Sunday, August 31, 2014

લવ "જિહાદ" : ડૉ. મહેબૂબ દેસાઈ

હમણાં લવ જિહાદ શબ્દ ઘણો વિવાદમાં છે. પ્રેમ લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવાની ક્રિયા એટલે લવ જિહાદ. એવી ખોટી વ્યાખ્યા સાથે આ શબ્દનો પ્રયોગ થઇ રહ્યો છે. હિંદુ મુસ્લિમ નિકાહ કે લગ્ન એ કોઈ આજના યુગની કે નવી વાત નથી, ભારતના ઇતિહાસમાં આવા સફળ લગ્નોની પરંપરા જોવા મળે છે. અનીલ વિશ્વાસ-મહેરુન્નીસા,સુનીલદત્ત-નરગીસ, શર્મિલા ટેગોર-પટોડી નવાબ, સલીમ ખાન-હેલન, પંકજ કપૂર-નીલિમા આઝમી, સચિન પાયલોટ-સારા અબ્દુલ્લાહ, અરુણ ગવલી-આયશા, આદિત્ય પંચોલી-ઝરીના વહાબ, મનીષ તિવારી-નાઝનીન સિફા, મનોજ પ્રભાકર-ફહરીન, સુનીલ શેટ્ટી-માના કાદરી, મુખ્તાર અહેમદ નદવી-સીમા, શાહ નવાઝ હુસેન-રેણું, નાના ચુડાસમા-મુનીરા જસદણવાળા,સીતારામ યેચુરી-સીમા ચિસ્તી, વિદુ-ફરાહ નાઝ, અતુલ અગ્નિહોત્રી-સલમાન ખાનની બહેન અલવીરા ખાન, રીતિક રોશન-સુઝાન ખાન, સુબ્રમણ્યમ સ્વામીની પુત્રી સુહાસીની-નદીમ. આ લીસ્ટ ઘણું મોટું છે. આ તો માત્ર થોડા ઉદાહરણો છે. ઉપરોક્ત તમામ લગ્નોને નજીકથી જોનાર કે તેનો અભ્યાસ કરનાર કોઈ પણ બુદ્ધિજીવી વિના સંકોચે એક પળનો પણ વિચાર કર્યા વગર કહી શકશે કે તેમાં ક્યાય ધર્મ પરિવર્તનની વાત સુદ્ધા જોવા મળતી નથી. વળી, આ લગ્નોમા ધર્મ પરિવર્તનનો કોઈ વિવાદ આજ દિન સુધી જાણવામાં કે માણવામા આવ્યો નથી. અખબારોમા તેની કોઈ ચર્ચા પણ આવી નથી. મારા એક આઈપીએસ અધિકારી મિત્ર સૈયદ સાહેબે વર્ષો પૂર્વે એક ક્ષત્રિય કન્યા સાથે લગ્ન કર્યાં હતા. બંનેના આગ્રહથી હું વર્ષો પહેલા તેમને ત્યાં ભોજન માટે ગયો હતો. ત્યારે મેં એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર જોયું હતું. જયારે બીજા રૂમમાં સૈયદ સાહેબ નિયમિત નમાઝ અદા કરતા હતા. ભારતની બિનસાંપ્રદાયિકતાના આ જ ઉત્તમ ઉદાહરણો છે. આ જ ભારતીય સંસ્કૃતિની મોટી વિશિષ્ટતા છે. વિવિધતામાં એકતાનું આજ સાચું દર્શન છે. જો કે આ માત્ર હિંદુ મુસ્લિમ લગ્નો જ છે. તેમાં એકથી વધુ પત્ની કરવાના ઉદેશથી ઇસ્લામના ચાર પત્નીના સિધ્ધાંતનો સ્વીકાર કરી થયેલા ધર્મેન્દ્ર-હેમામાલીની જેવા લગ્નોનો ઉલ્લેખ નથી. એવા લગ્નો અંગે પણ એક અલગથી લેખ થઇ શકે. પણ અત્રે તેની ચર્ચા અસ્થાને છે.
દેશ અને વિદેશમાં આજકાલ ઇસ્લામ અને તેના અનુયાયીઓના સારા દિવસો નથી ચાલતા. એટલે ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને પણ નરસા કરી રજુ કરવની હોડ ચાલી છે. ઇસ્લામનો એક શબ્દ તો આજે ખાસ્સો બદનામ થયો છે. તે છે "જિહાદ". સૌ પ્રથમ તેને આતંકવાદ સાથે જોડી તેના સાચા અર્થને મૂળમાંથી વિસારે પાડી દઇ, તેની ગેરસમજમાં વૃદ્ધિ કરવામાં આવેલ છે. હવે એજ શબ્દ સાથે લવને જોડી ધર્મ પરિવર્તનના નામે તેને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જિહાદ શબ્દનો અનર્થ કરી અનેક કહેવાતા મુસ્લિમ કે ગેર મુસ્લિમ વ્યક્તિઓ પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સર કરવમાં મશગુલ છે. એવા સમયે એ શબ્દ પાછળની આધ્યાત્મિક ભાવના સમજવાનો કે સમજાવવાનો કોઈ આલીમ કે કોઈ મૌલવી એ કયારેય પ્રયાસ કર્યો નથી.
એકવાર હઝરત મહંમદ સાહેબ તેમના સહાબીઓ (અનુયાયીઓ) સાથે બેઠા હતા. એક યુવાન પ્રવેશ્યો અને અરજ કરતા તેણે કહ્યું,
"હુજુર, મારી પત્ની કર્કશ છે. ઝગડાળુ છે. હું તેને તલાક આપવા ઈચ્છું છું. આપ મને ઇજાજત આપો"
મહંમદ સાહેબે થોડીવાર મૌન રહી ફરમાવ્યું.
"જા તારી પત્ની સાથે નિભાવ કરવાની જિહાદ કર"
ઇસ્લામના ધર્મ ગ્રંથ કુરાને શરીફમાં અવારનવાર જિહાદ શબ્દનો પ્રયોગ થયો છે. પણ જિહાદ સાથે ક્યાય સશસ્ત્ર લડાઈ કે યુદ્ધ એવો અર્થ કરવામાં આવ્યો નથી. એ માટે તો કુરાને શરીફમાં "કિતાલ" શબ્દનો પ્રયોગ થયો છે. એ અર્થમાં "જિહાદ" એટલે
"જે વસ્તુ અયોગ્ય કે અનૈતિક હોય તેને પોતાના પુરા આત્માબળથી બદલવાની કે સુધારવાની ક્રિયા કે પ્રયાસ"
કુરાને શરીફમાં એક જગ્યાએ "જિહાદ-એ-ફી સબીલ્લાહ"શબ્દનો પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે ખુદના માર્ગે પ્રયાસ કરવો. સૂફી સંતો ખુદાની પ્રપ્તિ માટે જે આધ્યાત્મિક મહેનત કરે છે તે પણ જિહાદ છે. સામાન્ય માનવી પોતાની કુટેવો,વ્યસનો કે અનૈતિક કાર્યોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરે છે તે પણ જિહાદ છે. ઇસ્લામના આરંભકાળમાં કુરેશોના જુલ્મો અને અત્યાચારોથી પોતાની જાતને, પોતાના ધર્મને બચાવવા જે મુસ્લીમો મક્કા છોડી ઇથોપિયા ચાલ્યા ગયા. તેમની આ હિજરતને "ખુદાના માર્ગે જિહાદ" તરીકે ઓળખવામાં આવેલ છે. કુરાને શરીફમાં કેટલીક જગ્યાયે મહંમદ સાહેબને પણ કહેવામાં આવ્યું છે,
"જે લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ થવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી. તેમની સામે જિહાદ ચાલુ રાખો. એ સૌને નિષ્ઠાપૂર્વક સમજાવવાના પ્રયાસો ચાલુ રાખો"
આ સંદર્ભમા કહી શકાય કે ઈસ્લામમાં નૈતિક મુલ્યોના જતનમાં થતા દરેક પ્રયાસો "જિહાદ" છે. કુરાને શરીફ તે વિચારને વધુ સ્પષ્ટ કરતા કહે છે,
"મુસ્લિમોમાંથી એ લોકો જેઓ કોઈ લાચારી વિના ઘરમાં બેસી રહે છે. અને જેઓ અલ્લાહના માર્ગમા જાનમાલ વડે જિહાદ કરે છે. એ બંનેનો દરજ્જો સમાન નથી. અલ્લાહના માર્ગ પર ચાલવા સમજાવનાર મુસ્લિમમોનો દરજ્જો ઉંચો છે. જો કે દરેક માટે અલ્લાહે ભલાઈનું વચન આપ્યું છે"
કુરાને શરીફમા લડાઈ, ઝગડા અંગે ખાસ કહ્યું છે,
"લાતુ ફસીદુ" અર્થાત ફસાદ ન કર. મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"સૌથી મોટી જિહાદ કઈ ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ સંયમ મેળવવાની છે. એટલે કે પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત મેળવવી એ સૌથી મોટી જિહાદ છે"
ટૂંકમાં, જિહાદ સાથે આતંકવાદ કે લવને જોડવાની ક્રિયા જ મૂળભૂત રીતે અસત્ય છે. ઇસ્લામમાં ધર્મના મામલામાં કયારેક બળજબરી ન કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"લા ઇકરા ફીદ્દીન" અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ.

Monday, August 25, 2014

વિવેકાનંદજી અને ગુજરાત : ડૉ. મહેબૂબ દેસાઈ


 
હાલમાં જ ગુજરાતની એક યુનિવર્સિટીની અનુસ્નાતક અભ્યાસક્રમ સમિતિના સભ્ય તરીકે નવા અભ્યાસક્રમોની ચર્ચા સમયે મારે કહેવું પડ્યું,

"સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણાવતા ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન અને સમાજકાર્ય જેવા વિષયોમાં આપણે કયારેય વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય, સર સૈયદ અહેમદ જેવા આધ્યાત્મિક સમાજ સુધારકોના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે અધ્યાત્મિક વિચારો અને આચારોને અભ્યાસક્રમનો ભાગ કયારેય બનાવ્યા નથી. પરિણામે આપણા અભ્યાસક્રમો માહિતીપ્રદ ભલે લાગે પણ જીવંત અને રસમય નથી હોતા. કારણકે તેમાં સસ્કારોની સુગંધ અને પ્રેરણાનું બળ નથી હોતુ"

આ સત્યનો સૌ એ સ્વીકાર કર્યો. કારણે આપણે માત્ર ઉપરોક્ત મહાનુભાવોની જન્મ કે પુણ્ય તીથી નિમિતે તેમને યાદ કરીએ છીએ અને તેમના આચાર વિચારોની ઔપચારિક વાતો કરી, બીજા દિવસે આપણે આપણા જીવન કાર્યોમાં ગૂંથાઈ જઈએ છીએ. પરિણામે આપણા યુવાનોના ચારિત્ર ઘડતરમાં આપણે એ મહાનુભાવોના જીવનના સાચા અર્કને કયારેય વણી શકતા નથી.

જેમ કે સ્વામી વિવેકાનંદજી(૧૮૬૩-૧૯૦૨)નું જીવન આપણા યુવાનો માટે આજે પણ આદર્શ રૂપ છે. ૩૯ વર્ષ ૫ માસ અને ૨૪ દિવસનું ટૂંકું આયુષ્ય ભોગવનાર વિવેકાનંદજીના ઉપદેશો અને સામાજિક આધ્યાત્મિક વિચારો આપણા અભ્યાસક્રમોનો ભાગ કયારેય બન્યા નથી. આજે ધર્મના વિચારોની આપણી સંકુચિતતા વિસ્તરતી જાય  છે. ત્યારે સ્વામીજીના ધર્મ વિચારો સહેજે યાદ આવી જાય છે. તેઓ કહેતા,

"જુના ધર્મોએ કહ્યું છે, જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે, જેને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે"

"જગતના ધર્મો નિષ્પ્રાણ મશ્કરી જેવા થઇ પડ્યા છે. જગતને જરુર છે ચારિત્રની, જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિસ્વાર્થથી પરિપૂર્ણ હોય એવા મનુષ્યની. એવો પરમ પ્રત્યેક શબ્દ વજ્ર જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે"

"નિસ્વાર્થતા વધુ લાભાદાયક છે. પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી"

સ્વામી વિવેકાનંદજીના આવા બેધડક વિચારો તેમના વ્યક્તિત્વની સાચી ઓળખ છે. એ જ સ્વામીજીની ગુજરાતની દીર્ઘકાલીન મુલાકાત પણ અત્યંત મહત્વની છે. કારણ કે ગુજરાતની ધરા પર શિકાગોની વિશ્વ પરિષદમાં જવાનો વિચાર વિવેકાનંદજીને જન્મ્યો હતો, વિકસ્યો હતો.  

.. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી.લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા.વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચાલવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

 "મને લાગે છે કે આપ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ.ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક પાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો"

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

 " દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા.તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શકતી ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા"

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

 "જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું"

આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા રોકી શકી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિવેકાનંદજી વિશ્વધર્મ પરિષદમા કરેલ સંબોધન અમેરિકાના ભાઈઓ અને બહેનોવિશ્વના ઇતિહાસમાં અમર બની ગયું. પછી પોતાના વ્યાખ્યાનમાં વિવેકાનંદજીએ હિંદુ ધર્મની સર્વધર્મ સમભાવની નીતિને વ્યક્ત કરતા કહ્યું હતું,

મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુ અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું નહિ સર્વ ધર્મો સત્ય છે, એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ

વિશ્વને આવા વિચારો આપી ભારત અને હિંદુ ધર્મનો વિશ્વમાં જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદને સો સો સલામ.