Wednesday, June 26, 2013

આદર્શ મુસ્લિમના લક્ષણો : ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.)નું સમગ્ર જીવન માનવ સમાજ માટે આદર્શ રૂપ છે. તેઓ ઈબાદત, માનવતા અને વિશ્વ બંધુત્વના સાચા ઉપાસક હતા. તેમણે જીવનમાં આપનવેલ સાદગી, સદાચાર અને નૈતિકતાના આદર્શો દરેક મુસ્લિમે અપનાવવા જેવા છે. આ આદર્શોનું પાલન કોઈ પણ આમ મુસ્લિમને આદર્શ મુસ્લિમ બનાવવાનો સરળ માર્ગ છે. જીવનમાં તેને શબ્દશઃ અપનાવવાથી સાધારણ મુસ્લિમ ખુદામય બનીશે. તેનું જીવન સુખ,ચેન અને સુકુનની મહેકી ઉઠશે. માટે તે આદર્શો દરેક મુસ્લિમ માટે જાણવા અને અમલમાં મુકવા અત્યંત જરૂરી છે.

v  જે મુસ્લિમ ઈશ્વર કે ખુદા અભિમુખ રહેવા હંમેશા જાગૃત અને પ્રયત્નશીલ રહે છે.
v  જે મોમીનની ઈબાદત નિર્મળ અને પવિત્ર હોય છે. કારણ કે ઈબાદત સૌના અને પોતાના  કલ્યાણ માટે હોય છે, કોઈની બુરાઈ કે કોઈના નુકશાન માટે ઈબાદત નથી થતી. એવી ઈબાદત ખુદાને સખ્ત નાપસંદ છે.
v  સાચો મુસ્લિમ હંમેશા ઇબાદત દ્વારા ખુદામય રહે છે. એ ઇબાદતમાં કયારેય ગફલત નથી કરતો. બલકે તેના જીવનનો મકસદ ખુદાની ઈબાદત જ હોય છે. કુરાને શરીફમાં કહ્યું છે, "જે લોકો પોતાની ઈબાદતને રક્ષતા રહે છે, ઉઠતા, બેસતા કે ઊંઘમાં પડખા ફેરવતા હોય ત્યારે પણ ખુદાની ઈબાદત કે સ્મરણ કરતા રહે છે, તેની હિફાઝત ખુદા કરે છે."
v  સાચો મોમીન ખુદાના પ્રેમ અને કરુણા વિષે કયારે નાસીપાસ કે શંકાશીલ બનતો નથી. ખુદાને આપેલ નેમતો અને મુશ્કેલીઓ પણ હસતા હસતા સ્વીકારી લે છે.
v  જે મુસ્લિમ ક્ષમા કરે છે તે મામલો સુધારી લે છે. જે મુસ્લિમ ગુસ્સો કરે છે તે સંબંધો બગાડી નાખે છે.
v  જે ગુસ્સો ગળી જાય છે અને ક્ષમા આપે છે તે અહેસાન કરે છે.
v  જે ખુદાને પરમ દયાળુ માને છે. તેની કરુણા અને રહેમતને સર્વોપરી સમજે છે. ખુદાના ઇન્સાફને સ્વીકારે છે. આમલ અર્થાત કર્મના ફળની નિશ્ચિતતાને કયારેય ભૂલતો નથી. કુરાને શરીફમાં કહ્યું છે "રહમતી સબકતા ગઝબી" અર્થાત મારી કરુણા મારા કોપ કરતા અનહદ છે"
v  કુરાને શરીફમાં ફરમાવ્યું છે, "ઇન્નારબ્બી ગફુરૂર રહીમ" અર્થાત મારો ખુદા રક્ષણહાર, ક્ષમાવાન અને અત્યંત દયાળુ છે" આ વિચારને દ્રઢપણે માનનાર અને જીવનમાં અપનાવનાર ખુદાનો  સાચો બંદો છે.
v  જે માને છે કે માતા, પિતા કે કોઈ પણ દુન્વઈ માનવી કરતા ખુદા વધુ પ્રેમાળ, દયાળુ છે. ખુદા આપખુદ નથી. તેનો ઇન્સાફ અટલ છે.
v  સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે. પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો. ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો. પણ સબ્ર કરી તે સહી લે છે. કુરાને શરીફમાં કહ્યું છે, " ઇન્નલ્લાહ મઅસ સાબરીન" અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.
v  મુસ્લિમ પોતાના ઘરે આવનાર મહેમાનને એવી રીતે સાચવે કે મહેમાનને પોતાનું ઘર કે કબીલો યાદ ન આવે. મહેમાન આવતા પહેલા ખુદા તેની રોજી તમારા ઘરે મોકલી આપે છે. માટે મહેમાનને સાચવવા એ આદર્શ મુસ્લિમ માટે ફરજીયાત છે.
v   જે મુસ્લિમ વચનમાં પાકો, સાક્ષીમાં સાચો, અમાનત સાચવવામાં વિશ્વનીય હોય. કરાર, ઠરાવ
 કે વચનમાં વિશ્વનીય હોય.
v  જેની નજર નિર્મળ, રહનસહન પાક, વ્યવહાર શુદ્ધ, ઈરાદા નેક અને વાણી પવિત્ર હોય તે આદર્શ મુસ્લિમ છે.
v  જેની ઈચ્છાઓ, અભિલાષાઓ ખુદા પર દ્રઢ હોય. જે ખુદામય હોય. ખુદાને જ માલિક માનતો હોય. હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય.
v  જે ખુદાને "ખૈરુલહાફિઝીન" અર્થાત માનવજાતનો શ્રેષ્ટ રક્ષક માનતો હોય.
v  અલ્લાહે જે કઈ આપ્યું છે તેનો હર પળ જે શુક્ર અદા કરતો રહે છે.
v  અલ્લાહે બક્ષેલ સ્થાવર જંગમ મિલકતમાંથી ગરીબો, મહેરુમો અને જરૂરતમંદોને નિયમિત જકાત-ખેરતા અર્થાત દાન આપતો હોય.
v  રમઝાન માસમાં જે મોમીન પાબંદીથી રોઝા રાખે છે, નમાઝ પઢે છે. અને પ્રમાદી વર્તન નથી કરતો.
v  મન, વચન અને કર્મથી જે માનવી કોઈના મન હદયને ઠેસ લાગે તેવું વર્તન કે ભાષા ઉચ્ચારતો નથી, અને એવું થઇ જાય ત્યારે ક્ષમા માંગતા કે આપતા ખચકાતો નથી તે આદર્શ મુસ્લિમ છે.
v  યતીમો (અનાથો), નિર્બળો, હતભાગીઓ અને નિઃસહાય દિન દુઃખીઓ તરફ માયાળુ અને સહાયક વ્યવહાર રાખનાર.
v  જે વ્યાજ લેતો નથી.  પણ કર્ઝે હસના અર્થાત ખુદા આપે ત્યારે કરજ મને પાછું આપજે, અન્યથા અલ્લાહના નામે તે તને માફ છે, તેવું કર્ઝ આપવા ઉત્સુક હોય.
v  કર્ઝ લેનાર પાસેથી કર્ઝ પરત મેળવવા જે યાતના નથી આપતો, કડવા વેણ નથી સંભળાવતો. અને સબ્રથી કામ લે છે તે આદર્શ મુસ્લિમ છે.
v  જે પાડોશી સાથે સ્વજનો જેવો જ વ્યવહાર કરે. પાડોશી ભૂખ્યો હોય તો પોતાનું ભોજન તેને જમાડી રાજી થાય. પોતાના કાર્યોથી પડોશીને મદદ રૂપ થાય છે.
v  જે ઝગડો ન કરે, હુલ્લડ, ચોરી, લુંટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર વગેરે અસામાજિક અપકૃત્યોથી દૂર  રહે, તે સાચો મોમીન છે.
v   જે ફૂજુલ ખર્ચ નથી કરતો. કંજુસાઈ અને કરકસર વચ્ચેનો ભેદ જે સમજે છે.

v  ભલાઈ, નેકી, અહેસાન, ખિદમત અને માનવતાના કાર્યોમાં જે હંમેશા અગ્રીમ રહે છે. તે આદર્શ મુસ્લિમ છે.

No comments:

Post a Comment