Wednesday, February 20, 2013

સોમનાથના સંદર્ભમા ઇતિહાસ અને ઇતિહાસકારો : પ્રોફે. મહેબૂબ દેસાઈ


કમ નસીબે ઈતિહાસ વિષયની સ્થિત વર્ષોથી ગરીબની જોરુ જેવી રહી છે. દરેક તેને પોતાની રીતે ઓળખાવે છે. તેનું અર્થઘટન કરે છે. વળી, ઇતિહાસ જાણનાર અને ન જાણનાર બધા ઐતિહાસિક ઘટના અંગે  અભિપ્રયા આપવાનો પોતાને અબાધિત અધિકાર છે, તેમ દ્રઢ પણે માને છે. જો કે અન્ય શાસ્ત્રો કે વિષયો પરત્વે લોકોમાં આવું સરળ વલણ નથી. અન્ય શાસ્ત્ર કે વિષયમાં પ્રવેશતા પૂર્વે સૌ કોઈ થોડો વિચાર અને મર્યાદા રાખે છે. પણ ઇતિહાસ અંગે તેમ થતું નથી. તેનો એક કિસ્સો મને યાદ આવે છે. ૨૦૦૨ પછીના સમયમાં ભાવનગરના લોક મિલાપમાં થોડા મિત્રો હિંદુ મુસ્લિમ સંબધોમાં વ્યાપેલ અવિશ્વાશને નિવારવા અંગે વિચારણા કરવા ભેળા થયા હતા. એ બેઠકમાં શ્રી ગોપાલ મેઘાણી અને શ્રી ગુણવંત શાહ સાથે એક અન્ય જાણીતા બુદ્ધિજીવી પણ હતા. તેમણે ઇતિહાસના પોતાના જ્ઞાનને અભિવ્યક્ત કરતા કહ્યું,

“ભારતીય સમાજમાં અછુત અને અસ્પૃશ્યોનો જન્મ મોઘલ શાસનકાલમાં થયો હતો. જે લોકોએ ઇસ્લામનો અંગીકાર ન કર્યો, તેને સમાજમાં ઉતરતી કક્ષાનું કામ અને સ્થાન આપવામાં આવ્યા”

આ બેઠકમાં હું પણ હાજર હતો. ઇતિહાસના અધ્યાપક તરીકે ઈતિહાસની આવી હત્યા મારાથી સહન ન થઇ. એટલે મેં કહ્યું,
“આ સત્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં વર્ણ વ્યવસ્થા છેક પ્રાચીન સમયથી ચાલી આવી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને તેમના કાર્યને અનુરૂપ સામાજિક દરજ્જો મળ્યો હતો. એટલે મોઘલ સમયમાં ઇસ્લામ અંગીકારણ કરનારને શુદ્રનું સ્થાન મળ્યું તે ઐતિહાસિક દ્રષ્ટિએ અસત્ય છે”

મારી આ દલીલથી તે મહાનુભાવ ગુસ્સે થયા. અને થોડું એલફેલ બોલી બેઠક છોડી ચાલ્યા ગયા. આ ઘટનના સાક્ષી ઉપરોક્ત બંને મહાનુભાઓએ એ પછી મારી ક્ષમા માંગી. 

આમ ઇતિહાસ વિષયમાં દરેકને બોલવાનો કે પોતાનો અભિપ્રાય આપવાનો અબાધિત અધિકાર છે. પણ કોઈ વિદ્વાનને ઇતિહાસકાર કે સંશોધક તરીકે સ્વીકારવામાં આપણે જરા પણ ઉતાવળ કરતા નથી.પછી ભલેને તેણે અઢળક સંસોધન કાર્ય કર્યું હોય કે ઇતિહાસના અનેક નોંધનીય ગ્રન્થો લખ્યા હોય. પણ તેને આપણે સરળતાથી ઇતિહાસકાર તરીકે સ્વીકારતા નથી કે તેના સંશોધાનની મહત્તાને પણ સ્વીકારતા નથી. પછી ભલેને તે રોમિલા થાપર કેમ ન હોય ?
પ્રા. રોમિલા થાપરના આગમન અને વ્યાખ્યાન પછી ચાલેલ ચર્ચામાં આ વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વારંવાર વ્યક્ત થતી જોવા મળી છે. પ્રા. રોમિલા થાપરના મત મુજબ ભારતનો પ્રાચીન ઇતિહાસ કડીબદ્ધ ઉપલબ્ધ નથી. વિદેશી લેખકોના વૃતાન્તો અને શાસકોના લખાયેલા સાહિત્યમાંથી તારવીને પ્રાચીન ભારતના ઈતિહાસની કડીઓ મેળવવામાં આવી છે. પરિણામે તેના તારણો અને અર્થઘટનો હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે.એ જ રીતે ભારતના મધ્યકાલનો ઇતિહાસ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ લખવા કરતા શાસકોના લહિયાઓ કે રાજ્ય આશ્રિત વિદ્વાનો દ્વારા લખ્યો હોય, તેનું વિશ્લેષણ અને અર્થઘટન ઇતિહાસકારો માટે કસોટી રૂપ બની રહ્યું છે. આપણા રાષ્ટ્રીય ઇતિહાસકારો જેવા કે જદુનાથ સરકારે લખેલ મુસ્લિમ શાસનનો અને ખાસ ઔરંગઝેબનો ઇતિહાસ તેના કારણે જ વારંવાર વિવાદનો મુદ્દો બન્યો છે. જયારે અંગ્રજ શાસનનો ઇતિહાસ તો બ્રિટીશ હકુમતને પોષતો અને ખુશામત કરતો જ લખાયો છે.  જેમાં આપણે વારંવાર વિદ્યાર્થીને ભણાવીએ છીએ કે ભારતમાં સતી પ્રથાની નાબુદી લોર્ડ વિલિયમ બેન્તિકે કરી. પણ એ સત્ય વિસરી જઈએ છીએ કે સતી પ્રથાની નાબુદી ધારો ઘડવાથી ન થાય. તેના માટે સામજિક ક્રાંતિ કરવાનું મૂળભૂત કાર્ય રાજા રામ મોહન રાયે કર્યું હતું. અંગ્રેજોના આવા ઈતિહાસને કારણે જ ભારતના ઇતિહાસમાં પુનઃ સંશોધન અને અર્થઘટનને હંમેશા અવકાશ રહ્યો છે.

આ સ્થિતિમાં પ્રા. રોમિલા થાપારનું સોમનાથ અંગેનું સંશોધન અવશ્ય વિચારણા માંગી લે છે. રોમિલા થાપર અને એ પહેલાના આપણા રાષ્ટ્રીય ઈતિહાસકારોએ સ્વીકારેલા સમાન મુદ્દાઓ પર સૌ પ્રથમ નજર કરીએ. જેમાં કોઈ વિવાદ કે ચર્ચાને અવકાશ નથી. જેમ કે
૧. મહમુદ ગઝની કોઈ શાસક ન હતો.
૨. સોમનાથ પરનું તેનું આક્રમણ એક રાજકીય મુત્સદી તરીકે ન હતું. પણ એક લુંટારા તરીકે હતું.
૩. સોમનાથને તોડવા અને લુંટવા પાછળ મહમુદ ગઝનીનો હેતુ હિંદુ મુસ્લિમ કોમવાદને પ્રસરાવવા કરતા વિશેષ ધન પ્રાપ્તિનો હતો. ઇસ્લામના પ્રચાર પ્રસારનો હેતુ તેમાં કયાંય દ્રષ્ટિગોચર થતો નથી.
૪. મહમુદ ગઝનીની લુંટની અસર ભારત અને ખાસ સોમનાથ પર વધુ સમય ટકી ન હતી. જેના પુરાવાઓ મોટે ભાગે તમામ ઈતિહાસકારોએ આપ્યા છે.

આટલી સામાન્ય સમજ ને સ્વીકારી મહમૂદના સોમનાથ આક્રમણનું વિશ્લેષણ કરીશું તો તેમા રહેલ અર્કને અવશ્ય પામી શકીશું. ભારતમાં મુસ્લિમોના આગમનનો પ્રારંભ ઇસ્લામના ઉદય પછી થયો છે. પણ તેમાં ક્યાંય ઇસ્લામના પ્રચાર પ્રસારનો ઉદેશ જોવા મળતો નથી. છેક પ્રાચીન કાળમાં ગુજરાતના ઘોઘા બંદરે મુસ્લિમ વેપારીઓના જહાજો ખજુર ભરીને આવતા અને છ છ માસ સુધી તે ત્યાં લંગારેલા રહેતા. મુસ્લિમ વેપારીઓના આવા લાંબા રોકાણને કારણે જ ઘોઘામાં એક અંત્યત પ્રાચીન મસ્જિત આજે પણ ખંડેર હાલતમાં હયાત છે. જેનો કિબલો અર્થાત નમાઝ પઢવાની દિશા જેરુસાલેમ તરફ છે.એ પછી મહમંદ સાહેબે નમાઝ માટેનો કિબલો કાબા તરફ રાખવાનો ખુદાનો આદેશ જાહેર કર્યો. અને પછી દરેક મુસ્લિમ કાબા તરફ મુખ રાખીં નમાઝ પઢવા લાગ્યો. આ બાબત દર્શાવે છે કે મુસ્લિમોના આગમન માટે ઇસ્લામના પ્રચાર કરતા તેનો ભારત સાથેનો વેપાર કેન્દ્રમાં હતો. એ સમયે પણ ભારત સમૃદ્ધિના શિખરે હતું. દેશ વિદેશના વેપારીઓ માટે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. પરિણામે પોતાના વેપારની વૃદ્ધિ માટે સૌ ભારતમાં આવતા. મધ્યકાલમા તુર્કો-અફઘાનો અને મોઘલો પણ ભારતની સમૃદ્ધિથી આકર્ષાયને જ ભારતમાં આવ્યા હતા. પણ ભારત પરના વિજય પછી તેમણે ભારતને પોતાનો દેશ ગણી તેના પર શાસન કર્યું. મધ્યયુગનો દરેક મુસ્લિમ શાસક ભારતમાં જ જીવ્યો અને ભારતમાં જ મર્યો. ભારતમાં જ તેની કબર બની. અને તેણે ભારતની સમૃદ્ધિનો ઉપયોગ ભારતને જ સમૃદ્ધ કરવા માટે કર્યો હતો. ટૂંકમાં મુસ્લિમ શાસકોએ ભારતની સમૃદ્ધિનો ઉપયોગ પોતાના વતનને સમૃદ્ધ કરવા માટે કદાપી કર્યો નથી. એ પછી આવેલા પોર્ટુગીઝો, ડ્ચો અને અંગ્રેજો પણ ભારતની સમૃદ્ધિથી પ્રભાવિત થઇ ને જ ભારતમાં આવ્યા હતા. તેમણે ભારતને પોતાનું વતન કયારે ન બનાવ્યું. પરિણામે એક પણ ગવર્નર જનરલ કે વાઇસરોયની કબર ભારતમાં જોવા મળતી નથી. બલકે દરેક ગવર્નર જનરલ કે વાઇસરોયએ ભારતની સમૃદ્ધિનો ઉપયોગ પોતાને અને પોતાના દેશને સમૃદ્ધ કરવા માટે જ કર્યો. એ હકીકતની અવગણના કોઈ ઇતિહાસ અભ્યાસુ નહિ કરી શકે. ઇતિહાસના આ સનાતન સત્યને સ્વીકારીએ તો મુસ્લિમ શાસકોના ભારત પ્રત્યેના વલણોને સમજવા અને તેનું વિષ્લેષણ કરવામાં આપણે થોડા તટસ્થ અવશ્ય રહી શકીશું.

હવે કોમવાદના પ્રચાર પ્રસારની થોડી વાત કરીએ. ઇતિહાસના અભ્યાસુ તરીકે એટલું તારણ હું અવશ્ય આપી શકીશ કે ભારતમાં કોમવાદના વિકાસમાં કોઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તો તે, ન તુર્કો હતા કે ન મોઘલો હતા. પણ મુત્સદી અને લુચ્ચા  અંગ્રેજો  હતા. તુર્ક-અફઘાન કે મોઘલ શાસનકાળમાં જે મઝહબી એખલાસ હતો. તેને બાકાયદા ખંડિત કરી પોતાના શાસનના પાયાને મજબુત કરવાનું કાર્ય અંગ્રેજોએ કર્યું હતું. તેમની ભાગલા પાડીને શાસન કરવાની કુટનીતિને કારણે જ ભારતના ઇતિહાસમા કોમવાદના બીજ રોપાયા અને ઉછર્યા. એ જ નીતિને કારણે જ ભારતના ભાગલા પણ પડ્યા તે સ્વીકારવા જેટલા બૌદ્ધિક આપણે છીએ. અને એજ કોમવાદને કેન્દ્રમાં રાખી તેમણે ઇતિહાસ લેખન અને સર્જન પણ કર્યું.

અને અંતે, મારે ઇતિહાસકાર તરીકે પ્રા. રોમિલા થાપરની ભૂમિકાની થોડી વાત કરવી છે. ઇતિહાસકાર માટે ઇતિહાસ લેખન એ અત્યંત જવાબદારી પૂર્ણ રચનાત્મક કાર્ય છે. ઇતિહાસ સંસ્કૃતિના સંવર્ધન અને સંયોજન માટે લખાવો જોઈએ. સમાજમાં કોમી વિખવાદ કે વિસંવાદિતા પ્રસરાવવા લખાતો ઇતિહાસ સમાજના ઘડતર કરતા તેના ખંડનમા વધુ સહાયક બને છે. પ્રા. રોમિલા થાપર એક જાગૃત ઇતિહાસકાર છે. તેમણે સોમનાથના પોતાના સંશોધન દ્વારા સમાજમાં સંવાદિતતા અને એખલાસને પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. અલબત્ત તેમના એ સંશોધનમા ચર્ચા અને દલીલોને અવકાશ હોય શકે. પણ તેમની ઇતિહાસકાર તરીકે નિષ્ઠા અને કર્તવ્ય પ્રત્યે માન પણ અનિવાર્ય છે. ઇતિહાસ માત્ર વિચારો નથી, પણ સમાજના ધડતરનું, આચારણનું ઉત્તમ માધ્યમ પણ છે. તે એવું માધ્યમ છે જેનો ઉપયોગ સમાજમાં એખલાસ પણ પ્રસરાવી શકે છે અને સમાજમાં વિખવાદ પર પ્રસરાવી શકે છે. આટલી સાદી સમાજનો સ્વીકાર કરી આપણે સૌ ઇતિહાસની ઘટનાઓનું વિષ્લેષણ કરીએ તો, કદાચ આપણે પણ એક સાચા ઈતિહાસકારની ફરજ બજાવ્યાનો ગર્વ લઇ શકીશું.
----------------------------------------------------------------------------
* પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ.

Sunday, February 17, 2013

આપણી ધાર્મિક સમરસતાનો અજાણ્યો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ


ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા અભ્યાસક્રમોમા ક્યાંય જોવા મળતો નથી પરિણામે હિંદુ મુસ્લિમ સમસ્યાઓ દેશના વિકાસમાં હંમેશાં આડખીલી રૂપ બનતી રહી છે. બંને ધર્મોના વિદ્વાનો અને વિચારકોએ હિંદુ અને ઇસ્લામ ધર્મના વિચારોને સાહિત્ય અને સમભાવ સાથે આચારણમાં મુકવા કરેલા પ્રયાસો એ સમરસતાનું ઉમદા વાતાવરણ સર્જ્યું હતું. પરિણામે સંવાદિતતાની મહત્વની પરંપરાએ દેશ અને દુનિયામાં એક આદર્શ દ્રષ્ટાંત ઉપસાવ્યું હતું.
એ યુગમા ઇસ્લામનું કેન્દ્ર બગદાદ હતું. બગદાદના વિદ્વાનોને ભારતના હિંદુધર્મ, તેનો ઇતિહાસ અને આધ્યાત્મિક જ્ઞાનમાં અત્યંત રસ હતો. તેથી બગદાદના પ્રવાસીઓ અન્ય માધ્યમો દ્વારા ભારત વિષે જાણવા સક્રિય પ્યાસો કરતા હતા. એ સમયના કેટલાક મુસ્લિમ ઇતિહાસકરો જેવા કે બલાજરી, યાકુબ અને મુકીદસીના ગ્રંથોમાં ભારતનું વર્ણન જોવા મળે છે. રબ્નેનદીમના ગ્રંથ "અલ ફહીરસ્ત"મા હિંદુ ધર્મ અંગે એક આખું પ્રકરણ આલેખવામાં આવ્યું છે. એ સમયે બગદાદમાં કેટલાક હિંદુ પંડિતો અને નવ મુસ્લિમો પણ વસતા હતા. સૈયદ સુલેમાન નદવીએ એ અંગે લખ્યું છે,
"એ સમયે બગદાદમાં અનેક હિંદુ પંડિતો મૌજૂદ હતા. તેમાના કેટલાકના નામો આજે પણ ઇતિહાસના પડળમા દટાયેલા પડ્યા છે. જેમા પંડિત કનક, પંડિત મનકા અને પંડિત કપિલરાય મુખ્ય હતા"
આ પંડિતોએ કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા હતા. એ પહેલા આર્યભટ્ટના ગ્રંથ
"બ્રહ્મ સિદ્ધાંત"નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની મદદથી અરબી ભાષામાં કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બીજા કેટલાક હિંદુ ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં થયાના પુરાવાઓ મળે છે.

આવા અનુવાદો અને મૌખિક માધ્યમો દ્વારા ભારતીય ધર્મો પ્રત્યેની અરબોની જાણકારી વિસ્તૃત થતી જતી હતી. તે અલ્બેરુની અને જાહીજ જેવા પ્રવાસીઓના વર્ણનો દ્વારા જાણી શકાય છે. પરંતુ ભારત અંગે પ્રત્યક્ષ અને આધારભૂત માહિતી મેળવવાનો આરંભ અલ્બેરુનીથી થયો હતો. અલ્બેરુની ભારતમાં લગભગ ચાલીસ વર્ષો રહ્યો હતો. તેણે બાકાયદા સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું પાયાનું જ્ઞાન તેણે હિંદુ ધર્મ ગ્રંથોમાંથી મેળવ્યું હતું. તેના આધારે તેણે "તહ્કીકુલ માહિન્દ" નામક ગ્રંથ લખ્યો હતો. જેમાં સહજ અને સહકારાત્મક શૈલીમાં તેણે હિંદુધર્મ અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. આ ગ્રંથ અરબી ભાષામાં ભારતશાસ્ત્રનો પરિચય કરાવતો સૌ પ્રથમ અને આધારભૂત ગ્રંથ હતો. આ ગ્રંથમા અલ્બેરુનીએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કર્યો હતો. અને તેમાં ઇસ્લામ અને હિંદુ ધર્મના મૌલિક અંતરને વ્યક્ત કરતા લખ્યું હતું,
"હિંદુ ધર્મને સમજવામાં મુસ્લિમોને આ મૌલિક અંતરને કારણે જ તકલીફ પડે છે. જેથી તેનું સકારાત્મક વિષ્લેષણ અનિવાર્ય છે."
આ સમગ્ર યુગ દરમિયાન હિંદુ વિદ્વાનોના લખાણો દ્વારા ઇસ્લામને સમજવાની કોશીશ થતી રહી હતી. સિંધ અને બગદાદમાં આ અંગે અનેક ધર્મચર્ચો યોજાતી રહેતી હતી. કુરાન-એ-શરીફનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ આ જ સમય દરમિયાન થયો હતો. હિન્દુસ્તાનમાં ઇસ્લામિક શિક્ષણ પ્રથા ઉપર ઘણા પુસ્તકો લખાયા હતા. અનેક હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. અને તેના દ્વારા ઇસ્લામને સમજવાના ભરપુર પ્રયાસો થયા હતા.
આ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો અવશ્ય મહેસુસ થશે કે આજે જે બે ધર્મો વચ્ચે સમરસતાની વાત થાય છે તે તો ભારતની પુરાતન પરંપરાનો એક ભાગ છે. અને તે કોઈ એક તરફી પ્રયાસો ન હતા. બલકે બંને ધર્મોના અનુયાયીઓ, વિદ્વાનો એક બીજાના ધર્મ અને પરંપરાને સમજવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. એ વાતનો અહેસાસ ભારતના સુલતાનોના શાસનકાળમા દરમિયાન ઉડીને આંખે વળગે છે. એ યુગમાં મુસ્લિમ સૂફી સંતો, હિંદુ સંતો અને કવિઓએ બંને ધર્મના વચ્ચે સેતુનું કાર્ય કર્યું હતું. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદ (તૌહીદ)ને અદ્વેત્વાદ તરીકે રજુ કર્યો. તેમાં હિંદુ વિદ્વાનોએ હિંદુ ધર્મની "વેદાંત" વિચારધારાની ઝલક અનુભવી. જયારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલન દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના સિદ્ધાંતો અને રીતરીવાજો વચ્ચેની સમરસતા અભિવ્યક્ત કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. આ સમરસતા ઉજાગર કરવમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન અને તુલસીદાસે અગ્ર ભૂમિકા ભજવી. સૂફી સંતો  હઝરત શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીરુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગરેની ભૂમિકા પણ અગ્ર હતી. અમીર ખુસરો પણ હિંદુ મુસ્લિમ ગંગા-જમુના સંસ્કૃતિના સમન્વય નાયક તરીકે ઉભરી આવ્યા હતા.
મુઘલ કાળમાં આ સમરસતાને ચાલુ રાખવામાંનું કાર્ય મુઘલ શાસકોએ કર્યું. મુઘલ શાસક બાબરે તેના પુત્ર હુમાયુંને નસિયત કરતા ખાસ કહ્યું હતું,
"તારા માટે અનિવાર્ય છે કે તુ તારા હદયમાંથી ધાર્મિક ભેદભરમ દૂર કરી દે. અને દરેક ધર્મના રીતરીવાજ અને સિદ્ધાંતો મુજબ ઇન્સાફ કર. તુ ગાયોની કુરબાની પર પ્રતિબંધ મુક. એ દ્વારા તુ હિન્દુસ્તાનના લોકોના દિલ જીતી શકીશ. અને તેમના દેવસ્થાનોની હિફાઝત કર. એ જ  આદર્શ શાસકની પવિત્ર ફરજ છે"
અકબરના સમયમાં અબુલ ફઝલે તેના પુસ્તક "આયને અકબરી"મા હિંદુ ધર્મનો પરિચય આપતું એક આખું પ્રકરણ આલેખ્યું છે. અકબરે અનેક સંસ્કૃત પુસ્તકોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. એ પછી જુલ્ફીકાર મવદે "દબિસ્તાને મજાહીદ" નામક એક ગ્રંથ લખ્યો. જેમાં બંને ધર્મોના તુલનાત્મક અધ્યયનને હકારાત્મક શૈલીમા રજુ કરવામાં આવ્યા હતા. મોઘલકાળમાં જ દારા શિકોહએ હિંદુ ધર્મ અને ઇસ્લામની સમરસતાની વાતને પોતાના લેખન અને આચરણમાં રજુ કરી હતી. આ જ પરંપરાને શેખ અબ્દુલ કુદ્દુસ ગંગોહી, મિર્ઝા મઝહર ખાનખાના, મૌલાના ફજલુલ રહમાન ગંજ મુરાદાબાદી, મૌલાના ફજલુલ હસન અને હઝરત મોહનીએ ચાલુ રાખી હતી. એજ રીતે અર્વાચીન યુગમાં ભારતના મહાન સુધારક રાજા રામ મોહન રાયએ ચાલુ રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ સમરસતાને વાચા આપતો ગ્રંથ
"તોહાફ્તુલ મોહિદીન" લખ્યો હતો. એકેશ્વરવાદ (તોહીદ)ને વાચા આપતો આ ગ્રંથ રાજા રામ મોહન રાયએ ફારસી ભાષામાં લખ્યો હતો. અને તેની વિસ્તૃત પ્રસ્તાવના અરબી ભાષામાં લખવામાં આવવી હતી. રાજા રામ મોહન રાયનું વ્યક્તિત્વ પણ બહુ ધર્મી હતું, તેમણે પોતાનું શિક્ષણ ઇસ્લામિક મદ્રેસામા લીધું હતું. જયારે હિંદુ ધર્મની શિક્ષા તેમણે ગુરુકુળમાં લીધું હતું. રાજા રામ મોહન રાય પછી વિવેકાનદે પણ સમરસતાની એ પરંપરાને જીવંત રાખી હતી. તેમણે હિંદુ મુસ્લિમ કોમના સંગમને વાચા આપતા કહ્યું હતું,
"હુંદુ અને ઇસ્લામ ભારતીય શરીરના બે અંગો છે. જેમાં બુદ્ધિ અર્થાત વેદાંત અને શરીર એટલે ઇસ્લામ છે"
તેમણે યથાર્થવાદી અને સહિષ્ણુતાનો પરિચય આપતા કહ્યું હતું,
"ભારત પર મુસ્લિમોનો વિજય ગરીબ અને કચડાયેલા લોકો માટે મુક્તિનો માર્ગ સાબિત થયો છે"
એ પછીના યુગમાં વિનોબા ભાવે અને પંડિત સુંદરલાલે હિંદુ મુસ્લિમ સમરસતાની પરંપરાને આગળ વધારી હતી. વિનોબાજીએ "રુહુલ કુરાન" અને પંડિત સુંદરલાલએ "ગીતા અને કુરાન" જેવા ગ્રંથો દ્વારા 
બંને ધર્મની બુનિયાદી એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતની આવી સમરસતા ભારતના ઇતિહાસમાં દટાયેલી પડી છે. તેને આપણા અભ્યાક્રમોમા ક્યાંય સ્થાન કે માન નથી. પરિણામે આજે પણ આપણે તેના માઠા પરિણામો ભોગવી રહ્યા છીએ. 

Friday, February 15, 2013

ઇસ્લામમાં અહિંસા અને શાંતિ : ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે શાંતિ, સમર્પણ અને ત્યાગ. ઇસ્લામના ધર્મ ગ્રંથ "કુરાન-એ-શરીફ"મા પણ ઠેર ઠેર એ જ વાતનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે. કુરાને શરીફ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર "વહી" (ઈશ્વરીય સંદેશ) ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે સમગ્ર માનવજાતને જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે તે જિહાદ અને કુરબાની જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
"પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે."
કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અરરરહેમાન નિરરહિમ"થી થાય છે. જેનો અર્થ થાય છે,
"શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે."
કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે. જેમ કે,
"ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે. એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે."
"અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો."
"ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે."
"જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જૉઈ રહ્યો છે. તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે."
"અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે? જૉ તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો."
"અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે."
"તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.
જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે."
"શેતાન માત્ર એટલું જ ઇરછે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વરચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?"
આવી પ્રેમ, શ્રધ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી કુરાને શરીફની આયાતોને હઝરત મહંમદ સાહેબે પોતાના જીવનમાં આચારમાં પણ મૂકી હતી.
 અને એટલેજ મહંમદ સાહેબના અંગે ગાંધીજીએ કહ્યું છે,
"મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું"
ઇસ્લામમાં માંસાહાર તેની સંસ્કૃતિના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે અરબસ્તાનો રેતાળ પ્રદેશ એ સમયે ઉપજાવ ન હતો. ત્યાં શાકભાજી, ફળફળાદી કે અન્ય કોઈ વનસ્પતી ઉત્પન થતી ન હતી. પરિણામે માનવ સમાજને ટકી રહેવા ફરજીયાત માંસાહાર કરવો પડતો હતો. પણ તેનો બિલકુલ એવો  અર્થ નથી થતો કે ઇસ્લામ માંસાહાર દ્વારા હિંસાને પ્રાધાન્ય આપે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ઠેર ઠેર અહિંસા અને શાંતિને વિશેષ મહત્વ આપવામાં આવેલ છે. લા ઇકરા ફીદ્દીન  અર્થાત
"દુનિયામાં ફસાદ કયારેય ફેલાવશો નહી" એવા કુરાને આદેશ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે,
"પરસ્પર ઝગડો ન કરો સંતોષમાં જ સુખ છે"
સમાજમા વ્યાપક બનતી જતી અશાંતિના મૂળમાં એકબીજા પ્રત્યેની પ્રસરી રહેલ નફરત જવાબદાર છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"ન તો તમે કોઈનાથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો. ખુદા જુલમ કરનારથી નાખુશ છે"
શાંતિમય સહ અસ્તિત્વના સિદ્ધાંતના પ્રખર પ્રચારક સમા કુરાને શરીફમાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
"જેણે કોઈને જીવ બચાવ્યો, તેણે સંપૂર્ણ માનવજાતિને જીવતદાન આપ્યું"
આવી શાંતિ અને અહિંસાના પુરસ્કર્તા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જીવનના અંતિમ દસ વર્ષોમા ચોવીસ યુધ્ધોમાં સરસેનાપતિ તરીકે લશ્કરને માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ તેમના સરસેનાપતિ તરીકેના નેતૃત્વનો મુખ્ય ઉદેશ રક્ષણાત્મક હતો. તેમના દરેક યુધ્ધો આક્રમક નહિ, રક્ષણાત્મક હતા.
પંડિત સુંદરલાલજી મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આવા અહિંસક અભિગમની નોંધ લેતા લખે છે,
"અસીમ ધેર્ય, શાંતચિત્ત, સહિષ્ણુતા અને શાલીનતા એ મહંમદ સાહેબના અહિંસક અભિગમના પાયામાં હતા."
   

Tuesday, February 12, 2013

બાયસેગના શૈક્ષણિક કાર્યક્રમમાં "ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનો"વિષયક લાઈવ ટેલીકાસ્ટ પૂર્વેની તસ્વીર પ્રા.ફાલ્ગુનીબહેન. પ્રોફે. મહેબૂબ દેસાઈ અને પ્રોફે. મકરંદ મહેતા. — at ગાંધીનગર તા. ૧૨.૨.૨૦૧૩ સમય ૧૧ કલાકે




Sunday, February 3, 2013

ઇસ્લામ અને વેલેન્ટાઈન ડે : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. પ્રેમના એ વ્યવહારમાં કયાંય આછકલાઈ કે અવિવેક ન હતો. તેમાં માત્ર નિર્મળ અને પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ જ હતી. એટલે ઇસ્લામ પ્રેમ અને લાગણીઓને જીવન મહત્વનું સ્થાન આપે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કે અભિવ્યક્તિમાં ઇસ્લામના વિચારો ભિન્ન છે. પ્રેમની અભિવ્યક્તિમાં ઇસ્લામે સંયમ અને સંસ્કારોને વિશેષ મહત્વ આપ્યું છે. અને એટલે જ ઇસ્લામમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીને  કોઈ જ સ્થાન નથી. એ માટે ઇસ્લામની અત્યંત તાર્કિક દલીલો જાણવા જેવી છે. પણ એ પહેલા આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો ટૂંકો ઇતિહાસ જોઈએ. એ પછી ઇસ્લામમાં તેની ઉજવણીની શા માટે મનાઈ કરવામાં આવેલ છે તે તપાસીએ. વેલેન્ટાઇન ડેનો ટૂંકા ઇતિહાસ નીચે મુજબ છે.

૧૪મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કરનાર યુવાનોને ભાગ્યે જ ખ્યાલ હશે કે જેના નામ પર તેઓ આ દિવસ ઉજવી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કમર સુધી જમીનમાં દાટીને પથ્થર મારીને મારી નાખવામા આવ્યા હતા. પ્રાચીન રોમમાં ઇ.સ.૨૬૯માં ક્લોડિયસ દ્વિતિય નામે એક સમ્રાટ થઇ ગયો. તેને વિશ્વ વિજેતા થવાની અભિલાષા હતી. જેથી તે પોતાની સેનામાં યુવાનોની મોટાપાયે ભરતી કરવા ઇચ્છતો હતો. પણ તેણે જોયું કે પરણિત પુરૂષો લશ્કરમાં જોડાવા ઇચ્છતા નથી. એ માટે કુટુંબ અને પોતાની સુંદર યુવાન પત્ની પ્રત્યેનો પ્રેમ જવાબદાર હતા. પ્રેમનું આવું અતુટ બંધન યુવાનો તોડી શકતા ન હતા. તેથી તે સમ્રાટે પોતાના દેશમાં લગ્ન કરવા પર પ્રતિબંધ મુક્યો.
જગતમાં શાંતિનો સંદેશો આપનાર સંત વેલેન્ટાઇનનું હૃદય સમ્રાટના આ ક્રુર હુકમને કારણે દ્રવી ઉઠ્યું. અને તેમણે સમ્રાટની જાણ બહાર યુવાનોના લગ્ન ચર્ચમાં કરી આપવાનું શરૂ કર્યું હતું. સમ્રાટના કેટલાક ઇર્ષાળુ દરબારીઓએ સંત વેલેન્ટાઇનના આ કાર્યની સમ્રાટને માહિતી આપી દીધી હતી. પરિણામે રાજા ક્લોડિયસ દ્વિતિયએ સંત વેલેન્ટાઇનની ધરપડ કરી. તેને કમર સુધી માટીમાં દાટી, પથ્થરો મારી તેની હત્યા કરી. આમ તમામ યુવાન પ્રેમી હૈયાઓને લગ્નના સૂત્રથી બાંધનાર આ અત્યંત કૃપાળુ સંત વેલેન્ટાઇનની ૧૪મી ફેબ્રુઆરી ઇ.સ. ૨૬૯ના રોજ  રાજા ક્લોડિયસ દ્વિતિયએ હત્યા કરી. તેનું મસ્તક ધડ પરથી કાપી લેવાયું. ત્યારથી આ સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને પ્રેમના પ્રતિક તરીકે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ ઘટમાં લગ્ન ન કરવાની રાજાની જાહેરાત સામે જંગ માંડનાર એક સંતની શહાદતની ગાથા વ્યક્ત થાય છે. આમ પ્રેમને સામજિક દરજ્જો  આપવા વેલેન્ટાઇને લગ્ન દ્વારા પ્રેમીઓના ભેગા કરવાનું ઉમદા કાર્ય કર્યું હતું. પણ આજે આ મુખ્ય વાત વિસરાતી જાય છે. અને તેના સ્થાને  લગ્ન સિવાયના પ્રેમ બંધનોની વાત વિસ્તરતી જાય છે. ઇસ્લામમા  આવા સબંધો આવકાર્ય નથી. તેને ઇસ્લામે અવૈધિક સબંધો કહ્યા છે. પરિણામે તેવા કોઈ દિવસની ઉજવણીમા ઇસ્લામ દૂર રહેવાનો આદેશ આપે છે.

વળી, વેલેન્ટાઇન ડેએ પ્રાચીન રોમન યુગનો વિચાર છે. તેમાં એ યુગની રાજકીય  અને સામાજિક જરૂરિયાત વ્યક્ત થાય છે. તેમાં હિંદુ કે ઇસ્લામિક સંસ્કારોની સુગંધ બિલકુલ જોવા મળતી નથી. ઇતિહાસના મધ્યકાળમાં ઇસ્લામિક યુગ દરમિયાન એ વિચાર તેની મૌલિકતા કે જરૂરિયાત ગુમાવી ચુક્યો હતો. અલ-અઝાર યુનિવર્સીટીના ઇસ્લામિક અને એરબીક વિભાગના પ્રોફેસર ડૉ. સુઆદ સાલીહએ આ અંગે આપેલી ઇસ્લામિક દલીલો જાણવા જેવી છે.
૧. ઇસ્લામમાં તહેવારોની ઉજવણીની પ્રથા સ્વીકારવામાં આવી છે. પણ તે સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં. કુરાને શરીફમાં કહ્યું છે, "દરેક સમાજ માટે ખુદાએ ઉજવણીના દિવસો નક્કી કરેલ છે." અલબત્ત એ ઉજવણી ઉદેશપૂર્ણ અને સમાજલક્ષી હોવા પર ઇસ્લામે ભાર મુક્યો છે.
૨. ઇસ્લામ મૂળભૂત રીતે પ્રેમ અને સહકારનો ધર્મ છે. પણ પ્રેમની અભિવ્યક્તિ માટે તેણે કોઈ દિવસ મુક્કર કરેલ નથી.
૨. ઇસ્લામ માને છે કે પ્રેમની અભિવ્યક્તિ કે ઉજવણી માટે કોઈ નિશ્ચિત દિવસ અનિવાર્ય નથી. તે તો જીવનનો એક અનિવાર્ય ભાગ છે. એટલે તેની અભિવ્યક્તિ દર પળે થતી રહે છે. ભાઈ-બહેન કે પતિ પત્નીના પ્રેમને વ્યક્ત કરવા કોઈ દિવસની મોહતાજ ગીરી જરૂરી નથી.
૩.ઇસ્લામ સ્ત્રી-પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમને જ માનતો નથી. માતા-પુત્ર, પિતા-પુત્ર,ભાઈ-બહેન જેવા માનવીય સંબંધો વચ્ચેના પ્રેમ પ્રત્યે પણ ઇસ્લામ અતુટ શ્રધ્ધા ધરાવે છે. એટલે માત્ર વિજાતીય પ્રેમના દિવસની ઉજવણી જેવા સંકુચિત દિવસની ઉજવણી સમાજ માટે યોગ્ય નથી.
૪. પતિ-પત્નીના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ દિવસ હોય ન શકે. એ તો અવિરત પ્રક્રિયા છે.તે તો દરેક પળે, દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.
૫. પ્રેમ માત્ર શરીર સુખ કે શારીરિક જરૂરિયાત સંતોષવા માટે નથી. પ્રેમ એ પવિત્ર બંધન છે. તેમાં જવાબદારીની સભાનતા અનિવાર્ય છે. ઇસ્લામમાં આ જ ભાવનાને નિયમોના બંધનમાં સ્વીકારવામાં આવેલ છે.
ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પણ આ જ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે. પ્રેમ એ અમૃત છે. જીવનમાં તે અનિવાર્ય છે. પણ સંયમ અને સંસ્કારો વગરનો પ્રેમ વ્યભિચાર બની જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે આપણે પ્રેમની સાચી પરિભાષા સમજીએ અને તેનો સંયમિત અને સંસ્કાર પૂર્ણ અમલ કરીએ એ જ અભ્યર્થના-આમીન  

Saturday, February 2, 2013

દુબઈની મુલાકાત


દુબઈની મુલાકાતના સ્મરણો : ૨૭ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૩