Monday, March 31, 2014

ઉત્તમ ધર્મ : પાડોશી ધર્મ : ડો. મહેબૂબ દેસાઈ

પાડોશીશબ્દ વ્યકિત અને રાષ્ટ્ર બંને માટે અત્યંત મહત્વનો છે. સારો પાડોશી દેશ જેમ આપણા દેશના સુખ, દુઃખ અને વિકાસનો ભાગીદાર બને છે, તેમજ સારો નિવાસી પાડોશી પણ સ્વજન કરતાં સવાયો હોય છે. અને એટલે જ દરેક ધર્મમાં "પાડોશી ધર્મ" નો મહિમા વ્યકત થયો છે. પાડોશી ભલો હોય કે બૂરો હોય પણ તે આપણો સાચો હમદર્દ હોય છે. મુશ્કેલીના સમયે સંબંધીઓ, ઓળખીતા-પાળખીતાઓને પહોંચતા વાર લાગે છે, ત્યારે સૌ પ્રથમ મદદ માટે પહોંચનાર આપણો પાડોશી જ હોય છે. પાડોશી હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ  નથી હોતો. એવા ભેદભાવને કેન્દ્રમાં રાખનાર માનવી પાડોશીની મહત્તા ઓછી આંકે છે. તેને એ ખબર નથી હોતી કે પાડોશીનો સાચો ધર્મ તો માનવતા છે. ઇન્સાનિયત છે.

ઇસ્લામે પણ પાડોશીને અત્યંત મહત્વનો દરજ્જો આપ્યો છે. કુરાને શરીફમા વિવિધ પ્રકારના પાડોશીઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઇસ્લામિક ગ્રંથોમાં પાડોશી ધર્મ બજાવનારા એક અજ્ઞાની પણ લાગણીસભર મોચીની કથા બહુ જાણીતી છે. 

હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક હજજ પછી મક્કામા આરામ ફરમાવી રહ્યા હતા. અને તેમની આંખ લાગી ગઈ. સ્વપ્નમા તેમણે બે ફરિશ્તાઓને વાતો કરતા સંભાળ્યા. એક બોલ્યો,

"આ વખતે કેટલા લોકો હજજ કરવા આવ્યા છે ?"

બીજાએ જવાબ આપ્યો,

"લગભગ એક લાખ લોકોએ આ વખતે હજજ અદા કરી છે"

પહેલાએ પૂછ્યું,

"આ એક લાખ હાજીઓમાંથી ખુદાએ કોની હજજ કબુલ કરી છે ?"

બીજાએ જવાબ આપ્યો,

"એક પણની નહિ. આ વખતે તો દમિશકના એક મોચી જે હજજ અદા કરવા મક્કા આવ્યા પણ નથી, તેની હજજ ખુદાતાલાએ કબુલ કરી છે"

અને હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકની આંખ ખુલી ગઈ. સ્વપ્નમા જોયેલ, સાંભળેલી હકીકતની જાત તપાસ કરવાની તમન્નાએ તેઓ દમિશ્કના એ મોચીને ત્યાં પહોંચ્યા. મોચી તો જોડા સીવવાના પોતાના કામમાં રત હતો. મોચીને દુવા સલામ કરી હઝરત અબ્દુલ્લાહ બિન મુબારકે કહ્યું,

"આ વર્ષે હજજ કરવા આવેલા એક લાખ ઇન્સાનોમાંથી કોઈની હજજ ખુદાતાલાએ કબુલ કરી નથી. પણ આપની હજજ ખુદાએ દમિશ્કમા બેઠા બેઠા કબુલ કરી છે. અને તેનો સવાબ (પુણ્ય) ખુદાતાલાએ દમિશ્કમા બેઠા બેઠા આપને આપ્યો છે. તમે એવી તો કેવી ઈબાદત કરી કે હજજ કર્યા વગર હજજનો સવાબ ખુદાતાલાએ તમને આપ્યો ?"

ગરીબ મોચી પ્રથમ તો થોડો ગભરાયો. નવાઇ પામ્યો. પછી થોડીવારે સ્વસ્થ થતાં બોલ્યું,

હજયાત્રા કરવાની તમન્નાથી મેં મારી હલાલની કમાઈમાંથી થોડા થોડા પૈસા જમા કર્યા હતા. પણ થોડા દિવસ પહેલાં જ મારા પાડોશીની હાલતની મને જાણ થઈ. સાત સાત દિવસથી તેમનો ચૂલો ટાઢો હતો. બાલ બચ્ચાઓ ભૂખ્યાં ટળવળતાં હતાં. તે જોઈ મારું હૃદય કકળી ઉઠયું. અને મેં હજયાત્રા માટે જમા કરેલા પૈસા તેમને આપી દીધા.

કુરાને શરીફમાં પાડોશીનો ખાસ ઉલ્લેખ છે. તેની મહત્તાનો સ્વીકાર કરી, તે અંગે વિસ્તૃત વિવરણ પણ આપવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પાડોશીઓના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે.
૧. વલા જારે ઝિલ કુરબા અર્થાત્ એવા પાડોશી જે પાડોશી હોવા છતાં સ્વજન-સગાં પણ હોય.
વલા જાહિલ ઝુનુબે અર્થાત્ એવા પાડોશી જે કૌટુંબિક સગાંસંબંધી ન હોય. પણ માત્ર પાડોશી જ હોય. આવા પાડોશીમાં ગેરમુસ્લિમ પાડોશીનો પણ સમાવેશ થાય છે.
૩. વસ્સાહિલે બિલજમ્બે અર્થાત્ એવા પાડોશી જેનો  મુસાફરીમાં, સંજોગોવશાત દફતરમાં કે અન્ય કોઈ રીતે ભટો થઈ ગયો હોય. આમાં હિંદુ, શીખ કે ઈસાઈ વગેરે જેવા ગેરમુસ્લિમ પાડોશીનો સમાવેશ થાય છે.
આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામે સદવર્તન અને ભાઈચારો રાખવાનો આદેશ આપ્યો છે. અને કહ્યું છે,

જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઇમાન રાખતો હોય તેણે પોતાના પાડોશીને કંઈ પણ દુ:ખ કે તકલીફ આપવા ન જોઈએ.
એકવાર એક સહાબીએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી,

હજૂર, તે સ્ત્રી ઘણી નમાઝો પઢે છે. પાબંદીથી રોઝા રાખે છે. અતિશય ખેરાત(દાન) કરે છે. પરંતુ પોતાની કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું
,

 તે સ્ત્રી દોઝકમાં જશે. કારણે કે તે સાચો મુસ્લિમ નથી. જેનો પાડોશી તેની શરારતોથી પરેશાન હોય."

પાડોશી સાથેના સંબંધો અંગે તો મહંમદ સાહેબે (સ.અ.વ.) ત્યાં સુધી તાકીદ ફરમાવી છે,
જો તમે તમારાં બાળકો માટે ફળો લાવો તો તમારા પાડોશીને ત્યાં પણ મોકલો. જો તમે તેમ ન કરી શકો તો તે ફળોનાં છોતરાં તમારા પાડોશીની નજરમાં આવે તેમ બહાર ફેંકશો નહીં. જેથી ગરીબ પાડોશીઓનું મન ન દુભાય.

એક વખત મહંમદ પયગમ્બર સાહેબે (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું,

"સાચો મોમીન થવા માંગતો હોય તો તારા પાડોશીનું ભલું કર અને સાચો મુસ્લિમ થવા માંગતો હોય તો જે તારા માટે સારું માનતો હોય તેજ સૌને માટે કર"

"જો તમારા પાડોશીઓ તમને સારા કહે તો તું ખરેખર સારો માણસ છે અને જો તારા  પાડોશીનો અભિપ્રાયો તારા માટે ખરાબ હોય તો તું ખરાબ માણસ છે"

પાડોશી ધર્મ માટેની આ હિદાયાતોનો જો સાચા અર્થમાં આજે પણ અમલ થશે તો નાતજાત કે ધર્મની દીવાલો આપોઆપ ઓગળી જશે.

Tuesday, March 25, 2014

પ્રાર્થના : ખુદા સાથેનો સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું.  ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચારો પર પાંચે-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,

"મહાદેવ, મારો મંત્રી જ મારા વિચાર ન માને તો પછી બીજા પાસે શું અપેક્ષા રાખું ? અને પ્રાર્થના કોઈ મુરતની નથી હોતી. મુરત તો પ્રતિક છે. આપણે પ્રાર્થના તો ઈશ્વરની કરીએ છીએ. એ માટે કોઈ મંદિર કે મસ્જિતમાં જવાની જરૂર નથી"

હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે. પણ બંનેનો આઘ્યાત્મિક અર્થ એક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે સંવાદમાં દુ:-દર્દ દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર પ્રાર્થના કે દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. તેમાં લખ્યું હતું,

"તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?"
હજરત મહંમદ પયગમ્બર (..) ફરમાવ્યું છે,

"દુવા (પ્રાર્થના) ઇબાદત (ભકિત) છે."

હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,

 "અલ્લાહને તે બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે."
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

"તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો."
ઇસ્લામી
ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે. મુજબ નમાજ માટે અઝાન થાય પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝ, નમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો. ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (..)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ. સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, પણ ઇસ્લામ ગ્રંથોમાં સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા માગો. દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો. દુવા યકીન, વિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાની-મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા માગો.
દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.

ટૂંકમાં દુવા કે પ્રાર્થના ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો બનાવો. દુવા કે પ્રાર્થના માટે સ્થળ, સમય કે રીતે એકાગ્રતા કેળવવા માટે હોય છે. જો તમે એ વગર પણ ખુદા સાથે એકાગ્રતા સાધી શકતા હો તો સ્થળ, સમય કે રીતે ગૌણ છે. અંતે તો ખુદા-ઈશ્વર તેના બંદાને  આપવા તત્પર હોય છે, બસ બાઅદબ અને એકાગ્રચિત્તે માગનારની જરૂર છે.