Tuesday, December 17, 2013

સરખેજનો રોજો અને તળાવ : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (નાગપુર)ના નિયામક રહી ચુકેલ ગુજરાતના જાણીતા પુરાતત્વવિદ સ્વ. ડૉ. ઝિયાઉદ્દીન અ. દેસાઈએ ૧૯૮૯મા લખેલ અને માર્ચ ૧૯૯૦ના સંશોધન સામાયિક "સામીપ્ય"મા પ્રસિદ્ધ થયેલ "સરખેજ તળાવ : કર્તા અને સમયના પરિપ્રેક્ષ્યમા" નામક સંશોધન લેખ વાંચવામાં આવ્યો. એ લેખમાં સરખેજના સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોઝા અને તળાવ અંગે અનેક આધારભૂત અને ઐતિહાસિક, છતાં ઓછી જાણીતી વિગતો જાણવા મળી. જે તેમના જ શબ્દોમાં અત્રે રજુ કરું છું.

અમદાવાદને લગભગ અડીને આવેલ ઐતિહાસિક સ્થળ સરખેજ ગામની પશ્ચિમે આશરે દોઢેક કિલોમીટર દૂર દસ્ક્રોય તાલુકાના મકબરા ગામની સીમમાં ૧૪-૧૫મા શતકના મહાન સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો સુંદર અને ભવ્ય રોજો આવેલો છે. ગુજરાતના પહેલા પાંચ સુલતાનોની આદરણીય વ્યક્તિવિશેષના .. ૧૪૪૬મા ૧૧૧ વર્ષની વયે અવસાન પ્રશ્ચાત તેમના અંતિમ વિરામ સ્થાન પર બહુધા અમદાવાદના સ્થાપક અહમદશાહ ૧લા (૧૪૧૨-૪૨)ના પુત્ર મુહંમદ બીજા(૧૪૪૨-૫૧) વિશાળ, સફેદ અને રંગીન આરસના પથ્થરની પીઠ પર બંધાયેલો સંતનો ભવ્ય અને સુંદર રોજો ભારતની મુસ્લિમ ઈમારતોમાં આગવું સ્થાન ધરાવે છે. એ પછી સ્થાનની પવિત્રતાને ધ્યાનમાં રાખી ગુજરાતના મહાન સુલતાનો, અમીરો, કવિઓ, સાક્ષરો વગેરેએ પોતાની આખરી આરામગાહ અહીં બનાવડાવી હતી. સંતની હયાતી તેમજ તેમના અવસાન પછી આજ પર્યંત આસ્થાવાન અને શ્રદ્ધાળુ ભકતો તેમજ જનસમુદાયનું માનીતું મુલાકાતનું સ્થાન રહ્યું છે. એટલું નહિ, પણ તેના નૈસર્ગિક શાંત વાતાવરણ અને સુંદર ખુલ્લી જગ્યાને લઈને અમદાવાદ શહેરના મુસ્લિમ નાગરિકો માટે લોકપ્રિય સહેલગાહની ગરજ સારે છે. સંતના ચરણ સ્થાનને પોતાના અંતિમ વિશ્રામ સ્થાનની પસંદગી કરવાની પહેલ કરનાર સુલતાન મહંમદ બેગડો (૧૪૫૮-૧૫૧૧) તથા તેના બે ઉત્તરાધિકારીઓ સુલતાન મુજફ્ફર બીજો (૧૫૧૧-૨૬) અને સુલતાન મહમુદ ત્રીજો (૧૫૩૮-૫૪) તેમજ તેમની રાણીઓ (જેમાં માત્ર એક બીબી રાણીનું નામ એક કબર પર અંકિત છે) પણ સંતના રોજાની દક્ષિણે દફન થયા છે. જેના પર તેઓ ચીર નિદ્રામા પોઢ્યા છે, તેવા ઝીણા અને અતિ સુંદર ભાતભાતની નકશીવાળા સ્ફટિક આરસના અત્યંત અલંકૃત ઢોલિયા જેવી કબરો પર સુલતાનોના એક, તેમજ તેની દક્ષિણે તળાવમાં ઉતરવાના પગથીયાવાળા ઘટને આવેલ રાણીનો એક એમ સુંદર પથ્થરની ફરસબંધીવાળા ચોક (સહેન)ની ત્રણ બાજુએ ઈમારતો આવેલી છે. જેને ફરતી પૂર્વ અને ઉત્તર એમ બે બાજુએ ઉંચી દીવાલ હતી. આ આખા સંકુલનું મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વમાં આજે પણ વિદ્યમાન છે. આ રોજા-મસ્જિત-મકબરાના સંકુલની દક્ષિણે અડીને સુંદર પથ્થરબદ્ધ પગથીયાવાળું વિશાલ તળાવ છે. તેના દક્ષિણ કાંઠે પશ્ચિમ ભાગમાં સુલતાનના વિશાળ દ્વિમાળી મહેલો આવેલા છે.

સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોજાનું બાંધકામ સુલતાન મુહંમદ બીજાએ ૧૪૪૬મા કર્યું હતું. અને તેના પુત્ર અને અનુગામી સુલતાન કુત્બુદ્દીન અહમદ બીજા (૧૪૫૧-૫૮)એ નિર્માણ પૂરું કર્યું હતું.  તેમ સાધારણ રીતે માનવામાં આવે છે. મસ્જીતની ઈમારત પણ સંતના રોજા સાથે કે તે પહેલા બંધાઈ હોય તે સંભવિત છે. લોકોક્તિ તો મસ્જિત નિર્માણનું શ્રેય સંતને આપે છે. પણ સંતે પોતાના જે નિવાસસ્થાન પ્રમાણે આ મસ્જિત બંધાવી હતી તે હાલની રોજાવાળી મસ્જિત પાસે નહિ, પણ હાલના સરખેજ ગામની વાયવ્ય દિશાએ આજે પણ વિદ્યમાન પ્રાચીન મસ્જિત હતી. અને આ મસ્જિત સંતે બંધાવી હતી તેવો અમુક વિદ્વાનોનો મત છે. જ્યાં સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના  રોજા અને મસ્જીતના બાંધકામના સમય વિષે માહિતી મળતી ન હોય ત્યાં તળાવ નિર્માણ વિષે માહિતીનો અભાવ સમજી શકાય તેમ છે. તળાવ માટે પણ એમ મનાય છે કે સરખેજ રોજાવાળી જગ્યા સુલતાન મહંમદ બેગડાની માનીતી સહેલગાહ બની, ત્યારથી ત્યાં દેખીતી રીતે જ સંતના રોજા અને મસ્જિત પ્રશ્ચાત ઉક્ત તળાવ તેણે બંધાવ્યું. જોકે તળાવ તો ત્યાં હતું જ પણ તેને વિશાળ પથ્થરબંધ પગથીયાવાળું બનાવી તેને ઉત્તર કિનારે એટલે કે સંતની કબરના ચરણ તરફના કાંઠે પોતાનો અને સંભવત રાણીઓનો મકબરો તેમજ તળાવને સામે દક્ષિણ કાંઠાના પશ્ચિમ ભાગમાં પોતાના ગ્રીષ્મકાલીન આવાસ તેમજ આનંદ પ્રમોદ માટે મહેલો બંધાવ્યાનું મનાય છે. આમ સરખેજ સંતના રોજાનું

"સ્થાપત્ય ઈમારતોનું એક સુંદર સંકુલ જે દ્વારા આ સ્થાન ઘણા શતકો સુધી મહત્વ પ્રાપ્ત થયું, અસ્તિત્વમાં આવ્યું"

રોજા-મસ્જિત-મકબરાના આ આખા સંકુલની ઈમારતોનું નિર્માણ સારી એવી ઉંચી પીઠ પર કરવામાં આવ્યું છે. તેમ જેમ મસ્જિતથી પૂર્વ અને રોજાથી દક્ષિણ દિશાએ આવેલા સુલતાન અને રાણીના બે મકબરાઓની વચ્ચે સરોવરમાં ઉતરવા માટે પગથીયાવાળા ઘાટ છે. તે જ પ્રમાણે મસ્જીતના ખુલ્લા સહેન (ચોક)માંથી પણ તળાવમાં નીચે જવા માટે દક્ષિણ દિશામા વચ્ચે એક ગવાક્ષમાંથી બીજી તરફ નીચે ઉતરતા પગથીયાની સગવડ છે. આ પગથીયા તથા મસ્જીતના મુખ્ય કક્ષની પીઠ નીચેના ભાગે એક શીલા પર ૪૮ સેન્ટીમીટર લંબાઈ અને ૨૧ સેન્ટીમીટર પહોળાઈ જેટલી જગ્યામાં પાંચ પક્તિનો એક લેખ કંડારવામા આવેલો છે. જેનું ભાષાંતર નીચે મુજબ થાય છે.

૧. અહમદસર તળાવ ઉત્તર-દક્ષિણ બાજુ ગજ ૪૨૨ સહી

૨. શ્રી તળાવની પૂર્વ પશ્ચિમ બાજુ ગજ ૨૭૧ સહી

૩. દક્ષિણ તરફ આવેલ પાણીની આમદ (વાવ) વાળું નાળું ગજ ૪૯૯ સહી

૪. સવંત ૧૫૭૧ વર્ષે મહા સુદિ ૫ .... સુલતાન મુઝફ્ફર સાહેબ (મુજફ્ફર ૨જો) ટંકા લાખ નવ ૯૦૦,૦૦૦ સહી.

આમ સરખેજ નું તળાવ વિક્રમ સંવત ૧૫૭૧ મહા સુદ પંચમી એટલે ૩૧ જાન્યુઆરી૧૫૧૪ના દિને બંધાયું હતું.  મહમુદ બેગડાના પુત્ર અને ઉત્તરાધિકારી મુઝફ્ફર ૨જાના રાજયરોહણના લગભગ સવા બે વર્ષ પછી આં નિર્માણ બહુધા થયું હતું. બીજા શબ્દોમાં તળાવ નિર્માણનું કાર્ય મહંમદ બેગડાના સમયમાં નહિ , પણ પુત્ર મુઝફ્ફર -૨જાના રાજ્યકાળ દરમિયાન થયું હતું.

ઇ.સ. ૧૫૯૪-૯૫મા લખાયેલ ગુજરાતના પ્રખ્યાત ફારસી ગ્રંથ "મિરાતે સિકંદરી"ના કથન મુજબ મહમુદ બેગડાએ તેણે પોતે બંધાવેલા મક્બરમાં દફનાવવામાં આવ્યો હતો. અને સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો રોજો મસ્જિત વગેરે બધી ઈમારતોનું સંકુલ મહમુદ બેગડાના અવસાન પૂર્વે નિર્મિત થયું હોવું જોઈએ.

No comments:

Post a Comment