Thursday, October 31, 2013

Dear Mehboobbhai,

Welcome and congratulations. May the period you are with Vidyapith bring laurels to Vidyapith, department and you.

Happy Diwali and Saal Mubarak to you and whole family.

Sudarshan Iyengar 
31-10-2013

Monday, October 21, 2013

સરદાર પટેલ અને નગીના મસ્જિત : ડૉ. મહેબૂબ દેસાઈ

   સૌરાષ્ટ્રના પ્રજા પ્રિય રાજ્ય તરીકે જાણીતા ભાવનગર રાજ્યના ખારગેટ દરવાજે એક મસ્જિત આવેલી છે. જેનું નામ છે નગીના મસ્જિત. ભારતના રાષ્ટ્રીય નેતા સરદાર પટેલ પર ૧૪ મે ૧૯૩૯ના રોજ ભાવનગર મુકામે થયેલ હિંસક હુમલા માટે આ પવિત્ર મસ્જીતનું નામ બદનામ કરવાનો પ્રયાસ અંગ્રેજ શાસનકાળ દરમિયાન થયાનો ઇતિહાસ બહુ જાણીતો નથી. પણ આજે ૭૪ વર્ષે એ વાત યાદ કરવાનું પ્રયોજન દેશી રાજ્યોનું એ સમયનું ગંદુ રાજકારણ અને મુસ્લિમ સમાજ અને તેમના પવિત્ર સ્થાનો પ્રત્યેની સરદાર પટેલની સદભાવના અભિવ્યક્ત કરવાનો છે. આ એ યુગની વાત છે જે યુગમાં હુંદુ-મુસ્લિમ એકતા અંગ્રેજ શાસકો માટે આડખીલી બની ગઈ હતી. ભારતની આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે વારંવાર લડતો અને શાબ્દિક પ્રહારો દ્વારા પ્રજા જાગૃતિ અને એકતાનું પાયાનું કાર્ય કરનાર સરદાર પટેલ અને ગાંધીજી અંગ્રેજ સરકાર માટે ખતરો બની ગયા હતા. સૌરાષ્ટ્રમા અગ્રેજ સરકારના છુપા એજન્ટ તરીકે કાર્ય કરતા દેશી રાજ્યોના દીવાનો પ્રજા જાગૃતિને ડામવામા સક્રિય હતા. જેમ કે રાજકોટ સત્યાગ્રહના વિજયને રાજકોટના દીવાન વીરાવાળાએ રોળી નાખ્યો હતો. અને એટલે જ ૨૪  અપ્રિલ ૧૯૩૯ના રોજ ગાંધીજીએ કહ્યું હતું,
"કાઠીયાવાડના આંટીઘુંટીવાળા રાજકારણમાં હું હાર્યો છું. મારી જુવાની હરાઈ ગઈ છે. મારી આશાઓ ભસ્મીભૂત થઇ છે. મારી આકરી કસોટી થઇ ચુકી છે. વીરાવાળા જીત્યા છે."
એ જ સ્થિતિ લીમડી રાજ્યમાં પણ હતી. લીમડી રાજ્યમાં પ્રસરેલી ગુંડાગીરીમા પણ ત્યાના દીવાને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ભાવનગરને ઉદાર રાજ્ય તરીકે પ્રખ્યાત કરવામા નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રભાશંકર પટ્ટણીના પુત્ર અને દીવાન અંતરાય પટ્ટણી પણ અંગ્રજોના પ્રિય દીવાન બનવા  સક્રિય પ્રયાસો કરી રહ્યા હતા. અને એટલે જ ભાવનગરમાં સરદાર પટેલની હત્યાનું કાવતરું રચાયું હતું. આ કાવતરાના મુખ્ય સુત્રધાર હતા અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન. કાઠીયાવાડના અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સનની દેશી રાજ્યોની પ્રજાકીય ચળવળો અને તેના નેતાઓ પ્રત્યેની ધ્રુણા ભારતના ઇતિહાસમાં જાણીતી છે. અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સને કાઠીયાવાડમાં ચાલતી પ્રજાકીય પ્રવૃત્તિઓને સામ, દામ, દંડ અને ભેદ ગમે તે નીતિ દ્વારા દાબી દેવાની રાજ્યના દીવાનો અને અંગ્રજ અધિકારીઓની ખાસ સૂચના આપી હતી. આ નીતિના ભાગ રૂપે જ રાજકોટ, વેરાવળ અને ભાવનગરમા અગ્રગણ્ય રાષ્ટ્રીય નેતાઓની હત્યાના કાવતરા રચાય હતા. રાજકોટમાં રાજકોટ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. બરાબર એમ જ ભાવનગરમાં ૧૪ મે ૧૯૩૯ના રોજ સરદાર પટેલના સ્વાગત સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભાવનગર રાજ્ય પ્રજાપરિષદના પાંચમાં અધિવેશનમા પ્રમુખ તરીકે ભાગ લેવા ૧૪ મે ૧૯૩૯ના રોજ સરદાર પટેલ મુંબઈથી વિમાન માર્ગે ભાવનગર આવ્યા. ભાવનગરનું વિમાનઘર શહેરથી પાંચ-છ માઈલ દૂર હતું. એટલે સરદાર પટેલને ત્યાથી રેલ્વે સ્ટેશને લઇ જવામા આવ્યા. સ્ટેશન ઉપર સરદાર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાવનગરની સાર્વજેનિક સંસ્થાઓ તથા આગેવાનોએ ફૂલહાર પહેરાવ્યા. ભાવનગરની મુસ્લિમ પ્રજા અને આગેવાનોએ પણ સરદાર પટેલનું ઉમળકા ભેર સ્વાગત કર્યું. અને રેલ્વે સ્ટેશનેથી સ્વાગત સરઘસનો આરંભ થયો. લગભગ સવારના સાડા અગીયાર વાગ્યે દાણાપીઠના ખૂણે સરદાર પટેલની મોટરે વળાંક લીધો. ત્યારે ખારગેટ ચોકમા આવેલ નગીના મસ્જિતમાંથી લગભગ ત્રીસેક જેટલા ભાવનગર રાજ્યના ભાડુતી ગુંડાઓ ઓચિંતા સરઘસ પર ધસી આવ્યા. અને સરદાર પટેલ અને તેમની મોટર પર હુમલો કર્યો. આમ સરદાર પટેલનો જાન લેવાનો પ્રયાસ થયો. પણ તેમની આસપાસના કાર્યકરોએ તેમને બચાવી લીધા. એ પ્રયાસમાં ભાવનગરના બે કાર્યકરો બચુભાઈ હીરજીભાઈ પટેલ અને જાદવજીભાઈ વાણીયા શહીદ થયા. નાનભાઈ ભટ્ટ અને બીજા કાર્યકરોને નાની મોટી ઇજાઓ થઇ. સરદાર પટેલે પરિસ્થિતિ પામી જઈ સ્વાગત સરઘસ મુલતવી રાખ્યું. અને તુરત તેઓ નાનાભાઈ ભટ્ટને લઇ  હોસ્પિટલે ઘાયલ કાર્યકરોના ખબર અંતર પૂછવા પહોંચી ગયા.
આ ઘટના પછી સરદાર પટેલે ભાવનગરની પ્રજા જોગ આપેલ જાહેર નિવેદનમાં જણાવ્યું હતું,
"આજના દુ:ખદ બનાવથી ગભરાવાની કે રોષે ભરવાની જરૂર નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિર્દોષ માણસો પર ઘા કર્યા તેઓએ ભાન ભૂલીને કેવળ ગાંડપણથી જ કામ કરેલું છે. એમને જયારે ભાન થશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે એમને પસ્તાવો થશે. આપણે ભૂલવું ન જોઈએ કે મુસ્લિમ આગેવાનો ભાવનગર પ્રજાપરિષદના સ્વાગત મંડળમા જોડાયેલા છે. સરઘસ અને સ્વાગતમાં સામેલ થઇ એમણે પરિષદને સહકાર અને સાથ આપેલ છે. આવા નિર્દોષ બલિદાનો ઉપર જ પ્રજા ઘડતરની ઈમારત રચાય છે. અને જેમના પ્રાણ ગયા છે, તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે એમના નિર્દોષ બલિદાનને આપણે રોષે ભરાઈ દુષિત ન કરીએ. સૌ એ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહ અને પ્રેમથી ભાગ લઈ, પરિષદ શાંતિ અને સફળતાથી પૂર્ણ કરીએ"
આ બનવાની જાણ સરદાર પટેલે તાર દ્વારા ગાંધીજીને રાજકોટ મુકામે કરી. એ સમયે ગાંધીજી ખુદ રાજકોટમાં પ્રજાના અધિકારો માટે વીરાવાળા સામે સત્યાગ્રહ માંડીને બેઠા હતા. રાજકોટના રાજા ઠાકોર સાહેબ થોડે ઘણે અંશે ગાંધીજીના પક્ષે હતા. જયારે દીવાન વીરાવાળા અંગ્રેજોના પક્ષે દલીલો કરતા હતા. સરદાર પટેલના તારના ઉત્તરમાં ગાંધીજીએ તાર દ્વારા પ્રતિભાવ આપતા લખ્યું,
"તાર વાંચી આભો બની ગયો. ઈશ્વર આપણને દોરશે. આશા રાખું છું નાનાભાઈ અને બીજા હવે સારા હશે. વધારે વિગતોની રાહ જોવું છું."
આ ઘટના છતાં ભાવનગર પ્રજા પરિષદનું પાંચમું અધિવેશન સરદાર પટેલના પ્રમુખ સ્થાને મળ્યું. બે દિવસના અધિવેશનમાં સંપૂર્ણ સ્વસ્થતા સાથે ઠરાવો પસાર થયા. હુમલાના બનાવને સૌએ વખોડી કાઢ્યો. અને દેશી રાજ્યોમાં વ્યાપેલ ગંદા રાજકારણની નિંદા કરવામા આવી. એક બાજુ પરિષદમા  ઠરાવો પસાર થઇ રહ્યા હતા. ત્યારે બીજી બાજુ ભાવનગરના અગ્રગણ્ય મુસ્લિમ સમાજની એક અગત્યની બેઠક મળી. જેમાં હુમલાની ઘટના પ્રત્યે રોષ અને નિંદા વ્યકત કરવામાં આવી. અને ઠરાવવામાં આવ્યો કે,
"ભાવનગર રાજ્યમાં હિંદુ-મુસ્લિમો ભાઈ ભાઈ તરીકે રહેતા આવ્યા છે. અને હજુ રહેશે. આવી  સામાજિક-રાજકીય વિભાગીકરણ કરતી ઘટનાઓ પ્રજાની એકતાને કયારે તોડી શકે નહિ." 
ભાવનગર રાજ્ય પ્રજા પરિષદના અધિવેશન સાથે સરદાર પટેલે ભાવનગરના સમોસરણના વંડામાં તા ૧૬-૫-૧૯૩૯ના રોજ આપેલ વ્યાખ્યાનમા સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં વ્યાપી રહેલ ગુંડાગીરીને વ્યક્ત કરતા કહ્યું હતું,   
"અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને, આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશુંય ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે, આજે બધે વાયુ મંડળમા ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવીને કરેલું કામ નથી. પણ આની પાછળ તો અગાઉથી બુદ્ધિપૂર્વકની ગોઠવણ છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જવાળામુખીના શિખર બેઠા છીએ. આજે કેવળ રાજસત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે."
આ હત્યાકાંડ અંગે દેશી રાજ્યોના દીવાનોના ગંદા રાજકારણને ખુલ્લું પાડવાના હેતુ થી પ્રજાના પ્રતિનિધિઓએ કોર્ટમાં કેઈસ દાખલ કર્યો હતો. જેમાં આ હત્યાકાંડને કોમવાદી હુલ્લડમા ખપાવવા અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સનને સઘન પ્રયાસો કર્યા. પણ ૩૦ નવેમ્બર ૧૯૩૯ના રોજ ખુલ્લી અદાલતમા આ કેઈસનો ચુકાદો આપતા જજ શ્રી ત્રિવેદીએ કહ્યું હતું,
"આ હુલ્લડ કોમવાદી કરતા રાજકીય વધુ હતું. તેમાં એક પવિત્ર સ્થાન નગીના મસ્જિતનો દુરુપયોગ  કરી અસામાજિક તત્વોએ કાનૂનનો જ નહિ, આધ્યાત્મિક ગુનો પણ આચર્યો છે."