?"

આપે ફરમાવ્યું,

"દરેક કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવાડે, એ જ તેમની સજા છે દંડ છે."

મહંમદ સાહેબ ઉપર ઉતરેલી સૌ પ્રથમ વહી અર્થાત ઈશ્વરી આદેશનો પ્રથમ શબ્દ હતો "ઇકરાહ" અર્થાત પઢ, વાંચ. ટુંકમાં ગૂજરાત વિદ્યાપીઠના લોગોમાં મુકવામાં આવેલ તિરમીઝી શરીફની હદીસનું અવતરણ જ્ઞાન માટેની ઇસ્લામની તત્પરતા વ્યક્ત કરે છે.

જો કે ગૂજરાત વિદ્યાપીઠના લોગોમાં મુકાયેલું  તિરમીઝી શરીફ હદીસનું ઉપરોક્ત અવતરણ ગાંધીજીને કોણે સૂચવ્યું હતું, તે અંગે ઇતિહાસમાં કોઈ આધાર સાંપડતા નથી. પણ એક ઇતિહાસના અભ્યાસુ તરીકે અનુમાન કરી શકાય. એ યુગમાં ગાંધીજીની નજીક ઇસ્લામના જ્ઞાતા એક માત્ર ઈમામ બાવઝીર સાહેબ હતા. ગાંધીજી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે તેમની સાથે દક્ષિણ આફ્રિકાથી ઈમામ બાવઝીર સાહેબ પણ પત્ની અને બે દીકરીઓ સાથે અમદાવાદ આવ્યા હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો. તેમાં જ ઈમામસાહેબે પોતાનું મકાન બાંધ્યું હતું. જે પછી "ઈમામ મંઝિલ" કહેવાયું. આજીવન તેઓ તેમાં રહ્યા. એમની પુત્રી અમીનાનાં લગ્ન ધંધુકાના વતની ગુલામરસૂલ કુરેશી સાથે નક્કી થયાં, ત્યારે તેની કંકોતરી ગાંધીજીએ પોતાના નામે લખી હતી. આશ્રમની મિલકતના પ્રથમ ટ્રસ્ટીઓમાં એક ઇમામ સાહેબ હતા. આજે આશ્રમના "સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ" ના પ્રમુખ ટ્રસ્ટી એમના દૌહિત્ર મા. શ્રી હમીદભાઈ  કુરેશી છે.

બાવઝીર સાહેબ પેશ ઈમામ હતા. અર્થાત મસ્જીતમાં નમાઝ પઢાવવાનું કાર્ય કરતા હતા. ઇસ્લામના જ્ઞાતા અને પાંચ વક્તના નમાઝી હતા. કુરાને શરીફ અને હદીસનું તેમને ઊંડું જ્ઞાન હતું. સંભવ છે ઈમામ સાહેબે ગાંધીજીને હદીસનું આ અવતરણ ગુજરાત વિદ્યાપીઠના લોગોમાં મુકવાનું સુચન કર્યું હોય. અથવા ખુદ ગાંધીજીએ તેમની પાસે આવું અવતરણ મુકવાની વાત કરી હોય અને તેના સંદર્ભે ઈમામ સાહબે તેમને હદીસનું આ અવતરણ સૂચવ્યું હોય. મારી આ અવધારણાથી સાબરમતી સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટીઓ મા. શ્રી અમૃતલાલ મોદી અને મા. શ્રી હમીદભાઈ કુરેશી પણ સંમત થાય છે.

Saturday, October 17, 2015

"હઝરત મહંમદ અને ઇસ્લામ" અદભૂત પુસ્તક ; ડૉ. મહેબૂબ દેસાઈ

૨૬ સપ્ટેમ્બર ૧૮૮૬ના રોજ જન્મેલ પંડિત સુંદરલાલ (૧૮૮૬-૧૯૮૧)ના બે મહત્વના પુસ્તકો "ભારત મેં અંગ્રેજી રાજ ૧,," (૧૯૨૬) અને "હઝરત મહંમદ અને ઇસ્લામ" (૧૯૪૦) ને પ્રકાશિત થયે અનુક્રમે  ૮૯ અને ૭૫ વર્ષો થવા આવ્યા છે. આમ છતાં આજે પણ એ બંને પુસ્તકો ઇતિહાસ અને ઇસ્લામના અભ્યાસુઓ માટે અમુલ્ય ગ્રંથો બની રહ્યા છે. અત્રે મારે પંડિત સુંદરલાલના બીજા નાનકડા પુસ્તક "હઝરત મહંમદ અને ઇસ્લામ" વિષે થોડી વાત કરવી છે. ૧૫૦ પૃષ્ઠોના હિન્દીમાં લખાયેલ આ પુસ્તકનું સૌ પ્રથમવાર પ્રકાશન ૧૯૪૦મા થયું હતું. એ પછી ૧૯૪૫માં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું બીડું ગાંધીજીના અંતેવાસી શ્રી કિશોરીલાલ મશરુવાલા એ ઝડપ્યું. તેમણે ગાંધીજીના પરમ મિત્ર અને દક્ષિણ આફ્રિકના સાથી ઈમામ સાહેબ બાવઝીરના આગ્રહથી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. પણ સરકારી વહીવટમાં તે આખી ફાઈલ ખોવાઈ ગઈ. એટલે એ પુસ્તક ગુજરાતીમાં બહાર પાડવાની યોજના ખોરંભે પડી ગઈ. પણ પંડિત સુંદરલાલ કોઈ પણ રીતે શ્રી કિશોરીલાલ મશરુવાલાનું નામ આ પુસ્તક સાથે જોડવા માંગતા હતા. આ અંગે કિશોરીલાલ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે,

"કોઈ બીજા પાસે તે ભાષાંતર કરાવી લેવા નવજીવનને ભલામણ કરી.પણ પંડિત સુંદરલાલે મને જતો કરવા નિષ્ઠુર થઇ ઇનકાર કર્યો. અને મારું નામ પુસ્તક સાથે છપાઈ તેવો આગ્રહ રાખ્યો. પરિણામે જે ભાઈએ પરિશ્રમપૂર્વક આ અનુવાદ તૈયાર કર્યો તે મારે ફરી તપાસી જઈ મારી મહોર મારી આપવાનું માથે આવ્યું."

આમ ૧૯૪૫મા "હઝરત મહંમદ અને ઇસ્લામ" નામક પુસ્તકનું નવજીવન પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશન થયું. આજ દિન સુધી આ પુસ્તાકની લગભગ છ આવૃતિઓ સાથે પચ્ચીસ હજાર નકલો વેચાઈ ચુકી છે. એ જ પુસ્તક આજે પણ પુનઃ મુદ્રણના તબક્કમાં છે. ટૂંક સમયમાં તેની એક વધુ આવૃત્તિ નવજીવન પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થઇ રહી છે. ત્યારે સૌને જાણવાનું મન થાય કે એક ગેર મુસ્લિમ પણ વિદ્વાન ચિંતક પંડિત સુંદરલાલ દ્વારા લખાયેલ આ પુસ્તકમાં એવું તો શું છે જેના કારણે હિંદુ અને મુસ્લિમ બને વાચકો તેની દરેક આવૃત્તિને વધાવી લે છે.


ટૂંકા, માહિતીપ્રદ અને રસમય ૩૨ પ્રકરણોમાં પથરાયેલ આ પુસ્તકમાં હઝરત મહંમદ સાહેબના જીવનને સરળ ભાષામાં આલેખવામાં આવેલ છે. સાથે સાથે ઇસ્લામના સિદ્ધાંતો અને મહંમદ સાહેબના અસરકારક છતાં ટૂંકા અવતરણો અને જીવન પ્રસંગો પણ તેમાં સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. મહંમદ સાહેબ અંગે લખાયેલ આધારભૂત ગ્રંથોના આધારો લઇ મહંમદ સાહેબના કાર્યોને ધારદાર શૈલીમાં રજુ કરવામાં પંડિત સુંદરલાલ સફળ રહ્યા છે. મહંમદ સાહેબના સાથીઓ અંગે પણ આધારભૂત અવતરણો દ્વારા મહંમદ સાહેબ પ્રત્યેની તેમની વફાદારી વ્યક્ત કરવામાં આવી છે. જેમ કે હઝરત અબુ તાલિબ અંગે પંડિત સુંદરલાલ વિલિયમ મૂરેનું અવતરણ ટાંકતા લખે છે,

"પોતે મહંમદ સાહેબનો ધર્મ નહોતા માનતા છતાં અબુ તાલિબ પોતાન ભત્રીજા માટે પોતાના પર તથા પોતાના આખા કુળ પર જે જાતની આફત નોતરી તે પરથી સાબિત થાય છે કે અબુ તાલિબ કેટલા ઉંચ્ચ સ્વભાવના, કેટલા વિશાલ હદયના, કેટલા બહાદુર અને સાચા પુરુષ હતા. આ વસ્તુ પરથી મહંમદ સાહેબના દિલની  સચ્ચાઈની  પાકી ખબર પડે છે. કારણ કે કોઈ સ્વાર્થી દગાખોરને માટે અબુ તાલિબ કદી આવી આફતમાં ન પડત......ઇસ્લામના પયગમ્બરના મિશનમાં આસ્થા નહિ હોવા છતાં અબુ તાલિબે પયગમ્બરનું આમ રક્ષણ કર્યું, તેમાં તેમની બહાદુરી હેરત પમાડનાર છે. અને અબુ તાલિબ જેવા જબરજસ્ત અને સાચા માણસ પર મહંમદ સાહેબ આટલી ઊંડી છાપ પાડી શક્યા એ તેમની ઈમાનદારીની મોટી સાબિતી છે" (પૃષ્ઠ ૪૬,૪૭)

પ્રકરણ ૨૫ મહંમદ સાહેબની છેલ્લી મક્કાની યાત્રા અંગે છે. એ સમયે તેમની ઉંમર ૬૨ વર્ષેની હતી. મક્કામાં હજની વિધિ પૂર્ણ કર્યા પછી અરફાતની ટેકરી પર બેસીને મહંમદ સાહેબે ભરેલ હૃદયે સૌને ઉપદેશ આપતા કહ્યું હતું,

"હે લોકો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો કેમ કે આ વર્ષ પછી હું કદી તમારી પાસે આવી શકીશ કે નહિ તેની મને ખબર નથી....જેમ આ નગર તે જ તમારામાંથી દરેક માટે તન,ધન અને માલમિલકત એક બીજાને માટે પવિત્ર વસ્તુ છે.કોઈ બીજાના જાન કે માલ મિલકતને હાથ ન લગાડી શકે....અલ્લાહે દરેક માણસને માટે તેના બાપદાદાની માલ મિલકતમાંથી તેનો હિસ્સો મુક્કરર કરી દીધો છે. એટલે જે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું કોઈ વસિયતનામું માનવમાં નહીં આવે."

આવા અનેક આધારભૂત ઇસ્લામિક સત્યોથી સભર આ પુસ્તકમાં હદીસમાંથી તારવી મહમંદ સાહેબના કેટલાક સુંદર ઉપદેશો અને પ્રસંગોનું પણ એક નાનકડું પ્રકરણ "ઉપદેશ અને પ્રાર્થનાઓ" આપવામાં આવે છે. જેમાં મોમીન(મુસ્લિમ)ની વ્યાખ્યા આપતા મહંમદ સાહેબ ફરમાવે છે,

"મોમીન તે છે જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપી સૌ નિશ્ચિત રહે છે"

"મોમીન થવા માંગતો હોય તો તારા પાડોશીનું ભલું કર. અને મુસ્લિમ થવા ઈચ્છતો હોય તો જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌ માટે સારું માન અને બહુ હસીશ નહિ, કારણ કે ખરેખર, વધારે હસવાથી હૃદય કઠોર બની જાય છે."(પૃષ્ઠ ૧૩૧).

દુનિયા અને સમાજજીવની કેટલાક મહત્વની બાબતોં અંગે પણ મહંમદ સાહેબના અવતારનો માણવા જેવા છે.

"આ દુનિયાનો મોહ રાખવો એજ બધા પાપોનું મૂળ છે."

"તમે તમારી તરફથી મને છ બાબતોની ખાતરી આપો અને હું તમને સ્વર્ગની ખાતરી આપું છું ૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો ૨. વચન આપો તે પાળો. ૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો ૪. દુરાચારથી બચો ૫. નજર હંમેશા નીચી રાખો ૬. કોઈના પર જબરજસ્તી ન કરો." (પૃષ્ઠ ૧૩૬,૧૩૭).

જેહાદ શબ્દ વિષે દુનિયામાં જેટલી ગેરસમજ છે એટલી બીજા કોઇં શબ્દ વિષે ભાગ્યેજ હશે. આ પુસ્તકમાં તે અંગે પણ સરળ ભાષામાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

"જેહાદ શબ્દ કુરાનમાં જુદી જુદી રીતે સેંકડો વાર આવ્યો છે. પરંતુ આખા પુસ્તકમાં એકે જગ્યાએ એ શબ્દ લડાઈના અર્થમાં નથી આવ્યો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કેવળ 'જૈહદ' એટલે કોશિશ કરવી એવો છે. ધર્મમાં અલ્લાહને નામે કોઈ પણ જાતની કોશિશ, ચેષ્ટા કે અભિક્રમ કરવો, પોતાના જાનમાલથી, ગરીબોની સેવા અને અનાથોનું પાલન કરીને, નમાઝ પઢીને, રોજા રાખીને કે બીજાઓને દાન કરીને પોતાના મન પર કાબુ મેળવીને, પોતાન ગુસ્સાને મારીને, સાચા ધાર્મિક બનવાની કોશિશ કરવી, બીજાને ઉપદેશ આપીને તેમને સાચા ધર્મને રસ્તે વાળવા-આ અર્થોમાં જ જેહાદ શબ્દ કુરાનમાં આવ્યો છે, અને આ જ જેહાદનો દરેક માણસને ઉપદેશ કરવામાં આવ્યો છે."  

આજ થી ૭૫ વર્ષ પહેલા પ્રકશિત થયેલ આ પુસ્તક દરેક મુસ્લિમે વસાવવા જેવું છે.
 

Tuesday, October 13, 2015

હઝરત મહંમદ પયગંબર : આદર્શ શિક્ષક : ડૉ. મહેબૂબ દેસાઈ

દશેરાના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ વિશ્વગ્રામ દ્વારા પાલનપુરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનારમાં "મહંમદ સાહેબ : આદર્શ શિક્ષક" વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. એ સંદર્ભે આદર્શ શિક્ષક અંગે થોડું વાંચવા વિચારવાનું થયું.
પશ્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે એક સુંદર અવતરણ આપેલ છે."Good Teacher Explain, Superior Teacher Demonstrate and Great Teacher Inspired" અર્થાત "સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કેપેલ્લા યુનિવર્સિટી(યુ.એસ.એ)ના શિક્ષણ વિભાગના અધ્યાપિકા ડૉ. મારિયા ઓરલેન્ડો આદર્શ શિક્ષકના મુખ્ય નવ લક્ષણો આપે છે. એ આદર્શ શિક્ષક છે જે,

૧. વિદ્યાર્થીનું સન્માન કરે છે. ૨. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. ૩. માયાળુ અને પ્રેમાળ હોય છે.
૪. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ૫. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. ૬. વિષયમાં તજજ્ઞ હોય છે.
૭. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. ૮. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને ૯. વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.
"શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન માં હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે."

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

"સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ".

આદર્શ શિક્ષકના આ તમામ લક્ષણો મહમદ સાહેબના જીવનમાં ચારેકોર પ્રસરેલા છે.સૌ પ્રથમ આપણે જ્ઞાન અને સમજણના સંદર્ભમાં તપાસીએ તો માલુમ પડશે કે મહંમદ સાહેબમાં ઇસ્લામિક અને જીવન જ્ઞાન અમાપ હતું. જીવનના સારા નરસા તમામ તબક્કોઓમાંથી તેઓ સંયમ અને સ્વસ્થાથી પસાર થયા હતા. પરિણામે ઇસ્લામની વાત અરબસ્તાનના અભણ અને અસંસ્કારી લોકો વચ્ચે તેઓ અત્યંત સંયમથી કરતા. અનેક અપમાનો અને અવગણો છતાં તેમણે કયારેય સ્વસ્થા ગુમાવી ન હતી. એક આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીની અનેક નબળાઈઓને સહન કરીને પણ તેને જ્ઞાન આપવાનું પવિત્ર કાર્ય છોડતો નથી, ચૂકતો નથી. એ જ રીતે કુરાને શરીફની આયાતો એક કુશળ શિક્ષકની જેમ તેઓ નાના મોટા, ગરીબ અમીર, સૌને સમજાવતા. આયાતોનું અર્થઘટન કરતા અને જીવન વ્યવહારમાં તેનું મુલ્ય એક શિક્ષક જેમ તટસ્થતાથી રજુ કરતા હતા. તેઓ કહેતા,

"કુરાને કેવળ તે જ ધર્મ પ્રવર્તકોને સાચા નથી માન્યા, જેમના નામ તેની સામે હતા. પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મારા પહેલા જેટલા રસુલો અને ધર્મ પ્રવર્તકો થઇ ગયા તે સૌને હું સાચા માનું છું અને તેમનામાંથી કોઈ એકને પણ સાચા ન માનવા તેને હું ખુદાની સત્યતાનો ઇનકાર કરવા બરાબર સમજુ છું"

એક શિક્ષક પાસે જ્ઞાન થોડું ઓછું હશે તો સમાજ તે ચલાવી લેશે. પણ તેનું ચારિત્ર કલંકિત હશે તો સમાજ તેને સાંખી નહિ લે. અને એટલે જ વિનોબા ભાવેએ શિક્ષકના ગુણોમાં શીલને સૌ પ્રથમ પ્રાધાન્ય આપેલ છે. મહંમદ સાહેબના ચારિત્રની શુદ્ધતા તો તેમની યુવાનીમાં વારવાર સિદ્ધ થઇ છે.અલ અમીન જેવા ખિતાબો ધરાવતા ખુબસુરત યુવાન મહંમદ સાહેબ પર જયારે તે પયગમ્બર ન હતા ત્યારે અરબસ્તાનની અનેક ખુબ સુરત કન્યાઓ નિકાહ કરવા ઉત્સુક રહેતી, તેમની બાંદી બનવામાં ગર્વ અનુભવતી. છતાં મહંમદ સાહેબ હંમેશા એ સૌ સાથે સ્ત્રી સન્માનને છાજે તેવો જ વ્યવહાર કરતા.તેઓ કહેતા,

"માત્ર એજ ઇન્સાન સ્ત્રીની ઈજ્જત કરે છે જે ઈજ્જત અને માનની મહત્તા સમજે છે, એ જ ઇન્સાન સ્ત્રીઓનું અપમાન કરે છે જે ખુદ ઝલીલ અને બદબખ્ત હોય છે"

રવિશંકર મહારાજે શિક્ષકના કર્મ પર વિશેષ ભાર મુકાયો છે. શિક્ષણ એ વ્યવસાય નથી. સેવા છે. અને સેવાના ક્ષેત્રમાં કાર્ય કરનાર દરેક વ્યક્તિના સારા નરસા તમામ કાર્યો પર આખા સમાજની નજરો ટાંપીને બેઠી હોય છે. મહંમદ સાહેબનું જીવન એ દ્રષ્ટિએ આદર્શ હતું. માનવતા,સત્ય અને તટસ્થા તેમના જીવનમાં ભારોભાર વણાયેલા હતા.ધર્મના પ્રચારમાં કે માનવમૂલ્યોની જાળવણીમાં તેમણે કયારેય બળજબરી કે અન્યાય કર્યો ન હતો. એકવાર એક શખ્સ મહંમદ સાહેબ પાસે આવ્યો અને કહ્યું,

"આ માણસે મારું જાન અને માલનું ખુબ નુકસાન કર્યું છે. મને તેનો બદલો લેવાની પરવાનગી આપો."

મહંમદ સાહેબ એટલું જ બોલ્યા,

"તેને માફ કરી દો"

આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને રચનાત્મક કે હકારાત્મક અભિગમ તરફ પ્રેરે છે. ચિંતક વિલિયમ વોર્ડ પણ શિક્ષકના પ્રેરણા આપવાના લક્ષણને તેની મહાનતા તરીકે વર્ણવતા કહ્યું છે,"મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

મહંમદ સાહેબે સમાજને સદમાર્ગે દોરવામાં આખું જીવન ખર્ચી નાખ્યું હતું. તેમના પ્રયાસોને કારણે જ અરબસ્તાનની જંગલી પ્રજામાં ઇસ્લામના સંસ્કારોનું સિંચન થયું હતું. એ જ રીતે પૂ. રવિશંકર મહારાજે

સાચા શિક્ષકના ત્રણ ગુણોમાં ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. અહિયા શિક્ષક માટે ભક્તિનો અર્થ ઇશ્વરની આરાધના કે ભક્તિ નથી. પણ શૈક્ષણિક કાર્ય પ્રત્યે ભક્તિપૂર્ણ લગાવ થાય છે. શિક્ષણ એ સેવા છે. અને તેનો અમલ ઈશ્વરની ભક્તિ જેટલોજ પવિત્ર અને ઈમાનદારી પૂર્વક કરવા તરફ રવિશંકર મહારાજ આંગળી ચીંધે છે. મહંમદ સાહેબ પોતાના સમગ્ર જીવન દરમિયાન માત્ર ઇસ્લામનો પ્રચાર જ ભક્તિ પૂર્ણ રીતે નથી કર્યો, પણ સમાજ શિક્ષણનું અમુલ્ય કાર્ય પણ કર્યું છે. અરબસ્તાનમાં તાજી જન્મેલી દીકરીને જીવતી દાટી દેવાનો રીવાજ પ્રચલિત હતો. સમાજને એવા કુરીવાજોમાંથી બહાર કાઢવાનું કાર્ય પણ મહંમદ સાહેબે ઘણી સબ્ર અને સંયમથી કર્યું હતું.

આવા તો અનેક આદર્શ શિક્ષકના લક્ષણોથી મહંમદ સાહેબનું સમગ્ર જીવન છલોછલ હતું. એ અર્થમાં જોઈં તો મહંમદ સાહેબ આદર્શ શિક્ષક કરતા પણ ઘણા આગળ હતા. જેમણે માત્ર વિદ્યાર્થી કરતા સમાજ ઘડતર દ્વારા એક નવા ઇસ્લામિક મુલ્યો સભર સમાજનું સર્જન કર્યું હતું.   

 
 

આદર્શ શિક્ષકની ઓળખ : ડૉ. મહેબૂબ દેસાઈ

દશેરાના દિવસે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ વિશ્વગ્રામ દ્વારા પાલનપુરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ શાખાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે આયોજિત સેમિનારમાં "મહંમદ સાહેબ : આદર્શ શિક્ષક" વિષયક વ્યાખ્યાન આપવાની તક સાંપડી. એ સંદર્ભે આદર્શ શિક્ષક અંગે થોડું વાંચવા વિચારવાનું થયું. આપણી પ્રાચીન પરંપરામાં જીવનનો પ્રથમ તબક્કો બ્રહ્મચર્ય આશ્રમનો છે. જેમાં યુવાન એક થી પચ્ચીસ વર્ષ ગુરુના આશ્રમમાં રહે છે અને શિક્ષણ મેળવે છે. પણ એ શિક્ષણ અનોપચારિક છે. તેમાં કોઈ અભ્યાસક્રમ નથી. તેમાં કોઈ પદ્ધતિ નથી. એ પુસ્તકીયું નથી. ત્યાં કોઈ પણ પ્રકારની પરીક્ષાને સ્થાન નથી. આમાં છતાં જયારે વિદ્યાર્થી આશ્રમમાંથી બહાર નીકળે છે, ત્યારે જીવન શિક્ષણ લઈને નીકળે છે. એ શિક્ષણ તેને જીવનમાં ઉપયોગી થઇ પડે છે. અને એટલે જ એ યુગમાં શિક્ષણ લીધા પછી ગુરુ દક્ષિણામાં અંગુઠો માંગે તો પણ શિષ્ય ગુરુને તે હોંશે હોંશે આપી દે છે. જયારે આજે શિષ્ય ગુરુને અંગુઠો આપવા કરતા દેખાડવાનું વધુ પસંદ કરે છે. તેના મૂળમાં આપણી માત્ર માહિતી આપતી શિક્ષણ પ્રથા છે. આજે આપણે વિદ્યાર્થીઓને જીવન જ્ઞાન નથી આપતા. માત્ર માહિતી આપીએ છીએ. જે ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થી ગમે ત્યાંથી આસાનીથી મેળવી શકે છે. પરિણામે આજનું શિક્ષણ માહિતી અને પરીક્ષા લક્ષી બની ગયું છે. જેમાં ગુરુ શિષ્ય વચ્ચેનો આદર ભાવ રહ્યો નથી.  
 
આમાં છતાં સાવ નિરાશાજનક સ્થિતિ નથી. આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ફોન આશીર્વાદ માટે આવે છે. આજે પણ વિદ્યાર્થીઓ ગુરુને પગે લગતા ગર્વ અનુભવે છે. તેન મૂળમાં આપનાં સમાજમાં આદર્શ શિક્ષક તરીકેના જળવાઈ રહેલા કેટલાક સંસ્કારો છે. પશ્ચિમના એક ચિંતક વિલિયમ વોર્ડએ આદર્શ શિક્ષક માટે એક સુંદર અવતરણ આપેલ છે."Good Teacher Explain, Superior Teacher Demonstrate and Great Teacher Inspired" અર્થાત "સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે."

આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કેપેલ્લા યુનિવર્સિટી(યુ.એસ.એ)ના શિક્ષણ વિભાગના અધ્યાપિકા ડૉ. મારિયા ઓરલેન્ડો આદર્શ શિક્ષકના મુખ્ય નવ લક્ષણો આપે છે. એ આદર્શ શિક્ષક છે જે,

૧. વિદ્યાર્થીનું સન્માન કરે છે. ૨. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. ૩. માયાળુ અને પ્રેમાળ હોય છે.
૪. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ૫. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. ૬. વિષયમાં તજજ્ઞ હોય છે.
૭. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. ૮. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને ૯. વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

કરાંચીમાંથી પ્રસિદ્ધ થતા દૈનિક અખબાર "ડોન"માં થોડા મહિનાઓ પૂર્વે આદર્શ શિક્ષકના ગુણો અંગે ચર્ચા ચાલી હતી. એ ચર્ચામાં આદર્શ શિક્ષકના આઠ લક્ષણો પર સૌએ ભાર મુકાયો હતો. એ મુજબ આદર્શ શિક્ષક  ૧. વિષયનો જાણકાર ૨. આનંદી સ્વભાવ ૩. સ્પષ્ટ અને સત્ય વક્તા ૪. વ્યક્તિગત શિક્ષણ માટે તૈયાર  ૫. જીવન ઉપયોગી શિક્ષણ આપનાર ૬. નિર્વ્યસની, રહેણીકરણી અને પહેરવેશમાં સ્વચ્છ અને સંયમી ૭. આચાર અને વિચારમાં સમાનતા ૮. વિદ્યાર્થીના ગમા અણગમા પ્રત્યે સજાગ હોવો જોઈએ.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.

"શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન માં હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે."

પંડિત સુખલાલજી કહે છે,

"સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે."

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

"સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ".

જે. કૃષ્ણમૂર્તિ કહે છે.

"મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થીનો નથી, પણ શિક્ષકનો છે. જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. જો શિક્ષક પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ? કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ?"

એમર્સન કહે છે,

"જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે."

શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ એ પૂરતું નથી. એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, શ્રમ કરવો જોઈએ. જ્ઞાન ઉપરાંત કર્મ અનિવાર્ય છે. વર્ગમાં જતા પહેલા તેની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. ત્રીજી જોઈએ છે ભક્તિ. ભક્તિ એ રાજમાર્ગ છે. તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

કદાચ આજના શિક્ષકમાં ઉપરોક્ત તમામ ગુનો ન  હોય. પણ સમાજ અને વિદ્યાર્થીના ઘડતર માટે કેટલાક  અનિવાર્ય લક્ષણો જરૂરી છે. જેમ કે,

શિક્ષકોનું ચારિત્ર્ય અણી શુદ્ધ હોવું જોઈએ. એ પોતાના વિષયમાં ઓછો પ્રવીણ હશે તો ચાલશે. પણ અશુદ્ધ ચારિત્ર કદાપી ચલાવી ન લેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન કરે તે જરૂરી છે. એવા શિક્ષક સાથે વિદ્યાર્થીની નિકટતા વધે છે.

શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ રીતે પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે. વળી, દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય સતત શોધતા રહેવા જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના પ્રશ્નોથી મુંઝાય છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની તક આપે છે.તેની જ્ઞાન મેળવવાની ઉત્સુકતાને જવાબો આપી ઠારે છે, તેનું સમાધાન કરે છે.
આવા થોડા વિચારોને પણ જો શિક્ષક પોતાના વ્યક્તિત્વમાં અને વર્ગખંડમાં સાકાર કરેશે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આત્મીય અને માન પ્રેરક નાતો પુનઃ સ્થપાતા વાર નહી લાગે.