Saturday, December 5, 2015

ઈદ-એ-મિલાદ : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અનુયાયીઓએ મહંમદ પયગમ્બર (...)સાહેબનો જન્મદિવસ ઈદ-એ-મિલાદ અર્થાત બારે વફાત ૨૪ ડીસેમ્બરના રોજ ઉજવ્યો. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(...)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ..૫૭૧. મહંમદ સાહેબ(...)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(...)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (...)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી.

યુવાનીમાં "અલ અમીન" અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (...)સાહેબ એક સારા વેપારી હતા. હઝરત ખદીજાના વેપારી જહાજો લઈને વિદેશમાં ઈમાનદારીથી વેપાર કરી સારો નફો રળીને લાવ્યા હતા. તેમનામાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક "લાઈફ ઓફ મહંમદ" માં લખે છે,

"મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાન્તમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શો, એ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવા, ચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉતારાની ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી."

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટો, યાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા. યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,

"તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતા, જગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા."

યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક "મહંમદ એન્ડ મહંમદઇઝમ"માં લખે છે,

"મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન), એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો"

ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક "પ્રીચિંગ ઓફ ઇસ્લામ" માં લખે છે,

"મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું"  

આમ મહંમદ પયગમ્બર (...)સાહેબ અંગે વિશ્વના અનેક વિદ્વાનોએ પોતાના શબ્દો દ્વારા તેમના વિષે અઢળક અભિપ્રયો પાઠવ્યા છે. પણ ભાવનગરમાં વસતા નાનકડા શાયર મન્સુર કુરેશીએ મહંમદ પયગમ્બર (...)સાહેબની શાનમાં રચેલ એક ગઝલ આપની સાથે શેર કરી વિરમીશ.


"મશહુર છે જગતમાં શરાફત હુઝુરની

 રબને હતી પસંદ ઈબાદત હુઝુરની

 
કેવા હતા અબુબક્ર, ઉમર ઉસ્માન ને અલી !

જેણે કદી ના છોડી ઈબાદત હુઝુરની


જન્નત થશે વાજિબ, મળે જો અગર તને

અલ્લાહના ફઝલથી શફાઅત હુઝુરની


છે કેવો આલી મરતબો અલ્લાહથી મળ્યો !

જિબ્રીઈલ લઈને આવે ઇજાઝત હુઝુરની


આખિરમાં આવીને થયા ઈમામુલ અંબિયા,

છે કેટલી બુલંદ ઈમામત હુઝુરની


કાકાનો છે કાતિલ છતાં માફી મળે અહીં !

એવી હતી અનોખી અદાલત હુઝુરની


મનસુર ! દુવા એજ સદા માંગતો રહે,

મુજને ય મળી જાય શફાઅત હુઝુરની"


માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(...)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે. તેમાના જન્મ દિવસે નિમિત્તે આપણે સૌ તેમના આદર્શ જીવનમાથી થોડા વચનો પણ જીવન અને સમાજમાં અપનાવીશું તો સમાજ અને જીવનમાં વ્યાપેલી વિસમતાઓને અવશ્ય નિવારી શકીશું.
 

No comments:

Post a Comment