Friday, October 10, 2014

સૌને નુતનવર્ષાભિનંદન : ડો. મહેબૂબ દેસાઈ

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. નવા વર્ષના આગમનની ખુશીનો ઉત્સવ છે. જીવનના દુખો, ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે. ખુશીને માણવાનો પ્રસંગ છે. દરેક ધર્મમાં ખુશીને ઊજવવાના અવસરો મુક્કરર થયા છે. હિંદુ ધર્મમાં દિવાળી અને બેસતું વર્ષ છે. તો ઇસ્લામમાં ઈદ છે.
ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ છે. પારસીમાં પતેતી છે. બધા ધર્મોના નામો , રીવાજો, પહેરવેશો અને ઉજવણીના માર્ગો ભલે અલગ અલગ હોઈ, પણ બધાનો ઉદેશ એક છે. અને તે છે ખુશી, આનંદ. જેમ કે બેસતા વર્ષના  દિવસે સૌ સાથે મળીને વડીલોના આશીર્વાદ લે છે. ભાવતા ભોજન આરોગે છે. અને ખુશીને માણી શકાય તેટલી પેટ ભરીને માણે છે. ઇદમાં પણ એજ પરંપરાને મુસ્લિમો અનુસરે છે. વડીલોને સલામ કરે છે. તેમની દુવાની અપેક્ષા રાખે છે. નવા વસ્ત્રો ધારણ કરી એક બીજા સ્વજનોને મળવા જાય છે. અને ખીર ખુરમા દ્વારા જીવનમાં મીઠાશ ભરે છે.  ધાર્મિક પ્રસંગોને માણવાની રીતમાં દરેક ધર્મનો ઉદેશ મહોબ્બત એખલાસને પ્રસરાવવાનો છે. મહંમદ સાહેબ (...) અંગે કહે છે,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ-પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો "
ખુશીની ઉજવણી માત્ર ભાવતા ભોજન, નવા વસ્ત્રો અને આનંદ પુરતી સીમિત હોઈ શકે. સદ વિચારોના આચારથી ખુશી બેવડાય છે. તમારી ખુશીમાં નાના-મોટા ગરીબ-અમીર સૌને સામેલ કરવાથી તમારી ખુશી વિસ્તરે છે. મને બરાબર યાદ છે મારા એક મુસ્લિમ મિત્ર તેમના ત્યાં જયારે પણ કોઈ નિકાહ કે સગાઇ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે સૌ પ્રથમ તેઓ ગરીબો માટે એક અલગ ભોજનની ડેગ તૈયાર કરાવે છે. પ્રથમ ગરીબોને ભોજન કરાવે છે. પછી જ મહેમાનોનું ભોજનનો આરંભાય થાય છે. એજ રીતે ખુશીના પ્રસંગે તમારા સ્વજનો સાથેના નાના મોટા મનદુઃખો નિવારવા એ પણ સદ વિચારના પ્રસાર પ્રચાર બરાબર છે. તમારી કુટેવો વ્યસનોને હંમેશ માટે છોડવાનો નિર્ણય પણ તમારા સ્વજનો માટે અત્યંત ખુશીનો અવસર બની રહે છે. મારા એક પિતરાઈ બંધુ તેમના તમાકુના વ્યસન ને કારણે આજે છેલ્લા સ્ટેજ પર છે. હમણા જ ગયેલી ઈદના દિવસે તેમના  ઘરના માહોલ અંગે જાણ્યું ત્યારે હું ખુબ ગમગીન થઇ ગયો. ઈદની ખુશી ઘરના વડીલના વ્યસનને કારણે ગમમા પલટાઈ ગઈ હતી. ટુંકમાં સદવિચારોનું આચરણ અને આચમન પણ ઉત્સવની ઉજવણીનો હાર્દ છે.
કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,
"અલબત્ત જે લોકો અલ્લાહ પર ઈમાન લાવ્યા અને સદકાર્યોને વળગી રહ્યા તેમને   જન્નતના બાગોમાં પ્રવેશ મળશે, જ્યાં મીઠા પાણીને નહેરો વહેતી હશે.તેમને રેશમના વસ્ત્રો અને કીમતી આભૂષણો પહેરાવવામાં આવશે. અને અલ્લાહના માર્ગ (સદમાર્ગે) પર ચાલવા માટે તેમની પ્રશંશા કરવામાં આવશે"
હિંદુ ધર્મમાં પણ દરેક તહેવારોની ઉજવણી પાછળ સામજિક અને ધાર્મિક ઉદેશો રહેલા છે. દશેરામાં રાવણનું દહન એ સત્ય અને અસત્યની લડાઈમાં સત્યના વિજયનો સંદેશ આપે છે. એમાં પણ સદ્ વિચારોના વહનનો ઉપદેશ રહેલો છે. અને અટેલે જ દીપાવલીની ઉજવણી પ્રસંગે ખલીલ જિબ્રાનના કેટલાક સદવિચારને વાચા આપતા અવતરણોનું આચમન કરીએ.
" મારા દુશ્મને મને કહ્યું ," તારા દુશ્મનને પ્રેમ કર' અને મેં તેનું

અનુસરણ કર્યું. અને મેં મારી જાતને ચાહી"

"ભક્તિ માટે અલગતા અને એકાંત અનિવાર્ય નથી"

"શક્તિ અને સહનશીલતા બે ભાગીદાર છે."

"મારી અજ્ઞાનતાનું કારણ હું સમજુ તો હું સંત થઈ જાઉં"

"વાક્છટા અટેલે કાન પર જીભની લુચ્ચાઈ,પણ વક્તૃત્વ એટલે હ્રદયનું આત્મા સાથે મિલન"

" વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પૂર્ણ સંવાદિતતા છે, પરંતુ વિજ્ઞાન અને વિશ્વાસ

વચ્ચે પૂર્ણ વિસંવાદ છે."

"મજબુત મનુષ્ય એકાંતમાં વિકસે છે,જયારે નિર્બળ ખરી પડે છે."

"ખરો ધાર્મિક માણસ એક ધર્મને વળગી રહેતો નથી, અને જે એક ધર્મને વળગી રહે

છે તે ધાર્મિક નથી"

"કંજૂસ સિવાયના બધા તરફ ઉદાર થવું કરકસર"

"ધર્મગુરુ ભોળા ભક્તોના હાડકા અને કબરો પર પોતાના અરમાનો પુરા કરે છે."

"પ્રેમ એક એવું પુષ્પ છે,જે ઋતુ સિવાય ખીલે છે."

"ધરતી શ્વાસ લે છે

 આપણે જીવીએ છીએ

  શ્વાસ રોકે છે

 આપણે ઢળી પડીએ છીએ"

" જેણે વ્યથા જોઈ નથી, તે આનંદને પામી સકતો નથી"
"દયાળુ બનશો,
કારણ કે દયા ગુનાખોર કેદીયો પ્રત્યે દર્શાવાય છે, જયારે ન્યાય ,અને માત્ર ન્યાય નિર્દોષ વ્યક્તિની માંગ છે"
"અજ્ઞાન સાથીની મિત્રતા દારૂડિયા સામે દલીલ કરવા જેટલીજ મૂર્ખતાપૂર્ણ છે"
ખલીલ જિબ્રાનના વચનોને નવા વર્ષના આનંદ સાથે વાગોળીએ.કારણ કે

દીપાવલી દીવાના પ્રકાશનો તહેવાર છે. પ્રકાશ એ જ્ઞાન, નવ વિચાર નું પ્રતિક છે. નવા વર્ષની ખુશી- ઉત્સવનું પ્રતિક છે. જીવનના દુખો, ગમોને ભૂલી નવા પ્રકાશમાં વિહરવાનો અવસર છે. ખુશીને માણવાનો પ્રસંગ છે.  

લેખના આરંભમાં મહંમદ સાહેબ (સ.અ.વ.)ના તહેવારોની ઉજવણી અંગેના  વિધાનને  દોહરાવું છું,
"તહેવારોમાં હળો મળો, હસી-મજાક કરો. ખાઓ -પીઓ, અને ખુશી મનાવો. ખુશીને મનભરીને બરાબર ઉજવો "
મહંમદ સાહેબની આ હિદાયત સાથે સૌ વાચક મિત્રોને નુતન વર્ષાભિનંદન.

No comments:

Post a Comment