Saturday, December 27, 2014

મહંમદ સાહેબના મુબારક પત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો (ઈ.સ.૫૭૧ થી ૬૩૨)૧૪૪૪મો  જન્મદિવસ ઉજવશે. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખ સોમવાર,અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧ના રોજ થયો હતો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા હતા. આવા કેટલાક પત્રો અને તેના અસલ ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરવાની હમણાં તક સાંપડી. આ ઐતિહાસિક પત્રોની ભાષા અને ઇસ્લામના સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની મહમદ સાહેબની વિનંતી ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવાર કે બળના જોરે થયાની આપણી સામાન્ય માન્યતાને ખોટી પાડે છે. જેમાં રોમના રાજા હરક્યુલસ, ઈજીપ્તના રાજા, બેહરીનના ગવર્નર મુનબીર, પર્શિયના બાદશાહ ખુશરો પરવેઝ અને હબશાના બાદશાહ નજાશીને મહંમદ સાહેબે ઇસ્લામ આવવા નિમંત્રણ આપતા લખેલા અસલ પત્રોના ફોટા આ લેખ સાથે મુકયા છે.

હબશ એ અરબી શબ્દ છે. તેને એ સમયે હબશહ તરીકે પણ ઓળખવામા આવતો હતો. અરબની દક્ષિણે પૂર્વ આફ્રિકા પાસે આવેલા આ દેશને ઇથોપિયા કે એબીસીનીયા તરીકે પણ ઓળખવામા આવે છે. મહંમદ સાહેબને પયગંબરી મળ્યાના સમયમાં ત્યાં અસ-હમદ બિન અબરાજ નામક બાદશાહ શાસન કરતો હતો. એ સમયે ત્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. ઇ.સ. ૬૧૪મા મક્કામાં કુરેશીઓના અત્યાચારથી હિજરત કરીને મુસલમાનોને હબશ અર્થાત એબીસીનીયા જવાનો આદેશ મહંમદ સાહેબે આપ્યો હતો.

ત્યારે મહંમદ સાહેબે હિજરત કરી જતી બીજી ટુકડીના સરદારને હબશાના શાસક નજાશીના નામે એક પત્ર આપ્યો હતો. એ પત્રનું લખાણ મહંમદ સાહેબના એ સમયના ઉદાર વ્યવહારને સુંદર રીતે વ્યકત કરે છે. એ પત્રમાં લખ્યું હતું,

"હું તે અલ્લાહની પ્રસંશા કરું, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. જે સમગ્ર વિશ્વનો માલિક છે,પાક છે,રક્ષણદાતા છે, સલામતી અર્પનાર છે. હું ઈકરાર કરું છું કે ઈસા બિન મરિયમ અલ્લાહની રૂહ અને તેનો કલિમા છે. ઈસા મરિયમની કુખેથી જન્મ્યા છે. અલ્લાહે તેમને પોતાની રૂહ અને પોતાની શક્તિથી એવી રીતે પેદા કર્યા જેવી રીતે તેમણે આદમને પોતાના હાથે પેદા કર્યા હતા."  

ખ્રિસ્તી ધર્મની આટલી પ્રશંશા પછી ઇસ્લામની દાવત આપતા મહંમદ સાહેબ લખે છે,

"હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા નિમંત્રણ પાઠવું છું.જેનો કોઈ ભાગીદાર નથી. અલ્લાહ ઉપર ઈમાન લઇ આવો. અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો. મારી પયગંબરી સ્વીકારો. કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું" 

આ પછી ઈ.સ. ૬૨૯મા મહંમદ સાહેબ એક પત્ર હબશાના શાસકને લખ્યો હતો. જે પત્ર લઈને હઝરત અમ્ર બિન ઉમૈયહ દમરી હબશા ગયા હતા. મહંમદ સાહેબનો પત્ર હબશાના બાદશાહને આપ્યા પછી તેમણે અસરકારક પ્રવચન કરતા કહ્યું હતું,

"હે આલીજાહ બાદશાહ,મારું કર્તવ્ય હક-સત્ય વાતની તબલીગ (પ્રચાર) કરવાનું છે. અને આપનું  કર્તવ્ય સત્યને સાંભળવાનું છે. અમને આપના ઉપર એટલો વિશ્વાસ અને સંતોષ છે કે અમે આપને અમારી જમાતથી અલગ નથી ગણતા.અમારી અને આપની વચ્ચે ઇન્જીલ કિતાબ સૌથી મોટી સાક્ષી છે.માટે રહેમતના પયગંબર મહંમદ (સ.અ.વ.)ની પેરવી સ્વીકારવી એ સુરક્ષા, બરકત, માન અને પ્રતિષ્ઠાનો ભંડાર પ્રાપ્ત કરવા સમાન છે"

 
આ જ રીતે મહંમદ સાહેબે રોમન શહેનશાહના દરબારમાં પણ પોતાના એક રાજદુત હઝરત દિહયર બિન ખુલૈફહ કલ્બી પોતાના પત્ર સાથે મોકલ્યો હતો. કલ્બી અંત્યત ખુબસુરત અને વિદ્વાન હતો. એ સમયે રોમના સામ્રાજયનું પાટનગર કુસ્તુન-તુનીયા નામક શહેર હતું. અને તેના બાદશાહનું નામ કૈસર હતું. તે હરક્યુલસ તરીકે પણ જાણીતો હતો. હરક્યુલસ ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. ઈશ્વરીય ગ્રંથો તવરાત અને ઈંજીલનો પ્રખર અભ્યાસુ હતો. મહંમદ સાહેબે પોતાના રાજદુત કલ્બી સાથે રોમના બાદશાહને મોકલેલ પત્રનું વાંચન ખુલ્લા દરબારમાં કરતા પહેલા મહંમદ સાહેબના રાજદુત કલ્બીએ ખુલ્લા દરબારમાં વક્તવ્ય આપતા કહ્યું હતું,

 
"હે બાદશાહ, અલ્લાહના જે પયગમ્બરે મને આપણા દરબારમાં પોતાનો એલચી બનાવીને મોકલ્યો છે, તેઓ જગતના તમામ ઈન્સાનોમાં સૌથી શ્રેષ્ટ અને ઉંચો દરજ્જો ધરાવે છે. અને જે અલ્લાહે તેમને પોતાના પયગમ્બર બનાવ્યા છે તે સારાએ આલમમા સૌથી મહાન અને શ્રેષ્ટ છે. માટે જે કઈ હું વિનંતી રૂપે કહું તેને ધ્યાનથી, શાંતચિત્તે, દિલથી સંભાળશો. અને સંપૂર્ણ વિચારીને તેનો ઉત્તર પાઠવશો. જો પુરા ધ્યાનથી મારી વાતો સંભાળવામાં નહિ આવે તો આ મુબારક પત્રના હાર્દ સુધી પહોંચવું આપણા માટે શકય નહિ બને" 

આટલી ભૂમિકા પછી એલચી કલ્બીએ મહંમદ સાહેબનો પત્ર ખુલ્લા દરબારમાં વાંચ્યો. જેમાં લખ્યું હતું,

"આ પત્ર મહંમદ જે અલ્લાહનો બંદો અને તેનો રસુલ છે, તેના તરફથી રોમના રઈસે આઝમ હીરકલસના નામે મોકલવામાં આવી રહ્યો છે.

આ પત્ર દ્વારા હું આપને ઇસ્લામની દાવત આપું છુ. મુસ્લિમ બની ખુદાની સલામતી મેળવી લો. અલ્લાહ તમને બમણો બદલો આપશે. અલ્લાહની પનાહ નહિ સ્વીકારો તો તમારા દેશવાસીઓના તમે ગુનેગાર બનશો. હે અહેલે કિતાબ, આવો એ તરફ જે અમારી અને તમારી વચ્ચે સરખી છે. આપને અલ્લાહ સિવાય કોઈની બંદગી નહિ કરીએ. આપણામાંથી કોઈ અલ્લાહને છોડીને એકબીજાને પોતાના પાલનહાર નહિ બનાવીએ"

પત્ર પૂર્ણ થતા સમગ્ર દરબારમાં એક પળ માટે સમશાનવત શાંતિ પ્રસરી ગઈ. એ શાંતિનો ભંગ કરતા રોમના બાદશાહ હરક્યુલસે તેના દરબારીઓને કહ્યું,

"તમારી ઈચ્છા હોય કે દેશ ખુદાની રહેમતથી સલામત રહે અને તમે સફળતા મેળવતા રહો તો, અરબના આ નબીની પેરવી ગ્રહણ કરવી એ જ એક માત્ર નેકીનું કામ છે"

હઝરત મહંમદ સાહેબે રોમના નામદાર પોપના નામે પણ એક પત્ર ઇસ્લામી તબલીગ (પ્રચાર)નો પત્ર પાઠવ્યો હતો. એ સમયના નામદાર પોપનું નામ દુગાતિર હતું. એ પત્રમાં મહંમદ સાહેબે લખ્યું હતું,

"સલામ એવા શખ્સ પર જે એક અલ્લાહ પર ઈમાન લઇ આવ્યો છે. લખવાનું કે હું એવા અકીદા પર છું કે ઇસા બિન મરયમ અલ્લાહની રૂહ અને તેના અકીદા અને કલિમા છે. અલ્લાહે તેમને પાક દામન કુંવારી મરયમ તરફ મોકલાવી દીધેલા છે...... અમે ઈમાન અને અકીદાના મામલામાં અલ્લાહના તમામ પયગમ્બરોને માનીએ છીએ. માનવાની બાબતમાં અમે કોઈ પયગમ્બર વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. આ કારણ છે કે અમે "મુસલમાન" એટલે માની લેનાર અથવા અલ્લાહના હુકમ સામે માથું ઝુકાવી દેનાર છીએ"

આ પત્રના જવાબમાં પોપે પોતના અનુયયીઓને સંબોધીને કહ્યું હતું કે,

"હે મસીહ બિન મરિયમના અનુયાયીઓ ! મારી પાસે અરબના પયગમ્બર અહમદનો કાગળ આવ્યો છે. હું ગવાહી આપું છું કે એક અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી. અને અહમદ અલ્લાહના બંદા અને તેના સાચા રસુલ છે. અરબના આ નબી અહમદે આપણને અલ્લાહના દીન-એ-હક્ક કબૂલ કરી લેવાનું આમંત્રણ આપ્યું છે."

એ જ રીતે હઝરત મહંમદ પયગમ્બર સાહેબે મિસરના બાદશાહ મુકવ-કિસને એક પત્ર લખ્યો હતો. એ પત્ર લઈને સહાબી હઝરત હાતીમ બિન અબી બલ (ર.અ) મિસરા ગયા હતા. એ પત્રમાં દુવા સલામ પછી લખ્યું હતું,

"હું તમને ઇસ્લામ કબૂલ કરી લેવા આમંત્રણ આપું છું. ઇસ્લામ સ્વીકારી આપ સલામતી અને શાંતિ મેળવશો.અલ્લાહ તેનો તમને બમણો અજર આપશે"

આવા અનેક પત્રો મહંમદ સાહેબે દેશ વિદેશના શાશકોને લખ્યા હતા. જેના આધારો ઇસ્લામિક ગ્રંથોમાં આજે પણ મોજુદ છે. પણ આ તમામ પત્રોના ક્યાય ધમકી કે બળજબરીનો ભાસ થતો નથી. એ જ ઇસ્લામની સાથી તબલીગ (પ્રચાર)નું આગવું લક્ષણ છે. 
--------------------------------------------------------------------------------------

૧. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસી ઝીંદગી, પૃ. ૧૦૬ અને તારીખે તબરી, જિલ્દ -૩, પૃ. ૭૮૯

૨. ઇબ્ને હિશામી, સીરતુન-નબી,(અનુવાદક હથુરાની અહમદ મુહમદ), ભાગ-૪, પૃ.૧૪૮૪

૩. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસતે-ખરીજહ, પૃ. ૩૫.

૪. તારીખે તબરી, જીલ્લ્દ-૩, પૃ. ૮૮

૫. મુહમ્મદ હમીદુલ્લાહ (ડૉ.), રસુલે અકરમ કી સિયાસી ઝીંદગી, પૃ. ૧૩૭. અને ઝાદુલ-મઆદ જીલ્લ્દ-૩,પૃ. ૬૧

                                                                                                 

 

No comments:

Post a Comment