Wednesday, December 18, 2013

ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સર્વ પ્રથમ કાઠીયાવાડે આપ્યું હતું. : ડૉ. મહેબૂબ દેસાઈ



જાન્યુઆરી માસ ગાંધીજીના જીવનમાં મહત્વનો રહ્યો છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેઓ દિલ્હીમાં શહીદ થયા. ભારતની આઝાદીની લડતમાં છેલ્લે સુધી રત રહેનાર ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા.

ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ભારતમાં ગાંધીજીના આગમન સમયે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું નહતું. દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ "ભાઈ" તરીકે સંબોધતા હતા. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો.  
ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. બંને શહેરની પ્રજાએ આપેલા માનપત્રોમા  "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયો હતો. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવમાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.

૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,

"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"

માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન વાચકોને અચૂક ગમશે.

"મહાશય

ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ." 

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ. આ માનપત્ર સાથે, જ કસ્તુરબાને પણ માનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના મથાળે લખ્યું હતું,

"અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી બહેન કસ્તુરબાઈ"

કસ્તુરબાને મળેલ આ માનપત્રના કેટલાક અંશો પણ જાણવા જેવા છે. માનપત્રના ત્રીજા પેરેગ્રાફમા લખ્યું છે,

"સ્ત્રી જાતીને પોતાનો પતિવૃતા ધર્મ કેવી રીતે પાળવો પોતાના પતિની આજ્ઞા પ્રમાણે કેમ વર્તવું તથા પતિને સુખે સુખી અને તેના દુ:ખે દુઃખી તે જે આપણા શાસ્ત્રનું મહાન વાકય છે તે મુજબ વર્તી ખરેખર પતિ પરાયણ થઇ સ્વદેશની સેવાને માટે જરૂરને વખતે કારાગૃહમા જવાના અને બીજા અનેક દુ:ખોને નહિ ગણકારતા આત્મભોગ આપી આપે જે દાખલો બેસાડ્યો છે તે અનુપમ છે અને આખા સ્ત્રી વર્ગને નમુના રૂપ છે."

માનપત્રની નીચે જેતપુરની ત્રીસ બહેનોની સહીઓ જોવા મળે છે. જેમાં મુખત્વે બાઈ જીવી લાલજી, શીરીનબાઈ મારકર, અંબા, નંદકુવ હરજીવન દોશી વગેરનો સમાવેશ કરી શકાય. આ બંને માનપત્રો કાપડ ઉપર પ્રિન્ટ થયેલા છે. માનપત્રોની ભાષામા લાંબા વાક્યો સાથે અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો છે. છ પેરેગ્રાફમા લખાયેલ ગાંધીના માનપત્રમા વિગતોની ભરમાર નથી. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંશા સાથે, આવકાર અને પ્રજાની અપેક્ષા દ્રષ્ટિગોચર થાય છે. આ તમામ વિશિષ્ટતાઓ સાથે સૌથી મહત્વની બાબત તેના મથાળામાં ગાંધીજી માટે વપરાયેલ "મહાત્મા" શબ્દ છે. જે દર્શાવે છે કે ગાંધીજીને "મહાત્મા"નું સૌ પ્રથમ બિરુદ-તખ્લુસ આપનાર પણ તેમની માદરેવતન ધરતી કાઠીયાવાડ જ છે. જે સૌ કાઠીયાવાડીઓ માટે ગર્વની વાત છે અને રહેશે.

 

 

 
 

Tuesday, December 17, 2013

સરખેજનો રોજો અને તળાવ : ડૉ. મહેબૂબ દેસાઈ


હાલમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (નાગપુર)ના નિયામક રહી ચુકેલ ગુજરાતના જાણીતા પુરાતત્વવિદ સ્વ. ડૉ. ઝિયાઉદ્દીન અ. દેસાઈએ ૧૯૮૯મા લખેલ અને માર્ચ ૧૯૯૦ના સંશોધન સામાયિક "સામીપ્ય"મા પ્રસિદ્ધ થયેલ "સરખેજ તળાવ : કર્તા અને સમયના પરિપ્રેક્ષ્યમા" નામક સંશોધન લેખ વાંચવામાં આવ્યો. એ લેખમાં સરખેજના સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોઝા અને તળાવ અંગે અનેક આધારભૂત અને ઐતિહાસિક, છતાં ઓછી જાણીતી વિગતો જાણવા મળી. જે તેમના જ શબ્દોમાં અત્રે રજુ કરું છું.

અમદાવાદને લગભગ અડીને આવેલ ઐતિહાસિક સ્થળ સરખેજ ગામની પશ્ચિમે આશરે દોઢેક કિલોમીટર દૂર દસ્ક્રોય તાલુકાના મકબરા ગામની સીમમાં ૧૪-૧૫મા શતકના મહાન સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો સુંદર અને ભવ્ય રોજો આવેલો છે. ગુજરાતના પહેલા પાંચ સુલતાનોની આદરણીય વ્યક્તિવિશેષના .. ૧૪૪૬મા ૧૧૧ વર્ષની વયે અવસાન પ્રશ્ચાત તેમના અંતિમ વિરામ સ્થાન પર બહુધા અમદાવાદના સ્થાપક અહમદશાહ ૧લા (૧૪૧૨-૪૨)ના પુત્ર મુહંમદ બીજા(૧૪૪૨-૫૧) વિશાળ, સફેદ અને રંગીન આરસના પથ્થરની પીઠ પર બંધાયેલો સંતનો ભવ્ય અને સુંદર રોજો ભારતની મુસ્લિમ ઈમારતોમાં આગવું સ્થાન ધરાવે છે. એ પછી સ્થાનની પવિત્રતાને ધ્યાનમાં રાખી ગુજરાતના મહાન સુલતાનો, અમીરો, કવિઓ, સાક્ષરો વગેરેએ પોતાની આખરી આરામગાહ અહીં બનાવડાવી હતી. સંતની હયાતી તેમજ તેમના અવસાન પછી આજ પર્યંત આસ્થાવાન અને શ્રદ્ધાળુ ભકતો તેમજ જનસમુદાયનું માનીતું મુલાકાતનું સ્થાન રહ્યું છે. એટલું નહિ, પણ તેના નૈસર્ગિક શાંત વાતાવરણ અને સુંદર ખુલ્લી જગ્યાને લઈને અમદાવાદ શહેરના મુસ્લિમ નાગરિકો માટે લોકપ્રિય સહેલગાહની ગરજ સારે છે. સંતના ચરણ સ્થાનને પોતાના અંતિમ વિશ્રામ સ્થાનની પસંદગી કરવાની પહેલ કરનાર સુલતાન મહંમદ બેગડો (૧૪૫૮-૧૫૧૧) તથા તેના બે ઉત્તરાધિકારીઓ સુલતાન મુજફ્ફર બીજો (૧૫૧૧-૨૬) અને સુલતાન મહમુદ ત્રીજો (૧૫૩૮-૫૪) તેમજ તેમની રાણીઓ (જેમાં માત્ર એક બીબી રાણીનું નામ એક કબર પર અંકિત છે) પણ સંતના રોજાની દક્ષિણે દફન થયા છે. જેના પર તેઓ ચીર નિદ્રામા પોઢ્યા છે, તેવા ઝીણા અને અતિ સુંદર ભાતભાતની નકશીવાળા સ્ફટિક આરસના અત્યંત અલંકૃત ઢોલિયા જેવી કબરો પર સુલતાનોના એક, તેમજ તેની દક્ષિણે તળાવમાં ઉતરવાના પગથીયાવાળા ઘટને આવેલ રાણીનો એક એમ સુંદર પથ્થરની ફરસબંધીવાળા ચોક (સહેન)ની ત્રણ બાજુએ ઈમારતો આવેલી છે. જેને ફરતી પૂર્વ અને ઉત્તર એમ બે બાજુએ ઉંચી દીવાલ હતી. આ આખા સંકુલનું મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વમાં આજે પણ વિદ્યમાન છે. આ રોજા-મસ્જિત-મકબરાના સંકુલની દક્ષિણે અડીને સુંદર પથ્થરબદ્ધ પગથીયાવાળું વિશાલ તળાવ છે. તેના દક્ષિણ કાંઠે પશ્ચિમ ભાગમાં સુલતાનના વિશાળ દ્વિમાળી મહેલો આવેલા છે.

સૂફી સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના રોજાનું બાંધકામ સુલતાન મુહંમદ બીજાએ ૧૪૪૬મા કર્યું હતું. અને તેના પુત્ર અને અનુગામી સુલતાન કુત્બુદ્દીન અહમદ બીજા (૧૪૫૧-૫૮)એ નિર્માણ પૂરું કર્યું હતું.  તેમ સાધારણ રીતે માનવામાં આવે છે. મસ્જીતની ઈમારત પણ સંતના રોજા સાથે કે તે પહેલા બંધાઈ હોય તે સંભવિત છે. લોકોક્તિ તો મસ્જિત નિર્માણનું શ્રેય સંતને આપે છે. પણ સંતે પોતાના જે નિવાસસ્થાન પ્રમાણે આ મસ્જિત બંધાવી હતી તે હાલની રોજાવાળી મસ્જિત પાસે નહિ, પણ હાલના સરખેજ ગામની વાયવ્ય દિશાએ આજે પણ વિદ્યમાન પ્રાચીન મસ્જિત હતી. અને આ મસ્જિત સંતે બંધાવી હતી તેવો અમુક વિદ્વાનોનો મત છે. જ્યાં સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષના  રોજા અને મસ્જીતના બાંધકામના સમય વિષે માહિતી મળતી ન હોય ત્યાં તળાવ નિર્માણ વિષે માહિતીનો અભાવ સમજી શકાય તેમ છે. તળાવ માટે પણ એમ મનાય છે કે સરખેજ રોજાવાળી જગ્યા સુલતાન મહંમદ બેગડાની માનીતી સહેલગાહ બની, ત્યારથી ત્યાં દેખીતી રીતે જ સંતના રોજા અને મસ્જિત પ્રશ્ચાત ઉક્ત તળાવ તેણે બંધાવ્યું. જોકે તળાવ તો ત્યાં હતું જ પણ તેને વિશાળ પથ્થરબંધ પગથીયાવાળું બનાવી તેને ઉત્તર કિનારે એટલે કે સંતની કબરના ચરણ તરફના કાંઠે પોતાનો અને સંભવત રાણીઓનો મકબરો તેમજ તળાવને સામે દક્ષિણ કાંઠાના પશ્ચિમ ભાગમાં પોતાના ગ્રીષ્મકાલીન આવાસ તેમજ આનંદ પ્રમોદ માટે મહેલો બંધાવ્યાનું મનાય છે. આમ સરખેજ સંતના રોજાનું

"સ્થાપત્ય ઈમારતોનું એક સુંદર સંકુલ જે દ્વારા આ સ્થાન ઘણા શતકો સુધી મહત્વ પ્રાપ્ત થયું, અસ્તિત્વમાં આવ્યું"

રોજા-મસ્જિત-મકબરાના આ આખા સંકુલની ઈમારતોનું નિર્માણ સારી એવી ઉંચી પીઠ પર કરવામાં આવ્યું છે. તેમ જેમ મસ્જિતથી પૂર્વ અને રોજાથી દક્ષિણ દિશાએ આવેલા સુલતાન અને રાણીના બે મકબરાઓની વચ્ચે સરોવરમાં ઉતરવા માટે પગથીયાવાળા ઘાટ છે. તે જ પ્રમાણે મસ્જીતના ખુલ્લા સહેન (ચોક)માંથી પણ તળાવમાં નીચે જવા માટે દક્ષિણ દિશામા વચ્ચે એક ગવાક્ષમાંથી બીજી તરફ નીચે ઉતરતા પગથીયાની સગવડ છે. આ પગથીયા તથા મસ્જીતના મુખ્ય કક્ષની પીઠ નીચેના ભાગે એક શીલા પર ૪૮ સેન્ટીમીટર લંબાઈ અને ૨૧ સેન્ટીમીટર પહોળાઈ જેટલી જગ્યામાં પાંચ પક્તિનો એક લેખ કંડારવામા આવેલો છે. જેનું ભાષાંતર નીચે મુજબ થાય છે.

૧. અહમદસર તળાવ ઉત્તર-દક્ષિણ બાજુ ગજ ૪૨૨ સહી

૨. શ્રી તળાવની પૂર્વ પશ્ચિમ બાજુ ગજ ૨૭૧ સહી

૩. દક્ષિણ તરફ આવેલ પાણીની આમદ (વાવ) વાળું નાળું ગજ ૪૯૯ સહી

૪. સવંત ૧૫૭૧ વર્ષે મહા સુદિ ૫ .... સુલતાન મુઝફ્ફર સાહેબ (મુજફ્ફર ૨જો) ટંકા લાખ નવ ૯૦૦,૦૦૦ સહી.

આમ સરખેજ નું તળાવ વિક્રમ સંવત ૧૫૭૧ મહા સુદ પંચમી એટલે ૩૧ જાન્યુઆરી૧૫૧૪ના દિને બંધાયું હતું.  મહમુદ બેગડાના પુત્ર અને ઉત્તરાધિકારી મુઝફ્ફર ૨જાના રાજયરોહણના લગભગ સવા બે વર્ષ પછી આં નિર્માણ બહુધા થયું હતું. બીજા શબ્દોમાં તળાવ નિર્માણનું કાર્ય મહંમદ બેગડાના સમયમાં નહિ , પણ પુત્ર મુઝફ્ફર -૨જાના રાજ્યકાળ દરમિયાન થયું હતું.

ઇ.સ. ૧૫૯૪-૯૫મા લખાયેલ ગુજરાતના પ્રખ્યાત ફારસી ગ્રંથ "મિરાતે સિકંદરી"ના કથન મુજબ મહમુદ બેગડાએ તેણે પોતે બંધાવેલા મક્બરમાં દફનાવવામાં આવ્યો હતો. અને સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો રોજો મસ્જિત વગેરે બધી ઈમારતોનું સંકુલ મહમુદ બેગડાના અવસાન પૂર્વે નિર્મિત થયું હોવું જોઈએ.

સરદાર પટેલ અને બિન સાંપ્રદાયક મૂલ્યો* : ડૉ. મહેબૂબ દેસાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ(૩૧ ઓકટોબર ૧૮૭૫-૧૫ ડિસેમ્બર૧૯૫૦ )ની ૧૩૯મી જન્મ જયંતિ ૩૧ ઓકટોબરે આપણે ઉજવીશું. સરદાર પટેલના અવસાનને એકસઠ વર્ષ થવા આવ્યા છે. છતાં તેમના સમગ્ર વ્યક્તિત્વને ઉજાગર કરવામા હુજુ આપણે કાચા પડ્યા છીએ. અને એટલે જ આજે પણ સરદાર પટેલ સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક હતા, તેની ચર્ચાઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ વારંવાર થતી રહે છે. સરદાર પટેલ એક તટસ્થ અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય નેતા હતા.એ વાત સિદ્ધ કરતા અનેક પ્રમાણો ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં ભંડારાયેલા પડ્યા છે. તેના થોડાક દ્રષ્ટાંતો અત્રે આપવા ઈચ્છું છું. સરદાર પટેલના રાજકીય જીવનના આરંભે જ ૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું, “હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ છે. એને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું પડશે. હજુ આપણા મન જોઈએ તેટલા સ્વચ્છ નથી. દરેક બાબતમાં એક બીજાનો અવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે. તે નથી જતી. એ એકતાને તોડી પાડવાના પ્રપંચો અને પ્રયત્નો થશે. એ એકતાને કાયમ માટે મજબુત બનાવવાનો રૂડો અવસર હિન્દુઓના હાથમાં આવી પડેલો છે. હિન્દુઓનો ધર્મ છે કે મુસ્લિમ ધર્મનું રક્ષણ કરવામા તેમને અત્યારે આપણે પૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્વાસ રાખવો” સરદાર પટેલના ૯૦ વર્ષ પૂર્વેના આ શબ્દો બે બાબતો સ્પષ્ટ કરે છે. પ્રથમ, સરદાર પટેલની ભારતીય મુસ્લિમો પ્રત્યેની નીતિ. બીજું, આ શબ્દોમાં રહેલી આજના સંદર્ભની યથાર્થતા. સરદાર પટેલને મુસ્લિમ વિરોધી ચિતરનાર સમાજવાદીઓ અને કોમવાદીઓએ સરદારના કોમી એકતાના આ પાસાને ઉજાગર થવા દીધો જ નથી. પરિણામે ભારતીય ઇતિહાસના પાનાઓ પર સરદારના તટસ્થ મુસ્લિમ અભિગમને ઝાઝું સ્થાન નથી મળ્યું. અલબત્ત, એ સત્યને નકારી ન શકાય કે સરદારની ઇસ્લામ ધર્મ અંગેની સમજ અત્યંત માર્યાદિત હતી. ઇસ્લામના સિદ્ધાંતોને સમજવા તેમણે ન તો કોઈ પુસ્તક વાંચ્યું હતું , ન એ માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો હતો. ઇસ્લામ અંગે તેમણે જે કઈ થોડું ઘણું જાણ્યું હતું તે તેમના મુસ્લિમ સાથીઓ સાથેના સંપર્કને કારણે જ. પરતું તેનો અર્થ કદાપી એવો ન થાય કે તેમને ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો પ્રત્યે અરુચિ હતી. આ વાતનું સમર્થન કરતા રાજમોહન ગાંધી લખે છે, “ખુદ સરદારે પોતે પણ મુસ્લિમ સમાજમાં બહુ ઓછું કામ કર્યું હતું. બાકરોલમાં મુસ્લિમ નોકર, કરમસદનો ભાડુત, સાબરમતી આશ્રમના કુરેશી (ગુલામરસુલ કુરેશી),દા. અન્સારી (ડૉ. એસ.એન.અન્સારી), અબ્બાસ સાહેબ, ગફારખાન અને મૌલાના આઝાદ જેવા કેટલાક મુસ્લિમો જ તેમના સંપર્કમાં હતા.” જો કે સરદાર પટેલની મુસ્લિમો પ્રત્યેની વિચારધારાને સ્પષ્ટ અને તટસ્થ કરવામાં ગાંધીજી સાથેનો ૧૬ માસનો યરવડા જેલનો નિવાસ અત્યંત કારણભૂત બન્યો હતો. જેલમાં નિરાંતના સમયે બંને નેતાઓ વચ્ચે થયેલા કેટલાક સંવાદો તેની સાક્ષી પૂરે છે. એકવાર સરદાર પટેલે ગાંધીજીને કહ્યું, “પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે. તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેમ રહી શકાય ?” ગાંધીજીએ સરદારની આ ગેરસમજને દૂર કરતા કહ્યું, “ના, ના. ગુજરાત સિવાય બીજે ક્યાય હિન્દુઓ શાકાહારી હોતા નથી. પંજાબ, સિંધ , ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમા હિન્દુઓ માસ ખાય છે.” એકવાર સરદારે ટકોર કરતા ગાંધીજીને કહ્યું, “એવો કોઈ મુસ્લિમ છે, જે તમારી વાત સાંભળે છે” ગાંધીજીએ અત્યંત સ્વસ્થ સ્વરે કહ્યું, “ભલે કોઈ ન હોઈ. તેથી કશો ફેર પડતો નથી. આપણે આશા રાખીએ કે એ લોકો (મુસ્લિમો)પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવ સ્વભાવ પર વિશ્વાસ મુકવો.” ગાંધીજી અને સરદાર પટેલની આવી ગુફ્તગુ એ સરદારના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સ્પષ્ટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજ્વ્યો હતો. પરિણામે સરદાર પટેલની ભારતના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યેની દ્રષ્ટિ તટસ્થ અને સંયમિત બની હતી. ૧૯૩૭ના ડીસેમ્બરમાં મહંમદઅલી જિન્નાએ કોંગ્રસની હિંદુ તરફી નીતિને વ્યક્ત કરતા જાહેરમા કહ્યું, “કોંગ્રસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે” અને ત્યારે સરદાર પટેલે (૨૫.૧૨.૧૯૩૭ના રોજ) રાજપીપળાની જાહેર સભામા તેનો ઉત્તર વાળ્યો હતો, “રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ માત્ર પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા નથી શોધતી. પણ પાંત્રીસ કરોડની આઝાદી માટે લડે છે. જેમાં હિંદુ, મુસ્લિમ,પારસી, ખ્રિસ્તી તમામનો સમાવેશ થાય છે.” સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથેના સરદારના સબંધો પણ પ્રેમાળ અને પ્રોત્સાહક રહ્યા હતા. ધંધુકા જેવા નાનકડા ગામના યુવાન ગુલામ રસુલ કુરેશીને રાષ્ટ્રીય ફલક પર આણવામાં સરદારનો ફાળો નાનો સુનો ન હતો. એકવાર રચનાત્મક કાર્યો માટે માંગેલા રુ.૨૦૦૦ની વ્યવસ્થા કરી આપતા સરદાર પટેલે (૬.૨.૧૯૪૨ના રોજ હજીરાથી) ગુલામરસુલ કુરેશીને લખ્યું હતું, “મુસલમાનોમા તમારે કામ કરવાનું રહ્યું. એટલે એ વિશેની જરૂરિયાત અને મુશ્કેલીઓ તમે જ સમજી શકો. એમાં મારે ખાસ કઈ કહેવાનું ન હોઈ. તમેં માંગો છો તે પ્રમાણે સગવડ કરી દેવી એટલું જ હું કરી શકું. બાકી કામની જવાબદારી તો તમારી જ રહે. તમે ૨૦૦૦નો અંદાજ બતાવ્યો છે.તેટલી રકમ આવતા વર્ષ માટે તમારે જેમ જેમ જોઈએ તેમ તેમ ઉપાડવા માટે માવળંકરદાદાને ત્યાં સગવડ કરી છે. ત્યાંથી તમારી જરૂરિયાત પ્રમાણે ઉપાડજો” ઈ.સ.૧૯૩૮મા સુભાષબાબુ એ કોંગ્રસના પ્રમુખ તરીકે બીજીવાર ચાલુ રહેવાની જાહેરાત કરી. ત્યારે તેનો વિરોધ કરી તેના સ્થાને મૌલાના આઝાદના નામને આગળ કરનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે તે માટે સંમત ન હતા. ગાંધીજીને તેમણે કોંગ્રેસ પ્રમુખ થવાની ના પાડી. ત્યારે મૌલાનાને મનાવવાનું કપરું કાર્ય સરદાર પટેલે ઉપાડી લીધું હતું. આ અંગે રાજેન્દ્રબાબુને લખેલા એક પત્રમાં સરદાર પટેલ લખે છે, “જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાનાને સમજાવી શક્ય છીએ....ઘણો વખત અચકાયા પછી તેમણે વાત કબુલ રાખી છે.” ઈ.સ.૧૯૩૯મા પુનઃ કોંગ્રેસના પ્રમુખપદનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે મહાદેવભાઈ દેસાઈની ઈચ્છા સરદાર પટેલને કોંગ્રસના પ્રમુખ બનાવવાની હતી. પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સરદાર પટેલે પુનઃ મૌલાના આઝાદનું નામ આગળ કર્યું. અને આમ ૧૯.૩.૧૯૪૦ના કોંગ્રસ અધિવેશનના પ્રમુખ મૌલાના આઝાદ બન્યા. ભાવનગર રાજ્ય પરિષદના પાંચમાં અધિવેશનમાં ભાગ લેવા ૧૪ મેં ૧૯૩૯ના રોજ સરદાર પટેલ ભાવનગર આવ્યા હતા. ત્યારે તેમની હત્યાનું કાવતરું રાજ્યના દીવાન દ્વારા ઘડાયું હતું. એ માટે ભાવનગરના ખારગેટ વિસ્તામાં આવેલ નગીના મસ્જીતનો કાવતરાખોરોએ ઉપયોગ કર્યો. સરદાર પટેલનું સરઘસ નગીના મસ્જિત પાસેથી પસાર થયું ત્યારે મસ્જિતમાંથી હથિયાર સાથે સરઘસ પર હુમલો થયો. સરદાર અલબત્ત બચી ગયા. આ ઘટનાને અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન અને ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ મુસ્લિમોના હુમલા તરીકે ખપાવવા ઘણી કોશિશ કરી. પણ સરદાર પટેલે ૧૬.૫.૧૯૩૯ના રોજ ભાવનગર પ્રજા પરિષદના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યની ગુંડાગીરીને ખુલ્લી પાડતા કહ્યું હતું, “અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશું ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે. આજે બધે વાયુ મંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવી કરેલું કામ નથી. આની પાછળ તો બુદ્ધિ પૂર્વકની ગોઠવણી છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. આજે કેવળ રાજ સત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.” છેક ૧૮૫૭થી આરંભાએલી હિંદુ-મુસ્લિમોને લડાવી “ભાગલા પાડો અને શાસન કરો”ની અંગ્રેજોની કૂટનીતિથી સરદાર પટેલ બખૂબી વાકેફ હતા. અને એટલે જ અંગ્રેજોની અલગ કોમી મતદાર મંડળોની નીતિને ખુલ્લી પાડતા ૧૦.૩.૧૯૪૦ની નવસારીની દુધિયા તળાવની જાહેરસભામાં તેમણે કહ્યું હતું, “અલ્લાહાબાદમાં હિંદુ,મુસ્લિમ,શીખ, ખ્રિસ્તી બધા એક થયા અને ફેસલો કર્યો કે આપણે કોમી મતદાર મંડળો ન જોઈએ. અને મુસલમાનો જે માંગે તે આપવું. પણ તુરત અંગ્રેજોએ મુસ્લિમોને તાર કર્યો કે તમે તેમાં ભળશો નહિ. અમે તમને વધારે આપીશું. અમે તો દાખલા સાથે સિદ્ધ કરીએ છીએ કે અંગ્રેજો જ લડાવે છે. એ તો કહે છે કે તમે બે લડો ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપ્રત કરેલું છે.” ભારતના ભાગલા સમયે પણ ગૃહમંત્રી તરીકેની સરદારની ભૂમિકા અત્યંત સંતુલિત હતી. પતિયાણામા રાજપુર અને લુધિયાણા વચ્ચે, તેમજ રાજપુર અને ભટિંડા વચ્ચે મુસ્લિમોની સામુહિક હત્યા,કતલ અને લુંટફાટના બનાવોની વણઝાર સર્જાય હતી.તેની જાણ સરદાર પટેલને થતા તેમણે પતિયાણાના મહારાજાને ૨૬.૮.૧૯૪૭ના રોજ તે અટકાવવાની સુચના આપતા લખ્યું હતુ, “પરિસ્થિતિ તદન કાબુ બહાર થઈ ગઈ છે.મહેરબાની કરીને કંઇક કરો અને તે તુરત અટકાવો. લઘુમતીઓના રક્ષણ માટે અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા તમામ સક્રિય પગલા ભરશો તો આભારી થઇશ.” એજ રીતે રામપુરના નવાબે તેમની પ્રજાનું અશાંત દિલ્હીમાથી રામપુર સ્થળાંતર કરવા સરદારને વિનંતી કરી, ત્યારે પણ સરદારે દિલ્હીના કલુષિત વાતાવરણને ધ્યાનમાં રાખી રામપુરના હજારેક જેટલા મુસ્લિમ નિવાસીઓને સ્પેશિઅલ ટ્રેનમા રામપુર મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભોપાલના નવાબની માંદગીથી પીડાતી દીકરીને અશાંત દિલ્હીમાં શોધીને તેની સારસંભાળ કરવાની તકેદારી પણ સરદાર કરવાનું ચુક્યા ન હતા.મુસ્લિમ હિજરતીઓ સહીસલામત રીતે પાકિસ્તાન પહોચી જાય તેની દરકાર પણ ગૃહમંત્રીએ રાખી હતી. શ્રી.વી.પી.મેનને અમૃતસરમાંથી પસાર થતી હિજરતી મુસ્લિમોની ટ્રેનો પર શીખોના હુમલાઓ અંગે સરદારની ભૂમિકાની પ્રસંસા કરી છે. ત્યારે અમૃતસરમાં વિશાળ સભાને સરદારે સંબોધી હતી. અને પાકિસ્તાન જતા મુસ્લિમો આપણા જ ભાઈઓ છે. તેમની હિંસા એ આપણા જ ભાઈઓની હત્યા છે. એમ એક કલાક લાગણીસભર ભાષણ કરી અમૃતસરના શીખોને શાંત પાડ્યા હતા. અને હિજરતી મુસ્લિમોને સહી સલામત પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સ્વતંત્ર ભારતના સશક્ત મધ્યમાં તરીકે રેડીઓમાં ઉર્દૂ ભાષાને સ્થાન આપવામા પણ સરદારનો ફાળો અગ્ર હતો. ૧૪.૧૨.૧૯૪૯ન રોજ માહિતી પ્રધાન આર.આર.દિવાકરને સરદાર પટેલે લખે છે, “પણ આપણે રેડિઓને પ્રચારનું, મુસ્લિમો અને નિરાશ્રીતોમાંથી ઘણાં ખરા લોકોને ધર્મનિરપેક્ષ રાજય અને સંસ્કૃતિના આદર્શ માટે પ્રોત્સાહન આપવાનું કામિયાબ સાધન બનાવવા ઇચ્છતા હોઈએ તો હાલ તુરત તો દિલ્હીના કાર્યક્રમમા પણ કેટલોક હિસ્સો ઉર્દુને આપવો પડશે” આજે દિલ્હી રેડિઓ સ્ટેશન પરથી પ્રસારિત થતા ઉર્દૂ કાર્યક્રમો સરદાર પટેલની દેન છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. આમ ભારતના રાષ્ટ્રીય મુસ્લિમો અને ઇસ્લામી સંસ્કૃતિ પ્રત્યેની સરદારની નીતિની નોંધ લેતા અનેક દ્રષ્ટાંતો ભારતના ઇતિહાસમા દટાયેલા પડ્યા છે. આ દ્રષ્ટાંતો જ સરદારને મુસ્લિમ વિરોધી કહેતા જૂથ માટે જવાબ રૂપ છે. ઇતિહાસનું વિશ્લેષણ ઘટનાઓના મૂલ્યાંકન અને તેના નિષ્કર્ષમાંથી થાય છે. એ દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ ઉપર સરદારને મુસ્લિમ વિરોધી કહેતું જૂથ થોડી તવજ્જો આપશે તો સરદારનું ભારતીય મુસ્લિમો પ્રત્યેનું વલણ અવશ્ય પામી શકશે. પણ એ મૂલ્યાંકન વેળાએ એટલી બાબત અચૂક યાદ રાખવી જોઈએ કે સરદારને બે મોઢા રાખી ભારતમાં વિચરતા મુસ્લિમો પ્રત્યે સખત નફરત હતી. તેઓ કહેતા, “ભારતના મુસ્લિમોને મારે એક જ સવાલ પૂછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી ? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી ?... હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોઈ તે જઈ શકે છે, અને સુખચેનથી રહી શકે છે” પણ આ સાથો સાથ રાષ્ટ્રીય મુસ્લિમો પ્રત્યે સરદારને અંત્યંત આદર હતો. સ્વાતંત્ર સંગ્રામના તેમના મુસ્લિમ સાથીઓ અને નાનામા નાના રાષ્ટ્રવાદી મુસ્લિમ માટે તેઓ સમાન અને તટસ્થ વ્યવહાર કરવાને પોતાનો ધર્મ માનતા. અને તેમાં ક્યારેય ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા. તેઓ હંમેશા કહેતા, “રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈ પણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે” આવા સરદારને આપણે સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક કહીશું તે વાચકો, વિચારકો અને રાજકારણીઓ પર છોડી દઈએ – અસ્તુ ---------------------------------------------------------- * સરદાર પટેલની ૬૩મી પુણ્યતિથી નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ સોસાઇટી અને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા ૧૫ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ આયોજિત સેમિનારમા ડૉ. મહેબૂબ દેસાઈએ આપેલ વ્યાખ્યાન

Monday, November 25, 2013

મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના અમરસુત્રો


(પુસ્તકનું સંપૂર્ણ મેટર)

 
સૌ પ્રત્યે પ્રેમ એ મારી રીત છે.

જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો,

તેણે મારી સાથે પ્રેમ રાખ્યો.

અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો

તે મારી સાથે જન્નત (સ્વર્ગ)માં રહેશે.

***

બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે,

આપણામાં બળવાન તે છે,

જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.

***

પોતાનો પાડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય

ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે

તે મોમીન (મુસ્લિમ) નથી.

***

સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે.

અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે

તે પરમાત્માને સૌથી પ્રિય છે.

***

ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.

મોમીના (મુસ્લિમ) થવા માંગતો હોય તો,

તારા પાડોશીનું ભલું કર,

અને મુસ્લિમ થવા ઇચ્છતો હોય તો

જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌને માટે માન.

***

મોમીન તે છે

જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપીને

સૌ નિશ્ચિત થઈ જાય છે.

***

એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,

"ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું, " ભૂખ્યાને ભોજન આપવું

અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"

***

જેનામાં પ્રમાણિકતા નથી,

તેનામાં ઇમાન નથી.

***

અલ્લાહ જે અગ્નિનો માલિક છે,

તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી

કે બીજાને અગ્નિ વડે શિક્ષા કરે.

***

ઈમાન (શ્રદ્ધા)

માનવીને દરેક પ્રકારનો જુલ્મ કરતા અટકાવવા માટે છે.

કોઈ ઈમાનદાર (શ્રદ્ધાવાન) માનવી કોઈ માનવી પર જુલ્મ ન કરી શકે.

***

એક સહાબીએ મહંમદ સાહેબને પૂછ્યું,

" ઇસ્લામ એટલે શું ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું,

"વાણી પવિત્ર રાખવી અને અતિથિનો સત્કાર કરવો એટલે ઇસ્લામ"

***

કોઈ પણ નશાની ચીજનો ઉપયોગ કરવો

એ સો પાપોનું પાપ છે.

***

મહંમદ સાહેબની તલવારની મૂઠ પર

આ શબ્દો કોતરેલા હતા,

"જે તને અન્યાય કરે તેને તું ક્ષમા આપ,

જે તને પોતાથી વિખૂટો કરે તેની સાથે મેળ કર,

જે તારા પ્રત્યે બૂરાઈ કરે તેના પ્રત્યે ભલાઈ કર,

અને હંમેશાં સત્ય બોલ,

પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય."

***

અલ્લાહ રહીમ (દયાળુ) છે.

તે દયાળુ પર દયા કરે છે.

જેઓ પૃથ્વી પર છે

તેમના પર તમે દયા કરો

અને આસમાન પર છે

તે તમારા પર દયા કરશે.

***

આ દુનિયાનો મોહ રાખવો

એ જ બધા પાપોનું મૂળ છે.

***

અલ્લાહે મને હુકમ આપ્યો છે કે

નમીને ચાલ અને નાનો બનીને રહે,

જેથી કરીને કોઈ બીજાથી ઊંચો ન થઇ જાય,

તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે.

જેના મનમાં રતીભાર પણ ઘમંડ છે

તે કદી સ્વર્ગમાં નથી જઈ શકતો.

સૌ માનવીઓ આદમનાં સંતાન છે

અને આદમ માટીમાંથી પૈદા થયો છે.

***

સૌથી મોટાં પાપો છે,

શિર્ક અર્થાત અલ્લાહ (ઈશ્વર) સાથે

બીજા કોઈને તેની બરાબર માનવું,

માતા પિતાની આજ્ઞા ન માનવી,

કોઈ પ્રાણીને ઈજા પહોંચાડવી,

જૂઠા સોગંદ ખાવા અને જૂઠી સાક્ષી આપવી.

***

દરેક ભણેલો કેદી દસ દસ અભણોને

લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે, દંડ છે.

***

જે માણસ એક બાજુ નમાઝ પઢશે,

રોઝા (ઉપવાસ) રાખશે અને દાન કરશે,

અને બીજી બાજુ કોઈના પર જૂઠ્ઠોે આરોપ મૂકશે,

બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે

કે કોઈનું લોહી રેડશે

અથવા કોઈને દુઃખ દેશે;

એવા માનવીની નમાઝ, રોઝા અને દાન

કશું કામમાં નહિ આવે.

***

તમારામાંથી જેઓ કુંવારા છે

તેમના નિકાહ કરાવી દો

અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ

જે નિકાહને લાયક છે

તેમના પણ નિકાહ કરાવી દો.

***

પ્રેષિતોની છત નીચે ધન ન હોય.

***

તમે તમારા તરફથી મને છ બાબતોની ખાતરી આપો

અને હું તમને જન્નત (સ્વર્ગ)ની ખાતરી આપું છું.

૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો, ૨. વચન આપો તે પાળો,

૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો,

૪. દુરાચારથી બચો, ૫. નજર હંમેશ નીચી રાખો,

૬. કોઈની સાથે જબરજસ્તી ન કરો.

***

જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે

ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ઇન્સાફ ન આપીશ.

***

જયારે કોઈ પુરુષ કોઈ પર સ્ત્રી સાથે એકાંતમાં બેસે છે,

ત્યારે તેમની બંનેની વચ્ચે શૈતાન આવીને બેસે છે.

***

ઇમાનમાં પરિપૂર્ણ તે છે,

જે નૈતિકતામાં શ્રેષ્ઠ છે.

***

ખરેખર અલ્લાહે તમને પોતાની માંની

આજ્ઞાનો ભંગ કરવાની અને પોતાની પુત્રીઓને જીવતી દાટી દેવાની

સખ્ત મનાઈ કરી છે. અને લાલચને હરામ ઠેરવી છે.

***

તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે.

કારણ કે તેણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો.

ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું.

***

મા-બાપની સેવાથી જ જન્નત મળે છે

અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી

દોજખ મળે છે.

***

જો તને સત્કાર્ય કરતા આનંદ થાય

અને દુષ્કર્મ કરતા દુઃખ થાય

તો તું ઇમાનદાર છે.

***

હે કબરવાસીઓ,

તમને સર્વેને ખુદાતાલા શાંતિ બક્ષે.

તમને અને અમને ખુદાતાલા ક્ષમા બક્ષે.

એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે.

તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો

અને અમે તમારી પાછળ જ આવીએ છીએ.

***

હું પણ મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો.

જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.

***

 

આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે.

જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

***

મજૂરનો પરસેવો સુકાતા પહેલાં

તેને તેની મજૂરી ચૂકવી દો.

***

રોઝદાર (ઉપવાસ કરનાર) અપશબ્દ ન બોલે,

સંભોગ ન કરે, જહાલાતની વાતો ન કરે.

જો કોઈ માણસ તેની સાથે લડવા આવે અને અપશબ્દ કહે,

તો તેને સબ્રથી કહી દે કે મારે રોઝો (ઉપવાસ) છે.

*** 

જે માનવી રોઝા (ઉપવાસ) માં જૂઠ્ઠું બોલવાનું

અને તેના પર અમલ કરવાનું ન છોડે,

તેનું ખાવા-પીવાનું છોડાવાનું ખુદાને ત્યાં કોઈ જ મહત્ત્વ નથી.

***

જે મુસ્લિમ ક્ષમા કરે છે તે મામલો સુધારી લે છે.

જે મુસ્લિમ ગુસ્સો કરે છે તે સંબંધો બગાડી નાખે છે.

***

પવિત્રતા અને સ્વછતા

ઇમાન (શ્રદ્ધા)નો અડધો ભાગ છે.

***

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતા, બેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છે, તેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, "ઇન્નલ્લાહ મઅસ સાબરીન"

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

*** 

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતા, બેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છે, તેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, "ઇન્નલ્લાહ મઅસ સાબરીન"

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓ, અભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોય, ખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈ, નેકી, અહેસાન, ખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

"લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે

ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ.

તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર

અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળ, સહન કર

અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ."

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છે

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

ઇમાન(શ્રદ્ધા)ના સિત્તેરથી વધુ દરજ્જા છે.

તેમાં લા-ઇલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી)

ઇમાનનો સૌથી ઉંચો દરજ્જો છે.

***

જે માનવી સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.

***

હે લોકો, મારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બનશો નહિ.

એકબીજાની ગરદન કાપશો નહીં. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબૂતીથી

પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશ, ત્યારે તમારી

વચ્ચે નહિ રહું. પણ બે અમૂલ્ય વસ્તુઓને તમારા માટે મૂકતો જાઉં છું. એક છે

અલાહની કિતાબ કુરાન-એ-શરીફ અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ,

જે તમને ગુમરાહીથી બચાવશે.

***

પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે.

પરંતુ મને (હઝરત મહમદ સાહેબને)

સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.

***

ઈશ્વર તમારા ધન-દોલતને નથી જોતો,

બલકે તે તમારા ઇરાદા અને કર્મોને જુવે છે.

 

***

તમે દુનિયામાં એવી રીતે રહો

જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.

***

હે લોકો,

યાદ રાખો મારા પછી કોઈ નબી (પયગમ્બર) નથી.

તમારા પછી કોઈ ઉમ્મત (માનવસમાજ) નથી.

તેથી પોતાના રબની બંદગી કરજો.

પ્રતિદિન પાંચ વખતની નમાઝ અદા કરજો.

રમઝાનના રોઝા (ઉપવાસ) રાખજો.

રાજીખુશીથી પોતાના માલની જકાત(દાન)આપજો.

પોતાના પાલનહારના ઘરની હજ કરજો

અને પોતાના શાસકોની આજ્ઞાનું પાલન કરજો.

આવું કરશો તો

પોતાના રબ (ખુદા)ની જન્નત (સ્વર્ગ)માં દાખલ થશો.

***

રાત્રે થોડો સમય જ્ઞાન આપવું,

રાતભર જાગીને બંદગી કરવા કરતાં સારું છે.

***

પીડિતની ફરિયાદથી ન બચો, કેમ કે

તેની અને અલ્લાહની વચ્ચે આડાશ નથી.

***

હે લોકો,

હવે તમારી સ્ત્રીઓના મામલામાં વાતચીત કરવા માંગું છું.

તમારો હક્ક જેવી રીતે તમારી પત્નીઓ ઉપર છે,

તેવો જ હક્ક તમારી પત્નીઓનો તમારા પર છે.

તમારી પત્ની પર પ્રેમ અને વિશ્વાસ રાખો.

અને તેમની સાથે સારો વર્તાવ કરો.

અલ્લાહથી ડરતા રહો.

અને પત્નીઓ પ્રત્યે દયાભાવ રાખો.

જો તેઓ તમને વફાદાર રહે

તો તમે તેનું સારી રીતે ભરણપોષણ કરો.

***

યુવાનીની વૃદ્ધા અવસ્થા પહેલાં, તંદુરસ્તીની બીમારી પહેલાં,

સમૃદ્ધિની નાદારી પહેલાં, ફુરસદની વ્યસ્તતા પહેલાં

અને જીવનની મૃત્યુ પહેલાં કદર કરો.

***

તરસ્યાને પાણી પીવડાવવું

અંત્યત પ્રિય દાન છે.

***

જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે

ખદીજા(મહંમદ સાહેબનાં પત્ની)એ મને સાચો માન્યો હતો.

જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા, ત્યારે

ખદીજા મારી વાતો પર ઇમાન (વિશ્વાસ) લાવી હતી. જયારે મારો કોઈ

મદદગાર ન હતો ત્યારે ખદીજા એકમાત્ર મારી મદદગાર બની હતી.

***

તારું અથવા કોઈ પણ પયગમ્બરનું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી

દેવાથી વધારે કંઈ જ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય.

કારણ કે તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.

***

જે પુત્ર અને પુત્રી દરમિયાન ભેદભાવ ન કરે,

તેમજ પુત્રીઓનું સારી રીતે પાલન પોષણ કરે,

તેમનાં શિક્ષણ-પ્રશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા કરે છે તે સ્વર્ગમાં જશે.

***

તારી માની સેવા કર,

કારણ કે તેના ચરણોમાં જન્નત (સ્વર્ગ) છે.

***

યાદ રાખો,

જીત કે ફત્તેહનો આધાર સંખ્યાબળ પર નથી.

શાનો-શોકત કે જાહોજલાલી પર પણ નથી.

વિપુલ હથિયાર અને અખૂટ સાધન-સામગ્રી પર નથી.

ફત્તેહ (વિજય) માટે જે વસ્તુ સૌથી અગત્યની છે

તે સબ્ર (ધીરજ), દ્રઢતા અને અલ્લાહ પર વિશ્વાસ છે.

***

હે અલ્લાહ, મારા હદયને દંભથી, મારા કાર્યને આડંબરથી,

મારી જીભને જૂઠથી અને મારી આંખને અપ્રમાણિકતાથી બચાવ.

નિઃશંક તું આંખની અપ્રમાણિકતા અને હૃદયોના ભેદો જાણે છે.

***

ત્રણ બાબતો મૃત્યુને આસાન કરી નાખે છે,

નમ્ર વ્યવહાર, માતા-પિતા સાથે પ્રેમ

અને સેવકો (નોકરો) સાથે સદવર્તન.

***

એવી વ્યક્તિ ઘમંડથી પર છે,

જેનો સેવક તેની સાથે ભોજન લેતો હોય.

***

હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા

નિમંત્રણ પાઠવું છું.

જેનો કોઈ ભાગીદાર નથી.

અલ્લાહ ઉપર ઇમાન લઇ આવો.

અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો.

મારી પયગંબરી સ્વીકારો.

કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું.

***

હે લોકો,

અજ્ઞાનતા અને જહાલતના યુગમાં

અર્થાત ઇસ્લામ પૂર્વે માનવીની હત્યાના બદલામાં

હત્યા કરી બદલો લેવાનો

ક્રૂર રિવાજ બંધ કરવામાં આવે છે.

***

સંતાન માટે પિતા તરફથી શ્રેષ્ઠ ભેટ

સારી રીતભાત અને સંસ્કારો છે.

*** 

રીબા (વ્યાજ)

કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી વ્યાજ લે છે

કે આપે છે, તે અલ્લાહ પાસે

પોતાના માલમાં કંઈ જ વધારો કરી શકતા નથી.

પણ અલ્લાહની ખુશી માટે

જે ખેરાત (દાન) આપે છે

એવા જ લોકો પોતાના માલ

અને સવાબને વધારનાર છે.

***

નાણાંને ગણી ગણીને જમા ન કરો (કંજૂસી ન કરો).

અને ન તો ફૂઝૂલ ખર્ચ કરો.

મધ્યમ માર્ગ અપનાવો.

***

લાચાર, અબોલ પ્રાણીઓની બાબતમાં

અલ્લાહથી ડરો.

***

હે લોકો, જો તમે અલ્લાહતાલાનો ખોફ અર્થાત ડર રાખીને

સંપૂર્ણપણે તેની આજ્ઞાઓનું પાલન કરતા રહેશો,

તો અલ્લાહ નિશંકપણે તમારા જાન, માલ અને પ્રતિષ્ઠાની હિફાજત કરશે

અને તેની પવિત્રતા કાયમ રાખશે.

***

જરૂરતમંદ લોકોની મદદ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ એવો છે,

જે અલ્લાહના માર્ગમાં

જિહાદ(સત્ય-અસત્યનો સંઘર્ષ) કરતો હોય.

***
ઈર્ષા ન કરો,

તે સદ્‌કાર્યોને

ઉધઈની જેમ ખાઈ જાય છે.

તે વ્યક્તિ સૌથી સારો છે,

જે પોતાના ઘરવાળાઓ

અને પડોશીઓ માટે સારો હોય.

***

હે લોકો, અજ્ઞાનતાના યુગમાં વ્યાજનો રિવાજ પ્રચલિત હતો.

પરંતુ અલ્લાહે વ્યાજખોરીની સખત મનાઈ કરી છે.

ઇસ્લામમાં તેના પર પ્રતિબંધ છે. તેનાથી દૂર રહો.

અલબત્ત, તમે તમારી મૂડી પાછી લઇ શકો છો,

પણ તેના પર વ્યાજ લેવું તે ગુનાહ છે.

*** 

કોઈ પણ ચીજ વસ્તુનો જરૂરથી વધારે ઉપયોગ ન કરો.

પાણીનો દુરુપયોગ ન કરો.

ચાહે તમે નદીકિનારે જ કેમ ન રહેતા હોવ.

***

ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે,

પણ વ્યાજ (રીબા)પર સખ્ત પ્રતિબંધ મૂક્યો છે.

***

યુદ્ધના કેદીઓ સાથે સદવર્તન કરો.

તેને યાતનાઓ ન આપો.

***

જો તમે બીમાર છો, મુસાફરીમાં છો, કે કોઈ અપવિત્ર ક્રિયા

જેવી કે હાજત કે પત્ની સાથે હમબિસ્તર  કરીને આવ્યા છો.

એવા સમયે પવિત્ર થવા પાણી ઉપલબ્ધ ન હોય તો

પવિત્ર મિટ્ટી કે માટીથી તયમ્મુમ કરો.

***

સૌથી મોટી જેહાદ

પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે.

પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે.

***

અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે

કે જે માણસ દિવસના રોજા(ઉપવાસ) રાખે છે

અને રાત્રે ખુદાની ઇબાદત(ભક્તિ)માં લીન રહે છે.

***

સર્વશ્રેષ્ઠ જેહાદ હજજે મબરૂરછે.

અર્થાત્‌ હજ દ્વારા ગુનાહોની મુકિત

સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.

***

જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ

તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો.

અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો.

અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.

***

નોકર પાસેથી તેની શક્તિ અનુસાર સેવા લો.

તેના આરામનો ખ્યાલ રાખો.

જે કંઈ તમે ખાવ તે તેને ખવડાવો

અને જે કંઈ તમે પહેરો તે તેને પહેરવા આપો.

***

એશ આરામથી બચતા રહેજો.

કારણ કે અલ્લાહના બંદા એશ આરામથી દૂર હોય છે.

***

સત્ય સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,

જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.

***

હે લોકો, અલ્લાહે દરેક વારસદાર માટે એક હિસ્સો નક્કી કરેલ છે.

તે તેને અવશ્ય મળશે. જો કોઈ ત્રાહિત વ્યક્તિને વસિયત કરવા ચાહો તો

તમારી વસિયતના એક તૃતીયાંશથી વધારે વસિયત કરી શકશો નહિ.

***

હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે,

તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો

અને કયારેય અમાનતમાં ખિયાનત ન કરો.

***

હે લોકો, જે વ્યક્તિએ જાણીબૂઝીને ઈરાદાપૂર્વક માનવ હત્યા કરી,

તેના અસરગ્રસ્તને વળતર રૂપે સૌ ઊંટ જેટલી રકમ ચૂકવવી પડશે.

***

હે ઇમાનવાળાઓ,

બમણું, ચોગુનું વ્યાજ ન ખાઓ.

અને અલ્લાહથી ડરો

કે જેથી તમે સફળ થાઓ.

***

જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી

અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી,

તેમની સામે જેહાદ ચાલુ રાખો.

***

હે લોકો, અલ્લાહ એક છે.

અને તમે સૌ હઝરત આદમનાં સંતાનો છો.

સર્વ કોઈ સમાન છો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી,

અરબ કે બિનઅરબ, ગોરા ને કાળામાં કોઈ ચડિયાતું નથી.

***

ભાવ વધારો લેવા માટે ચીજ વસ્તુઓનો સંગ્રહ ન કરો.

આવું કરનાર ઘોર યાતાનોને પાત્ર છે.

***

ચીજ વસ્તુઓમાં ભેળસેળ ન કરો.

તોલમાપમાં કમી ન કરો.

વેપારમાં છેતરપીંડી ન કરો.

***

લોકો સાથે નમ્રતાથી વર્તવું,

કોઈ સાથે સખતાઈ ન વાપરવી,તેમના દિલ રાજી રાખવા.

તેમનું અપમાન ન કરવું. તેઓ તમને પૂછે કે સ્વર્ગની કુંચી શી છે ?

તો જવાબ દેજો કે ઈશ્વર એક છે એ સત્યમાં

અને ભલાઈમાં વિશ્વાસ રાખો અને ભલા કાર્યો કરતા રહો,

એ જ સ્વર્ગની કુંચી છે.

***

તું (હઝરત અલી) તો મારો હારૂન છે.

ફરક એટલો જ છે કે મુસા પછી હારૂન પણ પયગમ્બર બન્યા હતા.

પણ હું આખરી પયગમ્બર હોઈ,

તું પયગમ્બર નહીં બની શકે.

***

લોકો સાથે નમ્રતાથી વર્તવું,

સ્ત્રીઓ, બાળકો,ખ્રિસ્તી સાધુઓ

અને દુર્બળ પર કોઈ પણ સ્થિતિમાં હુમલો ન કરવો,

કોઈનું ઘર પાડી ન નાખવું,

તેમજ કોઈ ફળવાળું વૃક્ષ ન કાપવું

***

હે અલ્લાહ,

મારા અંતઃકરણને પવિત્ર કર, જેથી તેમાં કપટ ન રહે.

મારાં કાર્યોને પવિત્ર કર, જેથી તેમાં દેખાડો ન રહે.

મારી જીભને પવિત્ર બનાવ, જેથી તે કદી જૂઠ્ઠું ન બોલે.

મારી આંખોને પવિત્ર બનાવ, જેથી તેમાં છળકપટ ન રહે.

***

અલ્લાહના ફરિશ્તા

રાત-દિવસ મારી પાસે આવતા રહે છે.

હું તેઓની સાથે વાતો કરું છું.

ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી,

જેથી ડુંગળી અને લસણવાળુ ભોજન મેં પરત મોકલી દીધું.

પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો.

***

યુવાનીની વૃદ્ધા અવસ્થા પહેલાં,

તંદુરસ્તીની બીમારી પહેલાં,

સમૃદ્ધિની નાદારી પહેલાં,

ફુરસદની વ્યસ્તતા પહેલાં

અને જીવનની મૃત્યુ પહેલાં કદર કરો.

***

કોઈ અપરાધ કરનાર પર

તેણે પોતે કરેલા અપરાધ સિવાય

બીજી કોઈ વાતનો આરોપ મૂકવામાં નહિ આવે.

કોઈ પિતાને તેના પુત્રના અપરાધ માટે

કે પુત્રને પિતાના અપરાધ માટે પૂછવામાં નહિ આવે.

***

જે ખ્રિસ્તીઓ સામાન્ય ઘરબારવાળા છે

અને ધંધો રોજગારમાંથી કર આપી શકે એમ છે

તેમની પાસે પણ જેટલું વ્યાજબી હશે

તેથી વધારે નહિ લેવામાં આવે.

***

ખ્રિસ્તીઓનાં દેવળો તેમની પાસેથી

છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.

***

હે લોકો,

તમારી પત્નીઓ પર પ્રેમ રાખો

અને તેમની સાથે દયાભર્યો વર્તાવ રાખો.

ખરેખર, અલ્લાહને વચ્ચે રાખીને તમે તેમને તમારી સાથી બનાવી છે,

અને અલ્લાહના હુકમથી જ તેમનો દેહ

તમારે માટે હલાલ ઠરાવવામાં આવ્યો છે.

ધ્યાન રાખો કે અલ્લાહ તલાકને બુરામાં બુરી વસ્તુ માને છે.

***

અને તમારી સાથે ગમે તેટલી ફોજ હશે

તો પણ તમને કશો લાભ નહિ થાય,

કારણ કે અલ્લાહ ઇમાનવાળાઓ સાથે છે.

***

જેનો વિશ્વાસ જેટલો પાકો

તેટલી તેની વધારે પરીક્ષા

કરવામાં આવે છે.

***

જો કોઈ ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસલમાન  સાથે લગ્ન કરે

તો તે મુસલમાન તેના માર્ગમાં કશી અડચણ નહિ નાખે.

તેને દેવળમાં જતાં, પ્રાર્થના કરતા

કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે નહીં.

***

ખ્રિસ્તીઓના કાજીઓ

અને સરદારને બદલવાનો કોઈને હક નથી.

કોઈ તેમને તેમના હોદ્દાઓ પરથી ખસેડી શકશે નહીં.

***

કોઈ પણ સ્થિતિમાં

કપટ કે દગાથી કામ ન લેવું,

અને કદી કોઈ બાળકની

હત્યા ન કરવી.

***

આપણાં દુઃખ આપણા પાપો ધોવા માટે છે.

ખરેખર અલ્લાહ (ઈશ્વર) પર ભરોસો રાખનાર

કોઈ માણસને એક કાંટો વાગે,

તો અલ્લાહ તેની મારફતે તેનો મોભો વધારી દે છે

અને તેનું એક પાપ ધોવાઈ જાય છે.

***

બેશક જે મસ્જિદ(ઇસ્લામની સૌથી પહેલી મસ્જિદ મસ્જિદે કુબા’)નો પાયો પ્રથમ દિવસે જ પરહેઝગારી પર નાંખવામાં આવ્યો છે,

તે ખરેખર યોગ્ય જ છે. આપ તેમાં નમાઝ માટે ઉભા રહો,

આ મસ્જિદમાં એવા નેક પુરુષો આવશે

જેઓ પાક-સાફ (પવિત્ર) રહેવાનું પસંદ કરે છે.

અને અલ્લાહ પણ એવા જ પાક-સાફ રહેનાર બંદાઓને પસંદ કરે છે.

***

ખ્રિસ્તી કોમ સામે

કોઈ હથિયાર નહિ ઉપાડે.

હા, તેમના રક્ષણ માટે

હથિયાર ઉઠાવવાનો મુસ્લિમોનો ધર્મ છે.

***

ખરેખર તમે લોકો

અત્યારે એક એવા જમાનામાં રહો છો

કે તમને જે આદેશ આપવામાં આવે છે,

તેના દસમા ભાગનો પણ જે ભંગ કરશે

તે પાયમાલ થશે.

પરંતુ હવે પછી એવો સમય આવશે

જયારે લોકોમાંથી જે અત્યારના આદેશોના

દસમા ભાગનો પણ અમલ કરશે તેને મુક્તિ મળશે.

***

મારા મૃત્યુ પછી

પાછા સત્ય અને ઇમાન છોડીને

અસત્ય અને ભ્રમોમાં ન ફસાતા,

એટલે કે ઇમાન ખોઈ ના બેસતા

અને ફરીથી એકબીજાના ગળા કાપવા મંડી ન પડતા.

***

ધર્મિષ્ઠ માનવીએ

કદી રેશમી વસ્ત્રો ન પહેરવાં જોઈએ.

***

અલ્લાહે દરેક માનવીને

તેના બાપદાદાની માલમિલકતમાંથી

તેનો હિસ્સો મુકરર કરી આપેલ છે.

એટલે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું

કોઈ વસિયતનામું ખરું માનવામાં નહિ આવે.

***

મારે નથી જોઈતા પૈસા

કે નથી જોઈતું રાજ.

હું તો તમને માત્ર

ખુદાનો સંદેશ સંભળાવવા આવ્યો છું.

જો તમે મારી વાત માનશો

તો આ લોકમાં અને પરલોકમાં

બંનેમાં તમારું ભલું થશે.

***

બૂરાઈનો બદલો

હંમેશા ભલાઈથી આપો.

***

નાનામાં નાના માણસો સાથે

બહુ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું,

નમીને ચાલવું, સૌ પર દયા કરવી,

કોઈ કંઈ બોલ્યું હોય તો તેનો ખાર ન રાખવો,

પોતાની જાત પર કાબૂ રાખવો

અને દિલ મોટું અને હાથ ઉદાર રાખવો.

***

જે લોકો

પોતાના પયગમ્બરોની કબરોની પૂજા કરવા માંડે છે

તેમના પર અલ્લાહનો કોપ હજો.

હે અલ્લાહ,

મારી કબરની કદી કોઈ પૂજા ન કરે.

***

અલ્લાહ

તું જ સૌનો આદિ

અને તું જ સૌનો અંત છે.

તારા સિવાય

કોઈ ઈબાદતને લાયક નથી.

***

મસ્જિદમાં લોકો ભૂખ્યા બેઠા હોય

અને મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરે

તથા રેશમી વસ્ત્રો પહરે

તો એ જોઈ મને

અવશ્ય શરમ આવે.

***

હિજરત (પ્રયાણ) એક મહાન ઈબાદત છે.

આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા નથી માંગતો.

ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત

પોતાના જ જાન-માલથી કરવી જોઈએ.

***

સત્ય

સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,

જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.

***

શરમ અને લજ્જા ઇમાન(શ્રદ્ધા)ની

એક શાખા છે.

લોકો, શું તમે સાંભળતા નથી ?

નિઃશંક સાદગી ઇમાનની નિશાની છે.

***

હઝરત ફાતેમા (મહંમદ સાહેબની પુત્રી),

મારા પિતાની નસીહત (શિખામણ) છે

કે બેટા, પતિને કદી સમસ્યાઓથી પજવીશ નહીં.

***

તેઓ જે સદ્‌કાર્યો કરે છે

તેની કદર કરવામાં આવશે.

અલ્લાહ સંયમી લોકોને

સારી રીતે ઓળખે છે.

***

મારા સાથીઓ,

તમારામાંથી કોઈને મેં નુકસાન કર્યું હોય,

તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજુદ છું.

જો તમારામાંથી કોઈનું મારી પાસે કશું લેણું હોય,

તો જે કંઈ આજે મારી પાસે છે તે બધું તમારું છે.

***

હું કહું છું કે

કોઈ માનવી શાંત,

સદાચારી અને બીજાઓના સુખે સુખી રહે છે

તે કયારેય દોજખ (નર્ક)માં જતો નથી.

**-*

જે માનવી

સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં

ભલાઈથી વંચિત રહ્યો.

***

કોઈકે મહંમદ સાહેબને પૂછ્યું,

"ગુનાહ એટલે શું ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું,

"જે કામથી તારા જ્હેન(આત્મા)ને આઘાત લાગે તે

ગુનાહ છે, પાપ છે, તે ન કરીશ".

***

જો તમે લોકોથી બદલો લો

તો બસ એટલો જ લો,

જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય,

પરંતુ જો સબ્ર રાખો

તો તે ખુદાને વધારે પસંદ છે.

***

અલ્લાહ

સૌથી સારો સર્જક છે.

***

તમે પૃથ્વીવાસીઓ પર દયા કરો,

આકાશવાળો (અલ્લાહ)

તમારા પર દયા કરશે.

***

શેતાન

માત્ર એટલું જ ઇરછે છે કે

દારૂ અને જુગાર દ્વારા

તમારી વરચે

દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય.

તમને અલ્લાહની યાદ

અને નમાજ (પ્રાર્થના)થી અટકાવે.

શું તમે અટકી જશો?

***

જૂઠ, ચાડીચુગલી,

મિથ્યા આરોપ,

નિંદા વગેરેથી બચો.

લોકોને ખોટા નામથી ન બોલાવો.

***

હે લોકો,

મારો આ સંદેશ

અહીં જે લોકો હાજર નથી

તેમને પણ તમે પહોંચાડજો.

પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે

તે રીતે આ સંદેશો

સમગ્ર માનવસમાજ સુધી પહોંચાડજો.

જેથી તે સુરક્ષિત રહે.

***