Thursday, March 6, 2014

ઇસ્લામમા સ્ત્રીનું સ્થાન : ડૉ. મહેબૂબ દેસાઈ




૮ માર્ચના રોજ વિશ્વમાં આંતર રાષ્ટ્રીય નારી દિવસ ઉજવાયો. વિશ્વના સર્જનમાં નારીનો ફાળો પુરુષ સમોવડીયો છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ મુજબ આદમ અને હવા જન્નત (સ્વર્ગ)માં રહેતા હતા. ખુબ ખુશહાલ હતા. બધા સુખો-સગવડતાઓ તેમને ઉપલબ્ધ હતા. માત્ર એક ફળ  ખાવાની તેમને મનાઈ હતી. એક દિવસ શૈતાને તેમને એ ફળ ખાવા ઉશ્કેરાયા. અને આદમ અને હવાને તે ફળ ખાવાની ઈચ્છા જન્મી. તેમણે તે ફળનો સ્વાદ ચાખ્યો. અને બંને વચ્ચેનું શરીર પરનું આવરણ અલિપ્ત થઇ ગયું. અને બંને વચ્ચે સહવાસ થયો.પરિણામે ખુદાએ તેમને જન્નતમાંથી કાઢી મુક્યા. અને બંને પૃથ્વી પર આવ્યા. એ જ આદમ અને હવા દ્વારા માનવ સમાજનું સર્જન થયું. એ કથા મુજબ આપણે બધા આદમ અને હવાના સંતાનો છીએ
 

આમ માનવ સમાજનું સર્જન થયું. પણ સ્ત્રી અને પુરુષની તુલનામાં માનવ સમાજે હંમેશા પુરુષને વિશેષ પ્રધાન્ય આપ્યું છે. છેક આદિ કાળથી માનવ સમાજ પુરુષ પ્રધાન રહ્યો છે. દરેક ધર્મ, સમાજ અને રાષ્ટ્રમાં સ્ત્રી કરતા પુરુષનું સ્થાન ઊંચું રહ્યું છે. પરિણામે પુત્રીનો જન્મ ભારણ અને પુત્રનો જન્મ ખુશી બની રહ્યા. ભારતમાં એક સમયે દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. ઇસ્લામના નવસર્જન પૂર્વે અરબસ્તાનમા પણ દીકરીને દાટવાની પ્રથા પ્રચલિત હતી. દીકરીનો જન્મ થાય એટલે પિતા તાજી જન્મેલી પુત્રીને લઈને રણમાં એકલો ચાલી નિકળે. વસ્તીથી દૂર એકાંત રણમાં પહોંચી, રેતીમાં એક ખાડો કરે. અને તાજી જન્મેલી બાળકીને તપતી રેતીમાં દાટીને ચુપચાપ આવતો રહે. આરંભના દિવસોમાં મહંમદ સાહેબ આ જોઈ વ્યથિત થઇ જતાં. અને લોકોને સમજાવતા પણ અરબસ્તાનની જંગલી પ્રજા મહંમદ સાહેબ (સ.અ.વ)ની વાત ન માનતી. મહંમદ સાહેબ પયગમ્બર (સ.અ.વ)થયા પછી ધીમે ધીમે તેઓ પ્રજાને સમજાવવામાં સફળ રહ્યા. મહંમદ સાહેબ (સ.અ.વ.) ઉપર ઉતરતી વહી અર્થાત ઈશ્વરીય આદેશમા પણ સ્ત્રીઓના હક્કો અને તેમના પ્રત્યેના વ્યવહાર અંગે ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં આદેશો આપવામાં આવતા. પરિણામે મહંમદ સાહેબ પોતાના ઉપદેશોમાં તે બાબતો ખાસ ભારપૂર્વક પ્રજાને સમજાવતા. કુરાને શરીફમા સ્ત્રીઓ અંગેની અનેક આયાતો જોવા મળે છે. જેમાં સ્ત્રીના નિકાહ, વારસા હક્ક, સ્ત્રીની સાક્ષી, સ્ત્રી સાથેનો વ્યવહાર, તલાક જેવી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
પડદાપ્રથા કે બહુપત્નીત્વના ઇસ્લામના રિવાજોને કારણે એમ માની લેવું કે સ્ત્રી સ્વાતંત્ર્યને ઇસ્લામમાં સ્થાન નથી, તે બિલકુલ યોગ્ય નથી. આ બંને સામાજિક રિવાજોના મૂળમાં એ સમયની અરબસ્તાનની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જવાબદાર હતી. એ યુગમાં અવારનવાર યુધ્ધો થતા. યુધ્ધોમાં અનેક સિપાયો શહીદ થતા. પરિણામે તેમની વિધવાઓના નિભાવ અને રક્ષણનો પ્રશ્ન ઉદભવતો. એટલે મહંમદ સાહેબે એક વ્યક્તિ વધુમાં વધુ ચાર નિકાહ કરી શકે તેવો ખુદાનો આદેશ લોકોને સંભળાવ્યો. હિંદુ સમાજ પણ બહુપત્નીત્વના રિવાજથી મુક્ત નથી. રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી. હિંદુ ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાત લગ્નો કર્યાના આધારો મળે છે. મહંમદ સાહેબે પણ અગીયાર નિકાહ કર્યાનું ઇસ્લામિક ઇતિહાસમાં નોંધયેલ છે. ટૂંકમાં બહુપત્નીત્વ પ્રથા જે તે યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાત હતી. તેને હિંદુ કે ઇસ્લામ ધર્મ સાથે જોડવાની જરૂર નથી.

ઇસ્લામમાં સ્ત્રી સ્વાંત્ર્યના સિદ્ધાંતને સ્વીકારવામાં આવેલ છે. એ માત્ર એક આદર્શ નહીં, પણ વાસ્તવિક અમલીકરણનો વિષય રહ્યો છે. સ્ત્રીઓના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,

"હું તમારામાંથી કોઇ પણ વ્યક્તિના કામને વ્યર્થ નથી ગણતો. ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી, તમે પરસ્પર એકમેકનાં અંગો છો."
ઇંગ્લેન્ડમાં છેક સન ૧૮૭૧માં સ્ત્રીઓને મિલકતમાં વારસાહક આપવાનું સ્વીકારવામાં આવ્યું હતું. જયારે ઇસ્લામે તો સ્ત્રીને આજથી ચૌદસો વર્ષ પહેલાં વારસાહક આપ્યો છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

"પુરુષ અને સ્ત્રી બંનેને મા-બાપ કે નજીકના સંબંધી મૂકી ગયા હોય તે સંપત્તિમાં અધિકાર છે."

સંપત્તિમાં અધિકારની જેમ જ લગ્ન કે શાદીમાં પણ સ્ત્રીની સંમતિને ઇસ્લામે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. એક હદીસમાં ફરમાવવામાં આવ્યું છે,

"કોઇ વિધવાનાં લગ્ન તેની સલાહસૂચન વિના ન કરવામાં આવે અને કોઇ કુંવારીનાં લગ્ન તેની સંમતિ વગર ન કરો."

લગ્ન કે શાદી અંગે ઇસ્લામે સ્ત્રીની સંમતિને એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે જો નિકાહ પછી પણ સ્ત્રી એમ કહે કે તેની શાદી સંમતિ વગર કરવામાં આવી છે, તો નિકાહ તૂટી જાય છે. આટલેથી ન અટકતાં દુવા કે પ્રાર્થનામાં પણ સ્ત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
જેમ કે,

જમીઇલ મુઅમિનીના વલ મુઅમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત. અર્થાત્,

મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ ઇમાનદાર પુરુષો અને ઇમાનદાર સ્ત્રીઓ માટે ક્ષમાયાચના.
ઇસ્લામમાં સ્ત્રીની ચારિત્ર્યશુદ્ધિ જેટલું જ મહત્ત્વ પુરુષના ચારિત્ર્યને આપવામાં આવ્યું છે. એટલે કે પુરુષના વ્યાભિચારી સંબંધોને ઇસ્લામે ધિક્કારેલ છે. એ દ્દષ્ટિએ પણ સ્ત્રી અને પુરુષને સમાન રાખવામાં આવ્યાં છે. સ્ત્રીઓની ઘરબહારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ ઇસ્લામમાં આવકારી છે. યુદ્ધના મેદાનમાં શૌર્યગીતો લલકારવા કે સૈનિકોને પાટાપિંડી કરવામાં આરબ સ્ત્રીઓએ આપેલ પ્રદાનની નોંધ અરબસ્તાનના ઇતિહાસમાં લેવાઇ છે. આમ દરેક ક્ષેત્રમાં ઇસ્લામે સ્ત્રી અને પુરુષના સમાન સામાજિક દરજજાનો સ્વીકાર કર્યો છે.
એક હદીસમાં કહેવામાં આવ્યું છે,

 "લિબાસ એટલે કે પોશાક જેમ શરીરને રક્ષણ અને શોભા આપે છે તેમ સ્ત્રી અને પુરુષ બંને જીવનને રક્ષણ અને શોભા આપે છે."

આમ ઇસ્લામે સ્ત્રીઓને વારસા અધિકાર, વિધવા વિવાહનો સન્માનિત અધિકાર, અમુક સંજોગોમાં પતિથી મુકત થવાની છૂટ, સ્ત્રી ધન સ્વાધીન રાખવાની પરવાનગી અને વિદ્યા પ્રાપ્તિનો અધિકાર આપ્યો છે.

 

No comments:

Post a Comment