Wednesday, March 28, 2012

મા તે મા : ડૉ. મહેબૂબ દેસાઈ

આજના આધુનિક યુગમાં વિવિધ દિવસોની ઉજવણી કરવાનો રીવાજ વિસ્તરતો જાય છે. એ મુજબ વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી સામાન્ય થઈ ગઈ છે. વિશ્વના રાષ્ટ્રોમાં મધર્સ ડેની ઉજવણી જુદાજુદા દીવસે થાય છે. મોટે ભાગે દર વર્ષના મેં માસના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. એ દિવસે “મા”ની મહત્તાને સ્વીકારી તેને માનપાન આપવાનો રીવાજ દરેક દેશમાં વિકસ્યો છે. પણ એક દિવસનું માન “મા”નું ઋણ ચૂકવવા પૂરતું નથી. આ સનાતન સત્યનો સ્વીકાર દરેક સમાજ અને ધર્મમાં કરવામાં આવ્યો છે. ઇસ્લામમા ખુદા પછીનું સ્થાન “મા”ને આપવામાં આવ્યું છે. કારણ કે માનવીના સર્જનની પ્રક્રિયાની “મા” સહભાગી છે. મા એવી વિભૂતિ છે જે નવ માસ સુધી તેના ઉદરમાં બાળકને ઉછેરે છે, તેના જન્મની અઢળક પીડા સહે છે. અને બાળકને આ દુનિયા દેખાડે છે. જો કે “મા”નું કાર્ય અહિયા પૂર્ણ થતું નથી. બાળકને દુનિયા દેખાડવાની સાથે તેની પરવરીશ કરી, તેને આ દુનિયામાં રહેવા લાયક પણ “મા” જ બનાવે છે.
ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ની માતાનું નામ આમેના બિન્તે વહબ હતું. મહંમદ સાહેબ(સ.અ.વ.)ને જન્મ આપી માતા આમેના તો ધન્ય થઈ ગયા. પણ મહંમદ સાહેબના જીવનમાં માતાનું સુખ ઝાઝું ન હતું. મહંમદ સાહેબને જન્મ આપનાર આમેના બિન્તે વહબ એટલા બીમાર રહેતા હતા કે બાળક મહંમદને સાત દિવસથી વધુ દૂધપાન કરાવી શક્યા નહિ. પરિણામે અબ્દૂલ મુત્તલીબના બીજા પુત્ર અબુ લહબની દાસી સુબીયાહએ બાળક મહંમદ સાહેબને સાત દિવસ સુધી પોતાનું દૂધ પીવડાવ્યું. એ પછી "સાદ" કબીલાની હલીમા નામક સ્ત્રી બાળક મહંમદ સાહેબને પોતાના ઘરે લઈ ગઈ. અને પાંચ વર્ષ સુધી તેમનું પાલન પોષણ કર્યું. એ પછી હલીમા મહંમદ સાહેબને માતા આમેનાને આપી આવ્યા. બાળક મહંમદ માતા આમેનાની કોખમાં વધુ રમે એ પહેલા જ બીજા વર્ષે ઈ.સ ૫૭૬મા માતા આમેના અવસાન પામ્યા. આમ મહંમદ સાહેબ(સ.અ.વ.)માના પ્રેમને ઝંખતા રહ્યા. જેનો ગમ જીવનની અંતિમ પળ સુધી મહંમદ સાહેબે(સ.અ.વ.)ને રહ્યો હતો.
અને કદાચ એટલે જ માના પ્રેમથી વંચિત રહેલા મહંમદ સાહેબ માના પ્રેમનું મુલ્ય બરાબર સમજતા હતા. મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવન અને ઇસ્લામના ગ્રંથોમા માના મહત્વને અભિવ્યક્ત કરતા અનેક દ્રષ્ટાંતો નોંધાયેલા છે.
એકવાર એક અનુયાયીએ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પૂછ્યું,
“સ્વર્ગ કયા છે?”
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
“સ્વર્ગ તમારી માના કદમોમાં છે”
ડૉ. ઇકબાલના એક ફારસી કાવ્યની એક પંક્તિમા કહ્યું છે કે
“માદરી અઝ હિસ્સાએ પયગમ્બરી” અર્થાત “માતાપણું, માતૃત્વ એ પયગમ્બરના કાર્યનો ભાગ છે”
માતાના કાર્યને પયગમ્બરના કાર્ય જેટલી મહત્તા આપનાર ડૉ.ઇકબાલના આ કાવ્યમાં ઇસ્લામી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એકવાર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ એક અનુયાયીએ પૂછ્યું,
“મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?”
મહંમદ સાહેબે (સ.અ.વ.)એ કયું,
“તારી માને”
“માતા પછી કોને ?”
“તારી માને”
“એ પછી કોણ?”
“તારા પિતાને”
અન્ય એક હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"તેનું નાક ધૂળમાં રાગડોળાશે" એક સહબીએ પૂછ્યું,
"કોનું ?" આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
"જે પોતાના માતા પિતા બંને અથવા તેમાંથી કોઈ એકની વૃધ્ધા અવસ્થામા સેવા નથી કરતા, તેને જન્નતમા સ્થાન નથી મળતું"
માત્ર જન્મ આપનાર મા જ માન મરતબાને કાબેલ છે એમ ઇસ્લામે નથી કહ્યું. જન્મ આપનાર મા જેટલા જ માન મરતબાની અધિકારી પાલન પોષણ કરનાર મા પાન છે. હઝરત મહંમદ સાહેબના દૂધમાતા બીબી હલીમા કે જેમણે પોતાનું દૂધ પાઈને મહંમદ સાહેબને પાંચ વર્ષના કર્યા હતા. તેમની પણ મહંમદ સાહેબ ખુબ ઈજ્જત કરતા હતા. જ્યારે પણ આપના દૂધમાતા હલીમા રૂમમાં પ્રવેશતા ત્યારે આપ ઉભા થઈ તેમને આવકાર આપતા અને પોતાની જગ્યાએ જ તેમને બેસાડતા. એ જ રીતે પોતાને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર સુબીયાહને પણ મહંમદ સાહેબ જીવન ભર ભૂલ્યા ન હતા. મહંમદ સાહેબ નિકાહ પછી પણ સુબીયાહને અવારનવાર ભેટ સોગાદો મોકલતા રહેતા હતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર જાણી આપ ગમગીન થઈ ગયા હતા. અવસાન પછી સુબીયાહની બધી કૌટુંબિક જવાબદારીઓ મહંમદ સાહેબે અદા કરી હતી.
આમ માનો મરતબો ઇસ્લામમાં જન્નત (સ્વર્ગ)ના દરવાજાને આસનીથી ખોલી નાખે તેવો માતબર છે. "મા"ની દુવા (આશીર્વાદ)નું મુલ્ય ઇસ્લામમાં જ નહિ સમગ્ર માનવજાતમા હજારો-લાખો કે કરોડો રૂપિયા કરતા પણ વિશેષ છે. અને દુનિયાની હયાતી સુધી કાયમ રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

જૈનધર્મનો સેવા યજ્ઞ : ડૉ.મહેબૂબ દેસાઈ

ભાવનગરથી અમદાવાદ વાયા ધંધુકા જતા માર્ગમાં અનેક જૈન મંદિરો અને ઉપાશ્રયો આવે છે. કલાત્મક અને આલીશાન મંદિરો જોઈ સૌ કોઈને તેમાં પ્રવેશવાની અને તેને જોવાની ઈચ્છા થઈ આવે એ સ્વાભાવિક છે. મને પણ માનવસહજ એમ જ થતું. પણ સમયની પાબંદી ને કારણે તે શક્ય બનતુ નહી. પણ આજથી સાતેક વર્ષ પહેલા મારી એ ઈચ્છા પૂર્ણ થઈ. એ દિવસે હું સરદાર પટેલ યુનિવર્સિટીના એક કામ અર્થે ભાવનગરથી વલ્લભવિદ્યાનગર જવા સવારે સાડા છ વાગ્યે નીકળ્યો. લગભગ સાડા સાત વાગ્યે વટામણ ચોકડી ના વળાંક પર આવેલા એક વિશાળ અને કલાત્મક જૈન મંદિરમા ડ્રાયવર બકુલે ગાડી વાળી. અને મે પૂછ્યું,
"કેમ બકુલ દર્શન કરવા છે ?"
"સાહેબ,દર્શન તો કરીશું જ પણ સાથે નવકારશી પણ કરી લઈએ"
"નવકારશી એટલે ?" મે તેના આશયને પામવા પૂછ્યું.
"નવકારશી એટલે સવારનો નાસ્તો" બકુલે તેની સમજ મુજબ મને જવાબ આપ્યો.
અને ત્યારે મને જૈન ધર્મના સેવાકીય યજ્ઞનો સાચો અને વાસ્તવિક પરિચય થયો. દરેક જૈન ધર્મ સ્થાનમાં ચાર સેવાકીય બાબતો અનિવાર્ય પણે હોય છે.
૧. સેવા-પૂજા અર્થે જૈન મંદિર
૨. ઉપદેશ અને સાધુઓના ઉતારા માટે ઉપાશ્રય
૩. દરેક યાત્રીઓના ઉતારા માટે ધર્મશાળા
૪. જમવા માટે ભોજનશાળા.
આ ચારે સેવાઓનો લાભ હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ કે કોઈ પણ વ્યક્તિ નાત જાતના કોઈ પણ ભેદ વગર લઈ શકે છે. જૈન ધર્મમાં એ અંગે ખાસ કહેવાયું છે "નાત જાત કે ગચ્છના ભેદ વગર" આવા જૈન સ્થાનો પર સૌને સેવા ઉપલબ્ધ થાય છે. આ વાત સૈધ્ધ્તિક રીતે હું જાણતો હોવા છતાં તેનો જાત અનુભવ કરવાની મને કયારેય તક કે સમય મળ્યો ન હતો. પણ તે દિવસે એ અવસર અનાયસે મને પ્રાપ્ત થયો. જૈનધર્મમા સૂર્યોદય થયા પછી નવકારગણીને નાસ્તો કરવાની ક્રિયાને "નવકારશી" કહે છે. અમે નવકારશી માટે ભોજનાલયમા દાખલ થયા. અને વ્યક્તિ દીઠ માત્ર વીસેક રૂપિયાના પાસમાં અમને મગ, પોવા ખાખરા, પૂરી, મીઠાઈ, ચા,કોફી ,દૂધ કે ઉકાળો અમર્યાદિત માત્રામાં નાસ્તામા ઉપલબ્ધ થયા. ભોજનશાળાની સ્વછતા અને સાત્વિકતા પણ ગમી જાય તેવા હતા. આ જ રીતે જૈન ધર્મમાં સાંજના ભોજનને "ચોવીયાર" કહે છે. જૈન સ્થાનો પર આવેલા ભોજનાલયોમા તેની પણ સગવડતા હોય છે."ચોવીયાર" એટલે સૂર્યાસ્ત પૂર્વેનું ભોજન. ધોરી માર્ગો પર આવેલા જૈન સ્થાઓમાં આપ સાત્વિક સાંજનું ભોજન લેવા ઇચ્છતા હો તો સૂર્યાસ્ત પહેલા આપે ત્યાં પહોંચી જવાનું રહે. તેમાં પણ કોઈ નાત જાતના ભેદભાવ વગર માત્ર સેવાકીય અભિગમથી દરેક વ્યક્તિને ભોજન કરાવવામાં આવે છે.
જૈન ધર્મનો આ સેવા યજ્ઞ બૌદ્ધિક અને વૈચારિક પ્રક્રિયામા પણ અગ્ર રીતે વિકાયો છે. જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ જગત અને જીવ સાચા બ્રહ્મ નથી. મોક્ષ માટે માનવીએ અઢાર દોષો માંથી મુક્ત થવું જોઈએ.. એ અઢાર દોષો એટલે પ્રાનાતિપાત (નાનામા નાની જીવ હિંસા),મૃષાવાદ(જુઠ્ઠું બોલવું),અદત્તાદાન(ચોરી),મૈથુન (વિષયસેવન), પરિગ્રહ (ધન-ધાન્ય સંચય), ક્રોધ ,અહંકાર ,માયા, લોભ ,રાગ, દ્વેષ , કલહ, અભ્યાખ્યાન (કોઈના માથે આળ ચડાવવું), પૈશુન (ચાડી-ચુગલી), રતિ(સુખ-દુઃખ), પરપરિવાદ (પારકી નિંદા),માયા-મૃષાવાદ (કપટ સાથે જુઠ્ઠું બોલવું)અને મિથ્યાત્વ અર્થાત અંધશ્રદ્ધા. આ અઢારે દોષોમાંથી મુક્ત થવા જૈન ધર્મે ચાર ઉપાયો આપ્યા છે. સમ્યકદ્રષ્ટિ, સમ્યકજ્ઞાન, સમ્યકચરિત્ર અને સમ્યકવાણી. ગાંધીજીના ત્રણ બંદરો પણ આવો જ કઇક ઉપદેશ આપે છે. બુરા મત દેખો, બુરા મત કહો , અને બુરા મત સુનો. અલબત્ત તેમાં એક બંદરનો ઉમેરો કરીએ બુરા મત સોચો. તો જૈન ધર્મના સિદ્ધાંતો પૂર્ણ રીતે ગાંધીજીના ચારે બંદરોમાં સાકાર થઈ જાય. જૈનધર્મના સિદ્ધાંતો મુજબ હિંસા કરવી, કરાવવી કે તેનું અનુમોદન કરવું ત્રણે પાપ છે. જેમ કે કીડી માત્રની હત્યા પાપ છે.પણ કીડીની હત્યા સમયે આનંદ કે ઉપેક્ષા સુધ્ધા પણ પાપ છે. ગાંધીજીએ દરેક ધર્મમાંથી સારા તત્વો લીધા હતા. ઈસ્લામમાંથી સમૂહ પ્રાર્થના અને જૈન ધર્મમાંથી અહિંસાને તેમણે પોતાના જીવનમાં ઉતર્યા હતા. પણ જૈન ધર્મની સુક્ષ્મ હિંસાની સાથે ગાંધીજી સંમત ન હતા. જો કે અત્રે તેની ચર્ચા અસ્થાને છે. પણ ઉપરોક્ત સિદ્ધાંતો જોતા એટલું અવશ્ય કહી શકાય કે જૈન ધર્મના આ તમામ સિદ્ધાંતોમાં માનવીને માનવી બનાવવાનો ઉદેશ જ રહેલો છે.

એ જ રીતે જૈનધર્મના પર્યુષણ માસ દમિયાન માત્ર જૈન ધર્મના પ્રચાર પ્રસાર અને તેના ઉપદેશાત્મક વ્યાખ્યાનો જ ઉપાશ્રય અને જાહેરમા યોજાતા નથી. પણ દરેક ધર્મના ઉમદા સિદ્ધાંતોને આમ સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પર્યુષણ માસ દમિયાન વર્ષોથી થાય છે. જેનું ઉમદા દ્રષ્ટાંત ૩ ફેબ્રુઆરી ૧૯૨૯મા સ્થપાયેલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છે. પંડિત સુખલાલજી ૧૯૩૧મા અમદાવાદથી મુંબઈ આવ્યા અને તેમના વ્યાખ્યાનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મુંબઈમાં પયુષણ વ્યાખ્યાનમાળાનો આરંભ થયો. આ વ્યાખ્યાનમાળામાં આજ દિન સુધી કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી,સરલાદેવી સારાભાઈ, સ્વામી અખંડ આનંદ, ઝવેરચંદ મેઘાણી, મોરારજી દેસાઈ,પૂ. મોરારીબાપુ જેવા અનેક જાણીતા મહાનુભાવો સર્વધર્મ સમભાવ પર વ્યાખ્યાનો આપી ચુક્યા છે. ઇસ્લામ અને અહિંસા, ખ્રિસ્તી ધર્મ, જરથોસ ધર્મ, ગીતા અને કુરાન જેવા સર્વધર્મના વ્યાખ્યાનો તેમાં અવારનવાર યોજાય છે.અને આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ છે. જૈન ધર્મનો આ સેવાયજ્ઞ દરેક ધર્મ, સમાજ અને સામજિક સંગઠન માટે આદર્શ છે. તેનું હુબહુ અનુકરણ ન થાય તો કઈ નહિ. પણ તેમાંથી થોડી પ્રેરણા પણ આપણે મેળવીશું, તો ધર્મના વાડાઓની કાંટાળી વાડના થોડા કાંટા દૂર કરવાનો સંતોષ અવશ્ય મેળવી શકીશું.

Monday, March 19, 2012

શિક્ષણ પદ્ધતિમા સર્જનાત્મકતા : એક અભ્યાસ : ડૉ. મહેબૂબ દેસાઈ*

1. ભૂમિકા:

આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ આશ્રમ શાળાઓ પર આધારિત હતી. જ્યાં બાળક એક થી પચ્ચીસ વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહેતું. અને જ્ઞાન સાથે જીવન શિક્ષણ મેળવતું. આ શિક્ષણ પદ્ધતિના કેન્દ્રમાં જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય હતા. પરિણામે દેશ વિદેશમાં આપણી શિક્ષણ સંસ્થાઓ પ્રચલિત હતી. નાલંદા, તક્ષશિલા અને વલ્લભવિદ્યાપીઠ તેના આદર્શ ઉદાહરણ છે. એ પછી તુર્ક-અફઘાન અને મોઘલ શાસનકાળ દરમિયાન શિક્ષણનું ઇસ્લામિકરણ થયું. પરિણામે આશ્રમ શાળાઓનું સ્થાન મકતબ અને મદ્રેસાઓએ લીધું. એ સાથે જ જ્ઞાન કરતા માહિતી આધારિત શિક્ષણનો આરંભ થયો. એ પછી અંગ્રેજ શાસનના આરંભ સાથે શિક્ષણના ક્ષેત્રમાં પુનઃ પરિવર્તન આવ્યું. તેનો યશ લોર્ડ મેકોલને જાય છે. અંગ્રેજી શિક્ષણનો મૂળભૂત હેતુ ન તો જ્ઞાનનો હતો, ન માહિતીનો. પણ અગ્રેજ સરકારના શાસનને ચલાવવા બાબુઓ અર્થાત કારકુનો ઉત્પન કરવાનો હતો. અંગ્રેજી શિક્ષણ પદ્ધિતીએ ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર ઘાટી અસર કરી. ભારતીય સમાજ અને સંસ્કૃતિનું પશ્ચિમીકરણ થયું. પરિણામે આશ્રમ શાળાઓ અને મકતબ કે મદ્રેસાઓના સ્થાને ચોક અને ટોક આધારિત ક્લાસ રૂમ શિક્ષણ પ્રથાનો આરંભ થયો. જેમાં જ્ઞાનનો અભાવ અને માહિતીનો અતિરેક હતો. કારણકે તેનો મુખ્ય ઉદેશ માત્ર વહીવટી કાર્યને પાર પાડી શકે તેવા કારકુનો ઉત્પન કરવાનો હતો.અંગ્રેજોની આ શિક્ષણ પદ્ધતિને ડામવા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળાઓ અને આશ્રમ શાળાઓને પુનઃ જીવંત કરી. બુનિયાદી શિક્ષણમા તેમણે શિક્ષણના સ્થાને "કેળવણી" શબ્દ પ્રયોજાયો. "માનવીને કેળવે તે જ સાચી કેળવણી"નો વિચાર ગાંધીજીની શિક્ષણ પ્રથાના કેન્દ્રમાં હતો. પણ એ વિચારને રાષ્ટ્રીય શિક્ષણ સાથે જોડી આપણે તેને માર્યાદિત કરી દીધો. પરિણામે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આરંભાયેલી આપણી શિક્ષણ સંસ્થાઓમા અંગ્રેજી શિક્ષણનો મહિમા દિનપ્રતિદિન વધતો ગયો. જે આજે પણ યથાવત છે. આપણી આઝાદીને ૬૩ વર્ષ થયા છતાં આજે પણ આપણે શિક્ષણના ક્ષેત્રમાં ગુલામ છીએ. આજનું આપણું આધિનિક શિક્ષણ ચોક અને ટોક પર આધરિત માહિતી કેન્દ્રિત બની ગયુ છે. જ્યાં વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી નથી થતી. પણ તે વિષયલક્ષી માહિતીથી કેટલો સજ્જ છે તે જ તપાસવામાં આવે છે. પરિણામે શિક્ષણના સમગ્ર માળખામાંથી બુદ્ધી અને વિચાર સ્વતંત્રનો છેદ ઉડી ગયો છે.

2. શિક્ષણમાં સર્જનાત્મકતાની અનિવાર્યતા :

આમ આધુનિક ભારતની શિક્ષણ સંસ્થાઓ જ્ઞાન કરતા વિશેષ માહિતીનું કેન્દ્ર બની ગયા છે. જો કે શિક્ષણમાં માહિતી સાથે જ્ઞાન અતિ આવશ્યક છે. એ વાતનો સ્વીકાર પ્રાચીન યુગમાં સૌ પ્રથમ ભારતે અપનાવ્યો હતો. જ્યારે અર્વાચીન યુગમાં એ વિચાર સાથે સર્જનાત્મકતાને જોડવામાં પશ્ચિમના રાષ્ટ્રો આપણા કરતા આગળ રહ્યા છે. જો કે જ્ઞાન અને સર્જનાત્મકતા વચ્ચેનો ભેદ ઘણાં પશ્ચિમના રાષ્ટ્રોમાં આરંભમાં ચર્ચાસ્પદ બન્યો હતો. પશ્ચિમના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ આરંભમાં તેના ભેદને અભિવ્યક્ત કરતા કહ્યું હતું,
"જ્ઞાની માનવી સર્જનાત્મક હોય શકે. પણ દરેક સર્જનાત્મક માનવી જ્ઞાની હોય જ તે જરૂરી નથી"
આમ છતાં બંને સ્થિતિમાં સર્જનાત્મકતા જ્ઞાનની ગુણવત્તા અને રજુઆતમાં અવશ્ય અસરકારક પુરવાર થાય છે,એ વાતનો સ્વીકાર મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓએ કર્યો છે. વળી, સાહિત્યકૃતિ, કળાકૃતિ કે વૈજ્ઞાનિક શોધખોળોની પ્રવૃતિમાં જ સર્જનાત્મકતા પ્રગટ થાય છે, એવી પરંપરાગત માન્યતામા પણ પરિવર્તન આવ્યું છે. માનવીને દરેક પ્રવૃત્તિમા સર્જનાત્મકતાનો આવિષ્કાર સંભિવત છે. ફોસ્ટર (૧૯૭૧) અને લીટન (૧૯૭૧) નોંધે છે,
"સર્જનાત્મકતા એ ઈશ્વરીય વરદાન પામેલા થોડા જ લોકોનો ગુણ નથી, પણ માત્રાભેદે સર્જનાત્મકતા સમગ્ર માનવજાતમાં સમધારણ રીતે વિતરિત થયેલી છે"
સર્જનાત્મકતા વિશેના આ વિચારોના પ્રકાશમાં શિક્ષક અને વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મકતાનો ઉપયોગ શિક્ષણ પદ્ધતિમાં કરવાના વિચાર તરફ દોરતા ૧૯૨૦મા જાણીતા પશ્ચિમી ચિંતક Bertrand Russell લખ્યું હતું,

"We are faced with the paradoxical fact that education has become one of the Chief Obstacles to Intelligence and Freedom of thoughts"

અર્થાત,
"આપણે એક એવી વિવાદાસ્પદ હકીકતનો સામનો કરી રહ્યા છીએ કે આપનું શિક્ષણ પોતે જ બુધ્ધિના વિકાસ અને વિચાર સ્વતંત્રનું મુખ્ય અવરોધક પરિબળ બની ગયું છે"

ઇંગ્લંડની શિક્ષણ પદ્ધતિમાં આ વિચારે મોટી અસર કરી. શિક્ષણમાં બુદ્ધિ વિકાસ અને વિચાર સ્વતંત્રનો અભાવ સમગ્ર શિક્ષણના માળખા અને ઉદેશને બિન ઉપયોગી કરી નાખે છે. પરિણામે એ અંગે ગહન વિચારણાનો આરંભ થયો. સર્જનાત્મક વલણ નામના સંશોધન સામાયિકના પ્રથમ અંકમાં (Journal of Creative Behaviour) શિક્ષણવિદ ગુઈલ ફોર્ડ (Guilford) ઈ.સ. ૧૯૬૭મા લખ્યું હતું,

“The problems of creativity in the educational setting are endless, and the scope of research in this area is rapidly spreading”
અર્થાત

"શિક્ષણમાં સર્જનાત્મકતાની સમસ્યા અવિરત પણે વિચારાતી રહી છે અને તે ક્ષેત્રમાં ઝડપી સંશોધન થઈ રહ્યા છે"
તેના પરિપાક રૂપે છેક ઈ.સ. ૧૯૯૮મા ઇંગ્લંડની સરકારે National Advisory Committee on Creative and Cultural education" (NACCCE) ની રચના કરી. જેનો મૂળભૂત ઉદેશ,
"To make recommendations to the Secretaries of State on the Creative and Cultural Development of young people through formal and informal education"

આ વિચારમાંથી જ શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકત વિચાર અને સાહિત્યની મહત્તા અંગે ગંભીર વિચારણાનો આરંભ થયો.

3. સર્જનાત્મકતાનો અર્થ અને વ્યાખ્યા :

યુ.કે.ની નેશનલ એડવાઈઝરી કમીટીએ ૧૯૯૯મા આપેલ સર્જનાત્મકતાની વ્યાખ્યામાં કહ્યું છે,
"સર્જનાત્મકતા એ માનસિક પ્રક્રીયા છે. જે વિચાર, કલ્પના, ઉદેશ અને મૌલિકતાનું મિશ્રણ છે."
એ દ્રષ્ટિએ વિચાર અને કલ્પનું જોડાણ એટલે સર્જનાત્મકતા. સર્જનાત્મકતાનું ક્ષેત્ર અમાપ છે. એન્સાઈક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામા સર્જનાત્મકતાની વ્યાખ્યા આપતા લખ્યું છે,
"The ability to make or otherwise bring into existence something new, whether a new solution to a problem, a new method or device, or a new artistic object or form"
ઑશૉ કહે છે,
"બુધ્ધિમતાને પ્રવૃતિમય કરવા માટે વધારે માહિતીની નહીં, પણ વધારે ધ્યાનમગ્નતા - એકાગ્રતાની જરૂર છે. સર્જન માટે દિમાગની ઓછી અને દિલની વધારે જરૂર પાસે છે. જો તમારૂં કામ તમારી પ્રેમની કથા હશે તો તે સર્જન બની રહેશે. સર્જનાત્મકતા એટલે તમે કરી રહ્યા છો તે પ્રવૃતિમાં તમારી ગુણવત્તાનું પ્રદાન. તે એક અભિગમ છે, એક આંતરીક દ્રષ્ટિકોણ છે. તમે જે કંઇ પણ કરો તે જો આનંદથી કરો, પ્રેમથી કરો, તો તે નવસર્જન છે."
એન્સાઈક્લોપીડિયા ઓફ એજ્યુકેશન રીસર્ચમા સર્જનાત્મકતાની સમાજ આપતા કહ્યું છે,
"વિચારોનું નાવીન્ય કરણ અને તેના વિશિષ્ટ મુલ્યનું સંયોજન એટલે સર્જનાત્મકતા"
ટોરેન્સ (૧૯૬૨) સર્જનાત્મકતાની વ્યાખ્યા આપતા કહે છે,
"સર્જનાત્મકતા એટલે સમસ્યા, ઉણપ, જ્ઞાનમાં રહેલી ખાઈ, જીવનમાં ખુટતા તત્વો અને બિનસંવાદિતતા વગેરે સમસ્યાઓને સંવેદનશીલ બનાવી પ્રસ્તુત કરવાની પ્રક્રિયા"
બેરોન (૧૯૬૯)ના અવલોકન પ્રમાણે
"સર્જનાત્મકતા એવી શક્તિ છે કે જે સમાન્ય કાર્યને રચનાત્મક સૌદર્ય અર્પે છે."
વોલચ અને કોગન (૧૯૬૫) સર્જનાત્મકતા અંગે જણાવે છે,
"જે ક્ષમતા દ્વારા વ્યક્તિ વધુને વધુ કલાત્મકતા દર્શાવે છે તે નોંધપાત્ર હોય છે"

ટૂંકમા સર્જનાત્મકતા એટલે સાહસિક રીતે વિચારવું, સીધો માર્ગે છોડી કૈક જુદા માર્ગે ફાંટાવું, પ્રણાલીગત ઢાંચાને તોડવો આ પ્રક્રિયા માટેનું પરિબળ એટલે સર્જનાત્મકતા"
ઉપરોક્ત સર્જનાત્મકતાની વ્યાખ્યામાંથી નીચેના મહત્વના મુદ્દાઓ ટપકે છે,
• સર્જનશીલતા એ વિચારોની પ્રક્રિયા છે
• તે ઉચ્ચ પ્રકારની માનસિક પ્રક્રિયા છે
• તેની નીપજ નવીનતા, મૌલિકતા અને ભિન્નતા છે.
• તે વૈચારિક સર્જનાત્મકતા છે.

4. આપણી શિક્ષણ પદ્ધતિ અને સાહિત્યમા સર્જનાત્મકતાનો અભાવ:

આપણા જાણીતા સર્જક શ્રી મનુભાઈ પંચોલીએ તેમની જાણીતી ઐતિહાસિક નવલકથા "સોક્રેટીસ"ના સર્જનના પાયામાં રહેલ ગુજરાતી સાતમાં ધોરણના પાઠયપુસ્તકને યાદ કરતા લખ્યું છે,

"આમ કહું તો છેક બાળપણમાં તેનો (સોક્રેટીસનો) સ્વસ્થ વિષપાનનો પ્રસંગ ગુજરાતી સાતમી ચોપડીમાં વાંચેલો, ત્યારથી અહોભાવ જન્મ્યો હશે તેમ સ્મૃતિના પડ ઉલેખતા દેખાય છે"
સર્જનાત્મક શૈક્ષણિક સાહિત્યની વિદ્યાર્થી પર થતી હકારાત્મક અસરનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે. એજ રીતે સર્જનાત્મક સાહિત્યની નકરાત્મક અસરનું પ્રખર દ્રષ્ટાંત હિટલર છે. હિટલરે તેની આત્મકથા "મેનકાફ્ટ" (મારો સંઘર્ષ )મા લખ્યું છે,
"મારા સર્જનમાં મારા ઇતિહાસના શિક્ષકનો ફાળો છે. તેણે જર્મન પ્રજાની યાતનાઓની જે અસરકારક રજૂઆત મારા અભ્યાસકાળમાં કરી, તેની ગાઢ અસર મારા બાળ માનસપર થઈ હતી"

સર્જનાત્મક સાહિત્ય અને સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિના આ ઉદાહરણો આપણને એ તરફ વિચારવા દોરે છે કે શિક્ષણમાં સર્જનાત્મકતા મહત્વની જ નહિ, અનિવાર્ય અને અસરકારક છે. આ વિચારપછી શિક્ષણનો ઇતિહાસ ઝડપથી બદલાયો છે. તેની પદ્ધતિ અને સાહિત્યમાં અનેક પરિવર્તનો આવ્યા છે. તેમાંથી સર્જનાત્મકતા ધીમે ધીમે અદ્રશ્ય થતી ગઈ છે. અને તે માત્ર માહિતી અને તથ્યોનો નીરસ સંગ્રહ બની ગઈ છે. બી.એડ.ના અભ્યાસમાં વિષય માંડણી માટેની એક રમુજ વર્ષોથી પ્રચલિત છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન કરે છે,
"માનવીને મૃત્યુ પછી કયા દાટવામાં આવે છે ?"
વિદ્યાર્થી ઉવાચ, " કબરમાં"
શિક્ષક : કબરની આગળ "અ" લગાડીએ તો કયો શબ્દ બને છે ?"
વિદ્યાર્થી : અકબર
શિક્ષક : આજે આપણે અકબર વિશે ભણીશું"

વિષયની માંડણીની આ અરુચિકર પ્રથાનો યશ કોને જાય છે તેને ચર્ચાનો વિષય ન બનાવીએ. પણ તેમાં રહેલી અરુચીકર અને અસર્જનાત્મકતા આપણેને સૌને ખૂંચે છે. આજના આપણા ૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકો પર એક નજર કરીશું તો આવી પદ્ધતિના દર્શન અવશ્ય થશે.તેના પરથી આપણા શૈક્ષણિક પદ્ધતિ અને સાહિત્યના પાઠોના લક્ષણો નીચે મુજબ જોવા મળે છે.
૧. પાઠના વિષય વસ્તુમાં નાવીન્યતાનો અભાવ
૨. પાઠના વિષયવસ્તુને પ્રસ્તુત કરવા માટે લેવાયેલ બિન ઉપયોગી અઢળક માહિતી
૩. માહિતીના પ્રસ્તુતીકરણમા ભાસતી નીરસતા
૪. માહિતીની પ્રસ્તુતતામા સર્જનાત્મકતાનો અભાવ

આ પાઠોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરતા નીચેના કેટલાક તારણો નીકળે છે,

૧. પાઠના લેખકે તેમાં તેની વિદ્વતા ઠાલવવા અપાર શ્રમ કર્યો છે.
૨. પાઠના લેખનમાં માહિતીનો અતિરેક છે.
૩. પાઠના લેખન સમયે વિદ્યાર્થીની રુચિ કે રસને કેન્દ્રમાં રાખવામાં આવેલ નથી.
૪. પાઠના વિષયવસ્તુને પ્રસ્તુત કરવામા સર્જનાત્મકતાનો અભિગમ ઉપેક્ષિત છે.

આવા પાઠોના સર્જનમાં રચયતા પોતાની વિદ્વતાને અભિવ્યક્ત કરવાની એક પણ તક જતી નથી કરતા.પણ તેમની વિદ્વતા વિદ્યાર્થીઓના ધડતરમાં ત્યારે જ સહભાગી બની શકે જ્યારે તે અસરકાર અને સર્જનાત્મક રીતે પાઠમા રજુ થઈ હોઈ. કારણકે સર્જનાત્મકતા પાઠમા વિદ્યાર્થીની રુચિ ઉત્પન કરે છે. રુચિ રસનું મૂળ છે. અને રસ વિષયને બુદ્ધિ કરતા હદયમાં સંગ્રહિત કરવામા અસરકારક પુરવાર થાય છે. શ્રી મનુભાઈ પંચોલી અને હિટલરના દ્રષ્ટાંતોમા આ જ બાબત કેન્દ્રમાં ભાસે છે. જો કે સર્જનાત્મક પાઠનું સર્જન કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે સરળ અને ઝડપી પણ નથી. ૧ થી ૧૨ અને સ્નાતક કે અનુસ્નાતક સંદર્ભ પુસ્તકોના સર્જનમાં વર્ષોથી સહભાગી બનવાનો અવસર મને સાંપડ્યો છે. ૧ થી ૧૨ના પાઠયપુસ્તકોના સર્જન સમયનો પણ હું ઘણીવાર સાક્ષી રહ્યો છું. ત્યારે પાઠોના લેખકો વિષયવસ્તુને માહિતીના અનેક શ્રોત દ્વારા માહિતીસભર રીતે રજુ કરવાનો વધુ આગ્રહ રાખતા હોય છે. પણ પાઠના સર્જનાત્મકત પાસા પ્રત્યે તેમનું બિલકુલ ધ્યાન કે વિચાર સુધ્ધા જતો નથી. પરિણામે પાઠ માહિતીસભર તો બને છે, પણ રસમય બનતો નથી. પરિણામે તેના હાર્દને પામ્યા વગર વિદ્યાર્થી તેને પરીક્ષાલક્ષી ઉદેશથી જ યાદ રાખવાની જહેમત લે છે. પણ જો પાઠ સર્જનાત્મક અભિગમ સાથે લખાયો હોય તો તેને યાદ કરવા વિદ્યાર્થીને જહેમત કે શ્રમ લેવાની જરૂર પડતી નથી. તે તેને બુદ્ધિથી નહિ હદયથી લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.

5. સર્જનાત્મક પાઠનું દ્રષ્ટાંત :

આપણા સમાજ વિજ્ઞાનના પાઠોમા મોટેભાગે ભાસતી નીરસતાથી આપણે પરિચિત છીએ. એ પાઠોમા વિષયવસ્તુના ઉદેશને માહિતીની વિપુલતામા ઢાંકી દે છે. જેમ કે "સદભાવ"ના ગુણ કે આદર્શને અભિવ્યક્ત કરવા આપણા પાઠ લેખક સદભાવનાની વ્યાખ્યા,તેના પ્રકારો,તેના લક્ષણો અને તેની સામાજિક-રાજકીય અસરોને સૈધાંતિક સ્વરૂપે પોતાના પાઠમા સાકાર કરે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી અવશ્ય સદભાવનાના સૈધાંતિક સ્વરૂપને જાણશે. પણ તેમાં રહેલા ધબકારા કે લાગણીની અનુભૂતિથી અલિપ્ત રહેશે. પરિણામે પાઠની દીર્ઘકાલીન અસર વિદ્યાર્થીના માનસ પર રહેશે નહિ.કારણકે સિદ્ધાંતો અનુભૂતિના વાહક નથી હોતા. અને એટલે જ સદભાવનાની સૈધાંતિક પરિકલ્પના કરતા તેની અનુભૂતિને સાકાર કરવા પાઠ લેખકે એક નાનકડા પણ અસરકારક પ્રસંગને સર્જાવો જોઈએ. જે સદભાવનાની
અસરકારકતાને શબ્દની અનુભૂતિમાં સાકાર કરી શકે. આ માટેનો નમુના રૂપે એક પાઠ નીચે મુજબ આપી શકાય.

સદભાવના

હિંદુ સમાજ હંમેશા "મહાશિવ રાત્રી" ઉજવે છે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર "માલકોશ" થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે,
"માલકોશ ભગવાન શીવ કી કર્ણપ્રિય રચના હૈ"
આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદભૂત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે "માલકોશ" પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયા છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદભાવનાના અદભૂત દ્રશ્યો સર્જ્યા છે. જુના ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મનભરીને માણે છે. એક ફિલ્મ "બૈજુબાવરા"નું "મન તરપદ હરી દરશન કો આજ" અને બીજું "નવરંગ" ફિલ્મનું "આધા હૈ ચંદ્રમાં રાત આધી". પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. ઈ.સ. ૧૯૫૨મા આપણા ગજરાતી નિર્દેશક શ્રી વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ "બૈજુબાવરા"ના કૃષ્ણ ભજન "મન તરપદ હરી દરશન કો આજ"ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.સ. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત

અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,

“હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,
હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે”

શકીલની શાયરીમા રોમાન્સ કરતા ઈબાદત અને ઝીંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. "બૈજુબાવરા"નું ભક્તિ ગીત "મન તરપદ હરી દરશન કો આજ"તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર "મન તડપત હરી દરશન કો આજ" લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.

મન તરપત હરી દરશન કો આજ
મોરે તુમ બિન બિગરે સગરે કાજ
આ, બિનતી કરત હું રખીયો લાજ....મન તરપત

તુમ રે દવારકા મેં હું જોગી
હમરી ઔર નજર કબ હોગી
સુન મોરે બ્યાકુલ મન કા બાજ....મન તરપત

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં
દીજો દાન હરી ગુણ ગાઉં
સબ ગુની જન પે તુમ્હારા રાજ....મન તરપત

મુરલી મનોહર આસ ન તોડો
દુઃખ ભંજન મોરે સાથ ન છોડો
મોહે દરશન ભિક્ષા દે દો આજ....મન તરપત

આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી,
"કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે."
અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં "મન તરપત હરી દરશન કો આજ" ભજનનું રેકોર્ડીંગ

થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે.
" લલ્લુભાઈ ભક્તીમે લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા.બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે,નૌશાદ સાહબ, યે આપ કે ગીત કા કમાલ હૈ"
મેને કહા,
"હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ"

આજે પણ કૃષ્ણના ભક્તિ રસમા તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.

ઉપરોક્ત પાઠ શ્રેષ્ટ અને આદર્શ છે તેમ કહેવાનો કે સિદ્ધ કરવાનો અત્રે ભાવ નથી. પણ સદભવનાના વિચારને સર્જનાત્મકત શૈલીમાં રજુ કરવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.

6. દરેક શિક્ષક સર્જક છે :

સર્જનશીલતા એ માત્ર કવિ,લેખકો,ચિત્રકારો,કલાકારોનો જ ઈજારો નથી. દરેક વ્યક્તિમાં એક સર્જક પડેલો છે. અલબત્ત તેને ઓળખવાની,જાણવાની અને પામવી જરૂર છે. કેટલાક માનવીઓ પોતાનમાં પડેલી એ કલાને પામીને તેને વિકાવે છે. જયારે કેટલાક માનવીઓ એ કલાને સુષુપ્ત અવસ્થામાં જ રહેવા દે છે. આપણા સમાજમાં શિક્ષક એક જાગૃત અને વિચારશીલ વ્યક્તિ છે. તે અવશ્ય સર્જનાત્મકતાના ઘટકોને પામી પોતાનામાં રહેલી સર્જન કલાને વિકસાવી શકે છે. ગીલ્ફીર્ડ સર્જનાત્મકતાના વિકાસ માટે નીચે મુજબના ૮ ઘટકો આપે છે.
૧. શબ્દ પ્રવાહ ૨. વિચાર પ્રવાહ ૩. સાહચર્ય પ્રવાહ ૪. અભિવ્યક્તિ પ્રવાહ ૫. ઉપમાનું અર્થઘટન
૬. કૃતિનું શીર્ષક ૭. વસ્તુનું સર્જન ૮. સુશોભન
ગીલ્ફીર્ડના આ આઠ ઘટકો દરેક શિક્ષકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. વળી, ગીલ્ફીર્ડએ આપેલ સર્જકની લાક્ષણીકતાઓ પણ દરેક શિક્ષકના સ્વભાવ સાથે સુસંગત લાગે છે.
૧. તેમનું શક્તિ ક્ષેત્ર મૂલ્યાંકન પાત્ર હોય છે.
૨. તેમનામાં સભાનપણે આવેલા વિચારોને જાળવવાની અને તેને અભિવ્યક્ત કરવાની શક્તિ હોય છે.
૩. તેઓ અસામાન્ય હોવા છતાં સમાજમાં ટકી રહેવાની શક્તિ ધરવતા હોય છે.
૪. તેઓ અતિ લાગણી શીલ હોય છે.
૫. તેઓની જીવનશૈલી અલગ અને સ્વપ્નશીલ હોય છે.
૬, તેઓની નિરીક્ષણ શક્તિ સતેજ હોય છે.
૭. તેમની વિચાર પ્રક્રિયા નિરંતર હોય છે.
૮. તેઓ ઉત્સાહી અને મનમોજી હોય છે.
૯. નવીનતા ભર્યા સંગીત કે વિચાર રચનાથી તેઓ પ્રફુલ્લિત થઈ જાય છે.
૧૦. તેઓ આત્મ વિશ્વાસથી ભરપુર હોય છે.
૧૧. તેઓની જીજ્ઞાસા વૃતિ તીવ્ર હોય છે.
૧૨. તેઓ પોતાના વિચારો કે આચારોમાં મક્કમ હોય છે.
૧૩. તેઓ બુદ્ધિ કરતા હદયના નિર્ણયને વધુ પ્રધાન્ય આપતા હોય છે.
૧૪. પરંપરા, રૂઢી કે પ્રણાલીગત નિયમોથી અલગ વિચારતા હોય છે.
૧૫. તેઓ સંપૂર્ણ આશાવાદી અને પરિવર્તનશીલ હોય છે.

ટેલર અને હોલેન્ડ (૧૯૬૨)એ પોતાના સંશોધનમા સર્જનશીલ વ્યક્તિના જે લક્ષણો આપ્યા છે તે મુજબ

"સર્જનશીલ વ્યક્તિ બીજા કરતા વધુ આત્મનિર્ભર, સ્વતંત્ર વિચાર અને વાણી ધરાવનાર, અતાર્કિક બાબતો પ્રત્યે પણ ખુલ્લું વલણ ધરવનાર, ધારેલું કરનાર, સાહસી, પ્રગતિશીલ વિચારક અને અતિ સંવેદનશીલ હોય છે"
રેંક (૧૯૭૨) સર્જનાત્મક વ્યક્તિનું વર્ણન કરતા લખે છે,
"એવી વ્યક્તિ જે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધે છે અને પ્રત્યેક કાર્યમાં ઓતપ્રોત બની કાર્ય કરે છે"
આવો અસાધારણ શક્તિનો માલિક શિક્ષક પોતાની સર્જનાત્મક શક્તિઓને યોગ્ય માર્ગે વળશે તો તેની સર્જકતા શિક્ષણ અને તેના સાહિત્યના સર્જનમા અદભુદ પરિણામો આણશે.

7. સમાપન :

શિક્ષણમાં સર્જનાત્મકતાની આ ચર્ચાને આટોપતા એટલું જ કહી શકાય કે સર્જનાત્મકતા વિહોણું શિક્ષણ રસ વિનાના જીવન સમાન છે. ભાર વિનાનું ભણતર એ વિધાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવો સહેલો છે. પણ તેને શિક્ષણ પદ્ધતિમાં સાકાર કરવો મુશકેલ છે. કૌટલ્યના પેલુ વિધાન "शिक्षक कभी साधारन नही होता, सर्जन और प्रलय उसकी गोद में पलता है।" સર્જક તરીકેની શિક્ષકની શક્તિ સિદ્ધ કરે છે. અને એટલે જ શિક્ષક શિક્ષણને જ્યારે પણ સર્જનાત્મક બનાવશે ત્યારે અવશ્ય શિક્ષણ રસમય બનશે. અને શિક્ષણ પદ્ધતિમાં આમુલ પરિવર્તન આવશે, તેમાં બે મત નથી.

Saturday, March 17, 2012

ઇસ્લામ અને તિજારત : ડૉ. મહેબૂબ દેસાઈ

ધર્મ એટલે જીવન દર્શન. ઇસ્લામ અને તેનો ધર્મ ગ્રંથ કુરાને શરીફ તેનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં માત્ર ધર્મ અને તેના નીતિનિયમોની જ વાત નથી. પણ જીવનને સ્પર્શતા અનેક વિષયનું માર્ગદર્શન છે. તેમાનો એક વિષય છે, તિજારત અર્થાત વેપાર. હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) ખુદ એક ઉમદા અને ઈમાનદાર વેપારી હતા. હઝરત ખદીજા સાથે નિકાહ થયા એ પૂર્વે વિદેશમાં તેમનો માલ લઈ વેપાર અર્થે મહંમદ સાહેબ (સ.અ.વ.) ગયા હતા. અને હઝરત ખાદીજાને પહેલા કયારેય ન મળ્યો હતો તેટલો નફો હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)એ કરી આપ્યો હતો. હઝરત જાબીરની એક હદીસમા હઝરત મહંમદ સાહેબએ ફરમાવ્યું છે,
"ખરીદી અને વેચાણ સમયે વેપારીએ નમ્રતાથી વર્તવું જોઈએ. કારણ કે તેથી વેપાર વિકસે છે. અને નમ્ર વેપારીથી ખુશ થઈ ગ્રાહક તેણે દુવાથી નવાજે છે"
એક અન્ય હદીસમાં મહંમદ સાહેબ ફરમાવે છે,
"પોતાનો માલ વેચવા માટે વેપારીએ વધુ પડતા સોગંદ ન ખાવ જોઈએ"
કુરાને શરીફમાં પણ કહ્યું છે,
"કોઈ વસ્તુ આપો તો બરાબર માપીને આપો. લોકોને ઓછી આપીને નુકસાન ન કરશો. અને તોલમાં ત્રાજવાની દાંડી સીધી રાખીઓને તોલો અને લોકોને તેની ખરીદીની વસ્તું કયારેય ઓછી ન આપો"
હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"જયારે કોઈ વેપારી વજનમા કે માપમાં ઓછું આપે છે ત્યારે તેની કરજ વધે છે. અને તેના પર આફતોના પહાડ તૂટે છે"
વેપારમાં બેઈમાની કરનાર વેપારીને કુરાને શરીફમાં "મોત ફ્ફેકીન" કહેવમાં આવે છે. હઝરત અબ્દુલ્લાહ ઉમર બિન જ્યારે પણ બજારમાંથી નીકળતા ત્યારે દુકાનો પર ખા ઉભા રહી દુકાનદારને કહેતા,
"વજન અને માપમાં ઓછુ આપવાથી દૂર રહો. અલ્લાહથી ડરો. કરણ કે અંતિમ ન્યાયના દિવસે બેઈમાન વેપારીઓને એવા મેદાનમાં ઉભા રાખવામાં આવશે, જ્યાં સખત ગરમીથી લોકો દરિયાના પાણીની જેમ પસીનાથી ભીંજાઈ જશે. અને તેમનો એ પસીનો વહેતો વહેતો કાનના અર્ધા ભાગ સુધી ગુંગળાવી મારશે"
એ જ રીતે
"માલની ખામીને તેના વેચાણ સમયે છુપાવવી એ પણ ગુનો છે"
"ખાવા પીવાની વસ્તુઓનો સંગ્રહ કરવો તે પણ મોટો ગુનાહ છે"
ઇસ્લામમાં આદર્શ વેપારીના લક્ષણો આપતા કહેવામાં આવ્યું છે,
"સર્વ શ્રેષ્ઠ વેપારી એ છે જે જુઠ્ઠું બોલતો નથી. અમાનાતમાં ખયાનત કરતો નથી. વચનભંગ કરતો નથી. ખરીદી વેળા કોઈ માલની બુરાઈ કરતો નથી. અને જયારે માલ વેચે છે ત્યારે પોતાની વસ્તુ કે માલના ખોટા વખાણ કરતો નથી. અને જો એમની પાસે કોઈનું લેણું નીકળતું હોય તો વિના આનાકાનીએ તેને આપી દે છે. અને પોતાનું બીજા પાસે કોઈ લેણું નીકળતું હોઈ તો વસુલાતમાં તેને હેરાન કરતો નથી. માનસિક કે શારીરિક ત્રાસ આપતો નથી"
વેપારમાં ભાગીદારીને ઇસ્લામે સ્વીકારેલ છે. પણ મૂલ્યોને વળગી રહેવાની તેમાં પણ ખાસ હિદાયત આપવામાં આવે છે. એક હદીસમાં મહમંદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
"અલ્લાહતઆલાનો આદેશ છે કે બે ભાગીદારો વચ્ચે હું ત્રીજો છુ. જ્યાં સુધી એ બેમાંનો કોઈ પોતાના ભાગીગર સાથે અન્યાય ન કરે અને જ્યારે તે અન્યાય કરશે ત્યારે હું એ બંને વચ્ચે રહીશ નહિ"
કુરાને શરીફમાં પણ વેપાર અંગે અનેક હિદયાતો આપવામાં આવી છે. કુરાને શરીફની એક આયાતમાં ફરમાવ્યું છે,
"ખુદાતઆલાએ નૈતિક વેપારને હલાલ અને રીબા (વ્યાજ)ને હરામ ઠેરવ્યા છે" અન્ય એક આયાતમાં કહ્યું છે,
"તમે અંદરો અંદર એકબીજાનો માલ અનૈતિક રીતે ન ખાઓ. પરંતુ વેપારીક મૂલ્યોને જાળવી એકબીજાની સમજુતીથી, રાજીખુશીથી ખાઓ"
માનવીનું એક માત્ર ધ્યેય કમાણીનું નથી.પણ માનવી કમાણી કે નફા માટે ઘેલો બની અલ્લાહ-ઈશ્વરને ભૂલી જાય તે પણ યોગ્ય નથી. આ અંગે કુરાને શરીફમા કહ્યું છે,
"પછી જયારે તમે નમાઝથી પરવારી જાવ ત્યારે અલ્લાહના ફઝલ(કૃપા)ને તલાશ કરવા માટે જમીન પર ફેલાઈ જાવ અને નિષ્ઠાથી અલ્લાહને યાદ કરતા રહો. જેથી તે તમને તમારા વેપારમાં સફળતા અર્પે"
ઇસ્લામમાં ખાસ કહ્યું છે કે વેપારમાં અનૈતિકતાને સ્થાન નથી. જે વેપાર અનૈતિકતાના પાયા પર વિકસે છે તે વેપાર અલ્પજીવી હોઈ છે. તેમાં બરકત નથી હોતી. કોઈ માણસ પાંચ રૂપિયા મણના હિસાબે કોઈ વસ્તુ ખરીદે. બીજો વેપારી આવીને કહે કે હું આ જ વસ્તુ ચાર રૂપિયાએ મણ વેચવા તૈયાર છુ. ઇસ્લામે આ પ્રકારના ખરીદ વેચાણ પર મનાઈ ફરમાવી છે.
આ તમામ બાબતો ઇસ્લામમાં તિજારત અર્થાત વેપારમા નૈતિકતા-મૂલ્યોને વળગી રહેવા પર ભાર મુકે છે. આજનો વેપારી આ બાબતો અપનાવશે તો ગ્રાહક સુરક્ષા કેન્દ્રોનો આપણે જરૂર નહિ રહે.